Category Archives: ગુજરાતી ફિલ્મ

કાનુડાના બાગમાં

સ્વર : સરોજબેન ગુદાણી
સંગીતકાર : ?
ગુજરાતી ફિલ્મ : વીર ચાંપરાજવાળો (૧૯૭૫)

સ્વર/સંગીત : હેમંત ચૌહાણ

એ…કાનુડાના બાગમાં (૨)
ચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ.

ફૂલ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ.
કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે….
એ…વાલા મને ઉતારામાં ઓરડા ને કાંઈ મેડીના મોલ
મોલ કેરે સાહેલડી તે સાયબો
મારો માને નહીં કેમ…કેમ.

એ…સાજનને ભોજન લાપશીને કં કઢિયેલ દૂધ,
દૂધ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ…કેમ.
એ…પ્રીતમને પોઢણ ઢોલીયાને કાંઈ હિંડોળા ખાટ,
ખાટ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ…કેમ.

એ…કાનુડાના બાગમાં (૨)
ચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ.

વહેલી પરોઢનો વાયરો વાયો – અવિનાશ વ્યાસ

સ્વર : લતા મંગેશકર
સંગીત : અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ : નારી તું નારાયણી (૧૯૭૮)
આલ્બમ : એક રજકણ સૂરજ

વહેલી પરોઢનો વાયરો વાયો….
છેલછબિલો આયો, રંગરસિયો આયો,
એવા વાવડ લાયો, વાવડ લાયો, વાવડ લા….યો
વહેલી પરોઢનો વાયરો વાયો….

બીજમાં ચંદરમાં જેવી ભમ્મર છે વાંકડી,
મરી મરી જાવ એવી મારકણિ આંખડી,
હો….હારે શરમાયો, હારે શરમાયો.
વહેલી પરોઢનો વાયરો વાયો…..

લુચ્ચો એવો સેંથાનાં કંકુમાં સંતાયો,
ચોર કેવો બંગડીનાં બંધને બંધાયો,
હો….આનંદ છવાયો,આનંદ છવાયો.
વહેલી પરોઢનો વાયરો વાયો….

બાંધી હું લઇશ એને પાલવનાં છેડે,
સંતાડિ રાખુ એને કરી કંદોરા કેડે,
હો….મનમાં સમાયો, મનમાં સમાયો
વહેલી પરોઢનો વાયરો વાયો….

– અવિનાશ વ્યાસ

મારો સોનાનો ઘડૂલો રે – કાંતિ અશોક

સ્વર : પ્રફુલ દવે, હર્ષિદા રાવલ
ગુજરાતી ફિલ્મ : સાયબા મોરા

સ્વર : પ્રફુલ દવે, ?
સંગીત સંચાલન : ?

સ્વર : ?
Gujarati Album : Fusion Gujarati Chitramala : ?

મારો સોનાનો ઘડૂલો રે
હા પાણીડા છલકે છે.
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે…..

પંચરગી પાઘડી વાહલાની બહુ સોહે રાજ
નવરંગી ચૂંદડી ચટકે ને માન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે….મારો સોનાનો…..

અંગે અંગરખું વ્હાલાને બહુ સોહે રાજ
કમખે રે આભલા ચટકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે…..મારો સોનાનો…..

રેશમી ચોરણો વ્હાલાને બહુ સોહે રાજ
મશરૂનો ચણીયો ચટેકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે….મારો સોનાનો….

દલડાની ડેલીએ વ્હાલાનું રૂપ સોહે રાજ
અંબોડે ફૂલ એ ચટકે ને મન મોહે રાજ
ઘૂંઘટની ઓરકોર, પાલવની ઓરકોર
ગોરું મુખલડું મલકે રે….મારો સોનાનો….

– કાંતિ અશોક

અમે મુંબઈના રહેવાસી – અવિનાશ વ્યાસ

સ્વર – ગીતા રોય, એ.આર. ઓઝા, ચુનિલાલ પરદેશી
ગીત-સંગીત – અવિનાશ વ્યાસ
ગુજરાતી ફિલ્મ – મંગળફેરા (૧૯૪૯)

The Lost Mumbai .. Picture from Discover India

અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી
ચર્નિરોડ પર ચંપા નિવાસમાં, રૂમ નંબર નેવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

પેટલાદમાં પિયર મારું, સાસરું સુરત શહેર
વર ને વહુ અમે મુંબઈ રહેતા, કરતાં લીલા લહેર
મોકલ્યા સાસુ-સસરા કાશી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

સાડી પહેરી શોપિંગ કીધું, પાઈનેપલનું પીણું પીધું
બીલના રૂપિયા બાકી રાખ્યા ઉધાર પેટે પંચ્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

હું ગાડાનો બેલ !
શાકભાજી, દાતણ લઈ આવું, લાવું તલનું તેલ
હું પરણ્યો પણ સંન્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

પગાર રૂપિયા પંચોત્તેરમાં સાડી શેં પોષાય
મોદી ભૈયો ધોબી ઘાટી પૈસા લેવા ધક્કા ખાય
મને થઈ ગઈ થઈ ગઈ ખાંસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

રામા,
રામા, આજે રવિવાર છે, નાટક જોવા જાશું
રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું
કાલના ભજિયા તળજે વાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા
ઐતવારચી સૂટી પાઈજે, નહિ કામ કરાયચી વેળા
આજ માઝી મરૂન ગેલી માઉસી !
લો બોલો
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

વ્હાલે વિપદ આ શું કાઢી, રામા તું ન જાતો નાસી
નહિ તો મારે વાસણ ઘસતાં, રહેવું પડશે ઉપવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ અમે મુંબઈના રહેવાસી

– અવિનાશ વ્યાસ

(આભાર – માવજીભાઇ.કોમ)

રક્ષાબંધન Special – જાહલની ચિઠ્ઠી

આજે બધી બહેનોના વ્હાલકડા ભાઇઓ અને ભાઇઓની લાડકડી બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

આજની આ પોસ્ટ – કેતનભાઇ તરફથી..!

*******
રક્ષાબંધન એટલે કાચા સૂતરનાં તાંતણે બંધાયેલ ભાઈ-બહેનનાં હેતનું પર્વ!! આમ તો, રક્ષાબંધનની વાત નીકળે એટલે ઘણા ઉદાહરણો પુરાણો અથવા નજીકના ઇતિહાસમાંથી મળી આવે. જેમકે, કુંતાજીએ ચક્રવ્યૂહમાં જતા અભિમન્યુને રાખડી બાંધી હતી. પુરાણોમાં ઉલ્લેખ છે કે ઇન્દ્રાણીએ પણ હારેલ ઇન્દ્ર દૈત્યો પર વિજય મેળવી શેકે એ માટે રક્ષાબંધનનું વ્રત કર્યું હતું. લક્ષ્મીજીએ પણ બલિના હાથે રાખડી બાંધી ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. રાજપૂત રાણી કર્મવતીએ બાદશાહ હૂમાયુને રાખડી મોકલાવી ભાઈ બનાવ્યો હતો અને રાજ્યની રક્ષા કરી હતી.

…પણ આજે રક્ષાબંધનના દિવસે ચાલો જાણીએ એક આવી જ ભાઈ-બહેનનાં અદભૂત પ્રેમની ન ચર્ચાયેલી કથા –

———————————————————————————————-
ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા’ડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા’ નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા’ એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.

આમ, સોલંકીઓએ કપટથી રા’ડિયાસને મારી જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. આ બાળક એ જ નવઘણ – રા’ ના કુળનો છેલ્લો વંશજ. પેલી વડારણ બાઈ જેમતેમ કરીને બાળ નવઘણને બોડીદર ગામના દેવાયત આહીર પાસે પહોંચાડે છે. દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે – દીકરો વાહણ અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે “સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે –

“મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.”

પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રા’ રાખીને વાત કરજે”.

“રા’ રાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા વાહણને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રા’ ના કુળદીપકને જલતો રાખ્યો!

વરસો વીત્યાં. જાહલ અને નવઘણ યુવાન થયાં. વૃદ્ધ થયેલાં દેવાયતે દીકરી જાહલનાં લગ્ન લીધાં. નવઘણને પણ તમામ હકીકતથી વાકેફ કર્યો. તમામ આહીરોને દેવાયતે ભેગા કર્યા અને જૂનાગઢ પર ચડાઈ કરી. સોલંકીરાજનું પતન થયુ અને રા’નવઘણ જૂનાગઢની ગાદીએ બેઠો. ધામધૂમથી બહેન જાહલને પરણાવી. નવઘણે બહેનને માંગવા કહ્યું ત્યારે જાહલે એટલું જ કહ્યું કે “સમય આવ્યે કાપડું માગી લઈશ.”

સમય પસાર થતો જાય છે. કાઠિયાવાડમાં કારમો દુકાળ પડે છે. જાહલ પોતાના પતિ સાથે સ્થળાંતર કરીને સિંધ પ્રાંત તરફ જાય છે. સિંધનો સૂબો હમીર સૂમરો એકવાર જાહલને જોઈ જાય છે. એના રૂપ પર મોહી પડે છે અને તેને તાબે થવાનો આદેશ કરે છે. લાચાર જાહલ ૩ મહિનાનો સમય માંગી લઈને તરત પોતાના ભાઈ રા’નવઘણ પર ચિઠ્ઠી લખી પતિને જૂનાગઢ દોડાવે છે. રાજકાજમાં ડૂબેલ નવઘણને બહેન ક્યાં છે એનો ખ્યાલ નથી. લાંબા રઝળપાટને અંતે તે જૂનાગઢ રાજમહેલમાં પહોંચી કાગળ રા’નવઘણને વંચાવે છે. કાઠિયાવાડનાં ઇતિહાસમાં આ કાગળ “જાહલની ચિઠ્ઠી” તરીકે પ્રખ્યાત છે.

ફિલ્મ “રા’નવઘણ (૧૯૭૬)” માંથી લીધેલ આ પ્રસંગનું ચિત્રાંકન અહીં જોઈ શકાશે..

 

સિંધ મહિપ દુઃશાસન કેરી મુજ પર મીટ મંડાઈ,
પાંચાળી જેમ આજ પુકારું ચીર પૂરો જદુરાઈ

હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

ભીતર લાગ્યા ઘાવ સંતાડું, રૂપ સંતાડ્યા ન જાય,
ફૂલની માથે સાપ ફૂંફાડે, લાગી અંગે-અંગ લ્હાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

કોડભર્યા મારા વીરને કાંધે તેગ સૂબાની તોળાય,
ડુંગર સમો દેવાત ડગ્યો નહિં, થડકો ન માને થાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

બાપના ગુણ ને ભોગ બાંધવનો, દૂધડિયાની સગાઈ,
કાપડા કેરો બોલ દીધોતો માંડવડાની માંય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

નવઘણ મારા એ બદલાને ભૂલી જજે ભલે ભાઈ,
જે ધરતીમાં જનમ્યા એના, સગપણ નો વિસરાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

સાબદો થા વીર વાત સુણી, મારા જુગ સમા દિન જાય,
અવધિ વિત્યા પછી કાપડું તારું, બેનનું ખાપણ થાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)

આશા ભોંસલેએ ગીતને કંઠ આપ્યો છે. શ્રીઅવિનાશ વ્યાસે હ્રદયદ્રાવક શબ્દોથી ગીતને શણગાર્યું છે. ગીતમાં જાહલ નવઘણને બાળપણમાં સાથે ઉછર્યા, રમ્યાં, મીઠા ઝઘડા કર્યા તેની યાદ અપાવે છે. લગ્નમંડપમાં આપેલ કાપડાનું વચન યાદ અપાવે છે અને સમયસર સિંધ પહોંચવા તાકીદ કરે છે.

પછીની વાત ટૂકાણમાં જોઈએ તો – બહેનનાં કાગળથી રા’નું હૈયું ભીંજાય છે. તે ફોજને સાબદી કરી સિંધ પર ચડાઈ કરે છે. જૂનાગઢથી સિધ (હાલ પાકિસ્તાનમાં) તરફ જમીનમાર્ગે કૂચ કરવામાં ઘણો જ સમય લાગે તેમ છે કારણકે વચ્ચે દરિયો છે. કાંઠે-કાંઠે ચાલીને સિંધ સુધી પહોંચે ત્યાં સુધી બહેન જાહલને મળેલ અવધિનો સમય ચૂકી જવાય તેમ છે. આ વખતે માતાજીની કૃપાથી આખી સેનાને દરિયો મારગ આપે છે અને સમયસર સિંધ પહોંચી રા’નવઘણ બહેન જાહલને છોડાવે છે.

———————————————————————————————-
આભાર,
કેતન રૈયાણી

**************
અને હા – રક્ષાબંધનની સાથે આ ગીતો તો કેમ ભૂલાય?
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ
ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ

શ્રીપ્રાણલાલ વ્યાસને શ્રધ્ધાંજલી (શેઠ સગાળશા – ચેલૈયો)

મિત્રો, ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું‘, ‘ચૈલેયાનું હાલરડું’ અને ‘ભાગુ તો મારી ભોમકા લાજે’ ના ગાયક એવા પ્રથમ કક્ષાના લોકગાયક અને ભજનિક શ્રીપ્રાણલાલ વ્યાસ હવે આપણી વચ્ચે નથી રહ્યા!! તેમના વતન જૂનાગઢ ખાતે ગઈ કાલે બપોરે પોણા ત્રણ કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો.

તેઓ પ્રખર શિવભક્ત હતા. ગાયકીના ક્ષેત્રમાં લગભગ પાંચેક દાયકાથી કાર્યરત એવા શ્રીપ્રાણલાલ વ્યાસ મુખ્યત્વે ડાયરા અને સ્ટેજ કાર્યક્રમોનું એક અભિન્ન અંગ બની ચૂક્યા હતા. લગભગ દરેકે-દરેક ડાયરામાં તેમેણે રસિક શ્રોતાજનોની ફરમાઈશ પર ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ગાયું હશે! તેમેણે કુલ ૩૭ જેટલી ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો હતો. જેમાં “શેઠ સગાળશા” (૧૯૭૮) ફિલ્મનાં બે ગીત – ‘ચૈલેયાનું હાલરડું’ અને ‘ભાગુ તો મારી ભોમકા લાજે’, “ગોરા કુંભાર” ફિલ્મનું “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું” તથા “ગંગાસતી” (૧૯૭૯) ફિલ્મનું “હાલો મારા હરિજનની હાટડીએ” ખૂબ જ લોકપ્રિય થયા હતા.

તો આજે એમને ટહુકો અને આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી સાથે માણીએ એમના કંઠે ફિલ્મ ‘શેઠ સગાળશા’ ના આ બે ગીતો.. અને સાથે થોડી વધુ માહિતી..! (આભાર – કેતન રૈયાણી)
————————————————————————–

દંતકથા એવી છે કે – દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયો, જ્યાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે જમવાનો સમય થયો, ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા, જ્યારે અન્ય સૌને અન્ન. કર્ણ હેરાન થઈ ગયો. દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી પર હમેંશા બ્રાહ્મણોને, અને એ ય માત્ર સુવર્ણદાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે. જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત, તો સ્વર્ગમાં અન્ન મળી શકત. કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં, વાણિયાના ખોળિયે શેઠ સગાળશા રુપે જન્મ ધારણ કરે છે.

શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતી (કે સંગાવતી) સદાવ્રત ચલાવે છે. સમાજનાં દરેક વર્ગના લોકોને બન્ને જણાં જમાડે છે. ધમધોકાર સદાવ્રત ચાલે છે. દુકાળનાં કપરાં વર્ષોમાં પણ શેઠ સગાળશાનાં અન્નના ભંડારો ખુલ્લા રહે છે. દૂર દૂર સુધી એમની ખ્યાતિ ફેલાયેલી છે.

બધી વાતે સુખ હોવાં છતાં એમને શેર માટીની ખોટ છે. એક જોગંદરના કહેવાથી પતિ-પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન ન લેવું. આવી અનેક માનતાઓ પછી પતિ-પત્ની પુત્રરત્ન પામે છે. ચેલૈયો એનું નામ. માતા-પિતા પાસેથી અત્યંત નાની ઉમરમાં જ ચેલૈયાએ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરેલા છે. નાનકડો ચેલૈયો શાળાએ ભણવા પણ જાય છે.

એકવાર ચોમાસામાં વરસાદ ચાલુ થાય છે, તે રોકાવાનું નામ જ લેતો નથી. નવ-નવ દિ’ વીતવા છતાં હેલી ધરતીને ધમરોળવાનું ચાલુ રાખે છે. ભયંકર વરસાદને લીધે આંગણે કોઈ માગણ કે અતિથિ ડોકાતો નથી. શેઠ-શેઠાણી અને ચેલૈયો લાંઘણ પર લાંઘણ ખેંચે રાખે છે. આખરે દસમે દિવસે વરસાદ થંભે છે અને જનજીવન પૂર્વવત બને છે. દીકરા ચેલૈયાને શાળાએ મોકલી શેઠ-શેઠાણી ગામમાં કોઈ અતિથિ – ભૂખ્યાંની શોધમાં નીકળે છે.

ગામને પાદર એક અવાવરુ જગ્યામાં તેમને એક અઘોરી મળી જાય છે. અઘોરી તદ્દન કુરૂપ અને, મેલો-ઘેલો છે. સમગ્ર શરીરે રક્તપિત્તના ચાઠાં છે, જેમાંથી પરુ નીતરે છે. એની નજીક જતાં જ ભયંકર વાસ આવે છે. દંપતિ એમની પાસે જાય છે અને એમને ઘરે પધારવા વિનંતી કરે છે પણ અઘોરી કહે છે કે તમે મારી માગણીઓ પૂરી નહિ કરી શકો. વણિક દંપતિ ખૂબ આગ્રહ કરીને પરાણે ઘરે લઈ આવે છે. એમને હૂંફાળા પાણીએ સ્નાન કરાવે છે, પરુથી નીતરતા એના ઘારા સાફ કરે છે, સારા વસ્ત્રો પહેરાવે છે અને પછી સુંદર આસને બેસાડીને અનેક વાનગીઓ ભરેલો થાળ ધરે છે. ગુસ્સે થઈને અતિથિ થાળને ઠોકર મારી દે છે અને કહે છે કે અમે અઘોર પંથના સાધુ છીએ, અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ!!

વણિક દંપતિ આવી માગણી સાંભળીને હતપ્રભ થઈ જાય છે. વણિકના ઘરમાં માંસ ચૂલે ચડે? પણ જો માગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને સગાળશાનું વ્રત તૂટે. આખરે ખાટકીને ત્યાં જઈને તાબડતોબ સગાળશા માંસનો પ્રબંધ કરી આવે છે. ચંગાવતી બત્રીસ પકવાનો બનાવી જાણે છે, પણ માંસ રાંધતા થોડું આવડે? કાળજું કઠણ કરીને ચંગાવતી માંસ રાંધે છે. ફરી થાળી અતિથિ સમક્ષ આવે છે. દંપતિ સામે ઉભા રહીને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરે છે. થાળીમાં જ્યાં નજર કરે છે ત્યાં અતિથિના ચહેરા પર રોષ પથરાય છે. અતિથિ ફરીથી થાળીનો ઘા કરે છે.

હવે શું? અતિથિની માગણી તો કંઇક ઓર જ છે. અઘોરી બાવા ફરમાવે છે – “શેઠ! અમે રહ્યા અઘોરપંથી. અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો? અમને માનવ-માંસ સિવાય કંઇ ન ખપે…!”

વણિક દંપતિ પર આભ તૂટી પડે છે. માનવ-માંસ ક્યાંથી લાવવું? દંપતિ વિચારે છે કે આપણી ટેક પૂરી કરવા આપણેન્ય માનવજીવનો ભોગ ન આપી શકીએ. માનવ-માંસનો પ્રબંધ તો ઘરમાંથી જ કરવો ઘટે. હૈયા પર પત્થર મૂકી ચેલૈયાનો ભોગ ધરાવવાનું નક્કી થાય છે. ચેલૈયાને શાળાએ તેડું મોકલવામાં આવે છે. અચાનક ઘરેથી તેડું આવતા ચેલૈયો ઉતાવળે પગે ઘરે જવા નીકળે છે. વિઘ્નસંતોષીઓ ચેલૈયાને ચેતવે છે કે તારા માતા-પિતા તારો ભોગ આઘોરીને ધરાવી મોટા દાનેશ્વરી થવા માગે છે, માટે ભાગી નીકળ. સંસ્કારી ચેલૈયો જવાબ આપે છે કે ‘ભાગું તો મારી ભોમકા લાજે..!’

આ પ્રસંગને વર્ણવતું ગીત અહીં જુઓ – ભાગું તો મારી ભોમકા લાજે..!

ભાગુ તો મારી ભોમકા લાજે, ભોરિંગ ઝીલે ન ભાર…(૨)
મેરુ સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

મોરધ્વજ રાજાએ અંગ વહેરાવ્યા, કીધા કર્ણે દાન…(૨)
શિબિરાજાએ જાંઘને કાપી ત્યારે મળ્યા ભગવાન,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

શિર મળે પણ સમય મળે નહિ, સાધુ છે મે’માન,
અવસર આવ્યે પાછા ન પડીએ, કાયા થાય કુરબાન,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

ઘરે પહોંચ્યા પછી ચેલૈયાને વ્હાલભરી છેલ્લીવારની ચૂમીઓ ભરે છે. દીકરા પર તલવાર ચલાવતા માવતરનો જીવ કેમ ચાલે? ચેલૈયો કહે છે કે બાપુ, ઝટ કરો, મને બધી જ જાણ થઈ ચૂકી છે. અતિથિદેવતા ક્ષુધાતુર છે, તેમને વધુ રાહ નથી જોવડાવવી. આવા ઉત્તમ પુત્રની ગેરહાજરી જીરવાશે નહિ એ નક્કી જ છે. આથી, આતિથિના ચાલ્યા ગયા બાદ ચેલૈયાનું કપાયેલ માથું ખોળામાં લઈને પતિ-પત્ની પણ જીવનનો અંત આણવાનુ નક્કી કરે છે. ભયંકર વેદનાને હ્રદયમાં ભંડારીને દંપતિ પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે, અને અતિથિને ધરાવે છે. કહે છે મહારાજ, હવે તો રાજી ને? ભોજન કરો. થાળીમાં નજર કરીને ફરીથી એ જ નારાજગી – “આ શું? તમારે મને ન જમાડવો હોય તો મને અહીંથી રજા આપો. મને શરીરનાં અંગોનુ માંસ? મારે તો મસ્તકનું ભોજન જોઈએ…!!”

અને પછી તો મહારાજ આકરામાં આકરી શરતો મૂકે છેઃ “ચેલૈયાનું મસ્તક ખાંડણિયામાં મૂકીને ખાંડો. તમે લગ્ન કર્યા હોય તે વખતે જેવા શણગાર સજ્યા હોય તેવા કપડા પહેરો. માથું ખાંડતી વખતે તમારી આંખમાંથી એક પણ આંસુ ખરવું ન જોઈએ. તમને બન્નેને જો દીકરો ગુમાવ્યાનો જરા પણ રંજ હોય તો મારે ભોજન કરવું નથી…!!”

સગાળશા-ચંગાવતી આ તમામ શરતોનું અક્ષરશઃ પાલન કરે છે. ખાંડણિયામાં માથું ખાંડતી વખતે પતિ-પત્ની પોતાના વ્હાલસોયા દીકરાને યાદ કરીને હાલરડું ગાય છે, જે “ચેલૈયાનું હાલરડું” તરીકે લોકસાહિત્યમાં સચવાયું છે.

આ પ્રસંગને વર્ણવતું ગીત અહીં જુઓ – ચેલૈયાનું હાલરડું

જોને ધ્રુવ ડગે, અને મેરુ ડગે, ડગે અરણવનાંય ઉર,
પણ નર-નારી જોને નહીં ડગે, ભલે પશ્ચિમ ઉગે સૂર.

મારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું, ને જાડેરી જોડશું જાન,
પણ ઓચિંતાના મરણ આવિયા, એને સરગેથી ઉતર્યા વિમાન.

માર નોંધારાનો આધાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ બાપનું ઢાંકણ બેટડો, અને નરનું ઢાંકણ નાર,
પણ ભગતનું ઢાંકણ ભૂધરો, એ તો ઉતારે ભવ પાર.

તારા મે’તાજી જોવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ ઘર નમ્યું તો ભલે નમ્યું, તું કાં નમ્યો ઘરનો મોભ?
પણ જેના ઘરમાંથી કંધોતર ઉઠિયા, એને જનમોજનમના સોગ.

મારે જનમોજનમના સોગ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ હાથે પોંચી હેમની, અને ગળે એકાવન હાર,
પણ જેને આંગણ નહિં દીકરો, એનાં મંદિરિયા સૂનકાર.

તારા નિશાળિયા જુવે તારી વાટ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પણ મેલામાં મેલો નુગરો, અને તેથી યે મેલો લોભ,
પણ એથી મેલા અમે દંપતિ, ઇ તો મૂવે ય ન પામે મોક્ષ.

મારી ચાખડીના ચડનાર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…
મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર…ખમ્મા ખમ્મા તને…

પછી તો ચેલૈયાના મસ્તકનું ભોજન થાળીમાં આવે છે અને આખરે મહારાજ ભોજન કરવા તૈયાર થાય છે. દંપતિ અતિથિને સંતુષ્ટ જોઈને રાજી થાય છે. પહેલો કોળિયો મોંમાં મૂકતા પહેલા અતિથિ સવાલ કરે છે – “તમારા ઘરમાં અન્ય કોઈ બાળક ખરું?” દંપતિ ભારે હૈયે જણાવે છે કે ચેલૈયો અમારે એક જ હતો. મહારાજ કોળિયો પાછો થાળીમાં મૂકતા ચોખવટ કરે છે – “બાળક વિનાનું સૂનું આંગણું હોય તેવા ઘરમાં હું ભોજન કરતો નથી…!!”

કસોટીની હવે તો હદ થાય છે. એકના એક બાળકનો ભોગ લેવાઈ ગયા પછીયે અતિથિ ભૂખ્યા ને ભૂખ્યા!! પણ પાછા પડે એ બીજા…! ચંગાવતી કહે છે કે – “મહારાજ, ભોજન લીધા વિના તો તમારાથી જઈ જ નહી શકાય. બે ઘડી થોભો.”. પછી શેઠને કહે છે કે – “મને કટાર આપો. મારા પેટમાં સાત માસનો ગર્ભ છે. એમાં જીવ આવી ચૂક્યો છે. મારા અગ્નિસંસ્કાર પછી કરજો, પણ અતિથિ ભૂખ્યા ન જવા જોઈએ..!!” હાથમાં રહેલી કટાર જ્યાં ચંગાવતી પેટમાં નાંખવા જાય છે, ત્યાં હરિએ પકડ્યો હાથ..!! હરિ ધ્રૂજ્યો, પ્રકાશ થયો અને કસોટીમાં સાંગોપાંગ પાર ઉતરેલ દંપતિને પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા. મૃત પુત્ર ચેલૈયો પણ પાછો આપ્યો.

૧૯૭૮માં રજૂ થયેલી ફિલ્મ “શેઠ સગાળશા”માં શેઠ સગાળશા અને ચંગાવતીનું પાત્ર અનુક્રમે શ્રીકાંત સોની અને સ્નેહલતાએ અદભૂત રીતે ભજવ્યું છે. “ભાગું તો મારી ભોમકા લાજે” અને “ચેલૈયાનું હાલરડું” – બન્ને લોકગીતો પહેલેથી જ લોકજીભે વણાયેલા હતા, એમાંય પ્રાણલાલ વ્યાસ / દિવાળીબેન ભીલનો ઘૂંટાયેલ અવાજ અને અવિનાશ વ્યાસનું સંગીત ભળ્યાં છે, એટલે ગીતો ખૂબ જ સુંદર બન્યા છે.

નોંધઃ- આ શેઠ સગાળશા જૂનાગઢ જિલ્લાના બિલખા ગામે થઈ ગયા. આજે ત્યાં ચેલૈયાની જ્ગ્યા આવેલી છે. લોકો ચેલૈયાનો ખાંડણીયો અને શેઠ સગાળશાની પ્રસિદ્ધ જગ્‍યાના દર્શન કરવા અહીં આવે છે. જૂનાગઢ શહેરથી વિસાવદર જતા વચ્ચે બિલખા આવે છે.

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (ફિલ્મના ગીતો) આજ મારી નણદીએ મેણું માર્યું – અવિનાશ વ્યાસ

ગુજરાતી રંગભૂમિની સાથે સાથે જુની ગુજરાતી ફિલ્મોનો પણ ગુજરાતી સંગીત-દુનિયામાં અમૂલ્ય ફાળો રહ્યો છે. કેટલાય ગીતો ફિલ્મોમાં આવીને – અને પછી નવરાત્રીમાં ગવાઇને આજે લોકગીતની કક્ષાએ પહોંચી ચૂક્યા છે. આજે લાખો-કરોડોના દિલોના રાજ કરનાર ‘જગજીત સિંગ’ ને સૌથી પહેલો ફિલ્મમાં બ્રેક – એક ગુજરાતી સંગીતકારે – ગુજરાતી ફિલ્મના ગીત માટે આપ્યો હતો. ફિલ્મ બહુરૂપી – અજિત મર્ચન્ટનું સ્વરાંકિત થયેલું એ ગીત – ‘લાગી રામ ભજનની લગની’.

અને એ જ સ્વરકાર – અજિત મર્ચન્ટનું સ્વરાંકિત અને દિલીપ ધોળકિયાના સ્વર મઢ્યું, ગુજરાતી ફિલ્મ દીવાદાંડીનું એક ગીત – તારી આંખનો અફીણી – એ હદે લોકપ્રિય થયું છે કે એ ગીતના ૫૦ વર્ષ પૂરા થયાનો સમારંભ રાખવામાં આવ્યો હતો.

જો કે ગુજરાતી રંગભૂમિની જેમ જ ગુજરાતી ચલચિત્રોની બાબતમાં મારી જાણકારી નહિવત છે. એટલે બાકીની બાતો તમારા માટે બાકી રાખું છું આજે ટહુકોની પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલમાં – ગુજરાતી ફિલ્મના ગીતોને યાદ કરી સાંભળીએ – ફિલ્મ ‘ગુણસુંદરી’નું વધુ એક નણંદ-ભાભી સ્પેશિયલ ગીત. આ ગીત પપ્પાની કેસેટમાં વર્ષો સુધી ખૂબ સાંભળ્યું છે – એટલે જ કદાચ મારા માટે એ ઘણું જ સ્પેશિયલ છે. અને ગીતની સાથે જ વ્હાલા ભાભી પણ એટલા જ યાદ આવી જાય..! જો કે મેં કોઇ દિવસ ભાભીને એવુ કંઇ સંભળાવ્યું નથી હોં – હું તો એમની ખૂબ લાડકી નણદી છું 🙂

સ્વર – ગીતા રોય
સંગીત – અવિનાશ વ્યાસ

આજ મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું

ભાઈ ખોવાઈ ગયો ભાભી ના આવતા
બોલ્યા નણંદબા નૈનો નચાવતા
ઘરમાં બધું થાય મારી ભાભી ધાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …

સ્નેહલ સમીરભર્યું કામણ તો એવું કર્યું
વહાલભરી બહેન કેરું સગપણ હાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …

દિન-રાત રંગમાં ભાભીની સંગ રમે
વહુઘેલો વીરો મારો ભાભી ને ચરણ નામે
________________(??)  આજ વિસાર્યું
એવું મારી નણદીએ મેણું માર્યું
આજ મારી નણદીએ મેણું માર્યું …

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં …

આ ગીતના શબ્દો, અને સાથેની નોંધ (‘રઢિયાળી રાતના રાસ’માંથી) માટે ગોપાલકાકાનો આભાર. અને સાથે આભાર એ મિત્રોનો જેમણે આ ગીતની મોકલ્યું ટહુકો પર વહેંચવા માટે. આ ગીતના બે અલગ અલગ version અહીં મૂક્યા છે, પણ બંને ગીતમાં બધી કડીઓ નથી. બીજા કોઇ ગીતમાં કદાચ વધુ ગવાયેલી કડીઓ મળી રહે.

જળદેવતાને

”રઢિયાળી રાતના રાસ/સં:ઝવેરચંદ મેઘાણી/પાનું:35-36

(જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિષે આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું; જળદેવતા ભોગ માગે છે :ગામનો ઠાકોર પોતાનાં દીકરા-વહુનું બલિદાન ચડાવે છે. વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ અને સમાજ—સુખ કાજે સ્વાર્પણ: એ ત્રણે ભાવથી વિભૂષિત બનીને જળસમાધિ લેનારાં આ વરવધૂએ લોક-જીવનમાં અમર એક અશ્રુગંગા વહાવી દીધી છે. ઘણી પંક્તિઓ પાછળથી ઉમેરાઇ લાગે છે.)

સ્વર – હેમુ ગઢવી

સ્વર – પ્રાણલાલ વ્યાસ
સંગીત – મહેશ-નરેશ
ગુજરાતી ફિલ્મ – વનજારી વાવ (૧૯૭૭)

બાર બાર વરસે નવાણ ગળાવ્યાં,
નવાણે નીર નો આવ્યાં જી રે !
તેડાવો જાણતલ તેડાવો જોશી,
જોશીડા જોશ જોવરાવો જી રે !

જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !
ઘોડા ખેલવતા વીર રે અભેસંગ !
દાદાજી બોલાવે જી રે !

શું રે કો’છો, મારા સમરથ દાદા ?
શા કાજે બોલાવ્યા જી રે !
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !

એમાં તે શું, મારા સમરથ દાદા !
પારકી જણીને પૂછી આવો જી રે.
બેટડો ધવરાવતાં વહુ રે વાઘેલી વહુ !
સાસુજી બોલાવે જી રે !

શું કો’છો, મારા સમરથ સાસુ ?
શા કાજે બોલાવ્યાં જી રે !
જાણતલ જોશીડો એમ કરી બોલ્યો,
દીકરો ને વહુ પધરાવો જી રે !

એમાં તે શું, મારાં સમરથ સાસુ !
જે કે’શો તે કરશું જી રે !
ઊઠોને રે, મારા નાના દેરીડા !
મૈયર હું મળી આવું જી રે.

અઘેરાંક જાતાં જોશીડો મળિયો,
ક્યાં વાઘેલી વહુ ચાલ્યાં જી રે !
ખરે બપોરે મરવાનાં કીધાં,
મૈયર હું મળી આવું જી રે !

મરવાનાં હોય તો ભલે રે મરજો,
એનાં વખાણ નો હોયે જી રે !
ભાઇ રે જોશીડા !વીર રે જોશીડા !
સંદેશો લઇ જાજે જી રે !

મારી માતાજીને એટલું કે’જે,
મોડીઓ ને ચૂંદડી લાવે જી રે !
ઊઠોને રે, મારા સમરથ જેઠાણી !
ઊનાં પાણી મેલો જી રે.

ઊઠોને રે, મારાં સમરથ દેરાણી !
માથાં અમારાં ગૂંથો જી રે.
ઊઠોને રે, મારા સમરથ દેરી !
વેલડિયું શણગારો જી રે.

ઊઠોને રે, મારાં સમરથ નણદી !
છેડાછેડી બાંધો જી રે.
ઊઠોને મારા સમરથ સસરા !
જાંગીનાં (ઢોલ) વગડાવો જી રે.

આવો આવો, મારા માનસંગ દીકરા !
છેલ્લાં ધાવણ ધાવો જી રે.
પૂતર જઇને પારણે પોઢાડ્યો,
નેણલે આંસુડાંની ધારું જી રે.

ઝાંઝ પખાજ ને જંતર વાગે,
દીકરો ને વહુ પધરાવે જી રે !
પાછું વળી જોજો, અભેસંગ દીકરા !
ઘોડલા કોણ ખેલવશે જી રે !

ઇ રે શું બોલ્યા, સમરથ બાપુ !
નાનો ભાઇ ખેલવશે જી રે.
પાછું વાળી જોજો, વહુ રે વાઘેલી વહુ !
પૂતર કોને ભળાવ્યા જી રે.

કોણ ધવરાવશે, કોણ રમાડશે,
કેમ કરી મોટા થાશે જી રે !
દેરાણી ધવરાવશે, નણદી રમાડશે,
જેઠાણી ઉઝેરશે જી રે !

પે’લે પગથિયે જઇ પગ દીધો,
પાતાળે પાણી ઝબક્યાં જી રે !
બીજે પગથિયે જઇ પગ દીધો,
કાંડાં તે બૂડ પાણી આવ્યાં જી રે !

ત્રીજે પગથિયે જઇ પગ દીધો,
કડ્ય કડ્ય સમાં નીર આવ્યાં જી રે !
ચોઠે પગથિયે જઇ પગ દીધો,
છાતી સમાં નીર આવ્યાં જી રે !

પાંચમે પગથિયે જઇ પગ દીધો,
પરવશ પડિયા પ્રાણિયા જી રે !
એક હોંકારો દ્યો, રે અભેસંગ !
ગોઝારાં પાણી કોણ પીશે જી રે !

પીશે તે ચારણ, પીશે તે ભાટ,
પીશે અભેસંગનો દાદો જી રે.
એક હોંકારો દ્યો,રે વાઘેલી વહુ !
ગોઝારાં પાણી કોણ પીશે જી રે !

પીશે તે વાણિયાં, પીશે તે બ્રાહ્મણ,
પીશે તે વાળુભાનાં લોકો જી રે.
તરી છે ચૂંદડી ને તર્યો છે મોડીઓ,
તર્યાં અભેસંગનાં મોળીઆં જી રે !

ગાતાં ને વાતાં ઘરમાં આવ્યાં,
ઓરડા અણોસરા લાગે જી રે !
વા’લાં હતાં તેને ખોળે બેસાર્યાં,
દવલાંને પાતાળ પૂર્યાં જી રે !

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય – પ્રશાંત કેદાર જાદવ

સંગીત : મહેશ-નરેશ કનોડિયા
સ્વર : અલ્કા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે
ગુજરાતી ફિલ્મ : મેરુ માલણ

.

કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય, ના કોઈને કહેવાય… હાય હાય !
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય,
તારું મુખડું મલકાય, તારું જોબન છલકાય, મારાં હૈયામાં કૈં કૈં થાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હો રે… હો રે, મેઘ વરસે ને ભીંજે ચીર, હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે… ઓ રે, તારું ચંદંન સરીખું શરીર, ઓયે હોયે હોયે હોયે નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય, ના ના રે અડકાય, ઈ તો અડતા કરમાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

ઓ… મારે નેણ લજ્જા લહેરે છે… લહેરે છે, લહેરે છે, મારે નેણ લહેરે છે…
હો… તારા રૂપની ભીનાશ તને ઘેરે છે… ઘેરે છે ગોરી, ઘેરે છે…
હું તો સંકોરુ કાય, અંગ અંગથી ભીંસાય, મંન મરવાનું થાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

હાય રે… હાય રે, ઓલી વીજળી કરે ચમકાર, હાય હાય હાય વારંવાર… વારંવાર.
ઓ રે… ઓ રે, ઈ તો હૈયાનાં સાંધે તાર, હોયે હોયે હોયે હોયે નમણી નાર… નમણી નાર.
મારું મનડું મૂંઝાય, એવી લાગી રે લ્હાય, ના ના રે બુઝાય… હાય હાય !
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય…
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય.

– પ્રશાંત કેદાર જાદવ

*******************
આ ગીતના કવિનું નામ લખવામાં ભૂલ થઈ હતી, તે તરફ ધ્યાન દોરવા બદલ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર..!

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર… – અવિનાશ વ્યાસ

આજની આ પોસ્ટ અક્ષરસ: કેતનભાઇના શબ્દોમાં…! હું તો બસ એટલું જ કહીશ કે… આભાર કેતનભાઇ..! અને ચાલો – માણો આ ગીત અને સાથે એમની બીજી વાતો…!

_______________________________

ઈ.સ. ૧૯૮૩માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “રાજા ભરથરી” પ્રદર્શિત થઈ, જેમાં મુખ્ય કલાકારો આ મુજબ હતાઃ

રાજા ભરથરી – ઉપેન્દ્ર ત્રિવેદી
રાણી પિંગળા – સ્નેહલતા
ગુરુ ગોરખનાથ – અરવિંદ ત્રિવેદી

આ ઉપરાંત ફિલ્મમાં જયશ્રી ટી અને રમેશ મહેતા (કે જે એમના સમયની મોટા ભાગની ગુજરાતી ફિલ્મોમાં લ.સા.અ એટલે કે, લઘુતમ સામાન્ય અવયવ…!!! 🙂 ) પણ હતા. ફિલ્મની કથા અને સંવાદ પણ રમેશ મહેતાએ જ લખ્યા હતા. આ ગીત ફિલ્મના અંતભાગમાં આવે છે. આ ફિલ્મે એ વખતે વિરાટ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ઉપેન્દ્ર ત્રિવેદી પણ એ વખતે લોકોનાં હ્રદયમાં “અભિનયસમ્રાટ”નો હોદ્દો ધરાવતા હતા. અને અધૂરામાં પૂરું, મજબૂત સ્ક્રિપ્ટ, સુંદર સંવાદો અને આ ગીત!!!

આ ગીતે લોકોને રીતસરનું ઘેલું લગાડ્યું હતું. વડીલો પાસેથી સાંભળ્યું છે કે, આ ગીત વખતે જ્યારે રાજા ભરથરી ભેખ ધારણ કરી પત્ની પિંગળા પાસે ભિક્ષા માંગવા આવે છે ત્યારે થિયેટરમાં લોકો પ્રેક્ષકો ઉભા થઈને દશિયાનો ‘ઘા’ કરતા (ભરથરીને ભેખધારી સંન્યાસી સમજીને સ્તો!!!). ફિલ્મ પૂરી થતાં જ થિયેટરના સફાઈ કામદારો અંદર ધસી આવતા અને બધા સિક્કા એકઠા કરી લેતા અને ત્યાર બાદ જ બીજો શૉ ચાલુ થતો…બોલો, છે ને માન્યામાં ન આવે એવું?

ગાયકોઃ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર
સંગીતઃ અવિનાશ વ્યાસ

(નીચેના Video માં ગીતની આગળ-પાછળના થોડા સંવાદો પણ આવી ગયા છે. ચાલશે ને?)

સ્વર – ??

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભેખ રે ઉતારો રાજા ભરથરી…(૨)
હૈયું કરે છે પોકાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

કેમ રે જોવાશે ભેખ તમારો, ખાવું ઝેર કટાર…હો…(૨)
કેસર-ચંદન છોડીને રાજા…(૨) ધર્યો કાં ભભૂત અવતાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું, કરનારો કિરતાર…હો…(૨)
કંચન-શી કાયા તો રાખ થવાની…(૨) શોભે નહીં શણગાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

રંગ રેલાવું રાજા મ્હેલમાં મારા, રેલાવું રંગધાર…હો…(૨)
દયા કરી મને છોડો ના એકલી…(૨), મારગ બીચ મઝધાર…રાજા ભરથરી…
ભેખ રે ઉતારો રાજા ભરથરી…

જંગલનાં જોગી તો જંગલમાં શોભે, શોભે નહીં સંસાર…હો…(૨)
અલખ નિરંજનની ધૂણી ધખાવી…(૨) થાવા ભવસાગર પાર…મૈયા પિંગળા…
ભિક્ષા દે ને મૈયા પિંગળા….

ભિક્ષા દે ને મૈયા પિંગળા, જોગી ઉભો તારે દ્વાર….મૈયા પિંગળા…

ભેખ રે ઉતારો રાજા ભરથરી…
ભિક્ષા દે ને મૈયા પિંગળા…

રાજા ભરથરીની મૂળ વાર્તા અને ફિલ્મની વાર્તા થોડે ઘણે અંશે જુદી પડે છે. વાર્તા કંઇક આમ છે –

રાજા ભર્તુહરિ (આપણે અપભ્રંશ કરી “ભરથરી” કરી નાંખ્યું છે!!) બત્રીસલક્ષણો રાજા છે. સુંદર રીતે રાજ કરે છે. તેના રાજ્યમાં પ્રજા સુખી છે. રાજા પ્રજામાં ખૂબ જ પ્રિય છે. ભર્તુહરિની પત્ની પિંગળા અતિ સુંદર હોય છે. ભર્તુહરિ પિંગળાને ખૂબ જ પ્રેમ કરે છે. રાજ્યનાં કામ-કાજ સિવાયનો મોટાભાગનો સમય રાજા પિંગળા સાથે જ વિતાવે છે.

એકવાર રાજ્યમાં એક મહાત્મા આવે છે. રાજાની પ્રજાવત્સલતા અને વહીવટ જોઈ મહાત્મા અત્યંત પ્રસન્ન થાય છે અને રાજાને અમરફળ પ્રદાન કરે છે, કે જે ખાઈને રાજા ‘અમરત્વ’ પ્રાપ્ત કરી શકે. રાજા પિંગળાને બેહદ પ્રેમ કરે છે. તે વિચારે છે કે મારે અમર થઈને શું કરવું છે? પિગળાની અપ્રતિમ અને અનુપમ સુંદરતા શાશ્વત રહેવી જોઈએ. એટલે રાજા આ ફળ ખાતો નથી અને એ લઈને રાણીવાસમાં પિગળા પાસે જઇ તેને આપી દે છે. રાણી પિંગળા ત્યારે ને ત્યારે ફળ ખાતી નથી. તે રાજ્યનાં અશ્વપાળને પ્રેમ કરે છે, અને તેને ચોરી છૂપીથી મળતી હોય છે. પિંગળા એમ વિચારે છે કે હું અમર થઈને શું કરીશ? મારે તો મારા પ્રેમને અમર બનાવવો છે. એટલે પિંગળા એ અમરફળ અશ્વપાળને આપે છે. હવે અશ્વપાળ તરફનો પિંગળાને પ્રેમ એકતરફી છે. વાસ્તવમાં અશ્વપાળ રાજનર્તકીને પ્રેમ કરે છે. એ વિચારે છે કે હું અમર થઈને શું કરુ? રાજનર્તકીની અલૌકિક નૃત્યકલા સદાકાળ રહે તે જ વધુ ઉત્તમ. એટલે તે ફળ રાજનર્તકી પાસે આવે છે. હવે રાજનર્તકી ખૂબ સમજદાર છે. એ પણ ફળ ખાતી નથી અને વિચારે છે કે હું ખરેખર અમર થવા યોગ્ય નથી. અમર તો એ વ્યક્તિ થવી જોઇએ કે સમાજને માટે પોતાનું જીવન ઘસી નાંખે. ઘણો વિચાર કર્યા પછી તેણે નિર્ણય કર્યો કે આ અમરફળ માટે રાજા ભર્તુહરિ સિવાય કોઇ અન્ય યોગ્ય ન હોઈ શકે.

બીજા દિવસે સવારે રાજનર્તકી રાજદરબારમાં અમરફળ લઈને આવે છે અને રાજાને આપે છે. રાજા પર જાણે વિજળી પડે છે. તે એક પળ માટે વિચારશૂન્ય થઈ જાય છે. તરત જ તેને આખું ચક્કર સમજાઈ જાય છે અને વૈરાગ્ય આવી જાય છે. તે જ ક્ષણે રાજપાટ ત્યાગી, સંસાર છોડી દે છે અને જોગી-ભિક્ષુકના વેશે મહેલમાં પિંગળા પાસે ભિક્ષા માગવા આવે છે. હવે ભર્તુહરિ સંસારી નથી, રાજા નથી, કોઇનો પતિ નથી, માત્ર સંન્યાસી છે. તે તમામ દુન્યવી સંબંધોને વેગળા મૂકીને આવ્યો છે અને ભિક્ષા માગતી વખતે પિંગળાને “મૈયા” એવું સંબોધન કરે છે. આ પ્રસંગ આ ગીતમાં ફિલ્માવવામાં આવ્યો છે.

નોંધઃ ઉપરોક્ત વાર્તા ફિલ્મની નથી, પણ અમુક પુસ્તકોમાં વાંચેલી કે પછી ક્યાંક સાંભળેલી છે. ફિલ્મમાં આ જ વાર્તા કંઈક અલગ રીતે રજૂ થયેલી છે. ફિલ્મની વાર્તા અનુસાર પિગળા બેવફા નથી પણ એક પતિવ્રતા અને સતી સ્ત્રી છે. અને માત્ર સંજોગો અનુસાર રાજા પિંગળા પર શંકા કરી સંસારત્યાગ કરે છે. ફિલ્મમાં ગુરુ ગોરખનાથ અશ્વપાળ સ્વરુપે આવીને રાજાને સંસારથી વિમુખ કરવાના પ્રયત્નો કરે છે. અશ્વપાળનું પાત્ર અરવિંદ ત્રિવેદીએ ભજવ્યું છે. રાજનર્તકીના પાત્રમાં જયશ્રી ટી છે.