Category Archives: સંગીતકાર

હરિ તને – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર ,સ્વરાંકન : જયંતિ રવિ

.

સ્વર : રાસબિહારી દેસાઇ

.

હરિ તને શું સ્મરીયે આપણ જળમાં જળ સમ રહીયે
વણ બોલે વણ સાંભળીયે પણ મબલખ વાતો કરીયે
હરિ તને શું સ્મરીયે …

કોને કોના દર્શન કરવા કોનું ધરવું ધ્યાન
ચાલને એવું રહીયે જેવું લીલાશ સાથે પાન
હું પાણી, તું દરીયો એમાં શું બુડીયે શું તરીયે!
હરિ તને શું સ્મરીયે …

પાંખોને પીંછાથી ગણવી કેમ કરીને જુદી
હું થી તું અળગો છે એવી વાત ક્યહીંથી સુઝી
કોને જોડું હાથ, ચરણમાં કોના જઈને પડીયે!
હરિ તને શું સ્મરીયે

– ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

જળને ઝીલો – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : પાયલ આશર
સ્વરાંકન : કે. સુમંત

.

આ ઝરમર ઝરમર ઝરી રહ્યા તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો

આ એક જ ટીપું આખેઆખા સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલા છે નાચી ચોકરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ કણ લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉંમર પદવી નામ ઘૂંટાયા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

મહેર કરી છે મહારાજે મોટું મન
રાખી ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

દરિયાની છાતી પર -ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર :ડો. કેદાર ઉપાધ્યાય
સ્વરાંકન : કેદાર અને ભાર્ગવ

.

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે
સમદરને પાર જેનાં સરનામાં હોય એવાં વણજાણ્યા નામ છીએ આપણે

હોવું તો વાદળિયાં શ્વાસ જેવી વાત જેની ધરતીને સાંપડી સુગંધ
આપણેતો કલબલનો એવડો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ
સમદરની છોળ જેમ સમદરમાં હોય એવો આપણો મુકામ છીએ આપણે

પાંખમાં ભરીને ચાલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ
ભાંગતા કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ
માળાના હોય નહીં આપણને સાદ સાવ ટૂંકા રોકાણ છીએ આપણે
-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

ગોકુળ વ્લેહેરા પધારજો રે – નરસિંહ મહેતા

સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: ભાવના દેસાઈ

.

ગોકુળ વ્લેહેરા પધારજો રે.
હે મથુરા રે જાઓ તો મારા સમ
હો મારા લાલ, કે ગોકુળ વ્હેલેરા પધારજો

રથ જોડીને અક્રુર આવિયા
હે મને દુ:ખડિયાનો દેનાર
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

ઓ જાય(૨) રથ રે મારા નાથનો રે લોલ
હે માંહે બેઠા હળધરવીર લાલ
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

આગળ રાધાજી ઉભાં રહ્યાં ને
મારા હ્રુદિયા પર રથ હાંકો લાલ
મહેતા નરસૈંનો સ્વામી શામળાને
વ્હાલે રમાડ્યા રાસ રે
મ્હારે વ્હાલે રમાડ્યા રાસ રે
– નરસિંહ મહેતા

બંધ આંખે જાગવાની વાત કર – જયંત ઓઝા

સ્વર : ભાવના નયન ,વડોદરા
સ્વરાંકન : ડો. પ્રભાતદેવ ભોજક (વડોદરા)

.

બંધ આંખે જાગવાની વાત કર,
સ્વપ્ન પાછાં માંગવાની વાત કર.

કંટકો તો કોઇ સાચવતું નથી,
ફૂલને તું ત્યાગવાની વાત ક૨.

શબ્દનાં પુષ્પો તો સૌ વેરી શકે,
મૌનથી શણગારવાની વાત કર.

હાથને પણ જે હલેસાં માનતો,
કોઇ એવા ખારવાની વાત કર.

ચંદ્રની ઠંડક તો જગજાહેર છે,
સૂર્યને તું ઠારવાની વાત કર.
– જયંત ઓઝા

આંખોમાં છલકતો કૈફ હશે – અમર પાલનપુરી

આલ્બમ: હવે બોલવું નથી
ગાયક અને સ્વરકાર : હરીશ સોની

.

આંખોમાં છલકતો કૈફ હશે,હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું,પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

મેં લાખ ગુનાઓ કીધાં છે,પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે,પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હું તુજને કરી દઉં માફ ભલે,પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને,એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..

હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’,હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો,આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….
~ અમર પાલનપુરી

મોજમાં રેવું, મોજમાં રેવું – ‘દાન અલગારી’

ગુજરાતી લોક સંગીત અને ગુજરાતી સાહિત્યના કવિઓ અને કલાકારોએ માત્ર લોકોને મનોરંજન આપવા માટે કામ નથી કર્યુ, પરંતુ કાયમ સમાજને પોતાના સર્જનથી એક સંદેશ આપ્યો છે. ચારણી સાહિત્યના ઉપાસક અને લોક સાહિત્યના એક ખૂબ જ વિદ્વાન કવિ એટલે કવિશ્રી તખદાન ‘અલગારી’. લોકોના હૃદયને સ્પર્શે એવી અનેક રચનાઓ આપી અને ઘણી રચનાઓ ખૂબ જ લોકપ્રિય બની જેમાની એક રચના એટલે કે, “મોજમા રે’વુ”. જાણેકે જીવન જીવવાનો સરળ ભાષામાં એક મંત્ર આપી દિધો હોય એવું ગીત. આ રચના છેલ્લા અનેક દાયકાઓથી ડાયરાના મંચ ઉપર ગવાય છે અને પરમ પુજ્ય મોરારી બાપુ પણ આ રચનાને ઘણી વખત વ્યાસપીઠ ઉપરથી પોતાની કથામા ગાય છે.

પણ, આવી અમુલ્ય રચનાઓ જો માત્ર જુની પેઢી સુધી જ રહેશે અને નવી પઢીને આવા જીવન જીવવાના મંત્ર જેવી અને લોક સંગીતના હીરા જેવી રચનાઓ નહીં મળે તો આ નવી પઢીને અને આપણા ગુજરાતના સંગીત, સાહિત્ય અને સંસ્કૃતીને ખૂબ મોટુ નુકસાન પહોંચશે. અને એટલા જ માટે હું આદિત્ય ગઢવી આ ગીતને નવી પેઢીના મારા યુવાનો સાંભળી, સમજી અને માણી શકે એટલે એને એક નવા અંદાજમા લઇને આવ્યો છું.

માત્ર ઓડીયો જ નહીં પણ વીડીયોમાં પણ એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે અમે લોકોએ. જીવનમાં માણસને એવી વિકટ પરસ્થિતીઓમાં ઈશ્વર મુકે છે કે જ્યારે તે પોતાના જીવનનો અંત કરવાનો વિચાર કરે છે. જીવનની કોઇ પણ પરિસ્થિતી માણસના મનમાં આ વિચાર ન લાવવી જોઇએ અને એ પરિસ્થિતીમાંથી બહાર નિકળવાની એનામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઇએ. જેમ ખૂબ દબાણથી કોલસામાંથી હીરો બને, સોનામાંથી દાગીના બનાવવા જેમ એને ખૂબ તપાવવું પડે અને જેમ એક બીજમાંથી એક મોટું વટ્ટવૃક્ષ જન્મે છે એમ જ માણસ પણ સંઘર્ષ અને દુ:ખ સહન કરીને જ મહાન બને છે અને સાચું જીવન જીવ્યો ગણાય છે.
– આદિત્ય ગઢવી

સ્વર: આદિત્ય ગઢવી

.

મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે…
મોજમાં રેવું…

કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે,
આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે,
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે…
મોજમાં રેવું…

કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે,
મરવું જાણે મરજીવા ઇ તો રમતા તાલે રે,
એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે…
મોજમાં રેવું…

લાય લાગે તોય બળે નઈ એવા કાળજા કીધાં રે,
દરિયો ખારો ને વિરડાં મીઠો દાખલા દીધા રે,
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે…
મોજમાં રેવું…

સંસાર ખોટો કે સપનું ખોટું સૂજ પડે નઈ રે,
આવા યુગ વીત્યા ને યુગની પણ જુવો સદીયું થઈ ગઈ રે,
મોટા મરમી પણ એનો મરમ ન જાણે કૌતુક કેવું રે…
મોજમાં રેવું…

ગોતવા જાવ તો મળે નઈ ગોત્યો ગહન ગોવિંદો રે,
હરિ ભગતું ને હાથ વગો છે પ્રેમનો પરખંદો રે,
આવા દેવને દિવો કે ધૂપ શું દેવો દિલ દઈ દેવું…
મોજમાં રેવું…

રામ કૃપા અને રોજ દીવાળી રંગના ટાણાં રે,
કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે,
કીએ અલગારી આળસુ થઈ નવ આયખું ખોવું રે…
મોજમાં રેવું…

મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે,
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે…
મોજમાં રેવું…

-તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’

તરછોડ્યો જયારે આપે – અમર પાલનપુરી

સ્વર : આલાપ દેસાઈ

.

આલ્બમ: હવે બોલવું નથી
ગાયક અને સ્વરકાર : હરીશ સોની

.

તરછોડ્યો જયારે આપે, હસવાનું મન થયું
બોલાવ્યો જયારે આપે, રડવાનું મન થયું

ખોળામાં જયારે આપના, માથું મૂકી દીધું
સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું

દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે
નહિતર ફરી કાં આપને મળવાનું મન થયું

ડૂબ્યો નથી અમરને, ડૂબાડ્યો છે કોઈએ
નહિતર કાં એની લાશને તરવાનું મન થયું
– અમર પાલનપુરી

પરમ પ્રેમ પરબ્રહ્મ – ન્હાનાલાલ કવિ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

પરમ પ્રેમ પરબ્રહ્મ

માત પ્રેમ, તાત પ્રેમ, પુત્ર પ્રેમ, પુત્રી પ્રેમ
દંપતિના દેવ પ્રેમ, પ્રેમ છે સંસાર સાર
પરમ પ્રેમ પરબ્રહ્મ

દયા પ્રેમ, દાન પ્રેમ, ભક્તિ પ્રેમ, જ્ઞાન પ્રેમ
યોગ પ્રેમ, મોક્ષ પ્રેમ, પ્રેમ છે સંન્યસ્તાધાર
પરમ પ્રેમ પરબ્રહ્મ

સ્થૂલ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ, વિશ્વ કેરો મન્ત્ર પ્રેમ
સૃષ્ટિનો સુવાસ પ્રેમ, પ્રેમ તેજ કેરો પાર
પરમ પ્રેમ પરબ્રહ્મ

આત્મનો વિકાસ પ્રેમ, જીવન પ્રકાશ પ્રેમ
પ્રેમ-પ્રેમ, સર્વ પ્રેમ, પ્રેમનો આ પારાવાર
પરમ પ્રેમ પરબ્રહ્મ
– ન્હાનાલાલ કવિ

પ્રેમની પીડા તે કોને કહીએ – દયારામ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર : અમર ભટ્ટ

.

પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર પ્રેમની પીડા તે કહીએ
થાતાં ન જાણી પ્રીત,જાતાં પ્રાણ જાયે
હાથનાં કર્યા તે વાગ્યાં હૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા

જેને કહીએ તે તો સર્વે કહે મૂરખ
પસ્તાવો પામીને સહી રહીએ રે …ઓ મધુકર પ્રેમની પીડા

દયા પ્રભુ આવે તો તો સદય સુખ થાય
મુને દુઃખ દીધું એ નંદજી ને છૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા
-દયારામ