ગ્લૉબલ કવિતા: આંગળાં દરવાજામાં – ડેવિડ હૉલબ્રુક

ક્ષણાર્ધ બેદરકાર અને મેં મારી બાળકીના આંગળા બારસાખમાં કચડી નાંખ્યા. એણે
શ્વાસ રોકી લીધો, આખેઆખી અમળાઈ ઊઠી, ભ્રૂણ-પેઠે,
પીડાની બળબળતી હકીકત સામે. અને એક પળ માટે
મેં ઇચ્છ્યું કે હું વિખેરાઈ જાઉં સેંકડો હજાર ટુકડાઓ થઈ
મૃત ચળકતા તારાઓમાં. બચ્ચી આક્રંદી ઊઠી,
એ મને વળગી પડી, અને મને સમજાયું કે તે અને હું કઈ રીતે
પ્રકાશ-વર્ષો વેગળાં છીએ કોઈ પણ પારસ્પરિક સહાય કે આશ્વાસનથી. એના માટે મેં બી વેર્યાં’તા
એની માના ગર્ભમાં; કોષ વિકસ્યા અને એક અસ્તિત્વ તરીકે આકારાયા:
કશું જ એને મારા હોવામાં પુનઃસ્થાપિત નહીં કરે, અથવા અમારામાં, કે એની માતામાં પણ જેણે
પોતાની અંદર
એને ધારી અને અવતારી, અને જે એના નાળવિચ્છેદ પર રડી હતી, મારી તમામ ઇર્ષ્યા ઉપરાંત,
કશું જ પુનઃસ્થાપિત નહીં કરી શકે. તેણી, હું, મા, બહેન, વસીએ છીએ વિખેરાઈને મૃત ચળકતાં તારાઓ વચ્ચે:
અમે છીએ ત્યાં અમારા સેંકડો હજાર ટુકડાઓમાં !

– ડેવિડ હૉલબ્રુક
અનુ. વિવેક મનહર ટેલર

માનવસંબંધની જાંઘ ઉઘાડી પાડતી તેજાબી કવિતા

પ્રેમ સાચો હોય, સંબંધ પાકા હોય પણ શું પીડામાં સહભાગી થઈ શકાય ખરું? એક સ્નેહીજનની તકલીફ બીજો અનુભવી શકે? એક આપ્તજનના સંવેદનમાંથી બીજો પસાર થઈ શકે? સાચો જવાબ મેળવવા જઈએ તો કદાચ ફૂરચેફૂરચા થઈને આપણે હજારો ટુકડાઓમાં હજારો માઈલ દૂર ફંગોળાઈ જઈએ. સંબંધ, પ્રેમ, લાગણીની બાબતોમાં આપણે સહુ હજારો વરસોથી બુરખામાં મોઢું સંતાડીને જ જીવતાં આવ્યાં છીએ એટલે સંબંધની વાસ્તવિક્તાની જાંઘ ઉઘાડી પાડતી ડેવિડ હૉલબ્રુકની આ તેજાબી કવિતા આપણામાંથી મોટાભાગના પચાવી નહીં શકે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નાઝીઓના કબ્જા હેઠળના યુરોપને મુક્ત કરાવવા માટે પાશ્ચાત્ય દેશોનું સંગઠન છઠ્ઠી જુન, ૧૯૪૪ના રોજ દરિયાઈ માર્ગેથી ફ્રાન્સના નોર્માન્ડીમાં ઘુસ્યું જે ઇતિહાસની સૌથી મોટી ઘૂસણખોરી ગણાય છે. આ દિવસ D-day કહેવાયો. ડેવિડ હૉલબ્રુક દોઢ લાખથી વધુ હમલાવર સૈનિકોમાંના એક હતા અને બે અઠવાડિયા પછી ઘવાઈને દૂર કરાયા ત્યાં સુધી એ લડ્યા. યુ.કે.ના નોરિચમાં ૦૯-૦૧-૧૯૨૩ના રોજ જન્મ. અઠ્ઠ્યાસીની ઉંમરે ૦૫-૦૯-૨૦૧૧ના રોજ દેહાવસાન. રેલ્વે ક્લર્કના પુત્ર. કેમ્બ્રિજના સ્નાતક. અત્યંત ફળદ્રુપ લેખક. ૬૦થી વધુ પુસ્તકો. ૬૦થી વધુ વર્ષનું લગ્નજીવન માર્ગોટ ડેવિસ-જોન્સ સાથે. ચાર સંતાન. શેહ-શરમ રાખ્યા વિનાના લખાણો, કવિતાઓ- બધામાં એમની આત્મકથાની ઝાંય સાફ તરવરતી. લગ્નજીવન, બાળકો અને પોતીકી રોજિંદી સમસ્યાઓ સતત એમાંથી ડોકાતા રહેતા. “ફ્લેશ વુન્ડ્ઝ” (૧૯૬૬) પણ D-day ફરતે વણાયેલ લગભગ આત્મકથનાત્મક નવલક્થા છે. સારા નવલકથાકાર ઉપરાંત એ કવિ, વિવેચક, સંપાદક, વિવાદાસ્પદ ચર્ચાપત્રી, ચિત્રકાર અને ખાસ તો શૂન્યવાદ સામેના અહર્નિશ યોદ્ધા હતા. માનવજીવનના મૂલ્યોના પ્રખર હિમાયતી. કળાના પ્રિઝમમાંથી એણે માનવતાના દર્શન કર્યા. પણ સૌથી ચડીને કંઈ હોય તો એ ઉત્તમ શિક્ષક અને શિક્ષણવિષયક ઉત્તમોત્તમ અને સાવ જ નોખી ઘરેડના પુસ્તકોના લેખક હતા. કવિતા શીખવવી એ જ ભાષા શીખવવાનું ખરું હાર્દ છે એમ એ માનતા કેમકે કવિતામાં જ ભાષાના ઊંડામાં ઊંડા અને સચોટ હેતુ સર થઈ શકે છે. પોતાના જ લોહીમાં આંગળી ડૂબાડીને લખાયેલા એમના પુસ્તકો એટલે જ અનેકાનેકના માર્ગદર્શક-સાથી બની શક્યાં છે.

પ્રસ્તુત રચનામાં दो जिस्म, एक जानની આપણી સદીઓ જૂની ફેન્ટસી પર હૉલબ્રુક સીધો જ કુઠારાઘાત કરે છે. અહીં બાપ-દીકરીના સંદર્ભમાં ગમે તેટલાં નજીક જણાતાં સંબંધમાં મા-સંતાનના સંબંધમાં પણ રહેલી પ્રકાશવર્ષો જેટલી અલગતા વિશે વાત થઈ છે. ગમે એટલા સ્નેહાસિક્ત કેમ ન હોઈએ, પીડા કે એ સંદર્ભમાં અન્ય કોઈપણ અનુભૂતિ આપણે પરસ્પર સહિયારી શકતાં નથી. રોબર્ટ બ્રાઉનિંગની “ટુ ઇન કોમ્પોનિયા” યાદ આવે જેમાં નાયકની પ્રિયપાત્ર સાથે સંપૂર્ણ સાયુજ્ય ન પામી શકવાની પીડા મનુષ્યજાતની મર્યાદા પર પ્રકાશ ફેંકે છે.

સંબંધના સમીકરણ મૂળમાં તો ચોકઠાં બેસાડી દઈને મેળવી લેવાયેલા તાળાથી વિશેષ કંઈ નથી. પાંચ હજાર વર્ષ પહેલાં એક લૂંટારાને એના મા-બાપ, પત્ની-સંતાનોએ ઘસીને ના કહી દીધી હતી કે તારા પાપમાં અમે ભાગીદાર નથી એ જ વખતે સંબંધોનું ખરાપણું તો જગત સામે આવી જ ગયું હતું. यावद्वित्तोपार्जन सक्तस्तावन्निजपरिवारोरक्तः। (શંકરાચાર્ય) (જ્યાં સુધી તું ધન કમાવા સમર્થ છે ત્યાં સુધી જ તારા પરિવારજનો તારા પ્રત્યે આસક્ત રહે છે.) સંબંધના આ ખરાપણાંને સ્વીકાર્યું એ વાલ્મિકી બની ગયા, બાકીના વાલિયા બનીને હજી વનમાં જ ભટકી રહ્યા છે. રામ જેવા રામે લોકબોલીને વશ થઈ ચારિત્ર્યની બાબતે પોતાનાથીય ચાર આંગળ ચડે એવી સીતાનો ત્યાગ કર્યો હતો. પોતાનું માથું પાણીમાં ડૂબવા ન માંડે ત્યાં સુધી જ વાંદરી બચ્ચાને માથા પર બેસાડી બચાવવા મથશે. એટલે આપણા દુન્યવી સંબંધ તો दिलके खुश रखनेको गालिब ये खयाल अच्छा है જેવા જ હોવાના. સંબંધોની વાસ્તવિક્તા જાણતા હોવા છતાં આપણી જિંદગી સંબંધોના મિજાગરા પર જ કિચૂડ કિચૂડ થતી આવી છે, થતી રહેશે કેમ કે आँखोंमें जो भर लोगे तो काँटोंसे चुभेंगे, ये ख्वाब तो पलकोंपे सजानेके लिए है (જાંનિસાર અખ્તર). મોટા ભાગના સંબંધો પોલા જ હોય છે. પણ હા, આ પોલાણમાં મોકળાશના, અભિવ્યક્તિના છિદ્ર રાખ્યા હશે તો સમયની હવા પસાર થયે સૂર જરૂર રેલાવાના. ખલિલ જિબ્રાને કહ્યું છે, “તમારા સાયુજ્યમાં અવકાશ રહેવા દેજો. સાથે ગાવ અને નાચો અને ખુશ થાવ પણ તમારા બંનેમાંના દરેકને એકલો રહેવા દેજો, અને સાથે ઊભા રહો પણ બહુ નજીક નહીં; કેમ કે મંદિરના આધારસ્તંભ દૂર ઊભા રહે છે.”

આદિ શંકરાચાર્ય કહે છે:

का ते कांता कस्ते पुत्रः, संसारोऽयंअतीव विचित्रः।
कस्य त्वं कः कुत अयातः तत्त्वं चिन्तययदिदं भ्रातः॥
(કોણ તારી પત્ની? કોણ તારો પુત્ર? આ સંસાર વિચિત્ર છે. તું કોણ? કોનો? ક્યાંથી આવ્યો? હે ભાઈ! જે આ તત્ત્વ છે એનો વિચાર કર)

ભર્તૃહરિના નામે ચડી ગયેલો પણ હકીકતમાં પ્રક્ષિપ્ત હોવાનો મનાતો આ શ્લોક પણ સંબંધોની વાસ્તવિક્તાના પરિપ્રેક્ષ્યમાં જોવા જેવો છે:

यां चिन्तयामि सततं मयि सा विरक्ता
साप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्तः।
अस्मत्कृते च परिशुष्यति काचिदन्या
धिक्तांच तं च मदनं च इमां च मां च॥
(જેનું હું સતત ચિંતન કરું છું, તે (પિંગળા)ને મારા પર પ્રેમ નથી. તે બીજા પુરુષ(અશ્વપાળ)ને ઇચ્છે છે અને એ વળી બીજી સ્ત્રી(નર્તકી)માં આસક્ત છે. એ સ્ત્રી મારી ઇચ્છા સેવે છે. તેથી રાણીને, તેના પ્રેમીને, પ્રેમી જેને ચાહે છે એ વેશ્યાને અને મને, તથા આ દુષ્ચક્ર ચલાવનાર કામદેવને સહુથી વધુ ધિક્કાર છે.)

વિલ્યમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ફ્લાઇઝ’ પણ યાદ આવે જેમાં બાર-તેર વર્ષના થોડા છોકરાંઓ એક નિર્જન ટાપુ પર એકલાં પડી જાય છે અને અસ્તિત્વની લડાઈમાં માનવસંબંધો- માનવમૂલ્યોનો કઈ રીતે અને કઈ હદ સુધી હાસ થાય છે એ લોહી થીજાવી દે છે.

હૉલબ્રુકનું આ કાવ્ય માનવસંબંધોનો આવો જ પણ આધુનિક દસ્તાવેજ છે. આધુનિક કાવ્યજગત સાથે એ તાલમેલ ધરાવે છે. અહીં કોઈ પ્રચલિત છંદોલય કે પ્રાસરચના નથી. દર્દની લાગણીનો શું આકાર હોઈ શકે? બસ, એના જેવું જ આ નિરાકાર મુક્તકાવ્ય છે. જે ઘટના અહીં બને છે એ અથવા એના જેવી ઘટના આપણામાંથી ઘણાંના જીવનમાં બની જ હશે. અનુભવના પોતીકાપણાના કારણે વાચક આ કવિતા સાથે તત્ક્ષણ કનેક્ટ થઈ શકે છે.

બાપની જરા અમથી લાપરવાહીના કારણે અજાણતાં જ ફૂલ સમી બાળકીની આંગળીઓ દરવાજામાં આવી જતાં બાળકી જે રીતે શ્વાસ લેવાનું પણ ભૂલી જઈને, અમળાઈને, આક્રંદી ઊઠે છે એ જોઈને બાપને પોતાની જાત પર કેવો ગુસ્સો આવ્યો હશે! પોતાના ફુરચેફુરચા કરી દઈ મૃત તારાઓમાં વિખેરાઈ જવાની લાગણી વ્યક્ત થાય છે. એકતરફ પ્રેમની આ પરાકાષ્ઠા છે તો બીજી તરફ સગો બાપ હોવા છતાં અને દીકરીને જી-જાનથી ચાહતો હોવા છતાં દીકરીના દર્દને જરા જેટલું પણ સહિયારી નથી શકાતું એ લાચારીનો તીવ્રતમ દુઃખદ પણ સત્ય અહેસાસ છે. રડતી દીકરી તરત જ વ્યથિત બાપને વળગે છે. શરીર તો એકમેકને ચસોચસ વળગી પડ્યાં છે. વચ્ચે એકાદ સેન્ટિમીટર જેટલો પણ અવકાશ નથી. પણ મન? બંનેના મનની તકલીફો-પીડા-લાગણીઓ વચ્ચે પ્રકાશવર્ષોનું અંતર હોય એવી અમાપ દૂરી અનુભવાય છે. મા-બાપે એક થઈને એનું સર્જન કર્યું હતું એ અલગ વાત છે પણ હવે એ સ્વતંત્ર અસ્તિત્વ છે, મા-બાપ બંનેથી સાવ વેગળું. અસ્તિત્વની ગાડીમાં કોઈ રિવર્સ ગિઅર આવતું નથી. સંતાનને બાપ તો ઠીક, જે માએ નવ મહિના ગર્ભમાં સ્થાન આપ્યું હતું એનામાં પણ પુનઃસ્થાપિત નહીં કરી શકાય. જિબ્રાન યાદ આવે:

તમારા બાળકો તમારા બાળકો નથી.
તેઓ તમારા થકી આવ્યાં છે, તમારામાંથી નહીં,
અને ભલે તેઓ તમારી સાથે હોય પણ તમારા નથી.

મા જે કરી શકે છે એ બાપ કરી નથી શકયો માટે એને માની ઈર્ષ્યા પણ આવી હતી. દીકરીના આંગળા દરવાજામાં કચડાઈ જવાની ક્ષણ એ સંબંધની વાસ્તવિક્તાના સાક્ષાત્કારની ક્ષણ છે. પરાકાષ્ઠાએ જ સત્યનો પ્રકાશ લાધે છે. સાથે-સાથે હોવાની અનુભૂતિના આશ્વાસન સાથે આપણામાંના મોટાભાગના વચ્ચેના વાસ્તવિક અંતર અને તીવ્ર જુદાપણાની લગરિક જાણકારી વિના જ જીવી લેતાં હોય છે. આપણે જેને દિલોજાનથી ચાહતા હોઈએ એમના દુઃખદર્દને દૂર કરી શકવાની સંપૂર્ણ અશક્તિનો પૂર્ણતયા અહેસાસ, પ્રેમની નિઃસહાયતા અને વિચ્છેદની વાસ્તવિક્તાનું આ કાવ્ય આપણા સંબંધોમાં બે તારાઓની વચ્ચે રહેલી અમાપ દૂરતા જેવી અંધારી વાસ્તવિક્તાની અસીમ અનુભૂતિ કરાવે છે…

*

Fingers in the Door

Careless for an instant I closed my child’s fingers in the jamb. She
Held her breath, contorted the whole of her being, foetus-wise against the
Burning fact of the pain. And for a moment
I wished myself dispersed in a hundred thousand pieces
Among the dead bright stars. The child’s cry broke,
She clung to me, and it crowded in to me how she and I were
Light-years from any mutual help or comfort. For her I cast seed
Into her mother’s womb; cells grew and launched itself as a being:
Nothing restores her to my being, or ours, even to the mother who within her
Carried and quickened, bore, and sobbed at her separation, despite all my envy,
Nothing can restore. She, I, mother, sister, dwell dispersed among dead bright stars:
We are there in our hundred thousand pieces!

– David Holbrook

ગ્લૉબલ કવિતા : એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ


નાના અમથા ખજાનામાંથી,
મારો પ્રિયતમ લાવે પણ શું?
દિલ દઈ દીધું, એથી વધીને
વર અવર કોઈ, ભાવે પણ શું?


દિલનો દોલો, એની દોલત
મારે હૈયે કંપ જગાવે,
મેં માંગ્યું જ્યાં સુખ ધરાનું,
ચાહ્યું’તું બસ, સ્નેહ એ લાવે.


મારા માટે કંઈક લાવવા
કાંઠે કાંઠે ઘુમી રહ્યો છે,
શીદ ભટકે, શા માટે ભટકે?
પ્રેમને જ્યાં મેં સકળ કહ્યો છે.


સસ્તું ભોજન, ભોંય તળાઈ,
તારા સાથથી ધન્ય થયાં હોય,
આ ઝીણકી પરમ કૃપા પણ
વધુ છે મુજ મન, દોલતથી કોઈ.


કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે છે,
દયા છે શું શ્રદ્ધાહીન લહરમાં,
મુજ ઉર જેને વ્યથા કહે છે?


રાત છે ઘેરી, પાણી ઊંડા,
હા, મોજાંઓ ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુઝોલે,
છે આંધી મારી ભીતરમાં

– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

खुदा करे कि कयामत हो और तू आए…

પ્રેમથી ચડિયાતી બીજી કોઈ સંપત્તિ છે જ નહીં એ જાણવા છતાં, સમજવા છતાં, ને વારે-તહેવારે બીજાને સમજાવવા છતાં આપણમાંથી મોટાભાગનાનું જીવન ભૌતિક સંપત્તિ પાછળ દોડવામાં જ પૂરું થઈ જતું હોય છે. ‘જગતની સૌ કડીમાં સ્નેહની સર્વથી વડી’ એ વાત પાઠ્યપુસ્તકના પાનાં વળોટીને જીવનપોથીમાં કદી પ્રવેશતી નથી એ યક્ષપ્રશ્ન ગણી શકાય. હેલન મારિયા વિલિયમ્સની આ કવિતા પ્રેમની સંપત્તિનું જ મહિમાગાન છે.

પણ હેલન પોતે આવો પ્રેમ કદી પામી શકી નહીં. જીવનના દરેક વળાંકે એનું જીવન મુસીબતોને જ ભેટતું રહ્યું. અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ઓગણસમી સદીના પૂર્વાર્ધમાં (જન્મ-૧૭૫૯? ૧૭૬૧? લંડન, મૃત્યુ: ૧૫-૧૨-૧૮૨૭, પેરિસ) થઈ ગયેલ હેલન બ્રિટિશ કવયિત્રી, નવલકથાકાર, નિબંધકાર અને નોંધપાત્ર અનુવાદક હતી. આમ ભલે ને બ્રિટનના રોમેન્ટિસિઝમ યુગની ઝાંય એના સર્જનમાં કેમ ન વર્તાતી હોય, એ મુખ્યત્વે સામાન્ય સ્ત્રી સર્જકોથી ઉફરી હતી. પ્રવર્તમાન ફ્રેન્ચ ક્રાંતિની એ આખાબોલી ચાહક હતી. વિલિયમ્સનું સલૂન ફ્રેંચ ક્રાંતિકારીઓ –જીઓર્ડિન્સ માટે મુલાકાતનું હોટ-પ્લેસ બની રહ્યું હતું. ઘણીવાર જેલવાસ ભોગવ્યો હોવા છતાં એણે કોઈ પણ જાતના ડર વિના, નાસી છૂટવાના બદલે ફરી-ફરીને ફ્રાંસમાં જ રહેવા આવીને એ જ લખ્યું જે એ લખવા ચાહતી હતી. સ્ત્રીસર્જકોમાં આ ગુણધર્મ જવલ્લે જ જોવા મળે છે.જે નેપોલિયને પોતાના સૈનિકોને ગામ લૂંટવાની છૂટ આપતી વખતે સમાજની સાચી ધરોહર સમા કવિઓને નુકશાન પહોંચાડવાથી દૂર રહેવાની ચેતવણી આપી હતી એ જ નેપોલિયને મીઠામાં બોળેલા ચાબખા જેવા શબ્દો સહન ન થતાં હેલનને કેદ કરી હતી.

એના માર્ગદર્શક ડૉ. એન્ડ્રુ કિપ્પિસે શરૂઆતના લખાણોના પ્રકાશનમાં અગત્યનો ભાગ ભજવ્યો. જૉન સ્ટોન સાથેના એના સંબંધો કદી લગ્નમાં પરિણમ્યા કે નહીં એ તો કોઈ જાણતું નથી, પણ આ સંબંધોના કારણે એની ભયંકર વગોવણી થઈ હતી. લોકો એને વ્યભિચારિણી પણ કહેતા. પ્રખર સામાજીક આલોચના, યુદ્ધ, ગુલામી, ધર્મ, રાજકીય ક્રાંતિ જેવા પાસાંઓને ખુલ્લેઆમ સ્પર્શતી આ સ્ત્રીએ પુરુષસર્જક અને સ્ત્રીસર્જકના સર્જનો વચ્ચેની ભેદરેખા બખૂબી ઓગાળી નાંખી હતી. એ છતાંય એની રચનાઓમાં સહજ નારીગત ઋજુ સંવેદનો પણ પ્રસંશનીય ઢબે આલેખાયાં છે. એના પત્રો અને રેખાચિત્રો ખૂબ વખણાયાં છે. ફ્રેન્ચ ભાષામાંથી એણે અંગ્રેજીમાં કરેલા ઉત્તમ ગણાતા અનુવાદોએ પ્રવર્તમાન ફ્રાંસ અને એની સમસ્યાઓને દુનિયાની સામે મૂકવામાં બહુ મોટો ફાળો ભજવ્યો. રોબર્ટ બર્ન્સ અને વર્ડ્સવર્થ જેવા એની કવિતાના ચાહકો હતા. વર્ડ્સવર્થે તો હેલન પર એક સૉનેટ પણ લખ્યું.

ગીતનું શીર્ષક ‘એક ગીત’ કેમ આપ્યું હશે? કાવ્યપ્રકાર ગીત છે એ તો કોઈપણ સમજી શકે. વિષય પ્રેમના મૂલ્યાંકનનો છે તો શીર્ષકમાં આવી વેઠ કેમ ઉતારી હશે? કે પછી એક પ્રોષિતભર્તૃકાના દિલના સાગરમાં ઊઠતાં હજારો-લાખો મોજાંઓમાંનું આ એક છે એમ એણે કહેવું હશે? હશે. ગીત પ્રસિદ્ધ બૅલડ (કથાકાવ્ય) મીટરમાં લખાયું છે, જેમાં ચાર-ચાર પંક્તિના ફકરામાં એકી પંક્તિ આયમ્બિક ટેટ્રામીટર અને બેકી પંક્તિ આયમ્બિક ટ્રાઇમીટરમાં લખવામાં આવે છે. સામાન્યરીતે બૅલડ મીટરમાં પ્રાસરચના અ-બ-ક-બ પ્રમાણે હોય છે પણ હેલન એક કદમ આગળ વધીને અ-બ-અ-બ, ક-ખ-ક-ખની ચુસ્ત પ્રાસરચના વાપરીને ગીતની રવાનીમાં ચાર ચાંદ લગાવે છે.

દિલની ખરી અસ્ક્યામતનું આ ગીત છે. દિલની ખરી સંપત્તિ એટલે પ્રેમ. અને પ્રેમની દૌલત એટલે ખરું સોનું, જેટલું વધારે વાપરો, વધુ ચળકે. દુનિયા માપપટ્ટી પર ચાલે છે, પ્રેમ અમાપપટ્ટી પર! જ્યાં કેલ્ક્યુલેટરની ગણતરી પૂરી થાય છે ત્યાંથી જ લવલેટર શરૂ થાય છે. પ્રિયતમ પાસે કોઈ સવિશેષ દુન્યવી સંપદા નથી પણ એણે દિલ દઈ દીધું એથી વિશેષ કોઈ વરદાન કાવ્યનાયિકાને અપેક્ષિત પણ નથી. આશિક દિલનો દોલો છે. ને આ સદગુણો જ નાયિકાના હૈયાને ધડકાવે છે. એણે સુખ તો મતલબ સ્નેહ માંગ્યો પણ પ્રિય દુન્યવી અર્થની તલાશમાં દૂર દેશાવર નીકળી પડ્યો.

दोनों जहान दे के वो समझे, ये खुश रहा,
यां आ पडी ये शर्म कि तक़रार क्या करें? (ગાલિબ)
(પ્રેમને સંપત્તિની ભાષામાં તોલનાર પ્રિયજન બંને દુનિયાની ભેટ ધરીને સામું પાત્ર ખુશ છે એવું સમજી બેસે છે પણ સામાની સમસ્યા તો એ છે કે આવા મટિરિઆલિસ્ટિક આશિકની સાથે હવે ઝઘડો શો કરવો?)
પ્રેમ જ સર્વસ્વ છે એમ કહેવા છતાંય કસ્તૂરીમૃગ જેવો પ્રેમી કઈ કસ્તૂરીની શોધમાં આ દેશ-પેલે દેશ રઝળી-રખડી રહ્યો છે એ નાયિકાની સમજણ બહારનું છે. પામી જનારા માટે પ્રેમ સકળ છે, બાકીના માટે અકળ. તુલસીદાસને નદીના ધસમસતા પૂરને મડદાંના સહારે પાર કરીને સાપને દોરડું સમજીને પકડીને પ્રિયાના કક્ષમાં પહોંચ્યા હતા. પ્રેમમાં કથીર પણ કંચન થઈ જાય છે. સ્નેહીના સાથનું ઐશ્વર્ય હોય તો હલકી ગુણવત્તાનું ભોજન અને પલંગના બદલે ભોંય પર પાથરેલી રજાઈ પણ ધન્ય થઈ જાય. (પરદેશમાં જમીન પર સૂવાનો રિવાજ નથી એ વાત ધ્યાનમાં રહે). કિંમત સાથની છે, સાથ કેવા સંજોગોમાં છે એની નહીં. રૉમિયો જુલિયેટને મળવા એરકન્ડિશન્ડ ઑફિસમાં નહોતો જતો. ‘बिजली नहीं है, यही इक ग़म है’ની ફરિયાદ થાય અને ‘तेरी बिंदिया क्या बिजली से कम है’નો જવાબ મળે એ ખરો પ્રેમ. પ્રેમ સાચો હોય તો એંઠા બોર પણ પકવાન લાગે.

પણ અબુધ પ્રેમી પ્રિયાએ કહેલા સુખને દુનિયામાં શોધવા નીકળ્યો છે. અને અઢારમી સદીમાં આ કવિતા લખાઈ ત્યારે मेरे पिया गये रंगून,किया है वहां से टेलिफ़ून જેવી કોઈ સુવિધા પણ નહોતી. જિંદગી આશંકાના તાંતણે બંધાયેલી છે. એ દુર્ગમ દરિયાઓ સર કરી રહ્યો છે ને અહીં આંખેથી દરિયા વહી નીકળ્યા છે. तिरे छुटने से छोडा आंसुओं ने साथ आंखो का, गले मिल-मिल के आपस में चले आते हैं दामन तक। (નસીમ દેહલવી) मर-मर के अगर शाम, तो रो-रो के सहर की; यूं ज़िन्दगी हमने तिरी दूरी में बसर की। (જોશ લખનવી) આમેય આંસુના દરિયા તરવા કાચાપોચાનું કામ નહીં. દરિયા તરી જનારા આંસુમાં ડૂબી જતા હોય છે:

મહાસમુદ્રના પેટાળ મોટી વાત નથી,
છે આ તો આંસુનું ઊંડાણ, ઝંપલાવ નહીં.

જૉન ડનની ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ યાદ આવે જેમાં આંસુમાં પ્રિયતમાનો ચહેરો, દુનિયા, સમુદ્ર અને શ્વાસની ગતિ વધી જાય તો આંસુના સમુદ્રમાં ઊઠતું તોફાન સામાના મૃત્યુનું કારણ બનવા સામેની ચેતવણી પ્રણયની ચરમસીમાનું અદભુત નિરુપણ કરે છે.

રડીરડીને નાયિકા પ્રિયજનને સલામત રાખવા જેટલી દયા મોજાંઓ પાસે માંગે તો છે પણ રુદ્ર મોજાંઓના દિલમાં એ છે ખરી? પ્રતીક્ષાની રાત હંમેશા તોફાની હોય છે. વળી, इस रातकी सुबह नहीं। કાળી રાત જેવી મુસીબતો અને ઊંડા પાણી જેવા દુશ્મનોથી બચીને શું પ્રિયતમ પરત ફરશે ખરો? ઇંતેજારી અને અનિશ્ચિતતાનું કોક્ટેઇલ ભલભલાના હોંશ ઊડાડી દે છે. ભીતરનું તોફાન એવું પ્રબળ બન્યું છે કે પત્તાના મહેલ જેવું પોકળ બની ગયેલું અસ્તિત્ત્વ હચમચી ઊઠે છે. હવાનો નાનો અમથો હડસેલો પણ કંપાવી દે છે…દિલમાંથી તો કદાચ સાહિરનો જ અવાજ ઊઠતો હશે:

हम इंतिज़ार करेंगे तिरा कयामत तक,
खुदा करे कि कयामत हो और तू आए।

*

A Song

I
No riches from his scanty store
My lover could impart;
He gave a boon I valued more —
He gave me all his heart!

II
His soul sincere, his generous worth,
Might well this bosom move;
And when I asked for bliss on earth,
I only meant his love.

III
But now for me, in search of gain
From shore to shore he flies;
Why wander riches to obtain,
When love is all I prize?

IV
The frugal meal, the lowly cot
If blest my love with thee!
That simple fare, that humble lot,
Were more than wealth to me.

V
While he the dangerous ocean braves,
My tears but vainly flow:
Is pity in the faithless waves
To which I pour my woe?

VI
The night is dark, the waters deep,
Yet soft the billows roll;
Alas! at every breeze I weep —
The storm is in my soul.

– Helen Maria Williams

ગ્લૉબલ કવિતા : રાતરાણી – જૉન ક્લેર

Evening Primrose

When once the sun sinks in the west,
And dew-drops pearl the Evening’s breast;
Almost as pale as moonbeams are,
Or its companionable star,
The Evening Primrose opes anew
Its delicate blossoms to the dew;
And hermit-like, shunning the light,
Wastes its fair bloom upon the night;
Who, blindfold to its fond caresses,
Knows not the beauty he possesses.
Thus it blooms on while night is by;
When day looks out with open eye,
‘Bashed at the gaze it cannot shun,
It faints, and withers, and is gone.

– John Clare

રાતરાણી

જ્યારે સૂર્ય પશ્ચિમમાં આથમી જાય છે,
અને ઓસબુંદો મોતીડે સજાવે છેસંધ્યાના વક્ષસ્થળને;
લગભગ ચંદ્રકિરણ અથવા એના સહયોગી તારા
હોય છે એવા જ ઝાંખા,
રાતરાણી એના નાજુક ફૂલોને
નવેસરથી ઝાકળ તળે ઊઘાડે છે,
અને સાધુ-પેઠે, પ્રકાશથી વેગળાં રહીને
વેડફે છે એના ઉજ્જ્વલ નવયૌવનને રાત ઉપર;
જે, એના પ્રેમાળ આલિંગનોથી અંધ,
નથી જાણતી એ સૌંદર્યને જે એના કબ્જામાં છે.
આમ એ ખીલે છે જ્યારે રાત હોય છે.
જ્યારે દિવસ ઊઘાડી આંખે જુએ છે,
છટકી ન શકાય એવા ત્રાટકથી શરમાઈને
એ મૂર્ચ્છિત થાય છે અને કરમાય છે અને ચાલી જાય છે.

-જૉન ક્લેર
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાનું સૌંદર્ય અને સૌંદર્યની કવિતા

સૂર્ય આથમતાં જ વાતાવરણમાં છવાતી ઠંડકના પરિણામે રચાતી ઝાકળબુંદો સંધ્યાના સ્તનમંડળ પર ઝળહળતા મોતીઓની જેમ ઝગારા મારે છે. રાત પૂરી ખીલી ન હોવાના કારણે ચંદ્રકિરણો અને તારાઓ હજી ઝાંખા નજરે ચડે છે. આવામાં રાતરાણી ખીલવું શરૂ કરે છે અને જેમ સાધુ પોતાની ફરતેના સંસારથી પાણીમાં કમળપત્ર પેઠે અલિપ્ત રહે એવી જ વિરક્તિથી પોતાનાં ઉજ્જવળ ધવલ ફૂલોના અબોટ સૌંદર્યને અંધારી રાત પર ન્યોછાવર કરે છે પણ રાત તો આ પ્રેમાળ આલિંગનોથી સાવ અનભિજ્ઞ છે. કસ્તૂરીમૃગ જેમ જાણતું નથી કે એની નાભિમાં જ એનો ખજાનો છૂપાયો છે એમ જ રાત પણ જાણતી નથી કે એના આંચલમાં રાતરાણી શું ઠાલવી રહી છે! રાતરાણી પણ રાતના આવા નિસ્પૃહ વર્તનની જ હેવાઈ થઈ ચૂકી છે. દિવસ પૂર્ણ પ્રકાશ લઈને આંખો ખોલે છે કે તરત જ મૂર્છાવશ એ કરમાઈ જાય છે અને દિવસની પહોંચથી દૂ…ર ચાલી જાય છે.

જૉન ક્લેર (૧૩-૦૭-૧૭૯૩થી ૨૦-૦૫-૧૮૬૪)નું પોતાનું જીવન પણ રાતરાણી જેવું જ હતું. ગરીબીના અંધારામાં જ એ ખીલ્યો. ખેતમજૂરનો દીકરો. અગિયાર વર્ષની ઊંમરે તો શિક્ષણ અભરાઈએ ચડી ગયું ને ખેતમજૂરીની ધૂંસરી ખભે ચડી ગઈ. વાસણ વેચનારો બન્યો. અમીર ખેડૂતની છોકરી સાથે પ્રેમ કર્યો પણ છોકરીના બાપે નકાર્યો. માળીકામ કર્યું. લશ્કરમાં જોડાયો. જિપ્સીઓની જોડે રખડી-રઝળી જોયું. ચૂનો પકવવાનું વૈતરું પણ અજમાવી જોયું. પણ અક્કરમીનો પડિયો કાણો તે કાણો જ. છેવટે પરગણાંની મહેરબાની સ્વીકારવી પડી. જન્મજાત કુપોષણના લીધે ઊંચાઈ પણ પાંચ ફૂટે અટકી ગઈ અને જીવનભર તંદુરસ્તીના નામે અલ્લાયો જ.

જેમ્સ થોમ્સનનો સુપ્રસિધ્ધ કાવ્યસંગ્રહ ‘સિઝન્સ” ક્લેરે ખરીદ્યો હતો અને કવિતા-સૉનેટ લખવાની શરૂઆત કરી. મા-બાપને ઘરમાંથી ખદેડી કઢાતા અટકાવવા માટે એણે પોતાની કવિતાઓ સ્થાનિક પ્રકાશકને આપી. પુસ્તક છપાયું. પ્રસિદ્ધિ પણ ખૂબ મળી. માર્થા ટર્નર સાથે પરણ્યો, સાત-સાત બાળકો થયા પણ પૈસા સાથેનો બારમો ચંદ્રમા યથાવત્ જ રહ્યો. કવિતા અને આજીવિકાની સૂડીમાં એ સતત વહોરાતો રહ્યો. પાગલપનના હુમલા આવવા શરૂ થયા. મદ્યપાન બિમારીની હદ સુધી વકર્યું. એકવાર શેક્સપિઅરના ‘ધ મર્ચંટ ઑફ વેનિસ’ના મંચનમાં શાયલોક સાથે ગાળાગાળી કરીને એણે ભંગ પણ પાડ્યો. બે વાર પાગલખાનામાં લાંબા ગાળા માટે દાખલ થવું પડ્યું અને છેલ્લા શ્વાસ પણ ત્યાં જ ભર્યા. જોકે આ પાગલપન દરમિયાન પણ એમની પ્રતિભા તો યથાવત્ જ રહી હતી.

ઇંગ્લેન્ડના ગામડાંઓનું પ્રાસંગિક ઉત્સાહપૂર્ણ પ્રતિનિધિત્વ અને એની ખાનાખરાબીના મરશિયાઓથી એ બહુખ્યાત થયો. “નોર્ધમ્પ્ટનશાયર ખેડૂત કવિ” એ એની ઓળખ. શરૂમાં ભૂલી જવાયેલો પણ વીસમી સદીના અંતભગમાં પુનઃપ્રતિષ્ઠા પામ્યો ને ઓગણીસમી સદીના અગ્રિમ હરોળના કવિઓમાં સ્થાન અંકિત કર્યું. જોનાથન બેટ કહે છે, “એ ઇંગ્લેન્ડમાં જન્મેલો સર્વકાલીન શ્રેષ્ઠ મજૂર-કવિ હતો. અન્ય કોઈએ કદી કુદરત વિશે, ગ્રામ્ય બચપણ વિશે અને વિમુખ અને અસ્થિર જાત વિશે આવું સક્ષમ અને સબળ લખ્યું નથી.” ખેતક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ગામ અને શહેરોની થવા માંડેલી દુર્દશા એની સંવેદનાના તારને સતત ઝંકૃત કરતી. પ્રકૃતિ સાથે એનો રક્તસંસ્કાર હતો. પાગલખાનાની કેદ પણ એની અભૂતપૂર્વ અંતર્દૃષ્ટિ અને સ્વયંસ્ફૂર્ત ઊર્મિને બાંધી શકી નહોતી. એ બંધ આંખોનો મુસાફર હતો અને એના શબ્દચિત્રો ઉત્તમોત્તમ ચિતારાના ચિત્રોથી ચાર ચાસણી ચડે એવા હતા. પ્રસ્તુત રચના પણ એના લાગણીશીલ સૌંદર્યાન્વિત કામનો ચોંકાવી દે એવો છટાદાર નમૂનો છે.

કવિતાનું પોતાનું સૌંદર્ય હોય છે અને સૌંદર્યની પણ પોતાની કવિતા હોય છે. ક્યારેક કવિતા ભાવક પાસે અપ્રતિમ સજ્જતાની આકરી ઉઘરાણી કરે છે તો ક્યારેક ગુલાબની પાંખડીઓનો આકાર, સંખ્યા, ગોઠવણી, રંગ, કાંટા – બધાયને સદંતર અવગણીને કવિતા તમને માત્ર ખુશબૂ જ માણવાનું ઈજન આપે છે. પુષ્પનો રંગ-રૂપ-આકાર એક પ્રકારની કવિતા છે તો આંખ બીડીને માત્ર સુગંધનેમહેસૂસ કરવી એય અલગ પ્રકારની કવિતા જ છે. જૉન ક્લેરની આ કવિતા પૃથક્કરણ માટે નહીં, માત્ર અહેસાસ માટે છે.

કેટલાંક ફૂલો ઘડિયાળ પહેરીને ઊગે છે. ઓફિસ ટાઇમ કહો, ગુલ દોપહરીકહો, કે નૌ બજિયા –આ ફૂલો સવારે નવ વાગ્યે ખીલે છે અને સાંજે ઓફિસ બંધ થવાના ટાંકણે બીડાઈ જાય છે. સૂરજમુખી ન માત્ર સૂર્ય સાથે ટાઇમિંગનો તાળો રાખે છે, સૂર્યની ગતિ સાથે મુખ પણ ફેરવે છે. આવા ફૂલોને સૂર્યાનુવર્તી (હીલિઓટ્રોપિક) કહે છે. હકીકત એ છે કે આ ફૂલો સૂર્ય તરફ નહીં પણ પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામતાં હોય છે એટલે એ ફોટોટ્રોપિક કહેવાય છે. સૂર્યની સાથોસાથ પૂર્વથી પશ્ચિમ તરફ મોઢું ફેરવતા આ ફૂલો મહત્તમ સૂર્યપ્રકાશ મેળવવાની કોશિશમાં હોય છે જેથી પ્રકાશસંશ્લેષણ અને પ્રજનન વધુ સારી રીતે થઈ શકે. ગરદન ફેરવવાની આ કસરતથી સૂર્યમુખી પંદર ટકા જેટલી ઊર્જા મેળવે છે. (કસરત ખોટી નથી, ખરું ને?!) અને ફૂલો જ નહીં, કેટલાક છોડવાઓના પાંદડા પણ સૂર્યાનુવર્તી ગુણધર્મ ધરાવે છે. સૂર્યમુખી જેવા સૂર્યાનુવર્તી ફૂલોની અધધધ ૨૪૦૦૦થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે. અફીણના છોડના ફૂલો, ગલગોટો, ડેઝી, કમ્પાસ પ્લાન્ટ (રોઝિનવેડ) કેટલાક ઉદાહરણ છે.

મૂળ કવિતા ઇવનિંગ પ્રિમરોઝ વિશે છે. ઇવનિંગ પ્રિમરોઝ આછાં પીળાં રંગના ફૂલોવાળો એક છોડ છે જે રાતે ખીલે છે અને સવારે મુરઝાઈ જાય છે. આપણે આ છોડથી પરિચિત નથી પણ ઇવનિંગ પ્રિમરોઝ અને રાતરાણીના ગુણધર્મ ખીલવા-મુરઝાવાની બાબતમાં સરખા હોવાથી અહીં રાતરાણીનો સંદર્ભ રાખ્યો છે. પારિજાત પણ રાત્રે જ ખીલે છે પણ ફરક એટલો જ કે સવારે એનાં ફૂલ મુરઝાઈ નથી જતાં, ખરી જાય છે.

એલેક્ઝાન્ડર પોપે ખૂબ મશહુર કરેલ યુગ્મક (couplet) પ્રકારની આ રચના છે જેમાં અ-અ, બ-બ, ક-ક પ્રકારની પ્રાસરચના આયમ્બિક પેન્ટામીટર છંદમાં ગોઠવાયેલી હોવાથી કવિતાનો લય પ્રભાવક બને છે. કવિતાની ભાષા ખૂબ જ સરળ છે, જેનું એક કારણ એ પણ હોઈ શકે કે કવિનું ઔપચારિક શિક્ષણ ટીનએજ શરૂ થતા પહેલાં જ પૂરું થઈ ગયું હતું. રોજિંદા વ્યવહારના શબ્દોથી કવિ જે રીતે રાતરાણીનું
સૌંદર્ય ઉજાગર કરે છે પ્રસંશનીય છે.

કેટલાક સંબંધ પણ રાતરાણી જેવા હોય છે. દુનિયાની નજરે અલગ જીવતી બે વ્યક્તિ દુનિયાની નજર બહારના અંધારામાં એક થઈને ખીલી ઊઠે છે. લોકોની જાણ બહાર ખાનગી સ્થળો, સોશ્યલ મિડિયાઝ, ટેલિફોનની જમીન પર આવી મૈત્રીના યુટોપિયાનું સર્જન થતું આવ્યું છે, થતું રહેશે. જેમની જિંદગીની ટ્રેન રાતરાણી અને સૂરજમુખીના બેવડા પાટા પર દોડતી હોય છે એ લોકો બહુધા રાતરાણીની ખુશબૂનો બદલો સૂરજમુખીને વધુ સૂર્યપ્રકાશ ભેટ ધરીને ચૂકવતા જોવા મળતા હોય છે.

સૂર્ય આથમી ગયા પછીના ભળભાંખળાના સમયે આકાશનો ચાંદો અને તારાઓ પણ ઝાંખા નજરે ચડે છે. વાતાવરણમાં વ્યાપ્ત ઠંડકથી ભેજ જામતાં જે ઝાકળબુંદો જામે છે એ જાણે સંધ્યાના ગળામાં મોતીની સેરની જેમ ચમકે છે. આવા સમયે રાતરાણી ધીરે રહીને ખીલે છે. ‘નવેસરથી’ શબ્દ ધ્યાન ખેંચે છે. મતલબ આ ફૂલો ગઈકાલે પણ ખીલ્યાં હશે, આવતીકાલે પણ ખીલનાર હશે. પારિજાતની પેઠે ખીલીને ખરી જનારું નહીં પણ દેવહૂમા પક્ષીની જેમ મુરઝાઈ ગયા પછી ફરી ખીલનારું આ સૌંદર્ય છે.

પશ્ચિમનો કવિ પણ સાધુ-સંતોની સંસ્કૃતિથી કેવો પરિચિત છે! સાધુઓના અલગારીપણાને એણે આબાદ ચાક્ષુસ કર્યું છે. રાતરાણી પ્રકાશના પ્રલોભનોથી પર છે. રાતના અંધારામાં શુદ્ધ ચાંદની જેવા એના શુભ્ર શ્વેત સૌંદર્યની નોંધ કોઈ લેશે કે નહીં એની પણ એને દરકાર નથી. રાતને રાતરાણીના પ્રેમાળ આલિંગનોની જરાય તમા નથી એ જાણવા છતાંય એ પોતાની આખી જાત એના પર કુરબાન કરે છે. મકરંદ દવેનું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી !

વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.

ગ્લૉબલ કવિતા – અજાણ્યો નાગરિક – ડબ્લ્યુ. એચ. ઑડેન

અજાણ્યો નાગરિક

(જે.એસ./07એમ378
આ આરસનું સ્થાપત્ય
રાજ્યસરકાર વડે ઊભું કરાયું છે)

એના વિશે અંકશાસ્ત્રના ખાતા દ્વારા તપાસમાં જણાયું છે કે
એની સામે કોઈ અધિકૃત ફરિયાદ નહોતી,
અને એના વર્તન વિશેના બધા જ અહેવાલો સહમત છે એ વાતે
કે, એક જૂનવાણી શબ્દના આધુનિક સંદર્ભમાં,
એ એક સંત હતો,
કેમકે એણે જે પણ કંઈ કર્યું, સમાજની સેવા જ કરી.
એ નિવૃત્ત થયો ત્યાં સુધીમાં, એક યુદ્ધને બાદ કરતાં,
એ એક ફેક્ટરીમાં કામ કરતો હતો અને એને કદી છૂટો કરવામાં આવ્યો નહોતો;
પણ સંતોષ્યા હતા, ફજ મોટર્સ ઇન્ક.ના માલિકોને.
એ એનાવિચારોમાં બદમાશ કે વિચિત્ર નહોતો,
કેમ કે એના યુનિયને રિપોર્ટ કર્યો છે કે એણે બધું કરજ ચૂકવી દીધું હતું,
(એના યુનિયન વિશેનો અમારો રિપોર્ટ કહે છે કે એ યોગ્ય હતું)
અને અમારા સામાજિક મનોવિજ્ઞાન કાર્યકર્તાઓ શોધ્યું હતું કે
એ એના સાથીઓમાં પ્રિય હતો અને એને શરાબ ગમતો હતો.
અખબારોને ખાતરી છે કે એ રોજ અખબાર ખરીદતો હતો
અને જાહેરખબરો વિષયક એના પ્રતિભાવો દરેક રીતે સામાન્ય હતા.
એના નામ પર લેવાયેલી પોલિસી સાબિત કરે છે કે એણે પૂર્ણપણે વીમો ઉતરાવ્યો હતો,
અને એનું આરોગ્ય-પત્રક સૂચવે છે કે એ એકવાર હૉસ્પિટલમાં દાખલ થયો હતો પણ સારો થઈને છોડી ગયો હતો.
બંને સંશોધન તથા ઉચ્ચ-સ્તરીય જીવન નિર્માતાઓ જાહેર કરે છે કે
એ હપ્તા પદ્ધતિના ફાયદાઓથી સંપૂર્ણપણે વાકેફ હતો
અને આધુનિક માનવીને આવશ્યક તમામ ચીજો એની પાસે હતી,
મોબાઇલ, રેડિયો, કાર અને રેફ્રિજરેટર.
અમારા જાહેર મંતવ્યના સંશોધકો એ વાતે સંતુષ્ટ છે
કે એ સમસામયિકઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો;
જ્યારે શાંતિ હોય, એ શાંતિના પક્ષમાં રહેતો; યુદ્ધ થાય ત્યારે એ માટે જતો.
એ પરિણીત હતો અને વસ્તીમાં પાંચ બાળકોનો એણે ઉમેરો કર્યો હતો,
જે વિશે અમારા સુપ્રજનનશાસ્ત્રી કહે છે કે એની પેઢીના મા-બાપ માટે યોગ્ય આંકડો હતો.
અને અમારા શિક્ષકો કહે છે કે એ કદી એમના શિક્ષણ બાબતમાં દખલ કરતો નહોતો.
શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? પ્રશ્ન જ અસંગત છે:
જો કંઈક ખોટું હોત, તો અમે ચોક્કસ એ વિશે સાંભળ્યું જ હોત.

-ડબ્લ્યુ. એચ. ઑડેન
(અનુ.: વિવેક મનહર ટેલર)

નેગેટિવ યુટોપિયા પર પ્રકાશ નાંખતી દીવાદાંડી

કોઈ એક ગુમનામ નાગરિક મૃત્યુ પામ્યો છે અને કારણ કે એ ગુમનામ હતો, રાજ્યસરકારે એને દફન પણ કર્યો છે અને એની કબરની ઉપર આરસની તકતી પણ લગાવી છે. આ તકતીની ઉપર સરકાર દ્વારા અંકાયેલ આલ્ફાબેટ અને નંબર એક અજાણ્યા નાગરિકની એકમાત્ર જાણકારી-ઓળખ બનીને રહી ગઈ છે. એક-એક લીટી જાણે મીઠાના પાણીમાં બોળેલા ચાબખાની જેમ આપણી ઊઘાડી નફ્ફટ ચામડી પર વીંઝાતી કેમ ન હોય એમ કવિતા આપણને અંગે-અંગે જખ્મી કરી દે છે. એક કે બે ચાબખા વીંઝવાથી કવિને સંતોષ ન થતો હોય એમ કવિતા સતત લંબાયે રાખે છે અને આપણા અહેસાસના અક્ષત પથ્થરને કોરી-કોરીને વેદનાનું જીવંત શિલ્પ કંડારી દે છે.

અપ્રતિમ કળાભિજ્ઞતા ધરાવતા વિસ્ટન હ્યુ ઑડેનસાચા અર્થમાં ટેકનિકના અને છંદોલયના બેતાજ બાદશાહ હતા. બીજા શબ્દોમાં કઈએ તો મિ. પરફેક્શનિસ્ટ.શબ્દોના આકાશ નીચે વસી શકે એ તમામ કાવ્યપ્રકારોમાં ખેડાણ કરી શકવાની એમની ક્ષમતા એમના વિશાળ સર્જનમાંથી ટપકતી જોઈ શકાય છે. સમસામયિક પ્રવાહો, સમાજ અને સંસ્કૃતિનો પ્રવર્તમાન ચહેરો અને સ્થાનિક ભાષાનું સંમિશ્રણ ઓડેનની આગવી ઓળખ છે. નાનાવિધ સાહિત્ય પ્રકારો, કળાઓ, રાજકીય-ધાર્મિક અને સામાજીક મત તથા તકનીકી અને વૈજ્ઞાનિક માહિતીઓમાંથી અર્ક તારવી લઈને અસામાન્ય સર્જન કરવાની કોઠાસૂઝ જે ઑડેનમાં જોવા મળે છે એના કારણે જ એ વીસમી સદીના સર્વશ્રેષ્ઠ અંગ્રેજી કવિગણાય છે.

જન્મ ઇન્ગ્લેન્ડના યૉર્ક ખાતે 21-02-1907ના રોજ. 29-09-1973ના રોજ વિએના ખાતે નિધન. ઓક્સફર્ડ ખાતે અભ્યાસ. નાની વયે જ કવિ તરીકે પ્રસિદ્ધિ મળી. 1930માં પ્રકાશિત ‘પોએમ્સ’થી નવી પેઢીના અગ્રણી અવાજ તરીકે નામના મળી. 1939માં અમેરિકા સ્થળાંતર કર્યું. ત્યાં જ ચેસ્ટન કોલમેનના પ્રેમમાં પડ્યા અને ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું. જીવનના અંતિમ બે દાયકા અકાદમી ઓફ અમેરિકન પોએટ્સના ચાન્સેલર તરીકે પસાર કર્યા. ઑડેનની કવિતાઓ બુદ્ધિવાદી કવિતા છે, એમાં ડહાપણ પણ ઠાંસીને ભરેલું છે. એમની કવિતાઓ એક મુસાફરી-એક તરસને શબ્દબદ્ધ કરતી નજરે ચડે છે. એ કુદરતી સૌંદર્યના કવિ હતા. સિગ્મંડ ફ્રોઇડનું માનસશાસ્ત્ર અને સેક્સોલોજીનો ખાસ્સો પ્રભાવ એમના પર વર્તાય છે. આપણે ત્યાં કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતામાં અમેરિકાગમન પૂર્વે અને સ્વદેશાગન પછી –એમ બે તબક્કા સાફ નજરે ચડે છે એમ ઑડેનની કવિતાઓમાં પણ અમેરિકાગમન પહેલાં અને પછી એમ બે અલગ ભાગ જોઈ શકાય છે. પહેલાં એ વામપંથી હતા અને રોમાન્ટિસિઝમના વિરોધી હતા. અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ એમની કવિતાઓ માનવસમસ્યાઓના ઉકેલ માટે રહસ્યવાદ-અધ્યાત્મ તરફ નજર નાંખતી દેખાય છે.

અજાણ્યો નાગરિક એ કવિની જાણીતી રચનાઓમાંની એક છે. 1939માં ઇન્ગ્લેન્ડથી અમેરિકા સ્થળાંતરિત થયા બાદની તરતની રચનાઓમાંની આ એક છે. આપણે ત્યાં આજે જેમ આધાર કાર્ડ નાગરિકજીવનના બધા જ પાસાંઓ સાથે સાંકળવાની કવાયત શરૂ થઈ ગઈ છે એવું જ અમેરિકામાં સોશ્યલ સિક્યુરિટી નંબરનું છે. સરકાર જે રીતે નાગરિકોને નંબરના સ્ટિકર્સ મારીને ઓળખવાની પ્રણાલિના અમલીકરણમાં રત છે એ જોતાં એ દિવસો દૂર નથી જ્યારે માણસ એના નામથી નહીં પણ સરકારી નંબરથી ઓળખવાનું શરૂ થઈ જાય.

આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઓર્વેલની ‘1984’ યાદ આવ્યા વિના નહીં રહે. બે વિશ્વયુદ્ધની વચ્ચે 1932માં લખાયેલ નવલકથા ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’માં ભૌતિકવાદની સર્વોપરિતા અને સામા પક્ષે વૈજ્ઞાનિકો અને ‘આયોજકો’ વડે મનુષ્યજાતિ સાથે કરાતી પદ્ધતિસરની છેડછાડ ડરામણા ભવિષ્યની ધ્રુજાવી નાંખે એવી તસ્વીર ઉપસાવે છે. ટેકનોલોજીના અતિક્રમણના પરિણામે અંગત ઓળખ ગુમાવી બેસતી માનવજાતનું ચિત્રણ એવું તો આબેહૂબ રજૂ થયું છે કે કાંપી જવાય. સાડા આઠ દાયકા પહેલાં લેખકે જે કલ્પના કરી હતી એમાંની ઘણી, જેમ કે લેબોરેટરીમાં અંડકોષનું ફલીકરણ વિ., આજે સાચી પડી હોવાથી ‘રિવર્સ-યુટોપિયા’નો દૃષ્ટિકોણ ધરાવતી આ નવલકથા ભયનું લખલખું ફેલાવી દે છે. તો સામા પક્ષે ઑર્વેલની ‘1984’ તો આપણા ભવિષ્યનો વધુ ડરામણો ચહેરો ઉઘાડો કરે છે. બીગબ્રધર એની ‘થોટપોલિસ’ ‘ન્યૂસ્પિક’ ભાષા અને ‘ડબલથિંક’ શિક્ષણપદ્ધતિ વડે આખી પ્રજાનું બ્રેઇનવૉશ કરી કાબૂમાં રાખે છે. એકહથ્થુ સરમુખત્યારશાહીના જોખમો સામે લાલબત્તી ચીંધતી આ નવલ પણ નેગેટિવ-યુટોપિયાનો ડર જન્માવે, ધ્રુજાવી નાખે એવો જ દૃષ્ટિકોણ ધરાવે છે. સરવાળે આપણે એ સમજવાની જરૂર છે કે વિકાસ અને સંસ્કૃતિ અંગેના આધુનિક ખ્યાલો ધરમૂળથી સાવ ખોટાય હોઈ શકે છે.

કળાકાર એ સમાજની દીવાદાંડી છે. કળાના પ્રકાશથી એ પ્રજાને દેખતી અને જાગતી રાખે છે. આવી કોઈ એક નવલક્થા કે ઑડેનની આ કવિતા જેવી કોઈ એક કવિતા ઘણીવાર હજાર પ્રવચનોનું કામ એકલા હાથે કરી શકે છે.રાજા જેમ્સના બાઇબલ અને પયગંબરન કુરાન ની માનવજાત પર જે અસર થઈ છે એ તો ન ભૂતો, ન ભવિષ્યતિ જેવી છે. અબ્રાહમ લિંકન જ્યારે ‘અંકલ ટોમ્સ કેબિન’ની લેખિકા હેરિઅટ સ્ટોવેને મળ્યા ત્યારે કહ્યું હતું કે, ‘તો તમે જ એ ઠિંગણી સ્ત્રી છો જેણે (હબસીઓની ગુલામીમુક્તિનું) મહાન યુદ્ધ શરૂ કર્યું છે.’ કન્ફ્યુસિયસ, પ્લેટો, ઈસપ, હૉમર, કાર્લ માર્ક્સ, ડાર્વિન, ફ્રોઇડ, શેક્સપિઅર વગેરે લેખકોની મનુષ્યજાતિ પરની અસર અમાપ-અસીમ છે. ‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકે મહાત્મા ગાંધીનું જીવન બદલી નાંખ્યું હતું. ઉમાશંકર જોશીની ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે’ પણ ઑડેનની આ કવિતાની જેમ જ સમયના વહેણમાં ક્યારેક ગુમરાહ થવું-થવું કરતા સમાજના જહાજને સાચી રોશની પૂરી પાડે છે.

આ અજાણ્યો નાગરિક મારા-તમારામાંથી કોઈપણ હોઈ શકે છે. સાચા અર્થમાં આ આમ આદમીની વાત છે. સરકાર માટે આપણી શી કિંમત? એક મત? કે એમની ઐયાશીઓ પૂરી પાડવા માટે ભરાતા ટેક્સની કે લાંચની રકમનો એક આંકડો? શરૂઆત જ અંકશાસ્ત્રથી થાય છે એ પણ એ જ સૂચવે છે કે ઓળખપત્ર પર લખાયેલા એક આંકડાથી વધીને આપણી કોઈ હેસિયત જ નથી. આ આમ આદમીની જિંદગી સંતના ગુણધર્મોને મળતી આવતી હતી. સંત તો હવે દીવો લઈને શોધવા નીકળીએ તોય મળે એમ નથી. ડિક્શનરીના કોઈ પાનાં પર છપાયેલ શબ્દથી વધીને હવે સંતનું અસ્તિત્ત્વ શક્ય નથી. માણસની કિંમત એના વ્યક્તિત્વ, સ્વભાવ કે મૂળ ગુણધર્મોથી નથી થતી, એણે નોકરી કેટલી ઈમાનદારીથી કરી, માલિકોને કેટલો સંતોષ આપ્યો, અલગ-અલગ યુનિયનોના રિપૉર્ટ શું કહે છે એના પરથી માણસની જાત-કિંમત નક્કી થાય છે. અલગ-અલગ એજન્સીઓએ પાડી રાખેલા ખાનાંઓમાંથી તમે કેટલામાં ચૂં કે ચાં કર્યા વિના ચપોચપ બેસી જાવ છો, કેટલાંમાંથી પગ બહાર લંબાવવા કોશિશ કરો છો એના પરથી તમારું કેરેક્ટર સર્ટિફિકેટ તમારી જ ચૂંટી કાઢેલી, તમારા જ પૈસે ચાલતી સરકાર નક્કી કરે છે અને તમારે એ સરકારે આપેલું લેબલ જ ગળામાં લટકાવીને કબરમાં દટાઈ જવાનું છે.

તમારા દ્વારા અપાતા અભિપ્રાયો પણ સરકારને સુસંગત હોય તો જ એ સામાન્ય છે. બાળકોનો જન્મ હોય કે શિક્ષણ, તમારે નિયત ઘરેડની બહાર પગ મૂકવાનો નથી. ઘોડાની આંખની આજુબાજુ ડાબલાં બાંધેલા આપણે જોયાં છે. ઘોડાવાળો આ ડાબલાં એટલા માટે બાંધે છે કે ઘોડાએ સામેના રસ્તા સિવાય આજુબાજુનું કશું જોવાનું નથી એવું એણે નક્કી કર્યું છે. મંઝિલ એણે નક્કી કરી છે, મંઝિલ પર જવાનો નિર્ણય પણ એણે જ કર્યો છે પણ એ પીઠ પર સવાર થઈ ગયો છે એટલે ભલે ઘોડો જ એને મંઝિલ સુધી કેમ ન લઈ જતો હોય, ડાબલાંની સજા ઘોડાએ જ ભોગવવાની છે. સરકાર આપણી પીઠ પર સવાર થઈ ગઈ છે. એનો બોજો પીઠ પર વેંઢારીને આપણે જ એને મંઝિલ સુધી લઈ જવાનાં છીએ પણ એ પીઠ પર ચડી ગઈ છે એટલે નિયમોના ડાબલાં આપણી જ આંખ પર લાગે છે.

શું આપણે આઝાદ છીએ? શું આપણે ખુશ છીએ? કોઈને આ વાતની કંઈ પડી છે ખરી?! બળદ ધૂંસરી બાંધીને ઘાણીમાં ગોળ-ગોળ ફરીને રસ કાઢી આપતો હોય ત્યાં સુધી આ તમામ પ્રશ્નો અપ્રસ્તુત છે. માણસ વિશેની અથથી ઈતિ જાણકારી હોવા છતાં એની ઓળખ અ-જાણ્યાથી વિશેષ છે જ નહીં આ વિરોધાભાસ, આ કટાક્ષ ચાબુકની જેમ આપણી રહીસહી સમ-વેદના પર વિંઝાય છે એ જ આ કવિતાનો પ્રાણ છે.

*

The Unknown Citizen

(To JS/07 M 378
This Marble Monument
Is Erected by the State)

He was found by the Bureau of Statistics to be
One against whom there was no official complaint,
And all the reports on his conduct agree
That, in the modern sense of an old-fashioned word, he was asaint,
For in everything he did he served the Greater Community.
Except for the War till the day he retired
He worked in a factory and never got fired,
But satisfied his employers, Fudge Motors Inc.
Yet he wasn’t a scab or odd in his views,
For his Union reports that he paid his dues,
(Our report on his Union shows it was sound)
And our Social Psychology workers found
That he was popular with his mates and liked a drink.
The Press are convinced that he bought a paper every day
And that his reactions to advertisements were normal in every way.
Policies taken out in his name prove that he was fully insured,
And his Health-card shows he was once in hospital but left it cured.
Both Producers Research and High-Grade Living declare
He was fully sensible to the advantages of the Instalment Plan
And had everything necessary to the Modern Man,
A phonograph, a radio, a car and a frigidaire.
Our researchers into Public Opinion are content
That he held the proper opinions for the time of year;
When there was peace, he was for peace: when there was war, he went.
He was married and added five children to the population,
Which our Eugenist says was the right number for a parent of hisgeneration.
And our teachers report that he never interfered with theireducation.
Was he free? Was he happy? The question is absurd:
Had anything been wrong, we should certainly have heard.

– W. H. Auden

ગ્લૉબલ કવિતા : तेरा जिस्म ओढ लूं |

Leaning chest to chest,
breast to breast,
pressing lips on sweet lips,
and taking Antigone’s skin to my skin,
I keep silent
about the other things,
to which the lamp is registered as witness.

– Marcus Argentarius
(Greece)

છાતી છાતી સાથે આલિંગનબદ્ધ,
સ્તન સાથે સ્તન,
અધર દબાયા છે મીઠા અધર સાથે,
અને એન્ટિગનીની ત્વચાને મારી ત્વચા બનાવીને
હું રહું છું મૌન
બીજી બધી ક્રિયાઓ પરત્વે
જે સૌ માટે આ દીવો બન્યો છે સાક્ષી.

– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. વિવેક મનહર ટેલર)

तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं |

“तेरे लबों से प्यार की कलियाँ तोड लूं, तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं”–આજે આ ગીત આપણી અંદરના પ્રેમીને ઠે…ઠ ભીતર સુધી પ્રસવારતું હોય એવી મીઠી અનુભૂતિ કરાવે છે, આપણને મજા પડે છે પણ બે હજાર વર્ષ પહેલાં આ જ વાત કોઈ કહી ગયું છે એમ ખબર પડે તો કેવું સાનંદાશ્ચર્ય થાય?!

લગભગ બે-અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા માર્કસ આર્જેન્ટેરિયસના નામે ગ્રીક એન્થોલોજીમાં ત્રીસેક જેટલા ચાટુક્તિસભર લઘુકાવ્યો (Epigrams) બોલે છે જેમાંના મોટાભાગના સંભોગશૃંગારને લગતા તો બાકીના શબ્દ અને અર્થની રમત અને વ્યંગસભર છે.

ઉપલબ્ધ વિશ્વકવિતાના ઇતિહાસનો ઊંડો અભ્યાસ કરીએ તો સમજી શકાય છે કે પ્રાચીન વિશ્વમાં કોઈપણ સંસ્કૃતિમાં સેક્સ અને સ્ત્રી-પુરુષના અંગોપાંગના ખુલ્લા વર્ણનોનો ક્યાંય કોઈ છોછ નહોતો. ફેશન જેમ જેમ મનુષ્યની નગ્નતાને વધુને વધુ ઢાંકવા માંડી, મનુષ્યની દૃષ્ટિમાં નગ્નતા વધુ વિકસતી ગઈ. સંભોગની ચરમસીમાએ યોનિપ્રવિષ્ટ પૂર્ણઉત્તેજિત શિશ્નપૂજન એ આપણી સંસ્કૃતિનું સાચું ઔદાર્ય સૂચવે છે. આસામમાં કામાખ્યાદેવીના મંદિરમાં યોનિપૂજા કરવા વિશ્વભરમાંથી ભારતીયો આવે છે. શિવલિંગપૂજા અને યોનિપૂજા તો રહી ગયા પણ વાત્સ્યાયન-ખજૂરાહોની પરંપરાથી સમૃદ્ધ છતાં આપણી સંકીર્ણ રોગિષ્ઠ માનસિકતાએ આજે કામસૂત્રને પણ બદનામસૂત્ર બનાવી દીધું છે. ખેર, આપણે આપણી કવિતા તરફ વળીએ.

સમજી શકાય છે કે આ કામક્રીડા સફળતાથી પૂર્ણ થયા બાદની સ્વગતોક્તિ છે.સમ-ભોગ પછીના સંપૂર્ણ સુખમાં બે દેહ અદ્વૈત અનુભવે છે પણ કવિ વિગતે કશી વાત ન કરીને આપણા રસભાવની કસોટી કરતા હોય એમ આગળની વાર્તા આખી ઘટનાના ‘સાક્ષી’ દીવાના ઝાંખા પ્રકાશના હાથમાં છોડી દે છે…

કવિતામાં એન્ટિગનીનો ઉલ્લેખ આવે છે. કોણ હતી આ એન્ટિગની? લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની સગી માતા જોકાસ્ટા સાથે અજાણતા થયેલ લગ્નથી જન્મેલ અનૌરસ સંતાન એ એન્ટિગની. એટલે સંબંધમાં એ ઇડિપસની બહેન પણ ખરી અને પુત્રી પણ ખરી. થીબ્સના યુદ્ધમાં એન્ટિગનીના બન્ને ભાઈઓ પરસ્પર વિરોધી છાવણીમાંથી લડીને વીરગતિ પામે છે. વિજેતા રાજા ક્રિઓન પોતાના પક્ષે લડેલા ઇટિઓક્લિસને તો માનભેર દફનાવવાની તજવીજ કરે છે પણ પોલિનિસસ સામા પક્ષે લડ્યો હોવાથી એનું શબ નગરમાં દાટવાના બદલે યુદ્ધમેદાનમાં ખુલ્લું જ સડવા દેવાનો આદેશ આપે છે જે એ જમાનામાં સૌથી મોટું અવમાન ગણાતું. શબની આ અવહેલના ત્યારે અત્યંત કડક અને શરમજનક સજા ગણાતી. પણ પોલિનિસસને થીબ્સમાં જ દફન કરવાની જિદ્દ પર અણનમ એન્ટિગની આ આદેશનો અનાદર કરવાની કોશિશમાં પકડાઈ જાય છે. પોતે જે કર્યું છે એના પર એન્ટિગનીને પસ્તાવો નથી. એ માને છે કે એણે ઈશ્વરના કાયદાનું પાલન કરવાની, પારિવારિક વફાદારી તથા સામાજિક ઔચિત્ય જાળવવાની કોશિશ જ કરી છે. એ ક્રિઓનની સામે હિંમતભેર ઊભી રહે છે, દલીલો કરે છે, દયાની ભીખ માંગતી નથી અને મૃત્યુદંડની સજા પામે છે. નાટ્યાત્મક વળાંકો પછી ક્રિઓન સજા બદલવાનું વિચારે છે પણ ત્યાં સુધીમાં એન્ટિગની મૃત્યુને વહાલું કરી ચૂકી હોય છે. સર્વકાલીન ઉત્તમ સર્જક સોફોક્લિસની બહુખ્યાત “ઇડિપસ ત્રિલજી”માં એન્ટિગની કહે છે, કોઈએ મારા માટે લગ્નગીત ગાયાં નથી, મારી લગ્નશૈયા કોઈએ ફૂલોથી વણી નથી, હું મૃત્યુને પરણી છું”
(“No youths have sung the marriage song for me,
My bridal bed
No maids have strewn with flowers from the lea,
‘Tis Death I wed.”)

એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે. બીજો અર્થ ‘મા-બાપને લાયક’ પણ થાય છે. બે હજાર વર્ષ પહેલાંના પુરુષપ્રધાન ગ્રીસમાં એન્ટિગનીની હિંમત, જિદ અને પરિવાર તરફની ફરજ નિભાવવાની સમજ એને એ જમાનાના પુરુષોથી મુઠી ઊંચેરી સિદ્ધ કરે છે, એની તાકાતનો અહેસાસ કરાવે છે. એના નામના અર્થને એ સાર્થક કરે છે.

તોય આ રચનામાં એન્ટિગનીનો ઉલ્લેખ સમજણના પ્રદેશની જરા બહાર રહી જતો અનુભવાય છે. માર્કસની અન્ય એક લઘુરચના જોઈએ:

To me you were formerly a Sicilian, Antigone; but since you
have become an Aetolian, look, I have become a Mede.

“પહેલાં તું, એન્ટિગની, સિસિલિઅન (રસાળ વૈવિધ્યસભર વાનગીઓનો પ્રદેશ) હતી, પણ જ્યારથી તું ઇટોલિઅન (વિવિધ માંગણીઓ કરનાર, ભિખારી) બની ગઈ છે, હું મિડ (કંજૂસ) બની ગયો છું.”

માર્કસની અન્ય રચનાઓમાં પણ એન્ટિગની અને અન્ય નામોનો ઉલ્લેખ જોવા મળે છે એ જોતાં એમ પણ માની શકાય કે એણે આ નામ કોઈ સૂચિતાર્થ વિના પણ વાપર્યું હોય. કવિતામાં તત્કાલીન પાત્રોનો નામોલ્લેખ કદાચ એ જમાનાની કાવ્યપ્રણાલિનો જ એક અંશ પણ હોઈ શકે. હશે, કદાચ એમ પણ હોય. પણ કેટલીકવાર કવિતામાં કોઈ નામનો ઉલ્લેખ નામ સાથે જોડાયેલી અર્થચ્છાયા ઊભી કરવા પૂરતો પણ હોઈ શકે. રાણી લક્ષ્મીબાઈનું નામ લેતાંની સાથે જ આપણું ભાવવિશ્વ વીરાંગના સાથે, સ્વાભિમાન અને આઝાદીની ઉત્કટ ઝંખના સાથે સંકળાઈ જાય છે. એ જ રીતે કદાચ આ રચનામાં રતિક્રીડામાં સ્ત્રી-પુરુષ વચ્ચે સર્જાતું મૂક સાયુજ્ય એન્ટિગનીની હાજરી, સ્ત્રીની તાકાતનો અહેસાસ કરાવેછે.

પ્રસ્તુત રચના પ્રિટરિશિયો (Praeteritio)નું સ-રસ દૃષ્ટાંત છે. પ્રિટરિશિયોનું ગુજરાતી ભાષાંતર દોહ્યલું છે. મૂળ લેટિનમાં આ શબ્દનો અર્થ ‘છોડી દેવું’ થાય છે. આ એ પ્રકારનો શબ્દાલંકાર છે જેમાં કવિ જે કહેવા માંગે છે એ વાતની અવગણના કરીને, એ વાત ન કહીને ભાવકનું ધ્યાન પાછું એ વાત તરફ જ દોરે છે. એને ઓક્યુલેશિયો અથવા એપોફેસિસ કે પેરાલેપ્સિસ પણ કહે છે. આનુંય ગુજરાતી તો કપરું જ છે! પણ મુખ્ય વાત ન કહીને કહેવાની છે ને એની આ કવિતામાં ખરી મજા છે. છાતી, સ્તન, હોઠ, ત્વચા –કામકેલિ જે રીતે આગળ વધે છે એ જોતાં આગળ જનનાંગોના નામ કઈ રીતે કવિએ પ્રયોજ્યા હશે કે કામક્રીડાનું રસાળ વર્ણન કવિએ કેવું કર્યું હશે એ જોવા-જાણવાની ઉત્કંઠા કાવ્યારંભે જ તીવ્રતમ થાય પણ કવિતામાં આગળ વધતાં જ કવિ રતિક્રીડાના સાક્ષી દીવાને આગળ ધરી દઈને અચાનક મૌન સેવે છે. આ છે પ્રિટરિશિયો. દીવાનું કામ પ્રકાશ આપવાનું છે. દીવો બંને પ્રણયરત નિર્વસ્ત્ર પ્રેમીઓના શરીરને તો પ્રકાશિત કરે જ છે પણ જે ઘટના બંને વચ્ચે ઘટી ચૂકી છે કે ઘટી રહી છે એના પર પ્રકાશ ફેંકતો નથી.

એક બીજી આડવાત. શબ્દાલંકારની જ વાત નીકળી છે તો કવિતામાં અધૂરી છોડી દેવાયેલ ભાષાશૈલી – પોલિપ્ટોટન (polyptoton)ને પણ સમજી લઈએ. (આ પોલિપ્ટોટનનું ગુજરાતીકરણ પણ કેમ કરવું?) એક જ મૂળમાંથી જન્મેલા શબ્દોને જોડાજોડ પ્રયોજવાના કવિકર્મને પોલિપ્ટોટન કહે છે. દા.ત.રિચર્ડ બીજો નાટકમાં શેક્સપિઅર કહે છે, With eager feeding, food doth choke the feeder. (આગ્રહપૂર્વક ખવડાવવામાં આવતાં, ખોરાક ખાનારને ગૂંગળાવી શકે છે.) પ્રસ્તુત રચનામાં કવિ છાતી, સ્તન, હોઠ અને ચામડી – એમ વારાફરતી સ્ત્રી અને પુરુષના અંગોની વાત કરે છે. પોલિપ્ટોટન આગળ વધે તો હવે સ્ત્રી અને પુરુષના જનનાંગોના નામ કવિતામાં આવે પણ ત્યાં કવિ વાત અધૂરી મૂકી દે છે… અને કવિતા વધુ રસપ્રદ બને છે.

સાવ એક લીટી જેવડી નાનકડી કવિતા, પરંતુ જેમ કામકેલિની ચરમસીમા પણ ક્ષણિક છતાં પ્રબળ હોય છે એમ જ ટચૂકડી છતાં તાકતવર. છાતી છાતીની સાથે જકડાયેલી છે એમ કહી દીધા પછી સ્તનની વાત કરે છે… બંને અલગ ? કે પછી વર્તુળના પરિઘ પરથી કેન્દ્ર તરફની ગતિ અહીં ઈંગિત થાય છે? પ્રગાઢ ચુંબન
પછી નાયક એન્ટિગનીને વચ્ચે કશું જ ન રહે એમ જાતસરસી જકડી લે છે. अब हवा भी नहीं, तेरे मेरे दरमियां।

ચસોચસતા હો એવી કે હવાની આવજા દુષ્કર બને,
સતત એવા અને એથી પ્રબલ આલિંગનોને શોધું છું.

– અને આ તીવ્રાનુભૂતિ પર આવીને નાયક મૌન થઈ જાય છે… પ્રેમ આગળ વધે છે પણ પ્રેમની કથા અટકી જાય છે. દીવો મૂંગો સાક્ષી બની રહે છે. દીવાનું તો કામ જ પ્રકાશ નાખવાનું છે પણ આ આખી ઘટનાના સાક્ષી હોવા છતાંય દીવો ઘટનાને અંધારામાં રાખે છે. આ પેરાડોક્સ એક લીટીની સામાન્ય સંભોગોક્તિને કાવ્યની કક્ષાએ લઈ જાય છે.

પ્રણયની તીવ્રતમ અનુભૂતિ કાવ્યનો આત્મા છે. વાત તો શારીરિક પ્રેમની જ છે પણ એકબીજામાં ઓગળી જવાની પરાકાષ્ઠા, પ્રિયજનની ત્વચાને પોતાની બનાવી લેવાની ઉત્કંઠા દૈહિક આવેશમાં કવિતાનો પ્રાણ પૂરે છે. પ્રગાઢ આલિંગન, ચુંબન અને સંભોગથી કવિતા ખુલે છે અને મૌનમાં સમેટાય છે. પ્રણયની ચરમસીમાએ શરીર અને શબ્દો – બંને ઓગળી જાય છે. મીણ ઓગળે કે દિવેટ બળે બળે ત્યારે જ અંધકારને મારી હટાવતો પ્રકાશ રેલાય છે. આપણી જાત, આપણી એષણાઓ બળી જાય ત્યારે જ પ્રેમનો શાશ્વત પ્રકાશ રેલાય છે. શબ્દો સળગીને ઓગળી જાય એ ઘડી દ્વૈતમાંથી અદ્વૈત તરફની ગતિની, ચિર સાયુજ્યની પરમ ઘડી છે. ઓશો પણ સંભોગથી સમાધિની વાત કરે છે. સેક્સની પરાકાષ્ઠાએ મનુષ્ય ઈશ્વરની સહુથી નજીક હોય છે.

આજ કવિતાના અલગ-અલગ અંગ્રેજી અનુવાદ થયા છે જેમાંના એકનું ભાષાંતર કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીને’ પણ કર્યું છે, એ પણ જોઈએ:

એના નિર્વસ્ત્ર ભરાવદાર સ્તન
પડ્યાં છે મારી છાતી પર
ને એના અધરો પુરાયા છે મારા અધરો વચ્ચે.

મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
નથી કોઈ આવરણ અમારી વચ્ચે.

આગળ કશું નહીં કહું,
એનું સાક્ષી તો છે માત્ર ઝાંખું ફાનસ.

‘અચ્છે દિન’ – Gujarati Sugam Sangeet Program by Non-Gujarati Organizer!

‘અચ્છે દિન’ ગુજરાતી સુગમ સંગીત કાર્યક્રમ

    on April 30th in Cubberly Theatre, Palo Alto!!

    Hemant Joglekar – A Bay area music enthusiast, is a creative organizer who believes that music has universal reach and has no language Barrier! Through his ‘गाये जा मुस्कुराये जा’ group, Hemant organized first prorgam of हिंदी songs in 2015, of मराठी songs in 2016 & is now coming up with ગુજરાતી program on April 30th in Cubberly Theatre, Palo Alto! Some of Bay area’s well known artists have joined Hemant in his unique and genuine efforts – Piyush Nagar, Hetal Brahmbhatt, Aanal Anjaria, Achal Anjaria, Puja Purandare, & Seema Agrawal!
    MC – Wellknown Gujarati events promoter/organizer – Jagruti Shah of Javanika & Hemant Joglekar.

    Tickets are available: http://shopdesibazaar.com/gjmj or http://sulekha.com/gjmj

    GJMJ2017_Flyer5

ગ્લૉબલ કવિતા : તે રહેતી હતી – વિલિયમ વર્ડ્સવર્થ

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.
A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક કુમારિકા જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.
શેવાળિયા પથ્થર પાસેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્વની એકલતાનું કરુણપ્રશસ્તિ કાવ્ય
ઇન્ગ્લેન્ડના વાયવ્ય ખૂણામાં આવેલા અતિસુંદર લેક ડિસ્ટ્રિક્ટની મુલાકાત ‘લેક પોએટ્સ’ની જાણકારી વિના અધૂરી છે એ જ રીતે વિલિયમ વર્ડ્સવર્થ, સેમ્યુઅલ ટેલર કોલરિજ, તથા રોબર્ટ સાઉધી જેવા લેક પોએટ્સની કવિતાનું સાચું સૌંદર્ય લેક ડિસ્ટ્રિક્ટની જાણકારી વિના પૂરું માણી નહીં શકાય. એક તરફ આ પ્રદેશે આ અને અન્ય કવિઓની રચનાઓને અનવરત પ્રેરણા પૂરી પાડી તો બીજીતરફ આ કવિઓની રચનાઓમાં પ્રાદેશિક સૌંદર્ય કાબેલ ફોટોગ્રાફરે ખેંચેલા ઉત્તમ ફોટોગ્રાફ્સની જેમ ડગલે ને પગલે ઉજાગર થયું છે.

વર્ડ્સવર્થને ઇન્ગ્લેન્ડના શ્રેષ્ઠ કવિ તરીકે ઓળખનાર લોકોનો તોટો નહીં જડે. કોલરિજની સાથે ભાગીદારીમાં પ્રગટ કરેલ ‘લિરિકલ બેલડ્સ’થી અંગ્રેજી સાહિત્યમાં સુપ્રસિદ્ધ ‘રૉમેન્ટિક’ ક્રાંતિ અને યુગના શ્રીગણેશ થયા. બાળપણમાં જ અનાથાવસ્થા અને ગરીબીનો શિકાર વર્ડ્સવર્થ કાકાઓની મદદથી કેમ્બ્રિજમાં ભણ્યા. બહેન ડોરોથી આજીવન પડછાયાની પેઠે એમની સાથે જ રહી. બહેન અને પત્નીનો વર્ડ્સવર્થના જીવનમાં બહુ મોટો ફાળો રહ્યો. કવિને ફર-વા હતો એટલે જિંદગીભર મુસાફરી કરતા રહ્યા. કોલરિજની સાથે દોસ્તી રોજ સાથે ચાલવા જવાનું નિમિત્ત બની અને આ ‘વૉક’ની જ ફળશ્રુતિ એ લિરિકલ બેલડ્સ. જિંદગીના આખરી દસકામાં એમને રાજકવિનું સન્માન પણ મળ્યું. પોતાના ભારીખમ્મ ઇગો સાથે જીવનાર સર્જક તો તો ઘણા જોવા મળશે પણ પોતાના વજનદાર ઇગોને જીરવનાર જમાનો પણ જીવતેજીવત પામે એવા સર્જક તો જૂજ જ. જનાબ આવા ‘રેરેસ્ટ’માં સ્થાન પામે છે.

કવિતા વિશેની એમની બહુખ્યાત વ્યાખ્યા, ‘કવિતા બળવત્તર સંવેદનાઓનો સ્વયંસ્ફૂર્ત ઉભરો છે, જે પરમ શાંતિમાં એકત્ર કરેલ લાગણીમાંથી જન્મે છે’ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. કવિતા વિશેની એમની ‘તીવ્ર’ માન્યતા હતી કે કવિતાનો વિષય ગ્રામ્યજીવનમાંથી જ પસંદ કરેલો હોવો જોઈએ કેમકે હૃદયના આવશ્યક આવેગ એ જ જમીનમાં પુખ્તતા પામી શકે છે અને કવિતાની ભાષા પણ રોજિંદા જીવનની જ હોવી જોઈએ અને ગદ્ય અને છાંદસ ભાષા વચ્ચે કોઈ જ તફાવત હોવો ન જોઈએ. કવિ ઘણે અંશે આ માન્યતાને જડની જેમ વળગી પણ રહ્યા હતા પણ એમના જ અંગતતમ મિત્ર કોલરિજે આ બાબતમાં જાહેરમાં એમના છોતરાં ફાડ્યાં હતાં. ગમે તે હોય પણ કવિતાની સાદગી અને સૌંદર્યની બાબતમાં વર્ડ્સવર્થને ભાગ્યે જ કોઈ અતિક્રમી શકે. એ રીતે જોતાં એમનું નામ વર્ડ્સવર્થ -શબ્દો જેમને લાયક છે- યથાર્થ છે.

વર્ડ્સવર્થ લિરિકલ પોએટ્રીના માસ્ટર છે. લિરિકલ-પોએટ્રી યાને કે ઊર્મિકાવ્ય કે ભાવગીત નામ પ્રમાણે જ ઊર્મિપ્રધાન-ભાવપ્રધાન હોય છે, વિચારપ્રધાન નહીં. આ કવિતાઓ જ્યારે તમારી અંદરથી પસાર થાય છે ત્યારે દિલને પહેલાં સ્પર્શે છે, મગજને પછીથી અથવા બિલકુલ જ નહીં. ઈકબાલનો એક શેર યાદ આવે:

अच्छा है दिल के पास रहे पासबान-ए-अक़्ल,
लेकिन कभी कभी इसे तन्हा भी छोड दे।
(અક્કલનો પહેરેદાર દિલની પાસે રહે એ સારું છે પણ ક્યારેક ક્યારેક એને(દિલને) એકલું પણ છોડી દેવું જોઈએ)

ઊર્મિકાવ્ય વાંચતી-સાંભળતી વખતે તમારી અંદર સંવેદનાના તાર ઝંકૃત થાય એ જ એની ખરી સફળતા. લાગણીના ઘાસની ગંજીમાંથી અર્થની સોય શોધવા બેસવાનું કામ કરે એ વિવેચક ખરા અર્થમાં તો બબૂચક જ ગણાય. A poem has to be not meanવાળી વાત આવી રચનાઓ માટે જ કહેવાઈ હશે. અહીં પ્રસ્તુત રચના પણ સીધી દિલને જ સ્પર્શી જાય છે. મૂળ અંગ્રેજી કવિતા શોકગીત (Elegy) અને લોકગીત (Ballad)– બંનેની લાક્ષણિકતાઓ ધરાવે છે. શોકગીત તોકેમ છે એ દેખીતું જ છે. અંગ્રેજીમાં લોકગીતમાં સામાન્યતઃ વપરાતો છંદ આયમ્બિક જેમાં વારાફરતી ટેટ્રામીટર અને ટ્રાઇમીટર પ્રયોજવામાં આવે છે એ અહીં વપરાયો છે અને લોકગીતની બીજી લાક્ષણિકતા મુજબ કવિતામાં કથા પણ વણી લેવામાં આવી છે.

વિશ્વ સાહિત્યમાં કાલ્પનિક કે મનગમતી પણ હાથવગી ન થઈ શકે એવી સ્ત્રીને સંબોધીને કવિતાઓ લખવાનો ચીલો નવો નથી. છેક ચૌદમી સદીમાં ઇટાલીના પેટ્રાર્કે (જેને દુનિયા આજે સૉનેટ કાવ્યસ્વરૂપના પિતા ગણે છે) લૉરા ડિ નોવ્સ નામની સ્ત્રી માટે સૉનેટ્સ લખ્યા. જેના પરિપાકરૂપે આવનારી સદીઓ સુધી આવા કૃત્રિમ પ્રણયકાવ્યો લખવાની પ્રણાલિકા સ્થાપિત થઈ જે ‘પેટ્રાર્કન કન્વેન્શન’ તરીકે ઓળખાયું. દાન્તે જેવા દિગ્ગજ કવિએ પણ બિટ્રિસ પોર્ટિનારી માટે આવ પ્રણયકાવ્યો લખ્યા. શેક્સપિઅરના સૉનેટ્સમાં કોઈક પુરુષપાત્ર માટેનું સમલૈંગિક આકર્ષણ સદાકાળ ચર્ચાનો વિષય છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, ખલીલ ધનતેજવીની ‘અનિતા’ એમઅંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’…! લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતીકે કાલ્પનિક, એ આજે પણ કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ વિશદ ચર્ચા જગાવી છે. એમની એક કવિતા ‘લ્યુસી ગ્રે’નો ઉત્તમ ભાવાનુવાદ ‘મીઠી માથે ભાત’ કવિતામાં શ્રી વિઠ્ઠલરાય આવસત્થીએ કર્યો છે.

ઓગણીસમી સદીના ઇંગ્લેન્ડમાં રોમાન્સ, રોમેન્ટિક, રોમાન્ટિસિઝમનો અર્થ આજે આપણે જે પ્રેમ સંબંધી અર્થ તારવીએ છીએ એ નહોતો. રોમાન્સ શબ્દ ‘રોમન’ પરથી ઊતરી આવ્યો હતો. એ સમયે રોમાન્સ એટલે વ્યક્તિગત હીરોગીરી આધારિત મધ્યયુગીન રાજવી પરાક્રમોની વાર્તા કે ગીતગાથા. એના પરથી પ્રવર્તમાન ‘ક્લાસિકલ’ પ્રવાહની વિરુદ્ધ વ્યક્તિગત લાગણીઓનો જે ઊભરો અને પ્રકૃતિના નાનવિધ સ્વરૂપોની આરાધના કરતો જે કળાપ્રવાહ ઊભરી આવ્યો એ રોમાન્ટિસિઝમ કહેવાયો અને વર્ડ્સવર્થ એનો મુખ્ય પ્રણેતા ગણાય છે. વર્ડ્સવર્થની આ કવિતા રોમેન્ટિક યુગનો આયનો છે. વિષય અને કાવ્યપદ્ધતિ –બંને રીતે આ રચના રોમાન્ટિસિઝમના લક્ષણ ધરાવે છે. સીધી-સરળ ભાષા, સહજ અભિવ્યક્તિ, અંગત લાગણીની અભિવ્યક્તિ, ગ્રામ્યજીવન અને કુદરતનું મહત્ત્વ, પારંપારિક પૌરાણિક પાત્રોની ગેરહાજરી અને લાઘવ- રોમાન્ટિસિઝમની આ તમામ કસોટી પર આ કાવ્ય ખરું ઉતરે છે.

જિંદગી જેમને ધ્યાનમાં નથી લેતી કે કદર નથી કરતી એ તમામ લોકો માટે કદાચ કવિનું આ કલ્પાંત છે. એવા તારાઓ જે એકલા જ પ્રકાશે છે, મુસાફરી કરે છે અને બળીને અંતે ખતમ થઈ જાય છે. શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય! બીજી રીતે જોઈએ તો આ કવિતા કદાચ લ્યુસીની ઓછી છે અને કવિની વધારે છે. કદાચ લ્યુસીની જિંદગી અને મોત કરતાં પણ કવિની સંવેદનશીલતાનું અહીં વધુ મહત્ત્વ હોય એમ પણ અનુભવાય. એક લગભગ ગુમનામ કુમારિકા જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? જેને દુનિયા કદી યાદ નથી કરવાની એવી બેનામ વ્યક્તિ તરફની પોતાની લાગણી બતાવીને કવિ કદાચ પોતાના વિશે જ કવિતા કરતા હોય એવું પણ લાગે.

કવિતાનું શીર્ષક પણ સૂચક છે. વણકચડાયેલા રસ્તાઓ માત્ર જંગલના નથી, લ્યુસીના વ્યક્તિત્વના પણ છે, મનોજગતના પણ છે અને અબોટ સેક્સ્યુઆલિટિના પણ છે. લ્યુસીના દિલ સુધી, મન સુધી, શરીર સુધી કદાચ કોઈ પહોંચી શક્યું નહોતું. ઝરણાં શબ્દ સાથે જ આપણાં માનસપટ પર સ્વચ્છ, તાજું, શીતળતાદેય, વહેતું પાણી તરવરી આવે. એક કુંવારિકાની તાજપ, અક્ષુણ્ણતા અને ચંચળતા- આ બધું કવિ એક જ વિશેષણમાં રજૂ કરી દે છે. આ શબ્દની તાકાત છે અને વર્ડ્સવર્થ જેવાને એ હસ્તગત છે. પથ્થર લાંબો સમય ઝરણાં પાસે પડી રહે એટલે સમય એના પર શેવાળ બનીને ફરી વળે. પથ્થર પાછળથી ઊગી આવતું પણ પથ્થરના કારણે અડધું જ નજરે ચડતું અર્ધનિમીલિત આંખ જેવું જાંબુડી ફૂલ ઘણું કહી જાય છે. તકલીફો પછીતેથીય ઉપસી આવતું પણ વણપ્રીછ્યું જ રહી ગયેલું લ્યુસીનું વ્યક્તિત્વ અને એની સુંદરતા- બંને અહીં છતા થયા છે.

લ્યુસીનું સૌંદર્ય એકલપંડા તારા જેવું છે. આકાશમાં ઘોર અંધારા વાદળો વચ્ચે ક્યારેક એક જ શુભ્ર પ્રકાશિત તારો દૃષ્ટિગોચર થતો હોય એમ અવાવરુ જંગલમાં ઝરણાકાંઠે લીલબાઝ્યા પથ્થર પાછળ ખીલેલા એકાકી રંગીન પુષ્પ જેવી એ શોભાયમાન છે… પણ એને વખાણનારું ને કદાચ ચાહનારું પણ કોઈ એને મળ્યું નહીં. સરનામાં વિનાની ટપાલ જેવી ઓળખાણરહિત જિંદગી એ જીવી ગઈ અને કદાચ એ હવે નથી રહી એની પણ બહુ લોકોને ખબર નહીં હોય. (એ કબરમાં છે એટલે કોઈકને તો ખબર છે જ!)

આગળ કહ્યું એમ વર્ડ્સવર્થ જીવનભર પોતાના અહમનો ભાર ઊંચકીને ચાલ્યા. આ કવિતામાં પણ એક તરફ લ્યુસી જેવી બિલકુલ અણજાણ કુમારિકા પરત્વે કવિની દરકાર નજરે ચડે છે તો બીજી તરફ, આવી સાવ અજાણી છોકરીનું પણ આવું ઊંડું ધ્યાન રાખનારની તીવ્ર ઊર્મિશીલતા અને સ્નેહભાવ ભાવક સામે ઉજાગર કરવાની આત્મશ્લાઘાપૂર્ણ પ્રયુક્તિ પણ નજરે ચડે. ટૂંકમાં, આ ગીત ક્દાચ એકલી લ્યુસીની જ નહીં, કવિની પોતાની એકલતા અને ખોટનું કરુણપ્રશસ્તિ કાવ્ય છે.

ગ્લૉબલ કવિતા : તારા પગ – પાબ્લો નેરુદા

When I cannot look at your face
I look at your feet.

Your feet of arched bone,
your hard little feet.
I know that they support you,
and that your sweet weight
rises upon them.

Your waist and your breasts,
the doubled purple
of your nipples,
the sockets of your eyes
that have just flown away,
your wide fruit mouth,
your red tresses,
my little tower.

But I love your feet
only because they walked
upon the earth and upon
the wind and upon the waters,
until they found me.

– Pablo Neruda

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ જોઉં છું.

મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.
હું જાણું છું કે તેઓ તને આધાર આપે છે,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારા સ્તનાગ્રના બેતરફા જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની ફાડ સમું તારું પહોળું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર.

પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી ઉપર અને ચાલે છે
પવન પર અને પાણી પર,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજીમાંથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

*
“મારા લોહીમાં કદી એક આંગળી પણ ન ડૂબાડનારાઓ શું કહેશે મારી કવિતાઓ વિશે?”

– આ લખનાર વિશેની એક ફિલ્મ-El Postino (The Postman)-ની ડીવીડી, થોડા વરસ પહેલાં એક મિત્રે અમેરિકાથી મોકલી હતી. ફિલ્મ જોયા પહેલા કવિનું માત્ર નામ જ સાંભળ્યું હતું. ફિલ્મ જોયા પછી કવિનો પરિચય થયો. જોતજોતામાં આ પરિચય ગાઢ પ્રેમમાં પરિણમ્યો. પાબ્લો નેરુદા. મૂળ નામ રિકાર્ડો એલિઅય્સર નેફ્ટાલ્લી રેયસ બસોઆલ્ટો. વીસમી સદીના સૌથી સશક્ત કવિઓમાંના એક. જન્મ દક્ષિણ અમેરિકાના ચીલીના પારાલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ. રાજકારણમાં શરૂથી અંત સુધી ઊંચા વગદાર હોદ્દા પર સતત સક્રિય રહ્યા. રાજકીય કારણોસર એમણે જીવ બચાવવા દેશ છોડીને ભાગવુ પણ પડ્યું હતું. નેરુદાની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. મનુષ્યજીવનની વિષમતાઓની ગૂંચ ઉકેલવાની મથામણ એમની કવિતાઓમાં સતત ડોકાતી રહે છે. નેરુદાની કવિતાની ગેલેક્સીમાં મોટા-નાના ગ્રહ-ઉપગ્રહો, સ્વયંપ્રકાશિત તારાઓ, લિસોટા છોડી જતા ધૂમકેતુઓ, સપ્તરંગી વલયો, રહસ્યગર્ભિત બ્લેકહૉલ્સ, વિસ્મિત કરતી આકાશગંગાઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે લૌકિકને અલૌકિકતા બક્ષે છે… ઈ.સ. ૧૯૫૦માં એમને વિશ્વ શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૭૧માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો. પ્રોસ્ટેટના કેન્સરના કારણે ૨૩-૦૯-૧૯૭૩ના રોજ એમનું નિધન થયું. પણ હજીય એવું માનવામાં આવે છે કે રાજકીય કારણોસર ડોક્ટરને હાથો બનાવીને ઇન્જેક્શન આપી એમની હત્યા કરવામાં આવી હતી.

નેરુદા માનતા કે કવિતા રોજબરોજની નાનામાં નાની અને ગંદામાં ગંદી વસ્તુઓમાં પણ રહેલી છે અને જે લોકો આ કવિતા જોઈ નથી શકતા, એ લોકો પાછાં જ પડવાનાં છે. અશુદ્ધ કવિતાની હિમાયત કરતાં નેરુદાએ લખ્યું છે કે, “પૈડાં જેમણે ખનીજ અને શાકભાજીના બોજા સાથે લાંબું, ધૂળિયું અંતર કાપ્યું છે, કોલસાના થેલાઓ, પીપડાઓ અને ટોપલીઓ, સુથારના ઓજારપેટી માટે હાથા અને દાંડાઓ… એમાંથી વહે છે સંપર્કો મનુષ્યના ધરતી સાથેના, જાણે કે મૂંઝાયેલા ગીતકારો માટેનું લખાણ.. કો’ક એમાં જોઈ શકે છે મનુષ્યની સ્થિતિની મૂંઝાયેલ અશુદ્ધિ… કવિતા, આપણે પહેરેલાં કપડાં, અથવા આપણા શરીર જેટલી જ મલિન… પ્રેમના વહનમાં વસ્તુઓની ઊંડી ઘુસપેઠ, કબૂતરના પંજા, બરફ અને દાંતના નિશાનવાળી, પરસેવાના ટીપાં અને વપરાશ વડે નજાકતથી કરડાયેલી એક વપરાઈ ગયેલી કવિતા… સાચે એ જ કવિની નિસબત છે, જરૂરી અને સંપૂર્ણ. જે લોકો વસ્તુઓના “ખરાબ સ્વાદ”થી ઉફરા રહે છે, એ બરફમાં ચત્તા મોંએ પછડાશે.”

‘ખરાબ સ્વાદ’ની વાત શરીરના સંદર્ભમાં કરીએ તો ‘પગ’ યાદ આવે. ચહેરો, દેહયષ્ટિ વિ.ની કવિતાઓ ચારેતરફ વેરાયેલી મળી આવશે પણ ખાસડાં અને ધૂળ-કાદવ જ જેના નસીબમાં છે એવા પગ વિશે બહુ ઓછા કવિઓએ કવિતા કરી હશે. આપણે ત્યાં પગ ધોઈને ‘ચરણામૃત’નું આચમન લેવાનો રિવાજ છે. ‘ચરણસ્પર્શ’ હજી આપણા સંસ્કારનો બ્રાન્ડ ઍમ્બૅસેડર છે. રામની પાદુકા સિંહાસન પર મૂકીને ભરતે ચૌદ વર્ષ રાજ્ય કર્યું હતું. કેવટે કહ્યું, ‘પગ મને ધોવા દ્યો રઘુરાય.’ ચરણસ્પર્શથી શિલા અહલ્યા થઈ. કૃષ્ણના મનુષ્યાવતારનો અંત પગની પાનીમાં તીર વાગવાથી થયો હતો. વામને ત્રણ પગલાંમાં બલિનું સર્વસ્વ લઈ લીધું હતું. વિષ્ણુના પગમાંથી ગંગા પ્રગટ થઈ હતી. દક્ષની પુત્રી પિતાગૃહે શંકરની અવહેલના જોઈ પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવી અગ્નિસ્નાન કર્યું હતું. શ્રીમદ્-ભાગવતમાં એક શ્લોક છે:

प्रणयकामदं पद्मजार्चितं धरणिमण्डनं ध्येयमापदि ।
चरणपंकजं शन्तमं च ते रमण न: स्तनेष्वर्पयाधिहन् ॥
(માટે મનોવ્યથાનો નાશ કરનાર હે રમણ! આપનું ચરણકમળ, જે પ્રણામ કરનારાઓને કામનાઓ અર્પણ કરનારું છે; બ્રહ્મદેવે પૂજેલું છે, પૃથ્વીને શોભાવનારું છે, આપત્તિકાળમાં ધ્યાન ધરવા યોગ્ય છે અને અત્યંત સુખકારક છે તેને આપ અમારાં સ્તનો ઉપર મૂકો (અને કામજ્વરને શાંત કરો).

આ છતાંય ચરણકમળ કદી કવિતામાં કમળ બની ખીલી શક્યાં નહીં. પણ નેરુદા પગની કવિતા લઈ આવ્યા છે. કેમકે નેરુદાની કવિતા જિંદગીમાંથી જન્મી છે. નેરુદાની કવિતાનું પોતીકું વહેણ છે જે પરંપરાની ધારાને સાવ અડોઅડ છતાં તદ્દન ઉફરું વહે છે.

પાકીઝા ફિલ્મમાં ટ્રેનમાં ઓઢીને સૂતેલી મીનાકુમારીના એકમાત્ર ઉઘાડા અંગ-પગમાં રાજકુમાર ચિઠ્ઠી મૂકીને ચાલ્યો જાય છે, એમ લખીને કે, “आपके पांव देखे, बहुत हसीन हैं। इन्हें जमीन पर मत उतारियेगा, मैले हो जाएँगे।“ આપણે ત્યાં પણ વિખ્યાત લોકગીત છે, ‘“હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું?”’ નેરુદા પણ પ્રિયતમાના પગના વખાણ કરે છે. કવિતાની પહેલી પંક્તિ જ પ્રશ્ન ઊભો કરે છે: ‘જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો, તારા પગ જોઉં છું.’ ચહેરો કેમ નથી જોઈ શકાતો ભલા? સંકોચ નડે છે? કે ચહેરાનું ઓજસ અસહ્ય છે? હશે. કવિનું ધ્યાન આજે ચહેરા પર છે જ નહીં. કવિની ગતિ એક અંતિમથી બીજા અંતિમ તરફની છે. વચમાં કમરની લચક, સ્તનોનો ઉભાર, આંખ, સ્મિત – ઘણું બધું છે પણ કવિ તો પગના પ્રેમમાં છે. પગ માટેનો સવિશેષ પ્રેમ કે જાતીય આવેગ પોડોફિલિઆ (Podophilia) કે ફૂટ ફેટિશિઝમ (Foot Fetishism) તરીકે ઓળખાય છે જેમાં પગ, પગના આંગળાં, પગમાં પહેરેલ આભૂષણો, પગરખાં વિ. જાતીય સંતોષ મેળવવા માટેના સાધન બની રહે છે. કહે છે કે થોમસ હાર્ડી (લેખક), ફ્યોદોર દોસ્તોએવસ્કી (લેખક),એલ્વિસ પ્રિસ્લી (ગાયક), બ્રિટની સ્પીઅર્સ (એક્ટ્રેસ), બ્રુક બર્ક (મોડેલ), એન્રિક ઇગ્લેસિઆસ (ગાયક), એન્ડી વૉરહૉલ (પોપસ્ટાર) જેવી જગવિખ્યાત હસ્તીઓ ફૂટ ફેટિશ હતી.

કવિ પગ પર ધ્યાન આપે છે કેમકે આ પગ ભલે નાના અને સખત કેમ ન હોય, એના મરોડદાર હાડકાંઓ જ પ્રિયાને આધાર આપે છે અને મીઠું લાગે એવું વજન પણ ઉપાડે છે. ‘ઘણું ભારણ છે જીવનમાં છતાં એક બોજ એવો છે, ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે.’(ગની દહીંવાળા) પ્રિયતમાનું વજન ઉપાડી લેતાં પગ એકરીતે તો પ્રિયતમાને જ ઈંગિત કરતાં લાગે છે. પ્રિયતમા પણ મરોડદાર નાની કાયાવાળી અને કદાચ સખ્તજાન (પણ) છે.

કવિતાની શરૂઆતમાં ચહેરો જોવાની અશક્તિ નોંધાવ્યા બાદ કવિ પ્રિયતમા તરફ ફેરનજર કરે તો છે જ. નાજુક કમર અને કમરની નજાકત ઊભારી આપતાં ભરાવદાર સ્તન, ઉન્નત ડીંટડીઓનો લલચાવતો જાંબુડી રંગ, ક્યાંક દૂર ચાલી ગયેલી આંખોના સ્થાને ખાલી ખાડા, પહોળું મોં અને રાતા કેશ. આખી કવિતામાં પ્રિયતમાના સૌંદર્યના જ રંગો ભર્યા બાદ પોતાની પરિસ્થિતિ કવિ એક જ પણ અસરકારક લીટીમાં વર્ણવે છે – મારો નાનકડો મિનાર. પ્રિયાના અપ્રતીમ સૌંદર્યથી થતી ઉત્તેજના કવિ છૂપાવતા નથી. છૂપાવવાનું હોય પણ નહીં… પ્રેયસી નિર્વસ્ત્ર ઊભી હોય અને પ્રેમી કામોત્તેજના ન અનુભવે એ ઘડી સેક્સોલોજીસ્ટ પાસે જવાની ઘડી છે.

પણ ‘આજની ઘડી રળિયામણી’ છે. આ પ્રેમની ઘડી છે. પ્રેમના મૂલ્યાંકનની ઘડી છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘હું ફરીથી પ્રેમમાં પડ્યો, અને પ્રેમે મારી જિંદગીમાં એક નવું મોજું ઊછાળ્યું અને મને પ્રેમથી, ફક્ત પ્રેમથી તર કરી દીધો, કોઈના પણ માટે ખરાબ વિચારી ન શકું એ રીતે.’ આ પ્રેમની તાકાત છે. એ તમને સંપૂર્ણ બનાવે છે. તમે જેને ચાહો છો એને પણ સંપૂર્ણ બનાવી દે છે. સુન્દરમ્ નું એક મુક્તક યાદ આવે:

હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની
ને સૃષ્ટિમાં જે કંઈ હો અસુન્દર,
મૂકું કરી સુંદર ચાહી ચાહી !

કવિ પ્રિયાને સાંગોપાંગ ચાહે છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘મને રોટલી, હવા, પ્રકાશ, વસંત, બધાની ના કહી દે, પણ તારા સ્મિતની નહીં, કેમકે હું મરી જઈશ.’ પણ આજે એ લલચામણા સ્તન, સ્તાનાગ્રો, કમર, આંખ, સ્મિત – આ બધાને અવગણીને પગનું મૂલ્યાંકન કરે છે કેમ કે એ પગ ત્રણેય લોકમાં ચાલ-ચાલ કરે છે, જ્યાં સુધી કવિને શોધી નથી લેતા ત્યાં સુધી. મનોજ ખંડેરિયા યાદ આવે:

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.

પગથી પ્રેમી સુધીની યાત્રા કદાચ વરસોના વરસ લાંબી પણ હોય. પવન અને પાણી પર ચાલવાની વાત કવિ કરે છે. અશક્ય અને આધારહીનતામાં ચાલવાની આ વાત છે. પણ સાચી પ્રતીક્ષા, સાચો પ્રેમ અશક્યને શક્ય અને નિરાધારને આધાર બનાવે છે. નેરુદા એક જગ્યાએ કહે છે, ‘આપણે સમયના જળ પર થઈને સાથે જઈશું કેમકે પડછાયાઓમાં થઈને મારી સાથે બીજું કોઈ મુસાફરી નહીં કરે.’ આ પગ તને મારા સુધી લઈ આવે છે અને લઈ આવે ત્યાં સુધી એ જંપતા કે થાકતા કે અટકતા પણ નથી, માટે જ હું તારા પગને ચાહું છું… તારા પગ મારા પ્રેમને સંપૂર્ણતા બક્ષે છે.

ભવિષ્યવેત્તા – ચન્દ્રવદન મહેતા

કાલે રજા છે, ગઈ છું ય થાકી, વાંચીશ વ્હેલા સહુ પાઠ બાકી
તારી હથેલી અહીં લાવ, સાચું હું ભાઈ, આજે તુજ ભાગ્ય વાંચું.

કેવી પડી છે તુજ હસ્તરેખા ! જાણે શું લાખે નવ હોય લેખાં !
પૈસા પૂછે છે ? ધનની ન ખામી જાણે અહોહો ! તું કુબેરસ્વામી !

છે ચક્રચિહ્નો તુજ અંગુલિમાં, જાણે પુરાયા ફૂટતી કળીમાં
છે મત્સ્ય ઊંચો, જવચિહ્ન ખાસ્સાં, ને રાજવી લક્ષણ ભાઈનાં શાં !

વિદ્યા ઘણી છે મુજ વીરલાને, ને કીર્તિ એવી કુળ હીરલાને !
આયુષ્યરેખા અતિ શુદ્ધ ભાળ, ચિંતા કંઈ રોગ નથી તું ટાળ,

ને હોય ના વાહન ખોટ ડે’લે, બંધાય ઘોડા વળી ત્યાં તબેલે.
ડોલે સદાયે તુજ દ્વાર હાથી, લે બોલ જોઉં, વધુ કંઈ આથી ?

જો ભાઈ, તારે વળી એક બ્હેન, ચોરે પચાવે તુજ પાટી પેન,
તારું લખે એ ઉજમાળું ભાવિ, જાણે વિધાત્રી થઈ હોય આવી !

મારેય તારે કદી ના વિરોધ રેખા વહે છે તુજ હેત ધોધ
એ હેતના ધોધ મહીં હું ન્હાઉં, ચાંદા ઝબોળી હરખે હું ખાઉં.

ડોસો થશે, જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો મુજ નક્કી હારું !
આથી જરાયે કહું ના વધારે, કહેતાં રખે તું મુજને વિસારે !

‘જો જે કહ્યું તે સહુ સાચું થાય, ઈલા ! પછી તો નહીં હર્ષ માય
પેંડાં, પતાસાં ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે.’

– ચન્દ્રવદન મહેતા

ગ્લૉબલ કવિતા: केनू संग खेलू होली – મીરાંબાઈ

केनू संग खेलू होली
पिया त्यज गये है अकेली..!

माणिक मोती सब हम छोडे
गले में पहनी सेली
भोजन भवन भलो नही लागे
पिया कारन भयी रे अकेली
मुझे दुरी क्युँ मेली ?

अब तुम प्रीत अवर सु जोडी
हम से करी क्युं पहेली ?
बहु दिन बीते, अजहुन आये,
लग रही ताला वेली
केनु दिल मा ये हेली ?

श्याम बिना जीयडो मुरझावे,
जैसे जल बिन बेली,
मीरा को प्रभू दरसन दिजो
मै तो जनम जनम की चेली
दरस बिना खडी दुहेली…

– मीरांबाई

કોની સંગ રમવી રે હોળી?
ગયા પિયા મને એકલી છોડી.

બાંધી ગળામાં તારી કંઠી,
છોડ્યા સઘળાં માણેક-મોતી,
મહેલ, ભોજન સહુ લાગે અકારાં,
થઈ એકલી હું પિયાને કાજ, ભોળી.
મને દૂર કેમ તરછોડી?

મુજ સંગ પ્રીત કરી ક્યમ પહેલાં?
હવે બીજાની સાથે ક્યમ જોડી?
કેટલા દિવસ થયા, હજીય ન આવ્યા,
થઈ રહી તાલાવેલી,
કેમ દિલમાં આવી હેલી?

શ્યામ વિના આ જીવ મુરઝાતો,
જળ વિણ વેલ શું મહોરી?
મીરાંને પ્રભુ દર્શન આપો,
દાસી જનમ જનમની, હો રી !
દરસ વિના દુઃખિયારી તોરી.

-મીરાંબાઈ
(અનુ. વિવેક મનહર ટેલર)

હોલી કે દિન દિલ ખિલ જાતે હૈં…

પ્રેમલક્ષણા ભક્તિનું સર્વોત્કૃષ્ટ શિખર છે મીરાં. મીરાંની ભક્તિનું પાનું કાઢી લો તો કૃષ્ણની કિતાબ અધૂરી લાગે. ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરો ન કોઈ’, ‘હે રી મૈં તો પ્રેમદિવાની’, ‘મુખડાની માયા લાગી રે’, ‘ગોવિંદો પ્રાણ અમારો રે’, ‘શામળો ઘરેણું મારે સાચું રે’, ‘લાગી કટારી પ્રેમની’ – મીરાંબાઈની કેફિયતના પાનાં ફેરવતાં જઈએ તેમ તેમ કૃષ્ણ વધારે પોતીકા લાગતા જાય એવી સાચી પ્રેમલગન લઈને જન્મેલી મીરાં બહુ દૂરના ભૂતકાળમાં ન થઈ હોવા છતાંય એના જીવનકાળ અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે. મેડતાના ઠાકોર વીર દૂદાજી રાઠોડના પુત્ર રત્નસિંહને ત્યાં ઈ.સ. ૧૫૦૨–૦૩માં એમનો જન્મ. મુખમુદ્રા તેજસ્વી હોવાના કારણે એમનું નામકરણ મિહિરાંબાઈ (મિહિર=સૂર્ય) થયું, ને એમાંથી મીરાંબાઈ. ચિત્તોડના રાણા સાંગાના પુત્ર ભોજરાજ સાથે બાળલગ્ન અને થોડા જ સમયમાં વૈધવ્ય. ભોજરાજના નાના ભાઈ વિક્રમાદિત્યથી થાકીને મીરાંએ મેવાડ છોડ્યું. બાળપણમાં જ એક સાધુ પાસે મળેલી કૃષ્ણની મૂર્તિ સાથે મીરાંએ સ્વયંવર રચી લીધો હતો. કૃષ્ણભક્તિ અને સાધુસંગના પરિગ્રહણના કારણે રાજરાણી મીરાંને મબલખ દુઃખો મળ્યાં જે એણે પ્રહલાદની નિસ્પૃહતા અને ધ્રુવની અવિચળતાથી સહી લીધાં. શંકરની પેઠે વિષનો પ્યાલો ગટગટાવીને, બાળવિધવા મીરાંએ કૃષ્ણને જ પતિ સ્વીકારીને આત્મલક્ષી રીતિમાં ઉત્તમ એવાં ભક્તિશૃંગારનું અમૃત આપ્યું.મીરાં એટલે મધ્યકાલીન ભક્તિયુગનાં ઉત્તમ કવયિત્રી.

રજનીશ કહે છે, ‘મીરાં તીર્થંકર છે. મીરાં સ્વયં ભક્તિ છે. એનું શાસ્ત્ર પ્રેમનું શાસ્ત્ર છે. એના શબ્દ તમને ડૂબતા બચાવી શકશે.’ સુરેશ દલાલ મીરાંને ‘એક સ્ત્રીનું આધ્યાત્મિક આંદોલન’ કહે છે. કહે છે, ‘મીરાંને ઇતિહાસ એટલે ભૂતકાળના નક્શા પર રાણી થઈને નહોતું રહેવું. એટલે પરમેશ્વરની પટરાણી થઈ, કાળથી પર અને પાર શ્રીકૃષ્ણ સાથે સનાતન નાતો બાંધીને એ અખંડ વરને વરી.’ નિરંજન ભગત કહે છે, ‘મીરાં કોઈની ન હતી અને સૌની હતી. મીરાંનો પરમેશ્વર પંથમાં નથી, ને ગ્રંથમાં નથી. મીરાં એટલે હૃદય, માનવહૃદય.’ મીરાંની કવિતાઓ સીધી દિલમાંથી ઉતરી આવી છે, પરિણામે સીધી દિલમાં ઉતરી જાય છે. મીરાંના શબ્દોમાં પ્રેમસગાઈ છે, આછકલાઈ નથી. વિપ્રયોગ શૃંગાર તો ઠીક, સંભોગશૃંગાર પણ મીરાંના ચરણે આવીને નિર્દોષ બની જાય છે.

કૃષ્ણના રંગે નખશિખ રંગાયેલી મીરાંના અનેકવિધ પદોમાં હોળીનાં પદ પણ નોંધપાત્ર છે. આપણે ત્યાં આમેય હોળી-ધૂળેટીનો મહિમા જ અલગ છે. હિરણ્યકશ્યપુ, નૃસિંહ, પ્રહલાદ અને હોલિકાદહન વિશે આપણે સૌ જાણીએ જ છીએ. એમ પણ કહે છે કે ફાગણી પૂનમના આ દિવસે જ બાળકૃષ્ણે પૂતનાનો પણ વધ કર્યો હતો. આમ, અસુરી તત્ત્વો પર, આપણી ઇન્દ્રિયો પર વિજયનું પર્વ એટલે હોળી. હોળી વાસનાદહનનો તો ધૂળેટી રંગોનો તહેવાર છે. આ રંગ એ આપણા અરમાનોના, સપનાંઓના, સંબંધોમાં આપણે ઉમેરવા ઇચ્છેલા રંગ છે. આ રંગ આપણા ચહેરાઓને જ નહીં, મનભેદ-મતભેદને પણ ઢાંકી દે છે. એટલે જ दुश्मन भी गले मिल जाते हैं। આ રંગ આપણા લોહીમાં સદીઓથી દોડી રહ્યા છે. ‘होली के बहाने तू छेड ना मुझे बेशरम’ ગાનારા પણ ઇચ્છે તો એમ જ છે કે છેડતીના બહાને, રંગવાના ઓથા હેઠળ દિલથી દિલના તાર અડી જાય.

ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે. (વિવેક ટેલર)

મીરાં પણ સાંગોપાંગ અઢી અક્ષરથી રંગાયેલી છે. પ્રેમની ફાકામસ્તી મીરાં સમજે છે. કહે છે, ‘जाने क्या पिलाया तूने, बडा मज़ा आया। झूम उठी रे मैं मस्तानी दीवानी।’ બીજા એક પદમાં પણ મીરાં આવી જ વાત કરે છે: ‘મોહન ભાંગ પીલાઈ, કદમ નીચે મોહન ભાંગ પીલાઈ’ જીવનની ક્ષણભંગુરતાથી મીરાં પરિચિત છે. કહે છે, ‘फ़ागुन के दिन चार रे, होली खेल मना रे…’ પણ આજે પરિસ્થિતિ સાનુકૂળ નથી. પ્રિયતમ છોડીને ચાલ્યો ગયો છે અને હોળી તો આ માથે આવી ઊભી! હવે રમવું કોની સાથે? જિંદગીના રંગોના મેળામાં એકલતાથી વધુ ફિક્કો અવર કયો રંગ હોઈ શકે? એક પદમાં મીરાં કહે છે:

હોલી પિય બિન લાગૈ ખારી, સુનો રી સખી મેરી પ્યારી!
ગિણતા ગિણતા ઘિસ ગઈ રેખા, આઁગરિયાઁ કી સારી!
અજહૂઁ નહિં આયે મુરારી!

ગણતાં ગણતાં આંગળીના વેઢા ઘસાઈ ગયા પણ મોરારી હજુ આવ્યા નહીં. પ્રતીક્ષાની આવી પરાકાષ્ઠા તો જેણે ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’-એની પાસે જ મળી શકે. મીરાંએ એરકન્ડિશન્ડ ઑફિસમાં બેસીને કવિતા નહોતી કરી. એણે રાજમહેલ છોડ્યો હતો, એટલે કૃષ્ણનાં પદ એને આવી મળ્યાં. માણેક-મોતી, મહેલનાં ભાવતાં ભોજન આ બધું ત્યજીને મીરાંએ શ્રીકૃષ્ણની કંઠી બાંધી છે. પ્રેમભક્તિની રાહમાં એકલી થઈ ગયેલી મીરાં તારસ્વરે ફરિયાદ કરે છે, મને કેમ તરછોડી?

કેસૂડાના અંગાંગમાં ફાગણનો ફાગ આગ લગાડતો હોય એવી કેસરિયાળી મોસમના સરનામે મળી આવતું કોકિલના પંચમ સૂરનું સ્વરનામું એટલે વસંત. વસંત કામદેવની ઋતુ છે. હોળી વસંતનો ઉત્સવ છે. મીરાં કહે છે:

અબીલ ગુલાલકી ધુમ મચાઈ, ડારત પિચકારી રંગ,
લાલ ભયો વૃંદાવન જમુના, કેસર ચુવત અનંગ.

આખેઆખું વૃંદાવન અને યમુનાના જળ લાલઘૂમ બની જાય, કામ ટપકતો હોય એવી અબીલગુલાલની ધૂમ એટલે હોળી.

હની હો ચૂવા ચંદન ઘોળિયાં, કેસર ચંદન છીરકત ગોરી હો,
હની વનરા તે વનની કુંજગલનમાં, રાધા મોહન ખેલે હોળી હો.
(અગરના વૃક્ષનો અર્ક ઘોળ્યો છે, ને સુંદરી ચંદન છાંટે છે, આમ વનરાવનની કુંજગલીમાં રાધા-મોહન હોળી રમે છે)

વળી બીજા પદમાં પણ એ આવો જ ભાવ વ્યક્ત કરે છે:

ચાલો, સખી! વનરાવન જઇયે, મોહન ખેલે હોળી,
સરખી સમાણી તેવતેવડી મળી છે ભમર-ભોળી.
ચૂવા ચંદન ઓર અરગજા ગુલાલ લિયે ભર ઝોળી,
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, મળી ભાવતી ટોળી.

(ચાલો સખી, વનમાં જઈએ. શ્રીકૃષ્ણ હોળી રમે છે. બધી (સખીઓ) સરખી જ ભલી-ભોળી મળી છે. ઝોળી ભરીને અગર, ચંદન અને પીળો સુગંધી ગુલાલ લઈને ગમતી ટોળી આવી મળી છે)

પ્રેમમાં ફરિયાદ જાયજ છે. મીરાં તો નિતાંત પ્રેયસી છે. એણે મહેલની વાહવા છોડીને ચાહવા સિવાય કશું કામ જ નથી કર્યું. એ ફરિયાદ કરે છે કે બીજાની સાથે જ પ્રીતડી બાંધવી હતી તો પહેલાં મારી સાથે પ્રીત કરી જ કેમ? કૃષ્ણ તો આજન્મ Casanova છે. એણે આખા સંસારને પ્રેયસી બનાવીને પ્રેમ કર્યો છે. પણ મીરાં મનુષ્ય છે. મનુષ્યના પ્રેમમાં માલિકીભાવ તો આવી જ જાય અને આરત તો સમગ્રની જ હોય. મીરાંની તરસ પણ આકંઠ છે. એ કૃષ્ણને અન્યોને ચાહતો જોઈ શકતી નથી. વિરહ અને પ્રતીક્ષાની તાલાવેલી ચરમસીમાએ પહોંચી છે. દિલની તપ્ત જમીન પર દર્શનની નહીં, લગાવ અને અભાવની હેલી વરસી રહી છે.

મીરાં જન્મોજન્મની દાસી છે. વાયકા છે કે પૂર્વજન્મમાં મીરાં રાધાની સહેલી ગોપિકા હતી અને એક ગોપ સાથે લગ્ન થયા હોવા છતાં કૃષ્ણને પ્રેમ કરતી હતી. કૃષ્ણનું આ શરીરથી અપમાન થયું હોવાથી બીજા જન્મમાં ભક્તિસાધનાના પરિપાકરૂપે મિલનનું વચન એને મળ્યું હતું. નાનપણમાં પાડોસમાં આવેલી જાન જોઈને મીરાંએ માતાને પૂછ્યું હતું કે એનો વરરાજા કોણ છે ત્યારે માતાએ કૃષ્ણની મૂર્તિ બતાવી હતી અને ત્યારથી મીરાં કૃષ્ણદીવાની થઈ હોવાનું પણ મનાય છે. ઈ.સ. ૧૫૪૭માં મીરાં કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગઈ અને એની ચુંદડી મૂર્તિ પર લપટાયેલી મળી હોવાની દંતકથા પણ પ્રવર્તમાન છે. વાયકાઓને સમર્થન કેમ ન આપતી હોય એમ મીરાંના પદોમાં અવારનવાર ‘જનમજનમની દાસી’, ‘પૂર્વજન્મ કે બોલ’, ‘દ્વાપર યુગની ગોપાંગના’, ‘ગોપી જે ચૂક થતાં અહીં આવી’ જેવા સંદર્ભો સતત જોવા
મળે છે.

જેમ જળ વિના વેલ મહોરી ન શકે એમ મીરાંનું અસ્તિત્વ શ્યામ વિના કેમ સંભવે? એટલે જ દર્શન વિના દુઃખિયારી મીરાં પ્રભુને ફરી ફરીને દર્શન આપવા કહે છે… દર્શનના રંગે, ભક્તિના રંગે રંગાવું એ જ તો છે સાચી હોળી…

મીરાંનું સંગીતજ્ઞાન પણ અદભુત હતું. મધ્યકાળમાં પ્રચલિત રાગ-રાગિણીથી એ સુપેરે અવગત હતી એ એની રચનાઓમાં વપરાયેલા લગભગ ચાર ડઝન જેટલા રાગોના વૈવિધ્ય પરથી સમજી શકાય છે. સાક્ષાત્ મીરાં રૂદિયામાં ઊતરી આવી હોય એવી આરતથી લતા મંગેશકરે આ ગીત -‘केनू संग खेलू होली’- ગાયું છે. ઇન્ટરનેટ પર સર્ચ કરીને એ સાંભળવું ચૂકી ન જવાય એ ખાસ જોજો.