‘બેફામ’ની ગઝલથી શરૂ કરેલી ટહુકો.કોમના જન્મદિવસની ઉજવણી પૂરી પણ ‘બેફામ’ની જ ગઝલથી કરીયે તો ? ( અરે ચિંતા ના કરો, ટહુકો પર તો મને બહાનુ જ જોયતુ હોય છે – એટલે આ ખરેખર તો ઉજવણી પૂરી નથી થતી, બસ.. એક બ્રેક…!! )
હા… તો આપણે વાત કરતા હતા આજની આ સ્પેશિયલ ગઝલની.. પણ મને લાગે છે કોઇ વાત કરવાની જરૂર જ નથી. સંગીતકાર ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ અને ગાયક ‘બેગમ અખ્તર‘નું નામ જોઇને તમને સમજાઇ જ ગયું હશે, કે બેગમ અખ્તરે ગાયેલી ફક્ત બે ગુજરાતી ગઝલમાંની આ બીજી ગઝલ. (પહેલી ગઝલ ‘ગળતું જામ છે’ – આપણે ટહુકાની સાચ્ચી બર્થ ડે વખતે સાંભળેલી, યાદ છે ને ? )
સ્વર : બેગમ અખ્તર
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
શું જલુ જો કોઇની જાહોજલાલી થાય છે,
એ દશા છે એવી જ્યાંથી પાયમાલી થાય છે.
ગમ વધારે હોય દિલમાં તો ખુશાલી થાય છે,
જે દિવા ઝાઝા બળે ત્યારે દિવાળી થાય છે
વાદળો જામે છે દિલમાં ત્યારે છલકે છે સુરા
આસમા થી મય મળે છે ત્યારે પ્યાલી થાય છે.
ગમ કરો નહિ કે વીતે છે જિંદગી લઝઝત વિના,
થાઓ ખુશ- પીધા વિના પણ જામ ખાલી થાય છે.
જિંદગી તો એ જ રહેવાનીછે, જાગો કે ઊંઘો,
કાં તો ખ્વાબી થાય છે, કાં તો ખયાલી થાય છે.
કોણ દુનિયાને પિછાણે? કોણ દુનિયાથી બચે?
વેર રાખે છે અને પાછી વહાલી થાય છે.
છે સફળતાને વિફળતા એક સીમા પર પ્રેમ માં,
હાથ પકડાતો નથી તો હાથતાલી થાય છે.
મારી આશાઓ મળે છે એવી માટીમાં હવે,
સાકી! આ તારા સુરાલયની જે પ્યાલી થાય છે.
એવી દુનિયામાં ભલા દુખના દિલાસા કોણ દે?
એક્નો ગમ જ્યાં બીજા માટે ખુશાલી થાય છે.
જાણતું કોઇ નથી એના ફકીરી હાલ ને,
એટલે બેફામ દુનિયામાં સવાલી થાય છે. ——————-
ખાસ આભાર મહેન્દ્રકાકાનો, જેમણે આ ગઝલને LPમાંથી mp3માં ફેરવવામાટે ખાસ સોફ્ટવેર ખરીદયું, અને આપણા બધાને આ અણમોલ મોતી જેવી ગઝલ ભેટ આપી.
મારા દાદીમા શ્રીમદ રાજચંદ્રના અનુયાયી હતા, એટલે એમનો ફોટો અમારા ઘરના મંદિરમાં કાયમ રહ્યો, પણ મને એમના વિષે ઘણુ મોડેથી જાણવા મળ્યું, કારણ કે જ્યાર સુધી દાદી અમારી સાથે હતા, ત્યાર સુધીમાં એવા સવાલો પૂછવા જેટલી સમજ મારામાં નો’તી આવી.
નાનપણથી એમને ફક્ત નામ અને ફોટાથી ઓળખ્યા હતા, પણ એકવાર ચિત્રલેખામાં એમના વિષે લેખ વાંચ્યો, થોડુ ઓનલાઇન વાંચ્યુ, અને એમને સૌથી વધુ ઓળખ્યા : ‘અપૂર્વ અવસર’ નાટક જોયા પછી. Marrow Drive માટે volunteer કરવા અહીંના જૈન દેરાસર ગઇ હતી, અને આ નાટક આવે છે એ જાણ્યુ. પછી હું આ નાટક ના જોઉં એવું બને? ખરેખર, તમે જૈન હો કે ના હો, પણ એકવાર આ નાટક જોવા જેવું છે. આપણા રાષ્ટ્રપિતાના ગુરુ (હા, શ્રીમદ ને ગાંધીજી ગુરુ માનતા..) ને એકવાર ઓળખવા જેવા છે.
અને એ નાટકમાં જ્યારથી મેં આ સ્તુતિ સાંભળી, ત્યારથી વિચારતી હતી કે ક્યાંથી મેળવું? પણ અનાયાસ મુંબઇમાં શ્રી સુરેશ જોષીને મળવાનું થયું, અને એમણે કહ્યું કે જો મેં ‘અપૂર્વ અવસર’ અને ‘મૃત્યુંજય’ નાટક વિષે સાંભળ્યું હોય તો એમાં એમનું સંગીત છે. મને તો જાણે ઘર બેઠા ગંગા મળી…!!
સ્વર : રેખા ત્રિવેદી
સંગીત : સુરેશ જોષી
.
બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો, નહિ એક્કે ટળ્યો,
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ?
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો ?
શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવો !!!
નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે;
પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિધ્ધાંત કે પશ્વાત દુ:ખ તે સુખ નહીં.
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિધ્ધાંતત્વ અનુભવ્યાં.
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
રે! આત્મ તારો આત્મ તારો ! શીધ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હ્ર્દયે લખો.
સંત પુનિતની આ અમર રચનાને કોઇ પણ પૂર્વભુમિકાની જરૂર નથી. પણ સિધ્ધાર્થભાઇના શબ્દોમાં કહું તો – આ રચના વાંચીને – સાંભળીને કદાચ એક પણ બાળક તેમના મા-બાપને પ્રેમથી યાદ કરીને બોલાવશે તો આ પ્રયત્ન સાર્થક ગણાશે.