‘કાવ્યાસ્વાદ’ કાર્યક્રમની પ્રસ્તાવના – શ્રી મધુસુદન કાપડિયા
https://www.youtube.com/watch?v=9HLg2O_hG-4
પ્રહલાદ પારેખના બે કાવ્યો – ‘વિદાય’ અને ‘બનાવટી ફૂલોને’ નો શ્રી મધુસુદન કાપડિયાએ કરાવેલો આસ્વાદ
(કાવ્યના શબ્દો – વિડિયોની નીચે લખેલા છે). આપના પ્રતિભાવો અહીં નીચે આપેલા comment boxમાં લખી શકો છો.
વિદાય
કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે’ ;
પરંતુ ગગનાંગણે, અવનિમાં અને સિંધુમાં,
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.
પરસ્પર કરી કથા રજની ને દિનો ગાળિયા;
અનેક જગતો રચી સ્વપ્નમાં, વળી ભાંગિયાં.
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં;
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.
મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં ;
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડ્યાં.
છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું .
*******
બનાવટી ફુલોને
તમારે રંગો છે,
અને આકારો છે,
કલાકારે દીધો તમ સમીપ આંનંદકણ છે,
અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે.
ઘરોની શોભામાં,
કદી અંબોડામાં,
રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું,
પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.
પરંતુ જાણ્યું છે,
કદી વા માણ્યું છે,
શશિનું, ભાનુંનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?
વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું?
ન જાણો નિંદું છું,
પરંતુ પૂછું છું :
તમારા હૈયાનાં ગહન મહીંયે આવું વસતું :
દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું.


