Category Archives: સોનેટ

ગ્લૉબલ કવિતા : ૧૦૧ : ફેસબુક સૉનેટ – શર્મન એલેક્સી

The Facebook Sonnet

Welcome to the endless high-school
Reunion. Welcome to past friends
And lovers, however kind or cruel.
Let’s undervalue and unmend

The present. Why can’t we pretend
Every stage of life is the same?
Let’s exhume, resume, and extend
Childhood. Let’s play all the games

That occupy the young. Let fame
And shame intertwine. Let one’s search
For God become public domain.
Let church.com become our church

Let’s sign up, sign in, and confess
Here at the altar of loneliness.

– Sherman Alexie

ફેસબુક સૉનેટ

આવો, છે સ્વાગત હર કોઈનું હાઇ-સ્કૂલના અંતહીન
પુનર્મિલનમાં. ને સદા સ્વાગત છે જૂના મિત્રો ને
પ્રેમીજનોનું, હો ગમે તેવા ભલા કે ક્રૂર પણ.
ચાલો, તો અવમૂલ્યન કરો ને નાદુરસ્તી પણ કરો

આ આજની. શા માટે એ ધારી ના શકીએ આપણે
કે એકસરખા જિંદગીના સૌ તબક્કા હોય છે?
ખોદીએ, ચાલો તો, પુનઃ આરંભીએ, વિસ્તારીએ
એ બાળપણ. ચાલો રમીએ સાથે એ સઘળી રમત

જે વ્યસ્ત રાખે છે યુવાનોને. શરમ ને ખ્યાતિને
એકમેકમાં લપટાવા દો. ને થઈ જવા દો કો’કની
ઈશ્વરતલાશીને સરાજાહેર ડોમેન નેટ પર.
બનવા દો દેવળ.કોમને દેવળ ચલો, હરકોઈનું.

તો, કરીએ સાઇન અપ, ને સાઇન ઇન તથા એકરાર પણ
કરીએ ચલો, અહીંયા આ એકલતા તણી વેદી ઉપર.

– શર્મન એલેક્સી
(અનુ. વિવેક મનહર ટેલર)

ફેસબુકનો કદરૂપો ફેસ દેખાડતી કવિતા…

રાત પડે ને બૂમ પડતી: “વિ…વે…….ક….. નવ વાગી ગયા. જમવા ચા….લ તો….” પણ વિવેક જેનું નામ કે આખી શેરી સાંભળી શકે એવી મોટા સાદની બૂમ પણ એના કાને પડે. સંતાકૂકડી, ખોખો, લંગડી, કબડ્ડી, સાંકળી, પકડદાવ, સાતતાળી, લખોટી- સમીસાંજથી શરૂ થયેલો શેરી રમતોનો લખલૂટ વૈભવ રાતના પડછાયા ગાઢા થવા માંડે તોય કદી ખૂટવાનું નામ લેતો જ નહીં. બૂમો પાડી-પાડીને મા-બાપના ગળાં બેસી જાય પણ શેરી છોડીને ઘરે જવાનું મન થાય તો ને! બૂમો પડે એ ક્ષણે મા-બાપ દુનિયામાં સૌથી મોટા દુશ્મન લાગતા હતા. જમવા માટે બૂમો પાડવાની પરિસ્થિતિ તો કદાચ આજેય હજી એ જ રહી છે પણ મા-બાપે શેરી આખી સાંભળી શકે એવા ઘાંટા હવે પાડવા પડતા નથી. વચ્ચે થોડો સમય ટીવીએ જે ભાગ ભજવ્યો એ ભાગ આજે સ્માર્ટફોન ભજવી રહ્યા છે. આજના છોકરાંઓ શેરીમાં નહીં, સ્માર્ટફોનમાં ખોવાઈ ગયા છે અને એમને ડાઇનિંગ ટેબલ પર હાજર કરવા માટે મા-બાપ પણ હવે બૂમનો સહારો નથી લેતા, રિંગ કરે છે અથવા વૉટ્સએપ-મેસેન્જર પર પિંગ કરે છે – લાલ! જમવાનું ઠંડું પડી રહ્યું છે, પધારો હવે તો… સોશિઅલ મીડિયાનું આ આક્રમણ મનુષ્યજીવનમાં કેવી ક્રાંતિ લઈ આવ્યું છે એ વાત પ્રસ્તુત રચનામાં શર્મન એલેક્સી કરી રહ્યા છે.

શર્મન જોસેફ એલેક્સી જુનિયર. ૦૭-૧૦-૧૯૬૬ના રોજ વેલપિનિટ, વૉશિંગ્ટન ખાતે જન્મ. મૂળ અમેરિકી. કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને ફિલ્મકાર. માત્ર છ મહિનાની વયે ખોપડીમાં પાણી ભરાવા (હાઇડ્રોસેફેલસ)ની બિમારીના કારણે શસ્ત્રક્રિયામાંથી પસાર થવું પડ્યું, જેના પરિણામે બાળપણમાં ખેંચની બિમારીનો શિકાર રહ્યા. માથું મોટું રહી જવાના કારણે સહપાથીઓ એમને ‘ગોળો’ (ગ્લૉબ) કહીને ચીડવતા. શારીરિક નબળાઈ ફરજિયાત વાચનશોખમાં પરિણમી અને વરદાન સાબિત થઈ. કોલેજકાળમાં પહેલાં તબીબ અને પછીથી વકીલ બનવાની મથામણમાં સપડાઈને શરાબની બૂરી લતના ભોગ બન્યા. આખરે સાહિત્યના શરણે ગયા. ૨૬ વર્ષની વયે પ્રથમ પુસ્તક કવિતાનું પ્રકાશિત થયું અને શરાબને તિલાંજલી પણ આપી દીધી. તેઓ પોતાની જાતને ‘ઇન્ડિઅન’ કહેવડાવવું પસંદ કરે છે, કેમ કે એમના મત મુજબ ‘નેટિવ (મૂળ) અમેરિકન’ શબ્દપ્રયોગ ધોળિયાંઓના ‘શ્વેત’ અપરાધભાવની પેદાશ છે. આજ સુધીમાં બે ડઝનથી વધુ પુસ્તકો લખી ચૂક્યા છે અને નાના-મોટા સેંકડો ઈનામ-અકરામોથી નવાજાયા છે. ડાયેન ટોમહેવ સાથે લગ્ન કરીને બે પુત્રો સાથે સિએટલ ખાતે હાલ રહે છે.

૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ ‘અમેરિકાનો આગવો અવાજ’ ગણાતા આ અતિલોકપ્રિય લેખકે એક જાહેર ખુલાસો બહાર પાડ્યો જેમાં તેમણે વીતેલા વર્ષોમાં પોતાના વર્તનથી ઘણાં લોકોને નુકશાન પહોંચ્યું હોવાનું સ્વીકારીને માફી માંગી. એક જમાનાની એમની શૈયાસાથી લિત્સા ડ્રેમૌસીસે શર્મને કરેલ જાતીય સતામણી સામે ટ્વિટ કર્યું અને જેની વૉકર, એલિસા વૉશુટા તથા એરિકા રુથ નામની અન્ય ત્રણ લેખિકાઓ ‘મી ટુ’ કહીને આગળ આવી. નેટિવ અમેરિકન સાહિત્યકારોમાં સૌથી મોટું નામ ગણાતા શર્મનના માથે પસ્તાળ પડી. એમણે જાહેર માફીનામું બહાર પાડ્યું. એમને આપવામાં આવેલ ઘણા પુરસ્કાર ‘એલેક્સીએ જે કર્યું છે એ અસ્વીકાર્ય છે’ એવો સાફ સંદેશો સમાજને પહોંચાડવાના હેતુસર પરત લઈ લેવાયા અને એમના નામ સાથે સંકળાયેલા સ્કોલરશીપનું નામ પણ બદલી નંખાયું.

એમના પુસ્તક ‘યુ ડોંટ હેવ ટુ સે મી યુ લવ મી’માં એ લખે છે: ‘મારું નામ શર્મન એલેક્સી છે અને હું જન્મ્યો હતો ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી અને ખોટમાંથી.’ એક-બે-ત્રણવાર પુનરોક્તિ કરવાના બદલે એ તેર-તેરવાર ‘ખોટમાંથી (Loss)’ વાપરે છે, જે નુકશાનીની અમીટ છાપ છોડી જવામાં સફળ રહે છે. એમના આ સંસ્મરણો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ પારાવાર નુકશાનીનું પરિણામ છે: ‘પોતાની જનજાતિનો નાશ અને વિસ્થાપન, બંધના પ્રતાપે એમના સમાજમાં પવિત્ર ગણાતી સૅમન માછલીઓનું સ્થળાંતરણ, દાદા-દાદીઓના અકાળ નિધનો, દારૂડિયો બાપ, શસ્ત્રક્રિયા, ખેંચની બિમારી, અને બાળપણમાં શોષણનો ભોગ થવું વગેરે વગેરે…’ એમની કવિતાઓમાં શરાબખોરી, રંગભેદ, ગરીબી તથા પ્રવર્તમાન સમાજની અન્ય બદીઓ અવાજ બુલંદ કરે છે. કાળો કટાક્ષ અને મૂળ અમેરિકનોની હાડમારી એમની કવિતાઓમાં સતત ડોકાતાં જોવા મળે છે.

રચનાનું શીર્ષક ‘ફેસબુક સૉનેટ’ સ્વયંસ્પષ્ટ છે. ફેસબુક શું છે એ સમજાવવું પડે એવો માણસ મળવો આજે કદાચ મુશ્કેલ છે. રચનાની દૃષ્ટિએ જોઈએ તો પહેલી નજરે શર્મનનું આ સૉનેટ શેક્સપિરિઅન શૈલીમાં લખાયું હોવાનું અનુભવાય પણ હકીકત જરા જુદી છે. ચતુષ્કમાં અ-બ-અ-બ અને યુગ્મકમાં ક-ક પ્રકારનો પ્રાસ અનુભવાય છે ખરો પણ છે નહીં. સ્કૂલ-ક્રુઅલ, ફ્રેન્ડ્સ-અનમેન્ડ, સેઇમ-ગેઇમ્સ તથા ફેમ-ડોમેનના પ્રાસ ચુસ્ત પ્રાસ ઓછા અને દૃષ્ટિભ્રમ (eye-rhyme) વધારે છે. આ પ્રાસ રચના કંઈક અંશે તિર્યક પ્રાસ (Slant/oblique/imperfect rhyme)ને મળતી આવે છે. કવિ ફેસબુક જેવી સોશિઅલ મીડિયા સાઇટ ઉપર સૉનેટ જેવી ગૌરવાન્વિત કાવ્યરચના કરી રહ્યા છે એ વાત પોતે કટાક્ષસભર છે. કદાચ એટલે જ કવિએ ચુસ્ત પ્રાસ વાપરીને સૉનેટનું ગૌરવ જાળવવાના બદલે તિર્યક પ્રાસ પ્રયોજીને ફેસબુકની હાંસી કરવાનો ઉપક્રમ સેવ્યો હોય એમ બની શકે. બીજું, શેક્સપિરિઅન સૉનેટમાં પ્રધાન છંદ આયમ્બિક પેન્ટામીટર જોવા મળે છે, જ્યારે અહીં ટેટ્રામીટર છે, જે અંગ્રેજીમાં બહુધા ગીત (Ode) તથા કથાકાવ્યમાં જોવા મળે છે. ૨૦૦૪થી ૨૦૧૮ સુધીની ફેસબુકની જિંદગીમાં બરાબર વચ્ચેની સાલમાં ૨૦૧૧માં લખાયેલી આ કવિતા છે. પહેલાં સાત વર્ષમાં ફેસબુકે સમાજ પર જે છાપ છોડી એના કરતાં અનેકગણી છાપ બીજા સાત વર્ષોમાં છોડી હોવાથી આ કવિતા પહેલી નજરે જૂની થઈ ગઈ હશે એમ માનવાનું મન થાય પણ કવિતામાંથી પસાર થતી વખતે અહેસાસ થાય છે કે આ કવિતા તો વરસોવરસ તાજી રહેવા જ જન્મી છે.

આ સૉનેટના એક જ વર્ષ પહેલાં ૨૦૧૦ની સાલમાં ફેસબુકના વપરાશકર્તાઓનો આંકડો પચાસ કરોડને વટાવી ગયો હતો પણ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ આ આંક સવા બે અબજને સ્પર્શી ગયો. વિશ્વની સાડા સાત અબજની વસ્તીમાંથી ૨૫ ટકા જેટલા બાળકો અને અપંગ-વૃદ્ધોને બાદ કરીએ; ચીન, ઈરાન, સિરિયા જેવા ફેસબુક પર સંપૂર્ણ પ્રતિબંધ રાખનાર દેશોની વસ્તીને બાદ કરીએ; અને દુનિયાભરમાં જે ગરીબો સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ખરીદી-વાપરી શકવા સમર્થ જ નથી એમને પણ બાદ કરીએ તો એમ કહી શકાય કે દુનિયાની મોબાઇલ ફોન વાપરી શકે એવી કુલ વસ્તીના કદાચ પોણા ભાગને ફેસબુક વિના ચાલતું નથી.

દુનિયામાં છેલ્લા પાંચ હજાર વર્ષોમાં જેટલું પરિવર્તન આવ્યું નથી, એટલું છેલ્લા વીસ-પચ્ચીસ વર્ષમાં આવ્યું છે. કમ્પ્યૂટર, મોબાઇલ અને ઇન્ટરનેટનો આમાં સૌથી મોટો ફાળો છે. સોશિઅલ મીડિયાએ તો સામાજિક સંબંધોની પરિભાષા જ આમૂલ બદલી નાંખી છે. છેલ્લા બે દાયકાઓમાં બે વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં જે પરિવર્તન આવ્યું છે એ છેલ્લા પાંચ હજાર વર્ષોમાં આવેલા કુલ પરિવર્તનોના ગુણાકારથીય વધારે ગણી શકાય. ૧૯૪૦ના દાયકામાં સુપર કમ્પ્યૂટર અસ્તિત્વમાં આવ્યા એ દિવસથી વૈજ્ઞાનિકો બે કમ્પ્યૂટર વચ્ચે કઈ રીતે સંબંધ સ્થાપી શકાય એની મથામણમાં લાગ્યા હતા. ૬૦ના દાયકામાં કમ્પ્યૂસર્વ જેવું પ્રાથમિક ઇન્ટરનેટ અને ૭૦ના દાયકામાં અર્પાનેટ અને પછી યુઝનેટ અસ્તિત્વમાં આવ્યાં જેને સોશિઅલ મીડિયાના પ્રથમ પગરણ ગણી શકાય. ૧૯૮૮માં ઇન્ટરનેટ રિલે ચેટની શરૂઆત થઈ જે લોકપ્રિય પણ થયું. પણ ૧૯૯૭માં આવનાર ‘સિક્સ ડિગ્રીઝ’ની શરૂઆત થઈ જેને સાચા અર્થમાં સોશિઅલ મીડિયા કહી શકાય. ૧૯૯૯માં ખાનગી બ્લૉગ સર્વિસીઝનો પ્રારંભ થયો અને સોશિઅલ મીડિયાનો સાચા અર્થમાં સૂર્યોદય થયો. પછી તો માયસ્પેસ, લિન્ક્ડઇન, ફ્રેન્ડસ્ટર, ઓર્કૂટ, ફોટોબકેટ, ફ્લિકર, વગેરેનો મારો થયો. ફેસબુક, યૂટ્યુબ, ટ્વિટર, ટમ્બ્લર, યાહૂ મેસેન્જર, ગૂગલ પ્લસ, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, લાઇન, ટેલિગ્રામ જેવા મીડિયા આજે પણ ધૂમ મચાવી રહ્યા છે. આજે પરિસ્થિતિ કદાચ એવી સર્જાઈ છે કે માણસને પોતાની બાજુમાં કોઈ બેઠું છે કે નહીં એના કરતાં પોતાના સોશિઅલ મીડિયા પર કોઈ પોતાની સાથે ઓનલાઇન છે કે નહીં એમાં વધુ રસ છે. શેરીના નાકે ઓટલા પર ટોળું વળીને ગામગપાટા મારતાં યુવાનિયાઓનું અને શેરીમાં જાતજાતની રમતો રમતા બાળકોનું ચિત્ર ઝડપભેર ગામના પાદરની જેમ ભૂંસાતું જઈ રહ્યું છે. મિત્રો ટોળું થઈ ભેળાં બેઠેલાં તો હજીય નજરે ચડે છે પણ એ લોકો ઝડપભેર પરસ્પર વાકવિનિમયની કળા ભૂલતાં જઈ રહ્યાં છે. બાજુમાં બેઠેલ જીગરજાન શું કહી રહ્યો છે એના કરતાં વધુ રસ સોશિઅલ મીડિયાના નોટિફિકેશનમાં શું આવ્યું છે એ જોવામાં પડે છે. સંબંધોમાં વર્ચ્યુઅલ વાસ્તવિકનું સ્થાન ઝડપભેર લઈ રહ્યો છે.

૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ ઇન્ટરનેટ પર સોશ્યલ મિડિયાના નામે કદાચ સૌથી મોટી ક્રાંતિની શરૂઆત થઈ. માત્ર ઓગણીસ જ વર્ષના એક ટીનએજર અમેરિકન માર્ક ઝકરબર્ગે એના હાર્વર્ડ કોલેજના સહપાઠીઓ સાથે મળીને હાર્વર્ડના ડોર્મિટરી રૂમમાં બેઠાં બેઠાં ફેસબુકની શરૂઆત કરી, જે થોડો સમય કોલેજના પટાંગણ પૂરતું જ સીમિત હતું. કોલેજના વિદ્યાર્થીઓની માહિતી ફોટૉગ્રાફ્સ સાથે ઓનલાઇન કે છાપેલી પુસ્તિકામાં રાખવામાં આવતી જે ‘ફેસ બુક’ કહેવાતી. આ જ નામ માર્કે વાપર્યું પણ માર્કને પોતે જે કરી રહ્યો છે એનો વ્યાપ શો હોઈ શકે એનો આછોપાતળો અંદાજ હતો. ટૂંક સમયમાં જ સિલિકોન વેલીમાં નાની ઑફિસ ભાડે લેવામાં આવી. વેનિટી ફેર મેગેઝિને ૨૦૧૦માં વિશ્વની માહિતી યુગની સો સૌથી વધુ વગદાર વ્યક્તિઓમાં એને પહેલો ક્રમાંક આપ્યો. ઝકરબર્ગ પોતે લાલ તથા લીલી રંગઅંધતાનો શિકાર હોવાથી ફેસબુકમાં પ્રાથમિક રંગ ભૂરો છે. ૨૦૧૨માં કંપનીએ આઇપીઓ બહાર પાડ્યો ત્યારે કંપનીની બજારકિંમત એક્સો ચાર અબજ ડોલર હતી. ફેસબુકના સીઈઓ તરીકે એનો પગાર માત્ર એક ડોલર છે, પણ કમાણી અબજો ડોલર છે. ૨૦૧૬માં એણે એની કમાણીના ૯૯% -બાવન અબજ ડૉલર- દાન કર્યાં હતા. સમયની સાથોસાથ એકતરફ ફેસબુકની સુવિધાઓમાં સતત પરિવર્તન થતાં રહ્યાં છે તો બીજી તરફ કાનૂની આંટીઘૂંટીઓનો સામનો કરવાનું પણ એકધારું ચાલુ જ રહ્યું. માર્ચ ૨૦૧૮માં કંપની પર કેમ્બ્રિજ એનાલિટિકા હસ્તક પાંચ કરોડ અમેરિકનોની માહિતી હસ્તગત કરવાનો આરોપ મૂકાયો અને વિશ્વભરમાં લાખો લોકોએ ફેસબુકને તિલાંજલિ પણ આપી દીધી. પણ હકીકત એ છે કે આજની તારીખે પણ ફેસબુક વિશ્વની મોટાભાગની વસ્તી પર ધારી અસર પહોંચાડવામાં સફળ છે. અમેરિકા જેવા દિગ્ગજ દેશની ચૂંટણીના પરિણામ પર પણ જે મીડિયા ધાર્યો પ્રભાવ પાડી શકતું હોય એની તાકાત શી રીતે ઓછી આંકી શકાય!

ફેસબુક યાને કે ‘ચહેરાપોથી’ વિશેના સૉનેટની શરૂઆત કવિ સહુના સ્વાગતથી કરે છે. સ્વાગતના ભાવમાં છૂપાયેલો ઉપહાસનો કાકુ અનુભવાયા વિના નથી રહેતો. ફેસબુકના આગમનથી દુનિયાભરના લોકો ખૂબ ઉત્તેજિત હતા કેમકે મોટાભાગના લોકો શાળા કે કોલજ પત્યા પછી બધા નહીં તોય ઘણાખરા જૂના મિત્રોના સંપર્ક-સરનામાં લેવાનું ચૂકી જતાં હોય છે, અથવા જે-તે સંપર્ક-સરનામાંનો પ્રયોગ કરવાનો સમય વરસો બાદ ક્યારેક આવી ઊભો થાય ત્યારે જાણ થતી હોય છે કે એ સરનામાં કે ફોનનંબર તો ક્યારના બદલાઈ ચૂક્યાં છે. પરિણામે શાળા-કોલેજના જૂના મિત્રો દુનિયાની ભીડમાં ક્યાં અને ક્યારે ઓગળી ગયા એની ગમ પડવી શક્ય રહેતી નથી. પણ ફેસબુક જેવા સોશિઅલ મીડિયાઓએ નવી જ ક્ષિતિજો ઊઘાડી આપી. વરસોના વરસથી જેમના કોઈ ખબર-અંતર જ ન હોય એ મિત્રો અચાનક સોશિઅલ મીડિયા પર જડી આવે છે. ફેસબુક એ રીતે જોવા જઈએ તો આ પુનર્મિલનોનો અનવરત ચાલ્યે રાખતો સમારોહ છે. સારા હોય કે નઠારા, જૂના મિત્રો હોય કે ભૂતપૂર્વ પ્રેમીઓ- આ સહુનું સ્વાગત છે. સમયના અભાવે છટકી ગયેલા કે કોઈક કારણોસર વણસી ગયેલા તમામ પ્રકારના સંબંધો અહીં ફરી આભાસી હસ્તધૂનન અને આલિંગનોમાં જોતરાઈ શકે છે. ‘ભલા’ તો ઠીક પણ શર્મન ‘ક્રૂર’ શબ્દ પ્રયોજે છે એમાં ફેસબુકની પીઠ પર કટાક્ષનો પહેલો ચાબખો વીંઝાતો સંભળાય છે. સમય હતો ત્યારે જે પ્રેમીઓ કે મિત્રો અંગત સ્વાર્થ કે કોઈપણ કારણોસર તમને એકલા મૂકીને આગળ નીકળી ગયા હતા એ પણ ફેસબુકના ચોતરે પાછલી શરમને નેવે મૂકી દઈને અચાનક તમારા ફ્રેન્ડ લિસ્ટમાં સામેલ થઈ જાય છે. જે લોકોએ તમને સાક્ષાત પસંદ નહોતા કર્યા, એ લોકો હવે તમારી પોસ્ટ્સ પર લાઇક્સ આપતા થઈ જાય છે… કેવી ‘ક્રૂર’ નીચતા!

શર્મન ત્રણેય ચતુષ્કને અપૂર્ણાન્વય (enjambment)ની રીતિથી એકસૂત્રે બાંધે છે. દરેક ચતુષ્કની આખરી પંક્તિ આવનારા ચતુષ્કમાં ઢોળાય છે. જો કે આખી કવિતામાં કાવ્યાંતને બાદ કરતાં ચાર જ પંક્તિ વાક્યાંતે પૂર્ણ થાય છે, બાકી બધી જ પંક્તિઓ અપૂર્ણાન્વયની નીતિને અનુસરે છે અને કવિતાની સળંગસૂત્રિતા જાળવવામાં મદદ કરે છે. ફેસબુક એ વીતી ગયેલી કાલની કબર ખોદીને જાત-જાતનાં મડદાં બહાર કાઢે છે. વાસ્તવિક દુનિયાને વિસારે પાડીને એ મનુષ્યને કાલ્પનિક દુનિયામાં જીવતાં શીખવે છે. એટલે જ કવિ આહ્વાન કરતાં કહે છે કે ચાલો, આજનું અવમૂલ્યન કરીએ અને તોડી-ફોડીને એને નાદુરસ્ત પણ કરીએ. ભલે, પાંચ હજાર વર્ષ પહેલાં મેસોપોટેમિઅન સંસ્કૃતિમાં સિદુરી રાજા ગિલ્ગામેશને શોક ત્યજીને આજમાં જીવવાનો ઉપદેશ આપી ગયો હોય, બે હજાર વર્ષ પહેલાં રોમન કવિ હોરિસ (Horace) ‘Carpe Diem’ (આજમાં જીવો) કહી ગયો હોય, પણ ફેસબુક આપણને આજને ભૂલીને ગઈકાલમાં જીવતાં શીખવે છે. ફેસબુક હજારો વર્ષોના ડહાપણને જૂઠલાવે છે.

જિંદગી દરેક તબક્કે અલગ સ્વરૂપે આપણી પાસે આવે છે અને ભિન્નસ્વરૂપા હોવાના કારણે જ એ આપણને આટલી વહાલી પણ લાગે છે. પણ ફેસબુકના આંગણામાં બધું એકસમાન છે. ફેસબુક જીવનના દરેક તબક્કે એકસરખી લાઇક્સ અને કોમેન્ટ્સ લઈને આવે છે, એ જિંદગીના દરેક પ્રસંગોને એકસમાન રીતે જ ઉજવતા શીખવે છે. જીવનમાં કંઈ પણ નવું બન્યું નથી કે તરત એને ટાઇમલાઇન ઉપર અપલોડ કર્યું નથી. ‘વિવિધતામાં એકતા’ સૂત્રને ફેસબુક જરા અલગ રીતે જ આત્મસાત કરે છે. જે બાળપણ વીતી ગયું છે એને ખોદી કાઢવાનું છે, ફરી જીવવાનું છે અને વધુ ને વધુ જીવતાં જ રહેવાનું છે એમ કવિતા જ્યારે કહે છે ત્યારે પ્રથમદર્શી ભાવ તો એવો જ લાગે કે બાળપણની સોનેરી યાદોમાં ખોવાઈ જવાનો સોનેરી મોકો ફેસબુક પૂરો પાડે છે માટે ફેસબુક કોઈ દેવદૂતથી કમ નહીં હોય; પણ તરત જ સમજાય છે કે જે ખોદવાનું, ફરી જીવવાનું અને જીવતા રહેવાનું કામ ફેસબુક આપણી પસે કરાવે છે એ બાળપણ નથી, પણ બાળકો જેવી હરકતો છે. ફેસબુક આપણી પાસે પરિપક્વતાનો ત્યાગ કરાવી બાલિશતા આચરતા શીખવે છે. મરી ગયેલા સ્વજનો સાથે સેલ્ફી લઈને જાહેરમાં પોસ્ટ કરવાની સંવેદનહીનતા ફેસબુક વિના શક્ય જ નથી અને કોઈના આત્મજન અવસાન પામ્યા હોવાની પોસ્ટ પર ‘લાઇક’ કરનારાઓની પણ આજની તારીખે કમી નથી. ફેસબુક હકીકતમાં આપણા બચપણ સાથે પુનઃસંધાન નથી કરાવતું, બચપણા સાથે કરાવી આપે છે. ફેસબુક આપણા ચિત્તતંત્રને, સંવેદનતંત્રને લકવો મારવાનું કામ કરે છે. જીવનની દરેક પરિસ્થિતિમાં આપણે એની એ જ કી વાપરીને કામ કરતાં શીખી જઈએ છીએ. ફેસબુકના દરિયામાં લાગણીઓની ભરતી-ઓટ છે જ નહીં, કેમકે ફેસબુકનો દરિયો તો પથ્થરનો દરિયો છે.

એક જમાનો હતો જ્યારે યુવાનો શેરીઓમાં, મેદાનોમાં આઉટડોર ગેમ્સમાં મશગૂલ રહેતા. આજે મોટાભાગના યુવાનો ચાર-છ ઇંચના કાચની સ્ક્રીનમાં માત્ર ઘુસી જવાનું જ બાકી રાખીને જીવતા હોય છે. જો અનિવાર્ય ન હોય તો મોબાઇલની રમતો, મીડિયાની આંટીઘૂંટીઓમાં વ્યસ્ત આ યુવાનો કદાચ શ્વાસ લેવાનુંય ભૂલી જાય. શરમ આવે એવી ઘટનાઓ હોય કે ખ્યાતિ મળે એવી ઘટના હોય- ફેસબુકના આંગણે સહુને સમાન આવકાર મળે છે. નીરક્ષીરવિવેકનો છાંટોય હોય તો ચાંગળા પાણીમાં ડૂબી મરવાનું મન થાય એવી એવી બાબતો ‘વાઇરલ’ થઈ જવાની લ્હાયમાં લોકો ફેસબુક પર જાહેરમાં રમતી મૂકે છે. ફેસબુક પર ફેમ અને શેમ એક જ ગેમનો ભાગ બની રહે છે. બે વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ જાય એ હદે બંને એક થઈ ગયાં છે.

ઈશ્વરની શોધથી વિશેષ અંગત બીજું કંઈ હોઈ જ ન શકે. ઈશ્વરની શોધ એ પોતાની જાતની શોધ છે. માણસ પોતાની અંદર ઠીઠ ઊતરી શકે ત્યારે જ એને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ શકે છે. જે કોઈ બહાર ફાંફાં મારે છે, એ માત્ર ફાંફા જ મારતો રહી જાય છે કેમકે ખરો ઈશ્વર આપણી ભીતર છે. પણ ફેસબુક જેવા મીડિયા ધર્મની પણ મજાક ઊડાવે છે. અંગત ભક્તિ અને અંગત તલાશ પણ લોકો જ્યાં સુધી ‘શેર’ નથી કરતાં ત્યાં સુધી એ ભક્તિ-તપસ્યા એમને અધૂરી લાગે છે એ હદે ફેસબુકની બિમારી આપણી રગોમાં વ્યાપી ચૂકી છે. દેવળ ડૉટ કૉમ ખરું દેવળ બની ગયું છે. સ્થળ વાસ્તવિક્તાની ગરિમા ગુમાવીને વર્ચ્યુઆલિટીની કડવાશના રંગે રંગાતા જાય છે. નવા વરસે એકબીજાના ઘરે જઈને મળવાનો રિવાજ ઝડપભેર ભૂંસાતો જાય છે, કેમકે હવે આ કામ ફેસબુક અને વૉટ્સએપ પર જ નિપટાવી લેવાય છે.

ફેસબુકની ભાષામાં સાઇન અપ અને સાઇન ઇન કરવાનું કહીને કવિ ફેસબુકના ચર્ચમાં જ ગુનાઓનો એકરાર કરી દો એવો તીખો કટાક્ષ કરે છે. ફેસબુકને એકલતાની વેદી તરીકે વ્યાખ્યાયિત કરીને કવિ આપણને ચેતવે છે કે ભલે આનું નામ સોશિઅલ મીડિયા કેમ ન હોય, અહીં કશું જ સોશિઅલ નથી. આ કોઈ સમાજ છે જ નહીં, આ તો માત્ર સમાજનો આભાસ છે. લાઇક્સ, કોમેન્ટ્સ અને શેરની સંખ્યા આપણી ખુશીનો ભાવાંક નક્કી કરે છે. આપણી પૉસ્ટ પર નવા નોટિફિકેશન આવ્યાં કે નહીં એની તાલાવેલી આપણી ખુશીની ઉપર હાવી થઈ જાય છે. સાચી જિંદગી કરતાં આભાસી જિંદગીમાં બે જણ વચ્ચે પ્રેમ પણ બહુ જલ્દી થઈ જાય છે પણ આભાસને વાસ્તવ માની બેઠેલ બે જણ જ્યારે હકીકતમાં એક થાય છે ત્યારે ભ્રમનો આ પરપોટો ફૂટતાં વાર નથી લાગતી. ફેસબુકના કારણે છૂટાછેડા અને આત્મહત્યાની માત્રામાં વધારો થયો હોવાનુંય પુરવાર થયું છે. આ એકલતાની વેદી પર આપણું સ્વાગત કરીને કવિએ જે લાલ બત્તી દેખાડી છે એ ન જોઈ શકનારનું ભાવિ અકસ્માતસભર જ હોવાનું. આ એક એવી દુનિયા છે જ્યાં તમે હજારોની વચ્ચે હોવા છતાંય બિલકુલ એકલા છો. અને આ એવો નશો છે જે છોડ્યો છૂટતો નથી. વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની હોડમાં ને દોડમાં આપણે વધુ લોકો તો ઠીક, જાત સુધી પહોંચવાનું પણ વિસરી ગયાં છીએ.

ગ્લૉબલ કવિતા : ૬૨ : નવી મહાપ્રતિમા – એમા લેઝારસ

The New Colossus

Not like the brazen giant of Greek fame,
With conquering limbs astride from land to land;
Here at our sea-washed, sunset gates shall stand
A mighty woman with a torch, whose flame
Is the imprisoned lightning, and her name
Mother of Exiles. From her beacon-hand
Glows world-wide welcome; her mild eyes command
The air-bridged harbor that twin cities frame.
“Keep, ancient lands, your storied pomp!” cries she
With silent lips. “Give me your tired, your poor,
Your huddled masses yearning to breathe free,
The wretched refuse of your teeming shore.
Send these, the homeless, tempest-tossed to me,
I lift my lamp beside the golden door!”

– Emma Lazarus

નવી મહાપ્રતિમા

ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,

“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, સૌને મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”

– એમા લેઝારસ
(અનુ. વિવેક મનહર ટેલર)

ગંજાવર સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી અને નાની અમથી કવિતાની તાકાત…

ચૌદ પંક્તિની એક નાની અમથી કવિતા ક્યારેક વિશ્વની અજાયબીઓમાંની એક ગણાતી ત્રીસ માળ ઊંચી પ્રતિમાનો આખેઆખો સંદર્ભ જ બદલી નાંખે એ શક્ય ખરું? પહેલી નજરે તો અશક્ય જ લાગે પણ અમેરિકાના ન્યૂયૉર્ક બંદર પર હાથમાં મશાલ લઈને ૧૮૮૬ની સાલથી ખડે પગે ઊભી રહેલ ૩૦૫ ફૂટ ઊંચી લોહ-તાંબાની પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’નો આખેઆખો મતલબ એક કવિતાએ બદલી નાંખ્યો. પ્રતિમા ભેટ આપનાર અને લેનાર બંને માટે આ પ્રતિમા ‘આઝાદી’ અને ‘આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદ’ની અર્થચ્છાયા ધરાવતી હતી પણ અહીં પ્રસ્તુત એમા લેઝારસના સૉનેટ અને એમાં આવતી પંક્તિ – Mother of Exiles: નિર્વાસિતોની મા-એ લેડી લિબર્ટીના હોવાનો સમુચો અર્થ જ બદલી નાંખ્યો. લિબર્ટી સદૈવ આવકારો આપતી મા બની ગઈ દુનિયાભરના નિર્વાસિતો માટે, એક આશાનું કિરણ બની ગઈ તમામ તરછોડાયેલાઓ માટે…

એમા લેઝારસ. ૨૨-૦૭-૧૮૪૯ના રોજ ન્યૂયૉર્કમાં સુગર-રિફાઇનરી ચલાવતા મોઝિઝ અને ઇસ્ટર લેઝારસના ધનાઢ્ય પરિવારમાં સાત બાળકોમાં ચોથા ક્રમે જન્મ. અમેરિકાના ક્રાંતિગાળામાં એમનો યહૂદી પરિવાર પોર્ટુગલથી અમેરિકા આવ્યો હતો. ઘરે જ ખાનગી અધ્યાપકો પાસે અભ્યાસ. પૌરાણિક ક્લાસિકલ અને સમસામયિક સાહિત્યનો ઊંડો અભ્યાસ. નાનપણમાં જ એમણે કાવ્યાનુવાદો કરવા શરૂ કર્યા. ૧૧ વર્ષની વયે પ્રથમ કવિતા. ૧૮ વર્ષની વયે તો પ્રથમ કાવ્યસંગ્રહ પણ પ્રગટ થઈ ગયો. કાચી વયના આ પાકટ સંગ્રહે સિદ્ધહસ્ત કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સન જેવાનું પણ ધ્યાન ખેંચ્યું. નવલકથા અને પદ્યનાટક પણ લખ્યાં. આજીવન કુંવારા રહ્યાં. માત્ર ૩૮ વર્ષની કૂમળી વયે ન્યૂયૉર્કમાં જ ૧૯-૧૧-૧૮૮૭ના એક રોજ મોટાભાગે હોજકિન્ઝ લિમ્ફોમાના કારણે દેહાવસાન.

પ્રથમ સફળ અમેરિકન યહૂદી સાહિત્યકાર. યહૂદી હોવાના નાતે અમેરિકન યહૂદીઓની પીડાને એમણે વાચા પણ આપી. યહૂદીવાદી (ઝાયોનિસ્ટ) ચળવળ શરૂ થઈ એના તેર વર્ષ પહેલાં જ એમાએ યહૂદીઓના હક માટેની લડાઈ શરૂ કરી દીધી હતી. અમેરિકાની પોતાની સ્વ-છબીને આકાર આપવામાં અને અમેરિકા અન્ય દેશોથી આવતા નિર્વાસિતોની જરૂરિયાત શી રીતે સમજે છે એ વૈશ્વિક છબી ઊભી કરવામાં એમાનો ફાળો નાનોસૂનો નહોતો. લાંબા સમય સુધી જો કે ‘ધ ન્યૂ કૉલોસસ’ કવિતાની પ્રસિદ્ધિના ગ્રહણે એમાના જીવન અને સર્જનને અંધારામાં રાખ્યાં. એની પોતાની બહેને ૧૯૨૬માં પ્રગટ થયેલ એમા લેઝારસની સમગ્ર કવિતાઓના સંગ્રહને એમાની યહૂદી વિચારધારા સાથે પોતે અસહમત હોવાના કારણે દબાવી રાખ્યો હતો. કાળાંતરે જો કે આ ગ્રહણ હટ્યું અને લોકો એમાની પ્રતિભાથી પરિચિત થયાં.

૪ જુલાઈ, ૧૭૭૬માં અમેરિકાને આઝાદી મળી. પણ આઝાદી માટેની લડત એ પહેલેથી ચાલુ હતી. ફ્રાન્સના ગુલામી-વિરોધી સમાજના તત્કાલિન પ્રમુખ એડ્વા રેને ડિ લેબુલેએ ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક અગસ્ટે બાર્થોલ્ડી સાથેના ડિનર પછી કહ્યું હતું કે અમેરિકાની આઝાદી માટેનું સ્મારક બંને દેશોની ભાગીદારીમાં બનવું જોઈએ. બાર્થોલ્ડીની બે-ત્રણવારની અમેરિકાયાત્રાના ફળસ્વરૂપ આ સ્મારક માટેનું સ્થાન અને અમેરિકન સરકારની મંજૂરી- બંને મળ્યા. બાર્થોલ્ડીની ડિઝાઈનને એફિલ ટાવરના સર્જક ગુસ્તાવ એફિલે શિલ્પાકાર આપ્યો. અમેરિકામાં બેડલો’ઝ ટાપુ (હાલના લિબર્ટી ટાપુ) પર મૂર્તિ માટે કુંભીનિર્માણ કરવાનું હતું પણ પૈસાની સમસ્યા હતી. ફાળો ઊભો કરવા માટે સંખ્યાબંધ કાર્યક્રમો યોજાયા. એમાને આ હેતુસર લિલામી માટે એક મૌલિક કૃતિ આપવા જણાવાયું પણ શરૂમાં એણે ના કહી. એ પોતે ધનાઢ્ય હોવાથી નિર્વાસિતોની તકલીફોથી માહિતગાર નહોતાં પણ રેફ્યુજીઓની મદદના કાર્યક્રમમાં એમને એ લોકોની પીડાનો અહેસાસ થયો અને છેવટે ૦૨-૧૧-૧૮૮૩ના રોજ આ સૉનેટ લખાયું. પ્રદર્શનીના પ્રવેશદ્વાર પર શોભાયમાન અને નિલામી દરમિયાન વંચાયેલું આ સૉનેટ ૧૮૮૬માં ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના ઉદઘાટન વખતે અને એ પછી સાવ ભૂલાઈ ગયું. એમાની સહેલી જ્યૉર્જિના શૂલરને એક દુકાનમાંથી મળેલી ચોપડીમાં આ સૉનેટ હતું અને એના જ પ્રયત્નોથી મૃત્યુના ૧૭ વર્ષ બાદ ૧૯૦૩માં પ્રતિમાની વિશાળ કુંભી (પેડસ્ટલ)ની અંદરના મ્યુઝિયમમાં આ સૉનેટ મૂકવામાં આવ્યું. આજે પણ ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના મુલાકાતીઓ આ સૉનેટ ત્યાં વાંચી-માણી શકે છે.

આ સૉનેટ આયમ્બિક પેન્ટામીટરમાં લખાયેલું મૂળ ઇટાલિઅન પેટ્રાર્કન શૈલીનું સૉનેટ છે જેની પ્રાસ રચના ABBA ABBA CDCDCD છે. અષ્ટક અને ષટક એમ બે ભાગમાં ચૌદ પંક્તિઓની પારંપારિક વહેંચણી કરવામાં આવી છે. અમેરિકાની મહાનતાની વાત કરવી અને એ પણ ઇટાલીથી નીકળીને ઇંગ્લેન્ડ જનાર પ્રવાસી સૉનેટના સ્વરૂપમાં એ પોતે જ એક વક્રોક્તિ પણ ગણી શકાય. અમેરિકાની મહાનતાની હાંસી ઊડાવવા માટે ઘણા અમેરિકી કવિઓએ સૉનેટનો સહારો લઈને ગુલામીપ્રથા અને રંગભેદનીતિ પર કટાક્ષ કર્યા છે. ઇટાલિયન સૉનેટસ્વરૂપનો પ્રયોગ પણ આ દિશામાં સૂચક ગણી શકાય. ગુજરાતી અનુવાદ હરિગીત છંદમાં છે પણ ભાષા અને ભાવની સંકીર્ણતાના કારણે પ્રાસરચના નિભાવાઈ નથી. રચનાનું શીર્ષક ‘ધ ન્યૂ કોલોસસ’ અને પ્રથમ બે પંક્તિ ગ્રીક ઇતિહાસ સાથે આપણું અનુસંધાન કરે છે. ઈ.પૂ. ૨૮૦માં કેરીઝ ઑફ લિન્ડોસે (Chares of Lindos) ગ્રીક સૂર્યદેવતા હેલિઓઝની લગભગ ૧૦૮ ફૂટ ઊંચી કાંસાની પ્રતિમા ગ્રીસના રહોડ્સ ટાપુ પર બનાવી હતી. આ પ્રતિમા ‘કોલોસસ ઑફ રહોડ્સ’ તરીકે જાણીતી થઈ. સાયપ્રસ ઉપરના રહોડ્સના વિજયની ઉજવણી નિમિત્તે એનું નિર્માણ થયું હતું. પ્રાચીન વિશ્વની સાત અજાયબીઓમાંની એ એક હતી. એ જમાનાની એ સૌથી મોટી પ્રતિમા હતી પણ થોડા જ વર્ષોમાં ઈ.પૂ. ૨૨૬માં ધરતીકંપના કારણે એ નાશ પામી. કુંભીને બાદ કરીએ તો ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’ની કુલ ઊંચાઈ પણ આટલી જ છે.

હેલિઓઝની પ્રતિમા બંદરના મુખ પર બન્ને કાંઠે એક-એક પગ મૂકેલી હતી એવી એક માન્યતા છે. ‘જુલિયસ સિઝર’માં શેક્સપિઅર આ જ માન્યતાની તુષ્ટિ કરતાં કહે છે, ‘શા માટે સિઝર આ સાંકડી દુનિયા પર રાક્ષસની જેમ પગ પલાણીને ઊભો છે અને આપણે ક્ષુદ્ર લોકોએ એના વિશાળ પગોની નીચે થઈને ચાલવાનું?’ (અંક ૧, દૃશ્ય ૨) ‘હેનરી ૪’માં પણ શેક્સપિઅર આ ઉલ્લેખ કરે છે: ‘ફોલસ્ટાફ: તું મને યુદ્ધમાં પડેલો જુએ અને આ રીતે મારા પર ઊભો રહી જશે, તો એ મિત્રતાની નિશાની છે. પ્રિન્સ હેનરી: બીજું કોઈ નહીં પણ એક રાક્ષસ (કોલોસસ) જ તારી સાથે આવી દોસ્તી કરી શકે.’ (અંક ૫, દૃશ્ય ૧) દરિયાઈ ખાડીના બે કાંઠા પર પગ મૂકેલ હેલિઓઝની પ્રતિમાની કલ્પના જ પ્રસ્તુત સૉનેટમાં પણ નજરે ચડે છે. એમા કહે છે, ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’ એક કાંઠેથી બીજા કાંઠે વિજયી પગ મૂકીને ઊભેલા ગ્રીક પૌરાણિક કથાના રાક્ષસની જેમ નથી ઊભું રહ્યું. એ આ મહાકાય પ્રતિમા માટે Brazen giant શબ્દપ્રયોગ કરે છે. ‘બ્રેઝન’ એટલે ઉદ્ધત કે નિર્લજ્જ પણ થાય અને પિત્તળનું પણ થાય. એમા એક જ શબ્દમાં મૂર્તિદેવતાની તાસીર અને મૂર્તિની બનાવટ –બંને તરફ ધ્યાન દોરે છે. આ ભાષાની ખૂબી છે પણ કવિનો ચમત્કાર છે જે આ ખૂબી ક્યાં અને શી રીતે પ્રયોજવી એ જાણે છે. ગુજરાતી અનુવાદમાં આ માટે ‘પિત્તળ’ શબ્દ પ્રયોજાયો છે. ‘પિત્તળ’ પણ પ્રકૃતિ અને ધાતુ, અને એ રીતે મૂર્તિદેવતાની તાસીર અને મૂર્તિની બનાવટ -બંને અર્થ સમાવિષ્ટ કરી લે છે.

એમા કહે છે કે અમેરિકાના પશ્ચિમી દરવાજે, જેને સાગર સતત પખાળે છે, એક શક્તિશાળી સ્ત્રી ઊભી છે. આ સ્ત્રી ગ્રીસમાં અઢી હજાર વર્ષ પહેલાંના હેલિઓઝના વિજયી હુંકાર કરતા નિર્લજ્જ પૂતળાની જેમ નથી ઊભી જેના બે પગ વચ્ચે થઈને હીણપત અનુભવ્યા વિના જહાજો બંદરમાં પ્રવેશી નહોતા શકતા. આ સ્ત્રી હાથમાં એક મશાલ લઈને ઊભી છે, જેમાં જ્યોતિસ્વરૂપે વીજળી કેદ છે. આજની પેઢીને વીજળીના કેદ હોવાનું પ્રતીક હાસ્યાસ્પદ લાગે પણ ઓગણીસમી સદીના અંત ભાગમાં મશાલનો દીવો વીજળીથી પેટે એ હજી કૌતુકની વાત હતી. એમા આ સ્ત્રીને ‘નિર્વાસિતોની મા’નું નામ આપે છે. સંસ્કૃતિ કે સમય કોઈ પણ હોય, માનો દરજ્જો હંમેશા સર્વશ્રેષ્ઠ જ હતો, છે ને રહેશે. આ એક જ શબ્દપ્રયોગના કારણે એમા લેઝારસ અમેરિકી ઇતિહાસમાં અજરામર થઈ ગયાં. ત્રીસ માળ ઊંચી આ માતાના હાથમાંની મશાલ દીવાદાંડીની જેમ પથ પ્રદર્શિત કરે છે અને વિશ્વવ્યાપી આવકાર આપે છે. એની આંખો નમ્ર છે, પણ એ માની આંખ છે એટલે પોતાના સંતાનના ભલા માટે માટે ન્યૂયૉર્કના બારાંને હુકમ કરતાં અચકાતી નથી. ન્યૂયૉર્કનું બારું ન્યૂયૉર્ક સિટી અને બ્રુકલિન –એમ બે શહેરોની વચ્ચે આવ્યું છે, જે બે જોડિયાં શહેરો જેમને જોડવા હવા સિવાય કોઈ પુલ નહોતો એ આ કવિતા લખાઈ એના પંદર વર્ષ બાદ એક થયાં.

ન્યૂયૉર્ક બંદર ઓગણીસમી સદી અને પ્રારંભિક વીસમી સદી સુધી જળમાર્ગે વેપાર અને લોકોના આવાગમન માટેનું ધીકતું ધોરી બંદર હતું. આ સમય મધ્ય-પૂર્વના દેશોમાં તથા યુરોપિયન દેશોમાં યુદ્ધનો પણ સમય હતો. યુદ્ધનો ભોગ બનનારાઓ પાસે હિજરત કરવા સિવાય કોઈ આરો નહોતો. તબાહી, પીડા અને અભાવોથી બચવા આ સમયે લગભગ સવા કરોડ નિર્વાસિતો લિબર્ટીની પ્રતિમા પાસેના એલિઝ ટાપુ પર થઈને અમેરિકામાં આવ્યા. કદાચ અમેરિકાની આજની ચાળીસ ટકા વસ્તીના પૂર્વજો આ જ ‘મનહૂસ કચરો’ (Wretched refuse) હતા. લિબર્ટીમાતા હુકમ કરે છે આ જોડિયા શહેરો, આ બંદરને કે, ‘હે પુરાતન નગરો! તમારી ભવ્ય ગાથાઓ તમારી પાસે જ રાખો.’ (સ્ટેચ્યુ ઑફ લિબર્ટીની અંદર જે કવિતા મૂકાઈ છે એમાં ‘રાખો’ પછીનું અલ્પવિરામ મૂકવાનું વિસરાઈ ગયું છે પરિણામે વાક્યનો અર્થ થોડો બદલાઈ જાય છે એ અલગ વાત છે.) એ દુનિયા પાસેથી ગરીબો, હાર્યા-થાક્યા માણસો, મુક્તિનો શ્વાસ ઝંખતી અનિયંત્રિત ભીડ અને દુનિયાના કાંઠાઓ જેનાથી છલકાઈ રહ્યા છે એ મનહૂસ કચરો માંગે છે. જે લોકો ઘરબારવિહોણા થઈ ગયા છે, જે લોકો તોફાનો-આપત્તિઓના માર્યા છે એ બધાયને નિર્વાસિતોની મા આવકારી રહી છે. કહે છે, તમારા સોનેરી ભવિષ્યના બારણાંઓની બાજુમાં હું દીવાનો પ્રકાશ પાથરતી ઊભી છું… આવો, મારી પાસે આવો અને તમારા સોનેરી ભવિષ્યના દ્વાર ઊઘાડો.

એમાનું આ સૉનેટ ઈસુના એ વચન, ‘તંદુરસ્તને તબીબની જરૂર નથી, બિમારને છે. હું સાચાઓ માટે નહીં, પણ પાપીઓ માટે આવ્યો છું’ની યાદ અપાવે છે. પ્રભુપુત્ર મુક્તિદાતા ઈસુએ જે રીતે ગરીબ-ગુરબાંને પ્રેમ કર્યો હતો એ જ પ્રેમની યાદ ‘ધ ન્યૂ કોલોસસ’ની ‘નિર્વાસિતોની મા’ અપાવે છે. માતાના દીવાના પ્રકાશમાં ઝળહળતા સુવર્ણ દ્વારોમાં થઈને દુનિયાના કાંઠાઓ પર ખદબદતા આ ‘મનહૂસ કચરા’ને ન માત્ર સારી જિંદગી મળવાની આશા છે, પણ ઈશ્વરના સંતાન હોવાના નાતે તેઓ એક સંપૂર્ણ જીવન પ્રાપ્ત કરશે એવી આશાનો જે સૂર આ કવિતામાંથી સંભળાય છે એ અભૂતપૂર્વ છે. સૉનેટની પંક્તિઓ કહેવતકક્ષાએ પહોંચી ગઈ છે અને વધુને વધુ લોકો વધુને વધુ વાર આ પંક્તિઓ ટાંકતા આવ્યા છે. આજે જ્યારે એકતરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા આવવા ઇચ્છતા પરદેશીઓ માટેના વિઝાના કાયદાઓ વધુને વધુ કડક બનાવી રહ્યા છે, અને બીજી તરફ અમેરિકામાં વર્ષોથી સ્થાયી નિર્વાસિતોના નિષ્કાસિત થવાનો ડર તલવારની માફક માથે તોળી રહ્યા છે ત્યારે ‘વિશ્વવ્યાપી આવકાર’ની વાત કરતી એમા લેઝારસની આ કવિતા અને એમાંની ‘નિર્વાસિતોની મા’ વધુને વધુ પ્રસંગોચિત અને અર્થપૂર્ણ બની ગયાં છે.

ગ્લૉબલ કવિતા: ૫૦ : સૉનેટ ૧૮-વિલિયમ શેક્સપિઅર

ગ્લૉબલ કવિતાની આજે ગોલ્ડન જ્યુબિલી – પચાસમી કવિતા…

Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:
Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;
But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:
So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare

સૉનેટ ૧૮

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
ઉનાળુ ફૂલો ને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતા,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત હશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
ન ખોંખારે મૃત્યુ: અવગત જઈ તું ફરી રહે
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)

જીવન નાશવંત છે, કળા અમર છે..

ઋતુ ક્ષણિક છે, ઋતુના રૂપ ક્ષણભંગુર છે; સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ
અ-ક્ષર અવિનાશી છે. કળા સમયાતીત છે અને શબ્દમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની રહે છે. હિપોક્રેટ્સ યાદ આવે: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). શેક્સપિઅર પણ આવી જ કંઈ વાત પ્રસ્તુત સૉનેટમાં લઈ આવ્યા છે.

વિલિયમ શેક્સપિઅર. ભલે એ એમ કહી ગયા કે What is there in name?, પણ સાહિત્યમાં જરાય રસ ન હોય છતાં એના નામથી અજાણ્યો કોઈ શિક્ષિત ભાગ્યે જ જોવા મળશે. નિર્વિવાદિતપણે અંગ્રેજી સાહિત્યજગતના બિનહરીફ શહેનશાહ. સર્વકાલીન સર્વશ્રેષ્ઠ અંગ્રેજી સાહિત્યકાર. મોટાભાગે ૨૩-૦૪-૧૫૬૪ના રોજ સ્ટ્રેટફર્ડ-એટ—એવોન ખાતે ચામડાના વેપારી જોન અને મેરી આર્ડનને ત્યાં જન્મ. બાળપણ અને અભ્યાસ અંગે પણ ભાગ્યે જ કોઈ માહિતી છે. ૧૮ની ઊંમરે પોતાથી સાત-આઠ વર્ષ મોટી એન હથવે સાથે લગ્ન. બે સંતાન. એમની સમલૈંગિકતા પણ બહુચર્ચિત છે. જેમના નાટ્કો અને કવિતાઓ ચાર-ચાર સૈકાથી વિશ્વભરના માનવમન પર એકહથ્થુ રાજ કરી રહ્યાં છે એમનું મોટાભાગનું જીવન હજીય એક રહસ્ય જ બની રહ્યું છે. શેક્સપિઅરના જીવનનો ૧૫૮૫થી લઈને ૧૫૯૨ સુધીનો ગાળો –‘લોસ્ટ પિરિયડ’- પણ લગભગ અજાણ્યો છે. આ વર્ષોમાં એ ક્યાં હતા, શું કરતા હતા એની વિશે ભાગ્યે જ કોઈ અધિકૃત માહિતી આજે ઉપલબ્ધ છે. કહે છે કે આ સમયગાળામાં એ કળાકાર થવા માટે લંડન પહોંચ્યા હશે. લંડનના નાટ્યગૃહો ૧૫૯૨થી ૧૫૯૪ દરમિયાન પ્લેગના કારણે બંધ રહ્યાં હતાં. ૧૫૯૪માં લોર્ડ ચેમ્બર્લિનની નાટ્યસંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ ‘ધ ગ્લૉબ’ સાથે જોડાયા જે પ્રવર્તમાન સમયની સૌથી વધુ લોકપ્રિય નાટ્યસંસ્થા બની રહી અને શેક્સપિઅર બે પાંદડે થયા, પોતાનું ઘર ખરીદ્યું. ૨૩-૦૪-૧૬૧૬ના રોજ નિધન.

દુનિયાની તમામ જીવિત ભાષાઓમાં એમના સાહિત્યનો અનુવાદ થયો છે. એમના સમકાલીન બેન જોન્સને કહ્યું હતું કે આ માણસ કોઈ એક યુગનો નથી, પણ સર્વકાલીન છે. શેક્સપિઅરના ૧૫૪ સૉનેટ વિશ્વસાહિત્યનું મહામૂલું ઘરેણું છે. પહેલાં ૧૨૬ સૉનેટ ઉંમરમાં નાના પણ સામાજિક સ્તરે ચડિયાતા મિત્ર કે પ્રેમીપુરુષને સંબોધીને લખાયાં છે. એ પછીના સૉનેટ એકાધિક સંબંધ રાખનાર શ્યામસુંદરીને સંબોધીને લખાયાં છે. શેક્સપિઅરની જિંદગી બહુધા એક અણજાણ કોયડો બનીને રહી ગઈ હોવાથી અને એના બધા સૉનેટ નાટ્યાત્મક આત્મકથનાત્મક શૈલીમાં લખાયા હોવાથી આ સૉનેટ એમની જિંદગીની કથા કહે છે એમ માનવાની લાલચ થાય પણ સત્ય શું છે એ આપણે જાણતા નથી. આ સૉનેટોમાં સજાતીય અને વિજાતીય સંબંધો, પ્રેમ-બેવફાઈ બધું જ ઊઘડીને આમે આવે છે. વિવેચક જોન બેરીમેને કહ્યું હતું: ‘જ્યારે શેકસપિઅરે લખ્યું કે મારે બે પ્રેમી છે, વાચક, એ મજાક નહોતો કરતો.’ મહદાંશે આ સૉનેટ એકતરફ સમય સાથેના અનિવાર્ય ક્ષય અને બીજીતરફ પ્રેમ, સૌંદર્ય અને ખાસ તો કળાની શાશ્વતતાને સામસામે મૂકે છે. શેક્સપિઅરે લેટિન, ફ્રેંચ, ગ્રીક જેવી ભાષાના શબ્દો અને શબ્દોના મૂળને હાથ ઝાલીને હજારો નવા શબ્દો અને શબ્દપ્રયોગો અંગ્રેજી ભાષાને ભેટ આપ્યા છે, જે સર્વસ્વીકૃતિ પામ્યા છે. કોઈપણ કવિનો કોઈ ભાષા પર આવો વિરાટ અને એકલહથ્થો પ્રભાવ न भूतो, न भविष्यति છે. લગભગ ૩૭ જેટલા નાટકો એમના નામે બોલાય છે જેમાંના એકાદ-બેને બાદ કરતાં એકપણ નાટક મૌલિક નથી. મોટાભાગના નાટક જાણીતી-અજાણીતી વાર્તાઓ-ઘટનાઓના સંમિશ્રણથી રચેલા છે પણ કથાગૂંફનની નવીનતા, અભૂતપૂર્વ શબ્દસામર્થ્ય, ભાષા પરની અનનય હથોટી, માનવમનના અંતરતમ સંવેદનોને તાદૃશ કરવાની કળા, નાનાવિધ લોકબોલીઓનો ઊંડો અભ્યાસ- આ બધાથી રસાઈ રસાઈને બનેલા આ નાટક વિશ્વસમગ્રમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે અને લખાયા ત્યારથી આજદિનપર્યંત દુનિયામાં કોઈનીય સરખામણીમાં સૌથી વધારે વાર મંચિત થયા હશે. એક સર્જક તરીકે એમનો પ્રભાવ પણ અનન્ય, સર્વકાલીન અને સર્વવ્યાપી રહ્યો છે.

શેક્સપિઅરના સૉનેટવિશ્વમાં પગ મૂકતાં પહેલાં એમની શૈલી ન સમજીએ તો એમને પૂર્ણતઃ પામી જ ન શકાય. સૉનેટનો જન્મ ઇટાલીની ધરતી પર થયો પણ ઇંગ્લેન્ડમાં એને લઈ આવવાનું શ્રેય સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ અર્લ ઑફ સરેના ફાળે જાય છે. ઇટાલિયન સૉનેટ પેટ્રાર્કન સૉનેટ તરીકે પણ ઓળખાય છે જેમાં અષ્ઠક-ષટકની પંક્તિવ્યવસ્થા અને ABBA ABBA / CDE CDE (અથવા CDCDCD) પ્રાસવ્યવસ્થા રહેતી જે અંગ્રેજી ભાષાને સાનુકૂળ નહોતી. વાયટ સૉનેટ લઈ આવ્યા તો અર્લ ઑફ સરે ત્રણ ચતુષ્ક- યુગ્મની પંક્તિવ્યવસ્થા તથા ABAB CDCD EFEF GG મુજબની પ્રાસવ્યવસ્થા લઈ આવ્યા જે પ્રાસ-નબળી અંગ્રેજી ભાષાના ગળે શીરાની જેમ ઊતરી ગયાં. શેક્સપિઅરે આ અંગ્રેજી કાવ્યપ્રકારમાં હથોટી મેળવીને એવું ઊંડુ ખેડાણ કર્યું કે અંગ્રેજી સૉનેટ શેક્સપિરિઅન સૉનેટ તરીકે ઓળખાયું. (મિલ્ટનશાઈ અને સ્પેન્સરિઅન સૉનેટ પણ સૉનેટના અન્ય જાણીતા પ્રકાર છે)

ચૌદ પંક્તિના આ કાવ્યમાં શેક્સપિઅર ત્રણેય ચતુષ્ક અને અંતિમ યુગ્મને એકમેકથી અલગ કરવાના બદલે બધાને એક જ સૂત્રે બાંધીને પ્રવાહિતા લાવ્યા. ત્રણેય ચતુષ્ક અને યુગ્મ ભાવજગતની દૃષ્ટિએ અલગ તારવી શકાય એ ખરું; ભાવપલટો અને અંતિમ બે પંક્તિઓમાં ચોટ અને નિષ્કર્ષ પણ અદભુત રીતે આવે એ છતાંય સળંગસૂત્રિતા એ શેક્સપિઅરના સૉનેટનું મુખ્ય પાસુ છે. ૧૪૫ (આયંબિક ટેટ્રામીટર)મા સોનેટને બાદ કરતાં બધા સૉનેટ આયંબિક પેન્ટામીટરમાં લખાયા છે. શેક્સપિઅરના મોટાભાગના સૉનેટમાં કોઈએક શબ્દ પુનરાવર્તિત થતો નજરે ચડે છે. બહુધા ત્રણેય ચતુષ્ક અને યુગ્મમાં એક-એકવાર અર્થાત્ કુલ્લે ચારવાર તો ખરો જ. આ સૉનેટમાં summer અને fair શબ્દ ત્રણવાર તો eternal બેવાર પ્રયોજાયા છે. હેલન વેન્ડલરના અવલોકન મુજબ બીજું એક નોંધપાત્ર પાસું couplet-tie છે, જેમાં આખરી યુગ્મનો કોઈક મહત્ત્વનો શબ્દ સૉનેટના કોઈક શબ્દ સાથે અનુસંધાયેલ હોય છે, જેમકે પ્રસ્તુત સૉનેટમાં યુગ્મકનો eye પ્રથમ પંક્તિના ‘I’ તથા પાંચમી પંક્તિના eye સાથે તાલ મિલાવે છે. આમ કરીને એ સૉનેટના મુખ્ય શરીર અને યુગ્મકને જોડે છે. ક્યારેક એ વિરોધાભાસી શબ્દોને અડખપડખે મૂકીને વાતનું મહત્ત્વ પરાકાષ્ઠાએ લઈ જાય છે. પ્રસ્તુત સૉનેટમાં eternal summer આવો જ એક પ્રયોગ છે. ઉનાળો એક ઋતુ છે અને એ નાતે એનું નિશ્ચિત આયુષ્ય છે. શેકસપિઅર તારો રમણીય ઉનાળો એમ શબ્દપ્રયોગ કરી શક્ય હોત પણ એ મર્ત્ય અને અમર્ત્યને એક તાંતણે બાંધી દઈને પોતાનો કક્કો ખરો કરે છે. જેન કોટ કહે છે, શેક્સપિઅરનું યુગ્મક અનિવાર્યપણે નાયક પોતાને જ સીધું ઉદ્દેશીને બોલતો હોય એ પ્રકારના નાટ્યાત્મક સંવાદથી જ બનેલું હોય છે.

પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) તરીકે ઓળખાય છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. એમ કહી શકાય કે આ અઢારમું સૉનેટ આ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે જ જે અહીં જોવા મળે છે અને ૧૯મા સૉનેટમાં પણ સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે. કદાચ સૉનેટ લખતાં-લખતાં ૧૮મા સૉનેટ સુધી કવિ આવ્યા હશે ત્યાં સુધીમાં એમને પોતાને પોતાની સર્ગશક્તિ અને શાશ્વતીનો અંદાજ આવી ચૂક્યો હશે, જે આત્મવિશ્વાસ આ પછીના સૉનેટ્સમાં બળવત્તર થયેલો જોઈ શકાય છે.

કાવ્યારંભ કવિ પ્રિયપાત્રને પ્રશ્ન પૂછીને કરે છે. કહે છે, ઉનાળાના દિવસ સાથે તને સરખાવું? ઇંગ્લેન્ડમાં રહ્યા હોય એ જ ઉનાળાના દિવસનું સૌંદર્ય અને મહત્ત્વ સમજી શકે. ‘હૉમ થોટ્સ, ફ્રોમ અબ્રોડ’માં રૉબર્ટ બ્રાઉનિંગ પણ ઇંગ્લેન્ડના ઉનાળાને યાદ કરીને નૉસ્ટેલજિક થાય છે. ૧૭૫૨ સુધી ઇંગ્લેન્ડમાં આજે વપરાતા ગ્રેગોરિઅન કેલેન્ડરના સ્થાને જૂનું જુલિયન કેલેન્ડર વપરાતું, એટલે મે મહિનો પ્રારંભિક ઉનાળાનો સમય હતો. ‘મે ડે’ ઉત્સવનો, પ્રણયફાગનો દિવસ ગણાતો. જોકે કવિ તરત જ જાહેર કરે છે કે ઉનાળા જેવી જાજરમાન માનવંતી ઋતુના દિવસ કરતાં પણ પ્રિયપાત્ર વધુ પ્રિય પણ છે અને વધુ ઉષ્માસભર પણ છે. ઉનાળો ગમે એટલો આનંદપ્રદ કેમ ન હોય, નાજુક ફૂલોને નઠોર પવનોનો ડર રહે જ છે, વળી ઉનાળો પોતે પણ કેટલા દિવસ ટકવાનો? ઉનાળામાં સૂર્ય ક્યારેક અસહ્ય બની જાય એટલો તપે છે તો ક્યારેક સૂર્યની સુવર્ણ કાંતિ વાદળોનું ગ્રહણ લાગી જતા ઝાંખી પણ થઈ જાય છે. ભલભલા રૂપસ્વીઓના રૂપ સમયની સાથે ઓઝપાઈ જાય છે, ક્યારેક આકસ્મિકપણે જ તો ક્યારેક કુદરતના અનિવાર્ય કાળચક્રની અડફેટે ચડીને. કુદરત સતત પરિવર્તનશીલ છે અને સૃષ્ટિમાં કશું જ સ્થાયી નથી એ તરફ ઈશારો કરીને કવિ સમસ્ત પ્રકૃતિની ક્ષણભંગુરતા તરફનો પોતાનો અણગમો પ્રદર્શિત કરે છે. કવિની ગતિ પણ સ્વથી સર્વ પ્રતિની છે- એક દિવસથી કદી-ક્યારેક તરફ અને એક સૂર્યથી અનેક સૂર્ય-તમામ રૂપાળાઓ તરફની છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની વાત પ્રથમ બે ચતુષ્કમાં સમાવી કવિ સૉનેટમાં અનિવાર્ય એવો વળાંક (વૉલ્ટા) લે છે.

પણ કવિને ખાતરી છે કે એના ઉનાળાથીય વધુ ઉષ્માસભર અને અધિકતર પ્યારા પ્રિયપાત્રનો સવર્ણકાળ –ઉનાળો કદી વીતનાર નથી, એ શાશ્વત છે અને એનું રૂપ સમયના વાદળ કદી ઝાંખું નહીં પાડી શકશે. મૃત્યુ પણ ખોંખારો ખાઈને એવી શેખી નહીં જ મારી શકે કે લે જો, આ તારું પ્રિયજન પ્રેતાત્મા થઈને ભટકી રહ્યું છે, કેમકે પ્રિયપાત્ર તો કવિના કવનમાં અજરામર થઈ ચૂક્યું છે. ‘સામ્ઝ’ (Psalms) (૨૩.૩)માં Shadow of death (મૃત્યુના ઓળા)નો ઉલ્લેખ છે. બાઇબલમાં ‘મૃત્યુ! તારો ડંખ ક્યાં છે?’ કહીને મૃત્યુને જીવન પર વિજયની શેખી મારતું દર્શાવાયું છે. વર્જિલ (ઇ.પૂ. ૭૦-૧૯)ના ‘ઇનીઇડ’ (Aeneid)માં ઇનીઆસને મૃત્યુ પછી પાતાળમાં- પ્રેતલોકમાં જતો બતાવ્યો છે એ વાતથી પણ શેક્સપિઅર વાકેફ હોઈ શકે છે.

અંતે શેક્સપિઅર એમની સૉનેટશૈલી મુજબ અંતિમ બે પંક્તિમાં આખી કવિતાનો સાર નિચોવી આપે છે. કવિ વાસ્તવદર્શી છે. એ ‘यावत्चंद्रौदिवाकरौ’ની વાત નથી કરતા, એ મનુષ્યજાતના અસ્તિત્વ સુધીની જ ખાતરી આપે છે કેમકે મનુષ્યના નાશ સાથે જ કળા પણ અર્થશેષ બની રહે છે. કહે છે, જ્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યો જીવતા હશે અથવા આંખ જોઈ શકતી હશે ત્યાં સુધી આ કવિતા જીવશે અને આ કવિતા તને સમયાતીત જીવન આપતી રહેશે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?

કાવ્યાસ્વાદ ૬ : ભણકારા – બલવંતરાય ઠાકોર

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે,
ઊચાંનીચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.

માથે જાણે નિજ નરિ જુવે કાન્તિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલ મહિં બંધાઈ સૌન્દર્યઘેલો
ડોલે લોટે અલિ મૃદુ-પદે,વાય આ વાયુ તેવો ,

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલૂં જરિ લય,નવે બીનના તાર મંદ,
તેમાં આ શી-રજનિઉરથી, નર્મદા વ્હેનમાંથી,
સ્વર્ગગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,

પુષ્પે પાને વિમલ હિમમોતી સરે,તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શી સેહની !

(જોડણી બ.ક. ઠાકોરની)

કાવ્યાસ્વાદ ૫ : વાતો – પ્રહલાદ પારેખ

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

હજુ ધીમે ધીમે, પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાને પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે:
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.

હજુ ધીમે ! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઈને; તેને શ્રવણ કદી જો વાત પડશે ,
સુવાસે તો કે’શે સકલ કથની એ અનિલને;
અને આ તીરેથી અવર તટ વાયુ લઇ જશે.

અને કૈં તારા, જો, નભથી છુટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊંભું છે આજે, જો જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શબ્દે પ્રણયરસ તે સર્વ ઝીલવા,

પછી તો ના વાતો : પ્રિયઅધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હ્રદયમાંહી શમી જતો

– પ્રહલાદ પારેખ

ઉલ્લાસ કરીએ – નટવર ગાંધી

આજે ઑક્ટોબર ૪, કવિ શ્રી નટવર ગાંધીનો જન્મદિવસ..! એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે પ્રસ્તુત છે એમનું આ મઝાનું સોનેટ…..

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
વસે છે, જીવે છે, જન ગતિ, મતિ ભિન્ન રીતિના,
સુખીદુઃખી, ઘેલા, સમજુ, સલૂણા, કૈંક નગુણા,
બધાને નિભાવી, સમજી સહુ, સહવાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
નકે એવું કે’તો બધું જ બધું છે સારું સરખું,
વળી જાણુ છું કે વિષમ ઘણું ને વિષ પૂરતું,
પરંતુ જ્યાં ઘેરું તમસ, ત્યહીં ઉજાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
પશુ, પંખી, પુષ્પો, તરુ,પરણ, ને અદ્રિ ઝરણાં,
રસે, ગંધે, સ્પર્શે, શ્રવણ, મતિ ને ર્દષ્ટિ ધરીને,
બધું જાણી માણી, જીવનવન સુવાસ કરીએ.

અહીં આજુબાજુ જગત વસતું ત્યાં જ વસીએ,
હવે ઝાઝા છે ના દિવસ, સખી, ઉલ્લાસકરીએ.

– નટવર ગાંધી

ભણકારા – બલવંતરાય ઠાકોર

આઘે ઊભાં તટધૂમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાનીચાં સ્તનધડક-શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મારી.

માથે જાણે નિજ નરી જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચોંકી જાગે, કુસુમવસને તેથી જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલ મહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લોટે અલિ મૃદુ પદે, વાય આ વાયુ તેવો.

ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે આંદોલું જરી લય નવે બીનના તાર મંદ,
તેમાં આ શી – રજનીઉરથી, નર્મદાવ્હેણમાંથી,
સ્વર્ગગાની રજતરજ, કે વાદળી ફેનમાંથી,
– પુષ્પે પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નીતરી નીંગળે અંતરે શીય, સેહની!

– બલવંતરાય ઠાકોર

કવિનો શબ્દ – ચિનુ મોદી

મને તું બાંધે છે જડ જગતના નિત્ય નિયમે?
મને? મારો આપું પરિચય તને? હું પવન છું;
વહું છું સ્વેચ્છાએ અલસ અથવા તીવ્ર ગતિથી
પછાડું વર્ષોનાં ખખડધજ વૃક્ષો પલકમાં
અને એનો એ હું કુસુમરજ વ્હેચું વન વિશે.

તને આપું મારો પરિચય હજી? હું સમય છું,
ક્ષણોનો સ્વામી છું, સતત સરકું છું અખિલ આ
રચેલા બ્રહ્માંડે; સઘન બનતું શૂન્ય જગનું
ઉલેચું એથી તો પ્રલયકર વિસ્ફોટ અટકે.

હજી તારી આંખે કુતૂહલ વસે? તો સમજ કે
ધરા ને આકાશે, ગહનતમ પાતાળતળમાં
વહી છાનો છાનો ધ્વનિત બળતો હું લય; સખી.

છટાથી આ વાયુ-સમય-લયને એક કરતો
ત્રિકાલે બ્રહ્માંડે, મુખરિત થતો શબ્દ કવિનો.

– ચિનુ મોદી

છેલ્લું દર્શન – રામનારાયણ પાઠક

કવિ શ્રી રામનારાયણ પાઠકના જન્મદિવસે એમને શ્રધ્ધાંજલી. એમના નામની સાથે જ મને એમની આ અમર રચના – પરથમ પરણામ મારા…. જરૂર યાદ આવી જ જાય.

*************

ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો, –
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા, –
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થિંયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?

-’શેષ’ રામનારાયણ પાઠક

( આભાર – પ્રભાતના પુષ્પો)

પહેલી હેલી પછી – ઉશનસ્

પ્હેલા મેઘે અજળ ઉજડેલી સીમે રંગ લીધો !
ભીંજાયેલી ધરતી ઊઘડી શી ભીને વાન રમ્ય !
ધોવાઈને નીલમ સરખા જાંબલી ડુંગરાઓ !
વ્હેવા માંડ્યા ઘવલફીણના ફૂલગુચ્છે ઝરાઓ !

બીડે ઝીણું મખમલ ફૂટ્યું કો રહસ્યે અગમ્ય !
જેવી હેલી શમી, કંઈક ખેંચાઈ જ્યાં મેઘજાળ
ત્યાં ડોકાતો ગગનપરીનો શો બિલોરી મહાલ !
આભા ભીની ચકરઈ રહી પૃથ્વી યે સ્નિગ્ધઘેરી

જેમા પ્હેલાં સલિલ પુરકાસારનાં યે સુનેરી !
પ્હેલી હેલી પછીથી ઊઘડે પંકમાં યે પ્રસાદ
થોડું નીલું ગગન ખૂલતાં રંગ લેતો વિષાદ :
વાછંડોની-નયનજલશી-વ્યોમ વ્યાપી ભીનાશો
ધીમેધીમે પ્રગટતું ધનુ ઇન્દ્રનું અદ્રિશૃંગે,
સાતે વર્ણે વિકસતી ન શું વ્યોમમાં કોઈ યાદ.

– ઉશનસ્