કવિ ચંદ્રકાન્ત શેઠની વિદાય…

કવિ ચંદ્રકાન્ત શેઠની વિદાય…જાણે કવિના જ શબ્દોની પ્રતીતિ….

નભ ખોલીને જોયું પંખી નથી નથી;
જળ ખોલીને જોયું મોતી નથી નથી…

કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ હવે આપણી વચ્ચે નથી. આજે એમણે કાયમી વિદાય લીધી.
કવિ ચંદ્રકાન્ત શેઠ મારા પ્રિય કવિ છે. એમાં પણ એમનાં ગીતો મને અંદરથી સ્પર્શે છે ને એમના આસ્વાદો મને અંદરથી તરબતર કરે છે. ગુજરાતી ભાષાના વ્યાકરણ અંગે કે કોઈ પણ કવિના કોઈ પણ કાવ્ય અંગે મને જયારે જયારે કોઈ પ્રશ્ન થાય ત્યારે ત્યારે હું કવિ ચંદ્રકાન્ત શેઠને ફૉન લગાવતો ને એ દરેક વખતે ત્વરિત જવાબ – instant answer – આપવાનું સૌજન્ય દાખવે.
આ ગીતની સ્હેજ વાત કરું તો ‘નથી નથી’ માં શૂન્યતા છે , તો વળી “‘હું’ જ ત્યાં નથી નથી”માં સભરતા છે. એટલે શૂન્યતામાં સભરતાના અનુભવનું આ કાવ્ય મને અત્યંત પ્રિય છે.
આકાશ ખોલવું, જળ ખોલવું, સૂર ખોલવા, નૂર ખોલવાં ને કૈંક ખોળવું … કવિને શું મળે છે? તે તમે પણ શોધો, માણો.
વર્ષો પહેલાં કવિએ લખેલું આ કાવ્ય છેક 2008માં મારાથી સ્વરાંકિત થયું ને એ જ વર્ષમાં રૅકોર્ડ થયું.

– અમર ભટ્ટ


અમર ભટ્ટ

નભ ખોલીને જોયું પંખી નથી નથી;
જળ ખોલીને જોયું મોતી નથી નથી.

સતત છેડીએ  તાર છતાં કંઈ રણકે નહીં
આ કેવો ચમકાર? કશુંયે    ચમકે નહીં
ખોલી જોયા સૂર, હલક  એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી

લાંબી લાંબી વાટ, પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય? મને સમજાય નહીં;
આ તે કેવા દેશ?! -દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ!-હું જ ત્યાં નથી નથી!

– કવિ:ચંદ્રકાન્ત શેઠ
સ્વરકાર:ગાયક: અમર ભટ્ટ
આલબમ: સ્વરાભિષેક:2

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *