આજે ૨૧ ડિસેમ્બર – વ્હાલા કવિ શ્રી મુકુલ ચોક્સીનો જન્મદિવસ…. મુકુલભાઇને આજના ખાસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાથે સાંભળીએ એમની આ ખાસ ગઝલ, એમના પોતાના જ સ્વરમાં 🙂 કવિની આ ખૂબ જ જાણીતી ગઝલ, એમના આગવા અંદાઝમાં સાંભળવાની મઝા જ કંઇ અલગ છે..!
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
આજે કવિ શ્રી શૂન્ય પાલનપૂરીનો જન્મદિવસ… એમને આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી સાથે, સાંભળીએ એમની આ મઝાની ગઝલ. આ ગઝલના શબ્દો તો ટહુકો પણ ઘણા વખતથી છે, આજે મનહર ઉધાસના સ્વર -સંગીત સાથે ફરી એકવાર…
નીચે વિવેકની ટીપ્પણી છે એમ – ગઝલ પર લખાયેલી ગઝલો યાદ કરીએ તો આ ગઝલ એમાં ટોચની રચનાઓમાં આવે જ.
હમણા થોડા વખત પહેલા California Academy of Sciences’ ના Morrison Planetarium માં ‘JOURNEY TO THE STARS‘ નામનો Show જોયો.. અને બીજે દિવસે ‘Disneynature Movie : Earth‘. ખરેખર તો આ બંને show માં એવું કંઇ નવું નો’તુ કે જેના અસ્તિત્વ વિષે પહેલા ખબર નો’તી..!! પણ કોણ જાણે કેમ, મારી જીંદગીની વ્યાખ્યાનો વ્યાસ થોડો મોટો થઇ ગયો હોય એવું લાગ્યું….
અને એ જ સમયે મળી હિમાંશુભાઇની આ ગઝલ… વાંચતા જ ગમી જાય એવી..! અને કંઇક હદે જાણે ‘મારી જ વાત’ જેવા લાગતો શેર…
હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી
પોતે જગથી નોખા હોવાનો ભાવ/ભ્રમ કોને નથી થતો? અને વાત તો સાચી જ ને, ક્યાં તમને બે વ્યક્તિઓ સરખી જોવા મળે? બધામાં કંઇને કંઇ તો એવું નોખુ હોવાનું જ ને, કે જે આપણને જગથી જુદા બનાવે..! અને તો યે, broader perspective થી જોઇએ તો – બધાની જીંદગી લગભગ એકસરખી ઘરેડમાંથી પસાર થતી હોય એવું નથી લાગતું?
અને મક્તાનો શેર પણ મને તો ખૂબ જ ગમી ગયો..!
તો સાંભળીએ હિંમાશુભાઇની આ તાજ્જી ગઝલ – એમના જ અવાજમાં..
( જીંદગી… )
બસ કદી એમજ મળે છે, જીંદગી
હું જડું છું જ્યાં, જડે છે જીંદગી
દોડતો બસ દોડતો રાખી સતત
કે હસે છે, જો હસે છે, જીંદગી
એક દરિયો, એક પળમાં વીફરે
તો બની લાશો તરે છે જીંદગી
હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી
શું ઘડામણ આપનું કાચું હતું?
કે મને ઘડતી રહે છે જીંદગી
ચાલવાનું ક્યાં સુધી? આ શ્વાસ ચાલે ત્યાં સુધી.
શ્વાસ ચાલે ક્યાં સુધી? તું હાથ ઝાલે ત્યાં સુધી.
ઝાલવાનું ક્યાં સુધી? હું ઢળું ના ત્યાં સુધી.
તું ઢળે ના ક્યાં સુધી? તું મળે ના જ્યાં સુધી.
જાગવાનું ક્યાં સુધી? આ રાત જાગે ત્યાં સુધી.
રાત જાગે ક્યાં સુધી? તું ચાંદ માંગે ત્યાં સુધી.
માંગવાનું ક્યાં સુધી? થાય ઈચ્છા જ્યાં સુધી.
થાય ઈચ્છા ક્યાં સુધી? હોય આશા જ્યાં સુધી.
ઝૂરવાનું ક્યાં સુધી? ઝંખના છે જ્યાં સુધી.
ઝંખના છે ક્યાં સુધી? ચાહના છે જ્યાં સુધી.
ચાહવાનું ક્યાં સુધી? મન મરે ના જ્યાં સુધી.
મન મરે ના ક્યાં સુધી? તું ડરે ના જ્યાં સુધી.
આજે વિવેકની એક કવિતા – એના જ બ્લોગ પરથી – એણે જ મુકેલા ફોટા સાથે… In short – Copy & Paste 🙂
(કોરતું ને કોરાતું એકાંત…. …..જુલાઈ, ૨૦૦૮)
*
તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.
કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!
કવિ વિશે વધુ રસપ્રદ વાતો ભવિષ્યમાં કોઇકવાર ફરી માંડીશું. આજે એમના વિષે – અન્ય કવિઓના શબ્દોમાં….
********
એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું.
– મહાકવિ નાનાલાલ
********
રસકવિ રઘુનાથભાઇનો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમની આંખમાં અમી ઊભરાતું હોય. ગુજરાતી ભાવગીતોને સમૃધ્ધ આપણી એ કલાકારે.
– ઉમાશંકર જોષી
********
કવિના શરૂઆતના ત્રણ નાટકો, ત્રણેય સફળતા પામ્યાં. આ ખ્યાતિ કોઇપણ ઊગતા લેખકને અભિમાન આપે એવી છે. સદભાગ્યે કવિને અભિમાન તો ન આવ્યું, પણ નાટકો કવિતાપ્રધાન હતાં એટલે જીવનને કવિતાપ્રધાન કરી મુક્યું.
– પ્રભુલાલ દયારામ દ્વિવેદી
********
રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અતોનાત પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો.
– હરીન્દ્ર દવે.
********
કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લ્ખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.
– ચંદ્રવદન ચી. મહેતા
********
અને હા… જુલાઇ ૧૧, ૨૦૦૬ ના દિવસે ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત… આજે આશિત-હેમા દેસાઇના યુગલસ્વરમાં ફરી એકવાર…
.
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.
નરસિંહ મહેતાની આ ઘણી જ જાણીતી ભક્તિ રચના… અને એ પણ બે અલગ અલગ સ્વરમાં. જો કે આ શબ્દોની સાથે મને બીજી એક સ્વરરચના સૌથી પહેલા યાદ આવે. નાનપણથી હું આ જ ગીતને એક ગાયિકાના અવાજમાં સાંભળતી આવી છું. કદાચ આશા ભોસલે કે લતા મંગેશકરનો અવાજ હશે? જો તમારી પાસે એવું કોઇ રેકોર્ડિંગ હોય તો મને મોકલી શકશો? એમાં અહીં પ્રસ્તુત ગીતો કરતા થોડો ઝડપી ઉપાડ છે, અને નારાયણનું નામ જ લેતા, હો હો હો નારાણયનું નામ જ લેતાં….. એવી રીતે ગવાયું છે.
સ્વર : આશિત દેસાઇ
.
સ્વર : કરસન સગઠિયા
.
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.
કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;
ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.
પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.
ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.