Category Archives: કવિઓ

શી વાત છે હમરાહમાં ? – વિવેક મનહર ટેલર (#tahuko10th)

ટહુકોને હજુ ગઇ કાલે ૧૦ વર્ષ થયા, અને ૬ મહિના પહેલા કવિ મિત્ર ડૉ. વિવેક ટેલરે પણ એમના સ્વરચિત કાવ્યોના બ્લોગ – http://vmtailor.com/ – ની દશાબ્દિ ઉજવી! ટહુકો શરૂ થયો એ પહેલાથી વિવેકનો અપ્રતિમ પ્રેમ સાથ અને સહકાર મળ્યા છે. ગુજરાતી કવિતા માટેનો એનો લગાવ, અને લયસ્તરો, ટહુકો અને શબ્દો છે શ્વાસ મારા માટેનો એનો ઉત્સાહ કદાચ સૌથી મહત્વનું બળ છે કે આ ત્રણે વેબસાઇટ આજે ફેસબુક – વોટ્સએપ અને બીજા બધા ‘સોશિયલ મિડિયા’ના મારા સામે પણ આજ સુધી ટકી રહી છે..

વિવેકે ‘શબ્દો છે શ્વાસ મારા’ ના દસ વર્ષ પર જે વાત કરી – એ અહીં અક્ષરસઃ ટાંકું છું –

દસ વર્ષ પહેલાં જ્યારે આ વેબસાઇટ શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતી વેબસાઇટ્સ એ ગુજરાતી ભાષાનું નવું સરનામું છે. પ્રિન્ટ મિડિયાના વળતાં પાણી થશે અને ઓન-લાઇન સાહિત્ય ચોકોર છવાઈ જશે એમ લાગતું હતું. શરૂઆતમાં મારી આ કલ્પના ખરી પડતી પણ જણાઈ. શરૂ થયાના થોડા જ વર્ષોમાં ગુજરાતી વેબસાઇટ્સ ખાસ્સું કાઠું કાઢતી નજરે ચડી. સાઇટ્સમાં વૈવિધ્ય પણ દેખાયા. પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતિમાં ફરી નવો વળાંક નજરે ચડી રહ્યો છે. વૉટ્સ-એપ અને ફેસબુકના આક્રમણ સામે વેબસાઇટ્સની લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયેલો અનુભવાય છે. પણ તોય એ હકીકત નકારી શકાય એમ નથી કે ફેસબુક અને વૉટ્સ-એપ એ વહેતાં તરલ માધ્યમ છે જ્યારે વેબસાઇટ્સ ધ્રુવતારક સમી અવિચળ છે એટલે ઘટતી લોકપ્રિયતાના સામા વહેણમાં પણ તરતા રહેવાનું ચાલુ રાખ્યું છે.
-વિવેક મનહર ટેલર

તો સાથે વિવેક તરફથી મળેલો આ શુભેચ્છા સંદેશ… અને એના ગીત-ગઝલના આલ્બમ ‘અડધી રમતથી’ માં સ્વરબધ્ધ થયેલી એક મઝાની ગઝલ સાંભળીએ. અને વળી એનું સ્વરાંકન મેહુલ સુરતીએ કવ્વાલી જેવું એકદમ અલગ કર્યું છે, અને એમાં પાર્થિવ ગોહિલનો સ્વર મળે એટલે?

સ્વર – પાર્થિવ ગોહિલ
સ્વરાંકન – મેહુલ સુરતી

રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.

સહેજ પણ ઉષ્મા કદી વર્તાય ના નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?

માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.

-વિવેક મનહર ટેલર

ગઝલ – મરીઝ

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

વેનિસના દરિયાની ગઝલ – ગુંજન ગાંધી

દરિયો દળાય છે,
કોને કળાય છે?

તારી જ છે હવા,
એને મળાય છે?

જીવ્યાનો અર્થ શું –
‘હોવું ગળાય’, છે?

કંઈ પણ બની શકે,
રેતી ‘જળાય’છે!

લો આ વિશાળતા,
એને વળાય છે?

– ગુંજન ગાંધી

**********

Translation: Pancham Shukl

A colloquium with the Ocean of Venice
The jolting, bolting ocean is gnashed.
Has this anyone ever until now guessed?
The air is yours and so the space,
Are they just to show off face?
Is there any purpose in living?
Is your being really distilling?
Anything can now happen, o! trotter,
See, the sand is oozing water!
And yes please, take this enormousness,
Will it be bent, wrap more or less?

કરવું શું ભલા? – ચિંતન નાયક

સ્વર – દિવિજ નાયક
સ્વરાંકન – પરેશ નાયક
આલ્બમ – શબ્દ પેલે પાર
ગીત ડાઉનલોડ લિંક – https://itunes.apple.com/us/album/shabda-pele-paar/id859954337

(ઓગળે ના રણ તો....  Picture: Tejal Tailor)
(ઓગળે ના રણ તો…. Picture: Tejal Tailor)

ના પડે સમજણ તો, કરવું શું ભલા?
મુંઝવે સગપણ તો, કરવું શું ભલા?

લાખ ઝરણાં વ્હાલનાં મેં ઠાલવ્યા,
ઓગળે ના રણ તો, કરવું શું ભલા?

ડામ તો વંટોળનાં અઢળક સહ્યા,
ખુંચતી રજકણ તો, કરવું શું ભલા?

અમે આફત એકપણ માંગી ન’હતી,
ને મળી બે-ત્રણ તો, કરવું શું ભલા?

ના પડે સમજણ તો, કરવું શું ભલા?
મુંઝવે સગપણ તો, કરવું શું ભલા?

– ચિંતન નાયક

મૂળ ખુલ્લાં દેખાય તેવું .. – મનીષા જોષી

મૂળ ખુલ્લાં દેખાય તેવું વૃક્ષ
મને હંમેશ ડરામણું લાગે છે.
પર્વતની ધાર પર ઉભેલા
એ વૃક્ષના મૂળિયાને કોઈ આધાર નથી
ભેખડ તો ગમે ત્યારે તૂટી પડે

નીચેની ઊંડી ખાઈમાં ફંગોળાઈ રહેલા
એ વૃક્ષને જોઇને લાગે છે,
ધરતી જ છે સાવ છેતરામણી
ગમે ત્યારે છેહ દઈ દે.
વૃક્ષમાં બાંધેલા માળામાં સૂતેલાં
સેવાયા વગરના ઈંડા
ક્યાં પડ્યાં ?
ન વૃક્ષ , ન ઈંડા
કાંઇ અવાજ નહી, કાં ઇ નહી
હમણાં અહી હતાં, હવે નથી
ભરી ભરી સૃષ્ટિમાંથી કઇ આમ ઓછું થઇ જાય
અને આસપાસ કોઈ ફરક સુદ્ધાં નહી?
નીચે ખાઈમાં કઈં દેખાતું નથી, છતાં લાગે છે કે,
ઈંડા હજી શોધી રહ્યાં છે, ગરમી ,
ખાઈમાં પડેલી બંધિયાર હવામાંથી.
વૃક્ષ હજુ ઝાવાં નાખી રહ્યું છે,
પર્વતની અવાસ્તવિક માટી પકડી લેવા માટે
નિરાધાર વૃક્ષ
નોંધારાં ઈંડા.
ખાઈમાં ઘૂમરાતા , પવનમાં
નિ:શબ્દ વલોપાત છે.
પર્વતો સ્થિર , મૂંગામંતર
સાંભળી રહ્યા છે.
અકળાવી નાખે તેવી હોય છે ,
આ પર્વતોની શાંતિ.
મારે હવે જોવા છે,
આખા ને આખા પર્વતોને તૂટી પડતા
ખાઈનું રુદન
મો ફાટ બહાર આવે તે મારે સાંભળવું છે.

(‘વહી’ ,જાન્યુઆરી – ૨૦૦૦ , પૃ.૧૩)

ગેબ નગારાં નોબત વાગે – રાજેન્દ્ર શુક્લ

ગેબ નગારાં નોબત વાગે,
આગે આગે ગોરખ જાગે!

એક જ પળ આ જાય ઉખળતી,
ગૂંચ ગઠી જે ધાગે ધાગે!

ગિલ્લી ગઈ ગડબડ સોંસરવી,
અબ કયું ગબડે ઠાગે ઠાગે!

જળ ભેળે જળ ભળ્યો ભેદ સબ,
કિસ બિધ ઉઠે,કિસ બિધ તાગે!

અપની ધૂણી, અપના ધૂંવા,
ના કિછુ પીછે,ના કિછુ આગે!

– રાજેન્દ્ર શુક્લ

નિરંજન ભગત પર્વ – ૭ : ૯૦મે (કવિ શ્રી નું કાવ્યપઠન)

કવિ શ્રી નિરંજન ભગતનો ૯૦મો જન્મદિવસ ટહુકો પર ‘નિરંજન ભગત પર્વ’ સાથે ઉજવવાનો મોકો મળ્યો – એ ટહુકો માટે ધન્યતા અનુભવવાની વાત છે. અને ટહુકોને ૧૦ વર્ષની ઉજવણીના ભાગ રૂપે કવિ શ્રી તરફથી શુભેચ્છા સંદેશ મળ્યો – એટલે માટે અમે સૌ એમના ઋણી છીએ.

આ વિડિયો અહીં પોસ્ટ કરવામાં મોડું થયું એ માટે સૌની ક્ષમા ચાહું છું.

નિરંજન ભગત પર્વ – ૫ : પથ્થર થરથર ધ્રુજે !

પથ્થર થરથર ધ્રુજે !

હાથ હરખથી જૂઠ્ઠા ને જડ પથ્થર ત્યાં કોણ વેદના બૂઝે ?
અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે
એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોળે,

“આ કુલટાને પથ્થર મારી, મારી નાખો !” એમ કિલોલે કૂજે,
એક આદમી સાવ અઓલિયો વહી રહ્યો ‘તો વાટે,
સુણી ચુકાદો ચમક્યો, થંભ્યો, ઉરના કોઇ ઉચાટે;
હાથ અને પથ્થર બન્નેને જોઇ એનું દિલ દયાથી દૂઝે !
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે,
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે :

“જેણે પાપ કર્યુ ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !”

એકે એકે અલોપ પેલા સજ્જન, ત્યારે શું કરવું ના સૂઝે !
અબળા રહી ને રહ્યો ઓલિયો એનું કવિજન ગીત હજુયે ગુંજે.

– નિરંજન ભગત

નિરંજન ભગત પર્વ – ૪ : પૂનમ ને કહેજો કે પાછી ન જાય

સ્વર : બંસરી યોગેન્દ્ર સ્વરકાર : હરેશ બક્ષી

પૂનમ ને કહેજો કે પાછી ન જાય
ઉગી ઉગીને આમ આછી ન થાય!

આંખો નાં અજવાળાં ઘેરીને ઘૂમટે
ઝૂકેલી બીજ ને ઝરૂખડે,
ઉઘાડે છોગ આજ છલ્ક્નતા ઉમટે
રૂપના અંબાર એને મુખડે;
સોળે કળાએ એની પ્રકટી છે કાય!
પૂનમ ને કહેજો કે પાછી ન જાય

માનેના એક મારી આટલી શી વાતને
તોય ભલે, આજતો નીતરે !
આવતી અમાસની અંધારી રાતને
ચંદનથી ચારકોર ચીતરે,
આંખડીને એવાં અજવાળાં પાય;
ઉગી ઉગીને ભલે આછી તો થાય,
પૂનમ ને કહેજો કે પાછી ન જાય!

નિરંજન ભગત પર્વ – ૩ : હું તો બસ ફરવા આવ્યો છું

તમે અમદાવાદ જાઓ અને કોઈ પણ માણસને બૂમબરાડાના ખ્યાલ વિના, ચોખ્ખા મોટા અવાજે આક્રોશ અને ઝનૂનપૂર્વક, ભીતરના કન્વિક્શનથી સાહિત્ય, સમાજ, રાજકારણ કે જીવન વિશે, વાણીનું વીર્ય શું હોઇ શકે એનો અનુભવ આપે એવી રીતે વાત કરતો સાંભળો તો એ નિરંજન ભગત જ હશે. તમારા અનુમાનમાં તમે કદી ખોટા નહીં પડો. વાણીનો નાયગરા એટલે નિરંજન. બોલે, ખૂબ બોલે. સાંભળનારને બે કાન ઓછા લાગે એટલું બોલે, જે વિષય પર બોલે એમાં પૂરી તન્મયતાથી બોલે. પેરિસની વાત કરતા હોય ત્યારે આખું ને આખું પેરિસ પી ગયા હોય એ રીતે બોલે. બોલવામાં કોઈની શેહ-શરમ નહિ. આપી શકે તો એ કોઈને આપી શકે, અને એ જે આપે તે અમૂલ્ય હોય, જીવન અને વાચનનો આપણને યાદગાર અનુભવ જ આપે. એને કોઈ પાસેથી કશું લેવું નથી, એ કશુંક લેતા હોય તો તમારો સમય અને કાન. અને ખરેખર તો એ પણ લેતા નથી. એમને સાંભળીએ છીએ ત્યારે કાન ધન્ય થાય છે અને સમય સાર્થક થાય છે.
– સુરેશ દલાલ

******
પઠન : નિરંજન ભગત
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા ને સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.

– નિરંજન ભગત