મને આપો ઉછીનું સુખ થોડું,
હજીયે ના એવડું તે થઇ ગયું મોડું.
અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી,
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી ઝીલ્યાં નહી,
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું.
ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ,
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ,
બંધ આંખે ઉજાગરાને ઓઢું
મને આપો ઉછીનું સુખ થોડું.
૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮ માં મુકેલું કવિ સંદીપ ભાટિયાનું આ ગીત વધારે સારુ રેકોર્ડિંગ સાથે ફરી એક વાર….સ્વર સંગીત આશિત દેસાઇ….
21મી સપ્ટેમ્બર આપણા વ્હાલા કવિ જગદીશ જોષીની પુણ્યતિથી. તમને ખબર છે, આ સંદીપ ભાટિયાના ગીતમાં કવિ જગદીશ જોષીને કેમ યાદ કર્યા? કારણ એ કે – ખરેખર તો આ ગીત કવિ જગદીશ જોષીના મુત્યુપ્રસંગે લખાયું હતું. સાંભળતા જ અચાનક વિખુટા પડેલા સ્વજન યાદ આવી જાય…..
સ્વર અને સંગીત : આશિત દેસાઇ
(સ્ટ્યૂડિઓ રેકોર્ડિંગ)
(ખાનગી બેઠકનું સાધારણ રેકોર્ડિંગ)
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.