Category Archives: અછાંદસ

~ – કાજલ ઓઝા-વૈદ્ય

મેં સૂરજમુખી માગવા માટે
ડરતાં ડરતાં લંબાવેલા હાથમાં
તેં
આખેઆખો સૂરજ મૂકી દીધો છે !

વેંત જેટલી જગ્યા માગી હતે – મેં,
તારી અંદર – ક્યાંક – કોઈક ખૂણે
અને તેં –
મને ઘસડીને, તારી રગરગમાં વહેતી કરી નાખી છે.

પાંખ ફફડાવવા જેટલા અવકાશની માગણીના બદલામાં
ગણતરીના શ્વાસ ઉછીના માગ્યા હતા મેં તો
ને તું ?
બ્ર્હ્માંડ લઇ આવ્યો, તારા બાહુપાશમાં !

બે સ્મિત – ચાર ખુશીની પળો ચાહી હતી મેં તો –
માત્ર
ને તેં ?
‘સુખ’નો ઢગલો કરી દીધો – મારા ખોળામાં,
તું ક્યાં હતો ?
તું કેમ મને વહેલો ન મળ્યો ?

– કાજલ ઓઝા-વૈદ્ય

સુખ – કીર્તિ ચૌધરી (અનુ. નિરંજન સટ્ટાવાલા)

બધુંયે એમ ને એમ રહે છે
આ પડદા – આ બારી – આ કૂંડાં
જરાય બદલાતાં જ નથી.
પણ કોણ જાણે શું થાય છે,
ક્યારેક ક્યારેક
ફૂલોમાં રંગ ભરાઈ આવે છે,
ટેબલક્લૉથ પર – તકિયા ઉપર
ચિત્રો બધાં અકારણ હસે છે,
દીવાલો જાણે હમણાં બોલશે,
આજુબાજુ વીખરાયેલી બધી ચોપડીઓ
શબ્દે – શબ્દે
બધા ભેદ ખોલશે,
અજાણતાં જ હોઠ ઉપર ગીત આવી જાય છે.
સુખ શું આ જ છે?
બદલાતું તો કંઈ જ નથી…
આ પડદા – આ બારી – આ કૂંડાં …

– કીર્તિ ચૌધરી (અનુ. નિરંજન સટ્ટાવાલા)

દર શનિવારનું ritual – પન્ના નાયક

દર શનિવારનું ritual
સુપરમાર્કેટમાં ગ્રોસરીની ખરીદી –
કેવું સારું!
કશુંય પૂછવાગાછવાનું નહીં!
આંખો અને હાથ રમ્યા કરે
shelves પરની વસ્તુઓ પર
સ્ટૅમ્પ થઇ ગયેલા આંકડાઓ સાથે
મૂંગી મૂંગી રમત…!

ઍરકન્ડિશન્ડ અને પ્લાસ્ટિકઃ બેવડા કવરમાં
સચવાઈ પડેલા ફળો ને શાકભાજી
વીનવે છે સૌને બહાર લઈ જવા!

માનવસંપર્કમાંથી સાવ વિખૂડી ગાયો કણસે છે,
માથા વિનાનાં લટકે છે બકરાંઘેટાં,
અને
સંભળાય છે ત્રાસની ચીસ
“disjointed chicken in family size” માં… !
હૃષ્ટપુષ્ટ ગાયોનું દૂધ ખડકાયું છે
પણ
“fortified, homogenized, pastuerized
અને vitamins added!”
બિચારી ગાયો શું વિચારતી હશે!

અસંખ્ય લોકોની અવરજવર વચ્ચે
શબ્દો ગૂગળાતા, અકળાતા;
સંભળાય છે માત્ર
ઊંચી એડીઓની ટપટપ ટપાટપ…
ઘસડાઈ ઘસડાઈને
શૉપિંગ કાર્ટનાં ખખડી ગયેલાં પૈડાંનો ઘરઘરાડ
અને
કેશ-રજિસ્ટરનાં નાણાં ગળી જવાનો ખડખડાટ…

બહાર આવું છું –
જાણે હું
બહેરાંમૂંગાની નિશાળની
આંખ-હાથના હાવભાવથી
communication કરતી વ્યક્તિ…!

– પન્ના નાયક


Chitralekha’s 61st annual issue had 61 prominent Gujarati’s including Panna Naik

ભૂરા પતંગિયા – અખિલ શાહ

હરિયો નવો નવો પતંગ ચડાવતા શીખ્યો’તો
એટલે આખો દિવસ બસ
એ અને એના પતંગ.

એના બધા પતંગ એક જ રંગના – ભૂરા.
એ વળી ચગાવતા પહેલા
એના પર જાતે ચિતરામણ કરે.

એ પહેલા આખા ફળિયામાં દોડતો બધાને કહી આવે,
‘જો જો, મારી સાથે કોઈ પેચ ના લેતા’
ને પછી પતંગ ઊંચે ને ઊંચે ચગાવે રાખે.

મોડી સાંજે
મા બૂમો પાડી બોલાવે ત્યારે
એ પતંગને જાળવીને ઊતારી લે
ને જતનથી ઘરે લઈ જાય.
એની કાળજી જોઈને લોકો હસતાં,
‘હરિયા આ પતંગ છે, પતંગિયા નથી’

ગઈકાલે એક અવળચંડાએ
ભાર દોરીએ એનો પતંગ કાપી નાખ્યો.
પોતાની અડધાથી વધારે દોરીને જતી જોઈને
પલકવાર માટે હરિયાની આંખો તગતગી ગઈ,
પણ એકેય આંસુ નીકળ્યું નહીં.
હરિયો કદી રડતો નહીં.

સૂતી વખતે હરિયાએ
મનમાં ને મનમાં
બાકી બચેલી દોરીની ગણતરી કરી.
ઝાંખા ફોટામાંની
ભૂરું ખમીસ પહેરેલી આકૃતિને
જોતા જોતા એ ગણગણ્યો,
‘પપ્પા કંઈ એટલા બધા ઉપર તો નહીં ગયા હોય’

– અખિલ શાહ
(આભાર – લયસ્તરો.કોમ)

અભણ અમરેલવીએ કહ્યું – રમેશ પારેખ

યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત……..
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
– આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે…….

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

– રમેશ પારેખ

હોમસિકનેસ – પન્ના નાયક

આ કવિતા સાથે કવિ શ્રી ભગવતીકુમાર શર્માનો આ શેર ચોક્કસ યાદ આવે…
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

….અને સાથે બીજું શું અને કેટલું યાદ આવે એની તો વાત જ નથી કરવી..!

*****

મેં ટ્રોપિકલ છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને
એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો.
છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે
ત્યારે
મારું મન કેસૂડે મોહે છે.
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે
ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું.
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી.
અષાઢનો શબ્દ જ અહીં નથી ને!
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.

હું હોમસિક થઈ ગઈ છું.
થાય છે
બધું ઊઠાવીને ઘેર જાઉં
પણ
હવે મારું ઘર ક્યાં?
મારું
ઘર ક્યાં?

— પન્ના નાયક

તને ચાહવી છે મારે તો – પ્રિયકાન્ત મણિયાર

આ કવિતા વાંચવાની શરૂઆત કરો, ત્યારે તમારી આસપાસ ભલે ગમે એટલો ઘોંઘાટ હોય, પણ કવિતાની છેલ્લી કડી વાંચો ત્યાં સુધીમાં કાનમાં શરણાઇના સૂર ચોક્કસ ગૂંજશે..! 🙂

હવે આકાશના સર્વ તારકોને જોઈ લઉં
ને જાણી લઉં કેટલું શ્રેત – કેટલું સ્વચ્છ થવું પડશે મારે.
તને ચાહવી છે મારે તો
જગતનાં સર્વ વૃક્ષોનાં ફરફરતાં પર્ણને પૂછી લઉં :
કેટલું સતત ને સદ્ય સ્પંદિત થવું જોઇએ મારે
અવિરામ લયની માધુરી જન્માવવા ?
તને ચાહવી છે મારે તો
પૃથ્વીની સઘળી ધૂલિ – જે વારંવાર વેગીલા વાયરામાં
ઊડી જાય –
તેને મારા સંપુટમાં સમાવવા શીખી લઉં
કારણ કે તારે કાજે કેટલી એકાગ્રતા
ઘટ્ટ કરવી પડશે મારે –
અને છતાં ઘડીભર થોભું,
સકલ ક્ષારમય આ મને મળેલા સાગર સામે
શક્ય એટલી શર્કરા લઇ આવું –
ત્યાં સુધી તું પણ થોભીશ ને ?
મલકાયેલા લોચનમાં
ત્યાં તો વાંચું ભાવિની સ્પતપદીની અગ્નિવેદી,
હસતા હોઠમાં હસ્તમેળાપ –
અને જો આપણે ચાલ્યાં
યુગોથી ઠરતા હિમાલયના શિખરને હૂંફ આપવા.

– પ્રિયકાન્ત મણિયાર

કવિતા – જયન્ત પાઠક

કોઇક અખબારના Classified section માં (કે પછી monster.com / LinkedIn.com પર) એક ‘કવિ’ની નોકરી માટે જો જાહેરખબર આપવી હોય, તો એના Job Description માટેની વિગત અહીં પ્રસ્તુત કવિતામાં જોઇ લો.. 🙂

*********

ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.

– જયન્ત પાઠક

—————-

આ કવિતાના સંદર્ભમાં – કવિ શ્રી જયન્ત પાઠકની બીજી એક કવિતા – કવિતા ન કરવા વિશે કવિતા – પણ માણવા લાયક છે..!!

ભાગવત – વિજ્યા લક્ષ્મી (અનુ. કિશોર શાહ)

ગોધૂલિ સમયે તમે સ્નાન કરીને
ગૃહસ્થીના કંકાસ અને શોરબકોરથી દૂર
ભાગવતનો સ્વકંઠે પાઠ કરવા બેસી જાઓ છો.
અને તમારો અવાજ સંભળાય છે –
‘સાંભળે છે ? ક્યાં ચાલી ગઇ?
અહીં આવી ને બેસ અને સાંભળ’

પણ હું તો ચૂલા પાસે ખોડાયેલી ,
તમારું જમવાનુ બનાવી રહી છુ,
સેંકડો વણઉટક્યાં વાસણો, થાળી વાટકા
મારી પ્રતિક્ષામાં છે.
અને સેંકડો નાનામોટા કામ,
જે મારે કાલે કરવા પડશે.

મારા મેશ ખરડાયેલા હાથોથી
હું પણ ફેરવું છું
એક વિરાટ ભાગવતનાં પાનાં
છેલ્લા શ્વાસ સુધી
પૂરું ન થનારુ એક ભાગવત છે
જેને હું સ્વેચ્છાથી વાંચતી જ જાઉ છું.
અને જે –
તમે ક્યારેય આવીને નથી સાંભળતા.

– વિજ્યા લક્ષ્મી (અનુ. કિશોર શાહ)

૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ – ઉમાશંકર જોશી

સૌ વાચકમિત્રોને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભકામનાઓ ! નીચેની કવિતા સાથે વિવેકની નોંધ પણ લયસ્તરો પરથી લઉં છું. (આભાર વિવેક અને લયસ્તરો ટીમ!)

*

જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે ? આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે ? આવ.
જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ ? આવ.
આવ હે સુદિન અમ મુક્તિ તણા !

ઊગેલો જે સૂર્ય આર્ય-ગોત્રો પરે,
ગાયત્રીમંત્રની શુચિ વંદનાને પામેલો જે,
હોમાગ્નિના સુગંધી ધૂપે જે સદા સ્પર્શાયેલો;
સિંધુતટ ઉપરના પાતાલ-વિલીન મહા
હડપ્પા આદિ પ્રાચીન નગરોની અગાશીએ
હાસ્યના ફુવારા નિત્ય ઉડાવી રમેલો જેહ;
કુરુક્ષેત્રમાં ક્યારેક સુભટોના ધનુષ્યોના
ટંકારે જાગ્રત થયો, કૈંક વાર ફેલાયેલી
સર્વભક્ષી ખડ્ગજિહ્વાઓ પરે જે નર્તી રહ્યો;
શક દૂણો ક્ષત્રપો ને ગુર્જરોનાં –
અરબો પઠાણો તુર્ક મુઘલોનાં –
રેલ્યાં પૂર, તેનાં મહાતરંગોમાં
ડોલતો આકાશ થકી મલક્યા કરતો જે હતો;
કૃષ્ણ મહાવીર બુદ્ધ રાજર્ષિ અશોક હર્ષ
અકબ્બરના ખમીર વડે જે તેજસ્વી હતો;
ધૂંધળો રહેલો બે શતક જે,
ધૂંધવાયો પૂરો એક શતક જે,
એ જ કે પ્રકાશવાનો સૂર્ય આજે ?

ઊગે તું નિષ્પ્રભ ભલે આજે મેઘાચ્છન્ન નભે,
પુરુષાર્થના પ્રખર પ્રતાપે મધ્યાહ્ન તારો
દીપો ભવ્ય તપોદીપ્ત !
હે સુદિન મુક્તિ તણા !
રાહ જોતા હતા જેની, તે જ તું આવ્યો છે ? આવ.

– ઉમાશંકર જોશી

આજના જ દિવસે- પંદરમી ઑગસ્ટે બાંસઠ વર્ષ પૂર્વે જ્યારે લગભગ બસો વર્ષની ગુલામી અને સોએક વર્ષની લડત બાદ આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે લોકોમાં જે જુસ્સો અને ઉમંગ હતો એ અવર્ણનીય અને કદાચ અનિર્વચનીય હતો. છતાં કવિઓએ એ દિવસને કાવ્યદેહે કંડારવાની મથામણ તો કરી જ.

સવાર પડે ત્યારના આકાશની લાલિમામાં કવિને મોઢેથી ધાવણ સૂકાયું ન હોય એવા યુવાન શહીદોનું લોહી નજરે ચડે છે. સવારના પહેલા પવનમાં જે સુગંધ છે એ જાણે ભારતવાસીઓની આશાની ન હોય !

જે સૂર્ય આર્યાવર્ત પર પ્રકાશ્યો હતો, વેદકાળના ઋષિઓના હોમ-હવનનો સ્પર્શ પામ્યો હતો, સિંધુતટની પ્રાચીન સંસ્કૃતિનો સાક્ષી હતો, કુરુક્ષેત્ર જેવી ભીતરની લડાઈથી માંડીને શક, હૂણ, આરબ, મુઘલો જેવા બાહ્યાક્રમણોથી સંક્રાંત થયા પછી પણ જેનું હાસ્ય વિલોપાયું નહોતું, જે સૂર્યે કૃષ્ણ, મહાવીર, બુદ્ધ જેવા મહર્ષિઓના ખમીરગાન ગાયા છે એ જ સૂર્ય બબ્બે સદીઓની ગુલામી અને એક સદીની લડાઈના અંતે આજે પ્રકાશવાનો છે કે શું ? આજે ઑગસ્ટ મહિનાના ચોમાસાચ્છાદિત આકાશમાં કદાચ એ નજરે ન પણ ચડે, પણ પુરુષાર્થના આકાશમાં તો એ સદૈવ મધ્યાહ્ને જ તપવાનો ને ?

કવિતાની શરૂઆતમાં અને અંતે એમનો સાશંકિત પ્રશ્ન દોહરાવ્યે રાખે છે કે જે મુક્તિદિવસની અમે રાહ જોતા હતા એ જ સાચે આવ્યો છે ? અને મુક્તિનું આગમન કેવું હોય ? એમાં કોઈ શરત કે ઉપાલંભ ક્યાંથી હોય ? એના આગમનમાં કોઈ વૃથા શબ્દાડંબર પણ કેમ શોભે ? મુક્તિ તો જ્યારે અને જે સ્વરૂપે મળે, એ માત્ર આવકાર્ય જ હોવાની. અને એટલે જ કવિ એના સ્વાગત કાવ્યારંભે ત્રણવાર અને અંતે ફરીથી એકવાર માત્ર એક જ શબ્દથી કરે છે – આવ.

– વિવેક ટેલર