Category Archives: કવિઓ

હવે આ મળવાનું! – જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

પઠન : જયશ્રી વિનુ મરચંટ, “ભગ્ન”

.

અમસ્તુંયે હવે ક્યાં થાય મળવાનું ?
સમયની ધારથી વ્હેરાય મળવાનું

ભલે સામે જ હો, પણ ના મળે નજરો
છતાં આને જ તો કહેવાય મળવાનું!

તું ઝાલી હાથ મારો ચાલ પળ બે પળ
ભલે ને બે’ક પળ જીવાય મળવાનું

કોઈ ઉંમરના ખાનામાં છે ખોવાયું
બને ના શક્ય કે શોધાય મળવાનું !

અમે તો રાહ જોઈ શ્વાસ આખર લગ
હજી પણ ‘ભગ્ન’ જો હિજરાય મળવાનું!
-જયશ્રી વિનુ મરચંટ “ભગ્ન”

સ્વતંત્રતા, દે વરદાન આટલું – ઉમાશંકર જોશી

15/8/1952ના દિવસે રચાયેલું આ કાવ્ય છે. સ્વતંત્રતાની દેવી પાસે પ્રાર્થનામાં કવિ શું માગે છે? અને પ્રથમ પંક્તિમાં ‘એટલું’ શબ્દપ્રયોગ દ્વારા માગણીના લિસ્ટની શરૂઆત થાય છે. લિસ્ટ પૂરું થાય ત્યારે ‘આટલું’ શબ્દપ્રયોગ છે.
પઠન સ્વરૂપે સાંભળો.
– અમર ભટ્ટ

પઠન:અમર ભટ્ટ

.

દે વરદાન એટલું
સ્વતંત્રતા, દે વરદાન એટલું:
ન હીનસંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજવાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દ્રષ્ટિ નહિ મોહધુમ્મ્સએ;
ને આંખમાંનાં અમી ના સુકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો!
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથીય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ના પુરોહિતો બને.
અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા .
-ઉમાશંકર જોશી

મેં એક અચંબો દીઠો – સુન્દરમ

જન્માષ્ટમી:
કૃષ્ણમય થવાના દિવસે કવિ સુંદરમ્ નું એક ગીત માણો.

સુન્દરમે એક પદમાં ગાયું છે-
‘ઢૂંઢ ઢૂંઢ તોહે હો ગઈ રતિયાં
રો રો કર મોરી થક ગઈ મતિયાં’
અહીં કવિને ઘર ઘર કૃષ્ણ કનૈયો જોવા મળે છે. એ માટે મુગ્ધ નરસૈંયો બનવું પડે.
સ્વરાંકનમાં બીજી પંક્તિ પ્રથમ સ્વરબદ્ધ થઇ-
‘હૃદય હૃદય મેં રાધા દીઠી હું બન્યો મુગ્ધ નરસૈંયો’-
વૈષ્ણવજનના ઢાળનો સહજ સંદર્ભ લઈને મુગ્ધતાથી તદ્રુપ થયાનો ભાવ તાર સપ્તકના શુદ્ધ ગંધાર (ગ) પર સ્થાયી થયો. ને પછી પ્રથમ પંક્તિ ને અંતરાનું સ્વરનિયોજન થયું. કવિની તલ્લીનતાનું ગીત, કવિના અચરજના ઐશ્વર્યનું ગીત માણો.

કવિ: સુંદરમ્
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ:શબ્દનો સ્વરાભિષેક:4

.

મેં એક અચંબો દીઠો,
દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો
હૃદય હૃદય મેં રાધા દીઠી,
હું બન્યો મુગ્ધ નરસૈંયો

મેં વન વન વૃંદાવન દીઠાં,
મેં તરુ તરુ દીઠી વૃંદા ,
મેં પર્ણ પર્ણમાં વૃંદા કેરાં
દીઠાં નંદ જશોદા

મેં નયન નયનમાં ઉદ્ધવ દીઠા,
શયન શયન હરિ પોઢ્યા ,
મેં અખિલ વ્યોમ પયસાગર દીઠો,
મેં અંગ અંગ હરિ ઓઢ્યા
-સુન્દરમ

નિરધાર – મકરંદ દવે

સાચને પડખે રહીને ઝૂઝતાં
આપણે પળવાર પણ ખસવું નથી;
સંકટો, દુ:ખો, પધારો સ્વાગતમ!
લેશ પણ આ માર્ગથી ચસવું નથી.

જૂઠની જીતે ચણેલા માંડવે
પ્રાણ મારા લાલચે રમવું નથી;
જાલિમો ને ધૂર્તના પાયે પડી
કોઈ દી કોઈ મિષે નમવું નથી.

મર્દની મોકાણમાં જાવું ભલે
કાયરોની જાનમાં ચડવું નથી,
મોતની મુસકાન મીઠી માણશું
જિંદગીમાં જીવવા રડવું નથી.

પ્રાણ મારા, એકલા આગે બઢો;
આજ બોલો, “ના, હવે ડરવું નથી’.
જંપ ક્યાં છે? ચેન ક્યાં છે? દંભનાં
દંગલો તોડ્યા વિના ઠરવું નથી ;
સાચને પડખે પરાજય હો ભલે
તે છતાં પાછું હવે ફરવું નથી.
 – મકરંદ દવે

ગ્લૉબલ કવિતા : ૧૬૭ : બેબલ પછીથી…- જેસિકા ડિ કોનિન્ક

After Babel

There is a common language
I cannot master; though it was
my first. English came second.
I do not know the nouns of this
language or its syntax. I cannot
conjugate its verbs. But rivers speak it,
as do bones and bottles left
for recycling, the geese in the lake,
screen doors, peach trees,
ambulances, trolley cars and kettles.
It is there in the static of stars.
But I remain dumb.
If I could speak this tongue,
if I had its vocabulary, if I knew
its tune, I could tell you,
and you would understand

– Jessica de Koninck

બેબલ પછીથી…

એક સર્વસામાન્ય ભાષા છે
જેના પર હું હથોટી મેળવી નથી શકતી, એ મારી
પહેલવહેલી હતી તોય. ગુજરાતી તો પછી આવી.
મને આ ભાષાની સંજ્ઞાઓ ખબર નથી
કે નથી આવડતી એની વાક્યરચના. હું એના
ક્રિયાપદોને જોડી નથી શકતી. પણ નદીઓ આ ભાષા બોલે છે,
હાડકાંઓ અને રિસાઇકલિંગ માટે રખાયેલી
બૉટલો, તળાવમાંના હંસો,
કાચના દરવાજાઓ, આલૂનાં ઝાડ,
એમ્બ્યૂલન્સો, હાથલારીઓ અને કિટલીઓ પણ.
એ તારાઓના સંગીતમાં છે.
પણ હું ગૂંગી જ બની રહી છું.
જો હું આ ભાષા બોલી શકતી હોત,
જો મારી પાસે એનો શબ્દભંડોળ હોત, જો હું જાણતી હોત
એની ધૂન, તો હું તમને કહી શકત
અને તમે સમજી શકત.

– જેસિકા ડિ કોનિન્ક
(અનુ.: વિવેક મનહર ટેલર)

પ્રકૃતિ એક ભાષા છે… શું તમે વાંચી શકો છો ?

માણસ ભાષા શીખ્યો એ પહેલાં શું પરસ્પર વાતચીત નહોતો કરતો? સભ્યતા અને વાણીના વિકાસથી ઘણું પહેલાંથી માણસ ઈશારાઓ અને અવાજોના સહારે કહેવાનું કહેતો પણ હતો, અને સમજવાનું સમજતો પણ હતો. દૃષ્ટિ ન હોય તો જે રીતે ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય વધુ સચેત બની જાય એમ વાણી અને ભાષાના અભાવમાં મનુષ્ય હાવભાવ અને અવાજોને વધુ સારી રીતે સમજી શકતો હતો. ભાષાની શોધ સાથે જ આ વિશેષ ઉપલબ્ધિ લુપ્ત થઈ ગઈ. જેસિકાની પ્રસ્તુત લઘુરચના આ વાત બહુ મજાની રીતે કહે છે.

જેસિકા ડિ કોનિન્ક. બ્રૂકલિન, ન્યૂયૉર્કમાં જન્મ. હાલ, ન્યૂજર્સીના મોન્ટક્લેરમાં રહે છે. માસાચ્યુસેટ્સ ખાતે વકાલતનું ભણ્યાં, પણ કવિતા માટે વકાલતનો ત્યાગ કર્યો. તેઓ કવિતાને સત્યની વધુ નજીક રહેવા માટે કાયદાથી વધુ સારો માર્ગ ગણે છે. કવિતા લખવાનું શરૂ કર્યું એના દાયકાઓ બાદ, અને પચાસની ઉંમર વટાવ્યા બાદ ફરી ભણ્યાં અને આર્ટ્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. ખૂબ જ સક્રિય સમાજસેવિકા. ટાઉન કાઉન્સિલ, એજ્યુકેશન બૉર્ડ તથા અનેક કમિટીઓમાં સેવા આપી ચૂક્યાં છે. પતિના અવસાન બાદ બે સંતાન અને એમના બે સંતાનો સાથે રહે છે. એક કાવ્યસંગ્રહ ‘કટિંગ રૂમ’ અને એક ચેપબુક ‘રિપેર્સ’ના લેખિકા. ઘણા સામયિકો, સંપાદનોમાં એમની રચનાઓ સ્થાન પામી ચૂકી છે. ટૂંકું લખાણ, સરળ ભાષા અને સીધી વાત એમની કવિતાના પ્રમુખ લક્ષણ છે. વાત સીધી દિલમાંથી નીકળીને આવતી હોવાથી સીધી દિલને સ્પર્શી જાય છે.

ભાષાના ગૂંચવાડા વિશે વાત કરતી આ રચનામાં છંદ-કે પ્રાસ શોધવા પણ કેમ બેસાય? સોળ પંક્તિનું આ નાનકડું અછાંદસ કાવ્ય છે. જેમને બાઇબલનો અભ્યાસ ન હોય એ લોકોને કવિતાનું શીર્ષક ‘બેબલ પછી’ બે’ક ઘડી અટકાવશે. બાઇબલ (જિનેસિસ ૧૧:૧-૯)માં એક અગત્યની વાર્તામાં શિનાર (બેબિલોન)ના લોકો સ્વર્ગ સુધી પહોંચે એવો ઊંચો ટાવર બનાવવા વિચારે છે. ટાવર બનાવવા પાછળનો હેતુ પોતાનું નામ અમર કરવાનો હતો પણ દેખીતો હેતુ લોકોને એકત્ર રાખવાનો હતો. પણ ઈશ્વરને ખ્યાલ આવી ગયો કે આ ટાવર માત્ર નામનાની કામના છે અને એ બની જશે તો લોકો ઈશ્વરની નજીક આવવાના બદલે દૂર થઈ જશે. ટાવર બને તો મનુષ્ય પોતાને ઈશ્વરનો સમોવડિયો ગણવા માંડે. સ્વર્ગમાં પહોંચવા માટે પહેલાં મનુષ્યને ઈશ્વરકૃપાની ગરજ હતી પણ ટાવર બની જાય તો ભગવાનને બાયપાસ કરીને મનુષ્ય જાતે જ સ્વર્ગમાં પહોંચી જાય. વળી, ટાવર બાંધવા માટે ઈશ્વરે આપેલા પથ્થરો કે માટી-ગારા વાપરવાના બદલે મનુષ્ય પોતે બનાવેલી ઈંટો અને ડામરનો ઉપયોગ કરવાનું વિચારતો હતો. ઈશ્વરનો આદેશ તો ‘ફળદાયી થઈ, સંખ્યા વધારી, પૃથ્વી આખી પર ફેલાઈ જવા’ (જિનેસિસ ૯:૧) બાબતનો હતો. ઈશ્વર સુધી પહોંચવા માટેનો ટાવર સાક્ષાત ઈશ્વરના આદેશનું ઉલ્લંઘન હતો. અત્યાર સુધી દુનિયામાં એક જ ભાષા હતી અને મનુષ્યો એકમેકને બરાબર સમજી શકતા હતા. પરિણામે મનુષ્યોમાં એકતા હતી પણ એકતાની તાકાતનો ઉપયોગ આમ ઈશ્વરવિરોધી થાય એ અનિચ્છનીય હતું એટલે ઈશ્વરે ટાવર બનાવનાર મજૂરોને અલગ-અલગ ભાષાઓ આપી, જેથી તેઓ એકબીજાને સમજી જ ન શકે. પરિણામે ટાવર કે શહેર બની જ ના શક્યું અને લોકો દુનિયાભરમાં વિખેરાઈ ગયા. આમ ઈશ્વરે ગૂંચવાડો ઊભો કરી ટાવર બનાવવાના વિચારને મૂર્તિમંત થતાં પહેલાં જ તહસનહસ કરી નાંખ્યો.

હિબ્રૂ ભાષામાં બેબિલોન માટે બેબલ શબ્દ છે. ‘બેબલ ’ શબ્દની ઉત્પત્તિ તત્કાલિન અક્કાડિઅન ભાષાના bab-ilu (ઈશ્વરનો દરવાજો) પરથી થઈ હોવાનું મનાય છે. (‘બાબ’: દરવાજો + ઇલુ: ઈશ્વર) બાઇબલના સૂત્રો મુજબ બેબલ સુમેરિઅન Ka-dingir નું ભાષાંતર છે, જેનો અર્થ ‘અવાજોની મૂંઝવણભરી ભેળસેળ’ થાય છે. આમ બેબલ નો એક અર્થ ‘ગૂંચવવું’ પણ થાય છે. જ્યૉર્જ સ્ટેઇનરે ‘આફ્ટર બેબલ ’ નામે ભાષાના અંગો તથા અનુવાદ વિષયક મજાનું પુસ્તક પણ લખ્યું છે. શીર્ષક વિશે કવયિત્રી સાથે ચર્ચા કરતાં આ પુસ્તકનો ઉલ્લેખ કર્યો ત્યારે એમણે જણાવ્યું કે પ્રસ્તુત શીર્ષકનો આધાર આમ તો બાઇબલની કથા જ છે, અને પ્રગટપણે તો એમના મનમાં આ પુસ્તક રમતું નહોતું જ પણ ક્યાંક અવચેતનાવસ્થામાં શીર્ષક લખતી વખતે આ પુસ્તક મનમાં આંટા મારતું હોય તો નવાઈ પણ નહીં. બેબલ નો ટાવર બનાવવો શરૂ થયો એ પછી જ ભાષાનો ગૂંચવાડો ઊભો થયો અને સમય સાથે આ ગૂંચ ઉકેલાવાના બદલે વધુને વધુ જટિલ બનતી ગઈ. નવી-નવી ભાષાઓ અમલમાં આવતી ગઈ અને સાથોસાથ જૂની ભાષાઓ ભૂંસાતી પણ ગઈ. કવયિત્રી આ કવિતાના માધ્યમથી આપણું ધ્યાન ભાષાના ગૂંચવાડા અને આદિમ બોલી સમજવા-સહિયારવા અંગેની આપણી અક્ષમતા તરફ દોરવા માંગતાં હોવાથી ‘બેબલ પછીથી’ કરતાં વધુ ઉપયુક્ત શીર્ષક કદાચ જ બીજું કોઈ હોઈ શકે. હકીકતમાં આવી કવિતા કરવાનો વિચાર આવે અને એના માટે આવું અદભુત શીર્ષક સૂઝી આવે એ ઘટના પોતે કોઈ કવિતાથી કમ નથી.

દુનિયામાં એક સર્વસામાન્ય ભાષા હોવાના સ્વીકાર સાથે કવિતાનો પ્રારંભ થાય છે, સાથે જ નિખાલસ એકરાર પણ છે કે એ ભાષા પોતાની પહેલવહેલી ભાષા હોવા છતાં પોતે એના પર હથોટી મેળવી શકતી નથી. જે ભાષા આપણે જીવનમાં સૌથી પહેલી શીખીએ એનાથી વધુ ‘માસ્ટરી’ બીજી કઈ ભાષામાં હોઈ શકે? પણ અહીં સમસ્યા એ છે કે પહેલી શીખી હોવા છતાં નાયિકા એ ભાષામાં પ્રવીણ નથી. એ કહે છે કે એની માતૃભાષા તો એના જીવનમાં પાછળથી પ્રવેશી. મન્ડેલાએ કહ્યું હતું કે તમે કોઈ વ્યક્તિ સાથે એને સમજ પડે એ ભાષામાં વાત કરશો તો એ એના મગજ સુધી પહોંચશે પણ જો તમે કોઈની સાથે એની ભાષામાં વાત કરશો તો તમારી વાત સીધી એના દિલ સુધી પહોંચશે. મન્ડેલા માતૃભાષાનું મહત્ત્વ આંકી રહ્યા છે, પણ કવયિત્રી તો માતૃભાષા શીખ્યા પહેલાંની ભાષાની વાત કરે છે. કઈ છે આ ભાષા, જેની સંજ્ઞાઓ કે ક્રિયાપદો કે વાક્યરચનાઓ –નાયિકાને કંઈ જ ખબર નથી. અહીં સુધી કવિતામાં વપરાયેલા ચારમાંથી ત્રણ વાક્યો કાવ્યપંક્તિની મધ્યમાં પૂરાં થાય છે, પણ જે ભાષાની જેસિકાને વાત કરવી છે, એ ભાષાની વાત શરૂ કર્યા બાદ એકપણ વાક્ય પંક્તિમાં અધવચ્ચે પૂરું થતું નથી. હા, અપૂર્ણાન્વય (enjambment)નો પ્રયોગ તો ચાલુ જ છે, પણ વાક્ય આગળ જતાં વચ્ચે અટકી પડતાં નથી.

માતૃભાષા કરતાંય પહેલાંની, પોતાની પહેલવહેલી ભાષા કે એનું વ્યાકરણ પોતાને આવડતાં નથી પણ નદીઓને આ ભાષા આવડે છે એમ કહીને કથક મૂળ મુદ્દા પર આવે છે. ધ સ્મિથ્સ નામના સંગીતકારોએ ૧૯૮૬માં ‘આસ્ક’ ગીતમાં ઊઠાવેલો પ્રશ્ન યાદ આવે: ‘Nature is a language, Can’t you read?’ (કુદરત એક ભાષા છે, તમે વાંચી નથી શકતા?) એન વિસ્ટન સ્પર્ન પણ આવી જ વાત કરી ગયાં: ‘પરિદૃશ્યની ભાષા આપણી મૂળ ભાષા છે. ભૂદૃશ્ય આપણું મૂળ નિવાસસ્થાન હતું; મનુષ્ય છોડવાંઓ અને પ્રાણીઓની વચ્ચે, આકાશ તળે, ધરતી ઉપર, પાણીની નજીક વિકાસ પામ્યો છે. હરકોઈ તન-મનમાં એ વિરાસતનું વહન કરે છે.’

કવયિત્રી પ્રકૃતિની ભાષાની વાત કરી રહ્યાં છે. કવિતાનો મુખ્ય ભાગ આ ભાષા પ્રકૃતિના કયા-કયા સજીવ કે નિર્જીવ તત્ત્વોને હસ્તગત છે એની યાદી રોકી લે છે. રાલ્ફ ઑસ્ટિને કહ્યું હતું: ‘માત્ર તર્કસંગત અને અતાર્કિક જ નહીં, પરંતુ નિર્જીવ વસ્તુઓનો પણ એક અવાજ હોય છે, અને મનુષ્યો સાથે તેઓ સ્પષ્ટ વાતો કરે છે, અને એ આપણું કર્તવ્ય છે કે તેમની ભાષા શીખીએ, અને તેમને સાંભળીએ.’ કવયિત્રી આકાશ તળેની નાની-મોટી, સજીવ-નિર્જીવ કેટલીક વસ્તુઓની કવયિત્રી રસપ્રદ પણ યાદૃચ્છિક યાદી આપણને આપે છે: ‘નદીઓ, હાડકાં, રિસાઇકલિંગ માટે રખાયેલી બૉટલો, તળાવમાંના હંસો, કાચના દરવાજાઓ, આલૂનાં ઝાડ, એમ્બ્યૂલન્સો, હાથલારીઓ અને કિટલીઓ.’ બાલમુકુન્દ દવેની ‘જૂનું ઘર ખાલી કરતાં’ કવિતામાં આવતી યાદીની યાદી આવ્યા વિના રહેતી નથી. અર્થગહન વસ્તુઓની સાથે સાવ જ નિરર્થક વસ્તુઓની ભેળસેળ કરીને કવયિત્રી બાલમુકુન્દ દવેની જેમ જ ભાવકને નગણ્યતા, તુચ્છતાના ઊંડામાં ઊંડા તળ સુધી લઈ જાય છે, જેથી પોતે જે કહેવું છે એ વાત વધુ પ્રભાવક બને. ખીણના તળિયેથી અચાનક પર્વતની ટોચે પહોંચાય તો જ સાચો તફાવત આત્મસાત્ કરી શકાય ને! તર્કહીન સૂચિ જ તર્કને ધાર બક્ષે છે. કોઈકે બહુ સાચું કહ્યું છે: ‘એ મારા માટે સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રકૃતિની પોતાની ભાષા છે. એ પ્રાણીઓ, વૃક્ષો, અને ઉનાળાની શીતળ લહેરખીઓના માધ્યમથી બોલે છે. તે ગુસપુસ કરે છે, ‘મને ગળે લગાવો’. અને હું લગાવું છું.’ હરમાન હેસ પણ યાદ આવે: ‘વૃક્ષો અભયારણ્ય છે. જે કોઈ પણ એમની સાથે વાત કરવાનું જાણે છે, એમને સાંભળવાનું જાણે છે, એ સત્ય શીખી શકે છે.’ ભાષાની સાચી કળ અહીં છે. આપણે પ્રકૃતિને સાંભળતા શીખવાનું છે. પ્રકૃતિ આપણી પ્રથમ ભાષા હોવા છતાં આપણે એનું વ્યાકરણ ભૂલી બેઠાં છીએ. પ્રકૃતિને સાંભળતાં ન આવડતું હોય તો ઝાડ માત્ર ઝાડ છે, પર્વત માત્ર પર્વત. અહીં વિલિઅમ બ્લેકને પણ ટાંકવાનું મન થાય છે: ‘એ વૃક્ષ જે કોઈકની આંખોને ખુશીના આંસુઓથી તર કરી દે છે, એ બીજાઓની આંખોમાં કેવળ એક લીલા રંગનો પદાર્થ છે, જે માર્ગમાં ઊભો છે.’ સાચી વાત છે, આંખ હોવી જોઈએ જે જોઈ શકે, કાન હોવા જોઈએ જે સાંભળી શકે અને હાથ હોવા જોઈએ જે અનુભવી શકે. આપણી ઇન્દ્રિયો હવે પ્રકૃત્યાનુરાગી રહી નથી. લાંબો સમય થયો, આપણે પ્રકૃતિથી અળગાં થઈ ગયાં છીએ. શહેરમાં માર્ગ પહોળો કરવા જતાં વચ્ચે નડતું ઝાડ કાપતી વખતે હવે આપણને વેદના થતી નથી. ઝાડ માર્ગની વચ્ચે આવ્યું કે માર્ગ ઝાડની વચ્ચે આવ્યો એ નક્કી કરવા જેટલી સંવેદના હવે રહી નથી.

કવયિત્રી કહે છે કે આ આદિમ ભાષા તારાઓના સંગીતમાં પણ છે, પણ હું ગૂંગી જ બની રહું છું. ભૂલથી શેક્સપિઅરના નામે ચડી ગયેલી એક અદભુત સૂક્તિ છે: ‘જે સાંભળી શકે છે એમના માટે પૃથ્વી પાસે સંગીત છે.’ આ સંગીત જડબાંની પાછળની તરફે આવેલા કાનથી સાંભળી શકાતું નથી, એ આત્માના કર્ણ જ સાંભળી શકે. એના માટે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની તૈયારી હોવી ઘટે. રેઇનર મારિયા રિલ્કેએ કેવી અદભુત વાત કરી: ‘જો આપણે પૃથ્વીની બુદ્ધિમતા સામે આત્મસમર્પણ કરી દઈશું તો વૃક્ષોની જેમ મૂળિયાં પ્રસારીને આપણે ઊંચા ઊઠી શકીશું.’ આપણે આપણી બુદ્ધિના નશામાં રત થઈ ગયાં છીએ એટલે પ્રકૃતિને આપણે સાધ્ય નહીં, સાધન તરીકે જોવા-ઉપભોગવા માંડ્યાં છીએ. અને એટલે જ આપણે આપણાં મૂળિયાં ખોઈ બેઠાં છીએ. કવયિત્રી કહે છે એમ આપણે આપણી પહેલી ભાષા જ ભૂલી ગયાં છીએ, જે આપણાં મૂળ હતી. અને મૂળ વિના કોઈ વૃક્ષ ધરતીમાં પગદંડો જમાવી, આકાશ તરફ વધી શકે નહીં.

‘વેન આઇ એમ અમોન્ગ ધ ટ્રીઝ’ કવિતામાં મેરી ઓલિવર કહે છે કે જ્યારે હું ઝાડો વચ્ચે હોઉં છું, ભલેને ગમે તે પ્રકારનાં ઝાડ કેમ ન હોય, એ લોકો ખુશીના એવા સંકેતો આપે છે, કે હું કહી શકું કે તેઓ જ મને બચાવે છે, અને દરરોજ બચાવે છે. આ જ કવિતામાં આગળ એ કહે છે-

મારી આસપાસ વૃક્ષો તેમના પાંદડાંઓમાં હલચલ કરે છે
અને આહ્વાન કરે છે. “થોભ જરાવાર.”
એમની શાખાઓમાંથી પ્રકાશ રેલાઈ રહે છે.

અને તેઓ ફરી પોકારે છે, “સરળ છે,” તેઓ કહે છે,
“અને તું પણ આ વિશ્વમાં આવી છે
આ જ કરવા માટે, આસાન થવા માટે, પ્રકાશથી
ભરીભાદરી થવા માટે, અને ચમકવા માટે.”

પ્રકૃતિ પાસેથી આપણે જીવતાં શીખવાનું છે. પ્રકૃતિ પાસે જીવનનો ખરો પ્રકાશ છે, પણ શું આપણી પાસે એ દૃષ્ટિ છે? અહીં સુધીની પૂર્વભૂમિકા બાંધ્યા બાદ જેસિકા હવે મૂળ વાત તરફ વળે છે. પ્રકૃતિના દરેક ઘટક તત્ત્વો પાસે અવાજ અને સંગીત હોવાનું જાણતી હોવા છતાં પોતે કેમ ગૂંગી જ રહે છે એ વિશે એ હવે ફોડ પાડે છે. એ કહે છે કે જો પોતે આ ભાષા બોલી શકતી હોત, જો પોતાની પાસે એનો શબ્દભંડોળ હોત કે જો પોતાને એની ધૂન આવડતી હોત તો એ આપણને જરૂર કહેત અને તો આપણે પણ એની વાત સમજી શકત. આ ભાષા આવડવી કેમ અનિવાર્ય છે એનો ઈશારો રાલ્ફ વાલ્ડો ઇમર્સનની એક વાતમાંથી મળે છે: ‘પ્રકૃતિ એક ભાષા છે અને પ્રત્યેક નવી હકીકત જે આપણે શીખીએ છીએ, એ એક નવો શબ્દ છે. એ ટુકડાઓમાં વિભાજિત કરીને શબ્દકોશોમાં સંગ્રહાયેલી મૃત ભાષા નથી, પણ સૌથી મહત્ત્વપૂર્ણ અને સાર્વત્રિક અર્થમાં સંપૂર્ણતઃ સંપૃક્ત થયેલી ભાષા છે. હું આ ભાષા શીખવા ચાહું છું- એટલા માટે નહીં કે હું એક નવું વ્યાકરણ શીખી શકું, પણ એટલા માટે કે હું એ મહાન પુસ્તક વાંચી શકું જે આ ભાષામાં લખાયું છે.’

જેસિકા પોતાની અસમર્થતાથી વાકેફ છે. એ સમજે છે કે પોતે જે સમજી શકી છે એ સમજાવવાની ઇચ્છા હોવા છતાં કોઈને સમજાવી શકવાની નથી. ‘આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ,/કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું,/ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક’ (અખો) જેવી આ વાત છે. જ્યાં સુધી પોતાને પૂરી સમજ પડી નથી, ત્યાં સુધી અન્ય કોઈને સમજાવી શકાવાના નથી. પ્રકૃતિની ભાષા એવી ભાષા છે જે અન્યને શીખવતાં પહેલાં ખુદ શીખવી અનિવાર્ય છે. અને કદાચ એટલે જ સેંકડો-હજારો પ્રકૃતિકાવ્યો લખાતાં રહ્યાં હોવા છતાં, પ્રકૃતિની જાળવણી માટે ઢગલોક આંદોલનો-ચળવળો થતાં આવ્યાં હોવા છતાંય આપણે દિનબદિન પ્રકૃતિથી પરાઙ઼મુખ થઈ રહ્યાં છીએ. અંતે, ઇઆન સૉમરહેલ્ડર નામના યુવા કલાકારની એક નાની-શી વાત લઈને કુદરત તરફ વળવા કટિબદ્ધ થઈએ-

પર્યાવરણ આપણી ભીતર છે,
આપણી બહાર નહીં.
વૃક્ષો આપણાં ફેફસાં છે,
નદીઓ આપણી રક્તધારા,
અને તમે પર્યાવરણ સાથે જે કરો છો,
એ જ આખરે, તમે તમારી જાત સાથે કરો છો.

કોણ વરસાદનું કદ જુએ છે? – રમેશ પારેખ

સ્વર : ઓસમાન મીર
આલબમ : સંગત

.

કોણ વરસાદનું કદ જુએ છે? કોણ છાંટાના નિરખે ઠઠારા?
કોણ જુએ છે રેલાની દાનત? કોણ જાણે છે ઝીણા મૂંઝારા?

આ તે ચોમાસું છે કે જુલમ છે? અમને વાગે છે ઘોંઘાટ વસમો,
પડતો વરસાદ દાંડીની પેઠે, થઈ જતા સર્વ માણસ નગારાં!

એક વરસાદના અર્થ થાતાં છાપરે છાપરે સાવ નોખા,
ક્યાંક કહેવાય એને અડપલાં , ક્યાંક કહેવાય એને તિખારા.

હોત એવી ખબર કે છે આ તો માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો તો વરસાદથી આવી રીતે વ્યર્થ ભરીએ શું કરવા પટારા?

આવે છાંટા બુકાનીઓ બાંધી, આવે વાછટ તલવાર લઈને,
છે કયો દલ્લો મારી કને કે ધાડ પાડ્યા કરે છે લૂંટારા?

મારી રોકડ મૂડીમાં તો કેવળ એક ‘ર’ છે, ને ‘મે’ છે, ને ‘શ’ છે,
બાકી વરસાદના નામે લખીએ આમ હૂંડી, ને કરીએ ગુજારા
– રમેશ પારેખ

જિન્દગી પસંદ – મકરંદ દવે

જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ !
મોતની મજાક ભરી 
મોજના મિજાજ ધરી 
ખુશખુશાલ ખેલતી જવાંદિલી પસંદ !

નૌબનૌ સુગંધ મહીં 
જાય જે અબંધ વહી 
તાજગી ભરેલ એ તવંગરી પસંદ !
જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ.

સલામ હો હિસાબને 
કલમ અને કિતાબને 
જમા-ઉધારને જલાવતી મજલ પસંદ !
જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ.

ગુલબહારી મહેક સમી
એ હયાતી એક ગમી
ફોરમે રમી રહી ફનાગીરી પસંદ !
જિન્દગી પસંદ મને જિન્દગી પસંદ.

મોતની મજાક સમી 
જિન્દગી પસંદ !

– મકરંદ દવે

ગુલમહોરનામા – તુષાર શુક્લ

આર.જે.ઘ્વનિત અમદાવાદમાં ટ્રી-ઇડિયટ કેમ્પઇન ચલાવે છે,અને વૃક્ષને લગતી ઘણી વાતો અને વૃક્ષ અને પ્રકૃતિ સાથે કામ કરતા ઘણા લોકોના ઇન્ટરવ્યૂ કરે છે,એમાં તુષાર શુક્લના પ્રકૃતિ પ્રેમ વિશેની વાત થઇ જેમાં કવિ તુષાર શુક્લએ એમની અછાન્દસ ‘ગુલમહોરનામા” રજુ કરી..અને કવિએ જાણે એ વૃક્ષને જીવંત કર્યું. ચાલો એમનાં જ અવાજમાં સાંભળીએ.

પઠન : તુષાર શુક્લ

.

એને કોણે વાવ્યો, ક્યારે વાવ્યો એ યાદ નથી
કારણકે
એ પણ મોટો થયો ‘તો મારી સાથે
એણે મને જોયો છે
શાળાએ જતા ,
કોલેજ જતા.
એણે મને જોયો છે
વસંતે ખીલતા
પાનખરમાં ખરતા
વર્ષામાં ભીંજાતા.
એણે મને જોયો છે ગુલમહોર થતા.
એણે જોઇ છે મારી મમ્મીને
દિવસને અંતે બંને હાથમાં
શાક કરિયાણાની થેલી સાથે ઘેર વળતાં
ને અમને જોયાં છે એની રાહ જોતાં,
સામે દોડતાં .
એ પછી એક દિવસ
એણે જોઇ મમ્મીને
એના છાંયેથી છેલ્લી વાર પસાર થતાં
તે દિવસે
હળવેકથી ખરી હતી એની પાંદડીઓ
મમ્મી પર .
જીવન આખું દોડેલી મમ્મીને
તે દિવસે એણે પહેલી વાર જોઇ સૂતેલી
ફરી કદી ન ઉઠવા.
એ સ્હેજ ઝૂક્યો,
જાણે કહેતો ન હોય ,
હું ધ્યાન રાખીશ ઘરનું !
એ વરસે ફૂલ ઓછાં આવેલાં એને.
પછી તો એણે જોઇ
ઘરમાં આવતી ગૃહલક્ષ્મીને
ને પરણીને જતી દીકરીને
ઘરમાં રમતાં સંતાનોને
ક્યારેક વેકેશનમાં વિદેશથી આવતા
આંગણે રમતા ભાણુભાને
સમય જતાં
ગ્રાઉન્ડફ્લોરથી ફર્સ્ટ ફ્લોર સુધી
મકાન પણ પ્હોંચ્યું ને એ પણ.
ને પછી એ પણ આવ્યો સાથે સાથે
બીજા માળની અગાશી સુધી.
મમ્મીને કહ્યું હશે ને
છોકરાંવનું ધ્યાન રાખીશ.
પપ્પા કવિ.
એમને ગમે તો ખરો એ
પણ
મકાનના હપ્તા ભરતા પપ્પાને ચિંતા રહે,
વૃક્ષના મૂળ ઊંડા જાય
તો મકાનના પાયાને નુકસાન થાય.
એકવાર વંટોળમાં
એક મોટી ડાળ તૂટેલી પણ ખરી.
ત્યારે
મ્યુનિ.વાળા એને લઇ જતા હતા તે જોઇને
પપ્પાની આંખ પણ ભીની થયેલી.
તે સમયે એ જ એક હતો
આંગણાની શોભા
પછી તો એને છાંયે ઊભાં રહ્યાં
મોટર સાયકલ , મોટરકાર
ને બદલાતાં રહ્યાં મોડલ
પણ એ તો એનો એ જ.
અને એક દિવસ જતા જોયા એણે
પપ્પાને.
પક્ષઘાત પછી જાતે ચાલીને
આંગણમાં ન આવી શકતા પપ્પાને
અમારા ખભે સૂતા સૂતા.
તે વરસે ગુલમહોર પર ફૂલ વધારે આવ્યાં.
જાણે એની જવાબદારી વધી !
શ્રાધ્ધમાં મોટાભાઇ બારીમાં મુકે
પપ્પાને ભાવતી
ભાભીએ બનાવેલી
ખીર
ત્યારે
ગુલમહોરની ડાળ
ઝૂકે પહેલા માળની બારીએ.
નાની દીકરી સાદ કરે
પપ્પા, જૂઓ .. આવ્યો !
આજે તો અમે વેચી દીધું છે એ મકાન
સાથે લેતાં આવ્યાં છીએ સામાન
ગુલમહોર હજી ત્યાં જ છે.
ઊભો છે, અડીખમ
એના છાંયડે છે ઘર.
ગુલમહોરે મૂળ તો ઊંડા નાખ્યા છે, પપ્પા
પણ ઘરને નુકસાન નથી થવા દીધું , હોં !
અમારા આ ચાર માળના નવા મકાનનાં
આંગણામાં રોપ્યાં છે આસોપાલવ
દસ દસ ફૂટના ,
લઇ આવ્યા છીએ તૈયાર .
આ મકાન કે આસોપાલવ
ઉછર્યા નથી અમારી સાથે .
હું હજી ક્યારેક નીકળું છું
જૂના ઘર પાસેથી
ઘડીક ઊભો રહું છું ગુલમહોરને છાંયે
જાણે બેઠો હોઉં
મમ્મીની ખાદીની સાડીના પાલવ તળે
પાસે જઇને સ્પર્શું છું એની રુક્ષ ત્વચાને
જાણે પસવારું છું વૃધ્ધ પપ્પાના કૃષ હાથ
અમારા નવા ઘરની સામે તો
લટકે છે ચેનલના વાયર
એના પર કોઇ નથી બેસતું
મોટાભાઇ હજીય મુકે છે
પપ્પાને ભાવતી
ભાભીએ બનાવેલી ખીર
આ નવા મકાનમાં
ને પૌત્ર
રાહ જૂવે છે એની
પણ એ આવતો નથી ખીર ખાવા.
કદાચ એ
હજીય જઇને બેસે છે
પેલા ગુલમહોરની ડાળે.
અમે તો પળવારમાં એને છોડીને
ગોઠવાઇ પણ ગયા
આ વધુ સગવડ ભર્યા મકાનમાં
પણ
પિતૃઓ એમ નહીં છોડી શકતા હોય
જૂના ઘરની મમતા ?
જૂના ઘરના નવા મકાન માલિક
શ્રાધ્ધ નિમિત્તે કદાચ
અગાશીની પાળીએ મુકશે ખીર
ને ગુલમહોરની ડાળી તરફ જોઇને
એનું બાળક પણ
કહેશે એના ડેડીને
Dad, look .. he is here !
એને કોણ સમજાવે કે એ તારા નહીં, અમારા…
ગુલમહોર ઓળખે છે એને
કારણકે
એના મૂળ બહુ ઊંડા છે એ આંગણમાં
અને
ગુલમહોરે ઘર નથી બદલ્યું
અમારી જેમ.
-તુષાર શુક્લ

એવો છે વરસાદ – ધ્રુવ ભટ્ટ

અત્યારે સુંદર ચોમાસું છે અને વરસાદ પડતો હોય અને બાજુમાં કોઈકનો હાથ પકડીને હૂંફ મેળવી શકાય એટલું સુખ હોય ત્યારે આ ધૃવ ભટ્ટનું અદભુત ગીત કાનમાં ગુંજે. વરસાદમાં અવશ્ય સાંભળવા જેવું ગીત.

નીલા ટેલી ફિલ્મ્સ ગુજરાતી સંગીત અને ગીતોને સમર્પિત ચેનલ ધ્રુવ ગીત રજૂ કરે છે. ધ્રુવ ભટ્ટ દ્વારા આપણું લેટેસ્ટ ગીત એવો છે વરસાદ!

સંગીત: કે સુમંત
સ્વર: હિમાદ્રી બ્રહ્મભટ્ટ
તબલા: કે કાર્તિક

જરાક જેવી આંગળીઓને,
એક-બીજામાં સરકાવીને
ક્યાંક છાપરી નીચે બેસી જોયા કરીએ
એવો છે વરસાદ

સાત ખોટના શબ્દોને પણ,
વાદળ પાછળ મૂકી દઈને
આ અવતારે પામ્યા તેને મોહ્યા કરીએ
એવો છે વરસાદ

ઘર કહેવાતી છાપરીઓ કે
ડુંગર ઘેર્યા ઝાડ બધાએ
આજ વરસતા જળ પછવાડે
વરસે છે જો ઝાંખાપાંખા
નભની ટોચે દેશવટાના કાળા ઘોડે
કુંવરજીની તેગ ફરેને
ઝબકારામાં એકદંડિયા મહેલ જગે છે આંખેઆખાં
છબછબિયાંથી આજ સુધીના ગારાથી લઇ
બટ્ટ મોગરા ફૂલ ભરેલાં ચોમાસામાં
હાથ હજીયે બોળ્યા કરીએ
એવો છે વરસાદ

સુરજ જયારે સંતાતો જઈ
બીક ભરેલા અડાબીડ અંધારે
ત્યારે કેવાં એનું નામ કહીને
મનમાં થપ્પો પાડી દેતાં
પણ એ ત્યાંથી નહિ નીકળે તો? ની શંકાએ મૌન રહીને
કિરણ જડે તો કહીશું માનો
ઉગી ટીસને ડાબી દેતા

તને ખબર છે મને ખબર છે એક સમયમાં કહેવી’તીને
નથી કહી તે વાતો મનમાં બોલ્યા કરીએ
એવો છે વરસાદ
– ધ્રુવ ભટ્ટ

આવતી કાલનાં ગીત – મકરંદ દવે

આવતી કાલનાં ગીત અમારાં ને
આવતી કાલની પ્રીત,

નીરખી ના જેને કાંઈ દી આંખે
પારખી ના કદી હૃદયે ઝાંખે 
તોય ઊડી ઊડી પાતળી પાંખે
ક્ષિતિજપારથી આવી અચાનક 
આજ ભરી રહી ચિત્ત
આવતી કાલનાં ગીત અમારાં
ને આવતી કાલની પ્રીત.

આજને ઉબરે ગાય જે ગાણાં
આજ છે જેનાં ઓચ્છવ-ટાણાં
સાથે મારે નહીં સુખનાં લ્હાણાં 
પ્રાણ સમાણાં સપનાનું મારે 
આંબવ આછું સ્મિત
આવતી કાલનાં ગીત અમારાં 
તે આવતી કાલની પ્રીત.

નવ વસંતને પોંખણે જાગે 
ઝાડવે ઝાડવે ઝૂંપળ લાગે
ફૂટવા, ફળવા આત સુહાગે
તમે નવાગત કાજે જીવન 
ફાલ ધરે અગણિત 
આવતી કાલનાં ગીત અમારાં 
ને આવતી કાલની પ્રીત.
-મકરંદ દવે