રે’શું અમે ય ગુમાનમાં – રમેશ પારેખ

સ્વર: રેખા ત્રિવેદી
આલ્બમ: સંગત

.

સ્વર:અમર ભટ્ટ
આલ્બમ:હરીને સંગે

.

રે’શું અમે ય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ

ખોલીશું બારણાં ને લેશું ઓવારણાં,
આવકારા દેશું સાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

આસનિયા ઢાળશું ને ચરણોમાં પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું,
મુખવાસા દેશું પાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

મીરાં કે અંતમાં, આ ભરવસંતમાં,
જીવતર દઈ દેશું દાનમાં;
હરિ સંગ નહીં બોલીએ

– રમેશ પારેખ

દોડિયાં રે અમે દોડિયાં – રમેશ પારેખ

આલબમ : સંગત
સ્વર : ગાર્ગી વોરા

.

દોડિયાં રે અમે દોડિયાં
વા’લા નદિયું બનીને અમે દોડિયાં..

બે કાંઠા કરતાલ, અમારાં જળબિંદુ મંજીરાં,
એક લહર એકતારો છે ને એક લહર છે મીરાં;
છોડિયાં રે અમે છોડિયાં
પથ્થરના રહેવાસ અમે છોડિયાં..

મીરાં કે પ્રભુ નામ તમારું એ જ અમારો ઢાળ,
જળ ને કેમ પકડશે બોલો, રાણાજીની જાળ?
ફોડિયા રે અમે ફોડિયા
પરપોટા કર્યા ને અમે ફોડિયા

– રમેશ પારેખ

‘સંગત’ આલબમ

સંગત આલબમ 6 ભાગમાં વહેંચાયેલો છે અને હવે ધીમે ધીમે એના બધાજ ગીતો સ્વરાંકન સાથે તમે ટહુકો ઉપર માણી શકશો.

પ્રસ્તાવના :વિનોદ જોશી
ભાગ 1 – એક લહર છે મીરાં

.

ભાગ 2 – મિરપીંછનાં શુકન

.

ભાગ 3 – પ્રેમરસ પાને તું

.

ભાગ 4 – મારગ મૌન સુધી

.

ભાગ 5 – તારી યાદની મોસમ

.

ભાગ 6 – ચૂપ ચૂપ ચાહ રહી

.

વ્હાલમનું નામ -સુધીર દેસાઈ

સ્વર : હેમા દેસાઈ
સંગીત : આશિત દેસાઈ

.

વ્હાલમનું નામ એ તો મધમીઠું નામ ,
એને બોલું તો કેમ કરી બોલું ?
ઉરનું આ દ્વાર એ તો પ્રિતમ નું ધામ ,
એને ખોલુ તો કેમ કરી ખોલુ ?

તમે બોલ્યાં જ્યાં નામ હું તો ભૂલી પડી ,
હું તો શમણાં માં ક્યાંક ક્યાંક ઘૂમી વળી .
અરે !મનથી એ નામ મીઠું ચુમી વળી !
સોનાનું નામ મારુ પાડેલું નામ ,
એને બોલું તો કેમ કરી બોલું ?

મારા મનની મંજુશા ની મોંઘી મૂડી ,
કોઈ બોલે જ્યાં નામ મારી ખણકે ચુડી ,
મને પાંખો ફૂટે ને હું તો જાઉ ઊડી ,
મનના ગોકુલીયા માં નટખટ નું નામ
એને બોલું તો કેમ કરી બોલું .
-સુધીર દેસાઈ

કટારી કાળજે વાગી -વિનોદ માણેક ‘ચાતક’

સ્વર : ઓસમાન મીર
સ્વરાંકન : ઓસમાન મીર

.

કટારી કાળજે વાગી, તમારી યાદ આવે છે
રહું છું, રાતભર જાગી, તમારી યાદ આવે છે;

દિવસ તસ્વીર જોઉં, રાતભર આવો તમે સપને,
મને લગની જ છે લાગી, તમારી યાદ આવે છે!

ઉઘાડી ચાંચ ને રાખી , પીવા વરસાદ ને ચાતક,
મિટાવો પ્યાસ છે લાગી, તમારી યાદ આવે છે!

વિરહની વાત છે વસમી, મજાર મેળાપની કેવી!
શરમના દ્વાર દો ત્યાગી, તમારી યાદ આવે છે!

શરાબી છે નજર સંગે, ગુલાબી છે અસર અંગે!
જવાની જાય જો ભાગી, તમારી યાદ આવે છે!
-વિનોદ માણેક ‘ચાતક’

ઘેઘૂર થઈ ગયો છે – ભગવતીકુમાર શર્મા

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : આલાપ દેસાઈ
આલબમ : સૂરવર્ષા

.

ઘેઘૂર થઈ ગયો છે વર્ષાનો શામિયાણો
આકાશ ને ધરા છે મલ્હારનો ઘરાણો

ગુજરીમાં જઈને પુસ્તક જૂનું ખરીદ્યું કિંતુ
ઉથલાવતા મળ્યો એક કાગળ બહુ પુરાણો

બુદ્ધિને લાગણીઓ જકડાયેલો ઝૂરાપો
માણસ ઊપર પડે છે, ચોમેરથી દબાણો

ડૂબી જશે કે તરશે આ કાળના પ્રવાહે
મેં લોહીથી કર્યા છે મારા બધાં લખાણો
-ભગવતીકુમાર શર્મા

મેં તજી તારી તમન્ના – મરીઝ

સ્વર : બેગમ અખ્તર

.

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : પુરષોત્તમ ઉપાધ્યાય
પ્રસ્તાવના : અમર ભટ્ટ

.

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
– મરીઝ

ચાંદ સે લિપટી હુઈ -ભગવતીકુમાર શર્મા

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી..

વાહ, ક્યા બાત હૈ! કેવો સરસ શેર, એ પણ બાયલિન્ગ્યુઅલ એટલે કે દ્વિભાષી! ગઝલનો ઉઘાડ હિન્દી-ઉર્દૂ અંદાજમાં અને બીજી જ પંક્તિ ગુજરાતી ગઝલના રુઆબમાં ચાલે એવો પ્રયોગ માત્ર ગુજરાતી ભાષામાં જ થયો હોવાની સંભાવના છે. પછી તો આ ગઝલ રાગેશ્રી-બાગેશ્રીનો હાથ ઝાલીને રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે.

ગીત, ગઝલ, ભજન, સોનેટ અને ગદ્યકાવ્ય જેવાં વિવિધ સ્વરૂપોને ખેડનારા કવિ ભગવતીકુમાર શર્મા આ ગઝલમાં એમના વ્યક્તિત્વમાં જોવા મળે એવી કોમળતા અને ઋજુતા લઈને આવ્યા છે.
આ ગઝલ સ્પર્શી ગઈ એનું કારણ છે સ્વરાંકનજેણે કર્યું છે રાસબિહારી દેસાઇ અને વિભા દેસાઇના ભાણિયા રથિન મહેતાએ.
ગઝલ સ્વરબદ્ધ કરવી ચેલેન્જ છે કેમ કે હિન્દી લાઈન હિન્દી કે ઉર્દૂ ફોર્મેટમાં અને ગુજરાતી પંક્તિ ગુજરાતી ગઝલના રુઆબમાં ચાલે એ રીતે સ્વરબદ્ધ કરી છે. આ ગઝલ સૌ પ્રથમ 2010માં રાસબિહારી દેસાઈએ કેનેડામાં ગાઈ હતી અને પહેલા જ પ્રયોગમાં વન્સમોર થઈ હતી. ત્યાર બાદ ઓસમાન મીરે, હિમાલી વ્યાસ, આલાપ દેસાઈ, પ્રહર વોરા ઇત્યાદિ ઘણી કોન્સર્ટમાં ખૂબ સરસ રીતે ગાય છે.

સ્વર: પ્રહર વોરા
સંગીતકાર : રથિન મહેતા

.

જલસોના ૧૦૦ મા એપિસોડ દરમ્યાન હિમાલી-વ્યાસ-નાયકે આ ગઝલની રજૂઆત કરેલી. (જલસો ના સૌજન્ય થકી)

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી

આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે
હર તરફ બરસાત હી બરસાત હૈ, પર તૂ નહીં

હૈ ઝમીં બંજર મગર યાદોં કિ હરિયાલી ભી હૈ
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી

મૌસમ-એ-બારિશ મેં કશ્તી કો ડૂબોના ચાહિએ
પત્રરૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી

બોજ આહોં કા અકેલા મૈં ઉઠા સકતા નહીં
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નથી
-ભગવતીકુમાર શર્મા

વીજ, વાદળ, વાયરો – હિતેન આનંદપરા

સ્વર,સ્વરાંકન: આલાપ દેસાઈ

.

વીજ, વાદળ, વાયરો ઘેરી વળે વરસાદમાં,
છોકરી જેવી ધરાને બથ ભરે વરસાદમાં.

પ્રિયજન સાથે અબોલા આ ઋતુમાં ક્યાં સુધી ?
રીસ સાથે બે જણાંયે ઓગળે વરસાદમાં.

કામ પર જાવાનું મન થાતું નથી તો નહીં જઉં,
બહુ જ થોડાં જણને આવું પરવડે વરસાદમાં.

આમ તો એ આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.

સાવ રોજિંદા જીવનમાં શુષ્ક થઈને જીવતો,
આપણી અંદરનો માણસ ખળભળે વરસાદમાં.

મોર જેવી માનવી પાસે પ્રતીક્ષા પણ નથી,
એટલે એની ‘કળા’ જોયા કરે વરસાદમાં.

ઘર પછીતે યાદની વાછટ છવાતી જાય છે,
ટેરવાં પર સ્પર્શ જૂનો તરફડે વરસાદમાં.

– હિતેન આનંદપરા

ગ્લૉબલ કવિતા : ૧૬૪ : સોશ્યલ ડિસ્ટન્સિંગ

સોશ્યલ ડિસ્ટન્સિંગ કે ઝીરો ડિસ્ટન્સ? ચોવીસે કલાક ઘર વિમાસે
કોરોના છીંકે છે કે ભૂલથીય કોઈ કોરો ના રહી જાય
ઊઘાડી ભીડ જોઈ ગ્રોસરી સ્ટોર ભાગ્યો માસ્ક શોધવા
કર્ફ્યૂનો અમલ બરાબર થાય છે કે કેમ એ જોવા થોડા શ્વાસ સળવળ્યા
મોબાઇલની બેટરીની આવરદા અચાનક અડધી થઈ ગઈ
બધાં બધું જ જાણે છે પણ કોઈ કંઈ જ જાણતું નથી
કામવાળાંઓના વેકેશને ગૃહિણીઓને (કદાચ) ગૃહસ્થોનેય માંજી નાંખ્યાં
તીનપત્તી રમતો માણસ હવે ઓળખાયો બાપ નીકળ્યો
વર્ષોથી ડાઉન થઈ ગયેલાં લૉક અવાજ કરી-કરીને પણ ખૂલ્યાં ખરાં
ચાદરો હાંફતી’તી: બંધનમાં આઝાદી જડી? ’લ્યા આ ખરું
રસ્તા એટલા સૂમસામ કે ડરે છે સાક્ષાત્ યમ પણ આવતા
ગંગા સાફ હિમાલય સાફ હવા સાફ ઘરનાં ને ઘટનાં જાળાં સાફ
રૂઝ આવી રહી છે

– વિવેક મનહર ટેલર
(૦૯-૧૪/૦૪/૨૦૨૦)

[પ્રેરણાબીજ: વ્હાન ફેલિપે હરેરા (Juan Felipe Herrera)]

કોરોના – લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની કવિતા

પહેલા બે વિશ્વયુદ્ધની અકલ્પનીય ખુવારી અને ખાસ તો હિટલરના ‘હૉલોકાસ્ટ’ અને હિરોશીમા-નાગાસાકી પરના અણુતાંડવને જોયા પછી દુનિયા સતત ત્રીજા વિશ્વયુદ્ધથી ડરતી આવી છે. ત્રીજું વિશ્વયુદ્ધ થશે કે કેમ એ તો સમય જ કહેશે પણ હાલ કોરોના મહામારી ત્રીજા વિશ્વયુદ્ધને અતિક્રમી જઈ રહી હોય એમ અનુભવાય છે. કોઈપણ હથિયાર વિના આખી દુનિયા નરસંહાર, ધનસંહાર અને વિશ્વયુદ્ધના લૉક-ડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. નરી આંખે જોઈ પણ ન શકાતા સૂક્ષ્મતમ વિષાણુએ દુનિયાની મોટા ભાગની વસ્તીને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી છે. વધુ આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે આવી મહામારીની કલ્પનાઓ ભૂતકાળમાં થઈ ચૂકી હોય. લગભગ ૪૦ વર્ષ પહેલાં ૧૯૮૧માં ડિન કુન્ટ્ઝે ‘ધ આય્ઝ ઑફ ડાર્કનેસ’ નવલકથામાં લેબોરેટરીમાં બનાવાયેલ વુહાન-૪૦૦ નામના વાઇરસના જૈવિક-હથિયાર તરીકેના પ્રયોગ અને વૈશ્વિક જોખમની વાત કરી દુનિયાને ડરાવી દીધી હતી. આ પૂર્વે આવો ડર આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઑર્વેલની ‘૧૯૮૪’ નવલકથાઓએ જન્માવ્યો હતો. ૨૦૦૮માં પ્રગટ થયેલ વિશ્વના અંત વિષયક ભવિષ્યવાણીઓના પુસ્તક ‘એન્ડ ઑફ ડેઝ’માં સિલ્વિયા બ્રાઉને નિશ્ચિત સાલ સાથે લખ્યું છે કે, ‘૨૦૨૦ની આસપાસમાં ફેફસાં અને શ્વસનનલિકાઓ પર હુમલો કરનારી ન્યૂમૉનિયા જેવી ગંભીર બિમારી, જે ઉપલબ્ધ તમામ સારવારનો પ્રતિકાર કરશે, આખી દુનિયામાં ફેલાઈ વળશે.’ ૨૦૧૧માં રજૂ થયેલી ‘કન્ટેજન’ (Contagion) ફિલ્મ જોતી વખતે ૨૦૨૦ની કોરોના મહામારીને જ જોતાં હોવાનું અનુભવાશે. ૨૦૧૯ના પૂર્વાર્ધમાં જ અમેરિકામાં આરોગ્ય અને માનવ સેવા વિભાગે ચીનમાં ઉદભવ પામેલ ઇન્ફ્લુએન્ઝાની મહામારી અમેરિકા પહોંચે તો શી અસર થાય એ જાણવા ‘ક્રિમ્સન કન્ટેજન’ નામનો એક સિમ્યુલેશન સ્ટડી કર્યો હતો, જેમાં એક કરોડ અમેરિકન આવી બિમારીથી સંક્રમિત થશે અને પાંચેક લાખ જીવ ગુમાવશે એવું તારણ કઢાયું હતું. એ વખતે કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ગણતરીના મહિનાઓમાં જ કાગળિયાં પર કરેલી આ કસરત વાસ્તવમાં કરવી પડશે, અને વાઇરસ પણ ચીનથી જ અમેરિકા આવશે.

કોરોના મહામારીના પ્રતાપે સર્જાયેલ વૈશ્વિક લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની વાત કરતી પ્રસ્તુત રચના વ્હાન ફેલિપે હરેરાના ‘સોશ્યલ ડિસ્ટન્સિંગ’ કાવ્ય પરથી પ્રેરિત છે. આ સોલર સર્કલ પોએમની ડિઝાઇન એન્થની કોડીએ તૈયાર કરી છે. મૂળ કાવ્યનું શીર્ષક, કેન્દ્ર-કડી -Healing begins- તથા સૌર વર્તુળ કાવ્યની બાર પંક્તિઓની ડિઝાઇન યથાતથ જાળવીને બાકીનું કાવ્ય ભારતીય પરિપ્રેક્ષ્યમાં મૌલિક રચના છે. વ્હાન અમેરિકા રહે છે. કવિ, લેખક, કાર્ટૂનિસ્ટ, શિક્ષક, કલાકાર, તથા આંદોલનકારી છે. ૨૭ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ કેલિફૉર્નિયા ખાતે રસ્તાની બાજુમાં ટ્રેક્ટર, ટ્રેલર કે તંબૂમાં જીવન ગુજારનાર હિજરતી ખેડૂતના ઘરે એમનો જન્મ. સાચા અર્થમાં ધૂલ કા ફૂલ કહી શકાય એવા વ્હાનની સફર રસ્તાના પથરાંથી લઈને છેક અમેરિકાના રાજકવિ (૨૦૧૫-૧૭) બનવા સુધી વિસ્તરી છે. પ્રસ્તુત રચનાનું કાવ્યબીજ અને આકાર માત્ર એમના હોવાથી કવિ વિશે વિગતે વાત કરવાના બદલે આપણે કવિતા તરફ વળીએ.

કવિતાનું શીર્ષક ‘સોશ્યલ ડિસ્ટન્સિંગ’ આજે સૌથી વધુ વપરાતો શબ્દ છે. આ એક આકાર-કાવ્ય છે. અંગ્રેજીમાં કોન્ક્રિટ પોએટ્રી, શેપ પોએટ્રી અથવા વિઝ્યુઅલ પોએટ્રી કહી શકાય. આકાર-કાવ્યમાં આકાર કાવ્યનો વિષય બને છે, પણ દૃશ્ય-કાવ્યમાં નિશ્ચિત આકારનું હોવું અનિવાર્ય નથી. બંનેમાં જો કે શબ્દો દ્વારા વ્યક્ત થતી વાત શબ્દાકૃતિ કે ગોઠવણના કારણે વધુ મર્મસ્પર્શી અને અસરદાર બને છે. શબ્દાકાર કવિતાના અર્થમાં ઉમેરો કરે છે. આ કોઈ નવીન કાવ્યપ્રકાર નથી. ગ્રીક એલેક્ઝાન્ડ્રિયામાં આજથી ત્રેવીસસો વર્ષ પહેલાં આવી કવિતાઓ લખાતી. સોળમી સદીમાં જર્મનીના ચર્ચમાં એનો નવોન્મેષ થયો. ત્યારબાદ સમયાંતરે આ કાવ્યપ્રકાર અલગ-અલગ દેશોમાં પોતપોતાની રીતે ખેડાતો રહ્યો. ધાર્મિક કાવ્યો અને બાળકાવ્યોના સંવાહક તરીકે એનો ઉપયોગ વિશેષ થયો. પ્રસ્તુત કાવ્ય સૂર્યનો અને કિરણોને રજૂ કરતું સૌર વર્તુળ કાવ્ય છે. સૂર્યનો આકાર, કેમકે સૂર્યથી વધીને કોઈ જંતુનાશક કે સેનિટાઇઝર નથી. બાર કિરણ સમયનો સંદર્ભ છતો કરે છે, કેમકે સમય વિના આ મહામારીનો ઉકેલ પણ નથી. અને ખાસ તો ૩૦ ડિગ્રીના સમાન અંતરે પથરાયેલાં આ કિરણો કવિતાના હાર્દ –સોશ્યલ ડિસ્ટન્સિંગ-ને ઉજાગર કરે છે. કોઈપણ પંક્તિને પહેલી ગણીને ક્લોકવાઇઝ વાંચતા જઈ કેન્દ્રમાં આવો અથવા કેન્દ્રથી શરૂ કરી ગમે ત્યાંથી આખું વર્તુળ પૂરું કરો, વાંધો નથી. કવિતા એનો અર્થ જાળવી રાખે છે. ગઝલના શેરની જેમ બધી પંક્તિ સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ તાંતણે બંધાયેલ પણ છે. આખી કવિતામાં બે પ્રશ્નાર્થચિહ્નને બાદ કરતાં એકપણ વિરામચિહ્ન વપરાયા નથી, જે કદાચ મહામારી અને કવિતાના વેરવિખેર વાક્યો વચ્ચેની સળંગસૂત્રિતા સૂચવે છે.

આ પહેલાં કદી જોવા ન મળેલી પરિસ્થિતિમાં દુનિયાભરનાં ઘર મૂકાયાં છે. ઘર બહાર આખી દુનિયામાં અત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગનું માહાત્મ્ય છે, જેના પરિણામે બહાર નીકળેલી બે વ્યક્તિઓ એકમેકની નજીક આવી શકતી નથી. બિમારી ફેલાય નહીં એ માટે બે વ્યક્તિ વચ્ચે સુરક્ષિત અંતર રાખવું આવશ્યક નહીં, અનિવાર્ય થઈ પડ્યું છે. પણ ઘરની અંદરની દુનિયા બિલકુલ વિપરીત છે. ઘરે આ પહેલાં કુટુંબીજનો તરીકે ઓળખાતા લોકોને દિવસો સુધી ચોવીસે કલાક ઘરમાંને ઘરમાં રહેતાં કદી જોયાં નથી, એટલે એ વિમાસણમાં પડ્યું છે કે આ સોશ્યલ ડિસ્ટન્સિંગ છે કે ઝીરો ડિસ્ટન્સ? ઘરના બે માણસ વચ્ચે એકધારું આટલું ઓછું અંતર તો એણે આ પૂર્વે કદી જોયું જ નથી.

દુનિયામાં કોઈ માણસ અછૂતો ન રહી જાય એની હોડમાં હોય એમ કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે. ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં આ વાઇરસે દેખા દીધી. પ્રથમ ૪૧ કેસના અભ્યાસ પરથી મેડિકલ જર્નલ ‘લેન્સેટ’એ તારણ કાઢ્યું કે પહેલી ડિસેમ્બરે આ બિમારીના પહેલાં લક્ષણ દેખાયાં હતાં. ૩૧ ડિસેમ્બરે ‘હુ’ સંસ્થાને પહેલો કેસ રિપૉર્ટ કરાયો અને ૩૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ તો ‘હુ’એ આંતર્રાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી. હાલ, દુનિયાના લગભગ તમામ દેશ આ વાઇરસના સંક્રમણના શિકાર છે. કોઈ માણસ ‘કોરો ના’ રહી જાય એ ફિરાકમાં હોય એમ કોરોના છીંકી રહ્યો છે. પણ નોવેલ કોરોના વાઇરસ અથવા કોવિડ ૧૯ તરીકે ઓળખાતી આ મહામારી કંઈ દુનિયાએ જોયેલ પહેલવહેલી મહામારી નથી. ઈસુના જન્મથી સવા ચારસો વર્ષ પૂર્વે એથેન્સમાં ફેલાયેલા પ્લેગે ચોથા ભાગના સૈન્ય તથા પ્રજાનો ખાતમો બોલાવી દીધો હતો. છેક ૨૦૦૬માં એક મૃતદેહના દાંતના પૃથક્કરણ પરથી નક્કી થયું કે એ પ્લેગ નહીં, ટાઇફોઇડ હતો. પ્લેગની મહામારી પછી તો અવારનવાર ફેલાતી રહી. ચૌદમી સદીના મધ્યભાગમાં યુરોપથી એશિયા સુધી ફેલાયેલા બ્લેક ડેથ નામે જાણીતા પ્લેગે સાતથી વીસ કરોડ લોકોનો જાન લીધો હતો. ત્યારબાદના ચારસોએક વર્ષમાં ઇંગ્લેન્ડમાં સોએકવાર પ્લેગ ફાટી નીકળ્યો. ૧૮૫૫માં ચીનથી ભારત સુધી ફેલાયેલા પ્લેગે એક કરોડ લોકોનો ભોગ લીધો હતો. એ સમયની પાંખી વસ્તીના હિસાબે આ જાનહાનિનો આંકડો કદાચ આજે લાગે છે એના કરતાં અનેકગણો મોટો ગણાય. ૧૯૧૮થી ૨૦ સુધી ફેલાયેલા સ્પેનિશ ફ્લુના ખપ્પરમાં પાંચથી દસ કરોડ માણસો હોમાઈ ગયા હતા. આ આંકડો પ્રથમ વિશ્વયુદ્ધની કુલ જાનહાનિ કરતાંય ખાસ્સો મોટો હતો. ૨૦૦૯-૧૦ના સ્વાઇન ફ્લુએ પણ પાંચેક લાખ લોકોના ડેથ સર્ટિફિકેટ પર સહી કરી હતી. આ સિવાય સ્મોલપોક્સ, કૉલેરા, સાર્સ, ઇબોલા, ઝીકા વાઇરસ, એઇડ્સ જેવી બીજી અનેક મહામારીઓ આ દુનિયાને અવારનવાર પોતાની ચપેટમાં લેતી આવી છે. એ જમાનામાં મુસાફરીના સાધનો મર્યાદિત હતાં અને સમયગાળો લાંબો હતો, જ્યારે આજે અત્યાધુનિક વાહનવ્યવહારના કારણે કોઈ બિમારી સ્થાનિક રહેતી નથી. પૃથ્વી એક મોટું ગામડું બની ગઈ છે અને એક ખૂણેથી બીજા ખૂણે, ખબર હોય કે બિમારી, ફેલાતાં વાર લાગતી નથી. લાખો લોકો અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક પણ લાખની ઉપર પહોંચી ગયો છે. આ આંક ક્યાં જઈ અટકશે એ તો સમય જ કહેશે.

ભારત દેશ દુનિયાનો પહેલો દેશ હતો જેણે દેશભરમાં લૉક-ડાઉન જાહેર કર્યું પણ ૧૩૦ કરોડની વસ્તીને તાળું મારવું કંઈ આસાન છે? લૉક-ડાઉનના કારણે કદાચ ભારતમાં પરિસ્થિતિ એટલી વણસી નથી, જેટલી નાનું ક્ષેત્રફળ ધરાવતા સ્પેન, ઇટલી જેવા દેશોમાં વકરી છે. ચોવીસ કલાકમાં દેશ આખો ગણપતિને દૂધ પીવડાવવા માંડે એવી પ્રજાને રાતોરાત શિક્ષિત કરવી શક્ય નથી. લૉક-ડાઉનનો સાચો મતલબ સમજવામાં નિષ્ફળ ગયેલી પ્રજા ગ્રોસરી સ્ટોર, શાક માર્કેટ, દૂધવાળાંઓને ત્યાં ટોળાબંધ ઉમટી પડે છે. મોટાભાગના લોકો મોઢે માસ્ક પણ પહેરતાં નથી. અડોઅડ દબાઈને ઊભા રહેવાનું થાય ત્યાં સોશ્યલ ડિસ્ટન્સ વળી કેવું? ખડેપગે ફરજ બજાવતાં પોલિસકર્મીઓ પણ કેટલાંને કાબૂમાં રાખે? આખરે તો આપણે સહુએ જાતે જ સમજવાનું છે કે લૉક-ડાઉન બિમારીનું સંક્રમણ ખાળવા માટે છે, કોઈને ભૂખ્યા મારવા માટે નથી. મહામારી છે, દુષ્કાળ નથી કે ચીજવસ્તુઓ લેવા પડાપડી કરવી પડે.

પણ આ દેશ તો વિચિત્રતાઓનો શંભુમેળો છે. કામ વિના બહાર નીકળવું, ટોળે વળવું વગેરેને ગુના ગણીને સરકાર કર્ફ્યૂ જેવો અમલ કરાવવા માંગે છે પણ લોકોને સૂમસાન રસ્તાઓ કેવા લાગે છે એ તમાશો જોવામાં રસ છે. પોતે બિમાર થઈ શકે અથવા બિમારી ફેલાવવામાં નિમિત્ત બની શકે એવી સમજણ અને નાગરિક ભાવનાના અભાવથી ગ્રસિત આ દેશ છે. પોલિસ દંડા મારે છે, ઊઠ-બેસ કરાવે છે, દંડ કરે છે, વાહન જપ્ત કરી લે છે એવા સમાચાર રોજ અખબારમાં વાંચવા છતાં, આ બાબતના કાર્ટૂન્સ- જોક્સથી સોશ્યલ મીડિયા સળગતું હોવા છતાં માત્ર ‘હું તો બહાર જઈ આવ્યો’ના મદમાં રાચતા બહાદુરોનો આ દેશ છે.

આખી દુનિયા મોબાઇલ પર બેસી ગઈ છે જાણે. આ સમય આવ્યો એ પહેલાં આપણે એવા લોકોને જોયાં છે જેઓ સતત કહેતાં ફરતાં હોય કે સમય જ નથી મળતો, બાકી આ પુસ્તક વાંચવું છે, પેલું વાંચવું છે; આ કામ કરવું છે, પેલું કરવું છે પણ ફુરસદ જ ક્યાં છે? અચાનક સહુના હાથમાં ચોવીસ કલાકની કોરીકટ નોટબુક આવી ગઈ છે. જરા પૂછો તો એ મહાશયોને કે આ લૉક-ડાઉનમાં પેલા પુસ્તકો વાંચી નાંખ્યાં કે નહીં? પેલાં કામો પતાવ્યાં કે નહીં? ના… એ બધું મોટાભાગનાઓ માટે માત્ર ફેશનમાં રહેવાની કળા માત્ર હતી. મોટાભાગના લોકોનો સ્માર્ટફોનનો વપરાશ ત્રણ-ચારગણો થઈ ગયો છે. દિવસમાં એકવાર ચાર્જ કરવો પડતો મોબાઇલ હવે બે-ત્રણવાર ચાર્જ કરવો પડે છે. સ્માર્ટફોને માણસની સ્માર્ટનેસનો શિકાર કર્યો છે. આપણે ‘ઢ’ બની બેઠાં છીએ. સાધારણ ગણતરીથી લઈને કંઈપણ હોય–બધું જ કામ ફોન જ કરે. સોશ્યલ મીડિયા દરેક ફાલતુ વસ્તુને વાઇરલ કરવા ટાંપીને બેઠું છે. વાતનું વતેસર થતાં વાર લાગતી નથી. કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી આજ સુધી મીડિયા પર એના વિશેની ‘એ ટુ ઝેડ’ માહિતીઓ સતત ઠલવાઈ રહી છે. સોશ્યલ મીડિયાના અકલ્પનીય બહોળા વ્યાપના પ્રતાપે આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જે કોરોના વાઇરસ વિશે અનભિજ્ઞ હોય. દરેક માણસ આ મહામારી વિશે બધું જ જાણે છે. કોરોના કઈ રીતે ફેલાય છે, કોને થઈ શકે, લક્ષણો શું છે અને બચવા માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ એનું અણીથી પણી સુધીનું જ્ઞાન દરેકે દરેક જણ ધરાવે છે. પણ આ જ જ્ઞાનીઓ માસ્ક પહેર્યા વિના દુકાને, ચોરાહે ટોળામાં, ચીપકીને ઊભેલાં અને ગપ્પાં મારતાં નજરે ચડે છે. અતિજ્ઞાનની બિમારીથી માનવજાત એ રીતે પીડાઈ રહી છે કે જ્ઞાન માત્ર ફોરવર્ડ કરવાની ‘વસ્તુ’ બની ગઈ છે. वॉट्सएपेषु हि या विद्या, फेसबुकेषु यत् ज्ञानम् જેવી આ વાત છે. બધાં જ સર્વજ્ઞ છે અને બધાં જ અજ્ઞ પણ. उत्पन्नेषु च कार्येषु न सा विद्या, न तत् ज्ञानम्।

સંક્રમણના ડરથી મોટાભાગના ઘરોમાં કામવાળાંઓને રજા આપી દેવાતાં ઘરકામ એક અભિયાન બની ગયું. અને ઘણાખરા ઘરોમાં, ખાસ કરીને વિભક્ત કુટુંબોમાં પુરુષો ઘરકામમાં હાથ આપતા થઈ ગયા છે. કોરોનાએ બધાંને ધંધે લગાડી દીધાં. સંતાન ઊઠે એ પહેલાં કામે ચાલ્યો જતો અને સૂએ એ પછી ઘરે આવતો બાપ સંતાનો માટે જાણે કોઈ બહારની વ્યક્તિ હતી. અતિશયોક્તિ પડતી મૂકીએ તોય ઘણાં ઘરોમાં મા-બાપ પાસે સંતાનો માટે સમય જ નથી હોતો. બાળકોને ભણાવવાની પ્રવૃત્તિમાંથી તો મા-બાપ આમેય નિવૃત્ત થવા માંડ્યા છે. ઉચ્ચતર શિક્ષણ માટે ટ્યુશન ક્લાસની વાત આઉટ-ડેટેડ થઈ ગઈ, હવે તો બાળકો માટે પ્લેગ્રુપ અને નર્સરીના ટ્યુશન પણ શરૂ થઈ ગયાં છે. કોરોનાનું લૉક-ડાઉન લૉક-અપ બન્યું અને એક જ છત નીચે અજાણ્યાં લોકો ફરી એકત્ર થયાં. કબાટમાં ધરબાઈ ગયેલી રમતો બહાર આવી અને પરિવાર નવરાશની પળો ફરી સાથે માણતો થયો. સંબંધોની ખરી ઓળખાણ થઈ. કટાઈ ગયેલા તાળા જેવા સંબંધો પણ સહવાસની ચાવી ફરતા અવાજ કરતા-કરતા, લડતા-ઝઘડતા પણ ખૂલ્યા ખરા. ચોવીસ કલાક સાથેને સાથે રહેવાનું થાય એટલે પારિવારિક તકરાર પણ વધે તો ખરી જ. ઢબૂરાઈ રહેલા અહમના અંગારા પણ ભભૂકે. પણ આ બધું થવા છતાં મોટાભાગના કુટુંબોમાં સરવાળે સહવાસની ઉષ્માનો હાથ જ ઉપર રહેવાનો. અને કદાચ એટલે જ ઘરોમાં બેડરૂમ પહેલાં કદી નહોતા એટલા વ્યસ્ત થઈ ગયા છે. લૉક-ડાઉન એ સમાજ પર મરાયેલું મસમોટું તાળું છે પણ આ બંધનમાં યુગલો ખરી આઝાદીનો અનુભવી રહ્યાં છે. હા, પરિવારજનોની સતત ઉપસ્થિતિના કારણે બધાં ઘરોમાં આત્મીય સહવાસની ફ્રિક્વન્સી કદાચ નહીં વધે, પણ જ્યાં જ્યાં મોકળાશ છે ત્યાં ‘રતિઘેલાં ભેળાં રમે ને ગૂંજી રે’ સંસાર’ની પરિસ્થિતિ નિર્માણ થઈ જ છે. વિશ્વભરમાં કૉન્ડમ્સની માંગ અચાનક આકાશને આંબી ગઈ એને કોરોનાની આડઅસર કહીશું કે છૂપું વરદાન?

શહેરોની સડકો લગભગ ખાલી થઈ ગઈ છે. મોટાભાગના રસ્તાઓ પર અવરોધો ગોઠવાયા છે. ચારેતરફ પોલિસ અને અર્ધલશ્કરી દળોનું પેટ્રોલિંગ અમલી છે. પેટ્રોલનો વપરાશ ૧૦-૧૫ નહીં, નેવું ટકા જેટલો ઘટી ગયો છે. વાહનો પાર્કિંગમાં પડ્યાં-પડ્યાં આળસ ખાઈ રહ્યાં છે. રીક્ષા-બસ-ટ્રેન-પ્લેન બધું જ લૉક-ડાઉનમાં છે. પરિણામે પ્રતિદિન ૪૦૦ના સ્થાને ભારતમાં વાહન અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યા નહિવત થઈ ગઈ છે. ૧૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધીમાં કોરોનાના કારણે ભારતમાં ૩૬૦ મૃત્યુ થયાં. કોરોના ન આવ્યો હોત તો રોડ-અકસ્માતમાં આટલા સમયમાં બાર હજારથી વધુ લોકો મરણને શરણ થયાં હોત. ૨૦૨૦ના પ્રથમ ત્રણ મહિનાના આંકડા જોઈએ તો પણ પ્રતિદિન વિશ્વભરમાં વાહન-અકસ્માતના કારણે થતાં મૃત્યુના દર સામે કોરોનાનો મૃત્યુદર લગભગ ચોથા ભાગનો છે. આ સિવાય, હોટલ-રેસ્ટોરન્ટ, પાર્ટી-લગ્ન-જાહેર સમારંભ બધું જ બંધ થઈ જવાના કારણે, પ્રદૂષણ ઘટવાના કારણે અને લોકો ઘર-કેદ રહેવાનાં કારણે ચેપી રોગો અને એના કારણે થતાં મૃત્યુનું પ્રમાણ પણ નગણ્ય કહી શકાય એટલું ઘટી ગયું છે. બીજું, અઠવાડિયામાં સાત અને મહિનામાં ત્રીસ રવિવાર થઈ જવાથી જીવનમાંથી તણાવ ઓછો થઈ ગયો છે. સવારે ઊઠવાનું, કામ પર જવાનું, ટ્રેન પકડવાનું, ટાર્ગેટ હાંસિલ કરવાનું, બૉસને રિપૉર્ટ આપવાનું, જુનિયર્સ પાસેથી ધાર્યું કામ લેવાનું- આ બધું જ અત્યારે લૉક-ડાઉન છે. પરિણામે હૃદયરોગ અને લકવાથી થતા મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. મોટાભાગની હૉસ્પિટલ ખાલી છે અને તોય જીવન ચાલે છે. સાક્ષાત્ યમરાજ પણ કોરોનાથી ડરતા હોય એવો આ ઘાટ છે. કોરોના બ્રહ્માસ્ત્ર છે કે સંજીવની? (જો કે ઘટેલા મૃત્યુદરની સામે દેશ અને દુનિયાનું અર્થતંત્ર પણ ખાડે ગયું છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે.)

દુનિયાભરમાં વાહનસંચાર અને ઉદ્યોગો બંધ થઈ ગયા હોવાથી પ્રદૂષણની માત્રા નોંધપાત્ર ઘટી ગઈ છે. ઓઝોનનું ગાબડું પૂરાઈ રહ્યું હોવાના અહેવાલ છે. ગંગા નદીનું પ્રદૂષણ અડધું થઈ ગયું છે અને જલંધર જેવાં શહેરોને દાયકાઓ બાદ હિમાલય પુનઃ દેખાતો થયો. આકાશમાં રાત્રે અચાનક તારાઓ વધી ગયેલા અને સાફ દેખાય છે. શહેરોની આબોહવા હિલસ્ટેશન જેવી થઈ ગઈ છે. સતત સાથે રહેવાથી, પરસ્પર વાતચીતનો સેતુ પુનઃસ્થપિત થવાથી સંબંધોમાં વર્ષોથી જામેલી લીલ પણ સાફ થઈ ગઈ છે. પરિવારના માણસો એકમેકને સાચા અર્થમાં ઓળખી-મળી રહ્યાં છે. કોરોનાએ દુનિયામાં ભલેને હાહાકાર કેમ ન મચાવી દીધો હોય, વયષ્ટિ અને સમષ્ટિ –ઉભય રિબૂટ થઈ રહ્યાં છે. જન અને જગત- બંનેનું નવીનીકરણ થઈ રહ્યું છે. દુનિયા સરીખા ઘાવમાં સાચે જ રૂઝ આવી રહી છે. આ વાઇરસ જલ્દીથી વિદાય લે એ તો ઇચ્છીએ જ, પણ જે રૂઝ આવવી શરૂ થઈ છે, એ પાછળ મૂકીને જાય એ જ પ્રાર્થના.