Category Archives: કવિઓ

દૂધને માટે રોતા બાળક – શૂન્ય પાલનપુરી

‘શૂન્ય પાલનપુરી’ ને એમની પૂણ્યતિથિ નિમિત્તે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી…!

સ્વર સંગીત – મનહર ઉધાસ
આલ્બમ: અરમાન

(દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો….Photo : Operation Shanti)

.

દૂધ ને માટે રોતા બાળક, રો તારા તકદીરને રો
એ ઘરમાં તુ જનમ્યું શાને, જે ઘરમાં ઉપવાસ ફરજ છે,
દર્દ વ્યથા પરીતાપ ફરજ છે, ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે .. દૂધને માટે રોતાં બાળક

ત્યાં જન્મત તો પુષ્પ હિંડોળે નર્મ શયનનાં સાધન હોત
મોટર મળતે, ગાડી મળતે, નર્સનાં લાલન-પાલન હોત
સોના-રૂપાના ચમચાથી દૂધની ધારા વહેતી હોત
તું રડતે તો પ્રેમની નદીઓ તોડી કિનારા વહેતી હોત
પણ તારા દુર્ભાગ્ય હશે કે જન્મ લીધો તેં આ ઘરમાં
ફેર નથી જે ઘરમાં ઇન્સાન અને જડ પથ્થરમાં … દૂધને માટે રોતાં બાળક

હાડ ને ચામનાં ખોખામાં તું દૂધનાં વલખાં મારે છે
મહેનત નિષ્ફળ જાતી જોઇ રોઇને અશ્રુ પાડે છે
આ ઘરની એ રીત પુરાણી આદીથી નિર્માઇ છે
મહેનત નિષ્ફળ જાયે છે, નિષ્ફળ જાવાને સર્જાઇ છે
વ્યર્થ રડીને ખાલી તારો અશ્રુ ભંડાર ન કર
મોંઘામૂલા એ મોતીનો ગેરઉપયોગ લગાર ન કર … દૂધને માટે રોતાં બાળક

તન તોડીને જાત ઘસીને પેટ અવર ભરવાનાં છે
શ્રમ પરસેવે લોહી નિતારી મહેલ ઊભાં કરવાનાં છે
એના બદલે મળશે ખાવા ગમ ને પીવા આંસુડા
લાગશે એવાં કપરાં કાળે અમૃત સરખા આંસુડા … દૂધને માટે રોતાં બાળક

ભુખ્યા પેટ ને નગ્ન શરીરો એ તો છે દસ્તુર અહીં
ચેન અને આરામ રહે છે સ્વપ્ન મહીં પણ દૂર અહીં
આ ઘરમાં તો એવી અગણીત વાતો મળવાની
ભુખના દા’ડા મળવાના ને પ્યાસની રાતો મળવાની
આ ઘરમાં ઉપવાસ ફરજ છે, દર્દ વ્યથા પરીતાપ ફરજ છે,
ગમ અશ્રુ નિશ્વાસ ફરજ છે, આ ઘરમાં તું જનમ્યું શાને… દૂધને માટે રોતાં

– શૂન્ય પાલનપુરી

શબ્દો માટે આભાર – મીતિક્ષા.કોમ

Happy Birthday to વિવેક મનહર ટેલર & વિવેક કાણે ‘સહજ’

આજે ૧૬મી માર્ચ… વ્હાલા કવિ મિત્ર ડૉ. વિવેક મનહર ટેલર, અને સાથે એમના જ ‘હમનામ’ કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ નો પણ જન્મદિવસ. તો આજે બંને કવિઓની ગઝલો સાંભળીએ એમના પોતાના અવાજમાં.. અને હા, આમ તો જન્મદિવસે ભેટ આપવાનો રિવાજ હોય છે – પણ આજે એ બંને કવિમિત્રો પાસેથી હું એક ભેટ તમારા માટે લઇ આવી છું.

ડૉ. વિવેક મનહર ટેલર                                 શ્રી વિવેક કાણે ‘સહજ’

વિવેક ટેલરની ગઝલનો આસ્વાદ વિવેક કાણે ‘સહજ’ ના શબ્દોમાં…. અને વિવેક કાણે ‘સહજ’ની ગઝલનો આસ્વાદ વિવેક ટેલરના શબ્દોમાં..!!

આશા છે એમના તરફથી આજના આ દિવસ માટે ખાસ મેળવેલા આસ્વાદ માણવાની આપને મઝા આવશે.

અને એમને Happy Birthday કહેવાનું ભૂલી ન જશો..!!

આ રહ્યું મારા અને અમિતના તરફથી…Happy Birthday……!!! 🙂

ગઝલ પઠન : વિવેક મનહર ટેલર

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,
મને કંઈક મારામાં જડતું રહે છે.

છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,
રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે, રાતે ઊખડતું રહે છે.

આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
કબૂતર હજી પણ ફફડતું રહે છે.

-વિવેક મનહર ટેલર

(જરઠ=વૃદ્ધ)

(માણેકશાહ બાવાની ચટાઈ: અમદાવાદનો (કે મહેમદાબાદનો) સુલતાન શહેર ફરતે કોટ બાંધી રહ્યો હતો ત્યારે ત્યાં પડી રહેતો ફકીર ઓલિયો માણેકશાહ બાવો ચટાઈ વણતો રહેતો. દિવસ દરમિયાન એ ચટાઈ વણતો રહેતો અને કોટ બંધાવા આવતો પણ સાંજ પડતા એ ચટાઈ ખોલી નાંખતો અને કોટ તૂટી પડતો દિવસો સુધી આમ ચાલ્યું પછી જ્યારે રાજાને ફકીરનું મહત્વ સમજાયું અને એના આશીર્વાદ લેવા ગયો ત્યારે માણેક બાવાએ ચટાઈ ઊકેલવાનું બંધ કર્યું અને કોટ બંધાયો)

– વિવેક મનહર ટેલર

આસ્વાદક : વિવેક કાણે ‘સહજ’

જગત જ્યારે જ્યારે કનડતું રહે છે
મને કંઇક મારામાં જડતું રહે છે

કનડગત કોને નથી ? કોઈને આની, તો કોઈને તેની, અકળાવી મૂકનારી, બેચૈન કરી નાખનારી. આ બેચૈની, આ પીડા, આ વલોપાત, આ મંથનમાંથી કંઇક નિપજે છે, કંઇક મળી આવે છે. એ કદી વિષ હોય તો ક્યારેક અમૃત. કદી કાળો કડદો તો કદી ધવલ નવનીત. શું મળી આવ્યું એ તો પ્રકાશમાં દેખાય – દ્રષ્ટિના પ્રકાશમાં. નીર-ક્ષીર વિવેક જોઈએ. ડૉ વિવેક ટેલર પાસે આવો વિવેક હોવાના પુરાવા, એમના સર્જનમાંથી મળી આવે છે, શોધવા પડતા નથી.

છે દિલ પર અસર શેના આકર્ષણોની
નથી ઢાળ તો પણ ગબડતું રહે છે

આકર્ષણો અનેક પ્રકારનાં હોય છે. એમાંનું એક એ ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણથી ગબડવા માટે ઢાળ જોઈએ. ઢાળ હોય તો પથરો ગબડે. હૃદયને તો ન ગુરુત્વાકર્ષણની જરૂર, કે ન ઢાળની. એ તો બસ ગબડે, આકર્ષણ કોઈ પણ ચાલે. કવિએ એ આકર્ષણોનાં નામ નથી પાડ્યાં. નામ પાડ્યા વિના વાત પહોંચાડી દેવી એ જ ડૉ વિવેકના કવિકર્મનું જમા પાસું, અને ભાવકની સજ્જતાને પડકાર. સુજ્ઞ ભાવકની સજ્જતા પર કવિને પૂરો વિશ્વાસ છે.

પડે જેમ ખુશ્બુનાં પગલાં હવામાં
કોઈ એમ મારામાં પડતું રહે છે

‘પડવું’ એ આમ તો માત્ર એક ક્રિયા – સાવ સામાન્ય, ભૌતિક. પણ એ ક્રિયાપદ ગુજરાતી ભાષામાં કંઈ કેટકેટલા સંદર્ભે વપરાય છે ! હાથમાંથી કલમ ‘પડે’, અને નીતિમત્તાનું ધોરણ પણ ‘પડે’. ‘રેતી ઉપર પગલાંનું પડવું’ એ એક અને ‘મન ઉપર કોઈ છાપનું પડવું’ એ એનાથી જુદું. પડવા પડવા માં ફેર છે અને આ છે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ. આ બધું તો ઠીક, પણ ખુશ્બુનાં પગલાં ? અને એ પણ હવા પર ? શબ્દોનાં કોશગત અર્થો અને ભાષાગત સંદર્ભોને અતિક્રમીને એમને આ રીતે પ્રયોજવા એ ડૉ વિવેકનું ભાષાકર્મ.

ખુશ્બુનાં હવા પરનાં પગલાં, એ એની ગતિનો ચિતાર છે. પહેલા મિસરાનું ખુશ્બુનું ગતિમાન, બીજા મિસરામાં કોઈના પડવાને ગતિ આપે છે. કોઈ મારામાં પડે છે, છાપ મૂકે છે અને આગળ વધી જાય છે, રોકાઈ પડતું નથી – કેવી ચિત્તાકર્ષક image છે !

રહી દૂર કોઈ, રહે ઠેઠ ભીતર
રહી પાસે કોઈ અછડતું રહે છે

‘નિકટ’ કે ‘દૂર’ નો, સંબંધની ઉત્કટતા સાથે કેટલો સંબંધ ? ભૌતિક રીતે પાસે હોય એ આપણને જરાય સ્પર્શે જ નહીં અને ભૌતિક અંતર હોવા છતાંય સાચો સંબંધ વધુ ઘનીભૂત થતો જાય એમ પણ બને. આ શેરમાં ‘અછડતું’ નો કાફિયા ખાસ ધ્યાન ખેંચે છે. બાકીની આખી ગઝલમાં બધાં જ કાફિયા ક્રિયાપદોનાં છે, જ્યારે અહીં એ monotony તૂટે છે. બધાં જ કાફિયા ક્રિયાપદોનાં ન રાખવાં એ એક પડકાર છે, જે આપણા કવિ એ સાચવીને ઝીલી લીધો છે.

આ મન છે કે માણેકશાની ચટાઈ ?
બને દહાડે રાતે ઉખડતું રહે છે

‘બનના ઔર બિગડના’ એ પ્રયોગ આમ તો હિન્દી / ઉર્દુ માં થાય છે. મનનું બનવું અને ઉખડવું (એ ય પાછું ઉખડવું, બગડવું નહીં), એવો પ્રયોગ ગુજરાતી માં આગંતુક લાગે. વળી, ચટાઈના બનવા અને ઉખડવા સિવાય પણ મનના ‘દિવસે’ બનવા અને ‘રાતે’ ઉખડવાનો કોઈ સ્વતંત્ર સંદર્ભ હોય તો શેર હૃદ્ય બને. એકંદરે, આખી ગઝલમાં આ એક શેર થોડો કૃત્રિમ જણાય છે. પણ માણેકશા બાવાની લોકવાયકા અને મનને એની ચટાઈની અપાયેલી ઉપમા આસ્વાદ્ય ખરી.

આ વાતાનુકુલિત મકાનો ની પાછળ
જરઠ ઝાડ કંઈ કંઈ બબડતું રહે છે

છેલ્લાં કેટલાંક વર્ષોમાં, પર્યાવરણ અને ખાસ કરીને Global Warming વિષેની ચિંતા પ્રસરી રહી છે. પણ આપણામાંનાં ઘણાં હજી પણ એ તરફ આંખ આડા કાન કરીને, પોતપોતાના આરામદાયક નિવાસમાં નિષ્ક્રિય બેઠાં છે. મકાનની પાછળ ઊભેલા જરઠ ઝાડને આની જાણ છે, પણ એ બિચારું બબડવા સિવાય શું કરી શકે ? એનો એ બબડાટ કોઈ કાને ધરશે ? નાનાં તો નાનાં પણ કોઈ નક્કર પગલાં ભરશે ?

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક
કબૂતર હજી પણ ફફડતું રહે છે

પોતાના બેજવાબદાર વર્તનથી માનવી પોતાની અને સમગ્ર જીવસૃષ્ટિની નિયતી પોતે જ પોતાની હસ્તરેખાઓમાં અંકિત કરી રહ્યો છે. કબૂતર ફફડે છે કારણ કે પેલા જરઠ વૃક્ષની માફક એને પણ નિયતીની જાણ છે. કબૂતર ફફડતું રહેશે – ક્યાં સુધી કોને ખબર !

જોયું ! કયા વિષયથી શરૂ કરીને આપણે ક્યાં આવી ગયા. પણ વાંધો નહીં, ગઝલનું સ્વરૂપ જ એવું છે. એનો પ્રત્યેક શેર એક સ્વતંત્ર કવિતા હોવાથી એક જ ગઝલનાં વિભિન્ન શેર નાનાવિધ ભાવ, વિચાર, વિષય કે આશય ને નિરૂપે એ સ્વીકાર્ય છે. હા, એટલું ખરું કે આ બધું જ, ડૉ વિવેક ટેલરને થતી કનડગતથી આરંભાયેલી આત્મશોધ અને મંથનને પરિણામે પ્રાપ્ત થયેલું નવનીત છે.

આવો, આજે આ જ નવનીતથી એમના (અને મારા પણ) જન્મદિવસની કેક ઉપર icing કરીએ.

‘Happy Birthday to both of us and may we celebrate many more of them, together like this one.’

==================================================


ધીરે ધીરે ઊઘડતી અનુભૂતિની ગઝલ

આસ્વાદ: વિવેક મનહર ટેલર

સ્વર : વિવેક કાણે ‘સહજ’

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવા ગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે

નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે
– વિવેક કાણે ‘સહજ’

ગઝલ આજે કવિતાનો પ્રતિષ્ઠિત મોભો પામી ચૂકી છે ત્યારે જેમ ક્યારેક સૉનેટનો તેમ આજે ગઝલનો પણ અતિરેક થઈ રહ્યો છે. છંદ-રદીફ-કાફિયાની તુકબંધી જાણનાર દરેક ગઝલ કહેતા થઈ ગયા હોય એવા વખતે પોતાનો અલગ અવાજ જાળવી રાખવું ઘણું દોહ્યલું બની રહે છે. આવામાં કવિ શ્રી વિવેક કાણે ‘સહજ’ પોતાના અસલ પાઠને ભલે ધીરે ધીરે પણ સાંગોપાંગ સાચવી શક્યા છે એ ગુજરાતી ગઝલનું સદનસીબ. ગઝલમાં છંદ અને રદીફની પસંદગી કવિના મિજાજનું પોત ખોલી આપે છે. ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા) જેવો ગુજરાતી ગઝલની દુનિયામાં પ્રમાણમાં ઓછો ખેડાયેલો છંદ વાપરી કવિ પોતાની શક્તિનું પ્રથમ પ્રમાણ આપે છે. આ છંદની પ્રવાહીતાના કારણે ગઝલ ન માત્ર વાચનક્ષમ, ગાયનક્ષમ પણ બની છે.

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે

ગઝલની શરૂઆત દ્વિરુક્તિ પામતા શબ્દથી થાય છે એ નોંધપાત્ર છે કેમકે ગઝલની રદીફ પણ એજ રીતે પ્રયોજાયેલી છે. અને જેમ જેમથી શરૂ થતો ઉલા મિસરો ધીરે ધીરેમાં વિરમે છે ત્યારે સાંજના રાતમાં નિઃશબ્દ સરી પડવાની ઘટના દૃશ્યક્ષમ બની રહે છે. અંધારું દૃશ્યોને ભૂંસી નાંખે છે. બે વસ્તુઓ વચ્ચેના તફાવતને ઓગાળી દઈ અંધારું નાના-મોટા તમામને કાળા રંગની એક જ પીંછીથી રંગી દે છે. અંધારાની કાલિમા પાસે કોઈ ઊંચું નથી ને કોઈ નીચું નથી. આંખ જ્યારે કશું જોઈ શકતી નથી ત્યારે જ બધું સમાન સ્તર પર દૃષ્ટિગોચર થાય છે. નાનાવિધ રંગસભર સાંજ જ્યારે કાળી નિબિડ રાત્રિમાં બિલ્લીપગલે પરિવર્તિત થાય છે ત્યારે કવિ એના અસલ પાઠમાં આવે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિને તમે એક જ સમ્યક્ ભાવથી નિરખો છો ત્યારે એ કાળા રંગમાંથી જ ખરો સૂર્યોદય થાય છે. કેવી સહજતાથી અને કેવી વેધકતાથી કવિ પોતાનો આત્મ પરિચય ગઝલના પહેલા જ શેરમાં આપે છે!

મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

પ્રણય અને ઝંખનાની ચરમસીમાની પરિભાષા બધાની અલગ અલગ હોઈ શકે.

પ્રણયોર્મિની ચરમસીમાએ મરીઝને એની મા યાદ આવે છે:

મુહબ્બતના દુઃખની આ હદ આખરી છે.
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

જવાહર બક્ષી મસ્તીની ચરમસીમાએ વિરક્તિનો અનુભવ કરે છે:

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ.
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.

તો હરીશ ધોબી તલસાટની પરાકાષ્ઠાએ અલગ જ અભિવ્યક્તિ પામે છે:

તારા વિરહની કેવી ચરમ સીમા એ હશે –
જ્યાં હું મિલનને માર્ગ જવું ટાળતો રહ્યો!

અહીં આ ગઝલમાં કવિ પણ તલસાટના અંતિમ તબક્કાને પોતાની રીતે અનુભવે છે. તીવ્રતાની અનુભૂતિ એક જ છે પણ અભિવ્યક્તિ નોખી છે. અહીં વાત પ્રેયસીની પણ હોઈ શકે અને ઈશ્વરની પણ. પરંતુ સંદર્ભ અહીં ગૌણ છે. અહીં તો કવિનો તલસાટ દીર્ઘત્તમ થયો છે. અને તલસાટ જ્યારે હદપારનો થાય છે ત્યારે સ્વ ઓગળીને સ્વજન બની જાય છે. પ્રણયનો આ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે. પ્રિય પાત્રને ધીરે ધીરે પોતામાં આત્મસાત્ થયેલ અનુભવવું એનાથી વિશેષ શું હોઈ શકે તલસાટની પરિભાષા?

થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો,
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

સમયનું કામ ભૂંસવાનું છે. સમય જો એનું કામ ચૂકી જાય તો કદાચ જીવવું જ દોહ્યલું બની જાય. સ્મરણોનો ભંગાર સમય-સમય પર સાફ થતો ન રહે તો કદાચ ગાંડા થઈ જવાય. રેતીમાં પડેલી છાપ જેમ પવન ધીરે ધીરે ભૂંસી દે છે એમ પસાર થતો કાળ પણ જૂની યાદોને સતત ભૂંસતો રહે છે અને એમ આપણું જીવવું હળવુંફૂલ બનતું રહે છે. પણ કેટલીક સ્મૃતિ, કેટલાક ચહેરા, કેટલાક સંબંધ જેમ-જેમ ભૂંસાતા જાય છે એમ એમ વધુ ને વધુ બળવત્તર રીતે સ્મૃતિપટ પર અંકાતા જાય છે. સમય, સંજોગ, સમાજ કે સમજફેરના લીધે કેટલાક ચહેરા કમનસીબે રસ્તા પરના માઈલસ્ટૉન પેઠે પાછળ છૂટી જાય છે, સફર કે મંઝિલનો ભાગ બની શક્તા નથી. આપણે પણ નદીની જેમ કદાચ આગળ વહી નીકળીએ છીએ પણ વરસોના વીતતા જતા વહાણાંની સાથે જ્યારે એ ચહેરો ધીરે ધીરે વધુને વધુ સાફ નજર આવવા માંડે છે ત્યારે કદાચ આપણને આપણા જીવનમાં એનું સાચું સ્થાન સમજાય છે… બની શકે કે ત્યારે આપણે પાછાં ફરી શક્વાની સ્થિતિમાં ન પણ હોઈએ!

શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવાગંતુકની
ખૂલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે

– આ શેર વાંચતા જ ઉર્દૂનો એક શેર યાદ આવે છે:

ખત કા મજમૂન ભાઁપ લેતે હૈં લિફાફા દેખકર,
આદમી કો પહચાન લેતે હૈં સૂરત દેખકર.

પણ ઉર્દૂના આ કવિ કરતાં વિવેક કાણે વધુ વાસ્તવવાદી છે. સામે આવનાર નવાગંતુક (કવિ કેવો મજાનો શબ્દ ‘કોઈન’ કરે છે!) ખરેખર કોણ છે અને કેવો છે એ કંઈ પહેલી નજરે કે પહેલી મુલાકાતમાં થોડું જ જાણી શકાય? માણસનું ખરું વ્યક્તિત્વ, એની સાચી ઓળખાણ તો એ જેમ જેમ આગળ વધે એમ ધીરે ધીરે જ જાણી શકાય ને? આ શેરમાં રદીફનો કેવો સચોટ ઉપયોગ થયો છે!

નામ લેશે નહીં મારું કે તમારું ને ‘સહજ’
એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે

ગઝલ જે રંગમાં ધીરે ધીરે આગળ વધે છે એ જ રંગને મક્તાનો શેર ઓર ઘેરો બનાવે છે. મક્તાનો શેર એટલો બધો સરળ થયો છે કે એના વિશે કશું પિષ્ટપેષણ કરવા બેસીએ તો એમાં રહેલી કવિતાને કદાચ અન્યાય કરી બેસાય. પણ આ શેર જેટલો સરળ છે એટલો જ ઉમદા પણ છે. સરળ શેર સામાન્યતઃ અર્થની સપાટી પર ફસકી પડતા હોય છે જ્યારે અહીં કવિ આ સહલે મુમતેના (દુઃસાધ્ય સરળ) શેરમાં વાણી, વિચાર અને અભિવ્યક્તિની સરળતા હોવા છતાં અર્થગહનતા અને અર્થગાંભીર્યતા જાળવી શક્યા છે એ એમની ‘સહજ’ સિદ્ધિ છે!

સરવાળે આ આખી ગઝલ ભાવજગતને અનવરુદ્ધપણે પણ ધીરેધીરે સંવેદવામાં સફળ નીવડે છે. કવિની છંદની પસંદગી અને એનો નિભાવ, કાફિયાની સહજતા અને નોંધપાત્રરીતે રદીફનો ઉત્તમ નિર્વાહ કાબિલે દાદ છે.

– વિવેક મનહર ટેલર

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. – સુરેશ દલાલ

આજે ફાગણનો છેલ્લો દિવસ… કાલથી તો ચૈત્રના વાયરા વાશે.. અને હા, કાલથી ચૈત્ર નવરાત્રી પણ શરૂ..!!

ફાગણ-હોળીના રંગોમાં રંગાયેલું આ મધુરુ ગીત, આજે ફરી એકવાર – પણ એક નવા સ્વર સાથે સાંભળીએ..! અને ફાગણને અલવિદા…(આવતા ૧૧ મહિના સુધી..!) અને હા, કાલથી તો આ ટહુકોનું બેનર પણ બદલવું પડશે..!!

સ્વર – માલિની પંડિત નાયક
સંગીત – ક્ષેમુ દિવેટીઆ

.

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મારુ તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ

રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

મીઠેરી મુરલીના સુર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ

રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

—————————-

આભાર : એ મિત્રનો, જેમણે આ સૂર-સંગીતના રંગો અહીં ટહુકો પર રેલાવવામાં મદદ કરી.. પોતાને ગમતા ગીતોનો ગુલાલ કરીને…

વારતા – પ્રાણજીવન મહેતા

(દાદાજી અને પૌત્રની વાતચીતો….)

હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો; દાદાજી,
આંધળાં રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી.

ભૂતિયા મહેલમાં કુંવરની આસપાસ, અજવાળું બાંધતું જાળાં; દાદાજી,
કુંવરીને જોઈ એ પોતાને પૂછતો, પડછાયા કેમ કાળા ? દાદાજી,
પ્રશ્રો પહેરીને કેમ આગળ જવાશો, કુંવરને સમજાવો; દાદાજી.

ભાંગેલું વહાળ તેમાં ભરાતી રેતી, કેટલે દૂર છે જાવાનું ? દાદાજી,
ટચૂકડો દરિયો ને હલેતાં તૂટ્-ફૂટ, કૂંવરનું હવે શું થાવાનું ? દાદાજી,
પ્રશ્રોને આરપાર વીંધે એવું, તીરકામઠું કુંવરને અપાવો; દાદાજી.

ગાઢ એક જંગલ ને જંગલમાં ભરેલી અંધારું ધોર એક વાવ; દાદાજી,
પાણીમાં જુએ તો પોતે ને, પડછાયો રમતા પકડદાવ; દાદાજી,
કુંવરને માણસ પરખાય જરી એટલું અજવાળું પથરાવો; દાદાજી.

આંધળા રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી,
હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો; દાદાજી.

દીવાનખાનામાં – પન્ના નાયક

માર્ચની પાંચમીએ પન્નાઆંટીની વેબસાઈટ ‘વિદેશિની’ની પ્રથમ વર્ષગાંઠ હતી… એમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.   આ પ્રસંગે માણો એમનું એક નવુંનક્કોર ગીત, બગીચો…  એમની વેબસાઈટ પન્નાનાયક.કૉમ પર.

(દીવાનખાનામાં….Photo : Artnlight)

દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી-
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂના ગાલીચાની જગ્યાએ
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન-
આ બધામાં મને ક્યાં ગોઠવું ?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
-પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.

– પન્ના નાયક

(આભાર – લયસ્તરો.કોમ)

આસ્વાદ (By વિવેક ટેલર):

પન્ના નાયકના અછાંદસ ગુજરાતી સાહિત્યમાં એક આગવી જ ભાત નિપજાવે છે. સરળ અને સહજ ભાષામાં લખાયેલી આ કવિતાઓમાં ક્યાંય ભારીખમ્મ કવિત્વનો બોજ વર્તાતો નથી. અભૂતપૂર્વ શબ્દાલેખનનો બોજ એ કદી વાચકોના મન પર થોપતા નથી. આપણી રોજિંદી જિંદગીના જ એકાદ-બે સાવ સામાન્ય ભાસતા ટુકડાઓને એ અનાયાસ એ રીતે કાવ્યમાં ગોઠવી દે છે કે દરેકને એ પોતાની જ વાત કરતા હોય એમ લાગે છે. પન્ના નાયકના કાવ્ય કદી પન્ના નાયકના લાગતા નથી, આ કાવ્યો દરેક ભાવકને સો ટકા પોતાના અને માત્ર પોતાના જ લાગે છે.

અહીં દીવાનખાનાને વ્યવસ્થિત કરવા જેવડી નાની અમથી ઘટનામાંથી કવિ આપણા આધુનિક જીવન પર કારમો કટાક્ષ કરવામાં સફળ થાય છે. કવિતાની ખરી શરૂઆત થાય છે વસ્તુનું મન પૂછી પૂછીને કરવામાં આવતી ગોઠવણીથી. વસ્તુને ગોઠવવી અને વસ્તુને એમનું મન પૂછી પૂછીને ગોઠવવી એ બેમાં જે બારીક ફરક છે એ આ કવિતાની પંચ-લાઈન છે. કવિ જ્યારે ‘વૉલ ટુ વૉલ’ શબ્દ પ્રયોગ અંગ્રેજી લિપિમાં કરે છે ત્યારે કદાચ વાચકને આ લિપિપલટા વડે એ અહેસાસ કરાવવામાં સફળ થાય છે કે આ છેડાથી પેલા છેડા સુધી બધું જ હવે બદલાઈ ગયું છે. સમગ્ર વાતાવરણ હવે નવું અને વધુ સુંદર બની ગયું છે પણ ત્યારે જ એમનું મન છટકે છે. આખું દીવાનખાનું પ્રસન્ન થાય છે એ જ ઘડીએ કવિ વિષાદયોગનો તીવ્ર આંચકો અનુભવે છે અને ‘છટકે છે’ જેવો હટકે શબ્દપ્રયોગ કરી કવિ એમની વેદનાનો કાકુ યોગ્ય રીતે સિદ્ધ કરે છે. આ નવી ગોઠવણમાં પોતાને ક્યાં ગોઠવવું કે પોતાનું કેન્દ્ર કે પોતાનું ખરું સ્થાન કયું એ નક્કી કરવામાં કવિ નિષ્ફળ નીવડે છે અને બારી પાસે રસ્તો નિહાળતા ઊભા જ રહે છે. બારી એ પ્રતીક છે નવા વિકલ્પની, નવી આશાની અને રસ્તો પ્રતીક લાગે છે નવી શોધનો. કદાચ હજી સાવ જ નિરાશ થવા જેવું ન પણ હોય…

સુખસમૃદ્ધિસભર અત્યાધુનિક જીવનવ્યવસ્થાની વચ્ચે પણ આજનો મનુષ્ય પોતાની જાતને સુસંગતતાથી સુમેળપૂર્વક ગોઠવી શક્તો નથી એ જ આજના સમાજની સૌથી મોટી વિડંબના નથી?

જરાય દોસ્તો ખબર નથી કે – મનોજ ખંડેરીયા

આજે સાંભળીએ મનોજ ખંડેરીયાની એક ખૂબ જ સુંદર ગઝલ, એટલા જ મઝાના સ્વર-સ્વરાંનક સાથે..

અને હા, અમદાવાદીઓને મનોજ ખંડેરીયાની ગઝલો – અમરભાઇના સ્વરમાં રૂબરૂ સાંભળવાનો એક વધુ લ્હાવો મળશે – માર્ચ ૧૩, ૨૦૧૦ ના દિવસે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરોઃ

કાવ્ય સંગીત શ્રેણી – મનોજ ખંડેરિયા (૧૩ માર્ચ, ૨૦૧૦ – અમદાવાદ)

(Photo : મનોજ ખંડેરિયા)

સ્વર સંગીત – અમર ભટ્ટ
આલ્બમ – શબ્દનો સ્વરાભિષેક

.

Live recording of અમર ભટ્ટ @ GS Samanvay 2007

.

જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે,
કશુંય તહોમત નથીજ માથે, વગર ગુનાની સજા મળી છે…..

વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગીમાં,
રહી રહી ને ખબર પડી કે, ન બોલવાની સજા મળી છે…..

ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા,
ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે…..

અમારા ઘરમાં અમારા અવસર ઉપર નીમંત્ર્યા બધાને કિંતૂ,
હવે અમારી સભાથી અમને વહી જવાની સજા મળી છે…..

– મનોજ ખંડેરીયા

છેલ્લો કટોરો ઝેરનો – ઝવેરચંદ મેઘાણી

આજે રાષ્ટ્રીય કવિનું બિરુદ પામેલા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની પુષ્યતિથિ. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ અમર રચના.. ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા Round Table Conference માટે, ત્યારે ઝવેરચંદ મેઘાણીએ આ અમર કૃતિ લખેલી.

કવિ વિષે વધુ માહિતી, અને એમની કેટલીટ કૃતિઓ એમના પોતાના હસ્તાક્ષરમાં વાંચવા માટે એમની વેબસાઇટની મુલાકાત અચૂક લેશો.
http://www.jhaverchandmeghani.com/

સ્વર – ?
સંગીત – ?

.

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું :
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

સુર-અસુરના નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
ઓ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !

કહેશે જગત : જોગી પણા શું જોગ ખૂટ્યા ?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટ્યાં ?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?
દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ !
સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !

ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના –
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !

શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો !
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો !
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ !

જગ મારશે મે’ણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !

ચાલ્યો જ્જે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

– ઝવેરચંદ મેઘાણી

આભાર – મીતિક્ષા.કોમ

નારી તું નારાયણી – અમિત ત્રિવેદી

પૃથ્વી પર ઈશ્વરને નિમંત્રણ આપે, નારી તું નારાયણી
તારા થકી તો ઈશ્વર ઘરમાં આવે, નારી તું નારાયણી

અજવાળાં સૂરજ અઢળક છો રેલાવે પણ ઘરમાં હો અંધારૂ
તારા વિના તો સૂરજ પણ ના ફાવે, નારી તું નારાયણી

તારા આ સરજેલા દેવળમાં વસવાની કોની ઈચ્છા ના હો ?
તારે ખોળે તો જીવન કીર્તન પામે નારી તું નારાયણી

નારીના હૈયે ઊછળતાં ઉમંગો જોઈને દરિયો બોલે ,
આખે આખો દરિયો તું તો છલકાવે, નારી તું નારાયણી

મારા મનની પાગલ ઝંઝાઓને કોણ આવી ને સમજાવે?
એ શમશે તું જો આવે આ દરવાજે, નારી તું નારાયણી

– અમિત ત્રિવેદી

સ્મૃતિ – નિરંજન ભગત

ઘરની અંદર
વર્ષોથી એક ખૂણામાં બેસી રહૂં.
મારો ખંડ સુશોભિત,
છત પર બિલોરી ઝુમ્મરો,
ભોંય પર ગૂંથેલી જાજમો,
બારી પર રેશમી પડદા,
ભીંત પર મઢેલા અરીસા,
ટેબલ પર રંગીન ફૂલો;
મારો ખંડ ભર્યો.

ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું,
મને ઘડી હસાવી, ઘડી રડાવી,
જાણું નહીં ક્યારે એ વિદાય થયું;
મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું.
હવે મારો ખંડ ખાલી ખાલી,
હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો.

– નિરંજન ભગત

લાગણીવશ હૃદય ! – ગની દહીંવાળા

આજે ગનીચાચાની પૂણ્યતિથિના દિવસે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલ.

(ગની દહીંવાલા….Photo: ગુજરાતી સાહિત્ય પરિષદ)

સંગીત: ભરત પટેલ
સ્વર: નિગમ ઉપાધ્યાય

.

તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

– ગની દહીંવાલા

——
વિવેકના શબ્દોમાં ગનીચાચા વિષે:

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાળા (જન્મ:17 Oct, 1908, મૃત્યુ: 05 March, 1987) ગુજરાતીના પ્રથમ પંક્તિના ગઝલકાર અને ગીતકાર છે એમ કહીએ તો કદાચ એમનું નહીં, આપણી ભાષાનું જ બહુમાન કરીએ છીએ. સુરતના વતની અને ધંધે દરજી. રીતસરનું શિક્ષણ માત્ર ત્રણ ચોપડીનું પણ કવિતાની ભાષામાં જાણે કે ડૉક્ટરેટ. આપસૂઝથી જ ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર એવી હથોટી મેળવી કે એમની કવિતાઓ ભાષાની છટા, લઢણ, ધ્વન્યાત્મક્તા, લાલિત્ય અને ભારતીય સંસ્કૃતિના આદર્શોથી મઘમઘી ઊઠે છે. ગઝલ એમનો સહજોદ્ ગાર છે અને એટલે જ બાલાશંકર- કલાપી પછી ગઝલને ગુજરાતીપણું અપાવવામાં એમણે નોંધપાત્ર ફાળો આપ્યો.

કાવ્યસંગ્રહ: ‘ગાતાં ઝરણાં’, ‘મહેંક’, મધુરપ’, ‘ગનીમત’ (મુક્તક સંગ્રહ), ‘નિરાંત’, ‘ફાંસ ફૂલની’
(આભાર – લયસ્તરો )