Category Archives: કવિઓ

ગઝલની ગુંજતી સરગમ – શોભિત દેસાઈ | ચંદુ ભાઈ શાહના પુસ્તકનું વિમોચન | ઓગસ્ટ ૧૧, ૨૦૨૪ – સેન હોઝે, કેલીફોર્નીઆ

ગઝલ સમ્રાટ અને દમદાર રજૂઆતના બેતાજ બાદશાહ શ્રી શોભિત દેસાઈ સાથે ગુજરાતી ભાષાનો નવરત્ન દરબાર!!
ગુજરાતી ગઝલોનો મહાકુંભ… ગુજરાતી શાયરોનું પંચામૃત!

તારીખ: રવિવાર ઓગસ્ટ ૧૧, ૨૦૨૪
સમય: બપોરે ૩ થી ૫:૩૦
સ્થળ: શ્રીમયા કૃષ્ણધામ
175 Nortech Pkwy, San Jose California
Donation : $20/person
Scan QR code in the flyer or contact : Mukesh Patel – (408)5860006
Event supported by Jayshree Merchant & આપણું આંગણું (www.aapnuaangnu.com)

એના અસ્તિત્વ વિશે રકઝક પછી – હિતેન આનંદપરા

આપણે માણસ પ્રથમ સર્જક પછી
નીકળ્યું તારણ બધાં તારણ પછી

બે ઘડી વરસાદમાં ભીની ઘઈ
છત્રીને કેવી વળી ટાઢક પછી

અગ્રતા બદલાય છે વરસો જતાં
ફર્જ પહેલાં હોય છે ચાહત પછી

દ્રાર અંતરનાં અચાનક ઊઘડે
રિક્ત આંગણમાં થતી આહટ પછી

એક દિ કર્ફ્યૂમાં બસ નીકળ્યો હતો
જિંદગીભર હૂં રહ્યો સાવધ પછી

બેઉ બાજુ સ્તબ્ધ સન્નાટો મળે
સરહદો પહેલાં અને સરહદ પછી

તારં હોવું તું પ્રથમ પુરવાર કર
એના અસ્તિત્વ વિશે રકઝક પછી

– હિતેન આનંદપરા

હું માણસ છું કે શું? – ચંદ્રકાન્ત શાહ | અમર ભટ્ટ

કવિ ચંદુ શાહની યાદો અમર ભટ્ટના શબ્દોમાં…

“1982નું વર્ષ હતું. સુરેશ દલાલના સંચાલનમાં યોજાયેલ કવિસંમેલનમાં એક કવિએ ”સત્તરહજાર છોકરીઓનું ગીત” વાંચ્યું અને સૌને અભિભૂત કર્યા તે બીજો કોઈ નહીં પણ ચંદ્રકાન્ત શાહ – ચંદુ શાહ – સર્જકતાથી ભરપૂર કવિ.
પછી બૉસ્ટનમાં સ્થાયી થયેલ કવિએ “બ્લુ જિન્સ” કાવ્યો મારે ત્યાં કવિ લાભશંકર ઠાકર ને ચિનુ મોદીની હાજરીમાં વાંચેલાં. એક વાર એમણે મને કહ્યું હતું કે અમેરિકામાં ઘણો બધો સમય રસ્તા પર ડ્રાઇવિંગમાં જાય અને એમાં પણ ”રિયર વ્યૂ મિરર”માં જોતાં જોતાં, ડ્રાઇવિંગ કરતાં કરતાં એમણે જીવનને ”રિયર વ્યૂ મિરર”માંથી જોયેલું ને “રિયર વ્યૂ મિરર” કાવ્યો મળ્યાં. ગુજરાતી કવિતામાં ક્રિએટિવિટીની ભરપૂરતા માણવા બંને “બ્લુ જિન્સ” અને “રિયર વ્યૂ મિરર” પાસે જવું જ જોઈએ.
પોતે નાટ્ય લેખક ને અદાકાર પણ ખરા. નર્મદ ઉપર એમણે પ્રસ્તુત કરેલ એકપાત્રી નાટક એટલું બધું અદ્દભુત હતું કે દિવસો સુધી એની અસરમાંથી બહાર આવવું મારે માટે મુશ્કેલ બની ગયું હતું.
મેં એમનું એક ગીત સ્વરબદ્ધ વર્ષો પહેલાં કરેલું તે આજે વહેંચીને કવિને યાદ કરું છું. નવેમ્બર ૨૦૨૩માં તેમણે કાયમી વિદાય લીધી.”

– કવિઃ ચંદ્રકાન્ત શાહ
– સ્વરકાર-ગાયકઃ અમર ભટ્ટ

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?

આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?
આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો

હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોના ટોળા વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?
ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

વિશ્વ મિત્રતા દિવસ – આપણો ઘડીક સંગ… – નિરંજન ભગત

વિશ્વ મિત્રતા દિવસ પર મારું ખૂબ ગમતું ગીત…

કવિ: નિરંજન ભગત
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ: શબદનો અજવાસ

‘કાળની કેડીએ ઘડીક સંગ’

કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ,
આપણો ઘડીક સંગ;

આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ!

ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,

વાટમાં વચ્ચે એક દિ નકી આવશે વિદાયવેળા!

તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા!

હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ!

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,

કંટકપથે સ્મિત વેરીને મ્હોરશું ફૂલની ક્યારી;

એકબીજાને જીતશું, રે ભાઈ, જાતને જાશું હારી!

ક્યાંય ન માય રે એટલો આજ તો ઉરને થાય ઉમંગ!’

સ્વરકારના શબ્દોમાં આ ગીત વિષે –

“કવિ નિરંજન ભગતનું આ ગીત આજે વહેંચવું ગમશે-“આપણો ઘડીક સંગ”
ભગતસાહેબે “સ્વાધ્યાયલોક-8″માં ‘મૈત્રીના ઉપનિષદ’ સમા પોતાના આ કાવ્યનું રસદર્શન કરાવ્યું છે. એમાંની ખૂબ ગમતી પંક્તિઓ વહેંચવાનો આનંદ લેવો છે-
“આ ગીતનો વિષય છે સંગ એટલે કે મિલન એટલે કે મૈત્રી. મૈત્રી ન કરી હોય એવો કોઈ મનુષ્ય હશે?કોઈ મનુષ્ય ‘અજાતમિત્ર’ નથી. એટલે કે જેનો મિત્ર ન જન્મ્યો હોય એવો મનુષ્ય જન્મ્યો નથી….મૈત્રીના સાર્વભૌમ અનુભવનું આ ગીત છે. એમાં મૈત્રીનો મહિમા છે…..
“…..’એકબીજાને જીતશું રે ભાઈ, જાતને જાશું હારી’-બે મનુષ્ય વચ્ચે મૈત્રી કે પ્રેમ થાય ત્યારે બંનેને જીતવું હોય છે. પહેલાંને જીતવું છે પણ બીજો હારે નહીં તો પહેલો ક્યાંથી જીતે?એટલે પહેલાએ જીતવું હોય તો બીજાએ હારવું પડે. એટલે બીજાએ જીતવું હોય તો પહેલાએ હારવું પડે. આમ પહેલો અને બીજો બંને ત્યારે જ જીતે કે જયારે પહેલો અને બીજો બંને હારે.એટલે બંને ત્યારે જ જીતે કે જયારે બંને હારે!”. ભગતસાહેબે પોતાના મિત્ર કવિ પિનાકિન ઠાકોરને નવા વર્ષની શુભેચ્છારૂપે પોસ્ટકાર્ડમાં મોકલેલ કાવ્ય…
આ ગીત બંગાળી લયમાં હોવાથી બંગાળી ઢાળ પર આધારિત સ્વરનિયોજન કરવાની મજા મેં લીધી.”
– અમર ભટ્ટ

ફરીથી પાછા નવેસરથી – જયશ્રી મર્ચન્ટ | અસીમ મહેતા | મ્યુઝિક આલબમ ‘મળીએ તો કેવું સારું’

આલબમ: “ મળીએ તો કેવું સારું”
કૃતિ-૬: ગીત
ફરીથી પાછા નવેસરથી

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર–સ્વર–સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ

ફરીથી પાછા નવેસરથી
જો મળીએ તો કેવું સારું
ફરીથી પાછા હું ને તું
હસી લઈએ તો કેવું સારું

ઊઘડું ઊઘડું કરતું આકાશે
અજવાળું ઘેરું ઘેરું
તોય આંખ તો કહ્યા કરે
કે હું અંધારું પ્હેરું પ્હેરું
લઈને હોડી સપનાની
તરીએ તો કેવું સારું
-ફરીથી પાછા હું ને તું …

ઝાકળભીની હવા પીગળે,
હુંફાળી સવારે,
ફૂટે ટેરવાં તડકાને,
પહોંચે શ્વાસોને દ્વારે
સ્પર્શોની પાંદડીએ સાજન,
ઊગીએ તો કેવું સારું!
-ફરીથી પાછા હું ને તું …

(આ સાથે છ ગીતોનું મ્યુઝિક આલબમ “મળીએ તો કેવું સારું” સંપન્ન થાય છે.)

દીકરીનું ગીત: પરીઓની એ રાજકુમારી – જયશ્રી મર્ચન્ટ : મ્યુઝિક આલબમ “મળીએ તો કેવું સારું”

આલબમ: “ મળીએ તો કેવું સારું”

~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર–સંકલનઃ અસીમ મહેતા
~ સ્વર: માધ્વી મહેતા, હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ. પ્રિયા શાહ

Lyrics:

પરીઓની એ રાજકુમારી
તે દિ’ આવી મારે દ્વાર
મધમીઠી રેશમી ચાંદની
તે દિ’ આવી મારે દ્વાર!

રાતરાણી ખીલી’તી તે દિ’
કે ખીલ્યાં’તા પારિજાત?
મોગરાનાં પગલાંની તે દિ’
પડી’તી હવામાંયે ભાત
ચમેલી ચંપાના અમૃતમાં
જૂઈનો ઘૂંટાયો પમરાટ
મધમીઠી…

રાજકુમારીની તો મીઠી
એવી કાલીઘેલી બોલી
હ્રદયની સોનલ વાટકડીને
એણે કેસર રંગે ઘોળી!
કસુંબલ કેફી આંખો એની
મહેંદીના રંગે ઝબોળી!
મધમીઠી…

મંગળ આનંદનું જગ આખું
દીકરી તેં અમને છે આપ્યું
અનંત આભનો શક્તિપુંજ તું
સુખનું તું બ્રહ્માંડ આખું
દીકરી મારી, કહું જ એટલું,
શિવાસ્તે પન્થાનઃ સન્તુ!
મધમીઠી…

– જયશ્રી વિનુ મરચંટ

કૃતજ્ઞતા યાદી – નેઓમી શિહાબ નાય (અનુ. વિવેક મનહર ટેલર)

Gratitude List

Thank you for insulting me.
You helped me see how much I was worth.
Thank you for overlooking my humanity.
In that moment I gained power.
To be forgotten by the wider world
and the righteous religious
and the weaponized soldiers
is not the worst thing.
It gives you time to discover yourself.

*

Lemons.
Mint.
Almonds roasted and salted.
Almonds raw.
Pistachios roasted and salted.
Cheese.

– Naomi Shihab Nye

કૃતજ્ઞતા યાદી

આભાર તમારો મારું અપમાન કરવા બદલ.
આપે મને મારી યોગ્યતા જોવામાં મદદ કરી છે.
મારી માનવતાને નજરઅંદાજ કરવા બદલ આભાર.
એ ક્ષણમાં જ મને તાકાત સાંપડી છે.
વ્યાપક વિશ્વ અને સદાચારી ધાર્મિકો
અને હથિયારબંધ સૈનિકો વડે વિસારે પાડી દેવાવું
કંઈ સૌથી ખરાબ બાબત નથી.
એ તમને આત્મખોજ કરવા માટે સમય આપે છે.

*

લીંબુ.
ફૂદીનો.
શેકેલી અને નમકીન બદામ.
કાચી બદામ.
શેકેલા અને નમકીન પિસ્તા.
ચીઝ.

– નેઓમી શિહાબ નાય
(અનુ. વિવેક મનહર ટેલર)

સામાન્યમાંથી અસામાન્ય, સાધારણમાંથી અસાધારણ

આપણી ભાષાના એક લાડીલા યુવાકવિ તાજેતરમાં જ યુરોપની મુસાફરીએ ગયા હતા ત્યારે વિન્ડસરના બસ સ્ટેન્ડ પર એમને એક વૃદ્ધ દંપતી સાથે ભેટો થયો હતો. કવિને નિતનવા સ્થળે અજાણ્યાં માણસો સાથે ગુફ્તેગૂ માંડવાની, અને એ રીતે જે તે સ્થળની સંસ્કૃતિનો તાગ મેળવવાની અને ભાતીગળ માનવમનનો અભ્યાસ કરવાની (કુ)ટેવ તે એ એમની સાથે વાતોએ વળગ્યા. કવિએ આજે આબોહવા બહુ સરસ છે એમ કહ્યું ત્યારે વૃદ્ધાએ કહ્યું, ‘યસ, ટુડે’ઝ વેધર ઇઝ માઇલ્ડ.’ વૃદ્ધે ટાપસી પૂરાવતા કહ્યું કે ‘વી હેવ થ્રી વૉર્મ ડૈડેઇઝ અને થ્રી ઓર્ડિનરી ડેઇઝ ઇન કમિંગ વીક.’ અહીં સુધી તો વાતચીત સામાન્ય હતી. યુરોપ-યુકેમાં હવામાન આપણે ત્યાં હોય છે એટલું સુનિશ્ચિત નથી હોતું, એટલે ઉઘાડવાળા કે હૂંફાળા દિવસોને એ લોકો બંને હાથ ફેલાવીને વધાવી લેતા હોય છે. વૃદ્ધાએ એના પતિને જે જવાબ આપ્યો એમાં કવિને જીવનની અમૂલખ ફિલસૂફી વણી લેવાઈ હોવાનું પ્રતીત થયું. વૃદ્ધાએ કહ્યું: ‘વી હેવ ટુ ટેક વૉટ વી ગેટ.’ આ સ્વીકારમાં કવિને જીવનનો સાર સંભળાયો.

સાચી વાત છે. જે મળે એના સ્વીકારમાં જ જીવનસાર છે. આજની કવિતામાં બહુ સરળ બાનીમાં આ જ વાત કરવામાં આવી છે.

નેઓમી શિહાબ નાય. આરબ-અમેરિકન કવયિત્રી. ૧૨ માર્ચ, ૧૯૫૨ના રોજ જન્મ. પિતા પેલેસ્ટિનિયન નિર્વાસિત અને માતા જર્મન-સ્વીસ માબાપનું અમેરિકન સંતાન. ભાતીગળ સંસ્કૃતિની ભેળસેળની નીપજ હોવું એમના માટે આશિષ બન્યું. એમના સર્જન પર આ સાંસ્કૃતિક તફાવતો અને અનુભૂતિઓનો પ્રભાવ સ્પષ્ટ વર્તાય છે. એમના કહેવા મુજબ એમની કવિતાઓનો પ્રાથમિક સ્રોત સ્થાનીય જીવન અને સડકો પર ભટકાઈ જતાં યાદૃચ્છિક પાત્રો છે. સાધારણમાંથી અસાધારણની ખોજ તથા સામાન્ય અવલોકનોને ગહન ચિંતનમાં પ્લોટવાની એમની આવડતના કારણે એમની કવિતાઓ અલગ તરી આવે છે. એમનું કાર્યક્ષેત્ર આંતરરાષ્ટ્રીય ફલક પર વિસ્તર્યું છે, પણ એમનું ધ્યાનબિંદુ આંતરિક છે. છ જ વર્ષની વયે કાવ્યલેખન આરંભનાર નેઓમી અસંખ્ય પુરસ્કારો અને સન્માનોનાં હકદાર બન્યાં છે. અત્યારે અમેરિકાના મિસોરી રાજ્યમાં રહે છે.

ગુજરાતી ભાષાની જેમ જ વિદેશી ભાષાઓમાં પણ કવિઓ છંદના બંધનો ફગાવીને ઉન્મુક્ત સ્વૈરવિહાર કરવામાં વિશેષ રસ ધરાવતા જણાય છે. ‘કૃતજ્ઞતા યાદી’ કાવ્ય પણ સ્વરૂપની દૃષ્ટિએ મુક્ત કે અછાંદસ કાવ્ય છે. પંદર પંક્તિની નાનકડી કવિતાને કવિએ નવ અને છ પંક્તિઓના બે વિભાગમાં ફૂદડીની મદદથી દ્વિભાજિત કરી દીધી છે. પ્રથમ ભાગ તો કાવ્યોચિત સરળ અને સહજ બાનીમાં આલેખાયો છે. પરંતુ વાક્યના સ્થાને એક કે એકાધિક શબ્દોથી બનેલ બીજો ભાગ રચનારીતિની દૃષ્ટિએ એ ધ્યાનાર્હ રીતે અલગ તરી આવે છે.

મનુષ્યના મગજની ક્ષમતા અસીમ છે પણ સાથોસાથ એની મર્યાદા પણ અસીમ જ છે. અનુભવો અને અનુભૂતિઓનો સંચય કરવું મનુષ્યને પસંદ છે. જીવનભર માનવી બીજું કંઈ કરે કે ન કરે, પણ સ્મરણો અવશ્ય ભેગાં કરતો રહે છે. નવરાશના સમયે અવારનવાર વિગત સમયના કમરામાં પ્રવેશીને વીતી ગયેલ જીવન સાથે મુખામુખ થતા રહેવું મનુષ્યને ગમે છે. પણ સર્જનહારે સ્મરણ સંચયશક્તિની હારોહાર વિસ્મૃતિનું વરદાન પણ આપણને આપ્યું છે. જે રીતે ઘણી બધી વાતો આપણને યાદ રહી જાય છે, એ જ રીતે ઘણી બધી વાતો આપણે જાણ્યે-અજાણ્યે વિસારે પાડી દેતાં હોઈએ છીએ. બધું જ કાયમ માટે યાદ રહી જાય અને કશું જ ભૂલી ન શકાય તો કદાચ જીવવાનું દુભર બની જાય. ખરી સમસ્યા ત્યારે સર્જાય છે, જ્યારે નકામી વાત યાદ રહી જાય અને કામની વાત ભૂલી જવાય. વિસ્મૃતિનું વરદાન અભિશાપ ન બની જાય એ માટેનો હાથવગો રસ્તો છે યાદી બનાવવી તે. યાદી બનાવવી એ આપણા ભૂલક્કડપણા સામે લડવા માટેનો અક્સીર ઈલાજ છે. પરિણામે આપણે જોઈતી વસ્તુઓ, જરૂરી કામકાજ કે યોજનાની યાદી બનાવતા થઈ ગયા. યાદી બનાવી હોય તો વાત નજર સમક્ષ રહે.

કવયિત્રીએ પણ અત્રે આવી જ એક યાદી ઘડી છે. કવિતાના પહેલો ભાગ તો વાક્યોથી બન્યો છે, પણ બીજા ભાગમાં વિશુદ્ધ યાદી છે. પણ આ યાદી એક કવિની, એક સર્જકની યાદી છે, કોઈ સામાન્યજનની નથી, એટલે એ સામાન્યજનથી નોખા ચોતરે ન બેસે તો જ નવાઈ. અને આ અલગાવની આલબેલ તો શીર્ષકમાં જ સ્થાપિત થઈ જાય છે. યાદીમાં લીંબુ, ફૂદીના બદામ જેવી ખાદ્યસામગ્રીઓ જ ખડકાઈ હોવા છતાં એ કોઈપણ ગૃહિણીની યાદી કરતાં જુદી છે, કારણ કે એ કૃતજ્ઞતાની યાદી છે. કવિએ પોતે જે જે વ્યક્તિઓ કે વસ્તુઓ તરફ કૃતજ્ઞતા અનુભવે છે એની એક યાદી તૈયાર કરી છે, અને આ શુષ્ક યાદી કઈ રીતે કાવ્યત્વને વરે છે એ જ આપણે જોવાનું છે.

કૃતજ્ઞતાની આ યાદીની શરૂઆત પણ ‘આભાર’થી જ થાય છે. શીર્ષકમાં પ્રયોજાયેલ અંગ્રેજી ‘ગ્રેટિટ્યુડ’ શબ્દ મૂળે લેટિન શબ્દ ‘ગ્રેટસ’ પરથી ક્રમશઃ ઉતરી આવ્યો છે, જેનો અર્થ પણ ‘આભારી’ જ થાય છે. પ્રથમ પંક્તિ સાવ ટૂંકા વાક્યની બની હોવાથી વાંચવી કે સાંભળવી શરૂ કરીએ ત્યાં તો પૂર્ણવિરામ સુધી પહોંચી જવાય. કવિ કહે છે કે ‘આભાર તમારો મારું અપમાન કરવા બદલ.’

લો! આ વળી શું! અપમાન કરવા બદલ આભાર? પહેલી પંક્તિ જ આપણને વશીભૂત કરી દે છે. પ્રથમ પંક્તિ જ એવી ચોટુકડી છે કે હવે આખી કવિતા વાંચ્યા વિના છૂટકો જ નથી. સામી વ્યક્તિ જે કોઈ પણ હોય, એણે કથકનું અપમાન કર્યું છે અને બદલામાં કથક મનુષ્યસહજ કૃતઘ્નતા દાખવવાના બદલે કૃતજ્ઞતા દાખવે છે. આ અપ્રત્યાશિત દૃષ્ટિકોણના પરિણામે કાવ્યારંભે જ એક રહસ્ય સર્જાય છે. પણ અન્ય કાવ્યોથી વિપરીત કવિ રહસ્યની આ દાબડીને કાવ્યાંત સુધી છૂપાવી કે બળજબરીપૂર્વક બંધ રાખવાની ચેષ્ટા કરવાના બદલે બીજી જ પંક્તિમાં ખોલી પણ દે છે. જે રીતે પ્રથમ વાક્ય શરૂ થતાવેંત અંત સુધી સડેડાટ પહોંચી જાય છે, કંઈક એવી જ રીતે આ રહસ્ય પણ રસાય એ પહેલાં જ એનો સ્ફુટ થઈ જાય છે. આભાર. શા માટે? તો કે, આપે મને મારી યોગ્યતા જોવામાં મદદ કરી છે.

કવિતા શરૂ થઈ અને તરત જ જાણે કે પૂરી પણ થઈ ગઈ. હવે? હવે આગળ કંઈ બચે ખરું? સામાન્યતઃ તો કવિતા કહે એથી વધુ મૌન રહે. બતાવે એથી વધારે ગોપવે. પણ આ રચનામાં કવિએ ઉલટક્રમ અખ્તિયાર કરી મૌનના સાદૃશ્યે મુખરતા પસંદ કરી છે. રહસ્યસર્જન અને રહસ્યોધાટનની આ ગતિ જો કે કવિતાને વધુ રોચક બનાવે છે, પરિણામે સપાટાભેર ઉદ્ઘૃત થયેલ કાવ્યરસ સૂકાઈ જવાના બદલે સંકોરાઈને વધુ ઘટ્ટ બન્યો જણાય છે. જે માણસે કાવ્યનાયકનું અપમાન કર્યું છે એણે હકીકતે તો એના પર ઉપકાર જ કર્યો છે. આ અપમાનની મિષે જ નાયક પોતાની યોગ્યતાનું ખરું પારખું કરી શક્યો છે. આ અપમાન ન થયું હોત તો કદાચ નાયકને સ્વયં સામે જોવાની તક જ ન સાંપડી હોત યા ઇચ્છા જ ન થઈ હોત. આપણામાંથી મોટાભાગનાની આ જ કહાની છે. અરીસો આપણા માટે વસ્તુતઃ બાહ્યાડંબર પુષ્ટિકરણનું માધ્યમ છે. જ્યારે અને જેટલીવાર આપણે આયનામાં જોઈએ છીએ, આપણી નજર છબી સુધી જ સીમિત રહે છે. અરીસામાં જે નજર આવે છે, એને આપણે ખરેખર જોતાં જ નથી. પણ અપમાનનો તમાચો આપણી સ્નોરકેલર દૃષ્ટિને સ્કુબા ડાઇવર બનાવી દે છે. પરિણામે આપણે સપાટી ભેદીને ભીતરના ભેદ તાગી શકીએ છીએ. તો આના માટે તો અપમાન કરનારનો આભાર જ માનવાનો રહે ને!

બાઇબલ યાદ આવે. કોઈ તમારા ગાલ પર એક તમાચો મારે, તો એને બીજો ગાલ ધરજો. કોઈ તમારો કોટ લઈ જાય, તો એને શર્ટ પણ આપજો. ગાંધીજીએ આ ઉપદેશને જીવનસંદેશ બનાવ્યો હતો. આપણા માટે આમ કરવું બહુ મુશ્કેલ છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી પણ બાઇબલના આ સર્મનને અનુસરતા દેખાય છે. જે લોકોએ કથકની માનવતાને નજરઅંદાજ કરી છે એ લોકોના કારણે જ કથકને શક્તિ સાંપડી છે. કોઈએ પાડ્યા જ ન હોય, તો ઊભા થતા કેમ શીખાય? અવહેલનાથી મોટું કોઈ હથિયાર નથી. ગાંધીજીએ કદાચ આજન્મ દક્ષિણ આફ્રિકામાં રહી વકાલત જ કરી હોત, જો ટ્રેનમાં એમની અવહેલના કરી માલસામાન સમેત એમને ડબ્બાની બહાર ફેંકી દેવાયા ન હોત. અવહેલનાની એ ક્ષણે એક માનવમાં મહામાનવનો જન્મ થયો હતો. મેઘલી અંધારી રાતે રમણે ચડેલી નદી ઓળંગીને પ્રિયાને મળવા ગયેલ તુલસીદાસનું એમની પત્નીએ અપમાન ન કર્યું હોત તો આપણને કદી સંતકવિ તુલસીદાસ સાંપડ્યા ન હોત. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ એમના શિક્ષકે કહ્યું હતું કે એ જીવનમાં કશું જ કરી શકશે નહીં. એમને શાળામાંથી કાઢી પણ મૂકવામાં આવ્યા હતા. તમારી પાસે કલ્પનાશક્તિની ઉણપ છે અને નવા વિચારો નથી એમ કહીને વૉલ્ટ ડિઝનીને અખબારની નોકરીમાંથી પાણીચું અપાયું હતું. તમારો અવાજ બરાબર નથી અને રેડિયો ઉદઘોષક બનવાને તમે લાયક નથી એમ કહી જે વ્યક્તિને બહાર જવાનો દરવાજો દેખાડાયો હતો, એ વ્યક્તિને આજે આપણે અમિતાભ બચ્ચન તરીકે ઓળખીએ છીએ. થોમસ આલ્વા એડિસન, માઇકલ જોર્ડન અને ઓપ્રાહ વિનફ્રે જેવા આવા તો સેંકડો દાખલા આપણી પાસે ઉપલબ્ધ છે.

આ જ વાત અલગ સંદર્ભો સાથે ત્રેવડાવીને કવિ પોતાને જે કહેવું છે એને યથોચિત રીતે અધોરેખિત પણ કરે છે. અલગ-અલગ રીતે કરાતી પુનરોક્તિ ઘણીવાર કાવ્યપ્રાણ બની રહેતી હોય છે. અહીં પણ આ ત્રિરુક્તિ કવિતાના સારને દૃઢીભૂત કરવામાં નિઃશંકપણે મદદગાર નીવડી છે. બાકીની દુનિયા, ધર્મના ઝંડા લઈને ફરતા સદાચારીઓ કે સજ્જ સૈનિકો વગેરે પણ તમારા અસ્તિત્ત્વની નોંધ ન લે અને તમને ભૂલી જાય તો એય વિશ્વની સૌથી ખરાબ બાબત તો નથી જ, કારણ કે કોઈ તમારી નોંધ ન લેતું હોય, કોઈનું રડાર તમારા પર મંડાયેલું ન હોય એ સમયે તમે મોકળા મને સ્વયંની શોધ કરી શકો છો. અંગ્રેજીમાં આને ‘અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ’ (છૂપા આશીર્વાદ) કહે છે. ટૂંકમાં કોઈનાય મંતવ્યોની પરવાહ કર્યા વિના જીવવું અને સ્વયંને કેવળ સ્વયંના જ ત્રાજવે તોળવાની વાત અહીં કરવામાં આવી છે. કોઈનીય કોઈ પણ વાતનું માઠું ન લગાડતાં તમારા તરફ ફેંકવામાં આવેલ દરેક પથ્થરને સ્ટેપિંગ સ્ટોન (ઉન્નતિ માટેનું સોપાન) બનાવતા આપણે સહુએ શીખવાનું છે.

ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

અહીં સુધીની રચના સાહજિક અને સ્વભાવિક લાગે છે પણ કવિતાનો બીજો ભાગ આશ્ચર્યકારક છે. કવિએ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે યાદી રજૂ કરી છે એ ચોંકાવી દે એવી છે- લીંબુ, ફૂદીનો, બદામ, પિસ્તા અને ચીઝ. આવી કેવી યાદી? આવી કેવી વાક્યરચના? આવી કેવી કવિતા? કવિતાના આ બીજા ભાગમાં ઘણાને અ-કવિતા નજર આવે એ બનવાજોગ છે. ઘણાને એમાં કશું વિશિષ્ટ ન દેખાય તથા સહજતા ઓછી અને કૃતકતા વધુ અનુભવાય એ શક્ય છે. પણ છ મહિના પહેલાં આ કવિતા વાંચીને એનો અનુવાદ કરી એને કોરાણે મૂકી દીધા બાદ દર થોડા દિવસોએ એણે મને ફરી પોતાની પાસે બોલાવ્યો છે. આખરે છ-છ મહિનાના પ્રતિકાર બાદ આ રચનાએ મારી પાસે હથિયાર હેઠાં મૂકાવ્યાં અને એનું વિવરણ કરવા માટે મને મજબૂર કરી દીધો. મને આમાં આ રચનાની તાકાત અનુભવાઈ. વિચિત્ર કે અસંબદ્ધ લાગવા છતાં એનો ત્યાગ કે અસ્વીકાર કરી ન શકાયો એ કારણે આ રચના મને ગમી ગઈ છે.

પ્રથમ ભાગમાં બાઇબલ જેવી ઉચ્ચસ્તરીય વાત કર્યા બાદ બીજા ભાગમાં અચાનક સામાન્ય ઘરરખ્ખુ સ્ત્રીની કક્ષાએ કવિતા ઉતરી આવે એમાં જે અભૂતપૂર્વ અને તીવ્ર વિરોધાભાસ છે, એ જ આ કવિતાને વધુ રોચક અને મનનીય બનાવે છે. ઉચ્ચતમ શિખામણને સાવ ક્ષુલ્લક યાદીની અડખેપડખે ગોઠવી દઈને નેઓમીએ વાતને કેવી ધારદાર બનાવી છે! ખાદ્યપદાર્થોની આ ભૌતિક યાદીને પ્રતીક ગણીને એનું અર્થઘટન કરી શકાય પણ એવું કરવાની આવશ્યકતા જણાતી નથી. બદામ શેનું પ્રતીક છે અને પિસ્તા શેનું એ પિષ્ટપેષણ કવિતાને વિશેષ ઉપકારક થાય એમ નથી. મૂળ વાત એ છે કે જેનું જીવન તુચ્છતમ ચીજવસ્તુઓ સાથે સંકળાઈ રહેલ છે, એવી સાવ સામાન્ય સ્ત્રી પણ અપમાન કે અવહેલનાના ઉદ્દીપકથી જીવનની મહાનતમ રાસાયણિક પ્રક્રિયા સિદ્ધ કરી શકે છે. પ્રતિકૂળતાની પરિવર્તનકારી શક્તિ અને એ વડે આત્માન્વેષણની યાત્રા આભારસૂચિના કારણે બખૂબી ઉપસી શકી છે. બીજા ભાગનું અપદ્ય પ્રથમ ભાગના કાવ્યત્વને વધુ તીવ્ર બનાવે છે.

ઝેન વિચારધારાનું પણ આ તબક્કે સ્મરણ થઈ શકે. ઝેન દર્શનમાં રોજમરોજના સાંસારિક કાર્યોને ધ્યાન અને ચેતના વિકસિત કરવા માટે આવશ્યક માનવામાં આવે છે. સાફસફાઈ, રસોઈ, કપડાં ધોવાં વગેરે ઘરેલૂ કામકાજ ધ્યાનાભ્યાસનું માધ્યમ છે. આવાં કામ વર્તમાન ક્ષણ પરત્વે જાગરુકતા વિકસિત કરવામાં તથા વિકર્ષણોથી સ્વયંને બચાવવામાં સહાયભૂત થાય છે. સાંસારિક ગતિવિધિઓ સહેતુક, સાયાસ અને એકાગ્રતા સાથે કરવામાં આવે તો એ એક પ્રકારની પૂજા બની રહે છે. આવાં રોજિંદા કાર્યો પવિત્ર અને અપવિત્ર વચ્ચેનું અંતર દૂર કરવામાં અને સાધારણને અસાધારણ બનાવવામાં ઉત્પ્રેરક બની રહે છે. અન્ય ધર્મોથી વિપરીત ઝેન ફિલસૂફી દુનિયાથી ભાગીને નહીં, પણ નિત્યજીવનમાં લીન થઈને જ્ઞાનપ્રાપ્તિનો બોધ આપે છે. નેઓમીની આભારસૂચિમાંથી પણ આવા જ સૂચિતાર્થો પ્રાપ્ત થાય છે.

કવિ ચંદ્રકાન્ત શેઠની વિદાય…

કવિ ચંદ્રકાન્ત શેઠની વિદાય…જાણે કવિના જ શબ્દોની પ્રતીતિ….

નભ ખોલીને જોયું પંખી નથી નથી;
જળ ખોલીને જોયું મોતી નથી નથી…

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ હવે આપણી વચ્ચે નથી. આજે એમણે કાયમી વિદાય લીધી.
કવિ ચંદ્રકાન્ત શેઠ મારા પ્રિય કવિ છે. એમાં પણ એમનાં ગીતો મને અંદરથી સ્પર્શે છે ને એમના આસ્વાદો મને અંદરથી તરબતર કરે છે. ગુજરાતી ભાષાના વ્યાકરણ અંગે કે કોઈ પણ કવિના કોઈ પણ કાવ્ય અંગે મને જયારે જયારે કોઈ પ્રશ્ન થાય ત્યારે ત્યારે હું કવિ ચંદ્રકાન્ત શેઠને ફૉન લગાવતો ને એ દરેક વખતે ત્વરિત જવાબ – instant answer – આપવાનું સૌજન્ય દાખવે.
આ ગીતની સ્હેજ વાત કરું તો ‘નથી નથી’ માં શૂન્યતા છે , તો વળી “‘હું’ જ ત્યાં નથી નથી”માં સભરતા છે. એટલે શૂન્યતામાં સભરતાના અનુભવનું આ કાવ્ય મને અત્યંત પ્રિય છે.
આકાશ ખોલવું, જળ ખોલવું, સૂર ખોલવા, નૂર ખોલવાં ને કૈંક ખોળવું … કવિને શું મળે છે? તે તમે પણ શોધો, માણો.
વર્ષો પહેલાં કવિએ લખેલું આ કાવ્ય છેક 2008માં મારાથી સ્વરાંકિત થયું ને એ જ વર્ષમાં રૅકોર્ડ થયું.

– અમર ભટ્ટ


અમર ભટ્ટ

નભ ખોલીને જોયું પંખી નથી નથી;
જળ ખોલીને જોયું મોતી નથી નથી.

સતત છેડીએ  તાર છતાં કંઈ રણકે નહીં
આ કેવો ચમકાર? કશુંયે    ચમકે નહીં
ખોલી જોયા સૂર, હલક  એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી

લાંબી લાંબી વાટ, પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય? મને સમજાય નહીં;
આ તે કેવા દેશ?! -દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ!-હું જ ત્યાં નથી નથી!

– કવિ:ચંદ્રકાન્ત શેઠ
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ: સ્વરાભિષેક:2

હાથોમાં હાથ લઈ લે – જયશ્રી વિનુ મર્ચન્ટ | અચલ અંજારિયા ~ મ્યુઝિક આલ્બમ ‘મળીએ તો કેવું સારું’

આલબમ: “ મળીએ તો કેવું સારું”
કૃતિ-૪: ગઝલ
હાથોમાં હાથ લઈ લે
~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર–સંકલનઃ અસીમ મહેતા
~ સ્વર: અચલ અંજારિયા
~ સંગીત નિયોજનઃ રાઘવ દવે

Lyrics:
હાથોમાં હાથ લઈ લે, રસ્તો કપાઈ જાશે
સાથે હશે જો તું તો, ગીતો ગવાઈ જાશે

છે આ હવાનાં પગલાં, જોઈ શકાય ક્યાંથી?
ખોલે તું દિલની આંખો, તો સંભળાઈ જાશે

પૂછે મને વસંત આ, “રાખીશ શું મને તું?
મારી સુગંધ તુજમાં, આવી સમાઈ જાશે”

કેવટ તું પાર કરજે, છે રામની આ નૈયા
રાજા ને રંકના ભેદો, સૌ ભૂલાઈ જાશે

ફૂલો બની ખીલું છું, પીંછું બની ખરું છું
કોમળ આ મન છે મારું પળમાં ઘવાઈ જાશે!

સંબંધો બધાયે ભલે કાચ જેવા – જયશ્રી મરચન્ટ | હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ ~ મ્યુઝિક આલ્બમ ‘મળીએ તો કેવું સારુ’

આલબમ: ‘મળીએ તો કેવું સારું’
કૃતિ-૩: ગઝલ
સંબંધો બધાયે ભલે કાચ જેવા

~ કવયિત્રી: જયશ્રી વિનુ મરચંટ
~ સ્વરકાર-સંકલનઃ અસીમ મહેતા
~ સ્વર: હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ
~ સંગીત નિયોજનઃ રાઘવ દવે

Lyrics:

સંબંધો બધાયે ભલે કાચ જેવા
અમેયે સતીના છીએ શ્વાસ જેવા

વસંતો વિચારો બનીને છો આવે
અમે બારમાસી સુક્કા વાંસ જેવા

મથ્યાં ખૂબ તોયે જુએ ના એ સામે
અમે અંધ સામે થતા નાચ જેવા

છે “ભગ્ન” છતાંયે શું રૂઆબ એનો
હો રાજાના તૂટ્યા કોઈ તાજ જેવા