Category Archives: કાવ્યપ્રકાર

બંદો અને રાણી – બાલમુકુન્દ દવે

સ્વર : પ્રહર વોરા,જ્હાન્વી શ્રીમાંકર
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

.

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઇ જી જોઇ જી.

એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઇ જી ખોઇ જી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઇ જી રોઇ જી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઇ જી લોઇ જી.

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઇ જી પ્રોઇ જી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઇ જી દોઇ જી.

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઇ જી જોઇ જી.

ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઇ જી સોઇ જી.

-બાલમુકુન્દ દવે

ગ્લૉબલ કવિતા : ૧૫૨ : તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ

She dwelt among the untrodden ways

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.

She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે

તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે
ગંગાના ઝરણાંઓ પાસે,
મુગ્ધા જેને વખાણનારું કોઈ નથી ને
ભાગ્યે જ કોઈ એને ચાહે.

જાંબુડી ફૂલ શેવાળિયા પથ્થરની પાસે
આંખોથી અડધું જે ઓઝલ!
– તારા જેવી શુભ્ર પ્રકાશિત, નભમાં જ્યારે
હો સાવ જ એ એકલદોકલ.

રહી અણજાણી જીવી, ને ભાગ્યે જ કો’ જાણે
કે લ્યુસી ક્યારે થઈ ગઈ ઢેર;
પણ એ તો સૂતી છે એની કબર મહીં, ને,
રે રે ! પડ્યો જે મુજને ફેર!

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

જ્યાં ના પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ…

વસ્તુ હોય કે વ્યક્તિ- આપણે ઘણીવાર એને હાંસિયામાં ધકેલી દઈને જીવી જતાં હોઈએ છીએ. મહત્ત્વનું ન લાગે એને આપણે જોયું-ન જોયું કરીને આગળ નીકળી જઈએ છીએ. ખેર, એ આપણો સ્વભાવ છે. બિનજરૂરી વ્યક્તિ કે વસ્તુની અવગણના આપણા રંગસૂત્રોમાં વણાઈ ગયેલ છે. પણ કળાકાર નામનું પ્રાણી જરા હટ કે છે. જમાના આખાએ જેનું મૂલ્ય શૂન્ય આંકી દીધું હોય એમાંથી પણ મૂલ્યવાન જન્માવવું એની ફિતરત છે. રંગોના લસરકાઓમાં કે શબ્દોના શિલ્પથી કળાકાર અલ્પગણ્યને અગ્રગણ્ય અને મૂલ્યહીનને અમૂલ્ય બનાવી દે છે. મોનાલિસા નામની સ્ત્રી કોણ હતી એ આજેય કોઈ જાણતું નથી, પણ લિઓનાર્ડોએ પીંછીના ચંદ લસરકાઓથી એને અજરામર બનાવી દીધી. જેનું સૌંદર્ય કોઈ જોઈ શકતું નથી, કળાકાર જોઈ લે છે. જેની કોઈને તમા નથી, કળાકાર એની તમા રાખે છે. માટે જ કહ્યું છે ને કે જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં કદાચ સૂર્ય પણ નહોતો પહોંચી શકતો,એવા કોઈક જંગલમાં અજાણી જિંદગી જીવી ગયેલી લ્યુસીને વર્ડ્સવર્થે એની કવિતામાં અમરત્વ આપ્યું છે.

વિલિયમ વર્ડ્સવર્થ. ઇંગ્લેન્ડના લેક ડિસ્ટ્રિક્ટના કમ્બરલેન્ડ પરગણાના કોકરમાઉથ ખાતે ૦૭-૦૪-૧૭૭૦ના રોજ વકીલ પિતા જૉન તથા એનના ઘરે જન્મ. જે રીતે ઇન્ગ્લેન્ડના વાયવ્ય ખૂણામાં આવેલા આ લેક ડિસ્ટ્રિક્ટની મુલાકાત ‘લેક પોએટ્સ’ની જાણકારી વિના અધૂરી છે એ જ રીતે વર્ડ્સવર્થ, કોલરિજ, તથા સાઉધી જેવા લેક પોએટ્સની કવિતાનું સાચું સૌંદર્ય લેક ડિસ્ટ્રિક્ટની જાણકારી વિના પૂરું માણી નહીં શકાય. એક તરફ આ પ્રદેશે આ અને અન્ય કવિઓની રચનાઓને અનવરત પ્રેરણા પૂરી પાડી તો બીજીતરફ આ કવિઓની રચનાઓમાં પ્રાદેશિક સૌંદર્ય કાબેલ ફોટોગ્રાફરે ખેંચેલા ઉત્તમ ફોટોગ્રાફ્સની જેમ ડગલે ને પગલે ઉજાગર થયું છે. ૮ વર્ષની વયે માતા અને ૧૩ વર્ષની વયે પિતાને ગુમાવ્યા. પણ ત્યાં સુધીમાં પિતાના આગ્રહના કારણે વર્ડ્સવર્થ સાહિત્યસાગરના મરજીવા બની ચૂક્યા હતા. બાળપણમાં અનાથાવસ્થાના કારણે ગરીબીનો શિકાર વર્ડ્સવર્થ કાકાઓની મદદથી ભણ્યા. કેમ્બ્રિજ સુધી ગયા. ૧૭ વર્ષની વયે એમનું પ્રથમ સૉનેટ ધ યુરોપિયન મેગેઝીનમાં છપાયું અને સાહિત્યકારની કારકિર્દીનો પ્રારંભ થયો. ફ્રાન્સ ગયા ત્યાં ફ્રેન્ચ રિવૉલ્યુશનની સાથે એનેટ વેલોનમાં રસ પડ્યો અને એની સાથેના સંબંધથી ૧૭૯૨માં કેરોલિન નામની છોકરી જન્મી. છોકરીને ભરણપોષણ માટે વર્ષોવર્ષ નિયત રકમ ચૂકવી એનું ધ્યાન રાખ્યું પણ કવિએ ઇંગ્લેન્ડ પરત આવીને લગ્ન બાળપણની સખી મેરી હચિસન સાથે કર્યા. લેક ડિસ્ટ્રિક્ટ ખાતે સ્થાયી થયા. પાંચ સંતાન થયાં, જેમાંથી ત્રણનું મૃત્યુ કવિના જીવનકાળ દરમિયાન જ થઈ ગયું. બહેન ડોરોથી આજીવન પડછાયાની પેઠે એમની સાથે જ રહી. કવિએ ‘એણે મને આંખો આપી છે, એણે મને કાનો આપ્યા છે’ કહીને બહેનનું ઋણ સ્વીકાર્યું છે. બહેન અને પત્નીનો વર્ડ્સવર્થના જીવનમાં બહુ મોટો ફાળો રહ્યો. કવિને ફર-વા હતો એટલે જિંદગીભર મુસાફરી કરતા રહ્યા. કોલરિજની સાથે દોસ્તી રોજ સાથે ચાલવા જવાનું નિમિત્ત બની અને આ ‘વૉક’ની જ ફળશ્રુતિ એટલે બંનેનો સહિયારો અમર સંગ્રહ –‘લિરિકલ બેલડ્સ’. શરૂમાં ધ્યાન ન ખેંચી શકેલી એમની કવિતા ઝડપભેર ખ્યાતિના આકાશને ચુંબી ગઈ. ૧૮૪૨ની સાલમાં એમને રાજ્ય તરફથી ૩૦૦ પ્રાઉન્ડનું વર્ષાસન મળ્યું અને જિંદગીના આખરી દસકામાં, ૧૮૪૩માં એમને રાજકવિનું સન્માન પણ મળ્યું. પોતાના ભારીખમ્મ ઇગો સાથે જીવનાર સર્જક તો તો ઘણા જોવા મળશે પણ પોતાના વજનદાર ઇગોને જીરવનાર જમાનો પણ જીવતેજીવત પામે એવા સર્જક તો જૂજ જ. જનાબ આવા ‘રેરેસ્ટ’માં સ્થાન પામે છે. ૨૩-૦૪-૧૮૫૦ના રોજ પ્લુરિસીના કારણે રિડલ માઉન્ટના એમના ઘરમાં જ મૃત્યુ.

વર્ડ્સવર્થને ઇન્ગ્લેન્ડના શ્રેષ્ઠ કવિ તરીકે ઓળખનાર લોકોનો તોટો નહીં જડે. કોલરિજની સાથે ભાગીદારીમાં પ્રગટ કરેલ ‘લિરિકલ બેલડ્સ’થી અંગ્રેજી સાહિત્યમાં સુપ્રસિદ્ધ ‘રૉમેન્ટિક’ ક્રાંતિ અને યુગના શ્રીગણેશ થયા. કવિતા વિશેની એમની બહુખ્યાત વ્યાખ્યા, ‘કવિતા બળવત્તર સંવેદનાઓનો સ્વયંસ્ફૂર્ત ઉભરો છે, જે પરમ શાંતિમાં એકત્ર થયેલ લાગણીમાંથી જન્મે છે’ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. કવિતા વિશેની એમની ‘તીવ્ર’ માન્યતા હતી કે કવિતાનો વિષય સામાન્ય જનજીવનમાંથી, બહુધા ગ્રામ્યજીવનમાંથી જ પસંદ કરેલો હોવો જોઈએ કેમકે હૃદયના આવશ્યક આવેગ એ જ જમીનમાં પુખ્તતા પામી શકે છે. તદુપરાંત કવિતાની ભાષા પણ રોજિંદા જીવનની જ હોવી જોઈએ અને ગદ્ય અને છાંદસ ભાષા વચ્ચે કોઈ જ તફાવત હોવો ન જોઈએ. કવિ ઘણે અંશે આ માન્યતાને જડની જેમ વળગી પણ રહ્યા હતા પણ એમના જ અંગતતમ મિત્ર કોલરિજે આ બાબતમાં જાહેરમાં એમના છોતરાં ફાડ્યાં હતાં. સાહિત્યજગતની ઉત્તમોત્તમ મૈત્રીમાંની એક આ કારણ સિવાય, બંનેના વ્યક્તિત્વના ભેદભાવ, કોલરિજનું અફીણનું વ્યસન અને ગાંડપણ, તથા વર્ડ્સવર્થની સાળી સાથે કોલરિજના લગ્નથી જન્મેલ કજોડું –જેવા કારણોસર પડી ભાંગી. તોય કોલરિજના મૃત્યુ બાદ વર્ડ્સવર્થે એના પુત્રની સાળસંભાળ રાખી હતી. કવિતાની સાદગી અને સૌંદર્યની બાબતમાં વર્ડ્સવર્થને ભાગ્યે જ કોઈ અતિક્રમી શકે. એ રીતે જોતાં એમનું નામ વર્ડ્સવર્થ -શબ્દો જેમને લાયક છે- યથાર્થ છે.

પ્રથમ પંક્તિ કવિતાનું શીર્ષક પણ છે. ૧૭૯૮માં લખાયેલી આ કવિતા પ્રકારની દૃષ્ટિએ લિરિક છે. બર્ન્સ કે શેલીની જેમ લિરિકલ પોએટ્રીના માસ્ટર ન હોવા છતાં એ એમને ઠીકઠાક માફક આવી છે. એમના સૉનેટ જોકે અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠતમ ગણાય છે. લિરિકલ-પોએટ્રી યાને કે ઊર્મિકાવ્ય કે ભાવગીત નામ પ્રમાણે જ ઊર્મિપ્રધાન-ભાવપ્રધાન હોય છે, વિચારપ્રધાન નહીં. આ કવિતાઓ જ્યારે તમારી અંદરથી પસાર થાય છે ત્યારે દિલને પહેલાં સ્પર્શે છે, મગજને પછીથી. અહીં પ્રસ્તુત રચના પણ સીધી દિલને જ સ્પર્શી જાય છે. આ ઊર્મિગીત શોકગીત (Elegy) અને લોકગીત (Ballad)– બંનેની લાક્ષણિકતાઓ ધરાવે છે. શોકગીત કેમ છે એ તો દેખીતું જ છે. સાથોસાથ લોકગીતના લક્ષણો પણ અહીં છે જેમ કે, છંદ તથા પ્રાસ. ત્રણ ચતુષ્કમાં વારાફરતી આયમ્બિક ટેટ્રામીટર અને ટ્રાઇમીટર તથા ABAB પ્રકારની પ્રાસવ્યવસ્થા અહીં પ્રયોજાઈ છે. લોકગીતની અન્ય લાક્ષણિકતા મુજબ કવિતા ટૂંકી છે, સરળ અને સીધી ભાષામાં લખાઈ છે અને એમાં કથા પણ વણી લેવામાં આવી છે. કવિતા રૉમેન્ટિક પોએટ્રીનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારના ઇંગ્લેન્ડમાં રોમાન્સ, રોમેન્ટિક, રોમાન્ટિસિઝમનો અર્થ આજે આપણે જે પ્રેમ સંબંધી અર્થ તારવીએ છીએ એ નહોતો. રોમાન્સ શબ્દ ‘રોમન’ પરથી ઊતરી આવ્યો હતો. એ સમયે રોમાન્સ એટલે વ્યક્તિગત હીરોગીરી આધારિત મધ્યયુગીન રાજવી પરાક્રમોની વાર્તા કે ગીતગાથા. એના પરથી પ્રવર્તમાન ‘ક્લાસિકલ’ પ્રવાહની વિરુદ્ધ વ્યક્તિગત લાગણીઓનો ઊભરો અને પ્રકૃતિના નાનાવિધ સ્વરૂપોની આરાધના કરતો જે કળાપ્રવાહ ઊભરી આવ્યો એ રોમાન્ટિસિઝમ કહેવાયો અને વર્ડ્સવર્થ એના મુખ્ય પ્રણેતા ગણાય છે. વર્ડ્સવર્થની આ કવિતા રોમેન્ટિક યુગનો આયનો છે. વિષય અને કાવ્યપદ્ધતિ –બંને રીતે આ રચના રોમાન્ટિસિઝમના લક્ષણ ધરાવે છે. સીધી-સરળ ભાષા, સહજ અભિવ્યક્તિ, અંગત લાગણી, ગ્રામ્યજીવન અને કુદરતનું મહત્ત્વ, પારંપારિક પૌરાણિક પાત્રોની ગેરહાજરી અને લાઘવ- રોમાન્ટિસિઝમની આ તમામ કસોટી પર આ કાવ્ય ખરું ઉતરે છે. ચુસ્ત પ્રાસ જાળવવા જતાં કદાચ કવિતા બહારના શબ્દો કવિતામાં લાવવાની ફરજ પડે એ બીકે અનુવાદ કરતી વખતે ચુસ્ત પ્રાસનો મોહ જતો કરવો પડ્યો છે.

આ કવિતા ‘લ્યુસી’ નામના કાલ્પનિક પાત્ર માટે લખાયેલી છે. વિશ્વ સાહિત્યમાં કાલ્પનિક કે મનગમતી પણ હાથવગી ન થઈ શકે એવી સ્ત્રીને સંબોધીને કવિતાઓ લખવાનો ચીલો નવો નથી. છેક ચૌદમી સદીમાં ઇટાલીના પેટ્રાર્કે (જેને દુનિયા આજે સૉનેટ કાવ્યસ્વરૂપના પિતા ગણે છે) લૉરા ડિ નોવ્સ નામની સ્ત્રી માટે સૉનેટ્સ લખ્યા. જેના પરિપાકરૂપે આવનારી સદીઓ સુધી આવા કૃત્રિમ પ્રણયકાવ્યો લખવાની પ્રણાલિકા સ્થાપિત થઈ જે ‘પેટ્રાર્કન કન્વેન્શન’ તરીકે ઓળખાયું. દાન્તે જેવા દિગ્ગજ કવિએ પણ બિટ્રિસ પોર્ટિનારી માટે આવા પ્રણયકાવ્યો લખ્યાં. શેક્સપિઅરના સૉનેટ્સમાં કોઈક પુરુષપાત્ર માટેનું સમલૈંગિક આકર્ષણ સદાકાળ ચર્ચાનો વિષય છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, ચન્દ્રવદન મહેતાની ‘ઈલા’, ખલીલ ધનતેજવીની ‘અનિતા’ એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’…! લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આજે પણ કલ્પનાનો વિષય છે. કવિએ પોતે કદી આ પાત્રની હકીકત ઉપર પ્રકાશ ફેંક્યો નથી. પણ ‘લિરિકલ બેલડ્સ’ના કાવ્યો બહુધા વાસ્તવિક જીવનમાંથી આવ્યા હોવાથી લ્યુસીને સાવ જ કપોળકલ્પિત ગણી લેવી પણ સર્વથા યોગ્ય નથી. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ વિશદ ચર્ચા જગાવી છે. એમની એક કવિતા ‘લ્યુસી ગ્રે’નો ઉત્તમ ભાવાનુવાદ ‘મીઠી માથે ભાત’ કવિતામાં શ્રી વિઠ્ઠલરાય આવસત્થીએ કર્યો છે. પ્રસ્તુત કાવ્યમાં શરૂમાં બે બીજા પણ ચતુષ્ક હતાં, જેને કવિએ પાછળથી કાઢી નાંખ્યાં હતાં. મૂળ કાવ્યની શરૂઆત આ હતી:

આશ હતી જે મારી, એ શહેરોથી આઘે,
ઊછરી એકાકી વગડામાં;
હોઠ રતુંબલ એના લાલ ગુલાબ જ જાણે,
વાળ ફૂલોની જાણે માળા.

(My hope was one, from cities far,/Nursed on a lonesome heath;/Her lips were red as roses are,/Her hair a woodbine wreath.)

કવિતાની શરૂઆત નાયિકા વણકચડાયેલ માર્ગો વચ્ચે, ઝરણાંઓ પાસે રહેતી હતી ત્યાંથી થાય છે. કવિતા અંતભાગે પહોંચે છે ત્યાં સુધી નાયિકાનું નામ, અને એ મરી ચૂકી છે એ માહિતી ગુપ્ત રહે છે. પણ ‘રહેતી’તી’ કહીને કવિ આ ઘટના ભૂતકાળની હોવાનો ઈશારો તો કાવ્ય ઊઘડતાવેંત જ કરી દે છે. વણકચડાયેલા રસ્તાઓ માત્ર જંગલના નથી, લ્યુસીના વ્યક્તિત્વના પણ છે, મનોજગતના પણ છે અને અબોટ સેક્સ્યુઆલિટિના પણ છે. લ્યુસીના દિલ સુધી, મન સુધી, શરીર સુધી કદાચ કોઈ પહોંચી શક્યું નહોતું. એ રસ્તાઓ કોઈએ હજી સુધી કચડ્યા નથી. એ ઝરણાંઓ પાસે રહે છે. ઝરણાં શબ્દ સાથે જ આપણાં માનસપટ પર સ્વચ્છ, તાજું, શીતળતાદેય, વહેતું પાણી તરવરી આવે. એક કુંવારિકાની તાજપ, અક્ષુણ્ણતા અને ચંચળતા- આ બધું કવિ એક જ વિશેષણમાં રજૂ કરી દે છે. આ શબ્દની તાકાત છે અને વર્ડ્સવર્થ જેવાને એ હસ્તગત છે. બધું હોવા છતાં આ મુગ્ધા, આ સુંદરી દુનિયાની નજરોથી એ રીતે દૂર છે, કે એને વખાણનાર કે ચાહનાર કોઈ નથી. થોમસ ગ્રેની ૧૨૮ પંક્તિની ‘એલિજી રિટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’ કવિતા યાદ આવે: ‘ઘણાં ફૂલ વણદેખ્યાં રહી જવા અને એમની મીઠાશ રેગિસ્તાનની હવાઓમાં વેડફી દેવાને માટે જ જન્મ્યાં હોય છે.’

લ્યુસી ક્યાં રહે છે એ કહ્યા બાદ એ કેવી છે એ તરફ કવિનો કેમેરા ફરે છે. પથ્થર લાંબો સમય ઝરણાં પાસે પડી રહે એટલે સમય એના પર શેવાળ બનીને ફરી વળે. કવિ લ્યુસીને પથ્થર પાછળથી ઊગી આવતું પણ પથ્થરના કારણે અડધું જ નજરે ચડતું અર્ધનિમીલિત આંખ જેવું જાંબુડી ફૂલ કહે છે. તકલીફો પછીતેથીય ઉપસી આવતું પણ વણપ્રીછ્યું જ રહી ગયેલું લ્યુસીનું વ્યક્તિત્વ અને એની સુંદરતા- બંને અહીં છતા થયાં છે. લ્યુસીનું સૌંદર્ય એકલપંડા તારા જેવું છે. વીનસ યાને શુક્રનો તારો મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર તરીકે ઓળખાય છે. રાત પડે ત્યારે અને સવાર પડવાની હોય એ વખતે, બીજા એકેય તારાઓ દૃષ્ટિગોચર થતા ન હોય એ સમયે શુક્રગ્રહ એકલવાયો પ્રકાશતો જોવા મળે છે. જો કે શુક્રના અતિપ્રકાશિત અને સર્વવિદિત ગ્રહ સાથે કવિ અણજાણ જિંદગી જીવી ગયેલી લ્યુસીને સરખાવે છે જરા અજુગતું પણ લાગે છે. જો કે લ્યુસી શબ્દ લેટિન શબ્દ લક્સ યાને પ્રકાશ પડતી ઊતરી આવ્યો છે, એ જોતાં જંગલમાં એકલી હોવા છતાં દેદિપ્યમાન સૌંદર્યની સામ્રાજ્ઞી લ્યુસીની એકલવાયા તારાના પ્રકાશ સાથેની સરખામણી યથાર્થ પણ જણાય છે. વળી, શુક્ર એટલે કે વિનસ ગ્રીક પુરાકથાઓમાં સૌંદર્ય, પ્રેમ અને કામની દેવી છે, એ વાત પણ આ સરખામણીને ટેકો આપે છે. આકાશમાં એક જ શુભ્ર પ્રકાશિત તારો દૃષ્ટિગોચર થતો હોય એમ અવાવરુ જંગલમાં ઝરણાકાંઠે લીલબાઝ્યા પથ્થર પાછળ ખીલેલા એકાકી રંગીન પુષ્પ જેવી એ શોભાયમાન છે…

આખરી બંધમાં યુવતીનું નામ અને એના અકાળ મૃત્યુના સમાચાર આપણને મળે છે. સરનામાં વિનાની ટપાલ જેવી ઓળખાણરહિત જિંદગી એ જીવી ગઈ અને કદાચ એ હવે નથી રહી એની પણ બહુ લોકોને ખબર નહીં હોય. અન્ય એક લ્યુસી કાવ્યમાં કવિ લખે છે: ‘તે મરી ગઈ, અને મારા માટે આ ઉજ્જડ વગડો, આ શાંતિ અને આ નિઃસ્તબ્ધ દૃશ્ય છોડી ગઈ.’ અન્ય લ્યુસી કાવ્યમાં એના મૃત્યુનો ઉલ્લેખ આ રીતે છે: ‘તેની પાસે હવે નથી કોઈ ગતિ, નહીં બળ; એ નથી સાંભળી શકતી, નથી જોઈ.’ જેને કોઈ જાણતું નહોતું એવી સૌંદર્યવતી લ્યુસી હવે કબરમાં જઈ સૂતી છે એમ કહ્યા પછી કવિ ‘રે રે’ના વિસ્મયોદ્ગાર સાથે આ ઘટનાથી પોતાને પડેલા ફરકનો સ્વગતોચ્ચાર કરીને કાવ્ય પૂર્ણ કરે છે.

જિંદગી જેમને ધ્યાનમાં નથી લેતી કે કદર નથી કરતી એ તમામ લોકો માટે કદાચ કવિનું આ કલ્પાંત છે. એવા તારાઓ જે એકલા જ પ્રકાશે છે, મુસાફરી કરે છે અને બળીને અંતે ખતમ થઈ જાય છે. શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ પાછળ આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય! બીજી રીતે જોઈએ તો આ કવિતા કદાચ લ્યુસીની ઓછી છે અને કવિની વધારે છે. કદાચ લ્યુસીની જિંદગી અને મોત કરતાં પણ કવિની સંવેદનશીલતાનું અહીં વધુ મહત્ત્વ હોય એમ પણ અનુભવાય. એક લગભગ ગુમનામ કુમારિકા જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે? પણ કવિ પોતાને પડેલા ફરકની વાત કરીને અટકે છે, ભાવકને અટકવા મજબૂર કરે છે. આગળ કહ્યું એમ વર્ડ્સવર્થ જીવનભર પોતાના અહમનો ભાર ઊંચકીને ચાલ્યા. અહીં દેખીતી રીતે તો કવિ લ્યુસી જેવા એકલવાયા ગુમનામ જીવ પરત્વેની પોતાની દરકાર-પોતાનો ફરક અધોરેખિત કરે છે, પણ આ વાત શેવાળ-છાયો પથ્થર ફૂલને ગમે એટલું ઢાંકે તોય એ અડધુંપડધું દેખાઈ આવે એના જેવી છે. તુચ્છ મનુષ્ય માટે પણ ઉદાત્ત મમતા દાખવીને કવિ ભાવક સામે માત્ર પોતાની તીવ્ર ઊર્મિશીલતા અને સ્નેહભાવ જ ઉજાગર કરવાની કોશિશની આડમાં પોતાનો અહમ છૂપાવવા ઇચ્છે છે પણ કવિની આત્મશ્લાઘાપૂર્ણ પ્રયુક્તિ ન ઇચ્છવા છતાંય છતી થઈ જાય છે. ટૂંકમાં, આ ગીત ક્દાચ એકલી લ્યુસીની જ નહીં, કવિની પોતાની એકલતા અને ખોટનું કરુણપ્રશસ્તિ કાવ્ય છે.

કવિતા એવી ટૂંકી ટચરક છે, કે શરૂ થવાની સાથે જ અંત પામે છે. લ્યુસીના ટૂંકી જીવનરેખા સાથે એ એકદમ સુસંગત છે. સરળ ભાષામાં કવિએ આખી રચનામાં મોટાભાગે એક-એક શબ્દાંશ (single syllables)વાળા શબ્દો જ વાપર્યા હોવાથી કવિતાનો ભાવ દિલને વધુ નજીકથી સ્પર્શવામાં સફળ રહે છે. શબ્દો અને વર્ણનની કરકસર વાતને વધુ અસરદાર બનાવે છે. લ્યુસીની સાદગી સાદી ભાષાના કારણે તાદૃશ થાય છે. પોતાને પડેલા ફરકનો ઉલ્લેખ માત્ર કરીને કવિ પોતાને પડેલા ફરકને અલ્પોક્તિ વડે જે સિફતથી હાઇલાઇટ કરે છે, એ બહુ ઓછા કવિઓ કરી શકે છે. પરિણામે સવા બસો જેટલાં વર્ષોના વહાણાં વાઈ ચૂક્યાં હોવા છતાં આ કવિતા આજે પણ વિશ્વભરના ભાવકોને પ્રભાવિત કરે છે.

શું કરશો હરિ – રેઇનર મારિયા રિલ્કે – અનુ:મકરંદ દવે

પઠન : રીટા કોઠારી
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

.

બોલોને, શું કરશો હરિ
મારા વિના એકલા, જયારે જઈશ હું મરી ?
હું તમારો ઘટ બનું જો ચૂરેચૂરા,

હું તમારા પ્રાણની ઊડી જાઉં જો સુરા,
હું તમારે કસબી હાથ વણાતો જામો
જાઉં સરી તો હાથ તમારો થાય નકામો,
મારા વિના હાય, થશો ઘરબાર વિહોણા,
નેહથી તમને નોતરી કરશે કોણ પરોણા ?

હું તમારી ચાખડી, મારા વિણ ઉઘાડાં
થાક્યાંપાક્યાં ચરણ ઘૂમશે ટેકરા-ખાડા,
સરી પડશે અંગથી તમ વિરાટનો વાઘો
આપણો સંગ જ્યાં ઓગળી જશે આઘો આઘો,
મારા ગાલ પે હેતભરી જ્યાં નજરું ઠરી,
તમને પાછી મળશે ક્યાં એ હૂંફ ઓ હરિ ?

નજરું નમશે ક્યાય તમારી આ વસમી પળે
હિમશિલાની ગોદમાં જેવી સંધ્યા ઢળે,
જીવ આ મારો કાંઈ મૂંઝાતો ફરી ફરી,
શું કરશો હરિ ?

– રેઇનર મારિયા રિલ્કે – અનુ.-મકરંદ દવે

What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.

Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.

Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once –
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.

What will you do, God? I am afraid.

– Rainer Maria Rilke

તારી શીતળ છાયલડીમાં – દુલા ભાયા ‘કાગ’

તારી શીતળ છાયલડીમાં સહુને સુવડાવજે,
તું તપજે તારા સંતાપ એકલો….

દધી તરવા સાગરના તેડાં સહુને કરજે,
બુડી જાજે આશા ભર્યો તું એકલો … 

તારી ફોરમમાં ફોરમ સહું કોઈની ભેળવજે, 
તું રહેજે બદબોનો ધણી એકલો …

ફૂલ- ફૂલના ઘાવો સાથીને આપી દેજે ,
તું સહેજે દ્યણોનો ઘાવ એકલો … 

ધન છોડ્યું રેલવજે, સહુને વહેંચી દેજે, 
લઇ જજે ગરીબી ભાગ એકલો ….

ચૌદ રત્નો મંથનના વિષ્ણુને આપી દેજે , 
શિવ થાજે સાગર કિનારે એકલો….

કોઈ નિર્દોષ ફાંસીએ લટકેલ ને જીવાડી,
ચડી જજે શૂડી પર તું એકલો …. 

તારા રકતોનાં તરસ્યાની તૃષ્ણા ઓલવવા,
તું પાજે રુધિર તારું એકલો ….

હોશિયારીની ગાંસડીઓ સહુને બંધાવજે ,
છેતરાજે સમજ્યાં છતાં તું એકલો ….

તારા વસ્ત્રોની પાંખે જાગને ઢાંકી દેજે ,
તું રહેજે ઊઘાડો બસ એકલો …

ખુશ -ખુશના ભાર સહુની આગળ ધરી દેજે ,
લઇ લેજે ઊનો નિસાસો એકલો …. 

તારાં વૈકુંઠના નાકે જગને તેડાં કરજે ,
તું જાજે દો જખમાં બસ એકલો …

તારા કોમળ વાજિંત્રો મિત્રોને આપી દેજે, 
લઇ લેજે તંબુરો તારો એકલો …

તારાં હંસના ટોળામાં સહું કોઈને ભેળવજે,
ને રહેજે તું કાળો કાગ એકલો … 
-દુલા ભાયા ‘કાગ’ 

ગ્લોબલ કવિતા : ૧૫૧ : સાક્ષી – માર્કસ આર્જેન્ટેરિયસ

Witness

Leaning chest to chest,
breast to breast,
pressing lips on sweet lips,
and taking Antigone’s skin to my skin,
I keep silent
about the other things,
to which the lamp is registered as witness.

– Marcus Argentarius

સાક્ષી

છાતી છાતી સાથે આલિંગનબદ્ધ,
સ્તન સાથે સ્તન,
અધર દબાયા છે મીઠા અધર સાથે,
અને એન્ટિગનીની ત્વચાને મારી ત્વચા બનાવીને
હું રહું છું મૌન
બીજી બધી ક્રિયાઓ પરત્વે
જે સૌનો સાક્ષી બન્યો છે આ દીવો.

– માર્કસ આર્જેન્ટેરિયસ
(અંગ્રેજી પરથી અનુ. વિવેક મનહર ટેલર)

तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं |

પ્રેમના નામે આપણે ગમે એટલાં બણગાં કેમ ન ફૂંકતા હોઈએ, પ્રેમમાં એક થવાની તડપ અને તરસ તો હોય જ. જેમાં બે પાત્ર એકાકાર થવાની આરત ન ધરાવતા હોય એવો આત્મીય પ્રેમ મોટા ભાગે પુસ્તકોમાં જ જીવતો જોવા મળે છે. બે તલસાટસભર દેહનું મિલન ‘નિર્દંભ’ પ્રેમની ચરમસીમાએ થયા વિના ભાગ્યે જ રહે છે. વળી, પોતે જે કર્યું છે એનું રસિક વર્ણન કરવાની પણ એક ઓર જ મજા છે. કવિઓ, ચિત્રકારો, શિલ્પકારો કામકેલિના અમૂર્ત અનુભવોને મૂર્ત કરવામાં જીવનનું સાફલ્ય ગણતાં હોય છે. જો કે, પ્રેમનું વર્ણન કરતી વખતે મુઠ્ઠી જેટલી ઊઘાડી હોય એના કરતાં થોડી બંધ રાખવામાં આવે તો વાત ઓર ચટાકેદાર બનતી હોય છે. કહેવા કરતાં અધૂરું કહેવાની મજા વધારે જ હોવાની. પ્રેમની પરાકાષ્ઠાની વાતો કરતું એક ગીત આપણે સૌએ કદાચ સાંભળ્યું જ હશે: ‘तेरे लबों से प्यार की कलियाँ तोड लूं, तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं’ –આ ગીત આપણા દરેકની ભીતર રહેતા પ્રેમીને ઠે…ઠ ઊંડે જઈને પ્રસવારતું હોય એવી મીઠી અનુભૂતિ કરાવે છે, આપણને મજા પડે છે પણ આ ગીત કંઈ આજના જમાનાની ફળશ્રુતિ નથી એવી ખબર પડે તો? આવું જ ગીત આજથી બે હજાર વર્ષ પહેલાં કોઈ લખી ગયું છે એમ ખબર પડે તો કેવું સાનંદાશ્ચર્ય થાય?! આર્જેન્ટેરિયસનું પ્રસ્તુત લઘુકાવ્ય આ વાત લઈને આપણી સમક્ષ હાજર છે.

માર્કસ આર્જેન્ટેરિયસ. લગભગ બે હજાર વર્ષ પહેલાં થઈ ગયેલો કવિ. એના નામે ગ્રીક એન્થોલોજીમાં ત્રીસેક જેટલા ચાટુક્તિસભર લઘુકાવ્યો (Epigrams) બોલે છે જેમાંના મોટાભાગના સંભોગશૃંગારને લગતા તો કેટલાક શબ્દાર્થની રમત અને વ્યંગસભર છે. શ્લેષાલંકાર (Paronomasia/Lusus verborum) તો એમની કૃતિઓમાં એમની ઓળખ બની રહે એ રીતે રચ્યોપચ્યો જોવા મળે છે. એમના સમયના અન્ય ગ્રીક કવિઓની રચનાઓમાંથી એમના જીવન કે તત્કાલિન સમાજ વિશેની માહિતી મળી આવે છે, જે જે-તે કવિ તથા એના જીવનકાળ પર પ્રકાશ નાંખવામાં મદદરૂપ થાય છે, પણ માર્કસની રચનાઓમાંથી એમના જીવન કે સમાજ પર પ્રકાશ નાંખે એવી કોઈ માહિતી ભાગ્યે જ હાથ આવી છે. એટલે એમના જીવન વિશે નહિવત્ જાણકારી જ ઉપલબ્ધ છે. જાણકારોના અનુમાન મુજબ ઈસુના જન્મ પૂર્વેના શતકમાં એમનો જન્મ થયો હોવાની શક્યતા વધુ છે. એ જમાનામાં વ્યવસાયના આધરે નામકરણ થતું એ જોવા જઈએ તો આર્જેન્ટેરિયસનો અર્થ બેન્કર અથવા ચાંદીનો કારીગર થાય છે. ગ્રીક રુઢિપ્રયોગો તથા પિંગળ પરના કવિનું પ્રભુત્વ હોવાથી લેટિન નામ હોવા છતાં એમની મૂળ ભાષા ગ્રીક હશે અને તેઓ તે સમયની સંસ્કારનગરી રોમના નિવાસી હશે એવું માની શકાય. હૉમરનો પ્રભાવ એમની કલમ પર વર્તાઈ આવે છે. આર્જેન્ટેરિયસની રચનાઓ બહુધા એલેક્ઝાન્ડ્રીઅન હેક્ઝામીટરમાં લખાયેલી જોવા મળે છે, જેના ડેક્ટાઇલ (ગુરુ-લઘુ-લઘુ) અને સ્પોન્ડી (ગુરુ-ગુરુ) પદ્યભારના વપરાશના આધારે પ્રમુખ ચાર પ્રકાર પડે છે: dsddd , ddddd , ssddd, sdddd; જે અનુક્રમે છવ્વીસ, એકવીસ તથા તેર-તેર વાર પ્રયોજાયેલ છે. (સ્ટુઅર્ટ જી. એફ. સ્મૉલના સંશોધનલેખના આધારે)

ઉપલબ્ધ વિશ્વકવિતાના ઇતિહાસનો ઊંડો અભ્યાસ કરતાં સમજાય છે કે પ્રાચીન વિશ્વમાં કોઈપણ સંસ્કૃતિ-કળામાં સેક્સ અને સ્ત્રી-પુરુષના અંગોપાંગના ખુલ્લા વર્ણનોનો કોઈ છોછ નહોતો. ઊઘાડું લખનાર, ઊઘાડું દોરનાર અને ઊઘાડાં શિલ્પ બનાવનાર એ સમાજ વધુ સુસંસ્કૃત હતો, વધુ પુખ્ત હતો અને એ સમાજમાં સ્ત્રીઓ કદાચ વધારે સુરક્ષિત હતી. સમય સાથે જેમ-જેમ આપણે આપણી જાતને વસ્ત્રોથી વધુ ઢાંકતા ગયા, એમ-એમ સભ્યતા અને સંસ્કાર ના નામે આપણે વધુ અસભ્ય અને અસંસ્કારી બનતા ગયા. જાહેર નગ્નતા તરફ છોછ રાખવાનો શરૂ થયો એની સમાંતરે સ્ત્રીઓ પર થતા જાતીય હુમલાઓ વધતા ગયા. સંભોગની ચરમસીમાએ યોનિપ્રવિષ્ટ પૂર્ણઉત્તેજિત શિશ્નપૂજન એ આપણી સંસ્કૃતિનું સાચું ઔદાર્ય સૂચવે છે. આસામમાં કામાખ્યાદેવીના મંદિરમાં યોનિપૂજા કરવા વિશ્વભરમાંથી ભારતીયો આવે છે. સમાજમાં શિવલિંગપૂજા અને યોનિપૂજા તો રહી ગયા આપણે એનો સંદર્ભ ગુમાવી બેઠાં છીએ. વાત્સ્યાયન-ખજૂરાહોની પરંપરાથી સમૃદ્ધ છતાં આપણી સંકીર્ણ રોગિષ્ઠ માનસિકતાએ આજે કામસૂત્રને પણ બદનામસૂત્ર બનાવી દીધું છે. વાત્સ્યાયન અને ખજૂરાહોને આપણે વર્તમાન અને પ્રવર્તમાન રાખવાના સ્થાને ઇતિહાસ બનાવી દીધાં એને આપણી સંસ્કૃતિએ પગ પર કુહાડો માર્યાની ઘટના જ લેખી શકાય. ખેર, આપણે આપણી કવિતા તરફ વળીએ.

વ્યક્તિવાચક સંજ્ઞાથી શ્લેષ જન્માવવા માટે માર્કસ જાણીતા છે. જો કે ક્યારેક નામ માત્ર છંદ સાચવવા (metri gratia) માટે પણ વપરાયા છે. આ કવિતામાં આવતા એન્ટિગ નામ સાથે કોઈ શ્લેષાલંકાર જોડાયેલ હોય તો એ આપણે આજે જાણતા નથી. એન્ટિગની ગ્રીક પુરાકથાઓનું મહત્ત્વનું પાત્ર છે. લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની સગી માતા જોકાસ્ટા સાથે અજાણતા થયેલ લગ્નથી જન્મેલ અનૌરસ સંતાન એ એન્ટિગની. એટલે સંબંધમાં એ ઇડિપસની બહેન પણ ખરી અને પુત્રી પણ ખરી. થીબ્સના યુદ્ધમાં એન્ટિગનીના બન્ને ભાઈઓ પરસ્પર વિરોધી છાવણીમાંથી લડીને વીરગતિ પામે છે. વિજેતા રાજા ક્રિઓન પોતાના પક્ષે લડેલા ઇટિઓક્લિસને તો માનભેર દફનાવવાની તજવીજ કરે છે પણ પોલિનિસસ સામા પક્ષે લડ્યો હોવાથી એનું શબ નગરમાં દાટવાના બદલે યુદ્ધમેદાનમાં ખુલ્લું જ સડવા દેવાનો આદેશ આપે છે જે એ જમાનામાં સૌથી મોટું અવમાન ગણાતું. શબની આ અવહેલના ત્યારે અત્યંત કડક અને શરમજનક સજા ગણાતી. પણ પોલિનિસસને થીબ્સમાં જ દફન કરવાની જિદ્દ પર અણનમ એન્ટિગની આ આદેશનો અનાદર કરવાની કોશિશમાં પકડાઈ જાય છે. પોતે જે કર્યું છે એના પર એન્ટિગનીને પસ્તાવો નથી. એ માને છે કે એણે ઈશ્વરના કાયદાનું પાલન કરવાની, પારિવારિક વફાદારી તથા સામાજિક ઔચિત્ય જાળવવાની કોશિશ જ કરી છે. એ ક્રિઓનની સામે હિંમતભેર ઊભી રહે છે, દલીલો કરે છે, દયાની ભીખ માંગતી નથી અને મૃત્યુદંડની સજા પામે છે. નાટ્યાત્મક વળાંકો પછી ક્રિઓન સજા બદલવાનું વિચારે છે પણ ત્યાં સુધીમાં એન્ટિગની મૃત્યુને વહાલું કરી ચૂકી હોય છે. સર્વકાલીન ઉત્તમ સર્જક સોફોક્લિસની બહુખ્યાત ‘ઇડિપસ ત્રિલજી’માં એન્ટિગની કહે છે, ‘કોઈએ મારા માટે લગ્નગીત ગાયાં નથી, મારી લગ્નશૈયા કોઈએ ફૂલોથી વણી નથી, હું મૃત્યુને પરણી છું’ (No youths have sung the marriage song for me,/My bridal bed/No maids have strewn with flowers from the lea,/’Tis Death I wed.)

એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે. બીજો અર્થ ‘મા-બાપને લાયક’ પણ થાય છે. બે હજાર વર્ષ પહેલાંના પુરુષપ્રધાન ગ્રીસમાં એન્ટિગનીની હિંમત, જિદ અને પરિવાર તરફની ફરજ નિભાવવાની સમજ એને એ જમાનાના પુરુષોથી મુઠી ઊંચેરી સિદ્ધ કરે છે, એની તાકાતનો અહેસાસ કરાવે છે. એના નામના અર્થને એ સાર્થક કરે છે. પ્રસ્તુત રચનામાં એન્ટિગનીનો ઉલ્લેખ એના વિશે આટલું જાણવા છતાંય સમજણના પ્રદેશની જરા બહાર રહી જતો અનુભવાય છે. માર્કસની અન્ય લઘુરચનાઓ જોઈએ:

‘પહેલાં તું, એન્ટિગની, સિસિલિઅન (રસાળ વૈવિધ્યસભર વાનગીઓનો પ્રદેશ) હતી, પણ જ્યારથી તું ઇટોલિઅન (વિવિધ માંગણીઓ કરનાર, ભિખારી) બની ગઈ છે, હું મિડ (કંજૂસ) બની ગયો છું.’ (To me you were formerly a Sicilian, Antigone; but since you/have become an Aetolian, look, I have become a Mede. )

‘ત્રણ વખત તું છીંક્યું, વહાલા ફાનસ! શું, કદાચ, મને એ કહેવા માટે કે આહ્લાદક એન્ટિગની મારા કક્ષમાં આવી રહી છે? કેમ કે આ વાત, મારા સ્વામી, જો સાચી હશે તો, તારે ત્રિપાઈની બાજુમાં, એપોલોની જેમ, ઊભા રહેવું પડશે.’ (Thrice have you sneezed, dear lamp ! Is it, perhaps, to tell me that delightful Antigone is coming to my chamber? For if, my lord, this be true, you shall stand by the tripod, like Apollo, and prophesy to men.)

અન્ય રચનાઓમાંના એન્ટિગનીના આવા ઉલ્લેખ જોતાં એમ માની શકાય કે આ નામ કોઈ સૂચિતાર્થ વિના વપરાયું હોઈ શકે. કવિતામાં તત્કાલીન પાત્રોનો નામોલ્લેખ કદાચ એ જમાનાની કાવ્યપ્રણાલિનો અંશ પણ હોઈ શકે. હશે, કદાચ એમ પણ હોય. પણ કેટલીકવાર કવિતામાં કોઈનો નામોલ્લેખ નામ સાથે જોડાયેલી અર્થચ્છાયા ઊભી કરવા પૂરતો પણ હોઈ શકે. રાણી લક્ષ્મીબાઈનું નામ લેતાંની સાથે જ આપણું ભાવવિશ્વ વીરાંગના સાથે, સ્વાભિમાન અને આઝાદીની ઉત્કટ ઝંખના સાથે સંકળાઈ જાય છે. એ જ રીતે કદાચ આ રચનામાં એન્ટિગનીની હાજરી કદાચ રતિક્રીડામાં સ્ત્રી-પુરુષ વચ્ચે સર્જાતા મૂક સાયુજ્ય દરમિયાન નારીશક્તિનો અહેસાસ કરાવવા ખાતર પણ હોય.

પ્રસ્તુત રચના માર્કસની ઉપલબ્ધ ચાટુક્તિઓ (એપિગ્રાફ્સ)માંની એક છે. મૂળ ગ્રીક ભાષાની આ રચનાના એકાધિક અંગ્રેજી અનુવાદ ઉપલબ્ધ છે. મોટાભાગના અનુવાદો જે રીતે એકબીજાથી નાની-નાની જગ્યાએ અલગ તરી આવે છે, એ જોતાં જ રૉબર્ટ ફ્રોસ્ટ યાદ આવી જાય: ‘કવિતા જ છે, જે અનુવાદમાં ખોવાઈ જાય છે.’ ઉપલબ્ધ અનુવાદોમાંથી જે વધુ સ્પર્શી ગયો એના આધારે આપણે આગળ વધીએ. સમજી શકાય છે કે આ કામક્રીડા સફળતાથી પૂર્ણ થયા બાદની સ્વગતોક્તિ છે.સમ-ભોગ પછીના સંપૂર્ણ સુખમાં બે દેહ અદ્વૈત અનુભવે છે. બે જણ પ્રગાઢ આલિંગનમાં બદ્ધ છે. સ્ત્રીના સ્તન પુરુષની છાતીમાં ભીંસાઈ ગયાં છે. ચાર હોઠ એક થઈ પ્રેમરસનું પાન કરી રહ્યા છે. પ્રેયસીની ત્વચા જાણે પોતાની જ ત્વચા ન હોય એમ પ્રેયસીને ઓઢીને એકાકાર થયેલ પ્રેમી આગળની ઘટનાઓનું વર્ણન કરવાના બદલે અચાનક મૌન રહેવાનું નક્કી કરી, આપણા રસભાવની કસોટી કરતા હોય એમ આગળની વાર્તા આખી ઘટનાના ‘સાક્ષી’ દીવાના ઝાંખા પ્રકાશના હાથમાં છોડી દે છે… આ પ્રિટરિશિયો (Praeteritio)નું સ-રસ દૃષ્ટાંત છે. આ શબ્દાલંકારનું ગુજરાતી ભાષાંતર દોહ્યલું છે. મૂળ લેટિનમાં આ શબ્દનો અર્થ ‘છોડી દેવું’ થાય છે. ના-ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે જેવી આ વાત છે. નથી કહેવું કહીને કહેવાનું. અવગણીને ધ્યાન ખેંચવાનું. એને ઓક્યુલેશિયો, એપોફેસિસ કે પેરાલેપ્સિસ પણ કહે છે. (આ સંજ્ઞાઓનું ગુજરાતી પણ કપરું જ છે!) પણ મુખ્ય વાત ન કહીને કહેવાની છે ને એની આ કવિતામાં ખરી મજા છે. છાતી, સ્તન, હોઠ, ત્વચા –કામકેલિ જે રીતે આગળ વધે છે એ જોતાં આગળ જનનાંગોના નામ કઈ રીતે કવિએ પ્રયોજ્યા હશે કે કામક્રીડાનું રસાળ વર્ણન કવિએ કેવું કર્યું હશે એ જોવા-જાણવાની ઉત્કંઠા કાવ્યારંભે જ તીવ્રતમ થાય પણ કવિતામાં આગળ વધતાં જ કવિ રતિક્રીડાના સાક્ષી દીવાને આગળ ધરી દઈને અચાનક મૌન સેવે છે. આ છે પ્રિટરિશિયો.

એક બીજી આડવાત. શબ્દાલંકારની જ વાત નીકળી છે તો કવિતામાં અધૂરી છોડી દેવાયેલ ભાષાશૈલી – પોલિપ્ટોટન (polyptoton)ને પણ સમજી લઈએ. (આ પોલિપ્ટોટનનું ગુજરાતીકરણ પણ કેમ કરવું?) એક જ મૂળમાંથી જન્મેલા શબ્દોને જોડાજોડ પ્રયોજવાના કવિકર્મને પોલિપ્ટોટન કહે છે. દા.ત.રિચર્ડ બીજો નાટકમાં શેક્સપિઅર કહે છે, With eager feeding, food doth choke the feeder. (આગ્રહપૂર્વક ખવડાવવામાં આવતાં, ખોરાક ખાનારને ગૂંગળાવી શકે છે.) પ્રસ્તુત રચનામાં કવિ છાતી, સ્તન, હોઠ અને ચામડી – એમ વારાફરતી સ્ત્રી અને પુરુષના અંગોની વાત કરે છે. પોલિપ્ટોટન આગળ વધે તો હવે સ્ત્રી અને પુરુષના જનનાંગોના નામ કવિતામાં આવે પણ ત્યાં કવિ વાત અધૂરી મૂકી દે છે… અને કવિતા વધુ રસપ્રદ બને છે.

સાવ એક લીટી જેવડી નાનકડી કવિતા, પરંતુ જેમ કામકેલિની ચરમસીમા પણ ક્ષણિક છતાં પ્રબળ હોય છે એમ જ ટચૂકડી છતાં તાકતવર. છાતી છાતીની સાથે જકડાયેલી છે એમ કહી દીધા પછી સ્તનની વાત કરે છે… બંને અલગ ? કે પછી વર્તુળના પરિઘ પરથી કેન્દ્ર તરફની ગતિ અહીં ઈંગિત થાય છે? પ્રગાઢ ચુંબન પછી નાયક એન્ટિગનીને વચ્ચે કશું જ ન રહે એમ જાતસરસી જકડી લે છે. એની ત્વચા નાયકની ત્વચા બની રહે છે. अब हवा भी नहीं, तेरे मेरे दरमियां।

ચસોચસતા હો એવી કે હવાની આવજા દુષ્કર બને,
સતત એવા અને એથી પ્રબલ આલિંગનોને શોધું છું.

– અને આ તીવ્રાનુભૂતિ પર આવીને નાયક અચાનક જ મૌન રહેવાનું જાહેર કરે છે… ‘બીજી તમામ ક્રિયાઓ’ બોલીને એ બીજી તમામ ક્રિયાઓની હાજરી હોવાનું તો સમર્થન કરે છે પણ એ ક્રિયાઓ વિશે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. પ્રેમ તો આગળ વધે છે પણ કથા અટકી જાય છે. અહીં સુધીની અને હવે પછીની તમામ ઘટનાઓનો દીવો મૂંગો સાક્ષી બની રહે છે. આમ તો દીવાનું તો કામ પ્રકાશ નાખવાનું છે. અંધારું દૂર કરવાનું છે. અહીં એ બંને પ્રણયરત નિર્વસ્ત્ર પ્રેમીઓના શરીરને પણ પ્રકાશિત તો કરે જ છે પણ જે ઘટના બંને વચ્ચે ઘટી ચૂકી છે કે ઘટી રહી છે એના પર પ્રકાશ ફેંકતો નથી. આખી ઘટનાનો એકમાત્ર સાક્ષી હોવા છતાંય દીવો પ્રકાશ પાડવાના બદલે સમગ્ર ઘટનાને અંધારામાં રાખે છે. આ પેરાડોક્સ-વિરોધાભાસ માત્ર એક જ લીટીની સાવ સામાન્ય લાગતી સંભોગોક્તિને કાવ્યની કક્ષાએ લઈ જાય છે.

બીજું, અહીં જે પ્રણયની તીવ્રતમ અનુભૂતિ છે એ આ કાવ્યનો આત્મા છે. વાત તો શારીરિક પ્રેમની જ છે પણ એકબીજામાં ઓગળી જવાની પરાકાષ્ઠા, પ્રિયજનની ત્વચાને પોતાની બનાવી લેવાની ઉત્કંઠા દૈહિક આવેશમાં કાવ્યપ્રાણ પૂરે છે. પ્રગાઢ આલિંગન, ચુંબન અને સંભોગથી કવિતા ખુલે છે અને મૌનમાં સમેટાય છે એ જ કેટલું સૂચક છે! પ્રણયની પરાકાષ્ઠાએ શરીર અને શબ્દો – બંને ઓગળી જાય છે. દિવેટ બળે અને મીણ ઓગળે ત્યારે જ અંધકારને મારી હટાવતો પ્રકાશ રેલાય છે. આપણી જાત, આપણી એષણાઓ બળી જાય અને બે જણ એકમેકમાં ઓગળી જાય ત્યારે જ પ્રેમનો શાશ્વત પ્રકાશ રેલાય છે. શબ્દો સળગી ઊઠે અને શબ્દાર્થ પણ મૌનમાં ઓગળવા માંડે એ ઘડી દ્વૈતમાંથી અદ્વૈત તરફની ગતિની, ચિર સાયુજ્યની પરમ ઘડી છે. ઓશો પણ સંભોગથી સમાધિની વાત કરે છે, કેમકે સેક્સની પરાકાષ્ઠાએ જ મનુષ્ય ઈશ્વરની સહુથી વધારે નજીક હોય છે. કામક્રીડાની ચરમસીમા પર હોઈએ એ એક ઘડીએ જ આપણે સંપૂર્ણ શરીરવિહીનતા-સ્વશૂન્યતાની ધન્યાવસ્થાએ પહોંચી શકીએ છીએ, જે અન્યથા વર્ષોના ધ્યાનથી પણ સંભવ બનતું નથી.

આ ગ્રીક કવિતાના અલગ-અલગ અંગ્રેજી અનુવાદ થયા છે જેમાંના એકનું ભાષાંતર કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીને’ પણ કર્યું છે, એ પણ જોઈએ:

એના નિર્વસ્ત્ર ભરાવદાર સ્તન
પડ્યાં છે મારી છાતી પર
ને એના અધરો પુરાયા છે મારા અધરો વચ્ચે.

મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
નથી કોઈ આવરણ અમારી વચ્ચે.

આગળ કશું નહીં કહું,
એનું સાક્ષી તો છે માત્ર ઝાંખું ફાનસ.

પ્રેમમાં ખેંચાણ છે – મરીઝ

સ્વર : ઓસમાણ મીર
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

.

પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.

કૈંક ખામી આપણા આ પ્રેમનાં બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.

હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને.

થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી,
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને.

હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને.

આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’,
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.
– મરીઝ

ગ્લૉબલ કવિતા : ૧૫૦ : જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’

ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

ગુજરાતી ભાષાનું અમર કરુણપ્રશસ્તિ કાવ્ય

माया મનુષ્યમાત્રની લાક્ષણિકતા છે, કદાચ સજીવમાત્રની! સમયની સાથે આપણને આપણી આસપાસના માત્ર સજીવો જ નહીં, નિર્જીવો સાથે પણ માયા બંધાઈ જાય છે. આપણા ઘર-ઑફિસ-વાહન-સામાન આપણા જીવનના અવિભાજ્ય અંગો બની જાય છે. મોબાઇલ બગડી જાય ત્યારે જે દુઃખ થાય છે, એ માત્ર નવા કરવા પડનાર ખર્ચ બાબતનું નથી હોતું કેમકે બગડતાં પહેલાં એ આપણી હથેળીના પરિવારનો એક સદસ્ય બની ચૂક્યો હોય છે. પાંડવો સ્વાર્ગારોહણ માટે હિમાલય પર ગયા, ત્યારે અનાયાસ એમની સાથે જોડાઈ ગયેલું કૂતરું એમના પરિવારનો જ હિસ્સો બની ગયું હતું, અને એને લીધા વિના યુધિષ્ઠિર સ્વર્ગમાં પ્રવેશવા તૈયાર નહોતા થયા. મૂંગા પ્રાણીઓ માટે આવી મમતા થઈ આવતી હોય તો માનવી-માનવીની તો વાત જ શી કરવી? અને એમાંય મૃતક જો નિકટનું સ્વજન હોય તો તો આ બંધન પરાકાષ્ઠાએ જ હોવાનું ને?! ઘરની દીવાલોની વચ્ચે સમય કાઢતા માનવી સમય જતાં અનાયાસે જ એ દીવાલોને શ્વસવાનું શરૂ કરી દેતો હોય છે. પરિવારજનો માટેના સ્નેહ અને નિર્જીવ ઘરવખરી માટેના ખેંચાણ વચ્ચે ક્યારેક ભેળસેળ પણ થઈ જાય છે. આવી જ માયા અને ભેળસેળવાળી પરિસ્થિતિ કેન્દ્રમાં રાખીને બાલમુકુન્દ દવેએ આપણને ગુજરાતી ભાષાનું અમર સૉનેટ આપ્યું છે.

બાલમુકુન્દ દવે. જન્મ ૦૭-૦૩-૧૯૧૬ના રોજ વડોદરા પાસેના મસ્તુપુરા ગામમાં. પિતા મણિશંકર ગિરજાશંકર દવે. માતા નર્મદાબેન. પિતા ગામોટ ગોર હતા. પ્રાથમિક શિક્ષણ પ્રકૃતિના ખોળે મસ્તુપુરા-કુંવરવાડાની ગુજરાતી સરકારી શાળામાં. વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૩૭માં જાસુદબહેન સાથે પ્રથમ લગ્ન. એમનું નિધન થતાં ૧૯૪૧માં ચંદનબહેન સાથે બીજાં લગ્ન. ૧૯૪૦માં નોકરીની શોધમાં અમદાવા આવી સ્થાયી થયા. શરૂઆતમાં ‘સસ્તું સાહિત્ય’ કાર્યાલયમાં. થોડો વખત પત્રકારિત્વ. ૧૯૬૮થી ૧૯૯૧ સુધી ‘નવજીવન’ પ્રકાશિત ‘લોકજીવન’ના તંત્રી. ૧૩-૧૪ વર્ષની વયે કાવ્યસર્જનનો પ્રારંભ. ૨૮-૦૨-૧૯૯૩ના રોજ ૭૭ વર્ષની વયે નિધન.

અનુગાંધીયુગીન કવિઓમાંના નોંધપાત્ર. ઘર-ગામ-તળાવ-ખેતર અને શાળાના રસ્તે અનવરત થયે રાખેલ પ્રકૃતિપાન ઉપરાંત પ્રાસંગિક ગીતો-પ્રભાતિયાં, વિશદ વાંચન, કુમારની બુધસભા અને વેણીભાઈ પુરોહિત જેવાઓની મૈત્રીનો કવિ બાલમુકુંદના ઘડતરમાં પ્રમુખ ફાળો. એમના મતે એમના પર ‘પ્રકૃતિસૌન્દર્ય, પ્રણય અને પ્રભુભક્તિ –એ ત્રણ ‘અંગ’માંથી પ્રકૃતિસૌન્દર્યની અસર વિશેષ વર્તાય છે.’ સુ.દ. લખે છે: ‘બાલમુકુંદ પડઘાઓના નહીં, પણ પોતીકા અવાજના કવિ છે…. …મૃત્યુનો અનુભવ બાલમુકુંદના વિષાદનું કેન્દ્ર છે. માતા, મિત્ર, પત્ની અને પુત્ર એ ચારેયનાં મૃત્યુની છાયા કવિના શબ્દ પર પડી છે.’ કવિએ બહુ લખ્યું નથી પણ જેટલું લખ્યું છે એ નખશિખ આસ્વાદ્ય છે. એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતો આપણી ભાષાનો આગવો ટહુકો બની રહ્યાં છે. એમની કવિતા જાત-અનુભૂતિની ભોંય ફાડીને અંકુરિત થયેલી છે. સરળ અને મધુર ભાષામાં લયાન્વિત એમની બાની હૃદયને તુર્ત જ સ્પર્શી લે છે. એક તરફ પરંપરા તો બીજી તરફ ગાંધીયુગીન સંસ્કારો સાથે તાદાત્મ્ય સાધીને પણ તેઓ સફળતાપૂર્વક નિજી છબી ઉપસાવી શક્યા છે. બાળકાવ્યોથી માંડીને પ્રૌઢશિક્ષણ અને મુક્તક, ભજન, ગીતોથી લઈને સૉનેટ-ખંડકાવ્યો સુધીની બૃહદરેખ પર એમનું સર્જનફલક વિસ્તાર પામ્યું છે. કવિતા વિશે બાલમુકુન્દ દવેના શબ્દો નોંધવા જેવા છે: ‘મૌનનું પડ ફોડીને કવિતાનો શબ્દાંકુર બહાર પ્રગટે છે, તે પૂર્વે ભોમ-ભીતરમાં ચાલતી કવિતાબીજ ફણગાવવાની નિગૂઢ પ્રક્રિયા તપાસવી, એ જેટલું રસપ્રદ એટલું જ અટપટું છે…. બારીક મોજણી કરવા છતાંય, કશુંક એવું બાકી રહી જય છે જે પૂરેપૂરું પામી શકાતું નથી અને જે કવિતાને ‘કવિતા’ બનાવે છે. આ જે તત્ત્વ શેષ રહી જાય છે એ જ કવિતાનું ‘વિશેષ’ છે!’

‘જૂનું ઘર ખાલી કરતાં’ આપણી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠ સૉનેટોમાંનું એક છે. કવિએ અહીં કરુણ રસનિર્વાહ માટે વધુ અનુકૂળ મંદાક્રાંતા છંદ બે-ચાર નાની છૂટ લઈને પ્રયોજ્યો છે. અષ્ટક-ષટક મુજબની પ્રચલિત પંક્તિ સંખ્યાના સ્થાને એમણે ષટક-અષ્ટક પ્રયોજ્યાં છે અને ષટક પછી ભાવપલટો આણીને છેલ્લી બે પંક્તિમાં અભિપ્રેત ચોટ નિપજાવી છે. સૉનેટની પહેલી બારેય પંક્તિઓને કવિએ પ્રાસની પળોજણમાં નાંખી ન હોવાથી ભાવક મુક્તવિહારની અવસ્થા લઈને કાવ્યાંતે પહોંચે છે ત્યારે અચાનક જ ‘આઉટ ઑફ બ્લૂ’ છેલ્લી બે પંક્તિમાં એનો સામનો પ્રાસ સાથે, ના, ચુસ્ત પ્રાસ સાથે થાય છે ત્યારે આખરી બે પંક્તિઓની ચોટ વધારે ધારદાર બની રહે છે અને ભાવકના અસ્તિત્ત્વને ચીરી નાંખવામાં સફળ રહે છે. કવિએ અનાયાસે જ પ્રાસ મેળવી દીધો હોય તોય એટલું સહજ સ્વીકારવું પડે કે આ પ્રાસ સૉનેટને અત્યંત ઉપકારક નીવડ્યો છે. અને આમ તો કવિ नवरसरुचिरा ગણાય છે, પણ ભવભૂતિએ તો एको रसः करुण एव કહીને કરુણ રસને એકમાત્ર મુખ્ય રસ ગણાવ્યો છે. દુઃખ કરુણરસની નિષ્પત્તિનો વિભાવ છે અને દુઃખની ઉત્પત્તિના અનેક કારણોમાંનું એક તે મૃત્યુ. આમ તો આપણે જાણીએ જ છીએ કે जातस्य हि ध्रुवो मृत्युः પણ નિશ્ચિત હોવા છતાં સમયરેખા પર અનિશ્ચિત રહેતું મૃત્યુ હંમેશા અણધાર્યું દુઃખ જન્માવે છે અને આ મૃત્યુ જો નિકટતમ સ્વજનનું હોય તો તો વિષાદનો રંગ ઓર ઘેરો બની રહે છે. વેદનાથી ફાટફાટ કવિહૃદયમાંથી આવા સમયે ફૂટી નીકળતા ઝરણાંને આપણે કરુણપ્રશસ્તિ (Elegy) કાવ્યો તરીકે ઓળખીએ છીએ. રામાયણ-મહાભારતમાં જોવા મળતાં ‘મંદોદરીવિલાપ’ તથા ‘ઉત્તરાવિલાપ’; કાલિદાસના ‘કુમારસંભવમ્’માં ‘રતિવિલાપ’ અને ‘રઘુવંશમ્’માં ‘અજવિલાપ’માં કરુણપ્રશસ્તિ કાવ્યોનો સહજ ઈશારો જોવા મળે છે. ગુજરાતી ભાષામાં ૧૮૬૫માં દલપતરામે લખેલ ‘ફાર્બસવિરહ’ને આપણે ગુજરાતી કરુણપ્રશસ્તિકાવ્યોનું પ્રારંભબિંદુ ગણી શકીએ. એમના પુત્ર ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ પણ કરુણપ્રશસ્તિ કાવ્ય. નરસિંહરાવનું ‘સ્મરણસંહિતા’, પાઠકનું ‘છેલ્લું દર્શન’, ઉમાશંકરનું ‘સદગત્ મોટાભાઈ’ વગેરે આપણા ઉત્તમ કરુણપ્રશસ્તિ કાવ્યો છે. બાલમુકુન્દ દવેનું પ્રસ્તુત કાવ્ય આ કાવ્યોની પંગતમાં હારોહાર બેસે છે.

પ્રસ્તુત રચના કવિના પ્રથમ પુત્રના અવસાન નિમિત્તે લખાઈ છે. કવિતામાં ભલે ખાલી કરાતા ઘરમાં પુત્રપ્રાપ્તિની વાત કરાઈ હોય, હકીકતે પુત્રનો જન્મ તો રિવાજાનુસાર કવિપત્નીના પિયરના ગામ શેરખી ખાતે થયેલો અને પછી મા-દીકરા અમદાવાદના આ ઘરે આવ્યાં. પુત્ર ગંભીર બિમારીમાં સપડાયો એ જ સમયે ગામમાં કવિના પિતાની તબિયત પણ ગંભીર થઈ. એમની ખબર કાઢવા સૌ ગામ ગયા ત્યાં પુત્રનું અવસાન થયું અને બીજા દિવસે કવિના પિતાનું પણ. કવિ લખે છે: ‘મારી તો બંને પાંખ કપાઈ ગઈ! ખાલી હાથે અમદાવાદ આવ્યાં! ઘર તો ખાવા ધાય! (-જે ઘર પછી અમે ખાલી કર્યું.) આવા ઘેરા વિષાદ વચ્ચે ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ રચાયું –એમાં પિતાપુત્ર બંનેના મૃત્યુના વિષાદનો બેવડો ભાર છે. પુત્ર જન્મ્યો શેરખીમાં, અવસાન પામ્યો મસ્તુપુરામાં અને સૉનેટ રચાયું અમદાવાદમાં! કવિતાની ગતિવિધિ આવી મનસ્વિની છે! એ સ્થળકાળ વટાવીને પોતાની રીતે જ પ્રગટ થાય છે.’

પ્રસ્તુત સૉનેટ ગઈકાલની અને આજની ગુજરાતી ભાષા વચ્ચેના સંધિકાળ પર ઊભું છે, જે એની ખાસ વિશેષતા ગણી શકાય. ટૂથબ્રશ, લક્સ સાબુ, ચશ્માં, ક્લિપ, બટન જેવા અંગ્રેજી શબ્દોની અડોઅડ કૂખકાણી, અંક, દૃગ, કણિકા, મણીકા જેવા આજે અપ્રચલિત બની ગયેલા શબ્દો અહીં એકદમ સહજતાપૂર્વક વપરાયા છે. કદાચ એટલે જ આ સૉનેટ દરેક પેઢીને પોતીકું લાગતું આવ્યું છે, લાગતું રહેશે. શીર્ષકના કારણે કવિતા વાંચવી શરૂ કરતાં પહેલાં જ ભાવકને જાણ છે કે જૂનું ઘર ખાલી કરવામાં આવી રહ્યું છે, એટલે પ્રથમ પંક્તિ વાંચતાની સાથે આપણો મેળાપ મધ્યમવર્ગની માનસિકતા સાથે થાય છે. મમતાની દોર તોડવી કપરી છે એ કારણ તો ખરું જ પણ, મૂળે તો ઘર ખાલી કરી દીધા બાદ પણ મધ્યમવર્ગીય માનવી ‘કદાચ કંઈક બાકી રહી ગયું હોય તો?’ની માનસિકતાથી આઝાદ થઈ શકતો નથી, એટલે એ ખાલી કરાયેલું ઘર માત્ર ફંફોસતો નથી, ફરી-ફરીને ફંફોસે છે. (એકીસાથે આવતા ત્રણ ‘ફ’ની વર્ણસગાઈ કવિતાના ઊઠાવને વધુ ગતિશીલ બનાવી દે છે.) અને એને નિરાશા પણ નથી મળતી. એને હાથ છૂટકમૂટક એકાદ-બે વસ્તુઓ નહીં, ‘ખાસ્સું’ લાગે છે. આ ‘ખાસ્સું’ની જે યાદી છે, એ ‘મિડલક્લાસ મેન્ટાલિટી’ની મહોર ઓર ગાઢી બનાવે છે.

નવા ઘરમાં સહેજે કામ ન આવે એવી જ બધી વસ્તુઓ કવિને હાથ આવે છે, કેમકે કામ આવે એ તમામ ઘરવખરી તો ક્યારની લારીમાં લદાઈ ચૂકી છે. ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. જૂનું ઝાડું, ટૂથબ્રશ, વપરાયેલા સાબુની બચેલી ગોટી, ઢાંકણ વગરની શીશી, ડબલું, કૂખેથી કાણી (અર્થાત્ કોઈ કાળે કામ ન આવે એવી) ડોલ, તૂટેલાં ચશ્માં અને છેલ્લે શોધવું પણ અઘરું થઈ પડે એવી સાઇઝની વસ્તુઓ – બટન, ટાંકણી, સોય અને દોરો! આમાં કઈ વસ્તુ નવા ઘરમાં કામ લાગી શકે એવી છે, કહો તો?! કવિએ આ યાદીમાં ભૂલથી પણ એકય કિંમતી કે કામની વસ્તુ આવી ન જાય એની ચીવટ લીધી છે. છેલ્લે દરવાજા બહાર લટકતું નામનું પાટિયું પણ કવિ પાછળ છોડી શકતા નથી. આ મધ્યમવર્ગીય માનવીની સંઘરાખોરીની વૃત્તિ છે. તો બીજી તરફ, એને એ પણ ખબર છે કે આ રાચરચીલું કાંઈ ગર્વ લેવા જેવું પણ નથી. ભલે ત્યાગી નથી શકાતું, પણ એ પોતાની માલિકીનું હોવાનો ઢંઢેરો પીટતાં એને શરમ પણ એટલી જ આવે છે. એટલે એ પોતાના નામનું પાટિયું છોડી ભલે નથી, શકતો, લારીમાં એને ઊંધું મૂકે છે, જેથી કોઈ જોઈ-જાણી ન શકે કે આ ‘બહુમૂલ્ય’ અસબાબ કોનો છે! મધ્યમવર્ગની માનસિકતાનું આથી વધુ અસરદાર ચિત્રણ બીજે જડવું દોહ્યલું છે.

કવિએ એ અહીં એક કાંકરે એકાધિક પક્ષીઓ માર્યાં છે. પ્રથમ ષટકમાં સામાનની મૂલ્યહીનતાની સાથોસાથ કવિતામાં રમૂજી હળવાશ અનુભવાય છે, જે ઉત્તરાર્ધ સાથે તીવ્ર વિરોધાભાસ સર્જવામાં સફળ નીવડે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ સામાન છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને ઘર તરફ છેલ્લી નજર નાંખે છે ત્યારે. ફરીફરીને ફંફોસી-ફંફોસીને ઝીણામાં ઝીણી વસ્તુઓ વીણી અંકે કરી લઈ, લારીને વિદાય કર્યા બાદ પણ દંપતી આગળ વધી શકતું નથી. પહેલાં તો હાથે ચડ્યો એ સૌ સામાન વીણીને લારીમાં ભરી લીધો, હવે હાથે ન ચડી શકે એવા ઘરને નજરમાં ભરી લેવાનું છે. ઘર તરફ નજર કરતાં જ એવું ઘણું યાદ આવે છે, જે એકેએક વસ્તુઓ ઉસેટી લેવાની લ્હાયમાં યાદ જ નહોતું આવ્યું. પ્રમાણમાં ઓછા જાણીતા કવયિત્રી ચંદ્રિકાબહેન પાઠકજીનું એક લઘુ કાવ્ય અહીં યાદ આવે છે:

જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?

મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.

બાલમુકુન્દ દવે કરતાં ખાસ્સા ઓછા વાક્યો અને ઓછા શબ્દોમાં લાગણીને સહેજ પણ મુખર થવા દીધા વિના કવયિત્રીએ સંતાન/નોએ બારી-દીવાલ-દાદરે કરેલાં, ખસેડી-સમેટી ન શકાતાં ચિતરડાંઓની વાત કરીને સંતાનશોક વધુ સંયત રીતે રજૂ કર્યો છે. પ્રસ્તુત સૉનેટમાં પણ ખાલી ઘર પર આખરી મીટ માંડતા કવિદંપતીની આંખ સામે વીતી ગયેલાં દસ વરસ ક્ષણાર્ધમાં આવી ચડે છે. લગ્ન કરીને બંને જણ આ ઘરમાં આવ્યાં હતાં. આ ઘરમાં જ સહજીવનની શરૂઆતનો મુગ્ધતાસભર આખો દાયકો વીતાવ્યો હતો. દસ વર્ષના લગ્નજીવનના ખટમીઠા સંભારણાંની સાથોસાથ જ બંનેને પહેલો દીકરો યાદ આવે છે. અરે! આ ઘરમાં તો ઈશ્વરકૃપા સમો પ્યારો પુત્ર મળ્યો! પ્રથમ સંતાન કયા મા-બાપને ઈશ્વરના વરદાનથી સહેજ પણ ઓછું લાગતું હશે? પણ સંતાનપ્રાપ્તિની આ મધમીઠી યાદનું આયુષ્ય કવિતામાં એક જ પંક્તિનું છે. સંતાનસુખ-પુત્રસુખ જો કે કવિના નસીબમાં હતું જ નહીં. આ ઘરમાં લગ્ન થયા, આ ઘરમાં પત્નીએ પગ મૂક્યો, આ ઘરમાં દીકરો મળ્યો અને આ ઘરમાં જ દીકરાને ગુમાવવાનું બદનસીબ પણ સાંપડ્યું. આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. પોતાને જીવતેજીવ સંતાન, પ્રથમ સંતાન મૃત્યુ પામે એ ઘા કોઈપણ મા-બાપ માટે દુનિયામાં સૌથી વસમો અને અસહ્ય હોય છે. આ ઘર એ સંતાનની યાદોથી ભર્યુંભાદર્યું છે. ઘરના કોઈ એક ખૂણામાંથી અચાનક મરી ગયેલો દીકરો જાણે પુનર્જીવીત થઈ ઊઠે છે અને સામો આવીને મા-બાપને હૈયાસોંસરવો પ્રશ્ન પૂછે છે: ‘બા-બાપુ! તમે એકેય વસ્તુ આ ઘરમાંથી નવા ઘરમાં લઈ જવાની ભૂલ્યાં નહીં. સાવ તૂટલી-ફૂટલી, ઘસાયેલી વસ્તુઓય લેવાનું તમે બાકી ન રાખ્યું. એક મને જ ભૂલી ગયાં કે?’ અહીં વાક્યાંતે આવતો ‘કે’ છંદ જાળવવા માટે પ્રયોજાયેલો ભરતીનો અક્ષર નથી, એ આપણા તમામ છંદોલયને વેરવિખેર કરી નાંખતો વજ્રાઘાત છે.

કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે, ગમે ત્યાં ‘સાથે’ તો લઈ જવાતી હતી ને! પણ મહામૂલા પુત્રરત્નની પ્રાપ્તિ અને ખોવા વચ્ચેના સંસ્મરણો શું ફરીફરીને ફંફોસી ફંફોસીને પણ સાથે લઈ જવાશે ખરું? સાવ નકામી કહી શકાય એવી વસ્તુઓને સાથે લઈ જઈ શકાવાની ક્ષમતા અને પ્રિયમાં પ્રિય પુત્રના સ્મરણોને લઈ ન જઈ શકાવાની અક્ષમતા વચ્ચે કવિએ જે ધારદાર વિરોધાભાસ ઊભો કર્યો છે, એ વેદનાનું એવરેસ્ટ છે. મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. ક્ષુલ્લક ભાસતા વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.

દંપતીની આંખો આંસુઓથી ભરાઈ આવે છે. પણ સાફ જોવા માટે તો આંખ કોરી જોઈએ. સજલ આંખો ઘર તરફ માંડેલી આખરી મીટને ધૂંધળી બનાવે છે, એ અનુભૂતિને આંખમાં કાચની કણી ભોંકાતી હોય એની સાથે સરખાવીને કવિએ દેખાવે કાચ જેવા પ્રવાહી આંસુનું ઘનીકરણ કરીને તકલીફને અસહ્ય બનાવી છે. નાનું ધૂળનું કણુંય આંખમાં પડ્યું હોય તો સહી શકાતું નથી, અહીં તો જાણે કાચની કણી ભોંકાઈ રહી છે. કેવી પીડા! વળી, જેમ કાવ્યારંભે ‘ફ’કારની વર્ણસગાઈ સૉનેટના ઊઠાવને મદદરૂપ નીવડે છે, એ જ રીતે કાવ્યાંતે ‘કાચ કેરી કણિકા’માં એકસાથે આવતા ચાર ‘ક’ની કઠોર વર્ણસગાઈ કણીની કર્કશતામાં વધારો કરીને શોકની પીડા વધુ તીવ્રતર બનાવે છે. વળી, આંખ માટે દૃગ શબ્દ પ્રયોજીને બીજી પંક્તિમાં કવિ પગલાં માટે ડગ શબ્દ વાપરીને આંતર્પ્રાસ વાપર્યો હોવાથી વાક્યાંતે આવતો કણિકા-મણીકાનો ચુસ્ત પ્રાસ વધુ બળવત્તર બને છે. સુરેશ જોષી લખે છે: ‘એ બંધ બેસી જતા પ્રાસની વચ્ચે જાણે શિશુવિયોગી માતાપિતાનાં હૃદય દબાઈ ગયાં છે! પ્રાસના રેણથી સંધાઈ ગયાં છે!’

લારી ચાલી નીકળી છે. જૂનાં ઘર તરફ છેલ્લીવાર નજર નાંખવાનો લોભ દંપતિને ભારે પડ્યો છે. પુત્રસ્મૃતિને લઈને આંખમાં આંસુઓ ખૂંચી રહ્યાં છે અને આંસુસભર આંખે આગળ ચાલવાની કોશિશ કરવા જતાં સમજાય છે કે પગ પર કોઈને લોઢાના મણકાઓ બાંધી ન દીધા હોય એમ પગ પણ ઊપડી-ઊપાડી ન શકાય એવા ભારી થઈ ગયા છે. નગીનદાસ પારેખ લખે છે: ‘આખા કાવ્યની ભાષા સાદી, સ્વાભાવિક, સીધી અંતરમાંથી આવતી, અને લાગણીની સચ્ચાઈના રણકાવાળી છે- લગભગ નિરલંકાર છે, એ પણ કાવ્યની અસરકારકતામાં વધારો કરે છે.’ ચન્દ્રશંકર ભટ્ટ પણ આવું જ કહે છે: ‘ભાવની સ્પર્શક્ષમ અભિવ્યક્તિ માટે ભારેખમ પદાવલિ અનિવાર્ય નથી, તેનું સમર્થ ઉદાહરણ આ કાવ્ય.’ ગુજરાતી ભાષાના આ ઉત્તમ કરુણપ્રશસ્તિ સૉનેટનો સુગુના રામનાથન તથા રીટા કોઠારીએ ‘મૂવિંગ હાઉસ’ નામે અફલાતૂન અંગ્રેજી તરજૂમો પણ કર્યો છે. રસિક મિત્રોને એમાં પણ રસ પડે એમ છે.

જીવનની એક જ દારુણતમ ઘટનાની અભિવ્યક્તિ કાજે એક જ કવિ બે અલગ કાવ્યસ્વરૂપ પસંદ કરે ત્યારે કવિતામાં અકલ્પ્ય અંતર નજરે ચડે છે. પ્રાણપ્યારા પુત્રના મૃત્યુનો શોક સૉનેટમાં ઊતાર્યા બાદ કવિએ આ જ વિષય પર એક ગીત પણ લખ્યું. માત્ર કાવ્યસ્વરૂપભેદના કારણે કવિતામાં કેવું મોટું અંતર સર્જાય છે એ રસનો વિષય બને છે. ગીત જોઈએ:

સોનચંપો

રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?

વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !

કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !

સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !

સાચી છે મહોબ્બત – મરીઝ

પઠન : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

સાચી છે મહોબ્બત તો એક એવી કલા મળશે,
મળવાના વિચારોમાં મળવાની મજા મળશે.

તે બાદ ખટક દિલમાં રહેશે ન ગુનાહોની,
જ્યારે તું સજા કરશે ત્યારે જ ક્ષમા મળશે.

ભૂતકાળની મહેફિલમાં ચાલો ને જરા જોઈએ,
જો આપ હશો તો સાથે ફરવામાં મજા મળશે.

દુનિયાના દુઃખો તારો આઘાત ભૂલાવે છે,
નહોતી એ ખબર અમને આ રીતે દવા મળશે.

માનવને ય મળવામાં ગભરાટ થતો રે’છે,
શું હાલ થશે મારો જ્યારે ખુદા મળશે.

થોડાક અધૂરાં રહી છૂટા જો પડી શકીએ,
તો પાછું મિલન થાતાં થોડીક મજા મળશે.

હું યત્ન નહીં કરતે જો એની ખબર હોતે,
પણ જાણ નથી શું શું તકદીર વિના મળશે.

સમજી લ્યો ‘મરીઝ’ એની સૌ વાત નિરાળી છે,
‘હા’માં કદી ‘ના’ મળશે, ‘ના’માં કદી ‘હા’ મળશે.

– મરીઝ

ગ્લૉબલ કવિતા : ૧૪૯ : ગુલાબ લાલ, લાલ – રોબર્ટ બર્ન્સ

A red, red rose

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

ગુલાબ લાલ, લાલ

રે! મારો પ્રેમ છે ગુલાબ લાલ, લાલ સમ,
તાજું જે ખીલ્યું જૂનમાં,
રે! મારો પ્રેમ જાણે સંગીતની સરગમ,
બજે જે મીઠી સૂરમાં.

છોરી! તું જેટલી છે સુંદર ને ગોરી,
હું એટલો પ્રેમમાં ગરક:
ને તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો સાગર થાય સૂકાભટ:

છો સાગર થાય સૂકાભટ ને, મારી વહાલી,
સૂર્ય સંગ પહાડ પીગળી જાય:
તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો જીવનરેત સરકી જાય.

ને અલવિદા, ઓ મારી એકમાત્ર પ્રિયા !
ને અલવિદા, બસ, થોડી વાર!
ને હું પાછો ફરી આવીશ, મારી પ્રિયા,
ભલે જોજન હો દસ હજાર.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય કવિનું લાલચટ્ટાક પ્રેમગીત

પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિ તથા અભિવ્યક્તિમાં અતિશયોક્તિ એ આદિકાળથી મનુષ્યમાત્રની અનિવાર્યતા રહી છે. આજપર્યંતના પ્રેમીઓએ પ્રેમિકાઓને આપેલા વચન મુજબ જો આકાશમાંથી ચાંદ-તારા તોડી શકાયા હોત તો આજે આકાશ ચાંદ-તારા વગરનું હોત. પણ ઉભય પક્ષે અપાતા વચનો અશક્ય હોવાની સમજૂતિ હોવા છતાં પ્રેમને આ વચનોની આપલે વિના ચાલતું નથી એ પણ હકીકત છે. પ્રેમની ઘણીકે બાબત અસંભવ હોવા છતાં આપણને આકર્ષે છે, કેમકે પ્રેમ આંખોને સ્વપ્નો જોતાં શીખવે છે. પ્રેમ અસંભવના ફેફસાંમાં સંભવિતતાના વિશ્વાસનો પ્રાણવાયુ પૂરો પાડે છે. પ્રેમમાં અકલ્પનીય પણ હાથવગું લાગે છે અને ઝાંઝવાથી પણ યુગયુગોની તૃષા છીપે છે. પ્રસ્તુત રચનામાં બર્ન્સ પ્રેમની આ વિભાવનાઓને ચરિતાર્થ કરી બતાવે છે.

રૉબર્ટ બર્ન્સ. ૨૫-૦૧-૧૭૫૯ના રોજ સ્કૉટલેન્ડના કાઇલ જિલ્લ્લાના ઍરશાયર નજીકના એલોવે ગામમાં ખેડૂત પિતાએ હાથે બનાવેલા માટીના ઝૂંપડામાં જન્મ. ગરીબ પણ ખંતીલા ખેડૂતના સાત સંતાનોમાં સૌથી મોટા રૉબર્ટ ‘જ્યાં જાય ઉકો, ત્યાં પડે સૂકો’ જેવું નસીબ લઈ જન્મ્યા હતા. ઔપચારિક શિક્ષણ અને સમૃદ્ધિના અભાવમાં બાળપણથી જ ખેતમજૂરીમાં જોતરાયા. આકરી મજૂરીના કારણે શરીરનો બાંધો નબળો રહ્યો અને ખૂંધ નીકળી આવી. કવિતાએ નાનપણથી જ હાથ પકડ્યો હતો અને પોતાની કવિતા લોકોને ગમે છે એ સમજાઈ જતાં જ એ સોળે કળાએ ખીલ્યા પણ સફળતા પચાવી ન શક્યા. પ્રવર્તમાન યુગના ચલણ મુજબ દારૂ, ઉડાઉપણું અને ઐયાશીથી બચી શક્યા નહીં. ઊલટું કવિ હોવાના અહેસાસે આ બદીઓ વધુ વકરાવી. ખેતીમાં નિષ્ફળ રહ્યા. એક્સાઇઝ સહિતની અનેક નોકરીઓ કરી. પણ એમની ખર્ચાળ જીવનશૈલી માટે નોકરી અને કવિતા અપૂરતાં હતાં. જિન આર્મર સાથે લગ્ન પૂર્વે અને પશ્ચાત એકાધિક પ્રેમસંબંધે પણ જોડાયા. લફરાંઓ ઉપરાંત રુઢિચુસ્ત ધર્મ અને નૈતિકતા સામેની વિદ્રોહી વૃત્તિના કારણે પણ તેઓ જાણીતા હતા. પરિસ્થિતિ અને સંગત અનુસાર પોતાનું વ્યક્તિત્વ બદલી શકનાર બર્ન્સને લોકોએ કાચિંડા પણ કહ્યા છે. સતત અજંપો, અસંતોષી સ્વભાવ, ઉદાસીના હુમલા, ઘેરા તણાવ અને બેબાક જીવનશૈલીના કારણે હૃદયના વાલ્વની (રુમેટિક) બિમારી અકાળે વકરી અને ૨૧-૦૭-૧૭૯૬ના રોજ ડમ્ફ્રીસ ખાતે એમનું નિધન થયું.

ખૂબ નાની વયે દુનિયા છોડી જવા છતાં અમર થઈ ગયા હોય એવા સાહિત્યકારોની લાંબી યાદીમાં માત્ર સાડત્રીસ વર્ષનું આયુષ્ય ભોગવનાર રૉબર્ટ બર્ન્સ માનભેર મોખરે બિરાજે છે. ઇંગ્લેન્ડના પરિવર્તન યુગમાં થઈ ગયેલ બર્ન્સ આવનાર રોમેન્ટિસિઝમ યુગના પ્રણેતા ગણાય છે. કવિતાના જૂના સ્વરૂપો, નિયમો અને પાંડિત્યપૂર્ણ ભાષાનો અંચળો ફગાવીને સીધી-સ્ટીક લોકબોલીમાં લખાયેલ એમના ગીતો સ્વયંસ્ફૂર્તતા અને નૈસર્ગિકતાના કારણે લોકદિલને સ્પર્શી ગયાં. પ્રચીન લોકગીતોના લયને એમણે પુનર્જીવન બક્ષ્યું. પ્રાદેશિક આબોહવા, સ્થળવિશેષ, રીતિરિવાજો અને લોકબોલીને પકડી લઈને સરળ પણ અદભુત શબ્દો સાથે પરણાવી દેવાની એમની અદ્વિતીય જન્મજાત અવડતના કારણે તેઓ સ્કોટલેન્ડના રાષ્ટ્રીય કવિ ગણાયા. સ્કોટિશ અને અંગ્રેજી –બંને ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં પણ સ્કૉટિશ છાંટની ભરમારવાળી બર્ન્સની કવિતા લાગણી અને અનુભવોના પ્રચંડ કાર્યક્ષેત્ર વડે અને હાસ્ય અને કરુણાને સમાન તુલામાં બેસાડ્યા હોવાથી સમસ્ત મનુષ્યજાતિને એક પરિવાર બનાવવામાં સફળ રહી છે. એમની કાવ્યપ્રતિભા એમના કટાક્ષોમાં ચરમસીમાએ પહોંચે છે. પ્રેમ અને માનવસ્વભાવની લાક્ષણિકતાઓની ઝીણામાં ઝીણી ઝાંય કવિતાઓમાં પકડવામાં એ સફળ રહ્યા છે.

પ્રથમ કાવ્યપંક્તિથી જાણીતી આ સુપ્રસિદ્ધ રચના ઉત્તમોત્તમ ગીતરચના (Lyrical poetry)નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રાચીન લોકગીતોમાં વપરાતું બૅલડ મીટર પ્રયોજીને કવિએ ચાર ચતુષ્ક વડે સોળ પંક્તિનું આ નાનકડું પણ ચુસ્ત ગીત રચ્યું છે. એકી પંક્તિઓમાં આયમ્બિક ટેટ્રામીટર (અષ્ટકલ) તથા બેકી પંક્તિઓમાં આયમ્બિક ટ્રાઇમીટર (ષટકલ) વપરાયા છે, પણ કવિતાની ૧, ૩, ૧૦, ૧૨, તથા ૧૬મી પંક્તિમાં નિયત માત્રાસંખ્યા કરતાં એક માત્રા વધારાની છે. દરેક ચતુષ્કની બીજી તથા ચોથી પંક્તિમાં ચુસ્ત પ્રાસ મેળવાયો છે, જે બૅલડ મીટરનું મુખ્ય પાસું ગણાય. આ સિવાય છેલ્લા બે અંતરામાં એકી પંક્તિઓમાં શબ્દોની પુનરુક્તિના કારણે આભાસી પ્રાસ પણ મળે છે, જેના કારણે કેટલાક એને ‘કોમન મીટર’ ગણી બેસે છે. ગુજરાતી અનુવાદમાં અષ્ટક-ષટક મુજબ યંત્રવત્ માત્રામેળ કરવાના બદલે લોકગીતનો લય જાળવવું અને અબઅબ પ્રકારે પ્રાસ મેળવવું વધુ પર્યાપ્ત જણાયું છે. આજે જેમ આપણી ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોની ભરમાર નજરે ચડે છે એમ એ સમયે કવિના અંગ્રેજીમાં સ્કૉટિશ બોલીની અસર અલગ કરી શકાતી નથી: Love (Luve), Melody (Melodie), Pretty (bonnie), Lady (Lass), Gone (Gang) વગેરે.

ઈ.સ. ૧૭૯૪માં લખાયેલા આ ગીતની અચંબાજનક હકીકત એ છે કે એ બર્ન્સનું મૌલિક સર્જન નથી. બર્ન્સે પોતે કબૂલ્યું છે કે આ ગીત એણે મેળવ્યું છે, લખ્યું નથી. સ્કૉટલેન્ડના ખેતરોમાં ગવાતાં અનેક ગીતો કવિના જાદુઈ સ્પર્શથી નવોન્મેષ પામ્યાં છે. બર્ન્સે આ ગીત કાગળ પર ઊતાર્યું એના સોએક વર્ષ પૂર્વેથી આ ગીત અસ્તિત્વમાં હતું અને કંઠોપકંઠ પેઢી દર પેઢી ઝીલાયા કરતું હતું. ‘ધ વૉન્ટન વાઇફ ઑફ કૅસલ ગેટ’ નામે જાણીતા લાંબાલચ્ચ લોકગીતમાં વચ્ચે આવતી આ પંક્તિઓ જુઓ:

Her Cheeks are like the Roses,
that blossoms fresh in June;
O shes like some new-strung Instru-ment
thats newly put in tune.

આ જ રીતે ‘ધ ટ્રુ લવર્સ ફેરવેલ’ નામથી જાણીતા લોકગીતની કેટલીક પંક્તિઓ પણ જોવા જેવી છે:

O fare you well, my own true love,
O fare you well for a while;
And I will surely return back again,
If I go ten thousand a-mile,

Shall the stars fall from the skies, my dear,
Or the rocks melt with the sun?
I will never be false to the girl of my heart,
Till all these things be done

કેટલું સામ્ય! આને ઊઠાંતરી કહીશું? ખેતરોમાં કે સામાજિક પ્રસંગોએ ગવાતાં લોકગીતો આપણે સહુ સાંભળતાં આવ્યાં છીએ પણ આ ઘાસની ગંજીમાંથી કવિતાની સોય શોધી કાઢીને સામે લઈ આવવી અને એની અપૂર્ણતાઓ અને ખામીઓને દૂર કરીને, ક્યાંકથી કોઈક શબ્દ, ક્યાંકથી કોઈક વિશેષણ, તો ક્યાંકથી વાક્ય અને ક્યાંકથી આખો અંતરો ભેગાં કરીને એક નવું જ ગીત આપવું એમાં પણ કવિની કાબેલિયત જ નજરે ચડે છે. કવિએ પોતે પ્રામાણિકતાપૂર્વક કદી આ અને આવાં કેટલાંક અન્ય ગીતો પર માલિકીદાવો કર્યો પણ નથી. આજે સવા બસો વર્ષ બાદ પણ આ ગીતે એની લોકપ્રિયતા લેશમાત્ર પણ ગુમાવી નથી, એ જ એના સર્જકની ખરી સિદ્ધિ ન ગણાય?

ખેર, આપણે ગીતના લયમાં આગળ હિલ્લોળીએ… નાયક કહે છે કે એનો પ્રેમ જૂન મહિનામાં તાજા જ ખીલેલા લાલ, લાલ ગુલાબ જેવો છે. ગુલાબની જગ્યાએ જાસૂદ કે કરણે-ચંપો હોત તો?

“0 What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet. ૧”

નામમાં શું બળ્યું છે? ગુલાબને બીજું નામ દેવાથી કંઈ સુગંધ બદલાઈ જવાની નથી. પણ બોલવું એક વાત છે અને આચરવું બીજી. નામનો મહિમા આપણે સહુ જાણીએ જ છીએ અને જિંદગી આખી આપણે નામ કમાવા પાછળ જ ખર્ચી પણ નાંખીએ છીએ. પ્યારની વાત આવે ત્યારે ગુલાબનો, ખાસ કરીને લાલ ગુલાબનો અલગ જ રુત્બો છે. વળી, કવિ લાલ શબ્દની પુનરુક્તિ કરીને ગુલાબની લાલિમાને અને પ્રેમની તીવ્રતાને દ્વિગુણે છે. પ્રેમનો લાલ રંગ સાથેનો ધ્વન્યાર્થ તમામ કાળ-સ્થળે પ્રબળતમ છે. સાદો લાલ નહીં, પણ લાલ, લાલ અર્થાત્ લાલચટ્ટાક ગુલાબ જેવો કવિનો પ્રેમ વિશ્વના તમામ પ્રેમથી વધુ બળવત્તર છે અને એય જૂન મહિનામાં તાજા ખીલેલા ગુલાબ જેવો તરોતાજા. આપણે ત્યાં જૂનમાં ચોમાસુ શરૂ થાય, પણ સ્કૉટલેન્ડમાં ઉનાળો. ઇંગ્લેન્ડ-સ્કૉટલેન્ડમાં ઉનાળાનો મહિમા જ અલગ. “Shall I compare thee to a summer’s day? Thou are more lovely and more temperate૨” (તને હું ઉનાળાના દિવસ સાથે સરખાવું? તું તો વધુ પ્યારી અને ખુશનુમા છે.) લાંબી રાતો-સૂર્યહીન દિવસોને ગુડબાય અને લાંબા હૂંફાળા પ્રકાશિત દિવસોનું વેલકમ એટલે સ્કૉટલેન્ડનો જૂન. મોસમ ખુશનુમા હોય તો માનવીનો મિજાજ પણ વધુ ઊઘડે. આવી ઊઘડતી મોસમમાં નવા ખીલેલા લાલમલાલ ગુલાબ જેવો પ્રેમચટ્ટાક પ્રેમી એની પ્રેયસીને કહે છે કે ન માત્ર તાજા ગુલાબ જેવો રાતોચોળ, મારો પ્રેમ તો સૂરમાં વાગતી ગળચટ્ટી કર્ણપ્રિય સંગીતની ધૂન જેવો છે.

પ્રેમમાં પ્રેમનું પ્રદર્શન પણ અનિવાર્ય છે (They do not love that do not show their love. ૩) પ્રેમી પોતાના પ્રેમ પર મુસ્તાક છે એ બીજા બંધમાં સમજી શકાય છે. પ્રેમી ચતુર પણ એટલો જ છે. એ એક કાંકરે બે પક્ષી વીંધે છે. પ્રેયસીના વખાણ તો કરે જ છે, પણ વખાણના ભારોભાર જાતને પણ વખાણી લે છે. કહે છે, તું જેટલી સુંદર દેખાય છે એટલો જ હું તારા પ્રેમમાં ગળાડૂબ છું. મતલબ, પ્રેમિકાને પ્રેમીના પ્રેમને લેશમાત્ર પણ ઓછો આંકવાની તક એ આપતો નથી. જો પ્રેમિકા પોતાને સંસારની સૌથી ખૂબસુરત સ્ત્રી ગણતી હોય તો એણે ફરજિયાત પ્રેમીને સર્વોત્તમ પ્રેમી પણ ગણવો જ રહ્યો. કેવું ચાતુર્ય! આ ચાતુર્ય જ બર્ન્સની કવિતાને પ્રેરિત હોવા છતાં ઉત્તમ કરાર આપે છે. અતિશયોક્તિ એ પ્રેમની પરિભાષા છે. “My bounty is as boundless as the sea, my love as deep; for both are infinite. ૪” (મારું ઔદાર્ય સમુદ્ર જેવું નિઃસીમ અને પ્રેમ એટલો જ ઊંડો છે, કેમકે બંને અનંત છે). વિશ્વના બધા જ સમુદ્રો સૂકાઈ જાય, સૂર્યની ગરમીથી બધા જ પથ્થરો-પર્વતો પીગળી જાય, જીવનની કાચની શીશીમાંથી આયુષ્યની બધી જ રેતી સરકી જાય ત્યાં સુધી અને તે છતાંય હું તને, અને માત્ર તને જ ચાહતો રહીશ. એંડ્રુ માર્વેલની ‘ટુ હિસ કૉય મિસ્ટ્રેસ’ની હજારો વર્ષની સમયરેખા પર લંબાતી અતિશયોક્તિ પણ તરત જ યાદ આવે. પણ પ્રેમ આંખથી નહીં પણ મનથી જુએ છે અને વળી આંધળો પણ છે, (“Love looks not with the eyes, but with the mind૫”; “But love is blind૬”) એટલે અતિશયોક્તિ પણ સત્ય અનુભવાય છે. અને જ્યારે પ્રેમ બોલે છે ત્યારે તમામ દેવતાઓના સ્વરથી સ્વર્ગ પણ એકરાગિતામાં લીન થઈ જાય છે. (“And when love speaks, the voice of all the Gods makes heaven drowsy with the harmony. ૭”) પ્રેમ શાશ્વતીનું મહાકાવ્ય છે. જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લેતો રહેશે અને આંખ જોવાનું છોડશે નહીં ત્યાં સુધી પ્રેમ જીવતો રહે છે અને પ્રેમીઓને જીવન પૂરું પાડતો રહે છે. (“So long as men can breathe or eyes can see, so long lives this and this gives life to thee.૮”) બીજા બંધની ચારમાંથી બે પંક્તિ ત્રીજા બંધમાં કવિ પુનઃ પ્રયોજે છે. આ પુનરોક્તિ પ્રેમના અહેસાસને વધુ ધારદાર બનાવે છે. એના કારણે નાયકની અતિશયોક્તિ સાચી માની લેવાનું આપણને પણ મન થાય છે. ત્રીજા બંધમાં આગલા બંધની બે પંક્તિ સિવાય ‘મારી વહાલી’ સંબોધન પણ દોહરાવાયું છે, જે નાયિકાને પોતાના પરના નાયકના મમત્વની સાથોસાથ પોતાના પરના વહાલની તીવ્રતા અનુભવવામાં મદદરૂપ બને છે.

પુનરોક્તિની આ રીતિ કાવ્યાંતે પણ ચાલુ રહે છે. અંતિમ બંધમાં પણ ‘અલવિદા’ની વાતની સાથોસાથ ‘મારી પ્રિયા’ સંબોધન પુનર્કથન પામે છે. પોતાને જે કહેવું છે એ વાતને અંડરલાઇન કરીને હાઇલાઇટ કરવાની કવિની આ શૈલીના કારણે જ કદાચ આ કવિતા સવા બે સદીઓ બાદ પણ પ્રેમીઓના દિલમાંથી ભૂંસી શકાઈ નથી. ગીતના અંતભાગમાં જીવનરેત ખતમ થવાના ઈશારા પછી તરત જ જુદાઈની વાત આવે છે. નાયકને કોઈક કારણોસર જુદા થવાનું થયું છે. એ જાણે છે કે જુદાઈ દુઃખ આણે છે અને સુખ તાણી જાય છે (When you depart from me sorrow abides, and happiness takes his leave૯) એટલે છૂટા પડતાં પહેલાં પ્રેયસીને પોતાના પ્રેમની ઊંડાઈ અને સત્યતાની પ્રતીતિ કરાવવા મથે છે અને ખાતરી આપે છે કે પોતે એને અને એકમાત્ર એને જ પ્રેમ કર્યો છે. દિલની ગહરાઈઓમાંથી પ્રેમ કર્યો છે. દુનિયામાં કોઈએ કોઈને કર્યો ન હોય એટલો પ્રેમ કર્યો છે અને આ પ્રેમ ન માત્ર સ્થળાતીત છે, એ કાળાતીત પણ છે. આ અલવિદા માત્ર થોડીવાર માટેની જ છે. ભલેને બે જણ વચ્ચે દસ હજાર માઈલ કેમ ન પથરાઈ પડ્યા હોય, આ જુદાઈ કે આ અંતર –જરાય લાંબાં નથી. મુસાફરી પ્રેમીઓના મિલનમાં જ પરિણમશે. (Journeys end in lovers meeting૧૦) નાયક પાછો ફરશે જ. માટે જ, પ્રતીક્ષા કે ભરોસો છોડવાના નથી. જોન ડૉનનું ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ યાદ આવ્યા વિના નહીં રહે જેમાં વિદાયવેળાએ કાવ્યનાયક નાયિકાને રડતી અટકાવવા માટે કટિબદ્ધ જોવા મળે છે. પ્રેમનું મૃદુ ઝરણ હંમેશા તાજું રહે છે… (Love’s gentle spring doth always fresh remain. ૧૧) સાચો પ્રેમ હંમેશા તરોતાજા રહે છે. સમયનો માર આ ગુલાબને કરમાવી શકતો નથી. દુનિયાની દીવાલ બે જણને લાંબો સમય અલગ પણ કરી શકતી નથી. સમયના બેવડાં પરિમાણનો પણ પ્રેમમાં પરિચય થાય છે. એક તરફ નાયકનો પ્રેમ સમય અને દુનિયા અંત પામે તોય ટકી રહે એવો અંતહીન છે તો બીજી તરફ દસ હજાર માઇલની દૂરી પણ ‘થોડી જ વાર’માં કપાઈ જવાનો અડગ આત્મવિશ્વાસ છે. સમયના આ બે અંતિમોનો કવિ એકસાથે સાક્ષાત્કાર કરાવે છે. આ પ્રેમનો ચમત્કાર છે. જે રીતે ગુલાબનું આયુષ્ય ટૂંકું છે, પણ ખુશબૂ દીર્ઘજીવી છે; એ જ રીતે આપણું જીવન નાશવંત છે પણ આપણી પ્રણયસંવેદના અમર છે એ સમજ જ આ કવિતાનો સાર છે.

[લેખમાં ટાંકેલા અંગ્રેજી અવતરણો શેક્સપિઅરના છે: (૧) રોમિઓ એન્ડ જુલિએટ, (૨) સૉનેટ નં. ૧૮, (૩) ધ ટુ જેન્ટલમેન ઑફ વેરોના, (૪) રોમિઓ એન્ડ જુલિએટ, (૫) અ મિડ સમર નાઇટ્સ ડ્રીમ, (૬) ધ મર્ચન્ટ ઑફ વેનિસ, (૭) લવ્સ લેબર્સ લોસ્ટ, (૮) સૉનેટ નં. ૧૮, (૯) મચ અડુ અબાઉટ નથિંગ, (૧૦) ટ્વેલ્ફ્થ નાઇટ, (૧૧) વિનસ એન્ડ એડોનિસ]

ચમકે ચાંદની – ઉમાશંકર જોશી

સ્વર : વૈશાલી ત્રિવેદી
સ્વરાંકન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સંગીત : અમિત ઠક્કર

.

આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.

કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.

આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.

ઘેરું ઘેરું ગાતો નિધિ ઉછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.

આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.

ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.
– ઉમાશંકર જોશી