Category Archives: અછાંદસ

કવિતા – વિવેક મનહર ટેલર

આજે વિવેકની એક કવિતા – એના જ બ્લોગ પરથી – એણે જ મુકેલા ફોટા સાથે… In short – Copy & Paste 🙂

P1011353
(કોરતું ને કોરાતું એકાંત….                        …..જુલાઈ, ૨૦૦૮)

*

તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.

કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!

-વિવેક મનહર ટેલર
(૧૮-૦૮-૨૦૦૮)

પ્રતિક્ષા – પ્રીતિ સેનગુપ્તા

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું
મારા બોલાવ્યાથી જ
પંખી આવી નથી જતું.
એ આવે છે એની જ મરજીથી

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું?
મન થશે ત્યારે જ
ફરફરતુ
પતંગિયુ આવશે.

રસ્તામાં ખાબોચિયામાં
છબછબિયા કરવાનું મન નથી થતુ હવે.
ભેજની શેવાળથી છવાયેલા કાચ પર
નામ લખી દેવાનુમ તોફાન નથી સૂઝતું હવે

અવરજવર તો રહી
ને ધૂળિયાં પગલાંયે ઘણા પડ્યા
પણ કોઇનાયે પદક્ષેપથી
શલ્યાનો ઉધ્ધાર નથી થયો હજી.

જાણ છું
જે પંખી ના આવે તેને માટે
ચણ નાખીને બેસી રહેવું,
જે પતંગિયુ ભમ્યા કરે તેના માટે
ફૂલોએ સાજ સજવા
જેનો સ્પર્શ થવાનો નથી
એ સુવર્ણમણિની આશામાં તપોમગન રહેવું
તે તો છે
અપાત્રને કરેલું પ્રેમનું દાન…

કવિતા ન કરવા વિશે કવિતા – જયંત પાઠક

લયસ્તરો.કોમ ને પાંચમી વર્ષગાંઠ પર આપણા બધા તરફથી ખૂબ ખૂબ.. ખોબલો ખોબલે… આકાશ ભરી પ્રિતે.. હ્રદયપૂર્વક શુભેચ્છાઓ અને અભિનંદન.. અને હા, લયસ્તરો પર birthday special – યાદગાર ગીતો શ્રેણી માણવાનું ભૂલશો નહીં.

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?

ના, ના, એવું એવું તો ના થાય –
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
– એટલે કે કશું થાય જ નહીં !

– જયંત પાઠક

કવિતા કરવા વિશે તો ઘણી કવિતાઓ રચાઈ છે પણ કવિતા ન કરવા વિશે તો આ એક કવિતા જોવામાં આવી છે ! કવિએ કવિતા ન હોય તો શું થાય એના વર્ણનમાં બહુ નાજુક રૂપકો વાપર્યા છે. (જલપરીના પવનવસ્ત્રોથી વધારે નાજુક શું હોઈ શકે ?!!) પણ કવિની ખરી ખૂબી તો અંતની ચોટમાં દેખાય છે. કવિતા વિના એક રીતે તો કશું જ થાય એ કેટલી સરસ રીતે – વિચારતા કરી મૂકે એવી રીતે – આવે છે એ કવિની સિદ્ધહસ્તતાની સાબિતી છે. – ધવલ શાહ
(આભાર : લયસ્તરો.કોમ)

સંવેદનના બિંદુ પર… -એષા દાદાવાળા

(ગ્રીનરી… Lassen Volcanic National Park, CA…. Sept 09)

* * * * *

જોઈએ છે એક ઝાડ!
જેની ડાળી પર પંખીઓના માળા
ન હોય તો ચાલશે,
પણ એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ!
બારેમાસ લીલું ને લીલું રહેતું હોય એવું-
ઊચું-બીજા માળે આવેલા ફલેટની
મારી બાલ્કની સુધી પહોંચી શકે એટલું!
અને ઘટાદાર પણ જોઈએ જ,
જેનાથી બાલ્કનીનો વ્યૂ તો સુધરી જ જાય
પણ જેને બતાવીને
અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને
ગ્રીનરી પર એસે પણ લખાવી શકાય!

– એષા દાદાવાળા

સુ.દ. દ્વારા આ કાવ્યનો આસ્વાદ:

એષા દાદાવાળા સુરતમાં રહે છે. પત્રકારત્વ સાથે સંકળાયેલા છે. સર્જકતા અને પત્રકારત્વને હંમેશાં આડવેર નથી હોતું એનું આ એક ઊજળું ઉદાહરણ છે. વૈયકિતક અને સામાજિક સંવેદના કેવળ અંગતના સ્તર પર ન રહેતાં પૂરેપૂરા સંયમથી બિનઅંગત તરફ જઈને સ્વથી સર્વ સુધી પહોંચી શકે એવી છે. સંવેદના અને સંયમનો અહીં સહજ સંગત વર્તાય છે.

એષા અછાંદસ લખે છે. ઉમાશંકર જોશી કહેતા કે અછાંદસ શબ્દમાં પણ છંદ શબ્દ તો છે જ. આ વિધાનમાં કોઈ ચતુરાઈ નથી, પણ એમાં એક ઊડી વાત સમાઈ છે. અછાંદસને પણ એનો એક ગદ્યલય હોય છે.

આ કવયિત્રીની કવિતા વાંચતા વાંચતા કયારેક એમ પણ થયા કરે કે એ લખે છે કવિતા, પણ કેટલીક કવિતામાં તો નરી વાર્તાનાં બીજ છે. કોઈ એનો અર્થ એમ ન માને કે એ વાર્તાની અવેજીમાં કવિતા લખે છે. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સંવેદનના એક બિંદુ પર રહીને કવયિત્રી કાવ્યનો ઘાટ ઉતારે છે.

જો આવું સંવેદનનું બિંદુ કોઈ વાર્તાકારને મળ્યું હોત તો એ કદાચ વાર્તાનો ઘાટ ઉતારત. અહીં બોલચાલની ભાષાના લયલહેકાની પણ કવયિત્રીને સહજ સૂઝ અને પરખ છે.

તાજેતરમાં આ કવયિત્રીનો ‘વરતારો’ નામનો કાવ્યસંગ્રહ પ્રગટ થયો. આ કવયિત્રીની કવિતા વિપિન પરીખના ગોત્રની છે અને છતાંયે કયાંય એનું અનુકરણ કે અનુરણન નથી. કોઈકે તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો એને અભ્યાસની સામગ્રી મળી રહે એટલી માતબરતા બન્ને પક્ષે છે.

પ્રત્યેકની કવિતા સ્વયમ્ પ્રકાશિત છે અને છતાં અજવાળાની અનેક ઝાંય જોવા મળે. કાવ્યની પ્રથમ પંકિત જાણે કે જાહેરાતની ભાષાની હોય એવી લાગે. જોઈએ છે-એ અખબારી આલમનો જાહેરાતના પ્રથમ શબ્દો છે. આમ પણ અંગત રીતે આપણે બધા એક યા બીજા સ્વરૂપે માગણ જ છીએ. કશુંક ને કશુંક જોઈતું જ હોય છે એ રીતે આપણા દરેકમાં એક ‘જોઈતારામ’ બેઠા છે.

કવયિત્રી સિલ્વિયા પાથને એક જ પુરુષમાં પિતા, પતિ અને રોમેન્ટિક પ્રેમી જોઈતા હતા. આ તો લગભગ અશકય વાત છે. પિતાની છત્રછાયા જોઈતી હતી, પતિની સલામતી જોઈતી હતી અને પ્રેમીની રોમેન્ટિક મોસમ જોઈતી હતી.

આ ત્રણે વાસ્તવિક જીવનમાં ન મળ્યું એટલે એણે આત્મહત્યા કરી અને મરણમાં એને જાણે ત્રણ પુરુષ મળ્યા. આ તો એક આડ વાત થઈ. કવયિત્રીએ કાવ્યમાં એક ઝાડની માગણી કરી છે. કાવ્યમાં હોય છે એમ અહીં પણ ‘કહીં પે નિગાહે, કહીં હે નિશાના.’ વાત ઝાડની છે પણ આડકતરી રીતે આપણી ભાષાનું વૃક્ષ મૂળથી ઊખડી જાય છે એની તરફનો ઈશારો છે.

આ ઝાડ પર પંખી કે પંખીના માળા ન હોય તો ચાલશે. પંખી વિનાનું ઝાડ એક માણસ વિનાના ઘર જેવું, સ્મશાન જેવું જ લાગવાનું. છતાં પણ આપણી ચલાવી લેવાની વૃત્તિ છે. આ ઝાડ જોઈએ છીએ પણ કેટલીક પૂર્વ શરતોએ. એ પાનખર-પ્રૂફ હોવું જોઈએ. એટલે કે બારેમાસ લીલું, વસંતના વૈભવ સાથેનું.

પાછું ઊચું. ઊચાઈ પણ માપસરની અને માફકસરની. બધું ટેલરમેઈડ હોવું જોઈએ. વૃક્ષની ઊચાઈ બીજા માળે આવેલા ફલેટની બાલ્કની સુધી. આપણી ભીખારી વૃત્તિ પણ કેટલી બધી શરતથી બંધાયેલી હોય છે. ઝાડ હોય એટલું જ બસ નથી એ ઘટાદાર હોવું જોઈએ, જેનાથી બાલ્કનીની વ્યૂ સુધરી જાય.

નવી પેઢીને-નવા જનરેશનને અંગ્રેજી મીડિયમમાં ભણતા દીકરાને વૃક્ષની ઘટા અને છટાને આધારે એને ગ્રીનરી પર એસે લખાવી શકાય. કાવ્યમાં અંગ્રેજી શબ્દનો જે ઉપયોગ કર્યો છે અથવા કરવો પડયો છે એ આપણી આદતનું પરિણામ છે.

આપણે હવે કેવળ ગુજરાતી નથી બોલતા, કેવળ અંગ્રેજી નથી બોલતા પણ ગુજરેજી બોલીએ છીએ. આવા જ કેટલાક અંગ્રેજી શબ્દો છે-પાનખર પ્રૂફ, બાલ્કની, વ્યૂ, મીડિયમ, ગ્રીનરી, એસે.

ઉમાશંકર જોશીએ લખ્યું:

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી.

આપણે આપણી માતૃભાષાનું ગળું દાબી દીધું છે. ખરેખર તો સંસ્કૃત આપણું ભોંયતળિયું છે. ગુજરાતી આપણી ડ્રોઇંગરૂમની અને શયનખંડની ભાષા છે.

અન્ય પ્રાંતિય ભાષા એ આપણો ઝરુખો છે અને અંગ્રેજી આપણી અગાશી છે. આ એક આદર્શ પરિસ્થિતિ ગણાય. પણ અંગ્રેજો ગયા અને અંગ્રેજી મૂકતા ગયા અને હજીએ આપણે રોજને રોજ વધુને વધુ ઝુકતા રહ્યાં.

આજ કવયિત્રીએ ગીતો પણ લખ્યા છે છતાં પણ ગદ્ય કાવ્યમાં એમને વિશેષ ફાવટ છે. ‘ગર્ભપાત’ નામનું એક અન્ય કાવ્ય જોઈએ:

એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો.
અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો!
માના પેટમાં બચ્ચું આકાર લે,
બસ એમ જ
સપનું વિકસવા લાગ્યું આંખોમાં…
આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં!
ત્યાં અચાનક
પોપચાં ફડકયાં.
હાથેથી આંખોને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ-લાલ થઈ ગયો.
આંખો ખૂલી ગઈ
અને
ફરી એક વાર
કસમયે
ગર્ભપાત થઈ ગયો એક સપનાંનો!

કાળજી..!! – એષા દાદાવાળા

જયારે
તમે
કોઈના ચહેરાને
તમારી બેઉ હથેળી વચ્ચે લઇ
એને હળવેકથી ચૂમીને
પછી કહો કે
“ચાહું છું તને, બહુ બહુ બહુ ચાહું છું તને..!”
ત્યારે
એના ગાલ પર ઉતરી આવતી લાલાશ
એની
આંખો સુધી ન પહોંચે
બસ એટલી કાળજી રાખજો પ્લીઝ…!

– એષા દાદાવાળા

લાવો તમારો હાથ – પન્ના નાયક

હાથ તો હું લંબાવી શકું
પણ
તમે તો મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમારી બંધ મુઠ્ઠીમાં શું છે
એ હું નથી જાણતી
પણ
મારી ખુલ્લી હથેળીમાં
હજીયે પંખીઓના
તાજા ટહુકાઓ છે
ખીલેલાં ગુલાબ જેવા.

તમે ઝીણવટથી જોશો તો
મારી હથેળીમાં
તમારે માટે
જતનપૂર્વક સાચવી રાખેલી
ચંદ્રલેખાય
એવી ને એવી મોજુદ છે.
તમારી મુઠ્ઠીમાં
જે હોય તે
મને એની કોઈ તમા નથી.
હું તો હાથ લંબાવી શકું
પણ શું કરું?
તમે જ મુઠ્ઠી વાળીને બેઠા છો.
તમે જ..
તમે જ..

———

પન્ના નાયકની પોતાના કાવ્યોની વેબસાઇટ – વિદેશીની પરથી…

બા… – પન્ના નાયક

નાની હતી ત્યારે
મારા બા
મારા વાળ ઓળતા
હાથમાં અરીસો આપીને
એમની આગળ પલાઠી વાળીને બેસાડતા
છુટ્ટા વાળમાં
એ ઘસી ઘસીને
ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતા.
કાંસકાથી ગુંચ કાઢી
વિરાટ વનની પગથી જેવી
સેંથી પાડતા
ને
પછી
લાંબા કાળા ભમ્મરિયા વાળને
બે લટોમાં ગૂંથી લઇ
રંગીન રીબન
કે
ચાંદીના ઘૂઘરિયાળા ફુમતાથી શોભાવતા

વાળ ઓળાઇ જાય
એટલે
મને એમની સામે બેસાડતા
ને
તપાસતાં
કે
વાળ બરાબર ઓળાયાં છે કે નહીં !
મને પૂછતા :
ગમ્યા ને ? .
હું મરક મરક હસતી.
કેટલીય વાર
વ્હાલના આવેશમાં
આવી જઇ
સરસ ઓળેલા વાળમાં
એમનો હાથ ફેરવી ફેરવી
એને અસ્તવ્યસ્ત કરી દેતા
હું
થોડો ખોટો
થોડો સાચો
ગુસ્સો કરતી.

આજે
મારા વાલ સાવ ટૂંકા છે
તેલ વિનાના સૂકા, બરછટ છે.
ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઊડે છે.
નપુંસક ગુસ્સાથી પીડાતી હું
શોધું છું
બા…
બાનો હાથ…

– પન્ના નાયક
—————————–
ગયા વર્ષે પન્નાઆંટી અહીં Bay Area માં હતા, ત્યારે સ્વયં એમની પાસે આ કવિતા સાંભળી છે.. અને ત્યારે ખરેખર મમ્મી, મમ્મીએ વર્ષો સુધી ઓળી આપેલા વાળ, કલ્યાણી સ્કૂલમાં નાખવી પડતી લાલ રિબન, મમ્મીએ ઘરે ઉકાળેલું બ્રાહ્મી-ભાંગરો નાખેલું તેલ.. કેટકેટલું એક સાથે યાદ આવી ગયેલું..!!

પુરુષોત્તમ પર્વ 5 : તેં પથ્થર પસંદ કેમ કર્યો ? – અવિનાશ વ્યાસ

‘એક ગરવા ગુજરાતી’ આ લેખમાં વીણાબેને અવિનાશ વ્યાસનું ગીત ‘તેં પથ્થર પસંદ કેમ કર્યો’ વિષે વાંચ્યુ, ત્યારથી જ આ ગીત સાંભળવાની ખૂબ ઇચ્છા હતી.. આ અઠવાડિયું આપણે જ્યારે પુરુષોત્તમ પર્વ મનાવીએ છીએ, ત્યારે પુરુષોત્તમ ઉપાધ્યાય અને અવિનાશ વ્યાસનું નામ એકસાથે લીધા વગર ચાલે? બરાબર ૭ વર્ષ પહેલાનું – ઓગસ્ટ ૨૦, ૨૦૦૨ નું આ રેકોર્ડિંગ સાંભળીએ.. અવિનાશ વ્યાસની કલમે લખાયેલું અને સ્વરબધ્ધ થયેલું ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં.

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીત : અવિનાશ વ્યાસ

.

તેં પથ્થર પસંદ કેમ કર્યો?
અરે કે’ને ઓ કરુણાના સાગર,
અને કોણે જઇ પાષાણ ભર્યો?
તેં પથ્થર પસંદ કેમ કર્યો?

વાયુ વાદળ સૂરજ ચંદર
વ્યોમ ભોમ પાતાળની અંદર
હોય ભલે મસ્જિદ મંદર
સત્વ તત્વમાં તું જ નિરંતર

તો યે નિરાકાર આકાર ધરી
અરે ઠરી ઠરી પાષાણ ધર્યો

ભાવે સ્વભાવે નોખો ન્યારા
ફૂલને પથ્થર વચ્ચે
તો યે તારી સંગ સદંતર
ફૂલ ઉપરને તું અંદર

કદી ફૂલ ડૂબે પથ્થર નીચે
આ તો ફૂલ નીચે પાષાણ મર્યો

તો પથ્થરનું હૈયું ખોલીને
મંદિરભરની મૂર્તિ ડોલી
શીલાનો શણગાર સજી
અરે સર્જનહાર હસી ઉઠ્યો

સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

કે રામ બનીને માનવકુળમાં
જ્યારે હું જગમાં ઉતર્યો’તો
ત્યારે ચૌદ વરશના વનના વાસે
વન ઉપવન વિશે વિચર્યો

ત્યારે ચરણનીચે ફૂલ ઢગ જેને કચર્યો
એને આજે મેં મારે શિર ધર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

અને હરણ કરી મારી સીતાનું
જ્યારે રાવણ લંકાપાર ગયો
ત્યારે કામ ન આવ્યું કોઇ મને
આ પથ્થરથી પથ્થર ઉગર્યો

અને એક જ મારા રામનામથી
આ પથ્થર સાગરપાર તર્યો
સાંભળ ઓ મનગમતા માનવ,
મેં પથ્થર પસંદ કેમ કર્યો !

– અવિનાશ વ્યાસ

દીકરીના લગ્ન પછી, ઘરમાં – જયંત પાઠક

ગુજરાતી વિષયના પાઠ્યપુસ્કતમાં હતું આ કાવ્ય.. ત્યારે શિક્ષકે સમજાવેલો અને પરીક્ષા વખતે ‘ગાઇડ’માંથી ગોખેલો આ કવિતાનો મર્મ ખરેખર કેટલો સમજાયેલો એ પણ મને હમણા યાદ નથી. આમ તો આ ટચુકડી કવિતા કદી ભુલાઇ નથી, અને એમાં પણ છેલ્લી બે લીટીઓ તો અક્ષરસહ યાદ રહી છે હંમેશા. (કદાચ પરિક્ષામાં એ ‘ખારો ખારો પ્રશ્ન’ ઘણો પૂછાતો..) પણ હા, આજે હવે લગ્ન પછી અને મમ્મી-પપ્પાથી આટલા દૂર રહ્યા પછી આ કવિતા જેટલી સમજી છું, એ મને કોઇ શિક્ષક સ્કૂલમાં ન સમજાવી શક્યા હોત…
* * * * *

આખરે ઉજાગરાનો અંત આવ્યો:
લગન ઊકલી ગયાં.
મા હવે
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
સંભારી સંભારી મેળવે છે
સંભાળી સંભાળી ગોઠ્વે છે:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-
બધું બરાબર છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
કશુંય ગયું નથી-
પણ

અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભી રહી જાય છે
આંખોમાંથી ટપકું ટપકું થાય છે
ખારો ખારો પ્રશ્ન :
‘મારી દીકરી ક્યાં ?’

એક પળમાં… – નંદિતા ઠાકોર

એક પળમાં પરોવી દઉં જીવતર આખુંય
બોલ, આપી શકીશ એવું કંઈ?

સાંજ મને સોનેરી જોઈતી નથી
કે નથી રૂપેરી રાતના ય ઓરતા
એક્કે ય વાયદા કે વેણ નથી જોઈતાં
એમાં ગુલમોર છોને મ્હોરતા

અઢળકની ઝંખનાઓ છોડીને આવી છું
સાંજ તણી આશાએ અહીં…

મારામાં ઊગેલું મારાપણું ય હવે
તારામાં રોપી હું છુટ્ટી
લેવાથી દેવાનો અદકેરો લ્હાવ
હવે ખોલી દે બાંધી આ મુઠ્ઠી

ચીતરેલા ફૂલને ય ફૂટે સુગંધ
એવું આંખોમાં જોતી હું રહી.