Category Archives: નિરુપમા શેઠ

સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

ટહુકોની બે એરિયા ટીમના કલાકારોના સ્વરમાં આ ગીત ફરી એકવાર સાંભળીએ.

સ્વર ઃ આણલ અંજારિયા, અચલ અંજારિયા, હેતલ બ્રહ્મભટ્ટ, નિકુંજ વૈદ્ય

*******
Posted in August 2009

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત શેઠ

.

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!

– રાજેન્દ્ર શાહ

નિરૂપમા શેઠની વિદાય…

ગુજરાતી સુગમ સંગીતના કોકિલ-સ્વર.. નિરૂપમા શેઠ હવે આપણી વચ્ચે નથી રહ્યા. એમને હ્રદયપૂર્વકની શ્રધ્ધાંજલી. એમના કંઠે કેટલીયે રચનાઓને અમરત્વ આપ્યું છે. એમાંના જ થોડા ગીતો સાંભળી એમના અંતરની શાંતિ માટે પ્રાર્થના કરીએ.

ns

 

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે…

ખોબો ભરીને અમે એટલું હસ્યાં…

ઉંબરે ઉભી સાંભળું રે બોલ વ્હાલમના…

Nirupama started her musical journey at a tender age of 5 yrs in Gondal, Saurashtra. A natural born singer she soon graduated from singing for local programs and festivals to representing Gondal at state level, winning many trophies and medals. Her educational journey brought her to the big city of Mumbai (then Bombay), where she started studying in Wilson College. Here also her immense talent and melodious voice were soon recognized. She won several contests, competition etc. for her college, amongst the prestigious being THE GREAT CARUZO CONCERT. Her immense popularity gave her the nickname of ‘Nightingale of Wilson’ (Kokil Kanthi- voice of a nightingale).

Soon she became a major part and lead singer of ballets composed by late Shri ‘Avinash Vyas’. She was a constant feature at AIR and a regular singer with great music directors like Shri Bhanubhai Thaker, Shri Ajit Merchant, Shri Dilip Dholakia, Shri Ninu Mazumdar etc. Her consistent rise in the field of music was duly noted by the stalwarts of music industry and she was deservedly ‘singed up’ as an exclusive artiste of HMV.

It is during this ‘musical journey’, that she met her husband Shri Ajit Sheth, when they sang a memorable duet ‘Ghanshyam Gagan’ composed by Shri Ajeet Merchant which they sang in 1956 which brought them together in bonds of matrimony.

(સંગીત ભવન ટ્રસ્ટની વેબસાઇટ પરથી સાભાર)

માનવીના હૈયાને નંદવામાં વાર શી – ઉમાશંકર જોશી

૨૧ જુલાઇ, વ્હાલા કવિ-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસનો અને કવિ શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ..!

સ્વર – નિરુપમા શેઠ
સંગીત – અજીત શેઠ

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી

એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને

– ઉમાશંકર જોશી

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી

સૌ મિત્રોને વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૈયામાં પણ કાયમી વસંત આવે/રહે એવી શુભકામનાઓ.

Happy 2nd Birthday to KhusheeFrom Masi & Masa
Happy 2nd Birthday to Khushee

સ્વર : નિરુપમા શેઠ
સ્વર-નિયોજન : અજીત શેઠ

કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.

– ઉમાશંકર જોશી

(સૌજન્ય : લયસ્તરો / ઊર્મિસાગર)

મનહૃદયની ચેતના વસંતરૂપે ફરી નૂતન બનીને આવે ત્યારે એનાં ઓવારણા લેવાની વાત જ કેવી રોમાંચક લાગે !

મા મને કોઈ દી સાંભરે નૈ – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને એમની પૂણ્યતિથિને દિવસે શ્રધ્ધાંજલી.. ! (જન્મ – ૧૭ ઓગસ્ટ,૧૮૯૬ : અવસાન – ૦૯ માર્ચ, ૧૯૪૭). આ રવિન્દ્રનાથ ટાગોરનાં કાવ્યનો મેઘાણિએ કરેલો અનુવાદ છે. સાંભળીયે આ સુંદરગીત..!

સ્વર : નિરુપમા શેઠ
સંગીત : અજીત શેઠ

સ્વર : મુરલી મેઘાણી (કવિની સુપુત્રી)
સંગીત : ગૌરાંગ વ્યાસ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુ તુ તુ તુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય
મા જાણે હિંચકોરતી વઈ ગઈ
હાલાંના સૂર થોડા વેરતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ….

શ્રાવણની કોક કોક વે’લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

મા મને કોઈ દી સાંભરે નૈ…

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે
જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્દગ ચોડતી ગૈ

મા મને કોઈ દી સાંભરે નૈ…

– રવિન્દ્રનાથ ટાગોર

પાંચમી વર્ષગાંઠ સ્પેશિયલ: (કાવ્યસંગીત) પરથમ પરણામ મારા – રામનારાયણ પાઠક ‘શેષ’

આજે Father’s Day..! સૌને અમારા તરફથી Happy પપ્પા દિવસ..! આ સાથે આ પહેલા ટહુકો પર મૂકેલું ગીત – આજે ફરી એકવાર.

અને ટહુકોની પાંચમી વર્ષગાંઠની ઉજવણીમાં આજે જ્યારે ગુજરાતી સુગમ-સંગીત, કાવ્યસંગીતની વાત કરવાની જ હતી – તો આજના દિવસે તો આ ગીત જ યાદ આવે ને! વર્ષોથી આપણા સંગીતકારોએ કવિઓની ઉત્તમ કૃતિઓ સ્વર-સંગીતબધ્ધ કરી આપણા સુધી પહોંચાડી છે. અને કાવ્યસંગીતની સાથે જ એટએટલા ગીતો અને નામો યાદ આવી જાય કે બધું લખવા જઇશ તો પ્રસ્તાવનાને બદલે નિબંધ જ લખાઇ જશે. (આ સાથે જ એક વિચાર આવ્યો – આ દર વર્ષે પરિક્ષામાં ‘મારી ગમતી ઋતુ, મારો ગમતો તહેવાર’ એવા વર્ષોથી પૂછાતા આવેલા અને વર્ષોથી ‘ગાઇડ’માં જોઇ જોઇને ગોખાતા આવેલા નિબંધ લખવાના આવે, એને બદલે – મારું ગમતું ગીત.. મારા ગમતા કવિ.. કે મને ગમતા સંગીતકાર – એવો નિબંધ કેમ નહીં પૂછાતો હોય?)

સોરી હોં! લાગે છે ગાડી જરા આડે પાડે ચડી ગઇ..! ચલો, fine ભરવો પડે એ પહેલા ગાડી સુગમ-સંગીતને રસ્તે પાછી લઇ આવું – અને સંભળાવું આ મઝાનું ગીત.
_______________________
Posted on September 4, 2009

જેટલીવાર આ ગીત સાંભળું એટલીવાર આંખો ભરાઇ આવે… ભગવાન જો એ ઘડીએ સામે આવે તો બસ એવી પાંખો માંગું કે ઉડીને મમ્મી-પપ્પા પાસે અમદાવાદ પહોંચી શકું..! ગીતના શબ્દો.. રાગ… નિરુપમા અને ફાલ્ગુની શેઠનો અવાજ.. બધું મળીને કંઇક એવો જાદુ કરે છે કે ગમ્મે એવી સ્થિતીમાં પણ બધુ છૉડીને મમ્મીભેગા થઇ જવાનું મન થઇ જાય.

સ્વર: નિરુપમા શેઠ, ફાલ્ગુની શેઠ
સંગીત : અજિત શેઠ

.

પરથમ પરણામ મારા, માતાજીને કહેજો રે,
માન્યું જેણે માટીને રતન જી;
ભૂખ્યાં રહૈ જમાડ્યાં અમને, જાગી ઊંઘાડ્યા,એવાં
કાયાનાં કીધલાં જતન જી.

બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે
ઘરથી બતાવી જેણે શેરી જી;
બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે,
ડુંગરે દેખાડી ઊંચે દેરી જી.

ત્રીજા પરણામ મારા, ગુરુજીને કહેજો રે
જડ્યાં કે ન જડિયા, તોયે સાચા જી;
એકનેય કહેજો એવા સૌનેય કહેજો, જે જે
અગમ નિગમની બોલ્યા વાચા જી.

ચોથા પરણામ મરા, ભેરુઓને કહેજો રે
જેની સાથે ખેલ્યા જગમાં ખેલ જી;
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા;
હસાવી ધોવરાવ્યા અમારા મેલ જી.

પાંચમાં પરણામ મારા વેરીડાને કહેજો રે
પાટુએ ઉઘાડ્યાં અંતર દ્વાર જી;
અજાણ્યા દેખાડ્યા અમને ઘેરા ઉલેચાવ્યા જેણે
ઊંડા ઊંડા આતમના અંધાર જી,

છઠ્ઠા પરણામ મારા જીવનસાથીને કહેજો રે
સંસારતાપે દીધી છાંય જી;
પરણામ વધારે પડે, પરણામ ઓછાયે પડે
આતમને કહેજો એક સાંઇ જી.

સાતમા પરણામ, ઓલ્યા મહાત્માને કહેજો રે
ઢોરનાં કીધાં જેણે મનેખ જી;
હરવાફરવાના જેણે મારગ ઉઘાડ્યા રૂડા
હારોહાર મારી ઊંડી મેખ જી.

છેલ્લા પરણામ અમારા, જગતને કહેજો જેણે
લીધા વિના આલ્યું સરવસ જી;
આલ્યું ને આલશે, ને પાળ્યાં ને પાળશે, જ્યારે
ફરી અહીં ઊતરશે અમારો હંસ જી.

– રામનારાયણ પાઠક : ‘દ્વિરેફ’, ‘શેષ’, સ્વૈરવિહારી’

——————-
Posted on September 4, 2009
અને હા… કવિ શ્રી કૃષ્ણ દવેને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.. 🙂

સુખના સુખડ જલે રે – વેણીભાઇ પુરોહિત

આજે સાંભળીએ વેણીભાઇ પુરોહિતનું આ મઝાનું ગીત, અજિત-નિરૂપમા શેઠના યુગલ સ્વરમાં. વર્ષો જુનું live recording છે, એટલે audio file માં થોડું disturbance આવે છે – ચલાવી લેશો ને? 🙂

સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

( સુખડ જલે ને થાય….    Photo: Internet)

.

સુખના સુખડ જલે રે મારા મનવા!
દુઃખના બાવળ બળે,
સુખડ જલે ને થાય ભસમની ઢગલી
ને બાવળના કોયલા પડે.
મારા મનવા! તરસ્યા ટોળે વળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે;
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસે.
રે મનવા ! કોઇ મગન સંન્યાસે.

સુખના સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા, રે મનવા!
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના રે મુખિયા.
રે મનવા ! કોઈ મંદિરના મુખિયા.

સમદુખિયાનો શંભુમેળો
ભવમાં ભેળો મળે, મળે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

સુખનાં સુખડ જલે રે
મારા મનવા !
દુઃખના બાવળ બળે.

છેલછબીલે છાંટી મુજને – પ્રિયકાંત મણીયાર

સૌને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! ફાગણસુદ પડવોના દિવસે મુકેલો જય વસાવડા લિખિત લેખમાં આ ગીતના શબ્દો તો હતા.. પણ આ બંને સ્વરાંકનો આજના દિવસે તમારી સાથે વહેંચવા માટે બાકી રાખ્યા હતા.! 🙂

દેશથી દૂર રહેતા અમારા જેવાના નસીબમાં હોળી તાપવાનું – પ્રદક્ષિણા કરનાવું હોય ના હોય, એટલે તમને મોકો મળે તો અમારા બધા વતી પણ હોળી તાપી લેજો.. અને હા – શેકેલા નાળીયેરનો પ્રસાદ પણ !!

અને કાલે ફરી મળીશું – ધૂળેટીના રંગોભર્યા બીજા એક ગીત સાથે… 🙂

(છેલછબીલે છાંટી….Photo : Exotic India)

સ્વર : નિરૂપમા – અજિત શેઠ
સંગીત : અજીત શેઠ

.

સ્વર : ?
સંગીત : રિષભ Group (અચલ મહેતા)

.

છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી…

અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઇ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઇ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે

સળવળ સળવણ થાય
મોરે જમ
પેહરી પોરી હો ફાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…

તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું

જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી…

– પ્રિયકાંત મણીયાર

લઈ લે પાયલ પાછું – વેણીભાઈ પુરોહિત

સ્વર : નિરૂપમા શેઠ
સંગીત : અજિત મર્ચન્ટ

.

છુમક છુમક નહીં નાચું
રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

કાંસાના પોટલિયા
વરચે કંકર પટકે કાયા,
સાગરનાં મોજાંને કયાં છે
એ ધમધમની માયા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

બિના છમાછમ ઝરણાં નાચે,
નાચત નભના તારા,
પાયલ કયાં પહેરે છે
કોઈની નાડીના ધબકારા?

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

વનનો મોર અને ઘન-બીજલ
નાચત બિન ઝાંઝરવાં,
ઝાંઝર બિના આ દિલ નાચે
ને બિનઝાંઝર નૈનનવાં:

છમાછમ છુમક છુમક
નહીં નાચું રે ઘાયલ,
લઈ લે પાયલ પાછું.

તન નાચે પણ મન ના નાચે,
પગ નાચે પણ પ્રાણ ન નાચે,
ભીતરના ઝંકાર વિનાના
મઝુમમાં નહીં રાચું રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.

– વેણીભાઈ પુરોહિત

સુરેશ દલાલના શબ્દોમાં આ કવિતાનો આસ્વાદ:
યાદ છે ત્યાં સુધી વેણીભાઈ પુરોહિતે આ ગીત ‘વાસવદત્તા’ નામની નૃત્યનાટિકામાં લખ્યું હતું. વેણીભાઈના મોટા ભાગનાં ગીતોને સંગીત અજિત મર્ચન્ટ આપતા. વાસવદત્તાની ભૂમિકા કેળવણીકાર આચાર્ય રમણલાલ વકીલની પુત્રી મીના ભજવતી. વેણીભાઈના શબ્દોમાં શબ્દસંગીત અને ભાવસંગીતની અનાયાસે જુગલબંધી જામતી. સંગીત શબ્દોમાંથી આપમેળે ઝરતું. બાહ્ય સંગીત એ ગીતનો ઠઠારો ન બનતું. વેણીભાઈની કવિતામાં શબ્દો અને સંગીતનો સંબંધ હાથ અને હસ્તારેખા જેવો રહ્યો, જળ અને માછલી જેવો નહીં. એમાં પણ સહેજ જુદાપણું લાગે. આમાં તો જાણે કે શબ્દો અને સંગીતનું દ્વૈત નહીં પણ અદ્વૈત રચાતું.

અહીં કાવ્યનાયિકા ઝાંઝર પાછું આપી દેવાની વાત કરે છે. પાયલ અને ઘાયલ પ્રાસ પણ ગમી જાય એવા છે. પ્રારંભના છુમક છુમક શબ્દો પણ સ્વયમ્ નૃત્યશીલ છે. નહીં નાચવાનું જે કારણ છે તે પણ શુષ્ક તર્કબદ્ધ નથી અને એ તો આ કાવ્યની મજા છે. સ્થૂળ નર્તન અભિપ્રેત નથી. એવી રીતે નાચવું એના કરતાં ન નાચવું સારું. મીરાંએ આ વાતને જુદી રીતે કહી: ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.’ જયારે ઘૂંઘરું કંકર જેમ કાયા પટકતું હોય અને આપમેળે જૉ અંદરથી માયા છલકતી ન હોય તો એ નાચવાનો અર્થ શું? ખ્યાલ છે ત્યાં સુધી અલિઝાબેથ જેનિંગ્સે કહ્યું છે કે યુ કેન નોટ સેપરેટ ધ ડાન્સર ફ્રોમ ધ ડાન્સ.

પ્રકòતિ કેટલી બધી નર્તનમય છે. ઝરણાં છમાછમ વિના પણ નાચતાં જ હોય છે. પૃથ્વી પર આવું છે તો આકાશમાં તારાઓનું પણ નર્તન દેખાય છે, સંભળાય છે. જીવનમાત્રની નાડીના ધબકારા પાયલ પહેર્યા વિના પણ નાચી શકે છે. પાયલ એ બહારની વસ્તુ છે. લોહીમાં લય હોય તો પછી નર્તન સ્વાભાવિક છે.

વનનો મોર પણ કળા કરીને નાચતો હોય છે એ ઝાંઝર પહેર્યા વિના વાદળ અને વીજળીનું નર્તન પણ જાણવા-માણવા જેવું છે. કારણ વિના ગાલિબની કવિતા વિષેની વિભાવના યાદ આવે છે કે એક કવિતા લખવી એ વીજળીના પગે મહેંદી મૂકવા જેવી વાત છે. પ્રેમીઓની આંખ જયારે શબ્દો વિના રણકતી હોય છે ત્યારે એના અણસારોએ કયાં કોઈ ઝાંઝર પહેર્યા હોય છે? માત્ર શરીર નાચતું હોય અને મનમાં થનગનાટ ન હોય; શરીર નાચે પણ પ્રાણ નાચવાની ના પાડે તો આવા જુઠ્ઠાં નર્તનનો અર્થ જ નથી. ભીતરના ઝંકાર વિનાના રુમઝુમમાં નાચવાનું કે રાચવાનું નાયિકાને મંજૂર નથી.

આ સાથે પ્રહ્લાદ પારેખનું એક ગીત મૂકું છું. જયાં વાત જુદી રીતે કહેવાઈ છે કે જો હૃદયમાં જ અભિમાન હોય તો શિર નમાવવાનો અર્થ શું? આ ગીત પણ સામે મૂકીને વાંચવા જેવું છે. ભાવદૃષ્ટિને અને ભાવસૃષ્ટિને એકમેકની અડખેપડખે મૂકવા જેવી છે.

શું રે કરું હું શીશ નમાવી?
ગર્વથી ઉંચું ઉર રે:

શું કરું સાગર લાવી,
દ્રવે જો નૈન નહીં નિષ્ઠુર રે?

શું રે કરું બીન બજાવી?
અંતરતાર બસૂર રે;

અંગમરોડ હું કેમ કરું,
જો નાચી ઉઠે નવ ઉર રે?

વૈભવ આપી શું રે કરું હું,
હૈયું જો હોયે રંક રે?

રૂપ ફૂલોનાં કેમ સમર્પું?-
અંતરે મલિન રંગ રે.

શું રે કરું હું દીપ પ્રજાળી,
હૈયે નહીં જો નૂર રે?

વાણીપ્રવાહ હું કેમ વહાવું,
જો નહીં પ્રેમનાં પૂર રે?

– પ્રહ્લાદ પારેખ

આ નભ ઝૂક્યું તે કાનજી – પ્રિયકાંત મણિયાર

પ્રિયકાન્ત મણિયાયનું આ ખૂબ જ જાણીતું અને મોટેભાગે બધાને માટે થોડું ખાસ એવું રાધા-કૃષ્ણ કાવ્ય.. આમ તો ઘણા વખતથી આ ગીત સૌમિલ – આરતી મુન્શીના કંઠે ટહુકે છે ટહુકો પર.. અને એ ગીતની શરૂઆતમાં તુષારભાઇની જે પ્રસ્તાવના છે, એ પણ એક અલગ કાવ્ય જ હોય જાણે.. આજે એક વધુ સ્વર સાથે આ ગીત ફરી એકવાર..

મમ્મી ગુજરાતી ટીવી ચેનલ ચાલુ રાખતી ત્યારે આમ તો હું અકળાતી.. પણ આજે સમજાય છે કે ગુજરાતી સાહિત્ય-કવિતા પ્રત્યેનો પ્રેમ મને મમ્મી પાસેથી જ મળ્યો છે. મને બરાબર યાદ છે કે આ ગીત પહેલીવાર ટીવી પર સાંભળેલું ત્યારે મમ્મી સાથે હતા, અને એમણે એ પણ જણાવેલુ કે એમણે ગુજરાત વિદ્યાપીઠમાં કવિના મુખે આ ગીત સાંભળ્યું છે.

આજે ૨૫ મી મે એટલે મારા માટે થોડો ખાસ દિવસ.. મમ્મી પપ્પાના અને સાથે એક વ્હાલી સખીના લગ્નની વર્ષગાંઠ. એમને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ સનાતન પ્રેમ કાવ્ય ભેટ..!

સ્વર : નિરુપમા શેઠ
સંગીત : અજિત શેઠ

.

=================
Posted on August 26, 2006.

આમ તો પ્રભૂ એક જ છે, અને જુદાં જુદાં તો ફક્ત એના નામ છે.. આ વાત હું પણ માનું છું, અને તો યે પ્રભૂનું ‘કાનુડા’નું રૂપ મને ઘણું વધારે વ્હાલું. ઘણાં વર્ષો પહેલા દૂરદર્શન ગુજરાતીના એક કાર્યક્રમમાં ‘આશિત દેસાઇ અને હેમા દેસાઇ’ના કંઠે આ ગીત સૌથી પહેલી વાર સાભળ્યું, અને તરત જ સીઘું દિલમાં કોતરાઇ ગયું. પછી ઘણું શોધ્યું, પણ કોઇ કેસેટમાં મળ્યું જ નહીં. (ઓડિયો સીડી ત્યારે આટલા ચલણમાં નો’તી.) લગભગ 3-4 વર્ષ પહેલા ચિત્રલેખાના કોઇ અંકમાં ‘પ્રભાતના પુષ્પો’ વિભાગમાં જ્યારે આ કાવ્ય લખાયું, ત્યારે તો એવું થયું, કે આ અંકમાં બીજું કંઇ પણ ના હોય તો યે ચાલે. હું તો આ ગીતના શબ્દો મેળવીને જ ખુશ હતી, ત્યાં તો અચાનક એક દિવસ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટમાં આ ગીત સાંભળવા પણ મળ્યું. વાહ વાહ… ત્યારે જે ખુશી થઇ હતી, એને શબ્દો આપવાનું મારી આવડતની બહાર છે…

આજે જન્માષ્ટમી. આજે ટહુકા પર કાનુડા સિવાય બીજું કશું તો ક્યાંથી હોય ?
સ્વર : સૌમિલ, આરતી મુન્શી.

divine_lovers_QA17_l

.

આ નભ ઝૂક્યું તે કાનજી
ને ચાંદની તે રાધા રે,
આ સરવરજળ તે કાનજી
ને પોયણી તે રાધા રે,
આ બાગ ખીલ્યો તે કાનજી
ને લ્હેરી જતી તે રાધા રે,
આ પરવત-શિખર કાનજી
ને કેડી ચડે તે રાધા રે,
આ ચાલ્યાં ચરણ તે કાનજી
પગલી પડે તે તે રાધા રે,
આ કેશ ગૂંથ્યા તે કાનજી
ને સેંથી પૂરી તે રાધા રે,
આ દીપ જલે તે કાનજી
ને આરતી તે રાધા રે,
આ લોચન મારાં કાનજી
ને નજરું જુએ તે રાધા રે !