કવિતા – વિવેક મનહર ટેલર

આજે વિવેકની એક કવિતા – એના જ બ્લોગ પરથી – એણે જ મુકેલા ફોટા સાથે… In short – Copy & Paste 🙂

P1011353
(કોરતું ને કોરાતું એકાંત….                        …..જુલાઈ, ૨૦૦૮)

*

તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.

કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૦૮)

એણે કાંટો કાઢીને – વિનોદ જોષી

આ પહેલા ફક્ત શબ્દો સાથે ટહુકો પર મુકેલું ગીત, આજે રવિન નાયકના સ્વર-સંગીત સાથે ફરી એકવાર રજૂ કરું છું.

સ્વર – સંગીત : રવિન નાયક

.

એણે કાટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…

પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;

મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.

હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઇ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!

હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…

થોડુ મારા વિશે…- કવિ રાવલ

થોડુ તારા વિશે થોડુ મારા વિશે
એમ પૂછે બધા બે કિનારા વિશે

તો’ય અંદાજ પામી શકે કેમ પણ ?
આપણી મધ્યમાં વ્હેલ ધારા વિશે..

હેંસિયત ને વજુદના સવાલો બધા..
ખુદ કરેલા હતા મેં જ મારા વિશે

પ્રેમનો કોઈ પણ પ્રશ્ન નહિ પૂછતા –
માત્ર પૂછો સઘનતા સહારા વિશે

પૂછજો બસ તમે એમ કૈં યાદ છે ?
એક રાતે ખરેલા સિતારા વિશે..

એકલી સાંજના ડૂબવાને ખબર..
આંસુઓ આ હશે કેમ ખારા વિશે

-કવિ રાવલ

સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ

‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…. ‘ ગીતના મૂળ રચયિતા, અને ગુજરાતી રંગભૂમિના ગીતો દ્વારા ગુજરાતી પ્રજાને પોતાના શબ્દોનું ઘેલું લગાડનાર ‘રસકવિ’ રઘુનાથ બહ્મભટ્ટનો આજે જન્મદિવસ… આપણા સર્વે તરફથી એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ આ જ પ્રથમ પંક્તિ તરીકે વાપરીને બીજા પણ કેટલાક ગીતો લખાયા છે…

સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત (સંગીતબધ્ધ)
સાહ્યબો મારો ગુલાબનો છોડ – પન્ના નાયક (સંગીતબધ્ધ)

કવિ વિશે વધુ રસપ્રદ વાતો ભવિષ્યમાં કોઇકવાર ફરી માંડીશું. આજે એમના વિષે – અન્ય કવિઓના શબ્દોમાં….

********

એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું.
– મહાકવિ નાનાલાલ

********

રસકવિ રઘુનાથભાઇનો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમની આંખમાં અમી ઊભરાતું હોય. ગુજરાતી ભાવગીતોને સમૃધ્ધ આપણી એ કલાકારે.
– ઉમાશંકર જોષી

********

કવિના શરૂઆતના ત્રણ નાટકો, ત્રણેય સફળતા પામ્યાં. આ ખ્યાતિ કોઇપણ ઊગતા લેખકને અભિમાન આપે એવી છે. સદભાગ્યે કવિને અભિમાન તો ન આવ્યું, પણ નાટકો કવિતાપ્રધાન હતાં એટલે જીવનને કવિતાપ્રધાન કરી મુક્યું.
– પ્રભુલાલ દયારામ દ્વિવેદી

********

રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અતોનાત પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો.
– હરીન્દ્ર દવે.

********

કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લ્ખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.
– ચંદ્રવદન ચી. મહેતા

********

અને હા… જુલાઇ ૧૧, ૨૦૦૬ ના દિવસે ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત… આજે આશિત-હેમા દેસાઇના યુગલસ્વરમાં ફરી એકવાર…

.

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.

– રઘુનાથ બ્રહ્મભટ્ટ
( જન્મ : ડિસેમ્બર 13, 1892 ; અવસાન : જુલાઇ 11, 1983 )

નારાયણનું નામ જ લેતાં – નરસિંહ મહેતા

નરસિંહ મહેતાની આ ઘણી જ જાણીતી ભક્તિ રચના… અને એ પણ બે અલગ અલગ સ્વરમાં. જો કે આ શબ્દોની સાથે મને બીજી એક સ્વરરચના સૌથી પહેલા યાદ આવે. નાનપણથી હું આ જ ગીતને એક ગાયિકાના અવાજમાં સાંભળતી આવી છું. કદાચ આશા ભોસલે કે લતા મંગેશકરનો અવાજ હશે? જો તમારી પાસે એવું કોઇ રેકોર્ડિંગ હોય તો મને મોકલી શકશો? એમાં અહીં પ્રસ્તુત ગીતો કરતા થોડો ઝડપી ઉપાડ છે, અને નારાયણનું નામ જ લેતા, હો હો હો નારાણયનું નામ જ લેતાં….. એવી રીતે ગવાયું છે.

સ્વર : આશિત દેસાઇ

.

સ્વર : કરસન સગઠિયા

.

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.

– નરસિંહ મહેતા

(આભાર : રીડગુજરાતી.કોમ)

પ્રતિક્ષા – પ્રીતિ સેનગુપ્તા

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?
મન થશે ત્યારે જ
ફરફરતુ
પતંગિયુ આવશે.

રસ્તામાં ખાબોચિયામાં
છબછબિયા કરવાનું મન નથી થતુ હવે.
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનુમ તોફાન નથી સૂઝતું હવે

અવરજવર તો રહી
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડ્યા
પણ કોઇનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.

જાણ છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયુ ભમ્યા કરે તેના માટે
ફૂલોએ સાજ સજવા
જેનો સ્પર્શ થવાનો નથી
એ સુવર્ણમણિની આશામાં તપોમગન રહેવું
તે તો છે
અપાત્રને કરેલું પ્રેમનું દાન…

એવા સમે ખુદા તને પડકારવો હતો – અશોકપુરી ગોસ્વામી

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવા સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાત, ખામી આપણી હતી
રણને જ આપણે બગીચો ધારવો હતો

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ ! ઉતારવો હતો.

– અશોકપુરી ગોસ્વામી

આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

ટહુકો શરૂ કર્યાને હજુ થોડા દિવસો જ થયા હતા ને રજુ કરેલું આ ગીત, ટહુકો પર સૌથી વધુ વંચાયેલું, સંભળાયેલું અને કેટલાયની આંખો ભીની કરી ગયેલું ગીત છે..! ‘આંધળી માનો કાગળ’ – આટલા શબ્દો પછી આ ગીતને કોઇ પૂર્વભુમિકાની જરૂર જ નથી..!

કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણા ગીતો જાણીતા છે, પણ આ ગીત તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય.. અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – એ તમને ખબર છે? (મને થોડા વખત પહેલા જ ખબર પડી). એ બધા જવાબ આપની સાથે ટહુકો પર ભવિષ્યમાં જરૂર વહેંચીશ, પણ આજે – કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના જન્મદિવસે – ગુજરાતી કાવ્ય-સંગીત સૃષ્ટિનું આ અમર ગીત; ગાયક-સ્વરકાર જયદીપ સ્વાદિયાના અવાજમાં ફરી એકવાર….

સ્વર : જયદીપ સ્વાદિયા

.

—————————-
Posted on July 25, 2006

સ્વર : આશા ભોંસલે

.

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

Continue reading →

નામ – અંકિત ત્રિવેદી

સ્વર – સંગીત : નયનેશ જાની

.

મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ

હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો

દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ

મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય

અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.

– અંકિત ત્રિવેદી

(આભાર : અમીઝરણું)

રેડિયો 09 : નરસિંહ મહેતા

આદિકવિ નરસિંહ મહેતાની કેટલીક યાદગાર, અને ગુજરાતીઓને કંઠસ્થની સાથે સાથે હ્રદયસ્થ થયેલી કૃષ્ણભક્તિથી ભરપૂર રચનાઓ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.