Category Archives: ઉમાશંકર જોષી

ઘટમાં ઘુંટાય નામ – ઉમાશંકર જોશી

સ્વર : બિહાગ જોશી
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

ઘટમાં ઘુંટાય નામ, રામ ! એક તારું.
લાધ્યું ક્યાંથી પ્યારું પ્યારું !
હો ઘટમાં ઘુંટાય નામ…

હૈયે રમાડેલું જુગ જુગથી સંતોએ,
કંઠે વસેલું કામણગારું,
જગની આ ઝાડીઓમાં ઝૂલે અમરફળ
દુનિયાના સ્વાદથી ન્યારું;
હો ઘટમાં ઘુંટાય નામ…

રમતાં રમતાં રે એ તો હાથ લાગે ભોળાંને
પંડે સામેથી શોધનારું,
એક હાથે જીવન દઈ બીજે ઝડપવાનું
પથ્થરને પુનિત તારનારું;
હો ઘટમાં ઘુંટાય નામ…

– ઉમાશંકર જોશી

મળી માતૃભાષા મને ગુજરાતી – ઉમાશંકર જોષી

આપણ સૌની વ્હાલી માતૃભાષાનો મહિમા ગાતી આ કવિતાનું નવું જ સ્વરાંકન આપણા સૌના લાડીલા ગાયક-સ્વરકાર આલાપ દેસાઈએ શ્રી ઉમાશંકર જોષીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શ્રદ્ધાંજલી રૂપે રજૂ કર્યું!
આ સ્વરાંકન વિષેની  વિગત  આલાપ ભાઈના જ શબ્દોમાં – “હું હંમેશા નવી જૂની કવિતાઓ શોધતો જ હોઉં છું, સ્વરાંકન કરવા માટે. એમાં એક દિવસ, બનતા સુધી 2012માં મારા હાથમાં આ સુંદર કવિતા આવી! શ્રી ઉમાશંકર જોષીજીની – સદા સૌમ્ય શી! ગુજરાતી ભાષા, અને એ કેવી ઉજળી ને સૌમ્ય છે એ વાચીને લગભગ મગજમાં જ compose થવા માંડી. હું મૂળ તબલાવાદક એટલે તાલનું મહત્વ સમજાઈ જાય. એમ 5/8 એટલે ઝપતાલમાં compose કરી, compose થતી ગઈ એમ થયું કે ગુજરાતીમાં સરસ ગાતા હોય  એવા ગાયકોનો પણ સમાવેશ કરવો. એમ કરતાં, પ્રહર, ગાર્ગી અને હિમાલયનો સાથ મળ્યો. Musical arrangement માં થોડો અત્યારના સંગીતનો રંગ છાંટ્યો – Live માં માત્ર મેં તબલા જ વગાડ્યા. દરેક ગાયકે જુદી જુદી જગ્યાએથી રેકોર્ડ કરીને મોકલ્યું અને મુંબઈમાં mixing થયું. આમ હંમેશા કૈંક જૂદું પણ સરસ કરવાની ઈચ્છા ફળીભૂત થઇ, ને આ બન્યું આ ગીત!” – આલાપ દેસાઈ
તો માણો આ તાજું જ સ્વરાંકન!

આ પહેલા અમર ભટ્ટના સ્વર – સ્વરાંકન સાથે ટહુકો પર ગૂંજતુ થયેલું આ માતૃભાષાના ગૌરવનું કાવ્ય – આજે સ્વરકાર શ્રી રવિન નાયકના સ્વરાંકન અને રેમપની વૃંદના ગાન સાથે ફરી એકવાર માણીએ…

માતૃભાષા દિવસે જ નહી… પણ હંમેશ માટે ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવીએ.

*********************
Previously posted on May 2, 2013:

ગઈકાલે મે ૧, ૨૦૧૩ ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૫૩ વર્ષની ખુશી ઊજવવી, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવતા કવિ શ્રી ઉમાશંકર જોષીનું આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા વિષે ગીત અમર ભટ્ટના સ્વરે સાંભળીએ…..

સ્વર : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.

રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.

મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.

ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.

– ઉમાશંકર જોષી

ગુજરાતના અને ગુજરાતીઓના ગુણગાન ગાતા બીજા થોડા ગીતો ટહુકો પર અહીં માણી શકો છો : ગુજરાતગીત

આજ મારું મન માને ના – ઉમાશંકર જોષી

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્રેયા ઘોષાલ

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :
https://youtu.be/Sfo6pIqJ6B8

આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
– ઉમાશંકર જોષી

નમ્રતાના નિધિ – મોહનદાસ ગાંધી

સાઉથ આફ્રિકામાં ફિનિક્સ સૅટલમેન્ટમાં આ અંગ્રેજી લખાણ નીચે એમ લખ્યું છે- The Only Poem Composed by Gandhi.
9 સપ્ટેમ્બર 1934ના દિવસે ગાંધીજીએ હૈદરાબાદ વેલફેર સેંટરનાં મિસ માર્ગારેટને અંગ્રેજીમાં એક સંદેશો લખી આપેલો તે આ લખાણ. ગાંધી આશ્રમમાં ‘હૃદયકુંજ’ ની બહાર પણ આ લખાણ જોવા મળે છે. અંગ્રેજી કાવ્ય પઠનસ્વરૂપે અને ગુજરાતીમાં ઝૂલણા છંદમાં એનો ગેય અનુવાદ ઉમાશંકર જોશીએ કર્યો તે ગાન સ્વરૂપે અમારા આલબમ ‘કાવ્યસંગીતયાત્રા:2’માં છે તે આજે ખાસ માણો.
– અમર ભટ્ટ

અંગ્રેજી શબ્દ: મોહનદાસ કરમચંદ ગાંધી
પઠન: આત્મન વકીલ

.

LORD OF HUMILITY
Lord of humility, dwelling in the little pariah hut
help us to reach for Thee throughout
that fair land watered by Ganges,
Brahmaputra and Jamuna.
Give us receptiveness,
Give us open-heartedness,
give us Thy humility,
Give us the ability and willingness
to identify ourselves
with the masses of India.
O God!
who does help only when man
feels utterly humble,grant that we
may not be isolated from the people.
we would serve as servants and friends.
Let us be embodiments of self-sacrifice,
embodiments of godliness,
humility personified, that we may know
the land better and love it more.
– M.K.Gandhi

અનુવાદ: ઉમાશંકર જોશી
સંદર્ભ: “નિશ્ચેના મહેલમાં” પુસ્તકમાંથી
ગાયક: અમર ભટ્ટ
આલબમ: કાવ્યસંગીતયાત્રા:2

.

નમ્રતાના નિધિ

દીન દુઃખિયાં તણી હીન કુટિયા મહીં
નિવસતા નમ્રતાના નિધિ હે!

ભૂમિ આ જ્યાં વહે ગંગાજમુના અને
બ્રહ્મપુત્રા તણાં વિપુલ વારિ,
ત્યાં તને પામવા શોધ ચારે ખૂણે
સતત કરીએ,હજો સ્હાય તારી

મન રહે મોકળાં, હ્ર્દય ખુલ્લાં રહે
હે હરિ,તાહરી નમ્રતા દે,
સકલ ભારતજનોથી થવા એકરસ,
પૂર્ણ લગની અને શક્તિ તું દે

હે પ્રભુ,ધાય વ્હારે તું જયારે ખરે,
થઇ રહે માનવી નમ્ર છેક,
અલગ પડીએ આ લોકોથી-દે આટલું
મિત્ર-સેવક થવું એ જ ટેક

આત્મબલિદાન, પ્રભુલીનતા ,નમ્રતા
જીવને મૂર્ત થાઓ અમારા,
જેથી આ દેશને સમજીએ ખુબ ને,
એ પ્રતિ ઊમટે પ્રેમધારા
-મોહનદાસ ગાંધી

હિન્દીમાં યુટ્યુબ ઉપર સુંદર વિડિઓ છે

માવજીભાઈએ એક સરસ ઈમેલ કર્યો જેમાં મન્ના ડેનું ૧૯૬૮નું એક રેકોર્ડિંગ મોકલ્યું,એ પણ સાંભળવા જેવું ખરું.આ ઉપરાંત The Record News સામાયિકનો ૨૦૧૧ના એક અંકમાં ગાંધીજી લખેલી આ રચના વિષે પણ વાત લખી છે એ મોકલી.વાત કેટલી સાચી એની ચકાસણી થઇ શકે એમ નથી પણ વાત અહીં શબ્દ સહ મુકું છું.

.

સ્વતંત્રતા, દે વરદાન આટલું – ઉમાશંકર જોશી

15/8/1952ના દિવસે રચાયેલું આ કાવ્ય છે. સ્વતંત્રતાની દેવી પાસે પ્રાર્થનામાં કવિ શું માગે છે? અને પ્રથમ પંક્તિમાં ‘એટલું’ શબ્દપ્રયોગ દ્વારા માગણીના લિસ્ટની શરૂઆત થાય છે. લિસ્ટ પૂરું થાય ત્યારે ‘આટલું’ શબ્દપ્રયોગ છે.
પઠન સ્વરૂપે સાંભળો.
– અમર ભટ્ટ

પઠન:અમર ભટ્ટ

.

દે વરદાન એટલું
સ્વતંત્રતા, દે વરદાન એટલું:
ન હીનસંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજવાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દ્રષ્ટિ નહિ મોહધુમ્મ્સએ;
ને આંખમાંનાં અમી ના સુકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો!
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.
સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથીય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ના પુરોહિતો બને.
અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા .
-ઉમાશંકર જોશી

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ -ઉમાશંકર જોશી

પઠન : ઉમાશંકર જોશી
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

-ઉમાશંકર જોશી

ચમકે ચાંદની – ઉમાશંકર જોશી

સ્વર : વૈશાલી ત્રિવેદી
સ્વરાંકન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સંગીત : અમિત ઠક્કર

.

આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.

કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.

આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.

ઘેરું ઘેરું ગાતો નિધિ ઉછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.

આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.

ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.
– ઉમાશંકર જોશી 

ગ્લૉબલ કવિતા: ૧૩૩ : અંત એ કલિચક્રનો? – ઉમાશંકર જોશી

યમુનાને તટે જન્મી, ખેલી, દુષ્ટ જનો દમી,
સ્થાપ્યાં સ્વ-ભૂમિથી ચ્યુત સ્વજનો અન્ય દેશમાં;
અને ભારતના યુદ્ધે નિઃશસ્ત્ર રહીને સ્વયં,
હસ્તિનાપુરમાં સ્થાપ્યો ધર્મ, ને ધર્મરાજને
લોકકલ્યાણનાં સૂત્રો સોંપી, પોતે પ્રભાસમાં
યથાકાળે પુણ્ય સિંધુતીરે સૌરાષ્ટ્રમાં શમ્યા
પારધીશર ઝીલીને ધર્મગોપ્તા નરોત્તમ.
અને આતુર ઊભેલો પ્રવર્ત્યો ત્યાં કલિયુગ.

જન્મી સૌરાષ્ટ્રના સિંધુતીરે, સ્વભૂમિભ્રષ્ટ સૌ
સ્વદેશીજનને સ્થાપ્યાં ગૌરવે પરદેશમાં;
દુષ્ટતા દુશ્ચરિતતા દમી સર્વત્ર, ભારતે
નિઃશસ્ત્ર યુદ્ધ જગવી, કરે ધારી સુ-દર્શન-
ચક્ર શ્રી-સ્મિત-વર્ષંતું, સ્થાપી હૃદયધર્મને
હસ્તિનાપુર-દિલ્હી-માં, ધર્મસંસ્થાપના-મચ્યા
ઝીલી સ્વજનની ગોળી યમુનાતટ જૈ શમ્યા.
હજીયે આવશે ના કે અંત એ કલિચક્રનો?

– ઉમાશંકર જોશી.

મોહન વિરુદ્ધ મોહનદાસ – એક અભૂતપૂર્વ સામ્ય

કાલ અને આજ. પુરાણ અને ઇતિહાસ. કથ્ય અને તથ્ય. આ બે અંતિમોની વચ્ચે સમયનો મસમોટો અંતરાલ ખાઈની જેમ પથરાયેલો છે. આ બે એવા છેડા છે, જે ક્યાંય કદીય ભેગા થઈ જ ન શકે. પણ કવિતાથી મોટો કોઈ જાદુ નથી. કવિતા અશક્યને શક્ય બનાવવાની કળા છે. કવિતા દિવસ અને રાતને એકસાથે તાદૃશ કરાવી શકે છે. કવિતા તમારી એક હથેળીમાં સૂરજ અને બીજીમાં ચાંદ મૂકવાની ક્ષમતાનું બીજું નામ છે. આગળ વધીને કહીએ તો કવિતા, તમારી એક જ હથેળીમાં ચાંદ-સૂરજને એકમેકની અડોઅડ પણ ગોઠવી આપી શકે છે. સમયની ભલભલી ખાઈ કવિના એક શબ્દથી જ ભરાઈ જતી હોય છે. સમયના બે અંતિમો વચ્ચે અશક્યવત્ સેતુ બાંધવાનું કામ માત્ર કવિતા જ કરી શકે. સમયના બે અલગ-અલગ બિંદુએ થઈ ગયેલા બે મહામાનવોને એકસૂત્રે બાંધીને કવિ ઉમાશંકર આપણી સમક્ષ રજૂ કરે છે.

ઉમાશંકર જોશી. ૨૧-૦૭-૧૯૧૧ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બામણા ગામમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા જેઠાલાલ કમળજી જોશી. માતા ‘ગાણાંનું ઝાડ’ ગણાતાં નર્મદા ઉર્ફે નવલબા. સાત ભાઈ-બે બહેનોમાંના એક. ૧૯૧૬માં યજ્ઞોપવિત સંસ્કાર. લગ્ન ૨૫-૦૫-૧૯૩૭ના રોજ જ્યોત્સ્નાબેન સાથે. બે પુત્રીઓ-નંદિની અને સ્વાતિ. શાળા શિક્ષણ બામણા, ઈડર અને અમદાવાદની શાળાઓમાં. પન્નાલાલ પટેલ એક સમયના સહાધ્યાયી. ૧૭ વર્ષની વયે પ્રથમ કાવ્ય. ૧૯ની વયે પ્રથમ સંગ્રહ -ખંડકાવ્ય ‘વિશ્વશાંતિ.’ ૧૯૩૦થી ૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં સક્રિય. બે વાર જેલવાસ. ૧૯૩૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી. મુંબઈમાં એમ.એ.. સાથોસાથ શિક્ષણકાર્યમાં. ૧૯૩૯થી અમદાવાદમાં સ્થાયી. ગુજરાત વિદ્યાસભા (૧૯૩૯ થી ૧૯૪૬) અને પછી ગુજરાત યુનિવર્સિટી (૧૯૫૪થી) માં અધ્યાપક. ગુજરાત યુનિવર્સિટી અને બાદમાં કલકત્તાની વિશ્વભારતી(૧૯૭૯ થી ૧૯૮૧)ના કુલપતિ. દિલ્હી સાહિત્ય અકાદમી(૧૯૭૮)ના પ્રમુખ. વિવિધ યુનિવર્સિટીઓ તરફથી માનાર્હ ડી.લિટ્.ની પદવીથી વિભૂષિત. નાનાવિધ પુરસ્કારો અને સન્માનોથી અભિષિક્ત. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ‘સંસ્કૃતિ’ સામયિક તથા ‘ગંગોત્રી’ ટ્રસ્ટના સ્થાપક. પુષ્કળ વિદેશપ્રવાસો. દેશવિદેશમાં સાહિત્યકારની રુએ અસંખ્ય સેમિનારોમાં વ્યાખ્યાનો. ૧૯-૧૨-૧૯૮૮ના રોજ મુંબઈ ખાતે ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં ફેફસાંના કેન્સરના કારણે નિધન.

કવિતા, નાટક, પદ્યનાટક, નવલિકા, નવલકથા, નિબંધ, પ્રવાસવર્ણન, જીવનચરિત્ર, સંપાદન, વિવેચન, સંશોધન, અનુવાદ- સાહિત્યના જે આયામને એમની અધિકારી લેખિનીનો પારસ અડ્યો એ સોનું થઈ ગયો. પણ કવિ ઉમાશંકર બધામાં શ્રેષ્ઠ. કવિતાના બધા પ્રકાર એમણે સપૂરતી સમજણ અને સજાગતાથી ખેડ્યા. ગાંધીયુગ અને અનુગાંધીયુગ, પરંપરા અને આધુનિક્તા, વ્યક્તિ અને સમષ્ટિ – એમની કલમ બધાયને સમાનભાવે અડી. સાડા પાંચ દાયકાની એમની વિશાળ સર્જનયાત્રા એમની સંનિષ્ઠતા અને સમર્પિતતાની આરસી છે. ‘વાસુકિ’ અને ‘શ્રવણ’ ઉપનામ. ગુજરાતમાં ના જન્મ્યા હોત તો આખા વિશ્વે એમની નોંધ સગર્વ લીધી હોત. સુરેશ દલાલે કહ્યું છે: ‘ઉમાશંકર ગુજરાતી છે એ કેવળ અકસ્માત છે. સ્વભાવે તેઓ વિશ્વનાગરિક છે.’ તેઓ સાચા અર્થમાં વિશ્વમાનવ હતા. એમની કવિતાઓ સચરાચર પ્રકૃતિના તમામ ઘટકની વેદના અને સંવેદનાની સંવાહક છે. મનુષ્ય સ્વભાવનો તળસ્પર્શી અભ્યાસ અને પ્રકૃતિના કણ-કણ માટેનો બિનશરતી પ્રેમ એમના સર્જનનો ખરો આત્મા છે. પ્રથમ સંગ્રહ ‘વિશ્વ શાંતિ’ની પ્રથમ પંક્તિ ‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’ અને આખરી કાવ્યસંગ્રહ ‘સપ્તપદી’ની આખરી પંક્તિ ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ની વચ્ચે એમણે સતત શબ્દને પોંખ્યો છે અને શબ્દે એમને. સર્જક તરીકે એ સતત વિકાસ પામતા રહ્યા. અનુકરણ અને અનુરણનના બે મસમોટાં જોખમોથી એ સદા બચીને ચાલ્યા, બીજાથી તો ખરું જ, પોતાનાથી પણ. પરિણામે દરેક કવિતામાં નવા ઉમાશંકર મળ્યા. એમની કવિતા એકાંગી નથી. એ સારાંને સ્વીકારે છે, નરસાંને પણ ભેટે છે. ઉમાશંકરના હૃદયકોશમાં રાત એટલે અંધારું નહીં પણ અજવાળાનો પડછમ. એમની કવિતા ઝેર પચાવીને અમૃતનો ઓડકાર ખાય છે. એ કાળાતીત છે. એમના સમયકાળ દરમિયાન એમનો સૂર્ય સદૈવ મધ્યાહ્ને જ તપ્યો હતો. જેમ લતા મંગેશકરની અતિવિરાટ પ્રતિમા તળે ઘણી આશાસ્પદ ગાયિકાઓ દબાઈ ગઈ એમ ઉ.જોની ઓજસ્વી આભાના કારણે ઘણાં કવિદીવડાંઓ યોગ્ય પ્રકાશી શક્યાં ન હોવાનું મનાય છે. જે હોય તે પણ ઉમાશંકર ગુજરાતી કવિતાનું એવરેસ્ટ છે એ વાતમાં મીનમેખ નથી.

સુરેશ દલાલે આ કવિતાને સૉનેટ કહીને ઓળખાવી છે, પણ હકીકતમાં આ કવિતા બે અષ્ટક-યુગ્મથી બનેલ સોળ પંક્તિનું ઊર્મિકાવ્ય છે. ઉમાશંકર કાવ્યસ્વરૂપની બાબતમાં એટલા જાગરુક અને સતર્ક હતા કે એ સોળ પંક્તિ વાપરવાની ભૂલ કરે જ નહીં. વળી, કવિના સૉનેટમાં પ્રાસનો અભાવ ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે પ્રસ્તુત રચનામાં કવિએ પ્રાસ તરફ નજર જ નાંખી નથી. કવિતાને ‘કાનની કળા’ કહેતા આ સમર્થ કવિએ સૉનેટમાં ઓછા પ્રયોજાતા અનુષ્ટુપ છંદને અહીં કામમાં લીધો છે. પ્રસ્તુત કવિતામાં કૃષ્ણની વાત છે, અને ગીતાના શ્લોક બહુધા આ છંદમાં છે, એ કારણ આ પાછળ નહીં હોય એમ માનવાનું કોઈ કારણ નથી. કવિતાનું સપ્રશ્નાર્થ શીર્ષક ‘-અંત એ કલિચક્રનો?’ ભાવકને ઘડીભર અટકવા મજબૂર કરે છે. કલિયુગ શબ્દથી આપણે જેટલાં ટેવાયેલાં છીએ, એટલો જ કલિચક્ર શબ્દ અજાણ્યો લાગે છે. પણ ઘડીભર અટકાવી દઈને આ નૂતન શબ્દપ્રયોગ અને પ્રશ્નાર્થ આપણને તુર્ત જ કાવ્યમાં પરોવી દે છે, સફળતાપૂર્વક! કવિએ કવિતાને બે સમાન ભાગમાં વહેંચી દીધી છે. એક ભાગમાં મોહન છે અને બીજામાં મોહનદાસ. બંને ભાગમાં કવિએ આ બે યુગપુરુષો વચ્ચેની સામ્યતાઓ juxtapose કરી છે. અન્યત્ર પણ ગાંધીજીને એમણે ઈશ્વર સમકક્ષ બતાવ્યા છે. ‘જાન્યુઆરી ૩૦’માં ગોળી વાગ્યા બાદ ગાંધીજીના હૃદયમાંથી ટપકતું રક્તનું ટપકું એમને ‘વિશ્વ જેવડું વિશાળ/પ્રેમસ્વરૂપ પરમાત્માને પ્રતિબિંબતું’ દેખાયું છે. ગાંધી કદાચ મનુષ્યદેહમાં જન્મેલા ઈશ્વર જ હતા ને!

અહીં, બંને અષ્ટકમાં બંને મહામાનવો માટે એકસમાન શબ્દો, વિશેષણો, સ્થળો વગેરે પ્રયોજીને કવિ જે હકીકતો આપણને ખબર જ છે, એમાંથી કાવ્ય જન્માવે છે. ખરી કળા જ આ છે ને! કવિતાને તેઓ ‘આત્માની માતૃભાષા’ ગણતા. કહેતા, ‘એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં.’ આ કવિતા વાંચીએ ત્યારે સહજ સમજાય છે, કે કવિ શબ્દો પાસે નહીં, પણ શબ્દો કવિ પાસે સ્વયં આવ્યા છે. શબ્દો વિશે એમણે જે કહ્યું હતું એ દરેક કવિએ ધ્યાનથી સમજવા જેવું છે: ‘… પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિસારો વેઠ્યો નથી…. …શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ.’ સાચો કવિ કદી શબ્દથી છૂટો પડતો નથી. ઉમાશંકર એનું એક બેનમૂન દૃષ્ટાંત છે. સત્તર-અઢાર વર્ષની વયે લખેલી કવિતાઓ મોટાભાગના કવિઓ માટે માત્ર ‘નેટ-પ્રેક્ટિસ’ હોય છે, પણ ઉમાશંકરે સત્તર વર્ષની વયે પહેલી કવિતા ‘નખીસરોવર ઉપર શરત્ પૂર્ણિમા’ લખી. મંદાક્રાન્તામાં રચેલ આ સૉનેટ ન માત્ર સર્વાંગસંપૂર્ણ કાવ્ય છે, પણ એની આખરી પંક્તિ ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે’ તો અમર થઈ ગઈ છે. તેઓ બી.એ. (અર્થશાસ્ત્ર) કરતા હતા ત્યારે બી.એ. (ગુજરાતી)માં તેઓનો કાવ્યસંગ્રહ પાઠ્યપુસ્તક તરીકે હતો. કવિએ પોતે પોતાનો જ સંગ્રહ ભણવાનો આવ્યો એવી માન્યતા ખૂબ પ્રચલિત થઈ હતી, જેને ખુદ કવિના નકારવા છતાં લોકો ત્યજવા તૈયાર નહોતા. એ જ રીતે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિ હતા ત્યારે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ એમની સામે મોરચો લઈ આવ્યા હતા. નાયક સૂત્રોચ્ચાર કરતો હતો: ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ…’ અને આખું મંડળ એકઅવાજે બોલતું હતું: ‘જાગશે !’ એમની જ પંક્તિ એમની જ સામેનું હથિયાર બની હતી. આવી વાતોથી કવિના સાચકલા કૌવતનો સાક્ષાત્કાર થાય છે.

અહીં પ્રથમ અષ્ટકમાં કવિ મોહનની વાત કરે છે. આમાં કશું નવું નથી. ભાગવતમાં આ બધું પી-પીને જ આપણે મોટાં થયાં છીએ. કૃષ્ણ યમુના તટે જન્મ્યા, ત્યાં જ રમ્યા, અસુરોનો વધ કર્યો. ગોકુળમાં અસુરોનો ઉત્પાત બહુ વધી જતાં સહુએ વૃંદાવન સ્થળાંતર કરવું પડ્યું અને મહાભારતના યુદ્ધ બાદ યાદવો દ્વારકા સ્થાયી થયા. આનો ઉલ્લેખ કરતા કવિ કહે છે કે સ્વભૂમિથી દૂર થયેલા સ્વજનોને કૃષ્ણએ પરદેશમાં સ્થાપિત કર્યા. મહાભારતના યુદ્ધમાં પોતે નિઃશસ્ત્ર રહ્યા પણ પાંડવોને વિજયી બનાવી હસ્તિનાપુરમાં ધર્મની સ્થાપના કરી, ધર્મરાજ યુધિષ્ઠીરને લોકકલ્યાણના સૂત્રો અને જવાબદારી સોંપી પોતે પ્રભાસપાટણ જઈ વસ્યા. ત્યાં પારધીનું બાણ ઝીલીને ધર્મનું રક્ષણ કરનાર ધર્મગોપ્તા નરોત્તમ સૌરાષ્ટ્રમાં સિંધુતીરે શમ્યા. કૃષ્ણનો અંત એ દ્વાપરયુગનો અંત અને કલિયુગનો આરંભ હતો. આટલી વાત સાથે કવિ પ્રથમ અષ્ટકનું સમાપન કરે છે.

બીજા અષ્ટકમાં કવિનું ફૉકસ મોહન પરથી મોહનદાસ તરફ ફરે છે. ઉમાશંકર ગાંધીયુગના શિરમોર કવિઓમાંના એક હતા. એમની રચનાઓમાં અને રચનાઓ પર ગાંધીજીનો પ્રભાવ ઘણો બળવત્તર નજરે પડે છે. ગાંધીજીએ બંગાળીમાં ‘આમાર જીબન-ઇ આમાર બાની’ સંદેશો આપ્યો હતો એના પરથી કવિએ ‘મારું જીવન તે મારી વાણી’થી શરૂ થઈ ‘મારું જીવન એ જ સંદેશ’ પર પૂર્ણ થતી અમર કવિતા લખી હતી. ગાંધીવિચારનો પ્રભાવ એમની કવિતામાં પૂરની માફક ઊમટીને વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. શબ્દને ‘ગાંધી’ નામની સ્યાહીમાં ઝબોળીને કવિ ક્યારેક સ્વયં ગુજરાતને પૂછે છે કે ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?’, તો ક્યારેક આપણને એટલે કે ‘ગુજરાતી’ને ‘વિશ્વગુર્જરી’ બનવાનો સંકેત આપતો પ્રશ્ન કરે છે કે ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’ કવિની મંશા જ એ હતી કે ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી; માથે ધરું ધૂળ વસુન્ધરાની.’

કૃષ્ણ સાથે ગાંધીજીના તાર કવિએ કેવા મેળવ્યા છે એ જોવા જેવું છે. કૃષ્ણનો અંત સૌરાષ્ટ્રમાં સિંધુતીરે થયો. ગાંધીજીનો જન્મ ત્યાં થયો. કૃષ્ણનો જન્મ યમુનાતટે થયો, ગાંધીજીનો અંત ત્યાં થયો. કૃષ્ણે દુષ્ટોનું દમન કર્યું તો ગાંધીજીએ પણ દુષ્ટતા અને દુશ્ચરિતતાઓનું દમન કર્યું. કૃષ્ણ અને ગાંધીજી –બંનેએ સ્વભૂમિથી દૂર થયેલા સ્વજનોને પરદેશમાં સ્થાપિત કર્યા. મિ. ગાંધીએ વતનથી દૂર દક્ષિણ આફ્રિકામાં હડધૂત થતા ભારતીયો માટે લાંબી લડત ચલાવીને ત્યાંની સરકારને નમવાની ફરજ પાડી અને દેશાગત ભારતીયોને એમનું લુપ્ત થયેલું ગૌરવ પાછું અપાવ્યું. જે રીતે શ્રીકૃષ્ણે સ્વયં મહા’ભારત’ના યુદ્ધમાં નિઃશસ્ત્ર રહી લડાઈ પાર પાડી હતી, એ જ રીતે મહાત્મા ગાંધીએ પણ દક્ષિણ આફ્રિકાથી પરત સ્વદેશ આવીને પોતે નિઃશસ્ત્ર રહીને ભારતમાં અંગ્રેજો સામે યુદ્ધ જગાવ્યું. વિશ્વમાં આજદિનપર્યંત કોઈએ ન જોયેલા, ન જાણેલા સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્રના જોરે એમણે વિદેશીઓ સામેની લડત પાર પાડી. શ્રીકૃષ્ણ સુદર્શનધારી હતા, તો મહાત્મા સુ-દર્શનધારી હતા. શબ્દની વચ્ચે એક નાનકડી લઘુરેખા -ડેશ- મૂકીને કવિ સુદર્શન અને સુ-દર્શન વચ્ચે જે અર્થ જન્માવે છે, એ એમના સાબૂત સક્ષમ કવિકર્મની સાહેદી પૂરે છે. ગાંધીજી તો અકિંચન અર્ધનગ્ન ફકીર હતા. શરીરે હાથે વણેલી ખાદીની એક પોતડી, કેડે ઘડિયાળ, નાક પર ચશ્માં, હાથમાં લાકડી અને પગમાં પાવડી એ એમની એકમાત્ર સંપત્તિ હતાં. પણ એમની પાસે સુ-દર્શન હતું. તેઓ ભારતના ધૂંધળા વર્તમાનની આરપાર આઝાદ ભવિષ્યને જોઈ શક્યા હતા. અસ્પૃશ્યોની અવદશા એમના સુ-દર્શન વિના કદી સુધરી શકી ન હોત. ભારતને આઝાદી ન અપાવી હોત અને માત્ર હરિજનોને સવર્ણોની સમકક્ષ સ્થાપવાની લડત જ ચલાવી હોત તો પણ એમને મહામાનવ તરીકે જ યાદ રાખવા પડ્યા હોત. કૃષ્ણનું સુદર્શન મૃત્યુ વર્ષાવનાર હતું, ગાંધીજીનું સુ-દર્શનચક્ર તો સ્મિતની ધનશ્રી વર્ષાવનારું હતું. એમના બાળસહજ સ્મિત અને આત્માની શુદ્ધતાના જોરે તો એમણે ભારતવર્ષની કરોડોની જનમેદનીને વશીભૂત કરી હતી.

કૃષ્ણે હસ્તિનાપુરમાં ધર્મરાજને સ્થાપ્યા હતા, ગાંધીજીએ હસ્તિનાપુર યાને દિલ્હીમાં ખુદ ધર્મને જ સ્થાપ્યો હતો. કૃષ્ણની જેમ જ ગાંધીજીએ પણ યુદ્ધવિજયના ફળો ચાખવાનો મોહ રાખ્યો નહોતો. કૃષ્ણ બધા સ્વજનો અને બધા માન-અકરામોનો ત્યાગ કરીને ગુજરાતમાં દ્વારકા આવી વસ્યા હતા, તો ગાંધીજી પણ આઝાદ ભારતના પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપ્રમુખ બની શક્યા હોત પણ એવો કોઈપણ મોહ રાખવાના બદલે, કોઈપણ જાતના માન-મરતબા ભોગવવાના બદલે એમણે રાજકારણનો ત્યાગ કરી દેશમાં પ્રવર્તતી સામાજીક સમસ્યાઓ અને દૂષણો નિવારવા માટે જાત હોમી દીધી હતી. ગાંધીજીના આ કામ નિમિત્તે કવિ ગાંધીજીને ‘ધર્મસંસ્થાપના-મચ્યા’ કહે છે ત્યારે પહેલા અષ્ટકમાં આ શબ્દનો ઉલ્લેખ ન કરાયો હોવા છતાં આપણા કાનોમાં ભાગવત્ ગીતામાં શ્રી કૃષ્ણે આપેલ વચન ગુંજવા માંડે છે:

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌ ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥ (અધ્યાય ૪, શ્લોક ૮)

બે મહામાનવો વચ્ચેનું સામ્યનિર્દેશન એ કવિનો આ કાવ્ય પાછળનો મૂળ હેતુ છે. કૃષ્ણને તો દુનિયા ભગવાન ગણતી આવી છે અને ગણતી આવવાની છે પણ કવિને ખ્યાલ હતો કે ગાંધીજી પર કીચડ ઉછાળનારાઓની દુનિયામાં કમી પડનાર નથી. ગાંધીજીના અવસાનના અઢી મહિના બાદ ૧૨-૦૪-૧૯૪૮ના રોજ કવિએ આ રચના કરી હતી. ગાંધીજીની હત્યા પોતે એ વાતનો પુરાવો હતો કે આઝાદી મળ્યાને છ મહિનાય નહોતા વીત્યા એવામાં પણ ગાંધીવિચારનો વિરોધ એમનો જીવ સુદ્ધાં લઈ શકે એટલો પ્રબળ હતો. કવિસંવિદમાં આ વાત નોંધાયા વિના નહીં જ રહી હોય. એટલે જ એમણે લખ્યું હશે ને કે, ‘ગાંધીજીના જીવ-ને જીવતાંને/મૂઆ કેડે મારતું જે ક્ષણે ક્ષણે/પડ્યું અમોમાં- સહુમાં કંઈક,/તેને હશે કે કદી મૃત્યુદંડ?’ ગાંધીજીને ખોટેખોટી અંજલિ આપતા નેતાઓ-લોકોને જોઈને ૧૯૬૦માં એમણે લખ્યું હતું: ‘માર્ગમાં કંટક પડ્યા,/સૌને નડ્યા;/બાજુ મૂક્યા ઊંચકી,/તે દી નકી/જન્મ ગાંધી બાપુનો,/સત્યના અમોઘ મોંઘ જાદુનો.’ કદાચ પ્રસ્તુત રચના ગાંધીવિચાર સામે ઊઠી રહેલી આંધીના વિરોધભાવે પણ જન્મી હોય. યુગપુરુષને યુગસ્રષ્ટાની અડખેપડખે મૂકીને બંને વચ્ચેની સમાનતા ઉજાગર કરીને ગાંધીધારાનો વિરોધ કરનારાઓને દીવાબત્તી ધરવાની કવિફરજની સભાનતા આ કવિતાના મૂળમાં હોય તો નવાઈ નહીં. ગાંધીમૂલ્યોના હાસ સાચો ગાંધીયુગીન કવિ ન જ જીરવી શકે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને પણ ગાંધી વિશે સાચું જ કહ્યું હતું: ‘આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આના જેવો કોઈક રક્ત-માંસનો બનેલો, આ પૃથ્વી પર કદીપણ આવ્યો હશે.’

કૃષ્ણનું નિધન પારધીના તીરથી થયું, ગાંધીજીનું ગોડસેની ગોળીથી. જ્યાં કૃષ્ણનો ઉદય થયો ત્યાં જ ગાંધીનો અસ્ત થયો એમ કહી કવિ સમાનતાચક્ર પૂર્ણ કરે છે. આ ઉત્તમોત્તમ અભૂતપૂર્વ સરખામણીમાં શ્રેષ્ઠ કવિકર્મનો સંસ્પર્શ તો શબ્દે-શબ્દે જોવા મળ્યો પણ કવિતા? ‘શબ્દ છે! છે છદ પણ! ક્યાં છે તો કવિતા?’ પણ, આખરી પંક્તિમાં એક લસરકે કવિ કવિતા સિદ્ધ કરી બતાવે છે. કવિ સવાલ ઊભો કરે છે કે જેમ વિશ્વપિતાના અંત સાથે દ્વાપરયુગનો અંત આવી કલિયુગ શરૂ થયો હતો, એ જ રીતે રાષ્ટ્રપિતાના અવસાન સાથે કલિયુગનો અંત આવશે કે નહીં? કલિયુગના સ્થાને કવિ હવે કલિચક્ર શબ્દ વાપરે છે. યુગ તો કોઈ પણ હોય, એનો આરંભ કે અંત હોવાનો જ. પણ ચક્રનો કોઈ અંત ખરો? એ તો બસ, ફર્યે રાખે, ફર્યે રાખે, ફર્યે રાખે… સરખામણીના આશય છતાં કવિમે વિદિત છે કે ભગવાન અને મનુષ્યની સરખામણી અશક્ય છે. ભગવાન જ આરંભ-અંત સર્જી શકે, કાળા માથાનો મનુષ્ય નહીં. માટે જ કલિ‘યુગ’ અને કલિ‘ચક્ર’ –માત્ર અડધા શબ્દફેરથી કવિ સમાનતામાં રહેલી અસમાનતા અને નિબંધમાં રહેલી ઉચ્ચ કવિતા પ્રશસ્ત કરી બતાવે છે.

બોલે બુલબુલ – ઉમાશંકર જોશી

કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મદિવસે – એમને શ્રધ્ધાંજલી સાથે આજનું આ ગીત, અને સાથેની વાતો – સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી..
*******
21 જુલાઈ – ઉમાશંકર જોશીનો જન્મદિન –

રાસભાઈએ 1983માં સુગમ સંગીત શિબિર દરમિયાન એક સંગીતશ્રવણબેઠકમાં બુલબુલના અવાજનું રૅકૉર્ડિન્ગ સંભળાવેલું, એના સ્વરો ઓળખી બતાવેલા, ને એ રીતે પંખીગાન તરફ ધ્યાન દોરેલું. 2010માં, ઉમાશંકર જોશીના જન્મશતાબ્દિ વર્ષમાં, એકાએક સવારે કોફી પીતા સામેના ગુલમહોર પર બેઠેલા બુલબુલનો અવાજ સાંભળ્યો ને કવિનું ‘બોલે બુલબુલ’ ગીત રાગ ભટિયાર પર આધારિત સ્વરબદ્ધ થયું. એમના ‘પંખીહૃદય’ કાવ્યનું મારા અવાજમાં પઠન અને ‘બોલે બુલબુલ’નું ઐશ્વર્યા મજમુદારના અવાજમાં ગાન પ્રસ્તુત છે.-

સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: ઐશ્વર્યા મજમુદાર

.

‘બોલે બુલબુલ
આ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએ
ઝીણા ઝરે સૂર કોના આકુલ? બોલે બુલબુલ
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલ
રજની વલોવી એણે શું શું રે પીધું?
અમરત પિવડાવવામાં રહેતું મશગૂલ! બોલે બુલબુલ
અરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલ
પૃથિવી ને સ્વર્ગ વચે સૂર તણો પુલ! બોલે બુલબુલ’

– ઉમાશંકર જોશી

ઉમાશંકર જોશીના સંગ્રહ ‘સમગ્ર કવિતા’માં પ્રથમ કાવ્યની પ્રથમ પંક્તિ છે-
‘ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો’
અને અંતિમ કાવ્યની અંતિમ પંક્તિ છે-
‘છેલ્લો શબ્દ તો મૌનને જ કહેવાનો હોય’
‘મંગલ શબ્દ’થી ‘છેલ્લા શબ્દ’ની યાત્રાના કવિને સૂરવંદન

અમર ભટ્ટ

વિશ્વ માતૃભાષા દિવસ

આજે 21 ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ. આપણા વ્હાલા સ્વરકાર શ્રી અમર ભટ્ટ તરફથી મળેલો આ સંદેશ સીધ્ધો તમારા સુધી… સૌ ને માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે..!!

19મી સદીના મધ્યકાળમાં ડોકિયું કરવા જેવું છે. 1844માં અમદાવાદમાં કલાપ્રેમી અંગ્રેજ અમલદાર એલેક્ઝાન્ડર કિનલાક ફૉર્બસ અધિકારી તરીકે આવે છે, ગુજરાતી શીખવાની તત્પરતા બતાવે છે, શિક્ષક શોધે છે, ભોળાનાથ સારાભાઈ દિવેટિયા દલપતરામનું નામ સૂચવે છે, ફૉર્બસસાહેબને ગુજરાતી શીખવવા દલપતરામ ખૂબ જહેમત વેઠી વઢવાણથી પગપાળા પ્રવાસ કરી અમદાવાદ આવે છે. બંને વચ્ચેની મૈત્રીનું પરિણામ એટલે અનેક પુસ્તકાલયો, અને સામાજિક સુધારાવાદી અને ભાષાલાક્ષી પ્રવૃત્તિઓ….

ગુર્જર નરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ દલપતરામ ગુજરાતી ભાષાના વકીલ તરીકે આમ કહે છે-

‘ગિરા ગુજરાતી તણા પિયરની ગાદી પામી
મુખ્ય તો મરાઠી માની દેખી દુઃખી દિલ છું,
અરજી તો આપી દીઠી મરજી તથાપિ નહીં
આવ્યો આપ આગળ ઉચ્ચરવા અપીલ છું,
માંડતા મુકદમાને ચાર જણા ચૂંથશે તો
શું થશે તે શોચનાથી સાહેબ શિથિલ છું,
દાખે દલપતરામ ખુદાવંદ ખંડેરાવ,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.’
આવી દલીલ કોને ગળે ન ઉતરે?

ઉમાશંકર જોશી કહે છે તેમ-
‘ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી
કૃષ્ણચરણરજ પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી’

.

– અમર ભટ્ટ