Category Archives: દયારામ

પ્રેમની પીડા તે કોને કહીએ – દયારામ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર : અમર ભટ્ટ

.

પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર પ્રેમની પીડા તે કહીએ
થાતાં ન જાણી પ્રીત,જાતાં પ્રાણ જાયે
હાથનાં કર્યા તે વાગ્યાં હૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા

જેને કહીએ તે તો સર્વે કહે મૂરખ
પસ્તાવો પામીને સહી રહીએ રે …ઓ મધુકર પ્રેમની પીડા

દયા પ્રભુ આવે તો તો સદય સુખ થાય
મુને દુઃખ દીધું એ નંદજી ને છૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા
-દયારામ

ચિત્ત તું શીદને ચિંતા ધરે? – દયારામ

અચાનક જ જાણ થઇ કે કવિ દયારામનો અંદાજિત જન્મ દિવસ તે ભાદરવા સુદ 11( ઈસ્વીસન 1777,વિક્રમ સંવત 1833). આજે ભાદરવા સુદ 11- જલ ઝીલણી એકાદશી છે.
આમ સાઠોદરા નાગર જાતિના દયારામે એ સમયમાં ત્રણ વાર ભારતનાં તમામ તીર્થધામોની યાત્રા કરેલી. એમણે પુષ્ટિમાર્ગ અપનાવેલો.એ પોતે ખૂબ સુંદર ગાયક હતા એમ કહેવાય છે. મૂળ એ ચાંદોદ(ચાણોદ)ના ને છેલ્લે ડભોઇમાં રહેલા જ્યાં એમના ઘરમાં એક નાનું મ્યુઝિયમ(જો કે ખૂબ ઓછા મુલાકાતીઓ ત્યાં જાય છે.) દયારામનો તંબૂર ત્યાં સચવાયો છે. ઉમાશંકર જોશીએ એક કાવ્ય લખ્યું છે-
‘દયારામનો તંબૂર જોઈને’. એમાં છેલ્લી બે પંક્તિઓ આમ છે-
‘કાળને હાથ તંબૂરો: હૈયાતંતુથી ભૈરવી
ગુંજે ગુર્જરકુંજે, ત્યાં ડોલે શી કવિની છવિ!’
આજે ગુજરાતના ઉત્તમોત્તમ ગરબી કવિ દયારામની મારી પ્રિય રચના ફરીથી સાંભળો.

કવિ: દયારામ
સ્વરકાર: ગાયક :અમર ભટ્ટ

.

ચિત્ત તું શીદને ચિંતા ધરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!

સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે
કૃષ્ણને કરવું હોય તે કરે!

થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે?
કૃષ્ણને કરવું હોય તે કરે!’

આ દિવસોમાં દયારામનું આ પદ ખૂબ સાંત્વન આપે છે. નરસિંહનું આ પદ પણ યાદ આવે છે-
‘જે ગમે જગદ્ગુરુ દેવ જગદીશને
તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો‘
દયારામના આ પદમાં ‘જેવો જંત્ર વગાડે જંત્રી’. કબીરસાહેબ પણ યાદ આવશે-‘જંત્રી જંત્ર અનુપમ બાજે’.
‘રાખ ભરોસો રાધાવરનો’ એમ છેલ્લે કહીને દયારામ પુષ્ટિમાર્ગમાં છેલ્લે ગવાતા સૂરદાસજીના પદનું પણ સ્મરણ કરાવે છે- ‘દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો’.
દેશ રાગ પર આધારિત આ પદ સાંભળો.
-અમર ભટ્ટ

નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો – દયારામ 

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે  

.

નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો , વસે વ્રજલાડીલો રે!
જે રે જાયે તે ઝાંખી પામે જી રે! 
ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે રે, હરિ ના મળે એકે ઠામે રે !

સત્સંગદેશમાં ભક્તિનગર છે રે, પ્રેમની પોળ પૂછી જાજો રે! 
વિરહતાપપોળીઆને મળી મહેલે પેસજો રે, સેવાસીડી ચડી ભેળા થાજો રે! 

દીનતાપાત્રમાં મનમણિ મૂકીને ભેટ ભગવંતજીને કરજો રે! 
હુંભાવપુંભાવ નોછાવર કરીને રે શ્રીગિરિધરવર તમો વરજો રે !

એ રે મંડાણનું મૂળ હરિઈચ્છા રે, કૃપા વિના સિદ્ધ ન થાયે રે! 
શ્રીવલ્લભશરણ થકી સહુ પડે સહેલું રે, દૈવી જન પ્રતિ દયો ગાયે રે !  
– દયારામ

કાળજ કોર્યું તે કોને કહીએ – દયારામ

સ્વરકાર – નીનુ મઝુમદાર
સ્વર – કૌમુદી મુન્શી
પ્રસ્તુતકર્તા – તુષાર શુક્લ (રેડિયો રેકોર્ડિંગ)

કાળજ કોર્યું તે કોને કહીએ રે ઓધવ! છેલછબીલડે?

વેરી હોય તો વઢતાં રે ફાવીએ, પણ પ્રાણથી પ્યારો એને લહીએ રે! ઓધવ!
ધીખીએ ઢાંક્યા તે કહ્યે નવ શોભીએ, ડાહ્યાં શું વાહ્યાં નાને છૈયે રે! ઓધવ!

સોડનો ઘાવ માર્યો સ્નેહી શામળિયે! કિયા રાજાને રાવે જઈએ રે! ઓધવ!
કળ ન પડે કાંઈ પેર ન સૂઝે! રાત દિવસ ઘેલાં રહીએ રે! ઓધવ!

કાંઈ વસ્તુમાં ક્ષણ ચિત્ત ન ચોંટે! અલબેલો આવી બેઠો હૈયે રે! ઓધવ!
દયાના પ્રીતમજી ને એટલું કહેજો: ક્યાં સુધી આવાં દુખ સહીએ રે! ઓધવ!

– દયારામ

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ – દયારામ

આ મઝાનું પદ mp3 file અને શબ્દો લખી ટહુકોના ભાવકો માટે મોકલવા બદલ શ્રી લલિતભાઇનો ખૂબ ખૂબ આભાર.

રચના : દયારામ
સ્વર : કૌમુદી મુનશી
સંગીત : નાનજી ભાઇ મિસ્ત્રી

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ
વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ

હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે
વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે
કહ્યુ ને તરછોડુ તોયે રીસ ન લાવે
કાંઇ કાઇં મિષે ઘેર આવી બોલાવે … હું શું જાણુ

એકલડી દેખે ત્યાં પાવ રે લાગે
રંક થઇ કાંઇ કાંઇ મારી પાસે માંગે
જ્યાં જ્યાં જ્યાંથી જાણે ત્યાંથી આડો આવી ઝુકે
દયાનો પ્રીતમ મારો કેડો નવ મુકે … હું શું જાણુ

હવે સખી નહિ બોલું – ભક્તકવિ દયારામ

ગીતઃ ભક્તકવિ દયારામ
સ્વરઃ લતા મંગેશકર

.

*****

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

કદાપિ નંદકુંવરની સંગે
હો મુને શશીવદની કહી છેડે
ત્યારની દાઝ લાગી છે રે મારે હૈયે

હવે સખી નહિ બોલું, નહિ બોલું….

ચંદ્રબીંબમાં લાંછન છે વળી રાહુ ગળે ખટ્ માસે રે
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે

હવે સખી નહિ બોલું, નહિ બોલું….

દયાના પ્રીતમને કહે સખી જ્યું શશીમુખ સરખું સુખ પાશે
કોટિ પ્રકારે હું નહિ આવું
કોટિ પ્રકારે હું નહિ આવું એવા પુરુષથી અડાશે રે

હવે સખી નહિ બોલું, નહિ બોલું….
નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
*****
આભાર : mavjibhai.com

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ … – દયારામ

આ ગીતની પૂરેપૂરી મઝા લેવી છે? Headphone ની વ્યવસ્થા કરો.. વિરાજ-બીજલ નો યુગલ સ્વર હોય એટલે ગીત સ્પેશિયલ તો થઇ જ જાય, અને આ ગીતનું રેકોડિંગ એવું સરસ છે કે એકબાજુ વિરાજનો અવાજ સંભળાય અને બીજી બાજુ બીજલનો..

અને આ વાત અહીં ખાસ એટલા માટે કહું છું કે તમે વિરાજ-બીજલને સાથે બીજા ગીતોમાં સાંભળ્યા હશે ( સૂના સરવરિયાને કાંઠડે – અવિનાશ વ્યાસ, પૂનમ તારા અજવાળા ઓછા રે પડ્યા – અવિનાશ વ્યાસ ) તો એ ગીતોમાં એમનો અવાજ એવો તો એકાકાર થઇને આપણા સુધી પહોંચે છે કે – જાણે એક જ વ્યક્તિનો સ્વર હોય..!

સ્વર : વિરાજ – બીજલ ઉપાધ્યાય
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈ
રાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ
બીજું કૈં નહીં કૈં નહીં… વુંદાવનમાં…

નૂપુરચરણ કનકવરણ ઝાંઝર જોડો
ઘુંઘરીયાળો કટી ઓપે કંદોરો
મોરમુકુટ મણી વાંકડો અંબોડો
કુંડલકાન, ભ્રુકુટી તાન, નૈનબાણ કંપમાન
તાળી લૈ લૈ લૈ… વુંદાવનમાં…

વાગે તાલ ને કરતાલ સંગ તાળી
કોઇ તંબુરો ને કોઇ મૃદંગવાળી
મદનગાન મુખ્ય ગાયે વનમાળી
બોલે બૈન, સુધા સૈન, મોહન નૈન, પ્રગટ ચૈન
હ્રદય દૈ દૈ દૈ… વુંદાવનમાં…

મુકુટમાંહી રૂપ દીઠું રાધાએ
મનમાં માનિની વિમાસણ થાયે
હુંથી છાની બીજા છે મુકુટ માંહે
બહુ વ્હાલી, હઠ ઝાલી, ઊઠી ચાલી
દયા પ્રભુ જય જય જય… વુંદાવનમાં…