ગ્લૉબલ કવિતા : ૧૯૨ : આવજે, મારા દોસ્ત, આવજે – સર્ગે યેઝેનિન

Good-bye, my friend, good-bye

Good-bye, my friend, good-bye.
My dear, you are in my heart.
This predestined separation
Promises of the meeting by and by.

Good-bye, my friend, without a hand, without a word,
Do not be sad, no furrowed brows, –
To die, in this life, is not new,
And living’s no newer, of course.

– Sergei Yesenin
(Eng Trans: Vivek Manhar Tailor)

અલવિદા, મારા દોસ્ત, અલવિદા

અલવિદા, મારા દોસ્ત, અલવિદા.
મારા વહાલા, તું તો મારા હૃદયમાં છે.
આ પૂર્વનિર્ધારિત જુદાઈ વચન આપે છે
કે આપણે નક્કી બહુ જલ્દી જ ફરી મળીશું.

અલવિદા, મારા દોસ્ત, ન હસ્તધૂનન, ન શબ્દ,
ન દુઃખ, ન તણાયેલી ભ્રૂકુટી, –
મરવું, આ જિંદગીમાં, કંઈ નવું નથી,
અને જીવવુંય કંઈ નવું નથી, અલબત્ત.

– સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન
(અનુ.: વિવેક મનહર ટેલર)


પરમ સખા મૃત્યુ…

સ્કાર્ફની જેમ દોરડું ગળે વીંટાળીને એક હાથે હિટિંગ પાઇપ પકડી એણે જિંદગીના ટેબલને ધક્કો માર્યો અને મોતની આગોશમાં લટકી ગયો. એક મહિનો પાગલખાનામાં રહ્યા બાદ ક્રિસમસના દિવસે જ એને રજા અપાઈ હતી અથવા એ ભાગી છૂટ્યો હતો. ત્યાંથી નીકળીને સેંટ પિટર્સબર્ગની હોટલ એન્ગ્લેટેરમાં એ રોકાયો. બે દિવસ સતત વોડકા પીધો. મિત્ર વોલ્ફ હેર્લિચ સાથે એક રાત ગાળી. રૂમમાં શાહી પણ નથીની ફરિયાદ કરી. પોતાના બંને કાંડા કાપીને પોતાના લોહીથી પોતાની આખરી કવિતા –ગુડ બાય, માય ફ્રેન્ડ, ગુડ બાય- લખી. બીજા દિવસે ૨૮-૧૨-૧૯૨૫ના રોજ એની લાશ લટકતી મળી. એના પોતાના શબ્દોમાં, ‘સામાન્યરીતે કહું તો, એક ગીતકવિએ લાંબુ જીવવું જોઈએ નહીં.’ એક કવિતામાં એ કહે છે: ‘હું મારી જાતને મારી બાંય પર લટકાવી દઈશ, એક લીલી સાંજે એ બનશે.’ એનો ચાહકવર્ગ એટલો વિશાળ અને આંત્યંતિક હતો કે, જે અદામાં એણે આત્મહત્યા કરી, એ જ રીતે આત્મહત્યા કરવાની ફેશન શરૂ થઈ અને ઢગલાબંધ ચાહકો, ખાસ કરીને સ્ત્રીચાહકોની કતારબંધ આત્મહત્યાઓએ દુનિયા આખીને ચોંકાવી દીધી.

સર્ગે એલેક્ઝાન્ડ્રાવિચ યેઝેનિન. રશિયામાં કોન્સ્ટાન્ટિનોવોમાં ખેડૂતને ત્યાં ૦૩-૧૦-૧૮૯૫ના રોજ જન્મ. મા-બાપ શહેર ગયા એટલે બાળપણ દાદી સાથે વીત્યું. નવ વર્ષની કુમળી વયે કવિતા લખવું આદર્યું. સત્તર વર્ષની ઉંમરે મોસ્કો સ્થાયી થયા. પ્રુફ-રિડરનું કામ શરુ કર્યું. ૧૯૧૬માં પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૧૯૧૯માં પોતાની પ્રકાશન સંસ્થા શરૂ કરી અને પ્રયોગાત્મક બળવાખોર કવિતાઓ અને ચોપનિયાંઓ વડે લોકોની (અને સરકારની) ઊંઘ ઊડાડી નાંખી. શરૂમાં ઓક્ટોબર ક્રાંતિ/રેડ ઓક્ટોબરના હિમાયતી પણ સ્વપ્નભંગ થયા પછી એના ટીકાખોર. (ઓક્ટોબર અથવા બોલ્શેવિક ક્રાંતિ એટલે રશિયામાં સદીઓની ઝાર રાજાશાહીનો ઈ.સ. ૧૯૧૭માં વ્લાદિમીર લેનિનના નેતૃત્વ હેઠળ અંત થઈ સામ્યવાદી શાસનનો સૂર્યોદય થયો તે) ૧૯૧૩માં અન્ના ઇઝરિઆદનોવા સાથે પહેલાં લગ્ન. એક પુત્ર. ૧૯૧૭માં ઝિનૈદા સાથે બીજા લગ્ન. બે સંતાન. ૧૯૨૨માં ઇઝાડોરા ડન્કન નામની પોતાનાથી ૧૮ વર્ષ મોટી નૃત્યાંગનાને વર્યા. વળી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યા ને વળી એક કવયિત્રી વોલ્પિન થકી લગ્નેતર પુત્રના પિતા બન્યા. એ કહેતા: ‘ઘણી સ્ત્રીઓએ મને ચાહ્યો, અને મેંય એકાધિકને ચાહી છે.’ ૧૯૨૫માં ટોલ્સ્ટોયની પૌત્રી સોફિયા સાથે ચોથા લગ્ન. દારૂની લતના શિકાર. ડ્ર્ગ્સના રવાડે પણ ચડ્યા. ડિપ્રેશન, નર્વસ બ્રેકડાઉનના શિકાર રહ્યા. નશામાં ચકચૂર થઈ હોટલના રૂમોમાં તોડફોડ કરતા એ કારણે અવળી પ્રસિદ્ધિ પણ બહુ મળી. સર્ગે એક કવિતામાં પૂછે છે: ‘શા માટે મારી ખ્યાતિ એક શાતિર ઠગ અને ઉપદ્રવી તરીકેની છે, સાચે?’

રશિયાના લોકપ્રિય ‘ઉપદ્રવી કવિ’ (‘hooligan poet’) સર્ગે નિઃશંક વીસમી સદીના ઉત્તમ રશિયન ગીતકવિ હતા. એઝરા પાઉન્ડના ઇમેજિઝમના અનુયાયી. પ્રારંભની કવિતાઓ રશિયન લોકગીતોથી પ્રભાવિત. ફિલ્મી અભિનેતા જેવા અત્યંત દેખાવડા સર્ગે સ્ત્રીઓ સાથેના ચર્ચાસ્પદ સંબંધો, સમલૈંગિક સંબંધ, શરાબખોરી, ડ્રગ્સ, ઉગ્ર સરકાર વિરોધી સૂર, જાહેરમાં પત્ની સાથે લડાઈ, તોફાન-તોડફોડ વિ.ના કારણે સતત ચર્ચામાં રહ્યા. લોકપ્રિય પણ ખૂબ થયા. જો કે એમની કવિતામાં જોવા મળતી સંવેદનાની ધાર, ઊર્મિની અનૂઠી અભિવ્યક્તિ અને નાવિન્ય જ એમની સદાબહાર લોકપ્રિયતાનું ખરું કારણ ગણાય. લાગણીઓની કાલિમાભરી પીંછીથી લખેલી આ કવિતાઓ અલ્લડ પ્રાસરચના અને ઉદ્ધતાઈથી ભરી-ભરી હોવા છતાં સશક્ત સંવેદન, મનમોહક અદા અને કામુક સૌંદર્ય, પ્રકૃતિ માટેના અદમ્ય સ્નેહ, બેવફા જિંદગી તરફના બેફિકર અંદાજના કારણે ઉફરી તરી આવે છે. મૃત્યુ એમની કવિતાઓમાં ચારેતરફથી ઘુરકિયા કાઢે છે. સરવાળે સર્ગેની કવિતાઓ ભાવકને વ્યથિત કરી મૂકે છે અને સફળતાપૂર્વક ભાવકના મન પર અમીટ છાપ મૂકી જાય છે.

ગીતની પ્રથમ પંક્તિથી જ ગીત પ્રચલિત થયું છે. ચાર પંક્તિઓના બે બંધવાળા આ ગીતમાં કવિએ અ-બ-અ-બ પ્રમાણે ચુસ્ત પ્રાસ જાળવ્યો છે. આઠ પંક્તિની આ ટચૂકડી રશિયન કવિતાના એટલા બધા અંગ્રેજી અનુવાદો ઉપલબ્ધ છે કે મગજ ચકરાઈ જાય. ઘણા અનુવાદ મૂળ રચનાથી સાવ અલગ પણ છે, પણ એકેય અનુવાદ સાંગોપાંગ મૂળ કવિતાને યથાતથ રજૂ કરતો જણાતો નથી. ગૂગલ ટ્રાન્સલેટર અને ઓનલાઇન રશિયન-અંગ્રેજી શબ્દકોશોમાં એક-એક શબ્દના અર્થ શોધી, ઉપલબ્ધ તમામ અંગ્રેજી અનુવાદો સાથે એમને સરખાવ્યા બાદ, પ્રાસ અને લય પકડી રાખવાની જિદમાં મૂળ રચના હાથમાંથી નીકળી જવાનો ભય હોવાથી જાતે જ રશિયનમાંથી અંગ્રેજી અને ત્યારબાદ ગુજરાતી અછાંદસ તરજૂમો કરવું વધુ ઉચિત જણાયું છે.

મૃત્યુના આગલા દિવસે પોતાના જ લોહીથી લખાયેલી આ ટૂંકીટચ કવિતા લાંબોલચ અમરપટો લખાવીને આવી છે. બે મિત્રો કે બે પ્રેમીઓના વિખૂટા પડવાનો સમય થયો છે. કવિ ‘અલવિદા, મારા વહાલા દોસ્ત, અલવિદા’ કહે છે. ‘અલવિદા’ની પુનરોક્તિ આ વિદાયમાં કોઈ યુ-ટર્ન ન હોવાની ખાતરી છે. આ ગુડબાયનું કારણ કવિ કહેતા નથી. કવિતાને કારણો સાથે નિસ્બત હોય પણ નહીં. કવિતાનું કામ તો અંતરના ભીતરતમ ખૂણામાંથી લાવાની જેમ બહાર ઊછળી આવતી લાગણીઓને યથાતથ ભાવક સુધી પહોંચાડવાનું છે. કવિની સર્જનવેળાની અનુભૂતિ ભાવક વાંચતી વખતે અનુભવે તો કવિતા લેખે લાગી ગણાય. સર્ગેની આ સ્વરક્તલિખિત રચનાના ઇતિહાસથી અજાણ હોઈએ તોય કવિતા રુંવાડા ઊભા કરી દે એવી છે. ઠંડી કંપકંપી કરોડરજ્જુમાંથી પસાર થયા વિના ન રહે એવી આ રચના છે. કવિતા એટલી બધી સહજ-સાધ્ય, બળકટ અને વેદનાસિક્ત છે કે એના વિશે લખવા જતાં ન માત્ર આંગળાઓ, સમગ્ર સંવેદનતંત્રને લકવો મારી ગયો હોવાનું અનુભવાય છે.

જીવન અને મૃત્યુની જેમ જ મિલન અને વિયોગ એક સિક્કાની જ બે બાજુ છે. ‘કિસ્મતમાં કોઈના કદી એવી ન પ્રીત હો, જેમાં મિલનના હોઠે જુદાઈનાં ગીત હો’ (શૂન્ય પાલનપુરી) ગાવું અલગ વાત છે, પણ હકીકત તો ‘लिखनेवाले ने लिख डाले, मिलने के साथ बिछोड़े’ (આનંદ બક્ષી) જ છે. સર્ગેની કવિતામાં જુદાઈનો ભાવ મૃત્યુના કાળા કફનમાં વીંટળાઈને રજૂ થયો છે. જુદાઈ હંમેશા તકલીફ આપે છે. વળી આ જુદાઈ તો કાયમ માટેની છે. એક કવિતામાં સર્ગે કહે છે, ‘જે ચાલ્યું ગયું એ કદી પાછું મેળવી શકાતું નથી.’ જો કે અહીં કવિ પુનર્મિલનની ખાતરી આપે છે. કહે છે, આજે આપણે ભલે જુદા થઈ રહ્યા છીએ પણ તારું સ્થાન તો સદાકાળ મારા હૃદયમાં યથાવત્ જ રહેનાર છે. શરીર ભલે અલગ થઈ રહ્યા છે પણ આત્મા તો ક્યારનો એક થઈ ચૂક્યો છે. આ જુદાઈ પૂર્વનિર્ધારિત છે કેમકે મૃત્યુનો જન્મ તો જન્મતાવેંત જ થઈ જાય છે. મૃત્યુની સન્મુખ ઊભેલા રશિયન યુવાકવિની વાતમાં જાણે કે ગીતાપાઠ સંભળાય છે:

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।। (ભગવદ્ ગીતા ૨:૨૭)
(જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરનારનું ફરી જન્મવું પણ નિશ્ચિત છે, માટે આ અનિવાર્ય બાબતમાં શોક કરવો યોગ્ય નથી.)

वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देही।। (ભગવદ્ ગીતા ૨:૨૨)
(જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યાગીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે આપણાં વૃદ્ધ અને નકામાં શરીરો ત્યજીને આત્મા નવાં શરીર ધારે છે.)

રૂમીએ પણ આવી વાત કરી છે:

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।
(મોત અને હયાતી વિશે મને શું પૂછો છો? સૂર્યનો તડકો બારીમાંથી પ્રવેશ્યો અને ચાલ્યો ગયો.)

આદિ શંકરાચાર્ય પણ આવું જ કહે છે: ‘पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम्।’ (ફરી પાછો જન્મ. ફરી પાછું મૃત્યુ. ફરી પાછું માતાના પેટમાં સૂવું)

રશિયા જેવા સામ્યવાદી દેશમાં થઈ ગયેલ ‘કેસનોવા’ ફિતરતના રંગીન મિજાજ કવિએ આ જ વાત કેટલી સહજતાથી કહી છે! કહે છે, મૃત્યુ યાને પૂર્વનિર્ધારિત જુદાઈ વચન આપે છે એ વાતનું કે ક્યાંક, ક્યારેક, કોઈક રીતે પણ આપણું પુનર્મિલન અવશ્ય થશે. મિલન નિશ્ચિત હોય તો અફર જુદાઈનો શોક શાને? હરીન્દ્ર દવે તો આ ઘટનાને મૃત્યુનું નામ આપવાની જ ના કહે છે:

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

બંનેનો રસ્તો ફંટાઈ રહ્યો છે, પણ દિલમાં તો અવિચળ સ્થાન છે અને ફરી મળવાની ખાતરી પણ જડબેસલાક છે એટલે જ કવિ શોક કરવાની ના કહે છે. જેનું સ્થાન દિલમાં કાયમી છે, જેની સાથે પુનર્મિલન અફર છે, એનાથી છૂટા પડતી વેળાએ કંઈ કહેવું-કારવવાનું બિનજરૂરી જ હોવાનું ને? બીજા અંતરાનો પ્રારંભ પણ કવિ ‘અલવિદા’ કહીને જ કરે છે. પુનરોક્તિ વાતમાં વજન ઉમેરવાની કારગત કાવ્યરીતિ છે. કવિ કહે છે, કોઈ ઔપચારિક હસ્તધૂનન, આલિંગન, પ્રેમાડંબરયુક્ત શબ્દો કે આંસુ, દુઃખથી તણાયેલા ભંવા – આ કશાની જરૂર નથી. રૂમી પણ કહે છે, ‘જ્યારે મારો જનાજો નીકળે, તમે કદી એવું ન વિચારશો કે હું આ દુનિયાથી જઈ રહ્યો છું. એકપણ આંસુ સારશો નહીં, ન વિલાપ કરજો, ન તો દિલગીર થજો.’ જિબ્રાન કહે છે: ‘તમારા આંસુઓ સૂકાવી દો, મારા મિત્રો, અને માથાં ઊંચકો જેમ ફૂલ પરોઢને આવકારવા એમના મસ્તક ઊઠાવે છે. પાસે આવો અને મને વિદાય આપો; મારી આંખોને સસ્મિત હોઠોથી અડકો’

જન્મ અને મૃત્યુ કંઈ બે અલગ ઘટના નથી. બાળક અને વૃદ્ધ –આ બે શું અલગ વ્યક્તિઓ છે? એક જ વ્યક્તિ, જે સમયરેખાના એક બિંદુ પર બાળક છે, એ જ બીજા બિંદુએ પહોંચતા વૃદ્ધ બને છે. એ બેને અલગ વ્યક્તિકરાર કેમ આપી શકાય? જન્મ અને મૃત્યુ પણ એક જ સમયરેખાના બે અંતિમો જ છે. સમય સિવાય એમને એકમેકથી અલગ કેમ પાડી શકાય? મૃત્યુ તો મંઝિલપ્રાપ્તિની ઘડી છે. એને વધાવવાનું હોય, એનો શોક કેમ? જયંત પાઠક કહે છે, ‘મૃત્યુ એટલે એક અજાણ્યું ઈંડું, ફૂટ્યા વગર એના ગર્ભને પામી શકાતો નથી.’

કવિનું મૃત્યુ આત્મહત્યા હતી કે હત્યા એ હજી પણ ચર્ચાનો વિષય છે. કહેવાય છે કે એમના સરકારવિરોધી વલણ અને ઉદ્દામ કવિતાઓના કારણે સોવિયટ યુનિયનની છૂપી પોલિસે જ એમની હત્યા કરી અને આખી ઘટનાને આત્મહત્યામાં ખપાવી દીધી. યેઝેનિનની કવિતાઓમાં રહેલી તાકાતથી ડરીને એમના મૃત્યુ બાદ સ્ટાલિનના શાસનકાળમાં પણ એમના કાવ્યો પર જડબેસલાક પ્રતિબંધ હતો. કવિના મૃત્યુના ચાર-ચાર દાયકા બાદ છે…ક ૧૯૬૬ની સાલમાં એમનું મોટાભાગનું સર્જન લોકોને પ્રાપ્ત થયું.

મોતનો ડર મોટાભાગનાને સતાવે છે. કવિ મોતથી ડરતા નથી કેમકે એ જિંદગીથી ડરતા નથી. કેમકે એ જિંદગી અને મોતને અલગ સ્વરૂપે જોતા જ નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

જિંદગી અને મોત એક જ રેખાના બે બિંદુ છે એ સમજણ આવી જાય તો જ આ ડર નીકળે. આવી સમજ આવી જાય તો ‘મને ન મરવું ગમે છૂટક ટૂંક હપ્તા વડે’ (ચુનીલાલ મડિયા) એમ કહેવું ન પડે. દુનિયાની ઘરેડમાં ઘાણીના બળદની જેમ જીવ્યા કરવામાં કોઈ નવીનતા નથી. માણસ જીવીને મરે છે અને મરીને જીવે છે. જીવવામાં પૂરો થઈ જાય છે અને પૂરો થતાં-થતાં જીવે છે. જિંદગીના વરસો ગણવાના બદલે વરસોમાં રહેલી જિંદગી ગણતા આવડે એ સાચું ગણિત. જેટલો સમય તમે ભીતરથી આનંદિત છો એટલું જ તમે જીવ્યા છો. બાકીનો સમય એટલે હાડ-ચામના ખોખામાં થયા કરતી હવાની અવરજવર નકરી, બસ. સર્ગે સંતુષ્ટ છે. એ આયુષ્યમાં છૂપાયેલ જિંદગી જીવી જાણે છે. કહે છે: ‘આપણી આ દુનિયામાં આપણે બધા નાશવંત છીએ. ખુશનસીબ છું હું કે ખીલવાનો સમય મળ્યો, મરી જતાં પહેલાં.’ જ્યારે જિંદગીના કપાળેથી મરણની નવાઈ ભૂંસાઈ જાય છે ત્યારે ચહેરો ગ્લાનિમુક્ત થઈ જાય છે. વધારાના શ્વાસનો બોજો જીવતરના ખભે નાંખી ઢસરડા કરવાની ગાડરિયા વૃત્તિ, જેને આપણે સહુ જિજિવિષાના નામનું સોનેરી વરખ ચડાવીને ખુશ થવા મથતા રહીએ છીએ, હવે બચતી નથી. એટલે લોહીના હસ્તાક્ષર કરીને લટકી જવામાં હિચકિચાહટ થતી નથી. આમેય વચ્ચે મૃત્યુના વિસામા પર થોભ્યા વિના એક જીવનમાંથી બીજા જીવન તરફ સરાતું નથી.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?! (ચિનુ મોદી)

ફૂટવાના કારણે વચ્ચે ભરાયેલી હવા નીકળતાવેંત પરપોટો પુનઃ પાણી બની જાય છે. આત્મા અલગ થઈ જતાવેંત શરીર માટી બની જાય છે, પંચમહાભૂતમાં ભળી જાય છે. સર્ગેને આ સમજાઈ ગયું છે એટલે એ સંપૂર્ણ સજાગાવસ્થામાં નિર્લેપભાવે કપાળ પર કરચલી પણ પાડ્યા વિના અને ન પાડવાની સલાહ આપીને વિદાયની વાત કરી શકે છે. જિબ્રાનની એક પંક્તિથી વાત પૂરી કરીએ: ‘કેમકે જિંદગી અને મૃત્યુ એક જ છે જેમ નદી અને સાગર એક જ છે. કેમ કે મરી જવું પવનમાં નગ્ન ઊભા રહેવું અને તાપમાં ઓગળી જવાથી વધુ બીજું શું છે?’

કાળચક્રનો નિયમ – જયશ્રી મર્ચન્ટ

ગ્રીષ્મ, શરદ અને હેમંતમાં
લાંબા-ટૂંકા થતાં આ દિવસો..

સતત બદલાતી ઋતુઓની છડી પોકારતા,
કાળચક્રની ધરી પર સતત ફર્યા કરે છે,
થાક્યા વિના

તારા ગયા પછી સ્થગિત થયેલી મારી રાતો
ને મારા દિવસો પણ
ઋતુઓના આ નિયમને
ક્યારેય અનુસરશે ?
-જયશ્રી મર્ચન્ટ

સંગીત કેરી સરગમ – માયા દિપક

આખો સાગર નાનો લાગે જયારે ‘મ’ ને કાનો લાગે!
માં 🙂
આ એક જ શબ્દમાં આખું વિશ્વ્ સમાઈ જાય ,એવી જ કૈક લાગણી સાથે આ ગીત લખાયું હશે.ચાલો સાંભળીએ

.

સંગીત કેરી સરગમનો જેમ પહેલો સ્વર છે સા,
જીવન કેરી સરગમ કેરો સાચો સ્વર છે માઁ,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ,
બીજા સઘળા સંબંધો છે વનવગડાના વાં.

ભર્યો ભર્યો પણ સુનો લાગે માઁ વિના સંસાર,
વર્ણવતા શબ્દો પણ થાક મહિમા અપરંપાર,
જોડ મળે નહિ જેની જગમાં એવું રૂપ છે આ,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

સઘળાં તાપ શમે જ્યાં એ છે માઁનો મીઠો ખોડો,
અમૃત ઝરતી આંખ છે માઁની સુખની છાલક છોડો,
એવી માઁને કદી ન કરજો કડવા વેણનો ઘાં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

જીવનવનના વિપરીત વાયુ અડગ થઈને સહેતી,
કમળપત્ર શી કોમળ માતા,વગ્ર સમી થઇ રહેતી,
પરમેશ્વર ના પહોંચે સઘળે એથી જન્મી માં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.

અણદીઠેલાં જગમાં શિશુને માઁનો છે વિશ્વાશ,
બાળક માટે જીવતી મરતી બાળક માંનો શ્વાશ,
બધું ભૂલો પણ કદી ન ભૂલશો,માં તે કેવળ માં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.
– માયા દિપક

ગ્લૉબલ કવિતા : ૧૯૧ : સૉનેટ ૧૮- વિલિયમ શેક્સપિઅર

Sonnet 18

Shall I compare thee to a summer’s day?
Thou art more lovely and more temperate:
Rough winds do shake the darling buds of May,
And summer’s lease hath all too short a date:

Sometime too hot the eye of heaven shines,
And often is his gold complexion dimm’d;
And every fair from fair sometime declines,
By chance or nature’s changing course untrimm’d;

But thy eternal summer shall not fade
Nor lose possession of that fair thou owest;
Nor shall Death brag thou wander’st in his shade,
When in eternal lines to time thou growest:

So long as men can breathe or eyes can see,
So long lives this and this gives life to thee.

– William Shakespeare


સૉનેટ ૧૮

કહે, ઉનાળાનો દિવસ તુજને કેમ કહું હું?
વધુ છે તું એથી પ્રિય, અધિક ઉષ્માસભર છે:
વસંતી ફૂલોને પવન વસમો, કેમ બચવું?,
વળી ઉનાળોયે દિન ગણતરીના જ ટકશે:

કદી આકાશી નેણ વધુ પડતા તેજ બનતાં,
કદી આ કાંતિયે કનકવરણી ઝાંખી પડતી;
અને રૂપાળાના સમય વીતતા રૂપ વીતતા,
અકસ્માતે યા તો કુદરત તણા કાળક્રમથી;

ઉનાળો તારો આ કદી નહિ વીતે, શાશ્વત થશે
અને કોઈ કાળે વિલીન ન થશે રૂપ તવ આ,
બડાઈ ના હાંકે યમ, અવગતે તું જઈ ફરે,
તું જ્યારે જીવે છે અજર-અમરા આ કવનમાં:

શ્વસે છે જ્યાં સુધી મનુષ અથવા આંખ નીરખે,
જીવે ત્યાં સુધી આ, જીવન ધરશે એ જ તુજને.

-વિલિયમ શેક્સપિઅર
(અનુ.: વિવેક મનહર ટેલર)


જીવન નાશવંત છે, કળા અમર છે..

દુનિયામાં કશું સનાતન નથી. જે આવે છે તે જાય જ છે. શ્વાસની સાથે જ ઉચ્છવાસ અને જન્મની સાથે જ મૃત્યુ લખાઈ ગયા હોવા છતાં અમરત્વની, શાશ્વતીની કામના કોણ નથી કરતું? પણ જીવનમાં કેટલીક વસ્તુઓ સમયાતીત છે. કળા એમાંની એક છે. સૌંદર્ય ક્ષણિક છે, સૌંદર્યની અદાઓ ક્ષણભંગુર છે પણ અક્ષર? અ-ક્ષર અવિનાશી છે. કળા કાળાતીત છે. શબ્દોમાં કંડારાયેલ શિલ્પ શાશ્વત-સનાતન બની શકે છે. હિપોક્રેટ્સે કહ્યું હતું: Ars Longa Vita Brevis (જીવન ટૂંકું છે, કળા શાશ્વત છે). આ દૃષ્ટિકોણથી શેક્સપિઅરનું આ સૉનેટ જોઈએ.

What is there in name? આ ઉક્તિ ભલે વિલિયમ શેક્સપિઅરની કેમ ન હોય, પણ ભાગ્યે જ કોઈ શિક્ષિત મનુષ્ય એમના નામથી અજાણ્યો હશે. નિર્વિવાદિતપણે અંગ્રેજી સાહિત્યજગતના બિનહરીફ શહેનશાહ. સર્વકાલીન સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર. જેમના નાટ્કો અને કવિતાઓ ચાર-ચાર સૈકાથી વિશ્વભરના માનવમન પર એકહથ્થુ રાજ કરી રહ્યાં છે એમનું મોટાભાગનું જીવન હજીય એક રહસ્ય જ બની રહ્યું છે. મોટાભાગે ૨૩-૦૪-૧૫૬૪ના રોજ સ્ટ્રેટફર્ડ-એટ—એવોન ખાતે ચામડાના વેપારી જોન અને મેરી આર્ડનને ત્યાં જન્મ. બાળપણ અને અભ્યાસ અંગે પણ ભાગ્યે જ કોઈ જાણકારી છે. ૧૮ની ઊંમરે સાત-આઠ વર્ષ મોટી એન હથવે સાથે લગ્ન. બે સંતાન. સમલૈંગિકતાનો આરોપ પણ બહુચર્ચિત. ૧૫૮૫થી લઈને ૧૫૯૨ સુધીનો ગાળો ‘લોસ્ટ પિરિયડ’ તરીકે ઓળખાય છે. આ વર્ષોમાં એ ક્યાં હતા, શું કરતા હતા એની ભાગ્યે જ કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ છે. કહે છે, આ સમયગાળામાં એ કળાકાર થવા માટે લંડન પહોંચ્યા હશે. લંડનના નાટ્યગૃહો ૧૫૯૨થી ૧૫૯૪ દરમિયાન પ્લેગના કારણે બંધ રહ્યાં હતાં. ૧૫૯૪માં લોર્ડ ચેમ્બર્લિનની નાટ્યસંસ્થામાં જોડાયા. થોડા સમય બાદ ‘ધ ગ્લૉબ’ સાથે જોડાયા જે પ્રવર્તમાન સમયની સૌથી વધુ લોકપ્રિય નાટ્યસંસ્થા હતી. ત્યાં શેક્સપિઅર બે પાંદડે થયા, પોતાનું ઘર ખરીદ્યું. ૨૩-૦૪-૧૬૧૬ના રોજ નિધન.

દુનિયાની તમામ ભાષાઓમાં એમના સાહિત્યનો અનુવાદ થયો છે. એમના સમકાલીન બેન જોન્સને કહ્યું હતું કે આ માણસ કોઈ એક યુગનો નથી, પણ સર્વકાલીન છે. શેક્સપિઅરના ૧૫૪ સૉનેટ વિશ્વસાહિત્યનું મહામૂલું ઘરેણું છે. પહેલાં ૧૨૬ સૉનેટ ઉંમરમાં નાના પણ સામાજિક સ્તરે ચડિયાતા મિત્ર કે પ્રેમીપુરુષને સંબોધીને લખાયાં છે. એ પછીના સૉનેટ એકાધિક સંબંધ રાખનાર શ્યામસુંદરીને સંબોધીને લખાયાં છે. શેક્સપિઅરની જિંદગી બહુધા એક અણજાણ કોયડો હોવાથી અને કવિતાઓ નાટ્યાત્મક આત્મકથનાત્મક શૈલીમાં હોવાથી કવિતાને એમની જિંદગીની માનવાની લાલચ થાય પણ અંતિમ સત્ય તો અનભિજ્ઞ જ છે. આ સૉનેટોમાં સજાતીય અને વિજાતીય સંબંધો, પ્રેમ-બેવફાઈ બધું જ ઊઘડીને સામે આવે છે. વિવેચક જોન બેરીમેને કહ્યું હતું: ‘જ્યારે શેકસપિઅરે લખ્યું કે મારે બે પ્રેમી છે, વાચક, એ મજાક નહોતો કરતો.’ મહદાંશે આ સૉનેટો સમય અને અનિવાર્ય ક્ષયની સામે પ્રેમ, સૌંદર્ય અને ખાસ તો કળાની શાશ્વતતાને મૂકે છે. શેક્સપિઅરે લેટિન, ફ્રેંચ, ગ્રીક જેવી ભાષાના શબ્દો અને શબ્દોના મૂળને હાથ ઝાલીને સેંકડો નવા શબ્દો અને શબ્દપ્રયોગો ભેટ આપ્યા છે. કોઈપણ કવિનો કોઈ ભાષા પર આવો વિરાટ અને એકલહથ્થો પ્રભાવ न भूतो, न भविष्यति છે. લગભગ ૩૭ જેટલા નાટકો એમના નામે બોલાય છે જેમાંના એકાદ-બેને બાદ કરતાં એકપણ મૌલિક નથી. મોટાભાગના નાટકોમાં જાણીતી-અજાણી વાર્તાઓ-ઘટનાઓના સંમિશ્રણ હોવા છતાં કથાગૂંફનનું નાવીન્ય, અભૂતપૂર્વ શબ્દસામર્થ્ય, ભાષા પરની અન્ન્ય હથોટી, માનવમનના અંતરતમ સંવેદનોને તાદૃશ કરવાની કળા, નાનાવિધ લોકબોલીઓનો ઊંડો અભ્યાસ અને ઉત્તમ કાવ્યત્ત્વથી રસાયેલાં આ નાટકો વિશ્વસમગ્રમાં સર્વશ્રેષ્ઠ ગણાયાં છે. કદાચ સૌથી વધારે વાર મંચિત પણ થયાં હશે. એક સર્જક તરીકે એમનો પ્રભાવ અનન્ય, સર્વકાલીન અને સર્વવ્યાપી રહ્યો છે.

સૉનેટનો જન્મ ઇટાલીમાં થયો પણ એને ઇંગ્લેન્ડમાં સર થોમસ વાયટ અને હેન્રી હાવર્ડ અર્લ ઑફ સરે લાવ્યા. ઇટાલિયન સૉનેટ પેટ્રાર્કન સૉનેટ તરીકે પણ ઓળખાય છે જેમાં અષ્ટક-ષટકની પંક્તિવ્યવસ્થા અને ABBA ABBA / CDE CDE (અથવા CDCDCD) પ્રાસવ્યવસ્થા છે, જે અંગ્રેજી ભાષાને સાનુકૂળ નહોતી. વાયટ અંગ્રેજીમાં સૉનેટ લાવ્યા તો અર્લ ઑફ સરે ત્રણ ચતુષ્ક- યુગ્મકની પંક્તિવ્યવસ્થા તથા ABAB CDCD EFEF GG મુજબની પ્રાસવ્યવસ્થા લાવ્યા, જે પ્રાસ-નબળી અંગ્રેજી ભાષાના ગળે શીરાની જેમ ઊતરી ગઈ. શેક્સપિઅરે એમાં એવી હથોટીથી ખેડાણ કર્યું કે અંગ્રેજી સૉનેટ પર એમનો સિક્કો લાગી ગયો. એ શેક્સપિરિઅન સૉનેટ કહેવાયું.

શેક્સપિઅરના મોટાભાગના સૉનેટમાં કોઈએક શબ્દ પુનરાવર્તિત થતો નજરે ચડે છે. બહુધા ત્રણેય ચતુષ્ક અને યુગ્મમાં એક-એકવાર અર્થાત્ કુલ્લે ચારવાર તો ખરો જ. આ સૉનેટમાં summer, sometime અને fair શબ્દ ત્રણવાર તો eternal વગેરે બબ્બેવાર છે. હેલન વેન્ડલરના અવલોકન મુજબ એક નોંધપાત્ર પાસું couplet-tie છે, જેમાં આખરી યુગ્મકનો મહત્ત્વનો શબ્દ સૉનેટમાં ક્યાંક અનુસંધાયેલ હોય છે, પ્રસ્તુત સૉનેટમાં યુગ્મકનો eye પ્રથમ પંક્તિના ‘I’ તથા પાંચમી પંક્તિના eye સાથે તાલ મિલાવે છે. આ રીતે એ સૉનેટના મુખ્ય શરીર અને યુગ્મકને જોડે છે. ક્યારેક કવિ વિરોધાભાસી શબ્દોને અડખપડખે મૂકીને વાતને પરાકાષ્ઠાએ લઈ જાય છે. પ્રસ્તુત સૉનેટમાં eternal summer આવો જ એક પ્રયોગ છે. ઋતુ હોવાના નાતે ઉનાળાનું આયુષ્ય નિશ્ચિત છે. ‘તારો રમણીય ઉનાળો’ એમ પણ કહી શકાયું હોત પણ કવિ મર્ત્ય અને અમર્ત્યને એક તાંતણે બાંધી દે છે. જેન કોટ કહે છે, શેક્સપિઅરનું યુગ્મક અનિવાર્યપણે નાયક પોતાને જ સીધું ઉદ્દેશીને બોલતો હોય એ પ્રકારના આત્મકથાત્મક સંવાદથી બનેલું હોય છે. ૧૫૪માંથી ૧૪૫ (આયંબિક ટેટ્રામીટર)મા સોનેટને બાદ કરતાં બાકીના આયંબિક પેન્ટામીટરમાં લખાયા છે. પહેલા ૧૭ સૉનેટ પ્રજોત્પાદન સૉનેટ (Procreation Sonnets) ગણાયા છે. ૧૯મા સૉનેટથી સમય કેન્દ્રવર્તી સ્થાન લે છે. કહી શકાય કે અઢારમું સૉનેટ બે વચ્ચેનું સંક્રમણ-સૉનેટ છે કેમકે ૧૫થી ૧૭મા સૉનેટમાં જીવનને શાશ્વત બનાવવાની મથામણ અને કાવ્યામૃતની વાતો છે, ૧૮માં સૉનેટમાં આ વાત દૃઢીભૂત થાય છે અને ૧૯મા સૉનેટમાં સમય અને ઘડપણને કવિતાની મદદથી પડકાર અપાતો જોવા મળે છે. કવિતા દ્વારા અમરત્વનો શેક્સપિઅરનો વિચાર જે આગળના સૉનેટ્સમાં ઢીલોપોચો દેખાય છે, એ અહીં આત્મવિશ્વાસની ટોચે પહોંચેલો નજરે ચડે છે. કદાચ સૉનેટ લખતાં-લખતાં ૧૮મા સૉનેટ સુધી કવિ આવ્યા હશે ત્યાં સુધીમાં એમને પોતાને પોતાની સર્ગશક્તિ અને શાશ્વતીનો અંદાજ આવી ચૂક્યો હશે, જે આત્મવિશ્વાસ આ પછીના સૉનેટ્સમાં બળવત્તર થયેલો જોઈ શકાય છે.

અહીં અઢારમા સૉનેટમાં શેક્સપિઅરે ત્રણેય ચતુષ્ક અને અંતિમ યુગ્મકને પૂર્ણવિરામોથી અલગ કરવાના બદલે એકસૂત્રે બાંધીને પ્રવાહિતા આણી છે. આઠ પંક્તિ પછી ભાવપલટો અને અંતિમ બે પંક્તિઓમાં ચોટ –એમ સૉનેટના અનિવાર્ય અંગો અલગ તારવી શકાતા હોવા છતાં સળંગસૂત્રિતા મુખ્ય પાસુ છે. પ્રિયપાત્રને પ્રશ્ન પૂછવાથી કવિ કાવ્યારંભ કરે છે. પૂછે છે, કહે, ઉનાળાના દિવસ સાથે તને હું શી રીતે સરખાવું? શેક્સપિઅરનો ઉનાળો સમજવા માટે ઇંગ્લેન્ડમાં પણ જવું પડે. આપણે ત્યાંથી વિપરિત હાડ ગાળી નાંખે એવા શિયાળા પછી ઉનાળો ક્યારે આવે એની ત્યાં કાગડોળે રાહ જોવાતી હોય છે. ‘હૉમ થોટ્સ, ફ્રોમ અબ્રોડ’માં રૉબર્ટ બ્રાઉનિંગ પણ ઇંગ્લેન્ડના ઉનાળાને યાદ કરીને નૉસ્ટેલજિક થયા છે. ૧૭૫૨ સુધી ઇંગ્લેન્ડમાં આજે વપરાતા ગ્રેગોરિઅન કેલેન્ડરના સ્થાને જૂનું જુલિયન કેલેન્ડર વપરાતું, એટલે મે મહિનો પ્રારંભિક ઉનાળાનો સમય હતો. ‘મે ડે’ ઉત્સવનો, પ્રણયફાગનો દિવસ ગણાતો. ઉનાળાનો દિવસ સૌને મન અતિપ્રિય હોવા છતાં કવિ પ્રિયપાત્રને એની સાથે સરખાવતાં ખચકાટ અનુભવે છે. કેમ? તો કે, ઉનાળા જેવી જાજરમાન, માનવંતી, સૌંદર્યવતી ઋતુના દિવસ કરતાં પણ પ્રિયપાત્ર વધુ પ્રિય પણ છે અને વધુ ઉષ્માસભર પણ છે. દઝાડતી ગરમી કે થીજાવતી ઠંડી નહીં, પણ મનભાવન ઉષ્મા આપે એવી. નવપલ્લવિત ફૂલ-કૂંપળોને મે મહિનાના વસમા પવનનો ડર સતત રહે છે. ઇંગ્લેન્ડના મે મહિનાના ઉનાળાને આપણા માર્ચ મહિનાના ફાગણ –વસંત ઋતુ સાથે સરખાવી શકાય. આપણા કેલેન્ડર મુજબ પણ વસંત ઋતુ એટલે ફાગણ અને ચૈત્ર, યાને મધ્ય માર્ચથી મધ્ય મે સુધીનો સમય. એટલે અનુવાદમાં મે મહિનાના સ્થાને એને અનુરૂપ વસંતી ફૂલો ખીલ્યાં છે, જેમને માટે નઠોર પવનોથી કેમ બચવું એ સવાલ તો ઊભો જ રહે છે. વળી ઉનાળો પોતે પણ કેટલા દિવસ ટકવાનો? સમય નામના મકાનમાલિકને ત્યાં ઉનાળાનો ભાડાકરાર કંઈ કાયમી નથી હોતો. ગણતરીની દિવસોમાં ઉનાળાનો પણ અંત થનાર છે. તો પછી પ્રિયજનની સરખામણી એની સાથે શીદ કરી શકાય?

વળી, ઉનાળાના તેજ-છાંયા પણ કાયમી નથી. કવિ જેને આકાશી નેણ કહી સંબોધે છે, એ સૂર્ય ઉનાળામાં ક્યારેક અસહ્ય તપે છે તો ક્યારેક એની સ્વર્ણપ્રભા વાદળોનું ગ્રહણ લાગી જતાં ઓઝપાઈ પણ જાય છે. પ્રકૃતિમાં કશું જ ચિરસ્થાયી નથી. સૃષ્ટિનું ચક્ર કદી સ્થિર રહેતું નથી. જે રીતે ઋતુપલટા અનિવાર્ય છે એ જ રીતે, ક્યારેક અકસ્માતે તો ક્યારેક કુદરતના અફર કાળચક્રની અડફેટે ચડીને ભલભલા રૂપસ્વીઓના રૂપ પણ સમય જતાં વિલાઈ જાય છે. સૉનેટ ૧૧૬માં શેક્સપિઅર લખે છે: ‘ગુલાબી હોઠો અને ગાલ પણ એના (સમયના) દાંતરડાથી છટકી શકતા નથી.’ બારમા સૉનેટમાં પણ એ લખે છે કે, ‘એવું કશું નથી જે સમયના દાંતરડા સામે કંઈપણ બચાવ કરી શકતું નથી.’ કુદરત સર્વદા પરિવર્તનશીલ છે એ તરફ ઈશારો કરીને કવિ સમસ્ત પ્રકૃતિની ક્ષણભંગુરતા તરફનો પોતાનો અણગમો પણ પ્રદર્શિત કરે છે. કવિની ગતિ પણ સ્વથી સર્વ પ્રતિની છે- એક દિવસથી કદી-ક્યારેક તરફ અને એક સૂર્યથી અનેક સૂર્ય-તમામ રૂપાળાઓ તરફની છે. વ્યક્તિથી સમષ્ટિ સુધીની વાત પ્રથમ બે ચતુષ્કમાં સમાવી કવિ સૉનેટમાં અનિવાર્ય એવો વળાંક (વૉલ્ટા) લે છે.

સૃષ્ટિમાં બધું જ અસ્થાયી અને ચલાયમાન છે, નશ્વર અથવા કામચલાઉ છે, એટલે જ કવિ સૃષ્ટિના ઘટકત્ત્વો સાથે વહાલાની બરાબરી કરવા માંગતા નથી. જો કે કવિને ખાતરી છે કે ઉનાળાથીય વધુ ઉષ્માસભર અને અધિકતર પ્યારા પ્રિયપાત્રનો સુવર્ણકાળ –ઉનાળો કદી વીતનાર નથી, શાશ્વત રહેનાર છે. કવિને પ્રતીતિ છે કે એના વહાલાનું રૂપ-તેજ સમયના વાદળ કદી ઝાંખાં પાડી શકશે નહીં. પ્રિયજનનું રૂપ કાળની ગર્તામાં વિલીન નહીં જ થાય એ વિશ્વાસ-પ્રદર્શન સાથે કવિતા આગળ વધે છે. કવિ સર્જનહારની સમકક્ષ ગણાયો છે. (अपारे काव्यसंसारे कविः एव प्रजापतिः-આનંદવર્ધન) કદાચ એટલે જ કવિને વિશ્વાસ છે કે સાક્ષાત્ યમ પણ પ્રિયજનને પોતાના ખોળામાં સમાવી લઈને બડાઈ હાંકી શકનાર નથી કે જા, અવગતે જા અને ફરતો રહે. કેમકે પ્રિયપાત્ર તો કવિના કવનમાં અજરામર થઈ ચૂક્યું છે. ‘સામ્ઝ’ (Psalms) (૨૩.૩)માં Shadow of death (મૃત્યુના ઓળા)નો ઉલ્લેખ છે. બાઇબલમાં ‘મૃત્યુ! તારો ડંખ ક્યાં છે?’ કહીને મૃત્યુને જીવન પર વિજયની શેખી મારતું દર્શાવાયું છે. વર્જિલ (ઇ.પૂ. ૭૦-૧૯)ના ‘ઇનીઇડ’ (Aeneid)માં ઇનીઆસને મૃત્યુ પછી પાતાળમાં- પ્રેતલોકમાં જતો બતાવ્યો છે એ વાતથી પણ શેક્સપિઅર વાકેફ હોઈ શકે છે. બીજું, શેક્સપિઅરે Shade શબ્દ વાપર્યો છે, જેનો શાબ્દિક અર્થ અંધારું કે ઓછાયો છે. અંધારું મૃત્યુની કાલિમા નિર્દેશે છે, પણ જોડણીમાં સહેજ ફેરફાર કરી શરૂનો ‘એસ’ શબ્દાંતે મૂકીએ તો Shade નો Hades થાય. ગ્રીક પુરાકથામાં હેડ્સ મૃત્યુનો દેવતા અને પાતાળનો રાજા છે. આ બંને અર્થ આવા સમર્થ કવિને અભિપ્રેત ન હોય તો જ નવાઈ. અહીં ક્રમશઃ ઓઝપાતો પ્રકાશ પણ વર્તાય છે. વધુ પડતા તેજસ્વી આકાશી નેણ, ઝાંખી પડતી કાંતિ, સમય સાથે રૂપનો થતો ક્ષય, વીતતો ઉનાળો, અને મૃત્યુની કાલિમા – સૉનેટના વચલા બે ચતુષ્કમાં ज्योतिर्मा तमसो गमय જેવી ઉનાળાના દિવસની અવળી ગતિ દેખાય છે.

કાવ્યાંતે શેક્સપિઅર એમની સચોટ સૉનેટશૈલીને વળગી રહી, અંતિમ બે પંક્તિમાં આખી કવિતાનો સાર આપે છે. ઉનાળાના દિવસથી માંડીને પ્રકૃતિની તમામ ચીજ ભલેને નાશવંત હોય, ક્ષણિક હોય પણ હે પ્રિય! તું શાશ્વતીને પામનાર છે, કારણ કે તને મારી કવિતાઓ અમરત્વ બક્ષનાર છે. અમરત્વની વાત શેક્સપિઅરના પ્રથમ સૉનેટની પ્રથમ કડીઓથી જ નજરે ચડે છે: ‘સૌથી સુંદર લોકોએ બાળકો પેદા કરવાં જોઈએ, જેથી સૌંદર્યનું ગુલાબ કદી મૃત્યુ ન પામે.’ પણ પ્રથમ સત્તર સૉનેટ સુધી પ્રજોત્પાદનની હિમાકત કર્યા પછી અઢારમા સૉનેટમાં અમરત્વની ગુરુચાવી પ્રજોત્પત્તિમાં નહીં પણ પોતાની કવિતાઓમાં છે એવો ઘટસ્ફોટ શેક્સપિઅર કરે છે.

જો કે શેક્સપિઅર કવિ હોવા છતાંય કુશાગ્ર બુદ્ધિજીવી પણ હતા. એ વાસ્તવદર્શી હતા. એ ‘यावत्चंद्रौदिवाकरौ’ની વાત નથી કરતા, એ શાશ્વતીની ખાતરી અવશ્ય આપે છે, પણ આ ખાતરી મનુષ્યજાતના અસ્તિત્વ સુધીની જ છે. પૃથ્વી પર અનેક જીવો આવ્યા, જીવ્યા અને નામશેષ થઈ ચૂક્યા છે. મનુષ્યો પણ અમરપટો લખાવીને આવ્યા નથી. આખી માનવજાત ભવિષ્યમાં નેસ્તનાબૂદ થઈ જાય એમ પણ બને. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કળાનું અસ્તિત્ત્વ પણ મનુષ્યો ધરા પર વિચરણ કરે છે, ત્યાં સુધીની જ હોવાનું ને! મનુષ્યના નાશ સાથે જ કળા પણ નામશેષ-અર્થશેષ બની રહેશે. કવિ કહે છે, જ્યાં સુધી આ પૃથ્વી પર મનુષ્યો જીવતા હશે અથવા આંખ જોઈ શકતી હશે ત્યાં સુધી આ કવિતા જીવશે અને આ કવિતા તને સમયાતીત જીવન આપતી રહેશે. આખરે, કવિતાથી ચડિયાતી સંજીવની બીજી કઈ હોઈ શકે?

વ્હાલ કરે તે વ્હાલું ! – રમેશ પારેખ

કવિ: રમેશ પારેખ
સ્વરકાર:ગાયક:અમર ભટ્ટ
આલબમ: કાવ્યસંગીતયાત્રા:1

.

રમેશ પારેખને એમના 80મા જન્મદિને (27/11/2020) યાદ કરું છું. વિશ્વકોશમાં 2/1/2010ના દિવસે ‘કાવ્યસંગીતશ્રેણી’નો આરંભ થયો તે પણ રમેશ પારેખનાં કાવ્યોનાં ગાનથી. એ વખતે આ ધોધમાર કવિની કવિતાનો કૅન્વાસ પાછો નજીકથી નિહાળ્યો.
આજે એમનું ‘વ્હાલ કરે તે વ્હાલું’ ગીત સંભળાવું.

‘વ્હાલ કરે તે વ્હાલું !
આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું?
ફુગ્ગા ને ફરફરિયાં જોઉં જોઉં લેણાદેણી
કોઈક વેચે વાચા કોઈક વ્હોરે ફૂલની વેણી
કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પ્યાલું!
ક્યાંક ભજન વેચાય ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો
શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો
સૌ સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું!
કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી
કોઈક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી
‘શું લઈશ તું?’- પૂછે મને આ મારું ગજવું ઠાલું !’
-રમેશ પારેખ

રમેશ પારેખની નમ્રતા જુઓ. ‘છ અક્ષરનું નામ’ સંગ્રહમાં એમણે નિવેદનમાં લખ્યું છે કે એમાં 1991માં છપાયો ત્યાં સુધીની લખાયેલી તમામ કવિતાઓ એટલા માટે લીધી છે કે જેથી સર્જકની મર્યાદાઓ શું છે એની સર્જક અને વાચક બંનેને જાણ થાય!
11મા ધોરણમાં એક નિબંધ લખવાનો હતો – મારો પ્રિય કવિ – મેં કવિ રમેશ પારેખ ઉપર લખેલો. કવિને એ પત્ર રૂપે પણ મોકલેલો.1982માં એ અમરેલીથી અમદાવાદ આવેલા ત્યારે મને ફૉન કરી લાભશંકર ઠાકરના આયુર્વેદના ક્લિનિક પર મળવા બોલાવેલો. એ પછી અવારનવાર એમને પત્ર દ્વારા ને એમનાં કાવ્યો દ્વારા મળતો. ત્યારપછી તો અમે એમનાં અને અનિલ જોષીનાં ગીતોનો કાર્યક્રમ કર્યો. બંનેએ જે કાવ્યો વાંચ્યાં એ જ અમે ગાયાં. 1998માં કવિ રમેશ પારેખ ને મનોજ ખંડેરિયાનું કાવ્યપઠન મારે ત્યાં યોજેલું.
કવિની ‘આ મનપાંચમના મેળામાં’ ખૂબ જાણીતી કૃતિ છે. ર.પા.ની અનેક રચનાઓમાં મેળો આવે છે-
‘મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે
એમ હું છે તે ઝાડને જડું’
**
‘પગથી માથા લગી સમૂળો મને લીધો તેં ચોરી
તને એકલીને મેં આખ્ખા મેળામાંથી ચોરી
કોઈ કહે કે જીવતર છે,એમાં આવુંય બને!‘
**
‘ઘાંઘા! ઘાંઘા! ક્યાં હાલ્યો?
વસંતમાં તેં ફૂલને બદલે ધરમ હાથમાં કાં ઝાલ્યો?
જીવતરનો શો અરથ, ગીત ગાઈ મેળે જો ના મહાલ્યો?’

પણ અહીં એવા મેળાની, સાક્ષીભાવે જોયેલી, વાત છે જ્યાં ફુગ્ગા જેવા (egoist?), ગમે ત્યારે ફૂટી પણ જાય તેવા માણસો હોય, જ્યાં ફરફરિયાં(petty?) જેવાં લોકો હોય, બહુ બોલીને આંજનારાં પણ હોય ને કોઈક સુગંધ વેરતી ને પરમાર્થ કરતી વ્યક્તિઓ પણ હોય. આ બધામાંથી કવિને લેવી છે લાડની મોંઘામૂલી લગડી ને વહેંચવો છે વ્હાલભર્યો સંદેશ – વ્હાલ કરે તે વ્હાલું!
થોડી સ્વરનિયોજનની ટેક્નિકલ વાત કરું-ખાસ કરીને અંતરામાં મેળામાં ફરતાં કવિ સાક્ષીભાવે જે જુએ છે તે સાક્ષીભાવ અભિવ્યક્ત કરવા ઉપરના ષડ્જ-સા -થી દરેક અંતરા શરૂ કર્યા છે. દરેક અંતરાની પ્રથમ પંક્તિ પહેલી વાર અને બીજી વાર ગવાય તેની વચ્ચે,એ પંક્તિના શબ્દોને રુચે એવાં, subtle variations છે. તેવું જ ‘ઝાલું’, ‘પ્યાલું’, ‘ચાલું’, ‘ઠાલું’ શબ્દોમાં છે.
‘પ્યાલું’માં ગ’રે’સા’,સા’નિ(કોમળ)ધ, મગરે, ગમપ છે; તો ‘ચાલું’ પહેલાં ‘અટવાતો’ શબ્દ હોવાથી આ જ સ્વરો છે પણ થોડા ‘કોમ્પ્લિકેટ’ કરીને ગયા છે –
ગ’-રે’સા’, નિ-ધપ, મ-ગરે, ગમપ.

– અમર ભટ્ટ

ઉપાલંભ – ઉષા ઉપાધ્યાય

સ્વર : અપેક્ષા ભટ્ટ
સ્વરાંકન : વિજય ભટ્ટ
સંકલન : પારુલ ખખ્ખર

કવયિત્રી ઉષા ઉપાધ્યાયના ગીતનું સુંદર સ્વરાંકન સંધ્યા વિજય ભટ્ટે કર્યું અને મધુર સ્વર તેજસ્વી યુવા ગાયક અપેક્ષા ભટ્ટે આપ્યો, નયનરમ્ય તસ્વીર સંકલન કર્યું છે કવયિત્રી પારુલ ખખ્ખરે.

.

પહેલા આંખો આપો પછી પાંખો આપો
ને પછી છીનવી લો આખ્ખું આકાશ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!

કોરી હથેળીઓમાં મહેંદી મૂકીને પછી
ઘેરી લો થઈને વંટોળ,
આષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહો
કરશો મા અમથા અંઘોળ!

પહેલા તડકો આપો, પછી ખીલવું આપો
ને પછી છીનવી લો સઘળી સુવાસ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!

ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહો કાનમાં પડી છે કેવી ધાક!
ગિરનારી ઝરણામાં ઝલમલ તરો, ને કહો સૂરજના ટોળાંને હાંક!
પહેલા પાણી આપો, પછી વહેવું આપો
ને પછી છીનવી લો કાંઠાનો સાથ,
રે! તમને ગમતા શું આટલાં પલાશ!
-ઉષા ઉપાધ્યાય

ગ્લૉબલ કવિતા : ૧૯૦ : સ્પર્શવિલાસ – વીરુ પુરોહિત

હજારો અળસિયાં નીકળી જમીનથી જાણે,
ફૂલોની જાજમે આળોટી રહી સુખ માણે!
હતી લજામણી; પણ સ્પર્શસુખે ખૂલી’તી,
હું એ ઉન્માદી અવસ્થામાં ભાન ભૂલી’તી..
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નદીમાં છું અને મત્સ્યો કરે છે ગલગલિયાં,
કે મારી ભીતરે શિશુઓ કરે છે છબછબિયાં!?
ફરે છે બેઉ હથેળીનાં મૃદુ પોલાણે –
ફફડતું ચકલીનું બચ્ચું કે હૃદય; તું જાણે!
આવી અસમંજસે હું ઊભી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

મને તો થાય છે અંગૂરનાં ઝૂમખાં શી લચું;
કહે તો સ્પર્શ પર તારા, હું મહાકાવ્ય રચું!
‘કુમારસંભવમ્’ પેટારે પૂરી તાળું દે!
બધા ભૂલી જશે ‘વસંતવિલાસ’ ફાગુને!
હું એવા તોરમાં વળુંભી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

નથી વાળી શકાતું મનને બીજી કોઈ વાતે;
સ્મરું છું એ ક્ષણો હું જ્યારે મુગ્ધ એકાંતે–
ઊઠી રહી છે તારી મ્હેક મારાં અંગોથી,
‘ને સતત ભીતરે ઘેરૈયા રમે રંગોથી!
હું પછી ઉત્સવ બની ચૂકી’તી…
તેં મને જ્યારે પ્રથમ ચૂમી’તી!

– વીરુ પુરોહિત

પ્રથમ ચુંબન… પ્રથમ સ્પર્શ… પ્રથમનો જાદુ…

પ્રથમ ચુંબન! શબ્દદ્વય સાંભળતાંવેંત જ શરીર આખામાં એક અજબ સિહરન ફરી વળે છે. પહેલા ચુંબનની અનુભૂતિ કોને યાદ ન હોય? હજારો ચુંબનો, આલિંગનો અને સંવનન ભેગાં મળીને પણ પ્રથમ ચુંબનના રોમાંચને ઝાંખો નથી કરી શકતાં. પ્રથમ એ પ્રથમ. પ્રથમની તો વાત જ ન્યારી… પ્રથમ બધામાં સરતાજ. પ્રથમનું પુનરાવર્તન કદી સંભવ બનતું નથી, અને એટલે જ કવિઓ પ્રથમ ચુંબનના ગીતો ગાતા થાકતા નથી. વીરુ પુરોહિતનું આ ગીત પણ આવા જ અનનુભૂતાનુભવની વાત લઈ આવ્યું છે.

‘સ્પર્શવિલાસ’ શીર્ષક વાંચતાં જ શૃંગારરસના ફુવારામાં ભીંજાવાની મનોકામના થાય. પણ ગીત માત્ર સ્પર્શસુખમાં વિલસવા માટેનું નથી. ગીતમાં કાલિદાસના ‘કુમારસંભવમ્’ની સાથે ‘વસંતવિલાસ’ નામના ફાગુ કાવ્યનો પણ ઉલ્લેખ છે. આશરે પંદરમી સદીના મધ્યકાલીન ગુજરાતમાં કોઈક અજ્ઞાત કવિ કે જનસમૂહના હાથે રચાયેલ ‘વસંતવિલાસ’ નામક ફાગુકાવ્ય વસંતઋતુ આવતાં પિયુપ્રતીક્ષામાં રત પ્રોષિતભર્તૃકાની પીડા, પ્રિયતમના આગમન અને ઉભયના મિલનના વર્ણનનું કાવ્ય છે. કવિએ ‘વસંતવિલાસ’ને નજર સમક્ષ રાખીને સ્પર્શ અને પ્રથમ ચુંબનની સમીક્ષા કરતા આ ગીતનું શીર્ષક ‘સ્પર્શવિલાસ’ આપ્યું છે, જે યથોચિત કવિકર્મની સાહેદી પુરાવે છે.

ગુજરાતીમાં પ્રમાણમાં જૂજ ખેડાતા નઝમ કાવ્યસ્વરૂપ પર કવિએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. ચાર-ચાર પંક્તિના ચાર બંધ અને ધ્રુવપદ સાથે સાંકળી રચતી ટૂકવાળી ઈમારત ચણવા માટે કવિએ અ-અ-બ-બ પ્રકારે ચુસ્ત (‘તાળું દે/ ફાગુને’ ને બાદ કરતાં) પ્રાસાવલિની ઈંટો વાપરી છે. ચારેય બંધની તમામ કડીઓમાં કવિએ ‘લગા લગા લલગાગા લગા લગા ગાગા/લલગા’ બહર પ્રયોજી છે અને ટૂકની કડીઓમાં ગાલગા ગાલલગા ગાગાગા બહર વાપરી છે. કવિ જો કે પ્રાસમાં દાખવ્યું છે એવું ચુસ્ત વલણ છંદની બાબતમાં દાખવ્યું નથી એટલે ઘણી જગ્યાએ છંદ કાચો પડતો જણાય છે. મુખબંધને બાદ કરતાં ટૂકની ત્રણેય કડીઓમાં છંદ અલગ-અલગ નજરે ચડે છે. નઝમ જો કે ગઝલ કરતાં ગીતની વધુ નજીકનો કાવ્યપ્રકાર હોવાથી છંદ કરતાં લય અહીં વધુ મહત્ત્વનો ગણાય અને કાવ્યપાઠ કરતાં લય ખોટકાતો અનુભવાતો ન હોવાથી કૃતિની પ્રવાહિતા જોખમાતી જણાતી નથી.

આપણી ભાષામાં ઉત્તમ કહી શકાય એવી નઝમ ઓછી જ જડે છે. એમાંય આ કવિતા તો સાવ અલગ તરી આવે છે. પ્રથમ ચુંબનનો આવેગ જેમણે પૂર્ણતયા માણ્યો હશે એવા ભાવકોને તો આ કવિતા વાંચવી શરૂ કરતાવેંત શરીરમાં અજબ રણઝણાટી શરૂ થતી અનુભવાશે, જે કવિતા પત્યા બાદ પણ ક્યાંય સુધી ચાલુ રહેશે… માય ગૉડ! ઉમાશંકરના ‘ક્યાં છે કવિતા’ સવાલનો શાશ્વત ઉત્તર બની શકે એવી આ કૃતિ છે. આશ્ચર્ય થાય, પણ આવી મજાની નઝમ આપનાર કવિની કારકિર્દીની શરૂઆત ગઝલોથી થઈ હતી. ૧૩ ઑગસ્ટ, ૧૯૬૮ની રાત્રે વિશળવાવ પોલિસ ચોકીની સામે થાંભલા નીચે સિગારેટના ખુલ્લાં ખોખાં ઉપર શ્યામ સાધુએ કવિને ગઝલસ્વરૂપ બાબત શિક્ષણ આપ્યું હતું. બીજા જ દિવસે કવિએ મજાની ગઝલ રચીને એમની પાસેથી દાદ પણ મેળવી. પરંતુ ગઝલથી શરૂ થયેલી સર્જનયાત્રા કવિની જાણ બહાર ગીત તરફ વળી ગઈ. આજે એમની પ્રમુખ ઓળખ ગીતકવિ અને હાલ, ઉદ્ધવગીતોના કવિ તરીકે પ્રસ્થાપિત થઈ છે.

પ્રથમ ચુંબનની અનુભૂતિના સેંકડો કાવ્યોમાં સર્વોપરિ સિદ્ધ થાય એવું સર્વાંગસંપૂર્ણ આ કાવ્ય છે. પુરુષ કવિએ પ્રથમ ચુંબનનો ઓચ્છવ માણી રહેલી નાયિકાના સ્ત્રીગત મનોભાવો આત્મકથનાત્મક શૈલીમાં આબાદ ઝીલ્યા છે. પરકાયાપ્રવેશ વિના સૂક્ષ્માતિસૂક્ષ્મ નારીસંવેદનોને આમ આકારવું શક્ય જ ન બને. પ્રિયતમે નાયિકાને પહેલવહેલીવાર ચૂમી છે, પણ એનો નશો કડીએ-કડીએ શબ્દે-શબ્દે અસ્ખલિત છલકાઈ રહ્યો છે. સાવ અળસિયાં જેવા તુચ્છ જીવથી શરૂ થતી અભિવ્યક્તિ ક્યાં-ક્યાં જઈને ઉત્સવની કક્ષાએ પહોંચે છે એ ખાસ જોવા જેવું છે. ક્યારના જમીનની અંદર સંતાઈ રહેલાં હજારો અળસિયાં અચાનક એકીસાથે બહાર આવીને ફૂલોની રેશમી જાજમ પર આળોટવાનું સુખ માણી રહ્યાં હોવાની વાતથી નઝમની શરૂઆત થાય છે. સામાન્યરીતે વરસાદની ઋતુમાં દર પાણીથી ભરાઈ જતાં શ્વાસ લેવા માટે અળસિયાં સેંકડો-હજારોના ઝુડમાં જમીનમાંથી એકસાથે બહાર આવે છે. એકમેક પર આળોટી, ચડી-ઊતરી પુનઃ જમીનમાં પોતાનો માર્ગ કરવા અંધાધુંધી મચાવતા ઢગલેબંધ અળસિયાંઓની સમૂહરમત જેમણે જોઈ હોય એ જ આ અનુભૂતિ સાચા અર્થમાં સમજી શકે. પણ આ જમીન પર તો ફૂલોની જાજમ પથરાયેલી છે. મતલબ, એવો પ્રબળ, આકસ્મિક અને અભૂતપૂર્વ રોમાંચ થયો છે, જે ઉત્તેજનાની સાથોસાથ મખમલી અહેસાસ પણ દઈ રહ્યો છે. આ ઉત્તેજના, આ રુંવે-રુંવે અચાનક રેલાઈ વળેલ રેશમી સંવેદન પ્રથમ ચુંબનનું પરિણામ છે એ વાત તો છેક મુખબંધ પૂર્ણ થાય ત્યારે ખૂલે છે. ત્યાં સુધી તો પ્રેમગીતોમાં આ પહેલાં કદી જોવા-સાંભળવા ન મળ્યું હોય એવા આ અભૂતપૂર્વ કલ્પનનું લખલખું જ આપણે તો અનુભવવાનું છે. કવિની અન્ય એક રચનામાં પણ નાયિકા ફૂલોની સેજ પર આળોટવાનું સ્પર્શસુખ માણે છે:

પવન અલકલટ વંછેરે, તો ભ્રમ થાતો કે એ છે;
શમણે આવી રોજ શામળો બાહુપાશમાં લે છે!
ખર્યાં ફૂલ ધરતી પર ભાળી, થાય; બિછાવી સેજ;
આળોટું ઘેલી થઈ ત્યાં તો સુગંધ પામું એ જ!
સ્ત્રીની ચાલચલણ શું જાણો?
તમે પુરુષ છો, કેવળ ચાલો તમે પાઘડીપને!-
– જો કે કવિમાંનો પુરુષ માત્ર પાઘડીપાને ચાલતો હોય એમ લાગતું નથી. સ્ત્રીનાં ચાલચલણ અને મનાંકનો કવિ આબાદ પકડી શકે છે એની પ્રતીતિ ‘સ્પર્શવિલાસ’ કરાવે છે. ગીતમાં બીજું પ્રતીક છે લજામણીનું. નાયિકા કહે છે, હું તો લજામણી હતી. ‘હતી.’ મતલબ? હવે નથી રહી! લજામણી તો શરમાવાનું-સંકોરાવાનું પ્રતીક. લજામણી તો અડતાવેંત બીડાઈ જાય… પણ આકસ્મિક અનરાધાર સ્પર્શસુખના ઘોડાપૂરમાં તણાઈ જવાના કારણે આ લજામણી સ્વભાવગત, જાતિગત ભાન-સાન ભૂલી, ઉન્માદી અવસ્થાનો ભોગ બને છે, અને સ્ત્રીસહજ શરમાઈ-સંકોચાઈ જવાના બદલે ઊલટું ખૂલી-ખીલી ઊઠે છે. વાહ! સ્પર્શનો, પ્રથમ ચુંબનનો આ નશો છે. જે ઘડીએ પ્રિયતમે નાયિકાને ચૂમી, એ ઘડીએ લજામણી લજામણી મટીને મજામણીમાં રૂપાંતરણ પામે છે અને આકંઠ રતિરાગનું ગાન કરે છે. રામધારી સિંહ ‘દિનકર’ની કાલિદાસ કૃતિમાં પણ એક ચુંબનથી કુમારીનું નારીમાં રૂપાંતરણ થતું દર્શાવાયું છે:

प्रथम स्पर्श से झंकृत होती वेपथुमती कुमारी,
एक मधुर चुम्बन से ही खिलकर हो जाती नारी।

કવિના મતે કાવ્યની ભાષા ‘પ્રેમની ભાષા’ છે, અને એટલે જ એમનાં ગીતોમાં પ્રેમ કેન્દ્રસ્થાને નજરે ચડે છે. પ્રથમ ચુંબનની વાત કરતી વેળાએ કવિની અન્ય રચના પણ યાદ આવે: ‘ભમરાના ગુંજારવ થાતાં,/અમે સફાળાં દોડી જાતાં;/રમણે ચડતું વસંતઋતુએ શ્યામે ચૂમ્યું મુખ!’ પ્રથમ ચુંબનની વાત જ અનોખી. સિદ્ધાર્થ નવલકથાના લેખક હરમને હેસ કહે છે: ‘પ્રથમ ચુંબન સમયે મને લાગ્યું કે મારી અંદર કંઈક પીગળ્યું છે, જેણે મને અત્યંત નજાકતથી ચોટ પહોંચાડી છે. મારી તમામ લાલસાઓ, મારાં તમામ સ્વપ્નો અને મીઠી પીડાઓ, ઠેઠ ભીતર સૂઈ રહેલા બધા જ રહસ્યો જાગી ઊઠ્યા, દરેક વસ્તુ બદલાઈ ગઈ, જાદુઈ થઈ ગઈ અને બધું જ સમજાઈ ગયું.’

પ્રથમ ચુંબનના કારણે ફેલાઈ વળતી સિહરનનો અનુભવ સ્પર્શસુખની ઊંડી નદીમાં ગરકાવ હોઈએ અને સેંકડો માછલીઓ શરીરે ગલગલિયાં કરતી હોય એવો છે. અથવા નાયિકા પોતે જ જળાશય બની ગઈ હોય અને બાળકો પોતાની અંદર છબછબિયાં કરતાં હોય એમ એને લાગે છે. સરવાળે ચુંબનની ભીનપ એ ગતિશીલ ક્રિયાશીલ ભીનપ હોવાનું સમજાય છે. હૈયું જાણે કે હાથમાં આવી ગયું છે. અનુભૂતિ જ એવી તીવ્રત્તમ હતી કે છાતીના પિંજરામાં કેદ રહેવું એના માટે સંભવ જ નહોતું. પણ પોતાની હથેળીઓના નાજુક પોલાણમાં જે ફડફડી રહ્યું છે એ ચકલીનું બચ્ચું છે કે પોતાનું હૈયું એ અસમંજસથી એ મુક્ત નથી. પોતે તો ઉન્માદી અવસ્થામાં ક્યારનુંય ભાન ભૂલી ચૂકી છે, એટલે વાસ્તવિક્તા સાથે એને મુખામુખ હજી થવુંયે નથી એટલે ‘તું જાણે’ કહી જવાબદારીનો અંચળો નાયકના સિરે એ પહેરાવી દે છે.

અક્ષુણ્ણ ચુંબનનો રોમાંચ આગળ વધે છે. નાયિકાને નાજુક લતા પર દ્રાક્ષના ઝૂમખાંની જેમ લચી પડવાનું મન થાય છે. અને ખુશીની મારી નાયિકા તો સમરકંદો બુખારા લૂંટાવી દેવાના તોરમાં વળુંભી રહી છે. કહે છે કે તું કહેતો હોય તો હું તારા આ સ્પર્શ ઉપર હું મહાકાવ્ય રચું. અને મહાકાવ્ય પણ કેવું, તો કે ‘કુમારસંભવ’ને પેટારે પૂરીને તાળું મારી દેવાનું મન થાય અને ‘વસંતવિલાસ’ને પણ બધા ભૂલી જાય એવું. કાલિદાસનું ‘કુમારસંભવ’ આપણાં અમર શૃંગારકાવ્યોમાં શિરમોર છે. કાલિદાસે શિવપાર્વતીના સંભોગશૃંગારનું એમાં અમર્યાદ વર્ણન કર્યું છે. ઉમાશંકર જોશીના મતે ‘કુમારસંભવ દ્વારા કાલિદાસે લગ્નજીવનનો આદર્શ રજૂ કર્યો છે… શિવપાર્વતીના વિવાહમાં હિંદની પરમ દામ્પત્યભાવના મૂર્ત થયેલી છે.’ વસંતવિલાસની વાત તો આપણે શરૂમાં કરી. આવા ઉત્તમોત્તમ શૃંગારકાવ્યોથી ચડી જાય એવી કવિતાઓ નાયિકાના મનમાં આકાર લઈ રહી છે. આ છે પ્રથમનો ચમત્કાર!

હવે મન ક્યાંય વાળ્યું વળતું નથી. એકાંત પણ પહેલાં જેવું એકલું નથી રહ્યું, મુગ્ધતાનો પાશ એને ચડી ગયો છે. મુગ્ધ એકાંતની ક્ષણોમાં નાયિકા આ અનુભવને સ્મરે છે અને પ્રિયજનની મહેંક એના અંગાંગથી ફૂટે છે. અન્યત્ર કવિએ ગાયું છે: ‘ફળ એ મીઠાં હોય અતિ, જેને કરકોલે સૂડો!’ મનનો સૂડો સ્પર્શસુખના ફળ એકાંતમાં કરકોલી રહ્યો છે. નાયિકા સાક્ષાત્ ઉત્સવ બની ચૂકી છે અને પોતાની ભીતર ઘેરૈયાઓ રંગોની છોળથી ધૂળેટી મનાવી રહ્યા હોવાનું મેઘધનુષ સર્જાઈ રહ્યું છે. અળસિયાં જેવા તુચ્છ જીવથી શરૂ થયેલી કવિતા એવી રસાળ રીતે કથકના ઉત્સવમાં પરિણમવા સુધીની ગતિ કરે છે કે ભાવકને આફરીન આફરીન પોકારવાની ફરજ પડે. પ્રથમનું માહાત્મ્યગાન ગાતું આવું જ એક અંજનીગીત –‘પડઘા’: વિવેક મનહર ટેલર- અંતે માણીએ:

એ પહેલું પહેલું આલિંગન,
એ હળવું માથા પર ચુંબન,
હજી સુધી તન-મનમાં કંપન
પડઘાયે રાખે…

સુધ-બુધ જાયે, આવે, જાયે,
હું ખુદને જડતી ના ક્યાંયે,
ફરી ફરી ઇચ્છું છું આ યે-
ફરી મને ચાખે.

જગ આખું લાગે છે પોકળ,
ખુશબૂથી પણ કોમળ કોમળ
મારા આ તન-મનની ભોગળ
કોણ હવે વાખે ?

આજ મારું મન માને ના – ઉમાશંકર જોષી

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્રેયા ઘોષાલ

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં આણલ અંજારિયાના અવાજમાં ગવાયેલ ગીત :

આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.

ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.

ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
– ઉમાશંકર જોષી

ઉડ્ડયન – રમેશ પારેખ

રમેશ પારેખનાં ધોધમાર ગીતોમાંથી પસાર થવાનો આનંદ અનેરો છે.
એમનું પ્રખ્યાત ગીત છે-
‘ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલાં ઓછાં પડ્યાં રે લોલ!
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાંક્યાં ને આભલાં ઓછાં પડ્યાં
રે લોલ!’
આ ઓછું પડવું -એ આ ગીતમાં પણ કવિ કૈંક જુદી રીતે લાવે છે. અંગ્રેજીમાં કહેવતરૂપ વાક્ય છે-
‘the sky is the limit’
કવિ એ જ વાત ગીતરૂપે અભિવ્યક્ત કરે ત્યારે આવું ગણગણવાનું મન થાય છે. -આભ તેને ઓછાં પડે!
હજી કઈંક મેળવવાની તલપ માટે મનોજ ખંડેરિયાનો શેર યાદ આવે છે-
‘તે છતાં તૃપ્તિ સુધી ન પહોંચાયું
આમ એ એક ઘૂંટ છેટી છે’
અનહદના અનુભવ માટે ભાર ‘હોવાનો’ ખંખેરવાનો સંદેશ સૂચક છે. રાજેન્દ્ર શુક્લની ગઝલોમાં ‘હોવા’ – being – વિશેની વાત છે-
‘હોવુંય હવે ઉત્સવ આકંઠ શ્વસી જઈએ’
ને
‘શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાંખે’.
-અમર ભટ્ટ

કવિ: રમેશ પારેખ

‘જેને ઊડવું હો વીંઝીને પાંખો
હો આભ તેને ઓછાં પડે
થાય ધખધખતો તડકોય ઝાંખો
હવાઓ એને ક્યાંથી નડે?
નથી આંકેલા નકશા પર ચાલવાની વાત
ના થકાવટના ભયથી સંકેલવાની જાત
ઝીલે તેજ તણાં નોતરાંને આંખો
તો જીવને ના સાંકડ્યું પડે!
નહીં ડાળખી મળે કે નહીં છાંયડો મળે
ઝાડ ભૂલીને ઊડીએ તો જાતરા ફળે
ભાર હોવાનો ખંખેરી નાખો
તો અનહદની ઓસરી જડે!’

ગ્લૉબલ કવિતા : ૧૮૯ : વતનથી વિદાય થતાં – જયન્ત પાઠક

એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.

કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.

ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.

આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી –
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!

– જયન્ત પાઠક


અરે, આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે…

જીવન ઘણીવાર વતન મૂકાવે છે. વિદ્યા, વ્યવસાય કે કોઈ પણ કારણોસર માણસને વતન છોડી અન્યત્ર સ્થાયી થવાની ફરજ પડી શકે છે. પણ મોટાભાગના કિસ્સાઓમાં તન ભલે વતન છોડે, મન વતનમાં રહી જતું હોય છે. ‘વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’, અરે, આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે’નો ભાવ અસંખ્ય સર્જકોની કલમેથી ટપકતો આવ્યો છે, ટપકતો રહેશે. ચાલો ત્યારે, વતનવિચ્છેદની વેદનાને હળવાશથી હાથમાં લેતી જયંત પાઠકની આ રચનાને અઢેલીને બે’ક પળ બેસીએ.

વિપુલ માત્રામાં પણ ગુણવત્તાસભર કાવ્યસર્જન કરનાર જયન્ત પાઠકના બસોથી વધુ સૉનેટમાં ઊડીને આંખે વળગે એવું વિષયવૈવિધ્ય હોવા છતાં એમના સમગ્ર સર્જનની જેમ જ આ સૉનેટોમાં પણ એમની વ(ત)ન –વન અને વતન- પ્રીતિ ધ્યાનાર્હ છે. વન વતન લાગે અને વતન વન લાગે એ હદે બંને એમના જીવન અને કવનમાં રસ્યાંબસ્યાં છે. સાડા આઠ દાયકાના આયખામાંથી સાડા પાંચ શહેરોમાં વીત્યાં હોવા છતાં ગ્રામ્યવતન એમની કવિતાઓથી કદી અળગું જ ન થયું.

પ્રસ્તુત સૉનેટ કવિના પાંચમા સંગ્રહ ‘અંતરીક્ષ’ (૧૯૭૫)માં સમાવિષ્ટ છે. આ જ સૉનેટને અડીને ‘વર્ષો પછી વતનમાં’ શીર્ષકથી લખાયેલું સૉનેટ પણ જોવા મળે છે. બંનેની સર્જનતારીખ એક જ -૦૪/૦૯/૧૯૬૯- છે. એટલે સમજાય છે કે વરસો પછીની વતનની મુલાકાત અને કદાચ કાયમી વિદાય –એમ બેવડી અનુભૂતિ કવિએ આ બે સૉનેટમાં ઝીલી હશે. સંગ્રહમાં કાવ્યારંભ પૂર્વેના અભિલેખ ‘હું અર્ધો જીવું છું સ્મરણ મહીં, અર્ધો સપનમાં…’ કવિની ગઈકાલના ઓરડાની અવારનવાર મુલાકાત લઈ આજની કવિતાઓ આપવાની કાવ્યરીતિ પર પણ પ્રકાશ ફેંકે છે. કવિની રચનાઓ વર્ડ્સવર્થની વ્યાખ્યા -it takes its origin from emotion recollected in tranquillity- ને ચરિતાર્થ કરતી હોય એમ અનુભૂતિના તાત્ક્ષણિક ઊભરાના બદલે બહુધા સંચયનિધિમાંથી જન્મ લેતી હોવાનું અનુભવાય છે. સુરેશ દલાલના મતે ‘જયન્ત પાઠકની કવિતા એટલે સ્મૃતિના આરસા-વારસાની કવિતા, ગયાં વર્ષોની કવિતા. ते हि नो दिवसा गताःની કવિતા.’ કવિએ પોતે કહ્યું છે: ‘…વતન સાથેના મુગ્ધતાના તંતુઓ એક પછી એક તૂટવા લાગ્યા છે ને કઠોર વાસ્તવની તાવણીમાં તવાવાનું શરૂ થયું છે. જિંદગીનું આનંદપર્વ પૂરું થયું છે; હવે એને સ્મૃતિમાં જ સાચવવું રહ્યું.’

પ્રસ્તુત રચનામાં કવિએ પોતાના પ્રિય શિખરિણીના સ્થાને શાર્દૂલવિક્રીડિત છંદ ખપમાં લીધો છે. ઓગણીસ અક્ષરના આ છંદમાં વાઘ(શાર્દૂલ)ની લાં…બી ફર્લાંગની જેમ યતિ છે…ક બારમા અક્ષરે આવે છે. છંદની ગતિ અને યતિનો કૂદકો –બંને વાઘફાળની સાથે ‘મેચ’ ન કરી શકાય તો કવિતાનો યોગ્ય શિકાર ન થઈ શકે. પણ કવિએ કૌશલ્યપૂર્ણ છંદનિર્વાહ કર્યો છે અને ક્યાંય યતિભંગ થવા દીધો નથી. હા, લઘુ-ગુરુમાં હૃસ્વ-દીર્ઘનું હસ્તાંતરણ ઘણી જગ્યાએ જોવા મળે છે. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મકનું બનેલું આ સૉનેટ શેક્સપિરિઅન સૉનેટ સ્વરૂપ ધરાવે છે અને પહેલા ચતુષ્કમાં અ-બ-અ-બ પ્રાસવ્યવસ્થાનું પાલન કરી એને વફાદાર પણ રહે છે. ગુજરાતીમાં જો કે શરૂથી જ કવિઓ સૉનેટના મૂળ સ્વરૂપ અને પ્રાસગોઠવણીનું ચુસ્ત પાલન કરવાથી ઉફરા ચાલ્યા છે. અહીં પણ બીજા ચતુષ્કથી પ્રાસરચના ક-ક ડ-ડ મુજબ છેવટ સુધી આગળ વધે છે. આ સિવાય કાવ્યમાં વન-જન-ક્ષણ-વતન જેવા આંતર્પ્રાસ તથા ડુંગર-કોતર-ખેતર, ઢોર-કોઢાર, કાંટાળી-ડાળી-આંગળી જેવાં અનુરણન અને વર્ણસગાઈ પણ છૂટાંછવાયાં નજરે ચડે છે, જે સૉનેટના રણકાને વધારાનું નાદમાધુર્ય બક્ષે છે.

સૉનેટના આરંભે બે વાર ‘એ’ આવે છે. આમ તો આ બંને ‘એ’ અનુક્રમે વન અને જન સાથે સંકળાયેલ છે, પણ એમાં ‘એય’વાળો તળપદી સુરતી લહેકો ન સંભળાય તો જ નવાઈ. વન અને વતન માટેનો કવિનો લગાવ સૉનેટના પ્રારંભે જ સમજાય છે. ‘વતનથી વિદાય થતાં’ની શરૂઆત વતનથી નહીં, વનથી થઈ છે. કવિ કહે છે, એ વન પણ અને એ માણસોનેય પાછળ મૂકી દીધાં છે. ઉત્તરાર્ધ ‘ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ’ વાંચતા સમજાય છે કે કવિ વરસો બાદ વતન પરત આવ્યા હશે અને થોડો સમય વતનમાં ગાળી ફરી શહેર જવા નીકળ્યા હશે એટલે ઘણાં વર્ષે જે લોકો ક્ષણભર માટે મળ્યાં હતાં એ લોકોને છોડીને જતી વેળાની અભિવ્યક્તિની આ કવિતા છે.

ડુંગર, નદી, ખેતર-કોતર બધું પાછળ છોડીને કથક વતનથી દૂરના માર્ગે આગળ ધપી રહ્યો છે. પણ આ મુસાફરી સરળ નથી. થોડી થોડી વારે ડોકું ફેરવીને પોતે પાછળ શું-શું છોડી જઈ રહ્યા છે એ જોવાની ફરજ કથકને પડે છે. આંખો વળી વળીને પાછળ જોઈ રહી છે. કવિએ લખ્યું છે: ‘શરીર ગાડામાં બેસીને શહેરમાં જવા નીકળ્યું છે. હૃદય ભૂતકાળને પકડવા પાછું દોડી રહ્યું છે, ગાડાની પાછળ બાંધેલા ઢોરની જેમ ઘસડાતું નાછૂટકે આગળ વધી રહ્યું છે. હું વનાંચલ છોડીને વસ્તીમાં જઈ રહ્યો છું. જંગલ, ડુંગરા ને નદી મને પાછળથી ખેંચી રહ્યાં છે. આ ધરતી સાથે મારે અટલો ગાઢ સંબંધ હતો તે તો આજે વિખૂટા પડતી વખતે જ જાણવા મળ્યું.’ બંધ ઘર વેચાઈ ગયું એટલે પાછાં આવવાની આખરી સંભાવના પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ગયું. આ અવસ્થાને કવિ મૂંગા ઢોરના કોઢાર માટેના તરફડાટ સાથે સરખાવે છે. જાનવરને ન માત્ર પોતાનું ગમાણ, પણ ધણ સુદ્ધાં છોડી દેવાની ફરજ પડી હોય એવી વેદના અહીં તીવ્રતર થઈ છે. અને જો ઢોર કોઢાર માટે તલખતું હોય તો મનુષ્યની પીડા તો કેવી હોય! ‘એક વારનું ઘર’ કાવ્યમાં કવિ સોંસરો સવાલ કરે છે: ‘-લીલારો ચરવા આપણી ગાય/આઘેના વગડામાં નીકળી ગઈ છે./…/ અને આપણે?… આપણે પણ…’ આ વતનઝુરાપો કવિની રચનાઓમાં સતત વર્તાતો રહે છે: ‘ક્યાં છે મારું ટેકરીઓનું ગામ,/ ગામનું ઘર, ઘરની કોઢ, કોઢમાં/ અંધારાની કાળી ગાયને દોતી મારી બા?/ક્યાં છે…’ (ક્યાં છે?)

કવિ કહે છે, કેડી આગળ જાય છે પણ પગ અવળા પડે છે. આ મૂર્ત વિરોધાભાસ અમૂર્ત વ્યથાને આબાદ ચાક્ષુષ કરે છે. ‘ઘેર પાછો ફરું છું’ સૉનેટમાં કવિ લખે છે:

‘આ તે કેવો અનુભવ! બધું બે જણાતું અહીં આ
ભોમે: જૂનું નવું અતીત ને આજનું એક સાથે!

લાગે સાથે સમયની હુંયે આવજાઓ કરું છું,
ચાલું થોડે દૂર લગી, વળી ઘેર પાછો ફરું છું.’

પ્રસ્તુત સૉનેટ પણ ઊર્મિઓની આવી જ આવજાનું, વતનવિચ્છેદ અને વતનપ્રેમના દ્વંદ્વનું જ ગાન કરે છે. અન્ય એક સૉનેટ ‘વરસાદે વતન સાંભરતાં’માં પણ કવિ આ જ લાગણીને ઉદ્દેશે છે: ‘પડે ધીમાં કાળી સડક પર શાં ખિન્ન પગલાં!/ ચડે ઊંચા વેગે ધવલ સ્ત્રગ શાં વ્યોમ બગલાં!’ સફેદ બગલાંની ગતિ અને કાળી સડક પર પગલાંની ખિન્ન મથામણનો વિરોધાભાસ અહીં એ જ રીતે રજૂ થયો છે જે રીતે પ્રસ્તુત સૉનેટમાં કેડીના આગળ જવાની સાદૃશે કવિએ પગલાંના પાછળ પડવાની વાતે રજૂ કર્યો છે. પગલાં કેમે કરીને ઊપાડ્યાં ઊપડતાં નથી. અહીં બાલમુકુન્દ દવેના અમર સૉનેટ –જૂનું ઘર ખાલી કરતાં-ની અમર પંક્તિઓ ‘ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા! /ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!’ યાદ આવ્યા વિના નથી રહેતી. કવિની આંખો ઝળઝળિયાંથી ભરાઈ જાય છે અને પગ કેમે કરી ઉપડતાં નથી. રસ્તે કાંટાળી વાડ નડે છે પણ ઉઝરડા શરીરના બદલે હૈયા પર થાય છે. વેદનાના રક્તટશિયાઓ ફૂટી નીકળે છે અને ધીમે ધીમે ઝમે છે. દૂરથી જ નદીકાંઠાની ઝીણી કાંકરિયાળ રેતી જોઈને કવિની આંગળીઓ રેતીમાં રમતી હોય એમ આપોઆપ હાલવા માંડે છે. આંગળીઓની આ હિલચાલ કવિ બાળપણની નદીકાંઠાની રેતીમાં રમેલી રમતોમાં પહોંચી ગયા હોવાનું ઇંગિત કરે છે. ‘વનવતનની કેડીઓએ ફરી ડગલાં ભરું’ (‘વતન’)ની અનુભૂતિ અહીં સાક્ષાત્ થાય છે.

આઠ પંક્તિ પછી ભાવપલટાના સૉનેટના વલણને અનુરૂપ પ્રથમ બે ચતુષ્કમાં વર્ષો પછીની વતનની આ મુલાકાત આખરી હોવાની પ્રતીતિને લઈને જન્મેલી કશ્મકશ રજૂ થયા બાદ ત્રીજા ચતુષ્કમાં વાસ્તવનો સ્વીકાર આલેખાયો છે. ‘ચાલો જીવ’ કહીને કવિ જે આત્મસંબોધન કરે છે, એ સૉનેટને એકદમ ભાવકના હૈયાસરસું આણે છે. પ્રારંભે ‘એ’ના લહેકામાં જે આત્મીયતા અનુભવાઈ હતી, એ અહીં પુનઃ વર્તાય છે. ‘ચાલો જીવ’ સંબોધનમાં મનોદ્વંદ્વના અંતે હથિયાર ફેંકી દઈ વાસ્તવિકતાનો સ્વીકાર પણ સંભળાય છે. નિરાશાના સૂર સાથે કવિ અવઢવમાં પડેલી જાતને આગળ વધવા સૂચવે છે, કેમકે કાળની આ નદીમાં પાછાં ઉપરવાસ વહેવું તો શક્ય જ નથી. વાત કાળનદીના વહેણમાં તણાવાની છે, પણ નદી તો આંખોમાં ઊમડી આવી છે. આંખો લૂંછીને, વતનની યાદોને પાછળ મૂકીને અહીંથી આગળ જવાનું છે. ‘ભૂતકાળ ભૂંસાઈ ગયો છે, ભૂંસાઈ રહ્યો છે; એ કંઈક સચવાયો છે આ ડુંગરાઓની વજ્ર મુઠ્ઠીમાં ને કંઈક મારા મનમાં,’ આમ કહેનાર કવિ જો કે સમજે છે કે કોઈના કહ્યા-કારવ્યા વિના સ્વયંભૂ માથે ભૂતકાળનાં પોટલાં ઊંચકીને વેઠિયા મજૂરની જેમ ક્યાં લગી ઢસરડા કરવા? શેરીમાંના શ્વાને કદાચ વતન ત્યાગતા કવિની સંગત કરી હશે, એણેય હવે વતનની આખરી હદ આવતાં પાછાં વળવાનું થશે. સંગાથી શ્વાનનું આ ચિત્ર મહાભારતમાં મહાપ્રસ્થાને નીકળેલા પાંડવોના એકમાત્ર સંગી બનેલા શ્વાનની યાદ અપાવતું હોવાથી આપણને કેટલું ચિરપરિચિત લાગે છે, નહીં!

સૉનેટની આખરી બે પંક્તિઓ સૉનેટની ચોટની, કવિતાના અર્કની પંક્તિઓ છે અને જયન્ત પાઠક એમના મોટાભાગના સૉનેટોની જેમ અહીં પણ આ કવિકર્મ બજાવવામાંથી ચ્યુત થયા નથી. ગામની હદ પૂરી થઈ છે. હવે એકવારનું પોતાનું ખેતર પણ આઘે નજરે ચડે છે. ખેતરમાં લણ્યા વિનાનો પાક કદાચ હજીયે લહેરાતો હશે, તેમાં કવિને કોઈ બે હાથ ઊંચા કરીને કોઈ પોતાને બોલાવતું ન હોય એવો ભાસ થાય છે. એક પળ માટે સભાન કવિ જાતને ટકોર પણ કરે છે કે આ પોતાની ભ્રમણા તો નથી ને? પણ બીજી જ પળે એમને રિસાઈ ગયેલા બાળકને જે રીતે બા બે હાથ ઊંચા કરીને બોલાવે એ રીતે પોતાનું ખેતર પોતાને બોલાવતું હોવાનું લાગે છે. જેણે તનમનમાં વન-વતન સાથે એકત્વભાવ સેવ્યો-સાધ્યો હોય એના માટે આ વિચ્છેદ કેટલો દોહ્યલો હશે એનો આપણને આ ઉપમા ઉપરથી ખ્યાલ આવે છે. ક્યાંક આપણી આંખોના ખૂણે ભેજ ને હૈયે ઉઝરડા સહેજ થયા હોવાનું ન અનુભવાય તો જ નવાઈ!

સુરેશ દલાલની કવિ માટેની ટિપ્પણી, ‘કવિતામાં કોઈપણ વલણ એ વળગણ ન થવું જોઈએ. જયન્ત પાઠક માટે શૈશવનું સ્થળ એક વ્યક્તિ જેટલું મહત્ત્વ ધારણ કરે છે,’ સાવ સાચી છે. જે રીતે થોમસ હાર્ડીની નવલકથાઓમાં તત્કાલિન ઇંગ્લેન્ડની ગ્રામ્ય પૃષ્ઠભૂએ એક પાત્ર જેટલું મહત્ત્વ પ્રાપ્ત કર્યું છે , એ જ રીતે જયન્ત પાઠકની રચનાઓમાં વન અને વતન વ્યક્તિવિશેષ બની રહ્યાં છે. પરંતુ, અતિની આ ગતિથી કવિતાની મતિ બગડી નથી એ જ આપણું સદનસીબ.