Category Archives: હરીન્દ્ર દવે

તમે થોડું ઘણું સમજો તો સારું… – હરીન્દ્ર દવે

સ્વર : રેખા ત્રિવેદી
સ્વરકાર – ?

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

તમે થોડું ઘણું સમજો તો સારું
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારુ
વહેતા વાયરાને કેમ કરી વારુ

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ
એની અણધારી ચોટ ઉરે લાગી
જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી
એની ભ્રમણામાં રાતભર જાગી
ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ — તમે થોડું

આપણી તે મેડીએ રે આપણ બે એકલા
ને ફાવે તેવી તે રીતે મળજો
મોટા નાનામાં મારે નીચા જોણું છે
રહો અળગા કે વાટ ના આંતરજો
મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ — તમે થોડું

અર્ઝ કિયા હૈ : પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા… – હિતેન આનંદપરા

મુંબઇના સમાચાર પત્ર – મિડ ડે – માં ૧૮મી સપ્ટેમ્બરના દિવસે ‘સેટર ડે સ્પેશિયલ’ ના ‘અર્ઝ કિયા હૈ’ વિભાગમાં છપાયેલો આ લેખ અહીં તમારા માટે – અક્ષરસ: ..!! આશા છે કે હિતેનભાઇની કલમે ફરી હરીન્દ્ર દવેને માણવાની આપને મઝા આવશે.

સંવેદનાથી સભર-સભર સર્જક અને સજાગ રહીને અગ્રલેખોને અજવાળનાર તંત્રી સ્વ. હરીન્દ્ર દવેનો આવતી કાલે જન્મદિવસ છે. થ્રી ચિયર્સ હરીન્દ્ર દવે. તમારા શેરોથી અખબારના આ પાનાને આજે લીલુંછમ થવું છે.

બધાં દ્રશ્યો અલગ દેખાય છે, એ ભેદ સાદો છે
હું દેખું છું વિમાસણમાં, તમે દેખો છો સંશયથી
જવું છે એક દી તો આજ ચાલ્યો જાઉં છ મિત્રો!
હું મહેફિલમાં નથી આવ્યો ટકી રહેવાના નિશ્ચયથી

છતાં આ નિશ્ચયની વિરુધ્ધ હરીન્દ્રભાઇ અઢળક ચાહકોની સ્મૃતિમાં ધબકી રહ્યા છે. લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલાં ‘રજકણ સૂરજ થવાને શમણે’ અને ‘રૂપલે મઠી છે સારી રાત રે સજન’ ગીત હજી રેડિયો ફ્રીક્વન્સીને તરંગિત કરે છે. ‘ચાલ વરસાદની મોસમ છે વરસતા જઇએ’ ગઝલ વરસાદને ભીનાશ પહેરાવીને બાલ્કનીમાં બોલાવે છે. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ લોકગીત થઇ ચુક્યું છે. બીજા એક સદાબહાર ગીતને આ રીતે બિરદાવી શકાય : ‘માધવ ક્યાંક નથી મધુવનમાં’. મરણ સર્જકને છીનવી શકે, સર્જનને નહીં.

તંત્રી તરીકે જગતભરની ઘટનાઓનું અવલોકન આવા બારીક શેર તરફ કવિને દોરી જાય છે.

એવું, કશુંય ક્યાં છે, જે જીતી નથી જક્યો
ને જઇ રહ્યો છું જગથી સિકંદર થયા વિના

દરેક જણ પાસે નાની-નાની જીતનો આનંદ હોય છે. એક ડગલું આગળ જઈને મેળવેલી જીત ભલે સિકંદરની સરખામણી ન કરી શકે, પણ અરીસામાં આપણો ચહેરો જોઈને સંતોષનું એક સ્મિત તાગવા માટે પૂરતી છે. આપણા હોવાપણા માટે આ જીત એટલી જ જરૂરી છે જેટલી જરૂરી છે પ્રીત.

એ કઇ રીતે ટકે છે મને ના સમજ પડે
આ પ્રેમની ક્ષણોને તો આધાર પણ નથી

સમયના પ્રવાહમાં ટકી જતો પ્રેમ આપણને ટકાવી રાખે છે. પ્રેમમાં સત્ય અને સાતત્ય બન્ને જોઈએ. પ્રેમ આપણી સમજણ કરતાં વધારે પુખ્ત અને આપણી શ્રધ્ધા કરતાં વધારે સમૃધ્ધ હોય છે. એને ખબર છે કે રોમાંચની ગલીઓ રગદોળીને અંતે કઈ ગલીમાં પગલીઓ પાડવાની છે.

આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ
વાતો શરીરની કરી આત્મા સુધી ગયા

પ્રેમના હજારો રંગ છે. કોઇ રંગ રોમાંચનો તો કોઇ રંગ વિષાદનો, કોઇ રંગ મિલનનો તો કોઇ રંગ વિરહનો, કોઇ રગ સમીપનો તો કોઇ રંગ ક્ષિતિજનો, કોઇ રંગ અપેક્ષાનો તો કોઇ રંગ ઉપેક્ષાનો…

એય હશે પ્રણયના જમાનાનો એક રંગ
તું ઝંખતી હશે, મને ચાહત નહીં રહે

જેનું સાંનિધ્ય પામવા માટે તરસતા હોઇએ તેનો સહવાસ ન ગમે એવું બને? તાજા કુમળા વર્ષો પછી મૂરઝાવા લાગે ત્યારે કસોટીની શરૂઆત થાય છે. જીવન એકમાંથી અનેક તરફ ફંટાય, સાંજ પડે ને ઘરે ઉતાવળે પાછો વળતો પગરવ હવે કામ પતાવવાની વેતરણમાં હોય. કામની સાથે-સાથે અંદર રહેળી જિજીવિષા પણ પતતી જાય. ફરજના ઘરમાં ચાહતે નૉક કરીને પ્રવેશવાની પરવાનગી માંગવી પડે.

તારું તો એકે કામ ન કરવા મળ્યું અહીં
થાકી ગયો જગતના ઘણાં કામકાજથી

દુનિયા આપણી સાથે ડીલ કરે ત્યારે એનાં આગવાં સમીકરણો હોય છે. તમે કામના માણસ હો તો તમારી ટ્રીટમેન્ટ જુદી. હું તો બસ ફરવા આવ્યો છું ની જેમ ધ્યેયવિહીન મળવા આવો તો તમારી ટ્રીટમેન્ટ જુદી. સમય બદલાય ત્યારે ભલભલા બદલાઈ જાય છે.

એ બધાએ મળી કીધું કે જગ્યા ક્યાં છે હવે?
જેને જેને મેં જગતમાં જગ્યા કરી આપી

સારા માણસો માટે પર્યાય એ જ છે કે સારું કરીને ભૂલી જવું. ડગલે ને પગલે ઠેસ તૈયાર ઊભી હોય છે. નજર ચૂક્યા કે વાગી જ સમજો.

ઠોકર ફરી મળી, ફરી શ્રધ્ધા શરૂ થઇ
લ્યો, પાછી મારી વૃધ્ધ અવસ્થા શરૂ થઇ

ઠોકરો ફરી-ફરી ખાવાની ભલમનસાઈ રાખનારને દુનિયા મૂર્ખ ગણે છે. ગહેરી સમજણ ગુનાઓ માફ કરે છે, કારણ કે એ દૂરનું જોઈ શકે છે.

આકાશની સીમાઓ ખતમ થાય છે જ્યહીં
ત્યાંથી શરૂ જે થાય, એ મારા વિચાર છે.

*******

ક્યા બાત હૈ!

મને ચમત્કારોમાં શ્રધ્ધા છે. લીલું તરણું ધરતીની માટી તોડીને ઊગે એનાથી મોટો ચમત્કાર ક્યો હોઈ શકે? હિમાલયનાં શિખરો પર પ્રભાતનાં કિરણો સોનાની માફક પથરાઇ જાય એય એક ચમત્કાર છે. નદીમાં તણાતા પર્ણને વળગેલી કીડી એવો જ મોટો ચમત્કાર છે.

પુષ્પો પ્રત્યેનો પ્રત્યેક પરિચય એક નવો અનુભવ છે. જીવાતા જીવનની ક્ષણ ચમત્કાર જ છે. એ ક્ષણ દુન્યવી અર્થમાં સુખ લાવે કે દુ:ખ લાવે, નર્યા વિસ્મયનો પ્રદેશ તો એમાં જ હોય છે. હવે પછીની પ્રત્યેક ક્ષણ પુસ્તકનાં ન વાંચેલા પાનાં જેવી છે. બરાબર આ જ રીતે કવિતાનો કોઇ પણ શબ્દ મારા માટે ચમત્કાર છે.

– હરીન્દ્ર દવે.

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે – હરીન્દ્ર દવે

આજે કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિવસ… એમના સર્જનો થકી હજુ આપણી વચ્ચે ધબકતા રહેલા.. અને આવનારા અસંખ્ય વર્ષો સુધી ગુજરાતી પ્રજા વચ્ચે જે ધબકતા રહેશે – એમને ફરી એકવાર યાદ કરી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે આજે માણીએ એમનું આ મઝાનું કૃષ્ણગીત – એમના પોતાના અવાજમાં, અને સાથે આશિતભાઇના કંઠે દક્ષેશભાઇનું અદ્ભૂત સ્વરાંકન..! (આમ તો ચાર વર્ષથી આ ગીત ટહુકો પર મૂક્યું હતું – પણ હમણા થોડા દિવસ પહેલા લયસ્તરો પર વાંચ્યું ત્યારે જ યાદ આવ્યું કે આનું સ્વરાંકન ટહુકો પર મુકવાનું બાકી જ હતું, તો હરીન્દ્રભાઇના જન્મદિવસે આ ગીત સ્વરાંકન સાથે ફરી લઇ આવી તમારા માટે..)

kaanuda

કાવ્ય પઠન – હરિન્દ્ર દવે

.

સ્વર – આશિત દેસાઇ
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ

.

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા
આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં
ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા,

એના હોઠ બે બિડાયા હજી તોરે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી
હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું
કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદને કહો રે
કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ… – હરીન્દ્ર દવે

યાદ છે આ ગીત? ત્રણ વર્ષ પહેલા ટહુકો પર મુકેલું ત્યારે જ કહ્યું’તું ને કે આનું સ્વરાંકન થયું હોવું જ જોઇએ.. આવું મઝાનું ગીત સ્વરકારોની નજરોથી બચીને રહી જાય એમ બને?

લ્યો ત્યારે… આજે લઇ આવી તમારા માટે આ મઝાના ગીતનું એટલું જ મઝાનું સ્વરાંકન… અને એ પણ સ્વરકાર શ્રી પરેશ ભટ્ટના પોતાના અવાજમાં.!! ગીત સાંભળીને તમારો છેલ ના યાદ આવે (ભલે ને બાજુના રૂમમાં બેઠો હોય કે ઓફિસે ગયો હોય કે બહારગામ…) તો કહેજો.!!

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

.

————-
Posted October 7, 2007.

લજ્જાળા છેલને અહીં નાયિકા કેવું ખુલ્લેઆમ કહે છે કે આંકડિયા ભીડી લે, ભલે ને કોઇ ભાળે… આ મઝાનું ગીત કોઇએ સ્વરબધ્ધ કર્યું છે? કર્યું જ હોવું જોઇએ… વાંચતા વાંચતા જ ગવાઇ જાય એવો મઝાનો લય છે..!

indian_painting_QA48_l

માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ
આમ અળગો અળગો તે શીદ ચાલે,
આંકડિયા ભીડી લે લજ્જાળા છેલ !
ભલે એકલદોકલ કોક ભાળે…

મૈયરનો મારગડો મેલી દીધો છે હવે
મોકળું મૂકીને મન ફરીએ,
આંખનો હિલોળે ઝૂલી લઇએ વ્હાલમ,
થોડું નેહના નવાણ મહીં તરીએ;

સાંજ ક્યાં નમી છે ? હજી આટલી ઉતાવળ શું ?
વેળ થ્યે લપાઇ જાશું માળે…

હમણા વંકાશે વાટ સાસરિયે જાવાની
થંભી જશે થનગનતી પાની,
નીચાં ઢાળીને નેણ ચાલીશું રાજ
અમે લાજ રે કાઢીશું વ્હેતા વા’ની;

મોકો મળે તો જરા ગોઠડી કરશું
ચોરી છૂપીથી આંખડીના ચાળે…

નેજવાંની છાંય તળે… – હરિકૃષ્ણ પાઠક

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો,
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તો ય ફૂલ જેમ ખૂલ્યું છે મન.

આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!

છોગાની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયલું ગવન.

ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ.
કંકુનાં પગલામાં મ્હોરી ગૈ વાત
જેને રાખી’તી માંડ માંડ ચૂપ !

શમણાંને સાદ કરી હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગન.

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન.

– હરિકૃષ્ણ પાઠક

————
કવિ શ્રી હરીન્દ્ર દવે ના શબ્દોમાં આ ગીત વિષે:

કવિ ઓગ્ડેન નેશે વૃધ્ધાવસ્થા વિશે સરસ વાત કહી હતી : જ્યારે તમારા મિત્રો કરતાં તમારા પુત્ર-પૌત્રાદિકોની સંખ્યા વધે ત્યારે પ્રૌઢાવસ્થા પૂરી થાય છે અને વૃધ્ધાવસ્થા શરૂ થાય છે.

વૃધ્ધાવસ્થાએ ઘણા કવિઓને વિષય પૂરો પાડ્યો છે. અહીં કવિ બુઢાપાને નેજવાની છાંય હેઠળ બેઠેલો કલ્પે છે અને કહે છે : કાયા પર કરચલીઓ પડી ગઇ છે, પણ મન ફૂલની માફક ખીલી ઊઠ્યું છે. બુઢાપો નેજવાની છાંય તળે બેઠો છે એવી કવિની કલ્પના હાથનું નેજવું કરી દૂર તાકી રહેલા કોઇ વૃધ્ધની છબી આપોઆપ ઉપસાવી દે છે.

ગઇ કાલ જે વીતી ગઇ છે – એનાં સ્મરણો, એ વૃધ્ધાવસ્થાનો સૌથી મોટો સંકેત છે. કોઇએ કહ્યું છે કે આયુષ્ય લાંબુ કે ટૂંકું નો નિર્ણય વરસોના આધારે નહીં પન સ્મરણોના આધારે કરી શકાય છે. શૈશવ ઝડપથી વીતી જાય છે કારણ કે એને કોઇ જ સ્મરણો હોતાં નથી. જ્યારે વૃધ્ધાવસ્થા ખૂબ જ લંબાતી હોય એમ લાગે છે કારણ કે એ સ્મરણોથી સભર હોય છે.

એટલે જ વૃધ્ધાવસ્થાનું મન ઝાડ જેમ કોળતું કવિ બતાવે છે; ઝાડનાં મૂળ ઊંડા હોય છે એ રીતે વૃધ્ધાવસ્થાનાં સ્મરણોનાં મૂળ પણ ઊંડા હોય છે.

આ કાવ્યના નાયક વૃધ્ધને ઘેર લગ્નનો અવસર છે; લગ્નના તોરણ બંધાયા ત્યારે એને પોતાના લગ્નનું સ્મરણ થાય છે. આ સ્મરણ એકી સાથે સુખદ અને દુઃખદ બને છે. વીતેલી ગઇકાલ જાણે નવો શણગાર સજીને આવી હોય એવું લાગે છે. પણ ગઇ કાલના શણગારમાં જે પાત્ર પોતાની સાથે હતું એનું અસ્તિત્વ નથી; એટલે જ માથે છોગું શોધવા ઊંચો થયેલો હાથ જ્યારે ભોઠોં પડી પાછો ફરે છે, ત્યારે ખોવાયેલા ગવનની ખોજ શરૂ થાય છે. અને આ શોધ સાથે કૈંક સુખદ પરિસ્થિતિ સંકળાઇ છે; કંકુપગલે ઘરમાંથી વિદાય થતી પુત્રીનાં પગલાંમાં એની માતાનું સ્મરણ સંકળાઇ ગયું છે.

કવિ મનસ્થિતિને વાચા આપવા માટે ઝાઝા શબ્દો નથી વાપરતા – એક જ શબ્દ એમને માટે બસ થઇ પડે છે. એક ઘૂંટ ભરીને ‘ગગન’ પીએ છે, આખા આકાશને જાણે કે પોતાની ઘૂંટમાં સમાવવા ઇચ્છતો હોય એ રીતે વૃધ્ધ ઊંડો શ્વાસ લે છે.

સ્મરણોનું એક આખું યે આકાશ મુખ્ય નાયકના અંતરમા હુક્કાની ઘૂંટની સાથે પ્રવેશે છે, અને વાચકના અંતરમાં પણ એ સાથે એક અનુભૂતિનું આકાશ ઊઘડે છે.

વૃંદાવન – હરીન્દ્ર દવે

કવિ શ્રી હરીન્દ્ર દવે પોતાની અનુભૂતિના કૃષ્ણ માટે લખે છે:

કૃષ્ણે મારા જીવનમાં ક્યારે પ્રવેશ કર્યો એ યાદ નથી. પહેલી કૃષ્ણકવિતા ક્યારે લખી એ પણ સ્મરણ નથી. પરંતુ કૃષ્ણની પ્રથમ અનુભૂતિ અને એ અનુભૂતિમાંથી કયું કાવ્ય પ્રથમ આવ્યું એ બરાબર યાદ છે. ૧૯૫૫ના વરસમાં પબ્લિક સર્વિસ કમીશન દ્વારા યોજાયેલા નોકરીના ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જવાનું થયું. ત્યાંથી એ વેળાના મુંબઇ રાજ્યના માહિતી ખાતાના કાર્યકરો શ્રી મોતીલાલ દૈયા અને શ્રીમતી હીરાબહેનના સંગાથે મથુરા-વૃંદાવન જવાનું થયું. વ્રજ, ગોકુળ વગેરે સ્થાનો વિશે મનમાં જે ચિત્ર હતું એ થોડી ક્ષણો માટે રેળાઇ જતું લાગ્યું. ‘આ એ જ હશે વૃંદાવન ?’ નો પ્રશ્વ ત્યારે મનમાં જાગ્યો. વ્રજની ભૂમિમાં કૃષ્ણ છે અને નથીની અનુભૂતિ એક સાથે ત્યારે અનુભવી હતી.
– હરીન્દ્ર દવે ( “મારગે મળ્યા’તા શ્યામ” માંથી સાભાર – પાના નં ૫ )

(આ એ જ હશે વૃંદાવન?    …………..       Photo: Webshots)

સ્વર – સંગીત : ??

.

આ એ જ હશે વૃંદાવન

એક સમે જ્યાં કૃષ્ણરાધિકા
કરતાં આવનજાવન?

આ કુંજગલી શું એ જ
કેલી જ્યાં કરતાં નિશદિન કા’ન?
આ એ જ સરિતજલ, કાલિયનાં
જ્યાં ઊતર્યા’તા અભિમાન?

પ્રભુને પગલે પગલે થઈ’તી
આ જ ભૂમિ શું પાવન?

રજના થર પર થર, ભીતર
ના ક્યાંક મળે એ પગથી,
આંકી જે ઘનશ્યામ સાંવરે
શૈશવમાં મૃદ ડગથી;

પગથી કોરે રહી, અરે એક
પગલું ક્યાં મનભાવન!

– હરીન્દ્ર દવે

હોઠ મલકે તો મોટી મહેરબાની – હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેનું વધુ એક મધમીઠું ગીત… ખબર નહીં કેમ, પણ હરીન્દ્ર દવેના હસ્તાક્ષર જાણે સ્પષ્ટ વંચાઇ આવે છે આ ગીતમાં… અને સાથે જ એમના બીજા કેટલાય, આવા જ મધુરા ગીતોનું સ્મરણ થઇ આવે… જેવા કે.. માંડ રે મળી છે … , નેણ ના ઉલાળો તમે ઊભી બજાર, અમોને નજરું લાગી ! , રે મન, ચાલ મહોબ્બત કરીએ…

ચલો, હું આ મઝાનું ગીત લઇ આવી… તો તમે સ્વરકાર – ગાયિકાને ઓળખી બતાવશો? 🙂

સ્વર: આનતિ શાહ
સંગીત: માલવ દિવેટીઆ

* * * * *

.

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!

મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;

તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

– હરીન્દ્ર દવે

(આભાર : pyarikavita)

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

(Photo: DollsofIndia.com)

* * * * * * *

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે

——–

(આભાર : સ્પંદનના ઝરણાં……)

તમે પાંપણને પલકારે વાત કહી કઇ – હરીન્દ્ર દવે

સ્વર – સંગીત : આશિત દેસાઇ

.

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
તોયે ભીને રૂમાલ એક ભાત લઇ ગઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.

તમે પાંપણને પલકારે…

જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

ટહુકો શરૂ કર્યાના થોડા જ દિવસોમાં મૂકેલું આ ગીત મારું ઘણું ગમતું ગીત..! હરીન્દ્ર દવેના શબ્દો, અને એમાં પરેશ ભટ્ટનું સ્વરાંકન..

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

મઝાની વાત એ છે કે આ રેકોર્ડિંગમાં પરેશભાઇના સ્વર-સંગીત સાથે એમણે ગીત વિષે પણ વચ્ચે વાતો કરી છે, કવિતાની થોડી વધુ નજીક જવામાં એમની વાતો જરૂર મદદ કરશે.

.

—————————-
Posted on : June 30, 2006
સ્વર : પ્રણવ મહેતા

સંગીત : પરેશ ભટ્ટ

smoky

.

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

(કવિ પરિચય)