Category Archives: મુક્તક

ગઝલ – ડો. રશીદ મીર

love candle
હ્રદયના કોડિયે લોહીની શગ બળે તે ગઝલ
વિરહ, ઉજાગરા, મંથનમાં ટળવળે તે ગઝલ
રમત ગઝલને સમજનારા, આવ સમજાવું :
કશુંક છાતીમાં તૂટે ને તરફડે તે ગઝલ.

સમંદરપારના પંખી – ઉદયન ઠક્કર

જરા તું મારી ઉપર પણ ભરોસો રાખીને તો જો,
શું કામ  આ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ ?
સમંદરપારના પંખીને તું દે છે કયો નકશો ?
છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ

સમજી જા – સૈફ પાલનપુરી

sunset

જો સ્વાર્થભરી દુનિયાની નજર, ને મારા વિચારો સમજી જા
મઝધારમાં રહેતાં શીખી જા, ને શું છે કિનારો સમજી જા

કંઇ લાખ કથાઓ કહેતી ફરે છે મારા નયનની ચુપકીદી
એકાંતે રડેલી આંખોના આ છાના ઇશારા સમજી જા

મુક્તક – એસ.એસ.રાહી

haran

કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે ?
કિંતુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે,
નહીં તો આ દોડતુ હરણ ઉભું રહે નહીં,
મૃગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.

બસ ઓ નિરાશ દિલ… – મરીઝ

સ્વર : સોલી કાપડિયા


.

સંગીતમાં છું મસ્ત, સુરામાં તર છું
માનું છું ગુનાહોનું સળગતું ઘર છું
પણ તુજથી દરજ્જામાં વધુ છું ઝાહિદ
દુનિયાથી તું પર છે, તો હું તુજ થી પર છું

બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે
લાગે મને કે જગમાં બધા કામયાબ છે.

એમાં જો કોઇ ભાગ ન લે મારી શી કસૂર ?
જે પી રહ્યો છું હું તે બધાની શરાબ છે.

કંઇ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે.

બે ચાર ખાસ ચીજ છે જેની જ છે અછત
બાકી અહીં જગતમાં બધું બેહિસાબ છે.

ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે.

…. તો કવિ રમેશ પારેખ દસ વર્ષ વધુ જીવ્યા હોત !

થોડા દિવસ પહેલા કવિ શોભિત દેસાઇના નાટક ‘એક ખોબો ઝાકળ‘ની વાત કરી હતી એ યાદ છે ? અને કાલે જ આપણે એમની ગઝલ ‘મુલાકાત પહેલી હતી‘ સાંભળી. અને મેં કહયું હતું કે એક ખોબો ઝાકળ વિષે થોડી વધુ માહિતી પણ ટહુકા પર આપીશ.

ડિસેમ્બર 4-8 દરમિયાન અમદાવાદ – ગાંધીનગરમાં આ નાટક પ્રસ્તુત થયું હતું, ત્યારે ગાંધીનગર સમાચારમાં કવિશ્રી શોભિત દેસાઇની મુલાકાત પ્રસિધ્ધ થઇ હતી, જે અહીં નીચે આપેલી બે માંથી કોઇ પણ એક લિંક પર ક્લિક કરીને વાંચી શકશો. પી.ડી.એફ પર વધુ સારી રીતે વંચાશે, પરંતુ તમારી પાસે એક્રોબેટ રીડર ન હોય તો જે.પી.જી. માં પણ વાંચી શકાશે.

Open as PDF File (in acrobat reader)

Open as JPG Image File

અને કવિશ્રી શોભિત દેસાઇએ એવી માહિતી આપી છે, કે જો પ્રયત્નો સફળ થાય, તો માર્ચ / એપ્રિલ – 07 થી આ નાટક અમેરિકા આવશે. સેન ફ્રાંન્સિસ્કો – લોસ એંજલેસથી શરૂઆત કરીને આ નાટક શિકાગો – ન્યુયોર્ક – ન્યુજર્સી સુધી જશે.
અને જયાં આવા દિગ્ગજ કવિઓની વાત હોય, ત્યાં એમની કોઇ એક રચનાને યાદ ન કરીએ, તો ચાલે ખરું ?

સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?

– મરીઝ

બધાને આવતો સરખો વિચાર હોઇ શકું
અગર વિચારના વર્તુળની બહાર હોઇ શકું
હું કોઇ નક્કી નથી કે મને વિચારી શકો
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઇ શકું

– રમેશ પારેખ

હવે ચહેરા ઉપરનું આવરણ બદલી નથી શકતો
સ્મરણમાંથી મિલનની એ જ ક્ષણ બદલી નથી શકતો
સભામાં દર્દ છે ને તોય મસ્તીમાં રહું છું હું
હવાની જેમ હું વાતાવરણ બદલી નથી શકતો

– શોભિત દેસાઇ

મુલાકાત પહેલી હતી – શોભિત દેસાઇ

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું

સ્વર : પંકજ ઉધાસ
આલ્બમ : રજુઆત (પંકજ ઉધાસનું પ્રથમ ગુજરાતી ગઝલોનું આલ્બમ)

.

રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતી
મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી

આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતો
છોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી

મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરો
એણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

 – શોભિત દેસાઇ

દરબાર ‘શૂન્ય’નો

19 ડિસેમ્બર : ‘શૂન્ય’ પાલનપુરી નો જન્મદિવસ.
આ પોસ્ટ મુકવામાં આમ તો હું 2 દિવસ મોડી પડી એમ કહેવાય..

એમને શ્રધ્ધાંજલી રૂપે, ચાલો આજે તમને લઇ જઉં – ‘શૂન્ય’ના દરબારમાં

શોધી રહ્યા છે જે અહીં આકાર ‘શૂન્ય’નો,
લેવો જ પડશે એમને આધાર ‘શૂન્ય’નો
લૂંટી લો પ્રેમ-લ્હાણ જગતભરના પ્રેમીઓ !,
ઊઘડ્યો છે આજ શાનથી દરબાર ‘શૂન્ય’નો.
– મુસાફિર પાલનપુરી

taj

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

પ્રણય-જ્યોત કાયમ છે મારા જ દમથી,
મેં હોમી નથી જિંદગી કાંઇ અમથી;
સભાને ભલે હોય ના કૈં ગતાગમ,
મને ગર્વ છે કે શમા ઓળખે છે.

માણતાં આવડે તો હે ભગ્નાશ મન !
વેદના છે કઇ જે મધુરી નથી ?
સાંભળી લો ગઝલ ‘શૂન્ય’ની ધ્યાનથી
એને પ્રત્યક્ષ જોવો જરૂરી નથી.

કોઇના સ્મરણમાં, નયનને નિચોવી;
મેં ટપકાવી જે બુંદ રૂપે રસેલી,
બની એ પ્રણયની અમરતાનું સ્મારક
લઇ તાજની સર્વ જાહોજલાલી.

જમાનાના ખાધેલ હૈયાને પૂછો,
અમે શું ગુમાવ્યું ને શું મેળ્વ્યું છે !
અમસ્તી નિછાવર નથી ‘શૂન્ય કીધી,
ફક્ત એક નજર પર યુગોની કમાણી !

અમે કો’ એકના થઇને સકળ બ્રહ્માંડ લઇ બેઠા
તમે પણ ‘શૂન્ય; થઇ જાઓ તો આ સૃષ્ટિ તમારી છે.

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું

દરદથી નીતરતી કવિતાને ખાતર,
ચહે છે બધા મુજને બરબાદ જોવા,
મલમની કરું ‘શૂન્ય’ કોનાથી આશા?
કે મિત્રો જ મારા જખમને ખણે છે.

માત્ર ઉલ્કાને જ અ ભિતી રહે છે રાતદિન,
જે હકીકતમાં સિતારા છે કદી ખરશે નહીં

પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.

મોતને કહી દો ન મૂકે હોડમાં નિજ આબરૂ,
‘શૂન્ય’ છે એ કોઇનો માર્યો કદી મરશે નહીં

એક ખોબો ઝાકળ

‘મરીઝ’ – ગુજરાતી ગઝલોના બાદશાહ, ગુજરાતના ગાલિબ.

નથી હું કહેતો કે સાચા વિવેચકો ન મળે
કલાને એના વફાદાર ચાહકો ન મળે
ભલેને ખોટા ટીકાકારો પણ રહે કાયમ
‘મરીઝ’ને જૂઠા પ્રસંશકો ન મળે

‘રમેશ પારેખ’ – ગુજરાતી કવિતાના ઇન્દ્રધનુષ.

આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ,
આ બાજુ કૂંપળ અવનવી ફુટવાની કથા છે !

કહેવાય છે કે આ બંને સર્જકોને એમના જીવનકાળ દરમ્યાન એ પ્રસિધ્ધિના મળી, કે જેના તેઓ ખરેખર હકદાર હતા. ગુજરાતી કવિતા અને ગઝલના વિશ્વમાં આ બંને નામ કાયમ બુલંદ સિતારા બનીને ઝળહળતા રહેશે, એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ સર્જકોની પ્રસિધ્ધિના આશયથી, તેમના જીવન અને તેમની ગુજરાતી ભાષા સાથેનો સંબંધ દર્શાવતા એક નાટક ‘એક ખોબો ઝાકળ’નું સર્જન કરવામાં આવ્યું. આ નાટકના લેખક, નિર્દેશક અને એક્ટર પણ છે ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા લેખક – કવિશ્રી શોભિત દેસાઇ. શ્રી દેસાઇ, નાટકના પ્રથમ ચરણમાં ‘મરીઝ’ અને બીજા ચરણમાં ‘રમેશ પારેખ’ ની ભૂમિકા કરી દર્શકો સમક્ષ ગુજરાતી સાહિત્યના ઇતિહાસના એક અભિન્ન અંગને જીવંત કરે છે.

શ્રી શોભિત દેસાઇના પોતાના બેનર ‘ચરિત પ્રોડકશન્સ’ હેઠળ ભજવાતા આ નાટકને મુંબઇ અને કલકત્તામાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. દરેક જગ્યાએ એકી કંઠે વખણાયેલા આ નાટકનું એક મોટુ જમા પાસુ એ પણ છે, કે દરેક શો પછી શ્રી રમેશ પારેખ અને મરીઝ ના પરિવારને Rs. 5000/- મોકલવામાં આવે છે.
મારા, અને ટહુકાના વાચકો તરફથી શ્રી શોભિત દેસાઇને આ પ્રકારનું અત્યંત પ્રશંસનીય કાર્ય કરવા બદલ હાર્દિક શુભેચ્છાઓ.
સાથે વાચકોને ખાસ વિનંતી : તક મળે તો આ નાટક જોવાનું ચુકશો નહીં

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છું
છૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છું
ક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકા
તમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું
– શોભિત દેસાઇ

( આ નાટક વિષે થોડી વધુ માહિતી ટુંક સમયમા ટહુકો.કોમ પર ઉપલબ્ધ્ધ થશે ) :

…. તો કવિ રમેશ પારેખ દસ વર્ષ વધુ જીવ્યા હોત !