Category Archives: કાવ્ય પઠન

મને ડેન્ચર આપો તો કૈંક બોલું – અનિલ જોશી

Well known Gujarati poet Shri Anil Joshi reciting his ‘gray laughter’ tinted poem/geet ‘મને ડેન્ચર આપો તો’ in a private bethak in London (28 July 2010).

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.

એકવાર દાંત પડી જાય પછી જીભના વળવા માંડે છે સા’વ લોચા;
પહેલા તો રોટલાની પોપટી ખાતો’તો, હવે ધાનને કર્યા કરું છું પોચાં,
ઓણ શિયાળે ગંડેરી ખાવાનો મોહ, કહો શેરડીના સાંઠા કેમ છોલું ?
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

પહેલા તો છોકરીને જોતા વેંત જ મારા હોઠમાંથી નીકળતી સીટી;
ચોકઠું પહેરી પહેરીને કાંઈ સીટી ન વાગે, પેઢાં બની ગયા છે દાંતની બે ખીંટીં,
હવેલીએથી આવ્યો છે ઠોરનો પરસાદ, એને જોતા વેંત આવી જતું ઝોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

પહેલાં તો દાંત ઉપર દુનિયા ઊંચકતો’તો, હવે સ્ટ્રેચરમાં ઊંચકે મને લોકો;
જીવતર આખુંય બહુ ભાષણ ઠોક્યાં, હવે શ્રોતા બનવાનો આવ્યો મોકો,
વાંસળી બનવાના ઘણા ફાંફાં માર્યા, પણ બની ગયો સાંબેલું પોલું.
મને ડેન્ચર આપો તો કૈંક બોલું.
‘ત’ ‘થ’ ‘દ’ ‘ધ’ નથી બોલી શકાતા, કહો વાણીના ભેદ કેમ ખોલું ?

– અનિલ જોશી

બહાર આવ્યો છું… – મનોજ ખંડેરિયા

આજે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મઝાની ગઝલ – એમના પોતાના અવાજમાં પઠન સાથે..!!

****

ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

તું મીંઢળ જેવો કઠ્ઠણ… – વિનોદ જોશી

મારું આ ખૂબ જ ગમતું ગીત – આમ તો ૪ વર્ષ કરતા વધુ સમયથી ટહુકો પર ગૂંજે છે..! (તમે સાંભળવાનું ચૂકી નથી ગયા ને? )
આજે ફરી આ ગીત – અને એ પણ એક મઝ્ઝાના બોનસ સાથે.. આ જ ગીત – કવિના પોતાના સ્વર અને સ્વરાંકન સાથે..! મને શિકાગોમાં આ ગીત વિનોદભાઇ પાસે તો સાંભળવા મળ્યું જ હતું – પણ મધુમતીબેને પણ એમના મધુરા સ્વરમાં આની એક રજૂઆત કરી હતી..!

ચલો.. વધુ પૂર્વભુમિકા વગર સાંભળો અને માણો આ મસ્ત ગીત..!

સ્વર અને સ્વરાંકન : વિનોદ જોશી

.

*******
Posted on July 26, 2006.

સ્વર : રેખા ઠાકર
સંગીત : સુધીર ઠાકર
RA2840

.

તું મીંઢળ જેવો કઠ્ઠણ.. ને હું નમણી નાડાછડી
તું શીલાલેખનો અક્ષર, ને હું જળની બારાખડી

એક આસોપાલવ રોપ્યો…
તેં આસોપાલવ ફળીયે રોપ્યો.. તોરણમાં હું ઝુલી
તું અત્તરની શીશી લઇ આવ્યો, પોયણમાં હું ખીલી

તું આળસ મરડી ઉભો.. ને હું પડછાયામાં પડી..
તું મીંઢળ જેવો કઠ્ઠણ….

એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું, તેં પૂજ્યા પરવાળા
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું, તેં પૂછ્યા સરવાળા

તું સેંથીમાં જઇ બેઠો, ને હું પાંપણ પરથી દડી
તું મીંઢળ જેવો કઠ્ઠણ…

– વિનોદ જોશી

આખા નગરની જલતી દીવાલોને… – મુકુલ ચોક્સી

Updated on September 27, 2010 – by Jayshree

April 2009 માં વિવેકના શબ્દોમાં એક ફિલ્મની કથા જેટલી Interesting વાત સાથે રજૂ થયેલ આ Lost and Found – મુકુલભાઇની ગઝલ – અને સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇનું સ્વરાંકન – આજે ફરી એકવાર સાંભળીએ..!! પણ હા – આજે સાથે એક બોનસ.. આ જ ગઝલ – કવિ શ્રી ના શબ્દોમાં પણ સાંભળીએ..!

ગઝલ પઠન – ડૉ. મુકુલ ચોક્સી

***************
Posted on April 29, 2009 – by Vivek

Mukul Choksi_Aakha nagar No jalti diwalo ne

(મુકુલ ચોક્સીની ગઝલ, શ્રી રાસબિહારી દેસાઈના હસ્તાક્ષરમાં)

(સ્વરાંકન તારીખ: ૦૫-૧૨-૧૯૯૯)

મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ જ ખોવાયેલી કૃતિ પણ ક્યારેક જનેતા કવિનું સરનામું અદભુત ‘ક્લાઈમેક્સ’ સાથે શોધી કાઢે છે… નથી માનવું ? તો આ વાંચો…

મુકુલભાઈ એમની ગઝલો વિશે જણાવે છે કે ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. મુકુલભાઈ આ વાતને સો ટકા પ્રામાણિક્તાથી જીવતા આદમી છે. લખાઈ હોય ત્યારે સંઘરવાનું ચૂકી જવાયું હોય એવી મુકુલભાઈની આ અલગારીવૃત્તિની બે ઘટના અમે જાણી છે. આવી રચનાઓના ચમત્કારિક પુનર્જન્મની વાત પણ એવી જ રોચક હોય છે.

પહેલી ગઝલ હોટલ તાજ, સુરતના ગાયકે ગાઈ હતી અને મુકુલભાઈ ઊછળી પડ્યા હતા જેના વિશે વિગતે આપ લયસ્તરો પર જાણી શકો છો. અને બીજી ગઝલ આજે એક્સ્લુઝિવલી ‘ટહુકો.કોમ’ના વાચકો માટે. બે દાયકા પહેલાં લખીને ભૂલી જવાયેલ એક ગઝલ રાસબિહારી દેસાઈએ નવનીત સમર્પણના એક અંકમાં વાંચી હતી અને ડાયરીમાં ટપકાવી લીધી હતી. પાંચેક વર્ષ પહેલાં અમદાવાદ ખાતે ‘સમન્વય’ કાર્યક્રમનું સંચાલન મુકુલભાઈ પોતે કરી રહ્યા હતા અને રાસબિહારી દેસાઈએ આ ગઝલ ગાવાની શરૂઆત કરી ત્યારે આફરીન પોકારીને મુકુલભાઈએ વચ્ચે જ પૂછ્યું, ઉસ્તાદ, આ કોની ગઝલ છે? રા.દે.ને લાગ્યું કે મુકુલભાઈ મજાક કરે છે એટલે એમણે પણ ગાયકીની વચ્ચે જ માઈક પર જ એલાન કર્યું કે આ મુકુલભાઈની જ જૂની ગઝલ છે અને મુકુલભાઈને પણ ખબર નથી… લોકોને વાતમાં મજા પડી પરંતુ હકીકત એ છે કે સમયની ગર્તામાં ક્યાંક ખોવાઈ ગયેલી આ ગઝલના ગેયતા અને શીઘ્ર પ્રત્યાયનક્ષમતા ધરાવતા જે ત્રણ શેર રા.દે.એ ગાયા હતા એ જ આજે મુકુલભાઈ પાસે બચ્યા છે…

પણ જયશ્રીની જમાદારી અને ફળસ્વરૂપે મારી ઉઘરાણીને વશ થઈ રા.દે.એ પોતાના હસ્તાક્ષરમાં મુકુલભાઈની આ ગઝલ મોકલાવી આપી છે એ આખી ગઝલ ટહુકો પર આજે પ્રકાશિત થયા પછી જ મુકુલભાઈને ‘સરપ્રાઈઝ’ ભેટ તરીકે આપવામાં આવશે… છે ને મનમોહન દેસાઈની ફિલ્મ જેવી ‘લૉસ્ટ એન્ડ ફાઉન્ડ’ વાત ?

ખોવાયેલી ગઝલ ક્યારેક આ રીતે પણ આવી મળે છે…

સ્વર – સંગીત : રાસબિહારી દેસાઇ

.

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

આજે કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિવસ… એમના સર્જનો થકી હજુ આપણી વચ્ચે ધબકતા રહેલા.. અને આવનારા અસંખ્ય વર્ષો સુધી ગુજરાતી પ્રજા વચ્ચે જે ધબકતા રહેશે – એમને ફરી એકવાર યાદ કરી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એમનું આ મઝાનું કૃષ્ણગીત – એમના પોતાના અવાજમાં, અને સાથે આશિતભાઇના કંઠે દક્ષેશભાઇનું અદ્ભૂત સ્વરાંકન..! (આમ તો ચાર વર્ષથી આ ગીત ટહુકો પર મૂક્યું હતું – પણ હમણા થોડા દિવસ પહેલા લયસ્તરો પર વાંચ્યું ત્યારે જ યાદ આવ્યું કે આનું સ્વરાંકન ટહુકો પર મુકવાનું બાકી જ હતું, તો હરીન્દ્રભાઇના જન્મદિવસે આ ગીત સ્વરાંકન સાથે ફરી લઇ આવી તમારા માટે..)

kaanuda

કાવ્ય પઠન – હરિન્દ્ર દવે

.

સ્વર – આશિત દેસાઇ
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ

.

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,

એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

ઋણાનુબંધ પાછો નીકળ્યો – ધૂની માંડલિયા

ગઝલ પઠન – ધૂની માંડલિયા

માછલી સાથે જ દરીયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
શોધવા પંખીને માળો નીકળ્યો.

હુંજ મારા ભાર થી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

આશરો કેવળ નદીને જે હતો,
એક દરિયો એય ખારો નીકળ્યો.

થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

આગીયાઓ ઉજળા છેકે પછી-,
વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.

– ધૂની માંડલિયા

ક્યાંસુધી લખવા ! – ડૉ. મહેશ રાવલ

ગઇકાલે ૪થી સપ્ટેમ્બર – મારા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવનાર દરેક મિત્રોનો હ્રદયપૂર્વક.. ટહુકાપૂર્વક આભાર..! અને હા ગઇકાલે જ ગઝલકાર શ્રી ડૉ. મહેશ રાવલનો પણ જન્મદિવસ હતો.. તો એમને એક દિવસ મોડી.. પણ જરાય મોળી નહીં એવી જન્મદિવસની ખૂબકામનાઓ સાથે માણીએ એમની આ ગઝલ… એમના જ અવાજમાં, અને એ પણ તરન્નુમ સાથે..!! 🙂

*********

ગઝલ પઠન – ડૉ. મહેશ રાવલ

સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા
અમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા !

બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

લખી’તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ
ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ
અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !

ન આપે સાથ જો સંજોગ તો, શું થઈશકે છેલ્લે ?
અને અમથાં ય, અંગતને જ ઘાતક ક્યાંસુધી લખવા !

જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ
છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

વરસતાં હોય છે વાદળ ગમે ત્યારે, ગમે ત્યાં જઈ
ન વરસે ક્યાંય, એવાં ડોળકારક ક્યાંસુધી લખવા !

– ડૉ. મહેશ રાવલ

સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો – વિનોદ જોષી

આજે કવિ શ્રી વિનોદ જોષીનો જન્મદિવસ..! એમને ખૂબ ખૂબ…શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ ખૂબ જ સુંદર, અને અમારું ખૂબ જ ગમતું ગીત..! વિનોદભાઇને પ્રત્યક્ષ સાંભળવા એ એક લ્હાવો છે, અને August ૬-૭ ના દિવસે શિકાગોવાસીઓની સાથે સાથે અમને પણ એ લ્હાવો મળ્યો – જે હંમેશનું સંભારણું રહેશે.

Happy Birthday Vinodbhai…. !!

કાવ્ય પઠન : કવિ શ્રી વિનોદ જોશી

.

સ્વર : પ્રગતિ ગાંધી અને કોરસ
સંગીત : કલ્પક ગાંધી
આલ્બમ : કાચ્ચી સોપારીનો કટકો

.

સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
કણબણ માગે ગલગોટો ને
કણબણ માગે ગલગોટો ને
કણબી દે ધતૂરો
સૂડી વચ્ચે સોપારી ને…..

તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.

આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,
ભોળું ભોળું હાંફે એને
ભોળું ભોળું હાંફે એને
પાલવમાં ઢબૂરો.
સૂડી વચ્ચે સોપારી ને…..

ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીઘેલી.

મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,
ચાવ્યો કાચો આંબલિયો ને
ચાવ્યો કાચો આંબલિયો ને
ચડ્યો રે ડચૂરો.
સૂડી વચ્ચે સોપારી ને…..

– વિનોદ જોષી

વૈદ મળ્યા – મધુમતી મહેતા

સ્વર: મધુમતી મહેતા

એક દિવસ હું ઝાંઝર પહેરી દર્શન કરવા હાલી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

બોલ્યા- દીકરી, દીસે તારો રઝળપાટનો કોઠો,
વિચારવાયુ વકર્યો એનો ચડ્યો કાગળે ગોટો;
લાગણીઓને મધુપ્રમેહ છે – કહ્યું લોહીને ચાખી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

વૈદ કહે કે નાડી તારી ચાલે મંડૂક ચાલ,
નીકળ્યા ચીલા ચાતરવા, પણ નથી ચાલમાં તાલ;
કેડી, કારણ, હાંફ, ગજુ – લે એક નજરથી માપી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

મસ્તકમાં વળ જાજા માથે તર્કતણી કરચલીઓ,
તારી અંદર બબ્બે તું છો, કરમી ને કદખળીયો;
ઝઘડાં મૂળથી કાઢે એવા ઓસડિયા દે વાટી,
રસ્તે જાતા વૈદ મળ્યા ને ખવડાવી ભાઈ ફાંકી.

-મધુમતી મહેતા

ભગવાન મહાવીર અને જેથો ભરવાડ –સૌમ્ય જોશી

કવિ અને નાટ્યકાર સૌમ્ય જોશીનું ખૂબ જ જાણીતું અને માનીતું આ અછાંદસ કાયમ મુશાયરામાં અને કવિ સંમેલનોમાં હજીયે ખૂબ્બ જ દાદ લઈ જાય છે… આ અછાંદસ વાંચવા માટેનું નથી, સાંભળવા માટેનું છે.  એટલે જ્યારે તમે પહેલીવાર આને સાંભળો, ત્યારે શબ્દો વાંચ્યા વિના માત્ર આંખો બંધ કરીને જ સાંભળજો… પછી અમને કહેજો કે તમને એ કેવું લાગ્યું.   :-)

mahavir-bharavaad

આ સ્યોરી કે’વા આ’યો સુ ને ઘાબાજરિયું લા’યો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
અવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય ને સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી, સાચ્ચેન.
અવે પેલાએ ખીલ્લા ઘોંચ્યા એ ખોટું કર્યું, હું યે માનું સું,
પણ એને ઓસી ખબર અતી કે તું ભગવાન થવાનો સ!
અને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો.
એનું તો ડોબું ખોવાઈ ગ્યું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલ્લા.
વાંક એનો ખરો,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
અવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ !
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછીયે તને ઈમ થ્યું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂસવા,
ઉં ખાલી એટલું કઉ’સું.
કે વાંક બેનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સે તારા આરસના,
એક પાઠ નહિં ઓય તો કંઈ ખાટુંમોરું નઈં થાય,
ને તો ય તને એવુ હોય તો પાઠ ના કઢાઈ, બસ !
ખાલી એક લીટી ઉમરાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ ગ્યો સે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો સે!

– સૌમ્ય જોશી