Category Archives: રાજેન્દ્ર શાહ

મન મ્હેં ત્હારું જાણ્યું ના – રાજેન્દ્ર શાહ

સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : ગાર્ગી વોરા
આલબમ : શબ્દનો સ્વરાભિષેક 4

.

મન મ્હેં ત્હારું જાણ્યું ના, જાણ્યું ના :
આંગણે જેને ઇજન દીધું
ઘરમાં એને આણ્યું ના …

વન-પારેવાં કરતાં કેલિ,
માલતી-ફુલે વેલ ઝૂકેલી ,
નેણથી ઝરી નૂરની હેલી,
હોઠ બે ત્હારા ફરક્યા આતુર
તોય મ્હેં ઝીલ્યું ગાણું ના…

ભૂલમાં કેવી ભૂલ કીધેલી,
ઉરની ભણી આંખ મીંચેલી,
મ્હેં જ મને ના ઓળખી વહેલી,
પૂનમ ખીલી પોયણે , સુધા
પાન મ્હેં ત્યારે માણ્યું ના…

– રાજેન્દ્ર શાહ

ગ્લૉબલ કવિતા : ૨૨૨ : નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ


જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ…

ભાગ્યે જ આપણી કોઈ પણ ક્રિયા કારણોથી પર હશે. આપણી દરેક ક્રિયાની પાછળ કોઈને કોઈ હેતુ જરૂર હોય છે. કહેવું હોય તો કહી શકાય કે કાર્યકારણનો સંબંધ અજવાળા-પડછાયા જેવો અવિનાભાવે સંપૃક્ત છે. આપણો લાલો કદી લાભ વિના લોટતો નથી. પરંતુ આમાં આપણો કોઈ વાંક પણ નથી. સંસારનો આ જ વણલખ્યો નિયમ છે. શ્રીકૃષ્ણ ભલે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन કહી ગયા, પણ જગતમાં ભાગ્યે જ કોઈ સંતપુરુષ હશે જે નિસ્પૃહતાથી કામ કરતો હોય… જો કે આજે આપણે જે કવિતા વિશે વાત કરવી છે, એ ઉદ્દેશનો એકડો કાઢીને જીવવાની જ વાત કરે છે. જોઈએ…

અનુગાંધીયુગીન કવિઓમાં કપડવણજના રાજેન્દ્ર કેશવલાલ શાહ પ્રમુખ સ્થાન ધરાવે છે. સત્તરેકની વયે અસહકારની લડતમાં જેલભેગા થયા અને સ્વાતંત્ર્યસંગ્રામના ગીતોએ જ એમને કવિતા ભણી પ્રેર્યા. આધ્યાત્મ, પ્રકૃતિ અને રમ્ય કલ્પનોની તાજગીના હૃદયંગમ નવોન્મેષ ઉપરાંત એમના કાવ્યો લયની લીલાથી, નવીન કથનરીતિથી અને જીવનમર્મના નિરૂપણથી ધ્યાનાકર્ષક બન્યાં છે. ‘રામવૃંદાવની’ તખલ્લુસથી ગઝલોય લખી. વિપુલ કાવ્યસર્જન છતાં ઇમેજગ્રસ્ત ન થતા કવિ સ્વાનુકરણ અને સ્વાનુરણનથી અળગા રહી શક્યા હતા.

કવિની પ્રગટ થયેલી પ્રથમ રચના ‘હોળી-ધુળેટી’ સૉનેટ પણ ‘નિરુદ્દેશે’ કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ધ્વનિ’ (૧૯૫૧)નું પ્રથમ કાવ્ય છે. એટલે એમના મુદ્રિત જીવનનું પ્રથમ પૃષ્ઠ પણ કહી શકાય. વળી એ કવિની સિગ્નેચર પૉએમ કે બ્રાન્ડ એમ્બેસડર પણ છે. એ કવિનો પરિચય તો આપે જ છે, એમની આગળની કાવ્યયાત્રાનો સંકેત પણ આપે છે. જેમ મહાદેવના મંદિર માટે નાંદી, એમ રા.શા.ના કવન માટે આ કાવ્ય.

‘નિરુદ્દેશે’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. ઉદ્દેશ વિના. આશય વિના. શીર્ષક બે ઘડી વિચારતા કરી દે એવું છે. કારણ, કારણ વગર તો આપણે પ્રેમમાંય કશું લેતા-દેતા નથી. આપણાં તો સઘળાં સગપણ વાડકીવ્યવહારથી ચાલનારાં. પણ કવિ તો શીર્ષકમાં જ ઉદ્દેશનો એકડો કાઢી નાંખે છે. બંધારણની રૂએ આ રચના અષ્ટકલની ચાલમાં ચાલતું ગીત છે. મુખબંધ સાથે અંત્યાનુપ્રાસ ધરાવતી ત્રણ કડીઓ અને ધ્રુવપદ સાથે તાલ પુરાવતી પૂરકપંક્તિ સાથેના બે બંધ એનું બંધારણ. આમ, સ્વરૂપસન્નિધાન તો પ્રચલિત ગીત જેવું જ છે, સિવાય કે બંને બંધમાં સામાન્યતઃ યોજાતી બે કડીઓના સ્થાને ત્રણ-ત્રણ કડીઓ છે. સામાન્ય ગીતરચના કરતાં અડધી લંબાઈ ધરાવતી પંક્તિઓ અને બેના સ્થાને ત્રણ કડીઓના ઉપયોગથી ગીત દ્રુતગતિએ આગળ વધે છે. ગીતનો ઉપાડ અનૂઠો છે. એક જ શબ્દનું શીર્ષક ગીતનું ધ્રુવપદ પણ છે. ઉપાડ અને શીર્ષક એક જ રાખીને કવિએ ઉદ્દેશની ગેરહાજરીને ન માત્ર અધોરેખિત કરી છે, હાઈલાઈટ પણ કરી છે. કહેવા ધારેલી વાતમાં ધાર્યું વજન મૂકવા માટે કવિએ અન્ય શબ્દોનું વજન મૂકવું ત્યાગ્યું છે. સાચા કવિકર્મના પરિચયની શરૂઆત છે આ.

નિરુદ્દેશે. પણ શું?

શીર્ષકમાં જન્મેલ અને ધ્રુવપદ સુધી આવતાં બેવડાયેલ કુતૂહલનો ખુલાસો તુર્ત જ થાય છે. નિરૂદ્દેશે સંસારમાં મુગ્ધ ભ્રમણ! ‘મુગ્ધ’ શબ્દ પર બે ઘડી અટકીશું? મુગ્ધતા ક્યાં બાળકને હસ્તગત હોય ક્યાં કવિને. મુગ્ધતા ગુમાવી બેસે એ કદી સારો કવિ બની ન શકે. દુનિયા તો બધા માટે સરખી જ છે, પણ મુગ્ધતાના ચશ્માં પહેર્યાં હોય તો જગત અને જગત્જન અલગ જ નજરે ચડશે. વિસ્મયના પ્રતાપે જ સાર્વત્રિક અનુભૂતિ નોખી ભાત ઝીલીને વૈયક્તિક બનીને કાગળ પર અવતરે છે.

૧૯૧૫માં ગાંધીજી આફ્રિકાથી પરત ફર્યા ત્યારે ક્યાંથી શરુ કરવું એ પ્રાણપ્રશ્ન હતો. ગોખલેએ એમને સીધું દેશસેવામાં જોતરાવાના બદલે વરસેક ભારતભ્રમણ કરીને દેશની વાસ્તવિકતા પ્રત્યક્ષ અનુભવવાની સલાહ આપી હતી. ગાંધીજી પહેલાં અને પછી કદાચ ભાગ્યે જ કોઈએ દેશને આટલો નજીકથી જોયો-જાણ્યો હશે. કદાચ એટલે જ ગાંધીજી દેશની નાડ આબાદ પકડી શક્યા હતા. કવિ સંસારભ્રમણ તો ઝંખે છે પણ નિરાશય. વળી, એમને સાજશણગારનીય તમા નથી. પાંશુમલિન વેશે અર્થાત ધૂળથી મેલાઘેલા વદને જ તેઓ આ કામ પાર પાડવા માંગે છે. દુનિયાને આત્મસાત્ કરવાની આ પ્રાથમિક શરત છે. ઇસ્ત્રીટાઇટ કપડાં પહેરીને ગાડીમાં નીકળનાર દુનિયામાંથી માત્ર પસાર જ થઇ શકે છે. દુનિયા એમની સાથે આદાનપ્રદાન કરતી નથી. લોકમાં ભળવું હોય, કંઈક મેળવવું હોય તો સ્વને ઢાંક્યા વિના યથાતથ રજૂ કરવો પડે. જાત પાર વાઘાં ચડાવ્યાં નથી કે દુનિયા કોશેટામાં સંકોરાઈ નથી. ધૂળમાં રજોટાયેલ વેશનો એક અર્થ પ્રકૃતિ સાથે તદરૂપ પણ કરી શકાય.

કવિ ફોડ પડતા નથી પણ કવિતા કરવા માટેની સર્વપ્રથમ અને મૂળભૂત શરત અહીં સમાન્તરે રજૂ થઈ છે. કોઈપણ જાતના હેતુ અને આડંબર વિના સ્વથી સર્વ સુધી જનાર જ સાચો કવિ બની શકે. નિરંજન ભગતનું ‘હું તો બસ ફરવા આવ્યો છું!’ કાવ્ય તો યાદ આવશે જ, સાથોસાથ રાજેન્દ્ર શાહનો જ એક પંક્તિનો ઉપનિષદ પણ સ્મૃતિપટલ પર ઝળકી ઊઠશે: ‘ઘરને ત્યજી જનારને /મળતી વિશ્વ તણી વિશાળતા.’

પ્રથમ અંતરામાં ‘ક’ અને ‘ન’ની વર્ણસગાઈના કારણે લય વધુ પ્રવાહી બન્યો છે. ‘ન’નું નાદમાધુર્ય તો ગંધ, કંઠ, રંગ અને સન્નિવેશની મધ્યેથી પણ સાંભળવું ન ચૂકાય એવું મધુર છે. નિરુદ્દેશ ભ્રમણ દરમિયાન ક્યારેક પુષ્પોની સુગંધ કવિને આવી વળગે છે તો ક્યારેક કોકિલ એમને જ સાદ ન કરતો હોય એમ વહાલ કરે છે. પુષ્પો અને પક્ષીઓ તો આપણી આસપાસ ચારેતરફ છે જ. ખુશબૂ અને ટહુકાથી આપણી ઇન્દ્રિયોને ટકોરે પણ છે, પરંતુ આપને સહુ ઇન્દ્રિયબધિર છીએ. આંખો ખુલ્લી છે પણ કુદરતી સૌંદર્યની નોંધ લેવાને અસમર્થ. કાનમાં ટહુકા તો પડે છે પણ ચેતના સુધી પહોંચતા નથી. સુગંધ ઘ્રાણેન્દ્રિયને તર કરવા મથે છે, પણ નાકને કઈ પડી જ ન હોય એમ આગળ વધી જાય છે. ટૂંકમાં ચોતરફ વિખરાઈ પડ્યો છે કુદરતનો સામાન, પણ આપણું નથી ધ્યાન, નથી ભાન. કવિ તો જો કે જમાનાથી અલગારી જ હોવાનો! પ્રકૃતિ જ કવિની સાચી પ્રકૃતિ છે. બધાને દેખાતું છતાં વણદેખાતું હોય એ કવિ જુએ છે. જંગલમાં બેધ્યાનપણે ચરતું હરણ પળેપળ જોખમોની સંભાવનાઓ બાબતે સતર્ક જ હોય, એમ સંસારમાં નિસ્પૃહભાવે ફરતો કવિ પણ સજાગઇન્દ્રિય જ હોવાનો. એટલે જ દાખલા ભલે કુસુમ-કોકિલાના જ આપ્યા હોય, નેણ તો અખિલાઈના તમામ રંગો નિહાળી ઘેલાં થાય છે. દુનિયા જેને જોયું-ન જોયું કરે એ પ્રકૃતિને જોઈને કવિ પાગલ થઈ જાય છે. કારણ? કારણ લબરમૂછિયા ઉમાશંકરના પ્રથમ કાવ્ય ‘નખી સરોવર ઉપર શરતપૂર્ણિમા’ની આખરી કડીમાંથી જડે છે: ‘સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.’ ઈંદ્રિયબાહ્યતા છોડીને ઇન્દ્રિયગ્રાહ્યતા સેવે એ કવિ. જગતના સૌંદર્યને નિર્બંધ માણી લેવાની ઇચ્છા કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે.

આ નિરુદ્દેશ સ્વૈરવિહારમાં કોઈ દિશા નિર્ધારિત નથી. મન લઈ જાય ત્યાં પ્રેમના સન્નિવેશે જવાનું છે. સન્નિવેશના એકાધિક અર્થ લઈ શકાય. ગાઢ સંબંધ, જોડાણ કે સંયોગ એમ અર્થ લઈએ તો કહી શકાય કે જગતના અલગ અલગ તત્ત્વોને અને આપણા આંતર્જગત-બહિર્જગતને પ્રેમ એકમેક સાથે જોડી આપે છે. પ્રેમનું રસાયણ બધાને સંયોગીને એકત્વ બક્ષે છે. સંનિવેશનો બીજો અર્થ પ્રવેશ કે સામીપ્ય થાય. પ્રેમ જ્યાં પ્રવેશ કરાવે કે જેની સમીપ લઈ જાય ત્યાં કવિ જવા તૈયાર છે. એક અર્થ સ્થાન કે મુકામ પણ થાય. મન લઈ જાય ત્યાં કવિ જવા તૈયાર છે પણ ત્યાં પ્રેમ વસતો હોવો જોઈએ. ટૂંકમાં અર્થ કોઈ પણ લો, મહત્વ પ્રેમનું છે. કવિ પ્રેમને આધીન છે. પ્રેમ હોય ત્યાં જ કવિનું ગંતવ્ય હોવાનું.

કવિ કોઈપણ લાલસા, મહત્વાકાંક્ષા કે આશય-ઉદ્દેશ વિના મેલાઘેલા વેશે દુનિયામાં પ્રેમનો તંતુ ઝાલીને અને તમામ ઇન્દ્રિયોને નિર્બંધ કરીને મ્હાલવા નીકળી તો પડ્યા છે, પણ ક્યાં અને કઈ રીતે એ જોઈએ. પહેલા બંધમાં બહિર્જગત વડે કવિનું આંતર્જગત તરબોળ થતાં ઉભયનું સાયુજ્ય સ્થપાય છે. પુષ્પોની ગંધ માત્ર નાસિકા સુધી નહોતી, એ તો એમને આખાને આખા આલિંગી લેતી હતી. કોકિલ માત્ર નિજાનંદ માટે કે કોયલને રિઝવવા જ નહોતો ગાતો, એ તો જાણે કવિને જ સાદ કરતો હતો. પ્રેમના જોડાણથી આંતર-બાહ્ય બંને વિશ્વને એકરૂપ કર્યા બાદ આગળના બંધમાં કવિનું ભ્રમણ તો આગળ વધે જ છે, પણ એની થોસાથ કવિનો ‘ઉદ્દેશ’ પણ છતો થાય છે. લ્યો! વાત તો નિરુદ્દેશની હતી ને! ત્યાં આ ઉદ્દેશ ક્યાંથી આવી ચડ્યો?

સાચી વાત છે. ગમે એ હોય, કવિ પણ આખરે તો માણસ જ ને! કહે છે, કોઈએ જે રસ્તો નહીં લીધો હોય એ રસ્તો હું લેનાર છું. રૉબર્ટ ફ્રોસ્ટનું ‘રોડ નોટ ટેકન’ કાવ્ય તુર્ત જ સ્મરે. જે રસ્તા પર ભાગ્યે જ કોઈ ગયું હશે એ રસ્તો પસંદ કરીને કવિ કહે છે, કે યુગયુગો બાદ કદાચ હું આમ કહીશ કે મેં ઓછો ખેડાયેલ માર્ગ પસંદ કર્યો એનાથી જ તફાવત પડ્યો છે. ૧૯૧૫માં પ્રગટ થયેલ આ વિશ્વવિખ્યાત રચનાનો ૧૯૧૩માં જન્મેલા કવિની આ કવિતા પર પ્રભાવ છે કે કેમ એ કહેવું તો મુશ્કેલ છે પણ કવિએ જે-તે સમયે બીજા કવિઓ જે કેડી પર ચાલતા ડરતા હતા એ કેડી પસંદ કરી હતી એ વાત ચોક્કસ છે. ગુલામીના અંતિમ અને આઝાદીના પ્રારંભિક વર્ષો દરમિયાનની ગાંધીયુગીન કવિતા સમાજ પરત્વેના દાયિત્વથી ગ્રસિત હતી. પ્રહલાદ પારેખની સાથોસાથ નિરંજન ભગત અને રાજેન્દ્ર શાહે તત્કાલીન સ્વાતંત્ર્યોત્તર કવિતાને એના કથિત સામાજિક કર્તૃત્વ અને ગાંધીપ્રભાવથી મુક્ત કરી શુદ્ધ કાવ્યતત્ત્વની આરાધનાની નૂતન કેડી કંડારી હતી. કવિએ કંડારેલી કેડીએ એમના સમકાલીન અને ત્યાર બાદના કવિઓને ખૂબ પ્રભાવિત કર્યા છે. પોતે કોઈ પંથ લેવા તૈયાર નથી અને જ્યાં પગ મૂકશે ત્યાં પોતાની કેડી રચશેનો જે ધનુર્ટંકાર એમણે પ્રથમ સંગ્રહના પ્રથમ કાવ્યમાં કર્યો હતો, એ સાચો સાબિત થયો.

તેજછાયાના આ પૃથ્વીલોકમાં કવિ પોતાની વીણા પર પૂરવી રાગિણી છેડવા ચહે છે. સુખદુઃખ જીવનમાંથી બાદ કરી શકાવાના નથી પણ વાદ્ય પોતે જ પ્રસન્ન હોય તો સંગીત પણ સુમધુર જ રેલાશે. જીવન નિરુદ્દેશ અને મુગ્ધતાપૂર્ણ હોય તો જ વાદ્ય પ્રસન્ન રહે. વીણા વિદ્યાદેવી સરસ્વતીનું વાદ્ય પણ છે. એટલે પ્રસન્ન વીણાની સુરાવલિનો સંદર્ભ સીધો પ્રસન્નતાના કાવ્યો સાથે જોડાય છે. કવિની બેડી, જીવનનૌકા આનંદસાગરમાં સરતી જાય છે. સરવું અને તરવું ક્રિયાપદ વચ્ચે પણ બારીક તફાવત છે. તરવું સકર્મક ક્રિયા છે. હોડીને તરાવવાને હલેસાં જરૂરી છે પણ સરવું અકર્મક છે. હોડીના સરવામાં ખલાસીનું કર્તૃત્વ તો નીકળી જ જાય છે, પાણી પણ શાંત હોવાનું અભિપ્રેત છે. મતલબ, કવિની નૈયા અનાયાસ આનંદસાગરમાં સરી રહી છે. સાગર પણ આનંદનો છે, કેમકે ભ્રમણ નિર્હેતુક છે.

કાવ્યાંતે કવિ કહે છે કે હું જ સૌની સાથે વિલસું છું અને કશું ન હોય ત્યારે જે બચી જાય એય હું જ છું. अपारे काव्य संसारे कविरेव प्रजापतिः| કવિ પોતાના સર્જનવિશ્વનો બ્રહ્મા છે. સર્જનના અક્ષરેઅક્ષરમાં એ વિલસે છે, એની ઉપસ્થિતિ છે. અને તમામ સર્જનથી તટસ્થ પણ એટલો જ. કવિતા લખી દીધા પછી એના પર એનો એક ભાવક જેટલો જ અધિકાર શેષ રહે છે. આ જ રીતે કવિ સમગ્ર સંસાર સાથે પ્રેમના સન્નિવેશે તાદાત્મ્ય પણ સેવે છે, અને સમગ્ર સંસારથી અલિપ્ત પણ છે. સંસારમાં જન્મ્યા હોવાથી સંસારના કણેકણમાં તેઓ પોતાને અનુભવે છે, અને એમાં જ શેષરૂપે રહી પણ જશે. આ પ્રકારે એકીસાથે સાર્વત્રિક ઉપસ્થિતિ અને અનુપસ્થિતિ અનુભવીને આનંદસાગરમાં એ જ સરી શકે જેની મુગ્ધતા આ ઇહલોકમાં અકબંધ બચી હોય અને દુનિયા પાસેથી કશું મેળવવાનો ઉદ્દેશ ન હોય. પ્રકૃતિનો વૈભવ બધા માટે હોવા છતાં એ બધાને પ્રાપ્ય નથી. પ્રકૃતિ નોખી હોય એ જ પ્રકૃતિને પામી શકે! પ્રકૃતિને પામવાની કૂંચી નરી મુગ્ધતામાં રહેલી છે. પ્રકૃતિના રહસ્યો સમજે એને જીવનસત્ય સમજાવા માંડે છે.

અંતે, કવિના જ એક કાવ્ય ‘પ્રવાસી’થી સમાપન કરીએ:

પ્રવાસી છું ભીતરના અસીમનો,
ને હું મનોવેગ ધરંત વાંછિત;
છતાંય જાણે અહીંનો અહીં સ્થિત !
ન ભેદ મારે ગતિ ને વિરામનો.

લહું ઘણું, ને ઘણું ય અલક્ષિત
રહી જતું સૂચિત થાય ઇંગિતે;
અજાણનો આદર હું કરું સ્મિતે,
પળે પળે નૂતન છે અપેક્ષિત.

આવી મળે તે મુજમાં સમન્વિત.
ને સંચરું તે પથ જે તિરોહિત.

ઝલમલ ઝલમલ નદીજલ લહરી — રાજેન્દ્ર શાહ 

પઠન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

ઝલમલ ઝલમલ નદીજલ લહરી, પવન વહે પણ મલમલ,
પૂરવ ગગનને અરૂણ કિરણ મૃદુ વિકસત રક્ત કમલદલ,
મધુ પરિમલ રત અલિગણ ગુંજે,
મુકુલિત કલરવ નિખિલ નિકુંજે;
કહીં, પ્રિય!

કહીં તુમ નિવસત? નયનન વિકલ ભમે મુજ થલથલ,
ઝલમલ ઝલમલ નદીજલ લહરી, પવન વહે પણ મલમલ,
અકુલ ગગન લગ અગનસીમ, અવ લુપ્ત શીતલ પથછાયા,
તરસત હ્ર્દય લુભાવત ખલ છલનામય મૃગજલમાયા,
અલસ સમીર, ન કિસલય કંપે,
કૂજનરવહીન ખગ નીડઅંકે,
કહીં પ્રિય!

કહીં તુમ નિવસત? રે મુજ ભ્રમણકલાન્ત દગકાયા,
અકુલ ગગન લગ અગનસીમ, અવ લુપ્ત શીતલ પથછાયા,
અતલ તિમિર, તંદ્રિત નભ-તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ,
શૂન્ય રજની ત્રમ ત્રમ ઉર વીંધત મૂર્છિત સ્વ્પ્ન સૂકોમલ
દલદલ કુસુમ ઝરે અવની પર,
પરિમલમય દિગદિગન્ત અંબર;
કહીં પ્રિય! 

કહીં તુમ નિવસત? નયનન શિશિર-સલિલ-સર છલછલ, 
અતલ તિમિર, તંદ્રિત નભ-તારલ-દ્યુતિ ક્ષીણ ટમકત ટલમલ.
— રાજેન્દ્ર શાહ 

સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

ટહુકોની બે એરિયા ટીમના કલાકારોના સ્વરમાં આ ગીત ફરી એકવાર સાંભળીએ.

સ્વર ઃ આણલ અંજારિયા, અચલ અંજારિયા, હેતલ બ્રહ્મભટ્ટ, નિકુંજ વૈદ્ય

*******
Posted in August 2009

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત શેઠ

.

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!

– રાજેન્દ્ર શાહ

બોલીએ ના કંઈ -રાજેન્દ્ર શાહ

થોડા દિવસ પહેલા જ હિમાંશુભાઇએ આ ગીત યાદ કરાવ્યું, અને ઊર્મિની ગાગરમાંથી આ મોતી મળી પણ ગયું. તો આજની આ પોસ્ટ ઊર્મિના ગાગરમાંથી એની પરવાનગી વગર ઊઠાંતરી..!! 🙂

*************

જ્યાં ને ત્યાં હૃદય ખોલવાની આપણી (કુ)ટેવને કવિ અહીં પ્રેમથી ટકોરે છે. સામેની વ્યક્તિ આપણી એની સમક્ષ હૃદય ખોલવાને લાયક છે કે નહીં એ સમજ્યા કે ચકાશ્યા વગર જ મોટેભાગે આપણે આપણી વ્યથાની કથા કરતા રહીએ છીએ, જે બીજાને મન તો ક્યારેક માત્ર રસની કથા જ હોય એવુંય બને. એટલે જ થોડું મોઘમ રહીને ચૂપ રહેતા શીખવે છે આ ગીત.

– ઊર્મિ

wlart0010z-sml
(આપણું હૃદય ખોલીએ ના કંઈ…   ફોટો: વેબ પરથી)

બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ, વેણને રહેવું ચૂપ;
નેણ ભરીને જોઈ લે, વીરા!
વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ!

વનવેરાને મારગ વિજન,
સીમ જ્યાં સૂની ગુંજતી કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુજન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!

આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા.
જીરવી અને જાણીએ, વીરા!
પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ!

– રાજેન્દ્ર શાહ

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? – રાજેન્દ્ર શાહ

સ્વર – હરીહરન
સ્વરાંકન – અજિત શેઠ

આપણા દુ:ખનું કેટલું જોર ?

ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

ભારનુ વાહન કોણ બની રહે?
નહી અલૂણનું કામ, આપણ તો બડભાગી,
ખમીરનું આજ ગવાય રે ગાન;
સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

જલભરી દ્રગ સાગર પેખે,
હસતી કમળફૂલ, કોકડું છે પણ રેશમનું,
એનું ઝીણું વણાય દુકૂલ;
નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

આપણે ના કંઈ રંક,
ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
આવવા દો જેને આવવું આપણે, મૂલવશું નિરધાર;
આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.
ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?

-રાજેન્દ્ર શાહ

સાંવર થોરી અંખિયનમેં …. – રાજેન્દ્ર શાહ

સૌ ને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ.. રંગભરી.. પિચકારીભરી.. ગુલાલભરી.. શેકેલું નારીયેળ અને ધાણીભરી શુભેચ્છાઓ.!

સ્વર – કૌમુદી મુન્શી
સ્વરાંકન – નીનુ મઝુમદાર
પ્રસ્તાવના – હરીન્દ્ર દવે

( ઐસો રંગ ન ડાલ……… )

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયા તું ઐસો રંગ ન ડાલ, નાગર સાંવરિયો.

તું નંદલાલરો છકેલ છોરો, મૈં હું આહિર બેટી રી,
ફૂલન હાર ગલે મેં, દૂજી હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ, નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.

હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં, વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કિસીકી સુન નહિ પાવે, અપની ધૂન મચાવે રી;
હો રંગરંગમેં હિલમિલ રુમઝુટ ખેલત ભયે નિહાલ,નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.

– રાજેન્દ્ર શાહ

(શબ્દો માટે આભાર – વેબમહેફિલ.કોમ)

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

આ ૨ જાન્યુઆરીએ આપણે દિલીપકાકાને ગુમાવ્યા – અને એ જ દિવસ એટલે આપણા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર શાહની પહેલી પુણ્યતિથી. તો આજે એમનું આ ગીત માણીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

****

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
કવાથ કુલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે – રાજેન્દ્ર શાહ

લયસ્તરો પર યાદગાર ગીતો શ્રેણીમાં આ ગીત મુકવાનું હતું, ત્યારે પહેલીવાર સાંભળ્યું. અને thanks to wordpress technical problem, આખા દિવસમાં ૧૦-૧૨ વાર આ ગીત સાંભળવું પડ્યું – music file play થાય છે કે નહીં એ જોવા માટે આમ તો એક ક્લિક કરીને બંધ કરી શકાય… પણ જેટલીવાર ક્લિક કર્યું – આખું ગીત સાંભળ્યું! પણ ગીત એટલું તો ગમી ગયું, કે બીજા ૧૦-૧૨ વાર બસ એમ જ સાંભળ્યાં જ કર્યું.. વિવેકે કહ્યું તેમ – આ કાવ્ય વાંચો, સમજો તો ખ્યાલ આવે કે ગુજરાતી કવિતા શી ચીજ છે? !!

(નિખિલનો એક રંગ   … Lone Cypress, 17 Mile Drive, CA)

સંગીત : અજીત શેઠ
સ્વર : ?

સ્વર : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

.

સ્વર : હરિશ્ચંદ્ર જોશી
આલબમ : સંગત
સ્વરાંકન : હરિશ્ચંદ્ર જોશી
સંગીત : સુરેશ જોશી

.

નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.

કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.

– રાજેન્દ્ર શાહ

————
(લયસ્તરો પર ‘યાદગાર ગીતો’ શ્રેણીમાં આ ગીતની સાથેની ધવલભાઇની પ્રસ્તાવના અહીં એમના જ શબ્દોમાં..!)

કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. કવિના પોતાના ગીતોમાં પણ આ શ્રેષ્ઠ ગણાય છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. ગીતનો ઉપાડ જ એવો મઝાનો છે : કવિનું ભ્રમણ બંધન વિનાનું અને મુગ્ધ છે. શરીર ઘૂળથી રગડોયાયેલું છે. દુનિયાના દરેક સૌંદર્ય તરફ કવિ સહજતાથી પોતાની જાતને ખેંચાવા દે છે. પોતાના આગવા કદમે કવિ નવી કેડી કંડારતા જાય છે. પોતાનો આગવો માર્ગ, આગવો અવાજ અને આગવો આનંદ એ જ કવિનો મુકામ છે. કવિને સંગ પણ પોતાની જાતનો જ છે અને છેલ્લે એકલા પડે ત્યારે પણ સાથે પોતાની જાત જ બાકી રહે છે !

(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં – રાજેન્દ્ર શાહ

અમરભાઇને રૂબરૂમાં સાંભળવા એ ખરેખર એક લ્હાવો છે. કોઇ પણ કવિતા કે ગઝલ રજૂ કરવાની એમની આગવી રીત જાણે આપણને કવિ-કવિતાની થોડી વધુ નજીક લઇ જવામાં મદદ કરે છે.

અને અમદાવાદીઓને એ લ્હાવો અવારનવાર મળતો રહે છે.. વધુ એક એવો જ લ્હાવો મળશે જુન ૧૯મી એ… વધુ માહીતી માટે અહીં ક્લિક કરો.

કાવ્યસંગીત શ્રેણી – મરીઝ (૧૯ જુન, ૨૦૧૦ – અમદાવાદ)

પ્રસ્તાવના, સંગીત અને સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વારાભિષેક

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

કોણને એ મ્હોતી,
ને નેણ ભરી જોતી,
શું જાણ એને ન્હોતી ?
કે ચાંદલો બંધાણો પાણીનાં પાશમાં… પોયણી o

તમરાએ ગાન મહીં,
વાયરાને કાન કહી,
વન વન વાત વહી,
ઢૂંઢતી એ કોને આટલા ઉજાસમાં… પોયણી o

અંકમાં મયંક છે,
ન તોય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શિબાવરી બનેલ અભિલાષના હુતાશમાં… પોયણી o

-રાજેન્દ્ર શાહ

* ‘શબ્દનો સ્વારાભિષેક’ આલ્બમ ખરીદવાની ઈચ્છા ધરાવનાર અમેરિકામાં રહેતા મિત્રો અહીંથી માહિતી મેળવી શકે છે…!