કવિ અને નાટ્યકાર સૌમ્ય જોશીનું ખૂબ જ જાણીતું અને માનીતું આ અછાંદસ કાયમ મુશાયરામાં અને કવિ સંમેલનોમાં હજીયે ખૂબ્બ જ દાદ લઈ જાય છે… આ અછાંદસ વાંચવા માટેનું નથી, સાંભળવા માટેનું છે. એટલે જ્યારે તમે પહેલીવાર આને સાંભળો, ત્યારે શબ્દો વાંચ્યા વિના માત્ર આંખો બંધ કરીને જ સાંભળજો… પછી અમને કહેજો કે તમને એ કેવું લાગ્યું.
આ સ્યોરી કે’વા આ’યો સુ ને ઘાબાજરિયું લા’યો સુ.
અજુ દુ:ખતું ઓય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
તીજા ધોરણમાં તારો પાઠ આવે છ.
ભગવાન મહાવીર,
અવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મે’લી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
અવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય ને સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી, સાચ્ચેન.
અવે પેલાએ ખીલ્લા ઘોંચ્યા એ ખોટું કર્યું, હું યે માનું સું,
પણ એને ઓસી ખબર અતી કે તું ભગવાન થવાનો સ!
અને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો.
એનું તો ડોબું ખોવાઈ ગ્યું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તાર લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલ્લા.
વાંક એનો ખરો,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
અવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
અવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ !
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછીયે તને ઈમ થ્યું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂસવા,
ઉં ખાલી એટલું કઉ’સું.
કે વાંક બેનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સે તારા આરસના,
એક પાઠ નહિં ઓય તો કંઈ ખાટુંમોરું નઈં થાય,
ને તો ય તને એવુ હોય તો પાઠ ના કઢાઈ, બસ !
ખાલી એક લીટી ઉમરાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ ગ્યો સે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો સે!
તા ૧૫ જુલાઈથી ૨ ઑગસ્ટ સુધી કવિશ્રી કૃષ્ણ દવે બ્રિટનની ઉડતી મુલાકાતે હતા. લયના હિલ્લોળના રાજવી અને મંચના મહારથી આ કવિ મનમોજી વાદળોની જેમ લંડન, બેટલી, બર્મિંગહામ અને લેસ્ટર જેવા સ્થળોએ ગીત, ગઝલ અને બાળકાવ્યોની હેલીથી સહુને તરબતર કરી શિકાગોના ભવ્ય કાર્યક્ર્મ માટે અમેરિકા આવી રહ્યા છે.
આખો ઑગસ્ટ મહિનો કવિશ્રી અમેરિકાના વિવિધ સાહિત્યિક વર્તુળોને એમનો લાભ આપશે. કવિ સાથે ગોષ્ઠિ માટે આતુર સાહિત્યક સંસ્થાઓ કે ઘરઘરાઉ બેઠકો યોજવા ઈચ્છનાર માટે કવિનો ઈમેલ સંપર્ક છેઃ krushnadave@yahoo.co.in
(in case you are unable to view this video, double click on the video to go to You Tube)
બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.
આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં.
વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.
પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.
આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઇ ચાલી !
ઐ દરિયા ઉપર ઓલ્યા સપ્તર્ષિ જેમ સાત મચ્છર ઊડ્યા
ને જાત મ્હાલી એવી તો ભાઇ મ્હાલી !
ઐ કાચો કુંવારો….
નાના હતા ને તૈ ખાટલા ટ્પ્યા ને પછી ઉંબરા ટપ્યા
ને પછી દરિયો ટપતા તો ભાઇ ગલઢા થયા ને પછી
જૂનું મકાન કર્યું ખાલી એવું તો ભાઇ ખાલી !
ઐ કાચો કુંવારો….
પછી ભમ્મરિયા ઘૂનામાં ન્હાવા પડ્યાં
પછી પાણીનો રંગ મને લાગી ગિયો
પછી દોરી ઉપર ભીના લૂગડાની જેમ
મને સૂકવી દીધો સાવ સૂકવી દીધો.
પછી દરિયાની ઓસરીમાં પીંજારો બેઠો
ને રૂથી ભરાઇ જતા કોરા આકાશમાં
સૂરજનો સાવ ઝીણો તણખો પડ્યો ને
આગ લાગી, એવી તો ભાઇ, લાગી !
ઐ કાચો કુંવારો એક છોકરો હતો ને એક છોકરી હતી
ને વાત ચાલી એવી તો ભાઇ ચાલી !
અમદાવાદથી કેતનભાઇએ ટહુકો માટે મોકલેલ આ ગીત… અને સાથે એમણે મહેનત કરી ટાઇપ કરેલ બાકીની બધી જ માહિતી… એમના જ શબ્દોમાં અહીં પ્રસ્તુત કરું છું. ખૂબ ખૂબ આભાર કેતનભાઇ….!!
**************************
ઈ.સ. ૧૯૭૧માં અવિનાશ વ્યાસનાં ગીત અને સંગીતવાળી ફિલ્મ “જેસલ-તોરલ” પ્રદર્શિત થઈ, જેમાં કલાકારો આ મુજબ હતાઃ
આ ઉપરાંત તેમાં રમેશ મહેતા અને મૂળરાજ રાજડા (રામાનંદ સાગરની “રામાયણ”માં રાજા જનકની ભૂમિકા ભજવી હતી તે) જેવા કલાકારો પણ હતા. બેશક, આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠતમ અને સફળતમ ફિલ્મોમાં ટોપ ૧૦માં છે. તોરલની ભૂમિકામાં અનુપમાએ તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, અને ત્રિવેદી બંધુઓનો અભિનય પણ ઉત્કૃષ્ટ છે.
આ આઠેય ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા, જેમાંનું “જેસલ કરી લે વિચાર” ઉત્તમોત્તમ છે. ગીત સતી તોરલ દ્વારા રચાયું છે. આખું ગીત ઘણું મોટું છે, પરંતુ ફિલ્મમાં આ ગીતની માત્ર ચાર કડીઓ જ લેવામા આવી છે, જે આ મુજબ છેઃ
સ્વર : ??
સ્વર : સુમન કલ્યાણપુર
Video – from the movei Jesal-Toral
જેસલ કરી લે વિચાર, માથે જમનો છે માર,
સપના જેવો છે સંસાર, તોળી રાણી કરે રે પોકાર,
આવો ને જેસલ રાય, આપણ પ્રેમ થકી મળીએ જી….(૨)
કપરા સમયે જ માણસની સાચી ઓળખ થાય છે. ઘણના ઘા પડે ત્યારે કાચા પોચાનો કચ્ચરઘાણ વળી જાય અને અસલ હીરા અખંડ રહે. એમ ખરે ટાણે – કસોટીના કાળમાં પણ જે અડગ રહે એ જ ખરો. વાણી કેવી અદભૂત છે..!! “ફૂટે ઇ તો ફટકિયા કે’વાય, ખરાની ખર્યે ખબર્યું થાય…!!!”
ફિલ્મની વાર્તા કંઇક આમ છેઃ
સાંસતિયો ભયંકર ડાકૂ છે, કે જે સતત લૂંટફાટ કરે છે, પ્રજાને રંજાડે છે, અને ભોગ-વિલાસમાં – સુરા અને સુંદરીના સંગાથમાં જીવન વ્યતિત કરે છે. નાનપણથી જ એનું સગપણ તોરલ સાથે નક્કી થયેલ છે. પુખ્ત થતાં તોરલને સસરે વળાવવાનું ટાણું થાય છે, પણ સાંસતિયો મોટો થઈને અવળે માર્ગે ચડ્યો હોવાથી તોરલના માતા-પિતા તેને સાસરે વળાવવા રાજી નથી. તોરલ જીદ કરીને સાસરે જાય છે. તોરલનાં સંપર્કમાં આવતા જ સાંસતિયો સાચું જ્ઞાન પામે છે, તેનું હ્રદય પરિવર્તન થાય છે. તેને સુરાને બદલે ભક્તિના જામની લત લાગે છે. સાંસતિયાજી અને તોરલ ભક્તિની ધૂણી ધખાવે છે, પ્રભુ-ભજનમાં દિવસો વિતાવે છે.
આ બાજુ, જેસલ જાડેજા ખૂંખાર ડાકૂ છે, કચ્છના રાજવી સામે બહારવટે ચડ્યો છે. લગ્નને માંડવે જતી જાનથી માંડીને યાત્રાએ જતા સંઘ, વનમાં વિચરતા નિર્દોષ પ્રાણીઓથી માંડીને પાદરે ચાલી જતી પાણિયારીઓ – કોઈને જેસલ છોડતો નથી. અરે, પોતાની સગ્ગી બહેન અને ભાણેજની પણ તે હત્યા કરી નાંખે છે. સમગ્ર પંથકમાં જેસલની આણ પ્રવર્તે છે. જે જેસલને ગમે એ જેસલ મેળવીને જ જંપે છે. રાજની સેના જેસલને શોધતી ફરે છે, પણા ચતુર જેસલ હાથમાં આવતો નથી.
એક વાર, જેસલની ઘોડી મરી જાય છે. આ સમયે કોઈ એની પાસે, કાઠી સાંસતિયાજીની ઘોડીના વખાણ કરે છે. આ ઘોડીનું નામ પણ ‘તોરલ’ છે. જેસલ ‘તોરલ’ ઘોડી હાથ કરવા છુપાઈને સાંસતિયાજીના ઘોડારમાં પ્રવેશે છે.અજાણ્યા માણસથી ઘોડી ભડકે છે અને હણહણાટી કરે છે. તરત જ જેસલ ઘોડીના ખીલા પાસે પડેલ ઘાસની ગંજી નીછે સંતાઈ જાય છે. હણહણાટી સાંભળીને સતી તોરલ ઘોડારમાં આવે છે અને ઘોડીને ખીલેથી છૂટી ગયેલી જુએ છે. આથી તોરલ લોખંડના ઓજારથી ખીલો ફરી જમીનમા ધરબી દે છે. અને આ વખતે જેસલની હાજરીથી અજાણ તોરલ ખીલો જેસલના હાથ સોંસરવો કાઢી નાંખે છે. જો કે જેસલ ઉંહકારોયે કરતો નથી. ઘરમાં ચાલતા ભજન પૂરાં થતાં પ્રસાદની વહેંચણી થાય છે. દરેકને પ્રસાદ મળી ગયા પછી પણ પ્રસાદનો એક પડિયો વધે છે, જેથી અન્ય કોઈ વ્યક્તિની હાજરીનો ખ્યાલ આવે છે. છેવટે જેસલ લોહી નીંગળતા હાથે બહાર આવે છે. સાંસતિયાજી દ્વારા કારણ પૂછાતા જેસલ “તોરલ ઘોડી” અને “તોરલ નાર” – એમ બે માંગણી કરે છે, જેને સાંસતિયાજી મંજૂર રાખે છે. તોરલ હવે જેસલ સાથે ચાલી નીકળે છે અને જેસાલનાં બહારવટિયા સાથીઓ સાથે રાજના નોકરોથી સંતાવા માટે ડુંગરાઓ અને નદીની કોતરોમાં રહેવા લાગે છે.
આ દરમિયાન, એક વખત જેસલ તેના સાથીઓ સાથે મળીને એક જાનને લૂંટે છે અને દાગીના અને અન્ય મિલકતની સાથે સાથે ૩-૪ સ્ત્રીઓ ઉઠાવીને એમની સાથે લેતા આવે છે. જેસલ અને તેના સાથીઓ આ સ્ત્રીઓના બહુ કરગરવા છતાં તેમની સાથે અભદ્ર વર્તન કરવાનું શરુ કરે છે. આ વખતે ત્યાં સાથે રહેતા સતી તોરલ આ સ્ત્રીઓને કાંમાંધ ડાકૂઓના હાથમાંથી છોડાવે છે.
બસ, આ વખતે ફિલ્મમાં તોરલ “જેસલ કરી લે વિચાર” ગીત સ્વરૂપે જેસલને શિખામણ આપે છે. ગીતનું ફિલ્માંકન બહુ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ખાસ કરીને અનુપમાનો અભિનય દાદ માગી લે તેવો છે. એનામાં ખરેખર ‘સતી’ જેવું જ તેજ દેખાય છે. આ રહી યુ-ટ્યુબ પર મૂકેલા આ ગીતના વિડિયોની લિંકઃ
અગાઉ લખ્યું એ પ્રમાણે, ઉપરની ચાર કડીઓ જ ફિલ્મના ગીતમાં લેવાઈ છે, પણ આખું ગીત ઘણું મોટું છે. અને એ આખું વર્ઝન (એમપી૩ ફોર્મેટ) હું આ ઇ-મેઈલ સાથે અટૅચમેન્ટમાં મોકલી રહ્યો છું. પણ તેના સ્વરકાર અને સંગીતકાર વિશે મને કોઇ માહિતી નથી.
આજે ગુજરાતના લાડીલા સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆની પ્રથમ પૂણ્યતિથિ. ક્ષેમુદાદા એમના સ્વરાંકનો દ્વારા હંમેશા આપણી વચ્ચે રહેશે જ. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે આજે એમની વિદાયના થોડા જ વખત પહેલ સૂરસંવાદના આરાધના ભટ્ટ સાથે એમણે કરેલા સૂરીલા સંવાદનું રેકોર્ડિંગ સાંભળીએ.
.
અને એમના સ્વરાંકનોના ખજાનામાંથી મળેલા થોડા મોતીઓની એક ઝલક ફરી એકવાર માણી લઇએ..!