Category Archives: કવિઓ

હું રહું આ આયના સામે અને એ બિંબ તારું હોય – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

જો હું રહું આ આયના સામે અને એ બિંબ તારું હોય તો?
ને તું નજર પણ ના કરે એવું જ આખું ભાગ્ય મારું હોય તો?

જળને પીધા વિના કેમની મીઠાશ એની માપવી બોલો તમે?
નિર્મળ સ્ફટિક સમ લાગતું જળયે અહીં જો સાવ ખારું હોય તો?

મારી જ આ દિવાનગીએ માની લીધાં એમને મનથી ખુદા
શું થાય જો એ વાતવાતે મારી સાથે પણ વહેવારુ હોય તો?

આજે મારા દ્વારેથી પાછા એ મળ્યા વિના ગયા છે શું કરું?
જોઈતુ તું બીજું શું જો આ ભાગ્ય મારું એકધારું હોય તો?

ને એ જ આશાથી અમે જીવ્યા છીએ, આગળ હજીયે જીવશું,
છે શક્ય કે આવનારી પળમાં જીવન ક્યાંક ન્યારું હોય તો?

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
(ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’)

હરિએ દઈ દીધો હરિવટો… – રમેશ પારેખ

હરિએ દઈ દીધો હરિવટો…

ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો?
આધે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા !
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાંના હેવાં
નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો….

મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં ?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા
દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે ‘ ઘટો ! ‘
હરિએ દઈ દીધો હરિવટો…

– રમેશ પારેખ

સ્વરાંકન : શ્રી. સુરેશ જોશી
સ્વર: શ્રીમતી વિભા દેસાઈ

જિંદગીભર પ્યાસ પૂરી રાખજે – રઈશ મનીઆર

જિંદગીભર પ્યાસ પૂરી રાખજે
તૃપ્તિની હાલત અધૂરી રાખજે

સાવ પાસે જઇ શકાતું હોય તો,
તે છતાં તું સહેજ દૂરી રાખજે

રક્તરંગી આભ ના જીરવાય તો,
ઓરડાની ભીંત ભૂરી રાખજે

પ્યાસ, પ્રીતિ,પાત્રતા, પથની સમજ
આટલી ચીજો જરૂરી રાખજે

વાંચજે મિત્રોની મહેફિલમાં ગઝલ
વેદના દિલમાં ઢબૂરી રાખજે

હોય તો અગ્નિવચાળે હો મુકામ
રાખે તો સૌરભ કપૂરી રાખજે

કંઇ જ બીજું ના રહે તો કંઇ નહીં,
રાખજે શ્રદ્ધા, સબૂરી રાખજે

– રઈશ મનીઆર

ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ. – મુકેશ જોષી

મારી બાજુનો ફ્લેટ થયો ખાલી,
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ.
એક દીવાની સૂરજને તાલી
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ,

વાદળની પોટલીમાં ચોરી જન્મોની
મૂડીનું નયને ચોમાસું,
‘હા’ પાડો એટલે ટોકનમાં દઈ આવું,
પાંચ કે પચીસ લાખ આંસું.
દઉં ગમતીલી સાંજની દલાલી!
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ,

મંદિરમાં ટોળાઓ લંબાવે હાથ
જાણે માંગવાનું સાચકલું ધામ,
મંદિરથી ફ્લૅટ છે ઢૂંકડો:
બપોરે ઘેર આવી કરજો આરામ,
ધરું ચાની હૂંફાળી પ્યાલી!
ઓ હરિવર લઈ લ્યો આ ફ્લેટ

મુકેશ જોષી

23 જૂન … રાસ ભાઈની વર્ષગાંઠે, રાસ ભાઈની યાદમાં… 

ગુજરાતી સુગમ સંગીત સાથે સંકળાયેલા અને ગુજરાતી સુગમ સંગીતને ચાહનાર લોકોના હૃદય જે કલાકાર બેલડીનું નામ લેતા જ પ્રેમ, આદર અને અહોભાવથી છલકાઈ જાય એ સ્વર-યુગલ એટલે સ્વરસ્થ શ્રી રાસબિહારી દેસાઈ અને શ્રીમતી વિભા દેસાઈ. શ્રી રાસબિહારી દેસાઈને સહુ ” રાસભાઈ ” કહીને જ બોલાવે. રાસભાઈ અને વિભાબેન નાં ગીત સંભાળતા જ એક અલગ દુનિયામાં ખોવાઈ જવાય.


આ સ્વર-બેલડી દ્વારા રચાયેલા અને રજુ થયેલા સંગીતના શ્રવણથી જૂની પેઢીના સંસ્મરણો તાજા થાય અને નવી પેઢી ને ખુબ બધું શીખવા મળે એ હેતુથી એક યુટ્યુબ ચેનલ શરુ કરવાનો વિચાર સ્ફૂર્યો અને એનું નામ પડ્યું બિલીપ્રત્ર!

ગુજરાતી સંગીતની જણસ સમા, લગભગ ક્યાંય સાંભળવા ન મળે એવા આ ગીતો માટે જયારે મેં વિભાબેનને પૂછ્યું, કે “હું આ ગીતો ટહુકો પર મૂકું?” વિભાબેનનો બસ આટલો જ ટૂંકો અને પ્રેમાળ જવાબ: “ચોક્કસ. સારાં સંગીતની લહાણી થાય એમાં તો આનંદ જ હોય ને?”

આજે ૨૩ જુન… મુરબ્બી રાસભાઈનો જન્મદિન….ટહુકો પર આ અલભ્ય ગીતોની શ્રેણીનો આરંભ કરવા માટે આનાથી રૂડો બીજો કયો અવસર હોય?!… તો આ સ્વર-યુગલના કંઠે ગવાયેલ અવિનાશ વ્યાસની એક ખુબ જ સુંદર રચનાથી અઠવાડિક શ્રેણીની શુભારંભ કરીયે –

રચના : અવિનાશ વ્યાસ
સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ


ભરી દે ભરી દે ભરી દે
કોઈ ભિક્ષુકની ઝોળી ભગવંત…

જીવ તો તારું એક રમકડું 
નિમિત્ત બને છે રૂડું ભૂંડું
આશિષનું એક અમૃત બિંદુ
ઝરી દે ઝરી દે ઝરી દે…

તું તરણાની ઓથે ડુંગર
તું છું સત્યમ્ શિવં સુન્દરમ્
મધ્ય મહેરામણ કોઈની હોડી
ડૂબતી પાર કરી દે…

(રેકોર્ડીંગ લાઈવ પ્રોગ્રામનું છે.)

પ્રગટું છું ગઝલો થકી – શબનમ ખોજા

હું તૃષાનો અંત છું,
હા, સ્વભાવે સંત છું!

જે છું એ સામે જ છું,
હું ક્યાં હસ્તીદંત છું ?

શબ્દરૂપે અલ્પ છું,
અર્થમાં અત્યંત છું!

જો મને કણ-કણ મહીં
સઘળે મૂર્તિમંત છું.

બાજુઓનું જોર છું
ભાગ્યથી બળવંત છું.

છું ફકીરી અંચળો
સર્વદા શ્રીમંત છું.

પ્રગટું છું ગઝલો થકી
કોઈ દૈવી ખંત છું !

– શબનમ ખોજા

વરસાદ થઈને તું ભલે વરસે – અનિલ ચાવડા

લીલોતરી નામે ય એક્કે પાંદડું સ્હેજે ખખડવાનું નથી,
વરસાદ થઈને તું ભલે વરસે અહીંયા કૈં પલળવાનું નથી.

તું મોજું દરિયાનું જ સમજીને ફરી વર્ષો સુધી બેસી રહ્યો,
એ ફક્ત રંગોથી મઢેલું ચિત્ર છે સ્હેજે ઉછળવાનું નથી.

હું ભીંત પર માથું પછાડું? રોજ છાતી કૂટું? રોવું? શું કરું?
હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી.

એ માણસો સઘળા ય રસ્તામાં મને ઢીલા મુખે સામા મળ્યા,
કે જેમણે એવું કહ્યું’તું, :બસ હવે પાછા જ વળવાનું નથી.

છે દેહ રૂનું પૂમડું ત્યાં વાત અટકી જાત તો સારું હતું,
પણ આગમાં કાયમ રહેવાનું અને સ્હેજે સળગવાનું નથી.

– અનિલ ચાવડા

બદનામ નથી – ‘શૂન્ય’ પાલનપૂરી

​​દરબાર ‘શૂન્ય’ નો – ‘શૂન્ય’ પાલનપૂરી ની પ્રતિનિધિ ગઝલો નો સંચય
સંપાદક – મુસાફિર પાલનપૂરી

બદનામ નથી

એ પ્રેમની ઇજ્જત કોડી છે, જે પ્રેમ જર્ગ બદનામ નથી,
ઊઠ ચાલ, દીવાના ! બુદ્ધિ હો ત્યાં આપણું કોઈ કામ નથી.

અફસોસ ! પરિવર્તન ! તારી આ છેડ મદિરા-ભક્તોથી ?
મસ્તીની દશામાં જોયાં’તાં એ રંગ નથી એ જામ નથી.

દુનિયાનો ભરોસો કરનારા ! છે ધન્ય આ તારી દિષ્ટને !
મૃગજળથી તમન્ના પાણીની ૐ જેવું તેવું કામ નથી.

રહેવા દો વિચારોમાં એને આપો નહિ તસ્દી નજરોને
એ સૂક્ષ્મ જગતના વાસીનું, આ સ્થળ જગતમાં કામ નથી.

એક આશ હજુયે રાખું છું, મતલબ કે ખરેખર ‘શૂન્ય’ જ છું,
એ નામ અબાગી છે મારું જે નામનો શુભ અંજામ નથી.

‘શૂન્ય’ પાલનપૂરી

કાફિયા વિણના રદીફો – જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’

કાફિયા વિણના રદીફો સમ ફરે છે;
રોમરોમે યાદ બસ એની તરે છે.

ઊભું છું સામે જવાબો માગવા હું,
આયનો લઈને સવાલો શેં ધરે છે?

જે ગયા છે ને કદી પાછા ન આવ્યા,
એ હજી મારા ખયાલે શું કરે છે?

હા, સમયની આજ મુઠ્ઠી ખોલવી છે,
જોવું છે કે ભાગ્ય જેવું કંઈ ખરે છે?

છે મહેફિલો અહીં ગઝલો ક્યાં ‘ભગ્ન’?
શાયરો સાચી ગઝલને કરગરે છે.

– જયશ્રી વિનુ મરચંટ ‘ભગ્ન’
ગઝલ સંગ્રહ – ‘વાત તારી ને મારી છે’

એ સીતા હો કે ધોબી હો બધાંને રામ આપે છે – અશરફ ડબાવાલા 

પ્રથમ એ થઈ શકે એવાં જ થોડાં કામ આપે છે,
ને અઘરાં કામરૂપે એ પછી ઇનામ આપે છે.

છે મારા મનની અંદર આગવું પંચાંગ એવું કે,
અચાનક આવનારી હર ખુશીને નામ આપે છે.

બધી વિદ્યા, કળા ને યુક્તિથી પર થાઉં છું ત્યારે,
એ આવી રૂબરૂ અંગત મને પયગામ આપે છે.

એ મારી આવડતને પાથરી દઈને બજારોમાં,
કદી વેપાર આપે છે, કદી લિલામ આપે છે.

ભલે આશય જુદા જુદા હો એના આપવા માટે,
એ સીતા હો કે ધોબી હો બધાંને રામ આપે છે.

સમયની આગમાં એ મારું સર્જન ફેંકી દે છે પણ,
હું માગું ખાક પાછી તો મને ખય્યામ આપે છે.

સખાવત કે દૂરંદેશી જે ગણવું હોય તે ગણજો,
મફત જે હોય છે એનાય અશરફ દામ આપે છે.

– અશરફ ડબાવાલા