કૃતજ્ઞતા યાદી – નેઓમી શિહાબ નાય (અનુ. વિવેક મનહર ટેલર)

Gratitude List

Thank you for insulting me.
You helped me see how much I was worth.
Thank you for overlooking my humanity.
In that moment I gained power.
To be forgotten by the wider world
and the righteous religious
and the weaponized soldiers
is not the worst thing.
It gives you time to discover yourself.

*

Lemons.
Mint.
Almonds roasted and salted.
Almonds raw.
Pistachios roasted and salted.
Cheese.

– Naomi Shihab Nye

કૃતજ્ઞતા યાદી

આભાર તમારો મારું અપમાન કરવા બદલ.
આપે મને મારી યોગ્યતા જોવામાં મદદ કરી છે.
મારી માનવતાને નજરઅંદાજ કરવા બદલ આભાર.
એ ક્ષણમાં જ મને તાકાત સાંપડી છે.
વ્યાપક વિશ્વ અને સદાચારી ધાર્મિકો
અને હથિયારબંધ સૈનિકો વડે વિસારે પાડી દેવાવું
કંઈ સૌથી ખરાબ બાબત નથી.
એ તમને આત્મખોજ કરવા માટે સમય આપે છે.

*

લીંબુ.
ફૂદીનો.
શેકેલી અને નમકીન બદામ.
કાચી બદામ.
શેકેલા અને નમકીન પિસ્તા.
ચીઝ.

– નેઓમી શિહાબ નાય
(અનુ. વિવેક મનહર ટેલર)

સામાન્યમાંથી અસામાન્ય, સાધારણમાંથી અસાધારણ

આપણી ભાષાના એક લાડીલા યુવાકવિ તાજેતરમાં જ યુરોપની મુસાફરીએ ગયા હતા ત્યારે વિન્ડસરના બસ સ્ટેન્ડ પર એમને એક વૃદ્ધ દંપતી સાથે ભેટો થયો હતો. કવિને નિતનવા સ્થળે અજાણ્યાં માણસો સાથે ગુફ્તેગૂ માંડવાની, અને એ રીતે જે તે સ્થળની સંસ્કૃતિનો તાગ મેળવવાની અને ભાતીગળ માનવમનનો અભ્યાસ કરવાની (કુ)ટેવ તે એ એમની સાથે વાતોએ વળગ્યા. કવિએ આજે આબોહવા બહુ સરસ છે એમ કહ્યું ત્યારે વૃદ્ધાએ કહ્યું, ‘યસ, ટુડે’ઝ વેધર ઇઝ માઇલ્ડ.’ વૃદ્ધે ટાપસી પૂરાવતા કહ્યું કે ‘વી હેવ થ્રી વૉર્મ ડૈડેઇઝ અને થ્રી ઓર્ડિનરી ડેઇઝ ઇન કમિંગ વીક.’ અહીં સુધી તો વાતચીત સામાન્ય હતી. યુરોપ-યુકેમાં હવામાન આપણે ત્યાં હોય છે એટલું સુનિશ્ચિત નથી હોતું, એટલે ઉઘાડવાળા કે હૂંફાળા દિવસોને એ લોકો બંને હાથ ફેલાવીને વધાવી લેતા હોય છે. વૃદ્ધાએ એના પતિને જે જવાબ આપ્યો એમાં કવિને જીવનની અમૂલખ ફિલસૂફી વણી લેવાઈ હોવાનું પ્રતીત થયું. વૃદ્ધાએ કહ્યું: ‘વી હેવ ટુ ટેક વૉટ વી ગેટ.’ આ સ્વીકારમાં કવિને જીવનનો સાર સંભળાયો.

સાચી વાત છે. જે મળે એના સ્વીકારમાં જ જીવનસાર છે. આજની કવિતામાં બહુ સરળ બાનીમાં આ જ વાત કરવામાં આવી છે.

નેઓમી શિહાબ નાય. આરબ-અમેરિકન કવયિત્રી. ૧૨ માર્ચ, ૧૯૫૨ના રોજ જન્મ. પિતા પેલેસ્ટિનિયન નિર્વાસિત અને માતા જર્મન-સ્વીસ માબાપનું અમેરિકન સંતાન. ભાતીગળ સંસ્કૃતિની ભેળસેળની નીપજ હોવું એમના માટે આશિષ બન્યું. એમના સર્જન પર આ સાંસ્કૃતિક તફાવતો અને અનુભૂતિઓનો પ્રભાવ સ્પષ્ટ વર્તાય છે. એમના કહેવા મુજબ એમની કવિતાઓનો પ્રાથમિક સ્રોત સ્થાનીય જીવન અને સડકો પર ભટકાઈ જતાં યાદૃચ્છિક પાત્રો છે. સાધારણમાંથી અસાધારણની ખોજ તથા સામાન્ય અવલોકનોને ગહન ચિંતનમાં પ્લોટવાની એમની આવડતના કારણે એમની કવિતાઓ અલગ તરી આવે છે. એમનું કાર્યક્ષેત્ર આંતરરાષ્ટ્રીય ફલક પર વિસ્તર્યું છે, પણ એમનું ધ્યાનબિંદુ આંતરિક છે. છ જ વર્ષની વયે કાવ્યલેખન આરંભનાર નેઓમી અસંખ્ય પુરસ્કારો અને સન્માનોનાં હકદાર બન્યાં છે. અત્યારે અમેરિકાના મિસોરી રાજ્યમાં રહે છે.

ગુજરાતી ભાષાની જેમ જ વિદેશી ભાષાઓમાં પણ કવિઓ છંદના બંધનો ફગાવીને ઉન્મુક્ત સ્વૈરવિહાર કરવામાં વિશેષ રસ ધરાવતા જણાય છે. ‘કૃતજ્ઞતા યાદી’ કાવ્ય પણ સ્વરૂપની દૃષ્ટિએ મુક્ત કે અછાંદસ કાવ્ય છે. પંદર પંક્તિની નાનકડી કવિતાને કવિએ નવ અને છ પંક્તિઓના બે વિભાગમાં ફૂદડીની મદદથી દ્વિભાજિત કરી દીધી છે. પ્રથમ ભાગ તો કાવ્યોચિત સરળ અને સહજ બાનીમાં આલેખાયો છે. પરંતુ વાક્યના સ્થાને એક કે એકાધિક શબ્દોથી બનેલ બીજો ભાગ રચનારીતિની દૃષ્ટિએ એ ધ્યાનાર્હ રીતે અલગ તરી આવે છે.

મનુષ્યના મગજની ક્ષમતા અસીમ છે પણ સાથોસાથ એની મર્યાદા પણ અસીમ જ છે. અનુભવો અને અનુભૂતિઓનો સંચય કરવું મનુષ્યને પસંદ છે. જીવનભર માનવી બીજું કંઈ કરે કે ન કરે, પણ સ્મરણો અવશ્ય ભેગાં કરતો રહે છે. નવરાશના સમયે અવારનવાર વિગત સમયના કમરામાં પ્રવેશીને વીતી ગયેલ જીવન સાથે મુખામુખ થતા રહેવું મનુષ્યને ગમે છે. પણ સર્જનહારે સ્મરણ સંચયશક્તિની હારોહાર વિસ્મૃતિનું વરદાન પણ આપણને આપ્યું છે. જે રીતે ઘણી બધી વાતો આપણને યાદ રહી જાય છે, એ જ રીતે ઘણી બધી વાતો આપણે જાણ્યે-અજાણ્યે વિસારે પાડી દેતાં હોઈએ છીએ. બધું જ કાયમ માટે યાદ રહી જાય અને કશું જ ભૂલી ન શકાય તો કદાચ જીવવાનું દુભર બની જાય. ખરી સમસ્યા ત્યારે સર્જાય છે, જ્યારે નકામી વાત યાદ રહી જાય અને કામની વાત ભૂલી જવાય. વિસ્મૃતિનું વરદાન અભિશાપ ન બની જાય એ માટેનો હાથવગો રસ્તો છે યાદી બનાવવી તે. યાદી બનાવવી એ આપણા ભૂલક્કડપણા સામે લડવા માટેનો અક્સીર ઈલાજ છે. પરિણામે આપણે જોઈતી વસ્તુઓ, જરૂરી કામકાજ કે યોજનાની યાદી બનાવતા થઈ ગયા. યાદી બનાવી હોય તો વાત નજર સમક્ષ રહે.

કવયિત્રીએ પણ અત્રે આવી જ એક યાદી ઘડી છે. કવિતાના પહેલો ભાગ તો વાક્યોથી બન્યો છે, પણ બીજા ભાગમાં વિશુદ્ધ યાદી છે. પણ આ યાદી એક કવિની, એક સર્જકની યાદી છે, કોઈ સામાન્યજનની નથી, એટલે એ સામાન્યજનથી નોખા ચોતરે ન બેસે તો જ નવાઈ. અને આ અલગાવની આલબેલ તો શીર્ષકમાં જ સ્થાપિત થઈ જાય છે. યાદીમાં લીંબુ, ફૂદીના બદામ જેવી ખાદ્યસામગ્રીઓ જ ખડકાઈ હોવા છતાં એ કોઈપણ ગૃહિણીની યાદી કરતાં જુદી છે, કારણ કે એ કૃતજ્ઞતાની યાદી છે. કવિએ પોતે જે જે વ્યક્તિઓ કે વસ્તુઓ તરફ કૃતજ્ઞતા અનુભવે છે એની એક યાદી તૈયાર કરી છે, અને આ શુષ્ક યાદી કઈ રીતે કાવ્યત્વને વરે છે એ જ આપણે જોવાનું છે.

કૃતજ્ઞતાની આ યાદીની શરૂઆત પણ ‘આભાર’થી જ થાય છે. શીર્ષકમાં પ્રયોજાયેલ અંગ્રેજી ‘ગ્રેટિટ્યુડ’ શબ્દ મૂળે લેટિન શબ્દ ‘ગ્રેટસ’ પરથી ક્રમશઃ ઉતરી આવ્યો છે, જેનો અર્થ પણ ‘આભારી’ જ થાય છે. પ્રથમ પંક્તિ સાવ ટૂંકા વાક્યની બની હોવાથી વાંચવી કે સાંભળવી શરૂ કરીએ ત્યાં તો પૂર્ણવિરામ સુધી પહોંચી જવાય. કવિ કહે છે કે ‘આભાર તમારો મારું અપમાન કરવા બદલ.’

લો! આ વળી શું! અપમાન કરવા બદલ આભાર? પહેલી પંક્તિ જ આપણને વશીભૂત કરી દે છે. પ્રથમ પંક્તિ જ એવી ચોટુકડી છે કે હવે આખી કવિતા વાંચ્યા વિના છૂટકો જ નથી. સામી વ્યક્તિ જે કોઈ પણ હોય, એણે કથકનું અપમાન કર્યું છે અને બદલામાં કથક મનુષ્યસહજ કૃતઘ્નતા દાખવવાના બદલે કૃતજ્ઞતા દાખવે છે. આ અપ્રત્યાશિત દૃષ્ટિકોણના પરિણામે કાવ્યારંભે જ એક રહસ્ય સર્જાય છે. પણ અન્ય કાવ્યોથી વિપરીત કવિ રહસ્યની આ દાબડીને કાવ્યાંત સુધી છૂપાવી કે બળજબરીપૂર્વક બંધ રાખવાની ચેષ્ટા કરવાના બદલે બીજી જ પંક્તિમાં ખોલી પણ દે છે. જે રીતે પ્રથમ વાક્ય શરૂ થતાવેંત અંત સુધી સડેડાટ પહોંચી જાય છે, કંઈક એવી જ રીતે આ રહસ્ય પણ રસાય એ પહેલાં જ એનો સ્ફુટ થઈ જાય છે. આભાર. શા માટે? તો કે, આપે મને મારી યોગ્યતા જોવામાં મદદ કરી છે.

કવિતા શરૂ થઈ અને તરત જ જાણે કે પૂરી પણ થઈ ગઈ. હવે? હવે આગળ કંઈ બચે ખરું? સામાન્યતઃ તો કવિતા કહે એથી વધુ મૌન રહે. બતાવે એથી વધારે ગોપવે. પણ આ રચનામાં કવિએ ઉલટક્રમ અખ્તિયાર કરી મૌનના સાદૃશ્યે મુખરતા પસંદ કરી છે. રહસ્યસર્જન અને રહસ્યોધાટનની આ ગતિ જો કે કવિતાને વધુ રોચક બનાવે છે, પરિણામે સપાટાભેર ઉદ્ઘૃત થયેલ કાવ્યરસ સૂકાઈ જવાના બદલે સંકોરાઈને વધુ ઘટ્ટ બન્યો જણાય છે. જે માણસે કાવ્યનાયકનું અપમાન કર્યું છે એણે હકીકતે તો એના પર ઉપકાર જ કર્યો છે. આ અપમાનની મિષે જ નાયક પોતાની યોગ્યતાનું ખરું પારખું કરી શક્યો છે. આ અપમાન ન થયું હોત તો કદાચ નાયકને સ્વયં સામે જોવાની તક જ ન સાંપડી હોત યા ઇચ્છા જ ન થઈ હોત. આપણામાંથી મોટાભાગનાની આ જ કહાની છે. અરીસો આપણા માટે વસ્તુતઃ બાહ્યાડંબર પુષ્ટિકરણનું માધ્યમ છે. જ્યારે અને જેટલીવાર આપણે આયનામાં જોઈએ છીએ, આપણી નજર છબી સુધી જ સીમિત રહે છે. અરીસામાં જે નજર આવે છે, એને આપણે ખરેખર જોતાં જ નથી. પણ અપમાનનો તમાચો આપણી સ્નોરકેલર દૃષ્ટિને સ્કુબા ડાઇવર બનાવી દે છે. પરિણામે આપણે સપાટી ભેદીને ભીતરના ભેદ તાગી શકીએ છીએ. તો આના માટે તો અપમાન કરનારનો આભાર જ માનવાનો રહે ને!

બાઇબલ યાદ આવે. કોઈ તમારા ગાલ પર એક તમાચો મારે, તો એને બીજો ગાલ ધરજો. કોઈ તમારો કોટ લઈ જાય, તો એને શર્ટ પણ આપજો. ગાંધીજીએ આ ઉપદેશને જીવનસંદેશ બનાવ્યો હતો. આપણા માટે આમ કરવું બહુ મુશ્કેલ છે, પણ પ્રસ્તુત રચનામાં કવયિત્રી પણ બાઇબલના આ સર્મનને અનુસરતા દેખાય છે. જે લોકોએ કથકની માનવતાને નજરઅંદાજ કરી છે એ લોકોના કારણે જ કથકને શક્તિ સાંપડી છે. કોઈએ પાડ્યા જ ન હોય, તો ઊભા થતા કેમ શીખાય? અવહેલનાથી મોટું કોઈ હથિયાર નથી. ગાંધીજીએ કદાચ આજન્મ દક્ષિણ આફ્રિકામાં રહી વકાલત જ કરી હોત, જો ટ્રેનમાં એમની અવહેલના કરી માલસામાન સમેત એમને ડબ્બાની બહાર ફેંકી દેવાયા ન હોત. અવહેલનાની એ ક્ષણે એક માનવમાં મહામાનવનો જન્મ થયો હતો. મેઘલી અંધારી રાતે રમણે ચડેલી નદી ઓળંગીને પ્રિયાને મળવા ગયેલ તુલસીદાસનું એમની પત્નીએ અપમાન ન કર્યું હોત તો આપણને કદી સંતકવિ તુલસીદાસ સાંપડ્યા ન હોત. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ એમના શિક્ષકે કહ્યું હતું કે એ જીવનમાં કશું જ કરી શકશે નહીં. એમને શાળામાંથી કાઢી પણ મૂકવામાં આવ્યા હતા. તમારી પાસે કલ્પનાશક્તિની ઉણપ છે અને નવા વિચારો નથી એમ કહીને વૉલ્ટ ડિઝનીને અખબારની નોકરીમાંથી પાણીચું અપાયું હતું. તમારો અવાજ બરાબર નથી અને રેડિયો ઉદઘોષક બનવાને તમે લાયક નથી એમ કહી જે વ્યક્તિને બહાર જવાનો દરવાજો દેખાડાયો હતો, એ વ્યક્તિને આજે આપણે અમિતાભ બચ્ચન તરીકે ઓળખીએ છીએ. થોમસ આલ્વા એડિસન, માઇકલ જોર્ડન અને ઓપ્રાહ વિનફ્રે જેવા આવા તો સેંકડો દાખલા આપણી પાસે ઉપલબ્ધ છે.

આ જ વાત અલગ સંદર્ભો સાથે ત્રેવડાવીને કવિ પોતાને જે કહેવું છે એને યથોચિત રીતે અધોરેખિત પણ કરે છે. અલગ-અલગ રીતે કરાતી પુનરોક્તિ ઘણીવાર કાવ્યપ્રાણ બની રહેતી હોય છે. અહીં પણ આ ત્રિરુક્તિ કવિતાના સારને દૃઢીભૂત કરવામાં નિઃશંકપણે મદદગાર નીવડી છે. બાકીની દુનિયા, ધર્મના ઝંડા લઈને ફરતા સદાચારીઓ કે સજ્જ સૈનિકો વગેરે પણ તમારા અસ્તિત્ત્વની નોંધ ન લે અને તમને ભૂલી જાય તો એય વિશ્વની સૌથી ખરાબ બાબત તો નથી જ, કારણ કે કોઈ તમારી નોંધ ન લેતું હોય, કોઈનું રડાર તમારા પર મંડાયેલું ન હોય એ સમયે તમે મોકળા મને સ્વયંની શોધ કરી શકો છો. અંગ્રેજીમાં આને ‘અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ’ (છૂપા આશીર્વાદ) કહે છે. ટૂંકમાં કોઈનાય મંતવ્યોની પરવાહ કર્યા વિના જીવવું અને સ્વયંને કેવળ સ્વયંના જ ત્રાજવે તોળવાની વાત અહીં કરવામાં આવી છે. કોઈનીય કોઈ પણ વાતનું માઠું ન લગાડતાં તમારા તરફ ફેંકવામાં આવેલ દરેક પથ્થરને સ્ટેપિંગ સ્ટોન (ઉન્નતિ માટેનું સોપાન) બનાવતા આપણે સહુએ શીખવાનું છે.

ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

અહીં સુધીની રચના સાહજિક અને સ્વભાવિક લાગે છે પણ કવિતાનો બીજો ભાગ આશ્ચર્યકારક છે. કવિએ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે જે યાદી રજૂ કરી છે એ ચોંકાવી દે એવી છે- લીંબુ, ફૂદીનો, બદામ, પિસ્તા અને ચીઝ. આવી કેવી યાદી? આવી કેવી વાક્યરચના? આવી કેવી કવિતા? કવિતાના આ બીજા ભાગમાં ઘણાને અ-કવિતા નજર આવે એ બનવાજોગ છે. ઘણાને એમાં કશું વિશિષ્ટ ન દેખાય તથા સહજતા ઓછી અને કૃતકતા વધુ અનુભવાય એ શક્ય છે. પણ છ મહિના પહેલાં આ કવિતા વાંચીને એનો અનુવાદ કરી એને કોરાણે મૂકી દીધા બાદ દર થોડા દિવસોએ એણે મને ફરી પોતાની પાસે બોલાવ્યો છે. આખરે છ-છ મહિનાના પ્રતિકાર બાદ આ રચનાએ મારી પાસે હથિયાર હેઠાં મૂકાવ્યાં અને એનું વિવરણ કરવા માટે મને મજબૂર કરી દીધો. મને આમાં આ રચનાની તાકાત અનુભવાઈ. વિચિત્ર કે અસંબદ્ધ લાગવા છતાં એનો ત્યાગ કે અસ્વીકાર કરી ન શકાયો એ કારણે આ રચના મને ગમી ગઈ છે.

પ્રથમ ભાગમાં બાઇબલ જેવી ઉચ્ચસ્તરીય વાત કર્યા બાદ બીજા ભાગમાં અચાનક સામાન્ય ઘરરખ્ખુ સ્ત્રીની કક્ષાએ કવિતા ઉતરી આવે એમાં જે અભૂતપૂર્વ અને તીવ્ર વિરોધાભાસ છે, એ જ આ કવિતાને વધુ રોચક અને મનનીય બનાવે છે. ઉચ્ચતમ શિખામણને સાવ ક્ષુલ્લક યાદીની અડખેપડખે ગોઠવી દઈને નેઓમીએ વાતને કેવી ધારદાર બનાવી છે! ખાદ્યપદાર્થોની આ ભૌતિક યાદીને પ્રતીક ગણીને એનું અર્થઘટન કરી શકાય પણ એવું કરવાની આવશ્યકતા જણાતી નથી. બદામ શેનું પ્રતીક છે અને પિસ્તા શેનું એ પિષ્ટપેષણ કવિતાને વિશેષ ઉપકારક થાય એમ નથી. મૂળ વાત એ છે કે જેનું જીવન તુચ્છતમ ચીજવસ્તુઓ સાથે સંકળાઈ રહેલ છે, એવી સાવ સામાન્ય સ્ત્રી પણ અપમાન કે અવહેલનાના ઉદ્દીપકથી જીવનની મહાનતમ રાસાયણિક પ્રક્રિયા સિદ્ધ કરી શકે છે. પ્રતિકૂળતાની પરિવર્તનકારી શક્તિ અને એ વડે આત્માન્વેષણની યાત્રા આભારસૂચિના કારણે બખૂબી ઉપસી શકી છે. બીજા ભાગનું અપદ્ય પ્રથમ ભાગના કાવ્યત્વને વધુ તીવ્ર બનાવે છે.

ઝેન વિચારધારાનું પણ આ તબક્કે સ્મરણ થઈ શકે. ઝેન દર્શનમાં રોજમરોજના સાંસારિક કાર્યોને ધ્યાન અને ચેતના વિકસિત કરવા માટે આવશ્યક માનવામાં આવે છે. સાફસફાઈ, રસોઈ, કપડાં ધોવાં વગેરે ઘરેલૂ કામકાજ ધ્યાનાભ્યાસનું માધ્યમ છે. આવાં કામ વર્તમાન ક્ષણ પરત્વે જાગરુકતા વિકસિત કરવામાં તથા વિકર્ષણોથી સ્વયંને બચાવવામાં સહાયભૂત થાય છે. સાંસારિક ગતિવિધિઓ સહેતુક, સાયાસ અને એકાગ્રતા સાથે કરવામાં આવે તો એ એક પ્રકારની પૂજા બની રહે છે. આવાં રોજિંદા કાર્યો પવિત્ર અને અપવિત્ર વચ્ચેનું અંતર દૂર કરવામાં અને સાધારણને અસાધારણ બનાવવામાં ઉત્પ્રેરક બની રહે છે. અન્ય ધર્મોથી વિપરીત ઝેન ફિલસૂફી દુનિયાથી ભાગીને નહીં, પણ નિત્યજીવનમાં લીન થઈને જ્ઞાનપ્રાપ્તિનો બોધ આપે છે. નેઓમીની આભારસૂચિમાંથી પણ આવા જ સૂચિતાર્થો પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *