વર્ષો પહેલા વિદેશથી આવીને હવે આપણા ગુજરાતી સાહિત્ય – ગુજરાતી સંગીત જગતનું અભિન્ન અંગ બની ગયેલો કાવ્ય-પ્રકાર એ – ગઝલ. કશે એવું સાંભળ્યા/વાંચ્યાનું યાદ છે કે – એક હિન્દી/ઉર્દુ ભાષાના શાયરે એવી ટકોર કરી હતી કે જે કક્ષાની ગઝલો ગુજરાતીમાં લખાય છે, એટલી ઉંચી કક્ષાની ગઝલો તો હવે હિન્દી/ઉર્દુમાં પણ નથી લખાતી..!
આજે માણીએ –
ગુજરાતી કવિતા અને ગઝલ ક્ષેત્રે જેમનો જુદો અવાજ છે, તે કવિ – શ્રી રાજેન્દ્ર શુક્લ!
એ લખે કે –
જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!
રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!
જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.
આ કવિની એક ગઝલ આજે સ્વરકાર શ્રી અમર ભટ્ટના અવાજમાં સાંભળીએ.
એક ને એક જ સ્થળે મળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પીંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
હેત દેખીને ભલે હળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
પાંચ ભેળા સાવ શેં ભળીએ અમે? હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
ઉભરાવું હોય તો શમવું પડે, ઉગીએ જો તો જ આથમવું પડે
મેરું ચળતાયે નહીં ચળીયે અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
કંઇક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઇ આ ઢોલિએ
ક્યાંથી મળીએ કો’કને ફળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ
સ્વપન જેવું શીદ સળવળીએ અમે, હોઇએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે
ભાવનગર સ્થિત યુવા ગઝલકાર પ્રા. હિમલ પંડ્યા ની ગુજરાતી ગઝલોના ઓડિયો આલ્બમ ‘એવું લખ હવે’ નું તા. ૨ જુલાઈ ના રોજ કવિશ્રી અંકિત ત્રિવેદી ના હસ્તે વિમોચન થનાર છે. (સ્વરાંકન – પ્રણવ મહેતા, સ્વર – ડો. ભાવના મહેતા, સંગીત સંચાલન – નીરવ પંડ્યા તથા જ્વલંત ભટ્ટ, રેકોર્ડીંગ – સુનીલ પંડ્યા).
આલ્બમના વેચાણની તમામ આવક ‘પોલીયો નાબૂદી’ ના સેવાકાર્ય માટે ઉપયોગમાં લેવાનાર છે.
ભીતરે અંકાય એવું લખ હવે, લાગણી વંચાય એવું લખ હવે;
શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે, પાંપણો ભીંજાય એવું લખ હવે;
નફરતોની આ નદી પર પ્રેમનાં, સેતુઓ સર્જાય એવું લખ હવે
કોઈ એને સાંભળી ઝૂમી ઉઠે, કોઈ એને ગાય એવું લખ હવે;
*****************
ફરીથી ઉદાસીની મોસમ મળી છે,
હવામાં ય ગમની લહેરો ભળી છે;
ગમા-અણગમાની હવે વાત કેવી?
હતી જે પીડા, એ જ પાછી મળી છે;
*******************
એક જ ટીપામાં હો જાણે સાત સમંદર!
એવાં ઝંઝાવાત હજુ હૈયાની અંદર;
આ પહેલા ઊર્મિના જન્મદિવસે રજૂ કરેલી ગઝલ तेरे जाने के बाद – ની જોડીદાર એવી આ ગઝલ तेरे आने के बाद – અને આજનો દિવસ પણ ખાસ છે – આજે વ્હાલી ઊર્મિની વેબસાઇટ – ઊર્મિસાગર.કોમ નો પાંચમો જન્મદિવસ..!
વ્હાલા ઊર્મિબેન… Happy Birthday to UrmiSaagar.com
(સ્વપ્ન ટોળે વળે… 11 મે 2008)
*
ટહુકો થૈ ગ્યા
હરેક શ્વાસ, तेरे
आने के बाद !
*
આખું નભ પગ તળે तेरे आने के बाद,
ને બધું ઝળહળે तेरे आने के बाद.
સાવ ઉજ્જડ હતું એ બધું મઘમઘે,
પાનખર પણ ફળે तेरे आने के बाद.
કાળી ભમ્મર હતી રાત એ ઝગમગે,
સ્વપ્ન ટોળે વળે तेरे आने के बाद.
આજે હરીન્દ્ર દવેની આ ઘણી જ જાણીતી ગઝલ – none other than પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સ્વરાંકન સાથે..! અને હા – ટહુકો ને જેમણે ઘણા ટહુકાઓ ભેટ આપ્યા છે – એવા એક ખાસ મિત્ર અને PUના એક મોટ્ટા ચાહકને – એમના જન્મદિવસે આ ભેટ આપણા તરફથી..! Happy Birthday, K ભાઇ! 🙂
સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.
વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.