Category Archives: વિશ્વકવિતા – ભાષાંતરિત કાવ્યો

ગ્લૉબલ કવિતા : ૨૧૮ : મકાનમાલિકનું ગીત – લેન્ગ્સ્ટન હ્યુસ

The Ballad of landlord

Landlord, landlord,
My roof has sprung a leak.
Don’t you ‘member I told you about it
Way last week?

Landlord, landlord,
These steps is broken down.
When you come up yourself
It’s a wonder you don’t fall down.

Ten Bucks you say I owe you?
Ten Bucks you say is due?
Well, that’s Ten Bucks more’n I’l pay you
Till you flx this house up new.

What? You gonna get eviction orders?
You gonna cut off my heat?
You gonna take my furniture and
Throw it in the street?

Um-huh! You talking high and mighty.
Talk on-till you get through.
You ain’tgonna be able to say a word
If I land my fist on you.

Police! Police!
Come and get this man!
He’s trying to ruin the government
And overturn the land!

Copper’s whistle!
Patrol bell!
Arrest.

Precinct Station.
Iron cell.
Headlines in press:

MAN THREATENS LANDLORD
TENANT HELD NO BAIL
JUDGE GIVES NEGRO 90 DAYS IN COUNTY JAIL!

– Langston Huges

મકાનમાલિકનું ગીત

મકાનમાલિક, મકાનમાલિક,
છાપરું મારું ગળતું છે જો.
ઓલ્લા દા’ડે જ કઇલું’તું ને?
એટલું બી તું ભૂલી જ્યો?

મકાનમાલિક, મકાનમાલિક,
પગથિયાં બી તો જો, તૂટલું સે.
નવી નવાઈ કે તું પઇડો નઈં
ચડીને ઉપર આઇવો તિયારે.

હું કીધું, દહ રૂપિયા મારે આલવાના સે?
હું કે’ય, બાકી બોલે અજુન બી દહ રૂપિયા?
અંહ, દહ રૂપિયા ફાલતુના છે તો બી આલીશ,
ઘર તો જો તું, હાજું-હરખું કરાવ પેલ્લા.

હું કે’ય? ઘર ખાલી કરવાનો ઓડર લાવહે?
બાકી રે’ય તે લાઇટ બી કાપી કાઢહે કે હું?
બિસરા-પોટલાં બી લઈ લેહે
ને હેરીમાં ફેંકહે કે હું?

ચલ ફૂટ! ખાલીપીલી ફિશિયારી તો ની માર.
બોલ, બોલ – બદ્ધું ઓકી કાઢ તો.
એક અખ્હર બી બોલવાને લાયક ની રે’હે,
એક જ ફેંટ ઉંવે આલીશ તો.

પોલિસ ! પોલિસ !
આવો આ માણસને પકડો !
એ કરશે સરકારને બરબાદ,
અને મુલ્કમાં દાખડો!

પોલીસની સીટી!
રોનની ઘંટડી!!
ધરપકડ.

પ્રાંતીય થાણું.
કાળ કોટડી.
છાપાંઓએ બાંધ્યાં મથાળાં:

મકાનમાલિકને ભાડૂતે આપી ધમકી.
ભાડૂતને ના મળી જમાનત.
જજે કીધો હબસીને ત્રણ મહિનાનો દંડ.

– લેન્ગ્સ્ટન હ્યુસ
અનુ. વિવેક મનહર ટેલર

રંગભેદ – વો સુબહ કભી ભી આયેગી?

૧૭-૦૭-૨૦૧૪ના દિવસે એરિક ગાર્નર નામક અશ્વેતને એક ગોરા પોલિસ અફસરે જમીનસરસો દબાવી દીધો. અગિયારવાર ‘હું શ્વાસ નથી લઈ શકતો’ બોલ્યા પછી એણે ખરેખર શ્વાસ છોડી દીધા. છ વરસ બાદ ૨૫-૦૫-૨૦૨૦ના રોજ વધુ એક અશ્વેત, જ્યૉર્જ ફ્લૉઇડની ગરદન પર બીજો એક ગોરો અફસર ઘૂંટણ દબાવીને બેસી ગયો. શ્વાસ નથી લઈ શકાતો એમ બોલતાં-બોલતાં જ્યૉર્જે પણ શ્વાસ મૂક્યા. દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો. તોફાનો, વિરોધો, ચળવળો, સરઘસો આગની જેમ ફરી વળ્યા. પણ આ બે ઘટનાઓ પહેલાં, વચ્ચે અને પછી, અમેરિકા તો ઠીક, દુનિયામાં ક્યાંય રંગભેદની માત્રામાં ખાસ ફરક પડ્યો નથી. મનુષ્યજાતિના શરીરે ફૂટી નીકળેલું સૌથી ગંધાતું સર્વકાલીન ગૂમડું ગુલામી અને રંગભેદનું છે. આજેય એનો સંપૂર્ણ ઈલાજ કરી શકાયો નથી એ આપણી કમનસીબી. રંગભેદી માનસિકતા વિશે લોહી થીજી જાય એવી કવિતા લઈને આવ્યા છે લેન્ગ્સ્ટન હ્યુસ.

આખું નામ જેમ્સ મર્સર લેન્ગ્સ્ટન હ્યુસ. (હ્યુજીસ નહીં, હં!) ૦૧-૦૨-૧૯૦૨ના રોજ જોપ્લિન, મિસૌરી (અમેરિકા) ખાતે જન્મ. જન્મ પછી તરત મા-બાપ અલગ થયા એટલે મા અને નાની સાથે રહી મોટા થયા. શહેરે-શહેરે ભટક્યા અને અંતે હાર્લેમમાં સ્થિર થયા. વૉશિંગ્ટન ડીસીની એક હૉટલમાં એંઠી ડીશ-ટેબલ સાફ કરવાની નોકરી કરતા હ્યુસે વેચલ લિંસી નામના કવિની ડીશની બાજુમાં ત્રણ કવિતાઓ મૂકી અને બીજા દિવસે દેશભરના અખબારોમાં સમાચાર છપાયા કે લિંસીએ બસબૉય તરીકે કામ કરતા હોનહાર આફ્રિકી-અમેરિકન કવિને શોધી કાઢ્યો છે. હ્યુસને સ્કોલરશીપ મળી અને જિંદગીની ગાડી યુનિવર્સિટીના રસ્તે વધી. ચોવીસ વર્ષની ઊંમરે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. કેટલાક લોકો એમના લખાણોમાં કાળા પુરુષો તરફનો પ્રેમ જોઈને એમને હોમોસેક્સ્યુઅલ પણ માનતા. હકીકતે એ એન મેરી કૉઝીના પ્રેમમાં પણ પડ્યા હતા પણ પ્રેમિકા બીજાને પરણી ગઈ. એમના પ્રમુખ ચારિત્ર્યલેખક આર્નોલ્ડ રેમ્પરસાદના મતે તેઓ ‘એસેક્સ્યુઅલ’ હતા. પ્રોસ્ટેટના કેન્સરની સર્જરીના કૉમ્પ્લિકેશનના કારણે પ્રમાણમાં નાની વયે ૨૨-૦૫-૧૯૬૭ના રોજ ન્યૂયૉર્ક ખાતે નિધન.

મુખ્યત્વે કવિ. નાટ્યકાર, નવલકથાકાર. અખબારી કોલમિસ્ટ તરીકે પણ નોંધપાત્ર. જેઝ પોએટ્રી અને હાર્લેમ પુનરુજ્જીવનના અગ્રિમ પ્રણેતા. ન્યુયૉર્કના ‘ગ્રેટ ડાર્ક સિટી’ હાર્લેમ પરગણામાં હબસીઓની મોટી વસ્તી છે. વીસમી સદીના વીસી-ત્રીસીના દાયકામાં હાર્લેમ નાઇટક્લબ્સ અને જેઝ બેન્ડ્સ માટે ખ્યાતનામ હતું. ત્યાં શરૂ થયેલ ‘Harlem Renaissance’ લેન્ગ્સ્ટન અને ઝોરા હર્સ્ટ્ન જેવા સર્જકોની રંગભેદનીતિ પરત્વેની જાગરૂકતાની ફળશ્રુતિ હતું. આ નૂતન નીગ્રો ચળવળ આફ્રિકી-અમેરિકન કળાની જનેતા પુરવાર થઈ. કોઈ એક વિચારધારાને વળગી રહ્યા વિના, વિક્ટોરિયન નૈતિક મૂલ્યો અને મધ્યમવર્ગીય શરમના અંચળા ફગાવીને ઉગ્ર ચર્ચાઓ અને નૂતન પરિમાણો સાથે જે આફ્રિકી-અમેરિકન કળાનો, હાર્લેમથી શરૂ થઈ આખા અમેરિકામાં દાવાનળની જેમ ફેલાવો થયો એ ત્યારબાદની કળાઓનો પાયો બની રહ્યો. અખબારોએ હ્યુસ વિશે ખૂબ જ ઘસાતું પણ લખ્યું પરંતુ સૂર્યને ક્યાં સુધી છાબડાથી ઢાંકી શકાય? રંગભેદની નીતિ જ એમનું પ્રમુખ હથિયાર બની. આફ્રિકી-અમેરિકન અનુભવ એમના લેખનનો મુખ્ય વિશેષ. લક્ષ્મણના કોમનમેનની જેમ હ્યુસનો હાર્લેમની ગલીઓમાં રહેતો ‘સિમ્પલ’ વિશાળ જનમાનસ સુધી પહોંચી ગયો.

‘મકાનમાલિકનું ગીત’ શીર્ષક પરથી તો એમ લાગે કે ગીત મકાનમાલિકનું છે, પણ આ ગીત વાસ્તવમાં ભાડૂઆતનું છે. મતલબ શીર્ષકથી જ કટાક્ષ શરૂ થઈ જાય છે. અંગ્રેજી સાહિત્યમાં બૅલડ યાને કથાકાવ્યમાં સામાન્યરીતે રાજપરિવાર, શૌર્ય યા પરીકથા વણી લેવાનો રિવાજ હતો. કોઈ એક ઘટનાને કેન્દ્રસ્થ રાખીને બૅલડ વર્ણનાત્મક સ્વરૂપે લખાતું. કાવ્યસ્વરૂપ જોઈએ તો ચાર-ચાર લીટીના અંતરા, અ-બ-ક-બ પ્રાસનિયોજન. છંદ જોઈએ તો એકી કડીમાં આયમ્બિક ટેટ્રામીટર અને બેકી કડીમાં ટ્રાઇમીટર. પ્રસ્તુત રચનાનું સ્વરૂપ ઓગણીસમી સદીના અંતભાગમાં પ્રખ્યાત આફ્રિકી-દક્ષિણ અમેરિકી સંગીતપ્રકાર ‘બ્લ્યુઝ’ જેવું છે, જે અંત ભાગમાં અચાનક બદલાઈ જાય છે. જેઝ કવિતા જેવા આ બેલડમાં છ ચતુષ્ક અને ત્રણ ત્રિપદી છે. પહેલાં છ ચતુષ્કમાં પારંપારિક બેલડ મુજબ પ્રાસપ્રયોજન છે પણ છંદની વાત કરીએ તો આયૅમ્બસ (ચરણસંખ્યા) વધઘટ થયે રાખે છે. છઠ્ઠો બંધ ઇટાલિક ટાઇપમાં છે, એ વક્તા અને કવિતાના સૂરમાં પરિવર્તન પણ સૂચવે છે. પછીની ત્રણ ત્રિપદીઓમાં કવિતાના વાતાવરણની જોડાજોડ છંદ અને પ્રાસ બંને ખોરવાયેલ નજરે ચડે છે. આખરી ત્રણ પંક્તિઓ કેપિટલ લેટર્સમાં છે, જે કાયદાનું દબાણ અને અશ્વેતના શોષણની તીવ્રતા -ઉભયની સૂચક છે. ગુજરાતીમાં આવી વ્યવસ્થા ન હોવાથી આધિપત્યનો સૂર જાળવી ગાઢા ટાઇપ વાપર્યા છે.

અઢારમી સદીના અંતભગ સુધીમાં મોટાભાગના અમેરિકામાં ગુલામીપ્રથા નાબૂદ થઈ ગઈ હતી. લિંકનના શાસનકાળમાં ૧૮૬૫માં ગુલામીપ્રથાનો વિધિવત્ અંત આવ્યો, એના ૭૫ વર્ષ પછી છે…ક ૧૯૪૦માં એક અમેરિકન કવિએ આ કવિતા લખી. જે કાયદા તથા વાસ્તવિક્તા વચ્ચેની વિશાળ ખાઈથી આપણને અવગત કરાવે છે. આ કવિતા લખાઈ એ પછી તો બીજા ૮૦થીય વધુ વર્ષ વીત્યાં પણ દુનિયામાંથી શ્વેત-શ્યામ, અમીર-ગરીબ અને ઊંચ-નીચના ઓળા જરાય ઓસર્યા છે ખરાં? કવિતા પૂરી થાય ત્યાં સુધી આપણને માત્ર ગરીબી-અમીરી વચ્ચેનો વર્ગવિગ્રહ જ કેન્દ્રસ્થાને હોવાનું અનુભવાય છે, પણ અંતિમ પંક્તિમાં આવતો ‘હબસી’ શબ્દ આ વર્ગવિગ્રહને વધુ એક સ્તર ઊંચે –રંગભેદ સુધી- લઈ જઈ તીવ્રતમ બનાવે છે. ‘નીચલા’ વર્ગની શેરીઓમાં બોલાતી વ્યાકરણના નિયમોથી ઉફરી અનૌપચારિક, અભદ્ર ભાષા માત્ર અભણ ભાડૂતના વ્યક્તિત્વ પર જ નહીં, સમાજમાં નીચલા વર્ગના લોકોને મળતી અપૂરતી તક પર પણ ધારદાર પ્રકાશ નાંખે છે. ટપોરી ભાષા કવિતામાં અલગ જ પ્રાણ પૂરે છે. છઠ્ઠા ફકરામાં મકાનમાલિક -ભદ્ર વર્ગ ઉપસ્થિત થતામાં કવિતાની ભાષા પણ બદલાય છે.

કવિતા અને બીજો અંતરો – બંનેની શરૂઆત ‘મકાનમાલિક’ની દ્વિરુક્તિથી થાય છે કેમકે ભાડૂઆત જાણે છે કે આખરે એણે બહેરા કાન સાથે વાત કરવાની છે, દીવાલ સાથે માથાં ફોડવાનાં છે. આગલા અઠવાડિયે જ ભાડૂતે ઘરનું છાપરું ગળતું હોવા બાબત માલિકને ફરિયાદ કરી છે પણ મકાનમાલિકે નથી કોઈ કાર્યવાહી કરી કે નથી ફરિયાદ યાદ રાખી. મકાનમાં ચડવા માટેના પગથિયાં પણ એ હદે તૂટી ગયાં છે કે ચડતી વખતે ઘરધણી પડ્યો નહીં એની ભાડૂતને નવાઈ લાગે છે. ‘પગથિયાં’ બહુવચન અને ‘ગઈલું’ એકવચનની કૉકટેલ ગરીબ ભાડૂતની નિરક્ષરતા અથવા અલ્પ-સાક્ષરતાની સાહેદી પૂરાવે છે. જે પગથિયાં ચડતાં ભાડૂત ઘરધણીના પડી જવાનું જોખમ અનુભવે છે, એના પરથી એણે અને એના પરિવારજનોએ તો દિવસમાં પચાસવાર ચડ-ઉતર કરવાની રહે છે. યાને સતત પડવાનો, ઈજા-ફ્રેક્ચરનો ઓથો માથે રાખીને જીવવાનું. વિડંબણા તો એ છે કે ગળતાં છાપરાંની ફરિયાદ કરનાર ભાડૂતે તૂટેલાં પગથિયાંઓનો તો સ્વીકાર જ કરી લીધો છે. પાયાની તકલીફો અને એના સમારકામ માટે માલિક તરફથી સેવાતી બેદરકારી ભાડૂઆત કરતાં વધારે આપણને દુઃસહ્ય લાગે છે. કંગાળ લોકો તકલીફોને જીવનનો ભાગ ગણી એનાથી હેવાયાં થઈ જતાં હોય છે.

પણ ધનકુબેરો? એ તો દસ રૂપિયા પણ જતાં કરવા તૈયાર નથી. ૧૯૪૦માં આ રચના લખાઈ ત્યારે દસ રૂપિયા (ડૉલર)ની કિંમત નાંખી દેવા જેવી નહોતી, પણ અહીં વાત કિંમત કરતાં નિયતની વધારે છે. મકાનમાલિક એના બકાયાની ઉઘરાણી કરે છે. ભાડૂતના હિસાબે આ કોઈ રકમ બાકી નથી. એના માટે આ ફાલતૂ માંગણી છે. ચાર પંક્તિમાં ત્રણ વાર દસ રૂપિયાનો થતો ઉલ્લેખ માણસ અને મટિરિઆલિઝમને અડખેપડખે મૂકી આપે છે. આ તકાદો ભાડૂઆત માટે તો દુકાળમાં અધિકમાસ જેવો છે. માલિક હરામના દસ રૂપિયા જતાં કરવા તૈયાર નથી પણ જો ઘરનું સમારકામ થાય તો ભાડૂત એ ચૂકવવા પણ તૈયાર છે. તવંગર અને દરિદ્ર માણસની નિયતનો તફાવત કેવો સાફ દેખાય છે!

પણ ઘર સમું કરાવવાના બદલે ઘરધણી ધણીપણું દાખવે છે. સામાની અગવડો સામે આંખ આડા કાન કરે છે, ઉપરથી તકાજો કરે છે અને આટલું ઓછું પડતું હોય એમ, જન્મસિદ્ધ અધિકાર ગણીને ઘર ખાલી કરાવવાનો ઓર્ડર લઈ આવવાની, વીજળી કપાવી નાંખવાની, અને ઘરવખરી ઊંચકીને શેરીમાં ફેંકી દેવાની –એમ ત્રણ-ત્રણ ધમકીઓ આપે છે. ઘરધણી શું બોલ્યો હશે એનો અંદાજ હજી સુધી આપણે ભાડૂત એને શું જવાબ અપે છે એના પરથી જ સમજવાનું રહે છે. માલિકને ખાલીપીલી ફિશિયારી મારતો, મોટીમોટી વાતો કરતો સંભળીને કિરાયાદારની ધીરજ છૂટે છે. તકલીફોના કારણે એ આમેય ગિન્નાયેલ તો હતો જ, એમાં માલિકની ઉઘરાણી અને ધમકીઓએ બળતામાં તેલ રેડવાનું કામ કર્યું. ભાડૂતની કમાન છટકી હોવા છતાંય પહેલાં તો એ માલિકને એની ભૂલ તરફ નિર્દેશ જ કરે છે. એ પછી હજી કંઈ બોલવાનું બાકી રહી ગયું હોય તો એય કહી દેવાનું ઈજન આપે છે. નાના માણસની આ સાલસતા. માલિક ગુસ્સે થાય છે તો ઘર ખાલી કરાવવાની ધમકી આપે છે, કિરાયાદાર ગુસ્સે થાય છે તો માલિકને એનું ભીતર ખાલી કરવાની તક આપે છે. આગળ એ મુક્કો મારીને માલિકની બોલતી બંધ કરી દેવાની ધમકી ઉમેરે છે. ‘ખંડેરની ભસ્મકણી ન લાધશે’ (ઉ.જો.) યાદ આવે. કવિતામાં ગતિ આવી જાય છે. છંદપરિવર્તન થાય છે, પંક્તિઓ નાની અને ઝડપી બને છે, બૅલડની પ્રાસરચના ભાંગી પડે છે. કાવ્યસ્વરૂપ પરિસ્થિતિની અંધાધૂંધીને અનુવર્તે છે.

પોતે કરે તે લીલા, બીજા કરે તે છિનાળુંના ન્યાયે ભાડૂતની એક નાની અમથી ધમકી સામે ઓવર-રિએક્ટ કરી માલિક પોલિસને બોલાવે છે. કવિતામાં પોલિસનો અવાજ ફક્ત સીટી અને રૉનની ઘંટડી પૂરતો જ છે. પોલિસની હૃદયહીનતા અને વિચારહીનતા એનાથી યથાર્થ તાદૃશ થાય છે. દીનજનોના કિસ્સામાં પોલિસની કામગીરી કેટલી ઝડપી રહે છે એ પણ અહીં સમજાય છે. કવિએ કાવ્યસ્વરૂપનો કેવો સમુચિત વિનિમય કર્યો છે! આ જ તો સાચી કાવ્યકળા છે! છાપાંય ઓછાં નથી. એ પણ રાઈનો પર્વત કરે છે. હેડ-લાઇન્સ બનાવે છે. અહીં કેપિટલ લેટર્સ વાપરીને કવિએ ઑથોરિટીને ચાક્ષુષ કરી બતાવી છે. ભાડૂતની લાંબીલચ ફરિયાદો અને નજરિયા સામે ઘરમાલિક, કાનૂન, અખબાર અને એ નાતે સમાજના દૃષ્ટિકોણ નગણ્ય શબ્દોમાં પણ વધુ ધારદાર રીતે રજૂ કરીને કવિએ કાવ્ય પણ સાધ્યું છે. એક નિર્ધનનો અવાજ ઊંચો થતામાં જ સત્તાપરિવર્તનના ભણકારા સાંભળવા માંડતી ડરપોક અને પૂર્વગ્રહયુક્ત સિસ્ટમ કીડા-મંકોડા જેવી હેસિયત ધરાવતા ગરીબને ત્રણ-ત્રણ મહિનાનો કારાવાસ આપે છે. છે…ક છેલ્લી લીટીમાં કવિ બંધ દાબડી ખોલે છે ત્યારે ખબર પડે છે કે અકિંચન ભાડૂત ‘હબસી’ છે અને માલિક ગોરો.

ફરી યાદ કરીએ કે, ગુલામીપ્રથા અને શ્વેત-શ્યામના ભેદભાવ નાબૂદ થયાના દાયકાઓ પછી છે…ક ૧૯૪૦માં લખાયેલી આ કવિતા છે. ચાર અવાજ સંભળાય છે. પહેલો, ભાડૂતનો. બીજો, મકાનમાલિકનો. ત્રીજો, પોલિસનો અને ચોથો અખબારનો. અખબાર દ્વારા આડકતરી રીતે એક પાંચમો અવાજ ન્યાયતંત્રનો અને છઠ્ઠો પ્રવર્તમાન સમાજનો પણ સંભળાય છે. જ્યાં ગોરાઓ સામે માથું ઊંચકવાનો વિચારમાત્ર ત્રણ મહિનાની જેલમાં પરિણમે છે. માથું ઊંચકી લીધું હોય, ભાડૂતે સાચેસાચ હાથ ઉપાડી લીધો હોત તો શું થાય એની તો કલ્પના સુદ્ધાં કરી શકાય એમ નથી. પાઈ જેવડી વાત માટે રૂપિયા જેવડી સજા એ જમાનામાં છાશવારે થતી પણ પરિસ્થિતિ આજેય બદલાઈ નથી. માઇકલ જેક્સને ચામડીનો રંગ બદલવામાં આખી જિંદગી ખર્ચી નાંખી.

આફ્રિકામાં રંગભેદની નીતિનો શિકાર બનેલ એક વકીલ નામે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા બન્યો પણ એના જેવું મનોબળ કે સફળતા બધાનાં નસીબમાં તો નહીં જ ને! નેલ્સન મંડેલાએ કહ્યું હતું, ‘ચામડીનો રંગ, પશ્ચાદભૂ કે ધર્મના કારણે કોઈ બીજાને નફરત કરતું જન્મતું નથી. લોકો નફરત કરતાં શીખે છે, અને જો નફરત કરતાં શીખી શકાય તો પ્રેમ કરતાં પણ શીખી જ શકાય, કેમકે પ્રેમ એના વિરોધી કરતાં વધુ નૈસર્ગિકતાથી માનવહૃદય સમીપે આવે છે.’ સાચી વાત. પણ માનવજાતને પ્રેમ શીખવામાં કદાચ કદી રસ પડ્યો નથી. આખો ઇતિહાસ વંશવિગ્રહો, અને રંગવિગ્રહોથી ખરડાયેલો પડ્યો છે. માર્ટિન લ્યુથર કિંગે કહ્યું હતું, ‘મારું સ્વપ્ન છે કે મારાં બાળકો એક દિવસ એવા દેશમાં જીવશે જ્યાં એમનું મૂલ્યાંકન ચામડીના રંગથી નહીં, પણ ચારિત્ર્યના ગુણોથી થાય.’ –રામરાજ્યનું સ્વપ્ન! રામરાજ્ય તો રામનેય નસીબ નહોતું થયું. જોએલ એફ. કહી ગયા, ‘લૉન્ડ્રી એકમાત્ર એવી વસ્તુ છે જેને રંગના આધારે અલગ તારવવી જોઈએ.’ કબાટોના કબાટ ભરાઈ જાય એટલું સાહિત્ય રંગભેદ વિશે લખાયું છે, લાખો પ્રવચનો અપાયાં છે પણ તોય એ કહેવું મુશ્કેલ છે કે કાળા-ગોરાને એક રંગે ચિતરે એવી सुबह कभी तो आयेगी….

ગ્લૉબલ કવિતા : ૨૧૬ : પ્રેમ પછી પ્રેમ -ડેરેક વૉલ્કોટ

Love After Love

The time will come
when, with elation
you will greet yourself arriving
at your own door, in your own mirror
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott


પ્રેમ પછી પ્રેમ

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે આવકારશો તમારા પોતાના દરવાજે
તમારા પોતાના અરીસામાં, આવેલ તમારી જાતને,
અને બંને જણ સ્મિત કરશો પરસ્પરના આવકાર પર,

અને કહેશો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી એ અજાણ્યાને ચાહશો જે તમારી જ જાત હતો.
ચા-પાણી આપો. ખાવાનું આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, એ અજાણ્યા શખ્સને જેણે તમને ચાહ્યા છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો હતો
બીજાઓ માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી નીચે ઉતારો પ્રેમપત્રો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીનો ઓચ્છવ કરો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)


જાત સુધીની જાતરા…

સામાજીક પ્રાણી હોવાના નાતે મનુષ્ય આજીવન અન્યોન્યના સંપર્કમાં રહે છે. સંપૂર્ણપણે એકલવાયી જિંદગી તો કદાચ માનવસભ્યતા જ્યાં પહોંચી જ નથી એવા આંદામાનના જારવા પણ નથી જીવતા. આપણાથી સાવ અલિપ્ત હોવા છતાંય જંગલમાં તેઓ સમૂહમાં જ જીવે છે. શું કારણ હોઈ શકે? અન્યોને આપણે સાંગોપાંગ ઓળખી શકતા નથી એટલે સાથે રહેવાનું પાલવતું હશે? અને જાતને નખશિખ જાણતા હોવાથી શું આપણે એકલા નથી રહી શકતા? બની શકે. એક વાત એય કે જેના વિશે બધી જ ખબર હોય એ વ્યક્તિને શું ચાહી શકાય? પતિ-પત્ની એકમેકને જેમ વધુ ઓળખતા જાય તેમ દામ્પત્યનો રંગ ફીકો નથી પડતો જતો? અરીસામાં રોજ આપણે જેને જોઈએ છીએ એ વ્યક્તિને આપણે પૂરેપૂરો ઓળખીએ છીએ. આપણી ખામી-ખૂબીથી સર્વથા સર્વાંગે વાકેફ હોવાના કારણે જ કદાચ આપણે જાત સાથે વાત કરવાનું બહુધા ટાળીએ છીએ. પણ જે ખુદને ન ચાહી શકે એ અન્યને કદી ‘સાચા’ અર્થમાં ચાહી શકે ખરું? એરિસ્ટોટલ કહ્યું હતું, ‘બીજાને મિત્ર બનાવતા પહેલાં મનુષ્યે પોતાની જાતને મિત્ર બનાવવો જોઈએ. સ્વની ઓળખ બધા જ ડહાપણની શરૂઆત છે.’ સદીઓ પહેલાં ભગવાન બુદ્ધે કહી હતી, ‘તમારી પોતાની જાત, સમસ્ત સંસારમાં, અન્ય કોઈનીય જેમ તમારા પ્રેમ અને સ્નેહની અધિકારી છે,’ એ જ વાત ડેરેક વૉલ્કોટ લઈને આવ્યા છે.

સર ડેરેક ઑલ્ટન વૉલ્કોટ. જન્મ ૨૩-૦૧-૧૯૩૦ના રોજ સેન્ટ લુસિયા, વેસ્ટ ઇંડિઝ ખાતે. માતા આચાર્યા. પિતા ચિત્રકાર. એક વર્ષની વયે પિતાને ગુમાવ્યા. દાદી અને નાની-બંનેના મૂળિયાં ગુલામોમાંથી. ચિત્રકાર પિતામાં જે અધૂરું રહી ગયું એ ડેરેકના મતે એમનામાં આગળ વધ્યું. તાલીમ ચિત્રકારની પણ ચિત્રો પીંછીના બદલે કલમથી દોર્યાં. ૧૪ વર્ષની વયે પહેલી કવિતા. અઢારમા વર્ષે ઉછીના બસો ડૉલરથી પ્રથમ કાવ્યસંગ્રહ છાપી નાંખ્યો, મિત્રોને અને શેરીઓમાં વેચીને ઉધારી ચૂકવીય દીધી. બીજા વર્ષે બીજો કાવ્યસંગ્રહ. જીવનકાળ બૉસ્ટન, ન્યુયૉર્ક અને લુસિયા વચ્ચે વહેંચાયેલો રહ્યો. પરિણામસ્વરૂપે કરેબિઅન-લોકલ વત્તા આંતરરાષ્ટ્રીય-ગ્લૉબલ ફ્લેવરના મિશ્રણથી એમના સર્જનમાં નવી જ સોડમ પ્રકટી. સ્વીકૃત અંગ્રેજીમાં લખવા બદલ એમને ‘ઓછા અશ્વેત’ ગણતા બ્લેક પાવર મૂવમેન્ટવાળાઓએ એમના પર પસ્તાળ પાડી, પણ ડેરેકે કહ્યું, “I have no nation now but the imagination.” (મારે હવે કોઈ દેશ નથી, માત્ર કલ્પના જ છે) ૧૯૮૨ અને ૯૬માં એમના પર બે વિદ્યાર્થીનીઓએ જાતીય કનડગતના આરોપ મૂક્યા જેને ખૂબ ચગાવાયા. ઓક્સફર્ડ પ્રોફેસર ઑફ પોએટ્રીના પદ માટેની ઉમેદવારી ખેંચી લઈને એની કિંમત ચૂકવવી પડી. ત્રણવાર લગ્ન. ત્રણવાર છૂટાછેડા. મૃત્યુ ૮૭ વર્ષની ઊંમરે ૧૭-૦૩-૨૦૧૭ના રોજ.

સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક (૧૯૯૨) મેળવનાર એ બીજા કરેબિઅન સર્જક હતા. કમિટિએ ડેરેકના સર્જન માટે કહ્યું, ‘ઉત્તમ તેજસ્વિતાવાળી એક કાવ્યાત્મક કળાકૃતિ, જે ટકી રહી છે બહુસાંસ્કૃતિક પ્રતિબદ્ધતાના પરિણામસ્વરૂપ ઐતિહાસિક દૃષ્ટિ વડે.’ હૉમરના ઑડિસીને આધુનિક કરેબિઅન માછીમાર સાથે સાંકળી લેતું ‘ઓમેરોસ’ નામનું આધુનિક મહાકાવ્ય એમના મુગટમાંનું ઉત્કૃષ્ટ પીંછુ. ‘અનધર લાઇફ’ એમનું આત્મકથનાત્મક દીર્ઘકાવ્ય. વિવેચક, પત્રકાર અને કવિતાના શિક્ષક. બહુપુરસ્કૃત ખ્યાતનામ નાટ્યકાર પણ. જોસેફ બ્રોડ્સ્કીએ કહ્યું, ‘ભરતીના મોજાં જેવી એમની કવિતાઓ વિના આધુનિક સાહિત્ય વૉલપેપર બનીને રહી જાત. ભાષામાં લપેટીને એમણે આપણને અનંતતાની ભાવના આપી છે.’ વૉલ્કોટ કહેતા, ‘કવિતા જ્યારે તમારી પાસે આવે છે ત્યારે તમે આસપાસની આખી દુનિયાથી કપાઈ એકલા થઈ જાવ છો. તમે કાગળ ઉપર જે કરી રહ્યા છો એ તમારી ઓળખનું નહીં, પણ ગુમનામીનું નવીનીકરણ છે.’

પ્રસ્તુત કવિતા મુક્ત પદ્ય-અછાંદસ છે પણ વોલ્કૉટની પ્રિય યતિ(caesura)નો પ્રયોગ ધ્યાનાર્હ છે. એ કહેતા કે, યતિનો અયોગ્ય પ્રયોગ, રેવાળ ચાલે ચાલતો ઘોડો અધવચ્ચે ફસડાઈ પગ તોડે, એના જેવો હોય છે. અહીં, એકાધિક અલ્પવિરામ અને પંક્તિની વચ્ચોવચ્ચ આવતા પૂર્ણવિરામ ચિહ્નો વડે કવિતાની ગતિ નિયત માત્રામાં અવરોધીને કવિ ભાવકને ઝડપભેર દોડી જતો અટકાવે છે તો બીજી તરફ ઓછી-વત્તી પંક્તિના ચાર ફકરા, લાંબા-ટૂંકા વાક્યોમાં અપૂર્ણાન્વયરીતિથી મોટાભાગના વાક્યોને એક પંક્તિમાંથી બીજીમાં ઢોળીને ગતિ વધારે છે. જીવનની ગતિ સાથે કાવ્યગતિ સુસંગત બને છે અને જાત વિશે-જિંદગી વિશે મીમાંસા કરવાનો સમય કવિતાની વચ્ચે જ કવિ પૂરો પાડે છે. શીર્ષક પણ વિચારતાં કરી દે એવું છે. આપણે જે અર્થમાં ‘એક પછી એક’ કે ‘દિવસ પછી દિવસ’ કહીએ છીએ એ જ અર્થમાં ‘પ્રેમ પછી પ્રેમ’ પ્રયોજાયું હશે? કવિતામાં સ્વ-પ્રેમની વાત છે એ તો સમજાય છે પણ શું આ પ્રેમ કાવ્યાંતે આવતા પ્રેમપત્રોવાળા પ્રેમ પછીનો પ્રેમ છે? બીજાઓ સાથેના પ્રેમથી પરવારી જઈને ‘સમય આવશે’ ત્યારે જાત સાથે જે પ્રેમ કરવાનો છે એ વિશે કવિ શીર્ષકની મદદથી ઈશારો કરતા હોય એમ બની શકે?હશે, આપણે તો કવિતાના પ્રેમમાં પડીએ, ચાલો…

જાત તરફની જાતરાની આ કવિતા છે. ‘સમય આવશે’થી કાવ્યારંભ થાય છે. મતલબ આ સમય આવવાનો જ હોવાની ખાતરી છે. માણસ જાત સાથે મુખામુખ થાય એ સમય દરેકની જિંદગીમાં આવે જ છે. હરિવંશરાય બચ્ચન કહે છે એમ, ‘जीवन की आपाधापी में कब वक्त मिला/ कुछ देर कहीं पर बैठ कभी यह सोंच सकूँ’ની જેમ જીવનમાં વાહવાની દોડમાં ને ચાહવાની હોડમાં આપણે જાત લઈને ભાગીએ તો છીએ, પણ આ દોડ અને હોડ –બેમાંનું કંઈ જ સ્વ તરફનું હોતું નથી. અને સ્વને પામ્યા વિના તો સર્વ સુધી જવાય જ કેમ? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. પોતાના દરવાજે પોતાને આવેલ જોઈ આપણે ચોંકતા નથી, કેમકે આ સમય આવનાર હતો જ, તે આજે આવ્યો છે. જે દરવાજાને અજાણ્યાઓ માટે ખૂલવાની આદત પડી ગઈ હતી, એ આજે જાત માટે ખૂલ્યો છે, એટલે ઉત્તેજિત ન થવાય તો જ નવાઈ. આ ઉત્તેજનાને સંતાડવાની પણ નથી. પૂર્ણાવેશસહ આપણે આપણને આવકારવાના છે. દરવાજે જ નહીં, આજે આટઆટલા વરસો પછી અરીસામાં પણ આપણે આપણને પહેલવહેલીવાર જોયા છે. આજ સુધી અરીસામાં શરીરનું પ્રતિબિંબ જ દેખાતું હતું, આજે જાત દેખાઈ છે. આપણી નજર સામે દેખાતા શખ્સ સુધી પહોંચી શકી છે. સામાન્યરીતે અંદર ઊભેલી વ્યક્તિ બહારથી આવનારને આવકારો આપે પણ અહીં બહાર-અંદર બંને આપણે જ છીએ, માટે બંનેએ જ પરસ્પરને સસ્મિત આવકાર આપવાનો છે.

પરસ્પરનું સ્વાગત કરીને બંને અન્યોન્યને કહેશે કે બેસો. આરોગો. ચા-પાણી કરો. ખ્રિસ્તી ધર્મ અને બાઇબલના સંદર્ભ દૃષ્ટિગોચર થાય છે. ‘Love thy neighbour.’ ‘Eat. Drink.’ વાઇન, બ્રેડ વિ.માં પણ બાઇબલના નિર્દેશ સ્વયંસ્પષ્ટ છે. સત્તરમી સદીની જ્યૉર્જ હર્બર્ટની ‘લવ(૦૩)’ કવિતા યાદ આવે, જેમાં પ્રેમ ગુનાહિત ભાવથી પીડાતા અને એક અતિથિની રાહ જોતા કાવ્યનાયકને બાજનજરે પારખી લે છે અને સમજાવે છે કે અહીં આવવા લાયક માનનીય અતિથિ સ્વયં તું છે. નાયકને પોતે કઠોર, કૃતધ્ન લાગે છે, પણ પ્રેમ કુનેહપૂર્વક એનો હાથ ઝાલીને, સસ્મિત સમજૂતિ સાથે શંકાઓનું નિરસન કરે છે. પ્રેમ પીરસે છે. નાયક જમે છે. દરવાજો, અરીસો અને પ્રેમને પણ બાઇબલના ઉપલક્ષમાં જોઈ શકાય.વૉલ્કોટ હંમેશા પોતાના અશ્વેતપણાંને શ્વેતપણાં સાથે એકાકાર કરવા મથતા. કલમના લસરકાથી એ રંગભેદ ભૂસવાની મથામણ કરતા. પ્રસ્તુત રચનાનું રૂપક જરા વિસ્તારીએ તો કવિ બે અલગ સંસ્કાર, બે અલગ રંગોનું એકમેકમાં પુનર્ગઠન કરવા ઇચ્છતા હોય એમ પણ વિચારી શકાય.

કવિતા દ્વિતીય પુરુષ સંબોધન સ્વરૂપે છે. કથક આપણી સાથે સીધા સંવાદમાં છે. પણ પ્રત્યુત્તરનો અવકાશ નથી. તમે-તમારુંની કથનરીતિના કારણે દરેક ભાવકને કવિ પોતાની સાથે જ ગુફ્તેગૂ કરતા હોવાનું પ્રતીત થાય છે. આખી કવિતા ‘યુ’ અને ‘યૉર’ના તોરમાં ચાલે છે. ક્યાંય ‘આઇ’ પ્રયોજાયો નથી, તોય ‘આઇ’ જ કેન્દ્રસ્થાને હોવાનું સમજાય છે. અંગ્રેજી ‘I’ (હું) લેટિન ‘ઇગો’ પરથી આવ્યો છે. ઇગોઇઝમનો સિદ્ધાંત કહે છે કે વ્યક્તિની પોતીકી ક્રિયાઓની પ્રેરણા અને ધ્યેય પોતાની જાત જ છે અથવા હોવી જોઈએ. એન રેન ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્ફિશનેસ’માં સ્વાર્થને પ્રાપ્ત કરવા માટેનો યોગ્ય સદગુણ લેખાવી તર્કસંગત અહંભાવની તરફેણ કરે છે. બિમારીની હદ સુધી વકરેલી આત્મરતિને અંગ્રેજીમાં narcissism કહે છે, જેનાં મૂળ રોમન કથાના નાર્સિસસમાં જડે છે. યુવાન નાર્સિસસ તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં ઘેલો થઈ જાય છે અને પ્રતિબિંબને યથાવત રાખવાની લાલસામાં તરસે મોતભેગો થઈ જાય છે. સત્તરમી સદીમાં પાસ્કલે “l’amour propre” (સ્વ-પ્રેમ)ને તમામ અનિષ્ટોની જડ ગણાવી હતી. તો સોળમી સદીમાં શેક્સપિઅરે ‘હેનરી ૫’માં કહ્યું, ‘Self-love, my liege, is not so great a sin as self-neglect.’ (જાતની અવગણના એ જાતને પ્રેમ કરવાથી મોટું પાપ છે.)

આજીવન મૃગજળ પાછળ દોડવામાં ‘મને ક્યાંય જડી ન મારી જાત’ જેવા આપણા હાલ છે. પણ સમય આવ્યો છે, તો જીવનભર જેનાથી અજાણ્યા રહી ગયા, એને ચાહવાનું ફરી શરૂ કરીએ. ત્રાહિત વ્યક્તિનેય આપણે ‘અજાણ્યા છો? ભલે!/તો યે જુઓ, આ હાથ લંબાવી કહું-/લાવો તમારો હાથ, મેળવીએ!’ (નિરંજન ભગત) કહી શકતાં હોઈએ તો આ તો આપણી પોતાની જાત છે. ભલે આજ સુધી અજાણી રહી, પણ હવે એને પ્રેમ કરવાનો છે. ન માત્ર એની યોગ્ય આગતા-સ્વાગતા, સરભરા કરવાની છે, એને તમારું હૃદય પણ પાછું આપવાનું છે, કેમકે આ અજાણ્યા શખ્સે તમને જિંદગીભર એકધારું ચાહ્યા છે. તમારું જ દિલ છે. તમારે તમારું દિલ ફરીથી તમારા જ દિલને આપવાનું છે. લ્યુસિલી બૉલે કહ્યું હતું, ‘સૌપ્રથમ જાતને ચાહો અને બીજું બધું બરાબર થઈ જશે.’ કેમકે ‘આપણી અંદર જે છે એની આગળ આપણી પાછળ જે છે અને સામે જે છે એ બધું બહુ ક્ષુલ્લક છે.’ (રાલ્ફ વાલ્ડો ઇમર્સન) આખું જીવન આપણે આજે આંગણે આવેલ આ અજાણ્યા શખ્સને બીજાઓ માટે અવગણ્યે રાખ્યો હતો. આપણી તો ‘अतिथि देवो भवः’ની સંસ્કૃતિ. આપણે તો ‘એ જી, તારા આંગણિયાં પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે’ (દુલા ભાયા કાગ) ગાનારા. લાઓ-ત્ઝુએ કહ્યું હતું, ‘જે જાતને સ્વીકારે છે એને દુનિયા સ્વીકારે છે.’ માર્ક ટ્વેઇનની વાતમાંથી પણ આ જ સૂર ઊઠે છે: ‘જાતના અનુમોદન વિના મનુષ્ય આરામદેહ નથી અનુભવતો.’ તમને તમારી જાતથી વધુ બીજું કોણ ઓળખી શકે? આપથી વધીને આપને કોણ ચાહી શકે? એકમાત્ર આપણો ‘સ્વ’ જ આપણા ‘સર્વ’ને સુવાંગ પિછાને છે. રાલ્ફ એલિસને કહ્યું હતું: ‘જ્યારે હું શોધી લઈશ કે હું કોણ છું, હું મુક્ત હોઈશ’ આજે આ સમય આવી ગયો છે. દુનિયાના બંધનોમાંથી મુક્ત થઈ આજ લગ અજાણ્યા રહી ગયેલ સ્વને પુનઃપ્રાપ્ત કરવાનો સમય સાંપડ્યો છે, તો એનો સદુપયોગ કેમ ન કરીએ? લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરવા આવી છે. હવે શું મોઢું ધોવા જશો?

ના, તમારા હૃદયે તમને પળપળ ચાહ્યાં છે. હવે, તમારે એ ચાહનો પડઘો પાડવાનો સમય આવી ઊભો છે. એને પ્રેમથી, ઉત્તેજનાસહિત આવકારો. એને ચાહો. આદરમાન આપો. એની વર્ષોની ભૂખ-પ્યાસ ભંગો. એને સાચા અર્થમાં સંતૃપ્ત કરો. મનની અભરાઈ જૂની યાદો, જૂના સંબંધો, જૂના સમીકરણોથી ભરી પડી છે. નામ અભરાઈ છે પણ એ ભરાઈ-ઉભરાઈ રહી છે. ઘણો કચરો ભર્યો પડ્યો છે. પ્રેમપત્રો, ફોટોગ્રાફસ, વિહ્વળ હૃદયે લખેલ વ્યાકુળ નોંધો અને એવું ઘણું છે, જેને તમે વર્ષોમાં કદી ફેર જોવા-માણવાની તસ્દી સુદ્ધાં લીધી નથી પણ મનની અભરાઈ પર એણે કબ્જો કરી રાખ્યો છે. કોઈપણ જગ્યા ખાલી કરવામાં ન આવે ત્યાં સુધી નવાને અવકાશ પણ કેમ મળે? આજે સમય આવ્યો છે તો જૂનું બધું ઉતારી દઈ મન સાફ કરી દો. જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો. અરીસામાં હવે પ્રતિબિંબ નહીં, તમે સાક્ષાત્ દેખાવા જોઈએ. જાતને કહો કે, ‘ખુદ મને જ મારી સાક્ષાત્ કર, તું પાંચ મિનિટ બેસીને વાત કર.’ બેસો. હોવાને મહેફિલ કરી દો. જિદગીને ઉજાણી કરો. તમારું પોતાનું હોવું ઉજવો… જાત સાથે વાત કરતાં આવડી જાય તો જીવન સફળ થાય. અન્ય સંબંધોની આંટીઘૂંટી અને ગાંઠ ઉકેલવાને બદલે સૌપ્રથમ સ્વ સાથે સંધાન સધાવું જોઈએ. માણસ પોતાની સાથે કમ્ફર્ટેબલ થતાં શીખી લે એટલે જિંદગી નિરાંતની મહેફિલ જ છે… આવો, બેસો. ખાઓ, પીઓ. જિંદગીને ઉજવો.

અંતે, ડેલ વિમ્બ્રૉની ‘ધ મેન ઇન ધ ગ્લાસ’ કવિતાના કાવ્યાંશ:

ના માતની, ના તાતની, અર્ધાંગિનીની પણ નહીં,
ઉત્તીર્ણ થાવાનું નથી કોઈ નજરમાં આપણે;
જીવનમાં જેના મતની કિંમત છે બધા મતથી વડી,
એ શખ્સ એ છે જે તમારી સામે ઊભો આયને.

વર્ષો સુધી દુનિયાને છો મૂરખ બનાવ્યે રાખી હો,
ને વાહવાહી ગામ આખાની ભલે અંકે કરી;
પણ આખરી ઈનામ નકરાં દુઃખ હશે ને આંસુઓ,
જો આયને દેખાતી વ્યક્તિને હશે જો છેતરી.

ગ્લૉબલ કવિતા : ૨૧૫ : સૉનેટ-ગાથાગીત – ગ્વિન્ડોલિન બ્રુક્સ

the sonnet-ballad

Oh mother, mother, where is happiness?
They took my lover’s tallness off to war,
Left me lamenting. Now I cannot guess
What I can use an empty heart-cup for.

He won’t be coming back here any more.
Some day the war will end, but, oh, I knew
When he went walking grandly out that door
That my sweet love would have to be untrue.

Would have to be untrue. Would have to court
Coquettish death, whose impudent and strange
Possessive arms and beauty (of a sort)
Can make a hard man hesitate—and change.

And he will be the one to stammer, “Yes.”
Oh mother, mother, where is happiness?

– Gwendolyn Brooks


સૉનેટ-ગાથાગીત

ખુશી ક્યાં છે, હેં મા? વિલપતી મને છોડી વરવી,
ઊંચાઈના નામે મુજ સનમને યુદ્ધ કરવા
લઈ ‘ગ્યાં એ લોકો. અટકળ હવે કેમ કરવી
લઉં શું કામે હું હૃદયકપ આ રિક્ત ભરવા.

હવે કોઈ કાળે પરત ફરશે ના સજનવા.
પૂરું થાશે કો’દી રણ, પણ, મને જાણ જ હતી-
ગયો’તો જ્યારે એ મહત કદમે દ્વાર મહીં આ
હશે જૂઠી નક્કી મધુર પ્રીત, છો સાચી દીસતી.

હશે જૂઠી નક્કી. મરણ-રમણી સંગ પ્રણયે
રમે એ, કે જેનાં શરમહીન ને ઉદ્ધત તથા
અધિકારી બાહુ, અકથનીય સૌંદર્ય, ભડને
કરે પાણી-પાણી- કઠિનદિલનેયે બદલતાં.

હશે એ એમાંનો, ખુદ જે હકલાઈ ભણત, “હા.”
ખુશી ક્યાં છે, હેં મા?

– ગ્વિન્ડોલિન બ્રુક્સ


सरहद ने क्या दिया है ख़ूँ-औ-अश्क़ छोडकर?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે?

યુદ્ધના રક્તિમ આકાશમાં કદી સુખનો સૂરજ ઊગતો નથી એ હકીકત પરાપૂર્વથી સર્વવિદિત હોવા છતાં મનુષ્ય જાતિનો ઇતિહાસ કદી યુદ્ધમુક્ત રહ્યો નથી. કદી સુખશાંતિમાં પરિણમતું ન હોવા છતાં દુનિયામાં મોટાભાગનાં યુદ્ધ સુખશાંતિના નામે જ લડાતાં આવ્યાં છે. કોઈપણ યુદ્ધમાં સરહદની બે તરફ માત્ર સૈનિકો હોતા નથી. દરેક સૈનિક એક આખેઆખો પરિવાર હોય છે અને સૈનિકની ખુવારી માત્ર સૈનિકની નહીં, પણ આખેઆખા પરિવારની ખુવારી જ હોય છે. મનુષ્ય મૂળે દુનિયાનું સૌથી ખતરનાક જાનવર છે. સૃષ્ટિમાં મનુષ્યોને બાદ કરતાં તમામ સજીવ માત્ર આપબળ પર જ લડે છે. એકમાત્ર મનુષ્ય જ બળ-કળ-છળ સિવાય વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. સિંહ ગમે એટલો બળુકો કેમ ન હોય, એનો એક પંજો એકીસાથે વધુમાં વધુ એક પ્રાણીને જ શિકાર બનાવી શકે, પણ માણસ તો એકલા હાથે બૉમ્બ ઝીંકીને આખા શહેરનો ખાત્મો બોલાવી શકે છે. ગ્વિન્ડોલિનની પ્રસ્તુત કવિતા યુદ્ધમાં સૈનિકની પાછળ શહીદ થઈ જતી પરિવારની ખુશીનું માતમ મનાવે છે.

ગ્વિન્ડોલિન એલિઝાબેથ બ્રુક્સ. હુલામણું નામ ગ્વેન્ડી. ૦૭-૦૬-૧૯૧૭ (ટોપેકા, અમેરિકા) થી ૦૩-૧૨-૨૦૦૦ (શિકાગો). વીસથી વધુ કાવ્યસંગ્રહો અપનાર ગ્વિન્ડોલિન પુલિત્ઝર પ્રાઇઝ મેળવનાર પ્રથમ આફ્રિકન-અમેરિકન સર્જક હતાં અને અમેરિકાના રાજકવિ બનનાર પ્રથમ શ્યામ સ્ત્રી. શહેરી અશ્વેત લોકોની રોજમરોજની જિંદગી એમનો કાવ્યવિશેષ. એમની કવિતાઓનો પ્રમુખ હેતુ અમેરિકનોને અશ્વેત લોકોની જિદગી અને હાલાકીથી પરિચિત કરાવી રંગભેદ પ્રતિ સાર્વત્રિક સહિષ્ણુતા વધારવાનો હતો, પણ એમની રચનાઓ રંગની પરિસીમાઓ વળોટીને સાર્વત્રિક સંવેદનાઓને પણ ઝંઝોડે છે.

‘ધ સૉનેટ-બૅલડ’ શીર્ષક બે રીતે વિચારણીય છે. એક, શીર્ષક પરથી વિષયવસ્તુ કશાનો અંદાજ મળતો ન હોવાથી, કવિતામાં પ્રવેશવું ફરજિયાત બને છે. બીજું, અર્થની રીતે. સૉનેટ અને બૅલડ બંને અલગ કાવ્યપ્રકાર છે. સ્વરૂપની દૃષ્ટિએ પ્રસ્તુત કાવ્ય સૉનેટકાવ્ય છે. ચૌદ પંક્તિઓ. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક. સૉનેટનો પ્રિય છંદ આયમ્બિક પેન્ટામીટર. જો કે અષ્ટક પછી નિર્ધારિત ભાવપલટો (વૉલ્ટા) અને કાવ્યાંતે આવતી ચોટનો અભાવ છે. કથનરીતિ બૅલડની છે. બૅલડ યાને કથાકાવ્ય કે ગાથાગીત સામાન્યરીતે સ્ત્રીઓની ઉક્તિ સ્વરૂપે હોય છે. યુદ્ધ, શૌર્ય, જીવન-મૃત્યુ અને પ્રણય-કરુણાંતિકા -બૅલડના પ્રમુખ વિષય. આ તમામ આ એક કવિતામાં સમાવિષ્ટ છે. ગાથાગીતની જેમ અહીં ચાર પંક્તિના અંતરા પણ છે. શેક્સપિરિઅન સૉનેટના પ્રાસવિન્યાસ abbc થી વિપરીત બૅલડમાં સામાન્ય પ્રાસનિયમનની નજીકની abab પ્રકારની વ્યવસ્થા છે. સૉનેટરીતિથી ઊલટું ગાથાગીતમાં શબ્દ કે પંક્તિ પુનરાવર્તન તથા Oh જેવા ધ્વનિ પ્રયોજાયેલા પણ જોવા મળે છે. આમ, કવયિત્રીએ બખૂબી બે બિલકુલ વિરુદ્ધ કાવ્યસ્વરૂપોનું સફળ ફ્યુઝન કર્યું છે. કવયિત્રીએ પ્રવાહથી વિરુદ્ધ શીર્ષકમાં આવતા ત્રણેય શબ્દોને બીજી એબીસીડીમાં લખ્યા છે. શોક સમયે ધ્વજ અડધી કાઠીએ ઉતાર્યો હોય એવી લાગણી કેપિટલ લેટર્સ કાઢી નાંખ્યા હોવાથી અનુભવાય છે. શિખરિણી છંદમાં અનુવાદ કરતી વખતે પ્રાસનિયોજન to મૂળ કાવ્ય મુજબ જ છે, પણ આખરી પંક્તિમાં ‘મા’ શબ્દનું પુનરાવર્તન કરવાના બદલે ખંડ-શિખરિણી પ્રયોજી, પંક્તિ અધૂરી છોડી દઈ ભાવાનુભૂતિ વધુ સઘન બનાવવા ધારી છે.

બીજા વિશ્વયુદ્ધ પછી તરતના સમયમાં લખાયેલ આ કાવ્યનો ઉઘાડ ‘ખુશી ક્યાં છે, હેં મા?’ પ્રશ્નથી થાય છે. પ્રશ્ન અને પ્રથમ ચતુષ્કથી ખ્યાલ આવે છે કે કથનરીતિ દીકરીના મા સાથેના એકતરફી સંવાદની છે. કથક કહે છે કે એને વિલાપ કરતી છોડીને એ લોકો (સત્તાધીશો) એના પ્રિયજનને, એ ઊંચો હોવાના કારણે યુદ્ધમાં લઈ ગયા. શારીરિક ક્ષમતા અભિશાપ બની શકે તે આનું નામ. પ્રાચીન ગ્રીસમાં નબળા જન્મેલા બાળકોની હત્યા કરવામાં આવતી હતી, એનું મુખ્ય કારણ મજબૂત સૈન્યની આવશ્યકતા હતી. નાયિકાના પ્રેમી/પતિની ઊંચાઈ જ એનો દુશ્મન બની. હેરિયટ મનરોએ કહ્યું હતું: ‘યુદ્ધનું મૌલિક, અનિવાર્ય અને મનોવૈજ્ઞાનિક કારણ શું છે? પુરુષોના દિલોમાં રહેલી ભાવના કે એ સુંદર છે. અને આ લાગણી કોણે જન્માવી? અંશતઃ, એ સાચું કે રાજાઓ અને એમની સેનાઓએ, પણ, એથીય વધુ તો, કવિઓએ પોતાના યુદ્ધ-કાવ્યો અને મહાકાવ્યોથી, શિલ્પકારોએ પોતાની મૂર્તિઓથી.’ યુદ્ધ કદી કોઈ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહીં, પણ મનુષ્યજાતિ પ્રારંભથી જ આ સરળતમ કોયડો ઉકેલી શકી નથી. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે એચ. જી. વેલ્સે કહ્યું હતું: ’ આ યુદ્ધ તમામ યુદ્ધોનો અંત આણવા માટેનું છે.’ બીજા વિશ્વયુદ્ધ વખતે અર્નેસ્ટ હેમિંગ્વેએ કહ્યું હતું: ‘ક્યારેય વિચારશો નહીં કે યુદ્ધ, ગમે એટલું આવશ્યક હોય કે ગમે એટલું ઉચિત હોય, અપરાધ નથી.’ અને બીજા વિશ્વયુદ્ધ પછી આઇન્સ્ટાઇને કહ્યું હતું: ‘હું નથી જાણતો કે ત્રીજું વિશ્વયુદ્ધ કયા હથિયારોથી લડાશે, પણ ચોથું વિશ્વયુદ્ધ નક્કી લાકડી અને પથ્થરોથી જ લડાશે.’ કેવી સાચી વાત!

દુનિયાની તમામ સભ્યતાઓની જેમ જ આપણાં મહાકાવ્યો અને પુરાણોમાંય કોઈ દેવતા કે ભગવાન યુદ્ધનો વિરોધ કરતા નથી. (પુરુષોએ લખ્યાં છે, માટે?) ભગવદ્ગીતાનો બીજો અધ્યાય કૃષ્ણની શીખોથી ભર્યો પડ્યો છે. કૃષ્ણ કહે છે, ‘હે પાર્થ! આવી નામર્દાઈને તાબે ન થઈશ. તને તે શોભતી નથી.’ (क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। (૦૨:૦૩)) યુદ્ધને જે ગૌરવ અપાયું છે એ તો જુઓ:

यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम्।
सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम्।।૦૨:૩૨।।
(આપમેળે પ્રાપ્ત થયેલું યુદ્ધ સ્વર્ગના પ્રવેશદ્વાર ઉઘાડનારું હોય છે. એ ક્ષત્રિયો ભાગ્યશાળી છે, જેઓને આવા અવસર સાંપડે છે.)

हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम्।
तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः।।૦૨:૩૭।।
(યુદ્ધમાં મરીને તું સ્વર્ગ પ્રાપ્ત કરશે અથવા જીતીને પૃથ્વી ભોગવશે. માટે, હે કૌન્તેય! યુદ્ધનો નિશ્ચય કરી ઊભો થા.)

યુદ્ધ માટેની મનુષ્યોની માનસિકતા સમજવી સરળ નથી. ‘યુદ્ધ કાવ્ય માટે પૂછવામાં આવતાં’ યિટ્સે કહ્યું હતું: ‘મને લાગે છે કે આવા સમયે એક કવિનું મોં બંધ રહે એ વધુ યોગ્ય છે.’ માણસ પોતાની તાકાતનું સૌથી મોટું અને વરવું પ્રદર્શન યુદ્ધમાં કરે છે. જે યુદ્ધ આજે અનિવાર્ય, જીવનમરણનો પ્રશ્ન લાગતું હોય, એય આખરે તો ઇતિહાસનું એક પૃષ્ઠ જ બની જવાનું. કાળાં હોય કે સફેદ, રાજા હોય કે સૈનિક, ખેલ પૂરો થતાં તમામ પ્યાદાંઓએ એક જ બોક્સમાં બંધ થવાનું છે. એચ. જી. વેલ્સે કહ્યું હતું: ‘આપણે યુદ્ધનો અંત નહીં આણીએ, તો યુદ્ધ આપણો અંત આણશે.’ ઇતિહાસના લોહિયાળ પૃષ્ઠોમાંથી આપણે ક્યારેય શીખ લઈશું કે કૂતરાની પૂંછડી વાંકી જ રહેશે? નાયિકાને વિલાપ કરતી છોડી સત્તાધીશો નાયકને યુદ્ધમાં જોતરાવા તાણી ગયા. નાયિકાને સમજાતું નથી કે એના ખાલી થઈ ગયેલા હૃદયના કપને શેનાથી અને કેમે કરીને ભરવો? (‘હૃદયકપ’ શબ્દ વાપરતી વખતે બે’ક પળ અટકી જવાયું. કપનું ગુજરાતી શું કરવું? આપણી ભાષામાં કોઈ શબ્દ છે? વળી, અંગ્રેજી કપ જે રીતે અરબી રકાબી સાથે ઘડિયા લગ્ન લઈને ટેબલ-ખુરશીની જેમ ગુજરાતી થઈ ગયો છે, એ જોતાં હૃદયકપ શબ્દ અનુચિત લાગતો નથી.)

સ્ત્રીસહજ છઠ્ઠી ઇન્દ્રિયગત નાયિકાને પ્રતીતિ છે કે એનો કંથ ગયો એ ગયો. કદી પરત નહીં ફરે. યુદ્ધનો તો ક્યારેકેય અંત આવશે, પણ યુદ્ધ જે જીવન એના જીવનમાંથી ખેંચી ગયું, એ કદી પાછું આવનાર નથી. ૨૪૦૦ વર્ષ પૂર્વે પ્લેટોએ કહ્યું હતું, ‘ફક્ત મૃતકોએ જ યુદ્ધનો અંત જોયો છે.’ એ જ અરસામાં હેરોડોટસે પણ કહ્યું હતું: ‘શાંતિમાં, પુત્રો પિતાઓને દફનાવે છે, યુદ્ધમાં પિતાઓ પુત્રોને.’ નાયિકાએ પિયુને દરવાજામાંથી જે રીતે જતો જોયો છે, એનાથી એને મૃત્યુની ખાતરી થઈ છે. દરવાજો કદાચ ઘરનો નહીં, જીવનનો છે. નાયક ઘરમાંથી નહીં, જીવનમાંથી ગર્વાન્વિત ચાલે જઈ રહ્યો છે. આ મોટાઈનું કારણ આગળના બંધમાં છે, પણ નાયકના જંગપ્રસ્થાનની રીત જોઈને નાયિકાને સમજાઈ ગયું છે કે એનો મધુર પ્રણય, ગમે એટલો સાચો કેમ ન લાગતો હોય, સાવ ખોટો છે. પ્રિયતમે માત્ર પોતાના ગૌરવનો જ વિચાર કર્યો છે. પોતાની પાછળ પ્રેયસી/પત્નીના હાલ બેહાલ થાય એ વિશે એણે કશું વિચાર્યું નથી. આ જ કારણોસર નાયિકા પોતાની પ્રીત નક્કી જૂઠી જ હોવાના આત્મસ્વીકારની પુનરોક્તિ કરી અધોરેખિત કરે છે.

સજીવારોપણ અલંકાર વડે કવયિત્રી મનમોહિની, નિર્લજ્જ અને ઉદ્ધત મરણસુંદરીને ચાક્ષુષ કરે છે. રણાંગણમાં ખપ્પર હાથમાં લઈને પ્રતીક્ષારત ઊભેલ મૃત્યુ પુરુષોને લલચાવનારી લલના સમું છે. પુરુષો પર ભૂરકી નાંખવામાં એને કોઈ શરમ નથી. ધૃષ્ટતાપૂર્વક પોતાના અવર્ણનીય, અકથનીય સૌદર્યપાશમાં એ પુરુષોને જકડી લે છે. વળી, આ કામ એ અધિકૃતતાપૂર્વક કરે છે. એનો બાહુપાશ સાધિકાર નાગચૂડ બનીને સૈનિકોને ભીંસે છે, અને ફસાયા પછી છૂટવું સંભવ નથી. ગમે એવો ભડ માણસ કેમ ન હોય, મરણસુંદરી એને પાણી-પાણી કરી દે છે. ભલભલા સંગદિલને પીગાળી દે છે. જૉન સ્ટેઇનબેકના કહેવા મુજબ ‘તમામ યુદ્ધ લક્ષણ છે, મનુષ્યની વિચારશીલ પ્રાણી તરીકેની વિફળતાનું.’ નાયક પણ યુદ્ધનો પ્રસ્તાવ આવતાવેંત મરણમોહિનીના પ્રભાવ હેઠળ આવી ગયો હતો. એટલે જ એ પેલા દરવાજામાંથી ગૌરવ અનુભવતો પસાર થયો હતો. બર્ટ્રાન્ડ રસેલે સાચું જ કહ્યું હતું: ‘યુદ્ધ એ નક્કી નથી કરતું કે કોણ સાચું (Right) છે –ફક્ત કોણ બચ્યું (Left) છે.’ મરનાર વ્યક્તિ યુદ્ધ આલેખવા ઉપસ્થિત હોતો નથી, અન્યથા યુદ્ધની (દુષ્)ગૌરવગાથાઓ અલગ જ હોત. સામાન્યરીતે યુદ્ધ અશાંતિ દૂર કરવા માટેનું પ્રમુખ બહાનું છે, પણ ‘શાંતિ માટે લડવું એ બ્રહ્મચર્ય માટે સંભોગવા બરાબર છે.’ (સ્ટીફન કિંગ) ‘બે સૌથી શક્તિશાળી યોદ્ધાઓ છે ધીરજ અને શાંતિ.’ (ટૉલ્સ્ટોય) પણ આ બે યોદ્ધાઓનો ઉપયોગ માનવજાતે કદી કર્યો જ નથી:

યુદ્ધની ભાષા મળી પ્રસ્તાવમાં,
શાંતિ જગમાં સ્થાપવાની આ ક્ષણે.

યુદ્ધની શરૂઆત તો આપણી ઇચ્છાથી થાય, પણ અંત ઇચ્છાશક્તિના દાયરા બહાર હોય છે. નાયિકાને ખાતરી છે કે એ નાયક જ હશે જેણે યુદ્ધની આભાથી અંજાઈને સામે ચાલીને મરણમાળા પહેરવા ગળું આગળ ધર્યું હશે, હકલાઈને પણ હા કહી હશે. સ્ત્રી પુરુષને કેટલી સારી રીતે ઓળખે છે! પુરુષે એને ત્યાગી યુદ્ધ સ્વીકારવામાં ઘડીભર વિલંબ કર્યો નથી. ઊલટું એ તો ટટ્ટાર ચાલે, લાંબા કદમે ઘર બહાર નીકળી ગયો. પાછળ ઘર-પરિવારની શી અવદશા થશે એનો વિચાર સુદ્ધાં એણે કર્યો નથી. વિચાર કર્યોય હોય, તો એને અવગણીને, પ્રાધાન્ય આપ્યા વિના પોતાના મનનું ધાર્યું જ કરવા પ્રવૃત્ત થઈ ગયો. યુદ્ધના ભ્રામક ખ્યાલોમાં રત, પુરુષ માટે એના ગણવેશ પર ઉમેરાનાર તારક-ચંદ્રકો-પદવીથી વિશેષ કશું નથી. મરીને અમર થઈ જવાના ભ્રમથી ભરેલા-મરેલા આવા લોકોની કબરોથી દુનિયા ભરી પડી છે. કુર્દીશ કવિ અબ્દુલ્લા પાશ્યુની ‘અજાણ્યો સૈનિક’ કવિતા જુઓ:

કોઈ દિવસ કોઈ મારી ધરતી પર આવે
અને મને પૂછે,
‘અહીં અજાણ્યા સૈનિકની કબર ક્યાં છે?’
તો હું એને કહીશ:
‘મહોદય,
કોઈપણ નદીનાળાંના કિનારા પર,
કોઈપણ મસ્જિદની બેઠક પર,
કોઈપણ ઘરની છાંયમાં,
કોઈપણ ચર્ચના ઉંબરા પર,
કોઈપણ ગુફાના દરવાજે,
પર્વતોમાં કોઈપણ ચટ્ટાન પર,
બગીચાઓમાં કોઈપણ ઝાડ પાસે,
મારા દેશમાં
જમીન પર કોઈપણ જગ્યાએ
આકાશમાંના કોઈપણ વાદળ તળે,
સહેજ પણ ચિંતા કર્યા વિના,
આદરથી સહેજ ઝૂકીને
પુષ્પમાળા મૂકી દો.’

તસ્બીના મણકાની જેમ કવિતા શરૂ થઈ હતી, ત્યાં જ આવીને પૂરી થાય છે. વિષાદનું વર્તુળ સંપૂર્ણ થાય છે. કાવ્યારંભે માને પૂછેલો પ્રશ્ન કાવ્યાંતે દીકરી દોહરાવે છે: ‘ખુશી ક્યાં છે,હેં મા?’ દેશ કદાચ યુદ્ધ જીતી જશે, પતિની નામના થશે, પરિવારનું ગૌરવ થશે પણ પરિવારજનોની ખુશી? એ ક્યાં? એવું કયું માન-અકરામ છે, એવાં કયાં ખિતાબ-પદવી છે, જે સ્વજનની ખોટને ખુશીથી ભરી શકે? કદાચ, કોઈ જ નહીં… પ્રેમ-મૃત્યુ, વિરહ-વેદના, યુદ્ધ-તબાહી –આ બધું ચૌદ પંક્તિની કવિતામાં જાણે ગ્વિન્ડોલિને ઠાંસી-ઠાંસીને ભરી આપ્યું છે. પરિણામે સરળ શબ્દોમાં સીધીસટ વાત કહેતી આ કવિતા વાંચતા આપણા શરીરમાં ઠંડીનું એક લખલખું ફરી વળે છે…

ગ્લૉબલ કવિતા : ૨૧૪ : મને લાગે છે… -સેફો (ગ્રીક)

It seems to me…

That man seems to me to be equal to the gods
who is sitting opposite you
and hears you nearby
speaking sweetly

and laughing delightfully, which indeed
makes my heart flutter in my breast;
for when I look at you even for a short time,
it is no longer possible for me to speak

but it is as if my tongue is broken
and immediately a subtle fire has run over my skin,
I cannot see anything with my eyes,
and my ears are buzzing

a cold sweat comes over me, trembling
seizes me all over, I am paler
than grass, and I seem nearly
to have died.

but everything must be dared/endured, since (?even a poor man) …

– Sappho


મને લાગે છે…

પેલો પુરુષ મને દેવતાઓ સમાન લાગે છે,
જે તારી સન્મુખ બેઠો છે
અને ખૂબ નજીકથી સાંભળી રહ્યો છે
તને મીઠું બોલતી

અને મજાનું હસતી, જેના કારણે સાચે જ
મારું હૃદય છાતીમાં ફડફડે છે;
કેમ કે જ્યારે હું ક્ષણાર્ધ માટે પણ તારી તરફ જોઉં છું
ત્યારે મારા માટે કશું પણ બોલવું શક્ય રહેતું નથી

જાણે કે મારી જીભ જ ભાંગી કેમ ન ગઈ હોય
અને તરત જ એક ઝીણી આગ મારી ચામડી પર ફરી વળે છે,
મારી આંખો આગળ ઝાંખપ ફરી વળે છે,
અને મારા કાન વાગવા માંડે છે

એક ઠંડો પસીનો ફરી વળે છે, લખલખુ
મને ઝડપી લે છે, હું ઘાસ કરતાં પણ વધારે
ફિક્કી પડી જાઉં છું, અને હું, લાગે છે કે, લગભગ
મૃત્યુ પામી છું.

પરંતુ બધામાં સાહસ તો કરવું જ જોઈએ, કેમ કે (અને ગરીબ…)

-સેફો (ગ્રીક)
અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર


ઈર્ષ્યા – પ્રેમની પેથોલોજીની પરાકાષ્ઠા

ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્-
છે સાત પગલાં આજ સાચા કોઈપણ સંબંધમાં.

– સાચે જ! ગમે એટલો મજબૂત સંબંધ કેમ ન હોય, સમય એમાં આ સાતેય કે વધતા-ઓછા ભાવ ભરવા જેટલું પોલાણ કરી જ દે છે. આ સાતેસાત ભાવોથી પર હોય એવો સંબંધ તો દેવોને પણ નસીબ થયો નથી, તો આપણી તો વાત જ શી કરવી! દુનિયામાં કદાચ એકેય સગપણ એવું નહીં હોય, જેમાં આ સાતમાંથી એકેય હાજર ન હોય. પણ આપણે આજે આ સાતેયની વાત કરવાની નથી. સેફોની પ્રસ્તુત રચનામાં ઈર્ષ્યા કેન્દ્રસ્થાને છે, એટલે આપણે આપણું ફૉકસ એના પર જ રાખીએ. ‘ઈર્ષ્યા જ્યારે આળસ મરડે, ખાર તો શું, ખુદ ફૂલો કરડે.’ (અમર પાલનપુરી)

લગભગ છવ્વીસસો વર્ષ પહેલાં ગ્રીસમાં ઇજિઅન સમુદ્રમાં લેસ્બોસ ટાપુ –જ્યાંની દેવી લેસ્બો હતી- પર નવ ઉત્તમ ગીતકવિઓ થઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે, આમાં સેફો (ઇ.પૂ. આશરે ૬૩૦-૫૭૦)નું સ્થાન આગવું છે. કહે છે કે એ ધનાઢ્ય પરિવારમાંથી હતી અને એના ત્રણ ભાઈ હતા. એક પુત્રી નામે ક્લેઇસ હતી. ઇ.પૂ. ૬૦૦માં એને રાજકીય કારણોસર સિસીલી દેશનિકાલ કરવામાં આવી હતી. એણે ખૂબ લખ્યું હતું. લગભગ દસેક હજાર પંક્તિઓ. ૬૫૦ બચી છે આજે. એની કવિતાઓ પરથી જીવનનો તાળો મેળવવાની કોશિશ આજેય ચાલુ છે. સેફો એટલે જાણે ‘લેસ્બિયન’ શબ્દનો પર્યાય – સ્ત્રી સમલૈંગિક્તાનું પ્રતીક! એના છસો વર્ષ પછી થયેલા ઓવિડની રચનાઓમાંથી પ્રતીત થાય છે કે એ શિક્ષિકા હતી અને વાયકાનુસાર સ્ત્રીવિદ્યાર્થિનીઓ સાથે સમલૈંગિક સંબંધ ધરાવતી હતી. આ વાતનો વિરોધ કરનારા પણ છે. હકીકત ચકાસવાનું કામ જો કે ઇતિહાસકારોનું, આપણું કામ તો એની કવિતાઓ પૂરતું.

લઘુકાવ્યો, શોકાંતિકાઓ અને પ્રણયપ્રચૂર ગીતકાવ્યો સેફોની વિશેષતા. એની ભાષાની સફાઈ, વિચારની સરળતા અને ઉત્તમ શબ્દચિત્રો ધ્યાનાર્હ છે. ઘણા એને ગ્રીક-રોમન કળા-વિજ્ઞાનની નવ દેવીઓ (muse) પછીની દસમી ગણે છે. પરવીન શાકિર અને મીનાકુમારીની જેમ સ્ત્રીગત સંવેદનની આત્મકથનાત્મક અભિવ્યક્તિ એનો પ્રમુખ કાકુ છે. એ કહે છે, ‘કામદેવતા ઝબ્બે કરી લે છે અને ઝંઝોડે છે મારા આત્માને, જે રીતે પર્વત પર પવન પુરાણા દેવદારને હલાવે છે.’ સેફોના ગીતો વિશે ઇસ્વીસનની પહેલી સદીમાં થઈ ગયેલ લોન્જાઇનસ (Longinus) કહે છે, ‘તમને શું આશ્ચર્ય નથી થતું જે રીતે એ(સેફો) એકીસાથે થીજાવે છે અને બાળે છે, અતાર્કિક છે અને સમજદાર છે, ભયભીત છે અને મૃતઃપ્રાય છે? સેફો આવેશના સૌથી આઘાતજનક અને ઝનૂની સંજોગો પસંદ કરે છે અને સુસંગત સંપૂર્ણતામાં ઢાળે છે.’ અઢી હજારથી વધુ વર્ષોથી એની કવિતાઓ આજપર્યંત કવિઓ-ભાવકોને પ્રેરણા આપતી રહી છે કેમકે એ આપણા મન-હૃદયના અંગતતમ ભાવોને સીધેસીધી સ્પર્શી જાય છે. છસો વર્ષ પછી કટલસે લગભગ ઊઠાંતરી કહી શકાય એ રીતે સેફોના આ કાવ્યને પોતાનો સ્પર્શ (Catullus 51) આપ્યો હતો.

સેફોની ભાષા લેસ્બૉસ ટાપુની સ્થાનિક ઇઓલિક બોલી હતી. પ્રસ્તુત રચના ૩૧મો ટુકડો ગણાય છે, જેના સોથી વધુ તો માત્ર અંગ્રેજી અનુવાદ થયા છે, બીજી ભાષાઓના તો અલગ! સેફોએ કોઈ શીર્ષક આપ્યું જણાતું નથી પણ રચના ‘મને લાગે છે’થી જાણીતી થઈ છે. સેફોના ગીત અને શૈલી એટલા પ્રભાવક થયા કે જે છંદોલયમાં એ લખતી એનું નામ Sapphic stanza પડ્યું, જેમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણ પંક્તિ અગિયાર (hendecasyllable)અને ચોથી, ટૂંકી પંક્તિ પાંચ (adonic) શબ્દાંશથી (syllable) બને છે. આપણે ત્યાં મરાઠીમાંથી આવેલ અંજનીગીત આના જેવું જ છે. અંજનીગીતમાં ચાર પંક્તિના અંતરામાં પહેલી ત્રણમાં સોળ અને ચોથીમાં દસ માત્રા હોય છે. પ્રસ્તુત રચનામાં ચાર સેફિક સ્ટૅન્ઝા અને એક છૂટી પંક્તિ છે. મોટા ભાગના અનુવાદકોએ મુખ્ય રચનાથી છૂટી અને અધૂરી જણાતી આખરી પંક્તિને અવગણી છે. વિકીપિડિયા પર મૂળ ગ્રીક કવિતાના સ્વરૂપને (છંદને નહીં) વફાદાર અંગ્રેજી અનુવાદને અહીં આધારભૂત ગણ્યો છે.

મનમાં પ્રેમવશ જાગતી સ્ત્રીસહજ ઈર્ષ્યાનું આ કાવ્ય છે. કવિતામાંથી પસાર થતાં સમજાય છે કે આ દૃશ્ય કોઈક પાર્ટીનું હોવું જોઈએ. તત્કાલીન ગ્રીસમાં જાહેરમાં અને જાહેર પ્રસંગોએ વ્યક્તિગત અને સમૂહગત પ્રણયકેલિઓ સામાન્ય હતી. સમલૈંગિકતા પણ સમાજસ્વીકૃત અભિવ્યક્તિ હતી અને મોટાભાગના પુરુષો સેક્સ તરફ ઉભયલિંગી અભિગમ ધરાવતા હતા. જો કે પુરુષોના સમલૈંગિક સંબંધોમાં એક પુરુષ સામાન્ય રીતે વયસ્ક કે પ્રૌઢ અને બીજો તરુણ જ રહેતો. અહીં, નાયિકા જે સ્ત્રી સાથે સમલૈંગિક પ્રેમમાં બદ્ધ છે એ કોઈક બીજા પુરુષના આશ્લેષમાં પ્રેમના ગીત ગાઈ રહી છે. નોંધવા જેવી વાત એ છે કે કવિતાની શરૂઆત નાયિકા ન તો પોતાનાથી કરે છે કે ન તો પોતાની દિલોજાન પ્રેયસીથી. કવિતાની શરૂઆત થાય છે પેલા અજાણ્યા પુરુષથી, એ પુરુષ જે નાયિકાના તનબદનમાં અદેખાઈનો દાવાનળ સળગાવે છે અને પ્રેમની પેથોલોજી કહી શકાય એવા શારીરિક-માનસિક કષ્ટ જન્માવે છે. પોતાના પ્રેમને છીનવી શકવાની ક્ષમતાયુક્ત એ પુરુષ નાયિકાને દેવતાઓની સમકક્ષ લાગે છે, કેમકે કાળા માથાના મનુષ્ય પાસે તો આવું દૈવત ક્યાંથી હોય? આવું દુર્ગમ કાર્ય સફળતાપૂર્વક તો કોઈ દેવતા જ પાર પાડી શકે ને?

પુરુષ નાયિકાની પ્રેયસીને અડોઅડ બેઠો છે. ખૂબ નજીકથી એ એને મધુરું બોલતાં ને મજાનું હસતાં સાંભળી રહ્યો છે અને એ બેનું તારામૈત્રક જોઈને નાયિકા ઈર્ષ્યાથી બળી મરે છે. એરિસ્ટોટલે કહ્યું હતું એમ, ‘અન્યોના સદભાગ્ય પર તકલીફ થાય એ ઈર્ષ્યા.’ કોઈપણ સંબંધના શરીરમાં પ્રેમ અને ઈર્ષ્યા બે પગ જેવા છે. એક જ મૂળથી જોડાયેલા હોવા છતાં બંને એકમેકથી સાવ અલગ જ છે. ચાલતી વખતે બંને પગ વારાફરતી આગળ-પાછળ થયે રાખે એવું જ સંબંધ ચાલતો હોય ત્યારે પ્રેમ અને ઈર્ષ્યાનું છે. બંને એકાંતરે આગળ-પાછળ થયા કરે છે. બે પગ અડખેપડખે રાખીને ચાલી શકાતું નથી, એ જ રીતે પ્રેમ અને ઈર્ષ્યા બે એક સાથે આવી જાય ત્યારે ભલભલો સંબંધ ઊભો રહી જાય છે. પ્રેમ અને ઈર્ષ્યા ભેગાં થઈ જાય ત્યારે સંબંધમાંથી ગતિ પગ કરી જાય છે. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘તમારી જાતને પ્રેમમાં ધકેલો મા, માલિકીભાવથી વેગળા રહો, કેમકે આ પ્રેમના લક્ષણ નથી. પ્રેમ એટલે આઝાદી.’ પણ આપણામાંથી બહુ ઓછા પ્રેમમાં આઝાદી મેળવી શકે છે. પ્રેમનું વહેતું પાણી તળાવની સ્થિરતાને પામ્યું નથી કે ઉપર ઈર્ષ્યા, અપેક્ષા, બેવફાઈ, જૂઠ, શક, હક, ને અહમ્ – આ સાતમાંથી એક કે એકાધિકની લીલ બાઝવી શરૂ થઈ નથી. અને લીલ બાઝતાવેંત જ સગપણ લપસણું બનવા માંડે છે.

પ્રેમ વિપુલદર્શક કાચમાંથી જુએ છે, ઈર્ષ્યા સૂક્ષ્મદર્શક કાચમાંથી. સંત ઑગસ્ટિને તો કહ્યું કે, ‘જે અદેખો છે, એ પ્રેમી નથી.’ બધા જ કહે છે કે પ્રેમ સાચો હોય તો ઈર્ષ્યાથી પર હોય છે પણ સાચો પ્રેમ હોય છે ખરો? પ્રેમનું વર્તુળ રચાવાની સાથે જ અધિકાર એમાં કેન્દ્રસ્થાન મેળવી લેતો હોય છે અને અધિકારના કોટના ખિસ્સા તપાસીએ તો અંદર નકરી અદેખાઈ જ ભરી હોય છે. બીજી પણ એક કવિતામાં સેફો ઈર્ષ્યાની વાત કરે છે, ‘બધા તારાઓએ એમના ચહેરા ફેરવી લીધા, જ્યારે મંદ ચંદ્ર પૂર્ણ પ્રકાશ્યો.’ શેક્સપિઅરના ‘ઑથેલો’માં તો ઈર્ષ્યા કદાચ મુખ્ય પાત્ર છે. ઇઆગો ઑથેલોને કહે છે: ‘નામદાર! ઈર્ષ્યાથી ચેતીને ચાલજો, આ લીલી આંખવાળો રાક્ષસ જેના પર નભે છે એની જ ઠેકડી ઊડાવે છે.’ (અંક ૦૩, દૃશ્ય ૦૩) શેક્સપિઅરના નાટકો અને કવિતાઓ જ નહીં, દુનિયાભરના સર્વકાલીન સાહિત્ય-કળાઓમાં ઈર્ષ્યા મોખરાનું સ્થાન ધરાવે છે કેમકે ઈર્ષ્યા મનુષ્યમાત્રનો સ્વ-ભાવ છે. ઈર્ષ્યાથી પર તો દેવતાઓ થઈ શક્યા નથી, આપણું શું ગજુ? આપણા શાસ્ત્રોમાં જે ષડ્રિપુ કહેવાયા છે એમાં મત્સર યાને અદેખાઈ એક છે. ‘અન્ય કોઈની ઉત્કૃષ્ટતા જોઈને જન્મતી અસહિષ્ણુતાની સ્થિતિ’ને શંકરાચાર્ય ઈર્ષ્યા કહે છે. રામાયણ અને મહાભારતના મૂળ અનુક્રમે કૈકયી અને દુર્યોધનની અદેખાઈમાં રહેલાં છે.

એક ચાટુક્તિમાં સેફો કહે છે, ‘વેરના વિષયમાં મૌન હું નિર્દોષતાને વળગી રહું છું.’ અહીં પણ પોતાની પ્રેયસીને અન્ય પુરુષ સાથે પ્રેમાચારમાં લીન જોવા છતાં નાયિકા કોઈ પગલાં લઈ શકતી નથી. પોતાની પ્રેયસીને દેવસમ સંપૂર્ણ પુરુષની સન્નિકટ જોઈને એનું હૃદય ઝડપથી ધડકી રહ્યું છે. એ સ્વીકારે છે કે છાતીના પિંજરામાં કબૂતર સમું એનું હૈયું સાચે જ ફફડી રહ્યું છે. એ એની સામે તાકીને જોઈ પણ શકતી નથી, કેમકે ક્ષણાર્ધભર પર જો એ પ્રિયા સામે જુએ છે, તો એના માટે કશું પણ બોલવું સંભવ રહેતું નથી.
જીભ જાણે કે ભાંગી જાય છે. તનબદનમાં આગ લાગે છે. આગ ઝીણી જ છે પણ ઘાસની ગંજીમાં જે ઝડપે ફેલાઈ વળે એ ત્વરાથી એની ત્વચા પર સમગ્રતયા ફરી વળે છે. માત્ર મનમાં જ નહીં, તન આખામાં અસહ્ય દાહ અનુભવાય છે. આંખો આગળ ઝાંખપ ફરી વળે છે. પ્રેમને તો આમેય અમસ્તો આંધળો કહ્યો નથી. ને એમાં અહીં તો ઈર્ષ્યા પણ ઉમેરાઈ છે. એટલે અપ્રિય કશું જોઈ શકવું સંભવ જ નથી. જુરઅત કલંદર બખ્સ જેવો શાયર આવા પ્રસંગે આવું કહે,

कर लेता हूँ बंद आँखें मैं दीवार से लग कर
बैठे है किसी से जो कोई प्यार से लग कर।

ઈર્ષ્યા નામે મહારથી એક પછી એક ગઢ સર કરી રહ્યો છે. હૃદય કાબૂ બહાર થયું. વાચા હરાઈ ગઈ. તનમન સળગી રહ્યાં છે. આંખો જોતી બંધ થઈ ગઈ છે. કાનમાં તમરાં બોલી રહ્યાં છે. શરીર આખું પસીને રેબઝેબ ઠંડુગાર પડી જાય છે. કાંપવા માંડે છે અને સૂકા ઘાસ કરતાં પણ ફિક્કું પડી જાય છે. કશું જ બાકી રહેતું નથી. પ્રેમ માણસને સાચે જ પરવશ કરી દે છે. પ્રેમ તમારી જિંદગીની બાગદૌર અન્યના હાથમાં સોંપી દે છે. તમામ ઇન્દ્રિયો લકવો પડી ગયો હોય એમ સૂન્ન પડી ગઈ છે. શરીરે આગની લાહ્ય અનુભવાય છે પણ પરસેવો ઠંડો ફરી વળે છે. ગુણધર્મે સાવ વિપરીત હોવા છતાં આગ અને બરફ બંને જ દઝાડે છે. પણ એકીસાથે ઉભયની દાહકતાનો અનુભવ તો ઈર્ષ્યા નામે જાદુગર જ કરાવી શકે ને! પ્રેમની પરાધીનતામાં નાયિકા એ સ્થળે પહોંચી છે, જ્યાં અબઘડી મોત આવી જાય તો સારુંની લાચારી સ્વીકારી લેવી પડે છે. જાવેદ અખ્તરના દાદા મુજ્તર ખૈરાબાદી કહી ગયા એવું કાશ, આ નાયિકાને કોઈ ન કહે:

तुम्हें चाहूँ, तुम्हारे चाहनेवालों को भी चाहूँ,
मेरा दिल फ़ेर दो, मुझ से ये झग़डा हो नहीं सकता।

સેફોનો અંદાજ કંઈક આવો જ છે. પણ એ દિલના હાથે મજબૂર છે. પ્રેમ નામના શખ્સે એને બેબસ બનાવી દીધી છે. એના ગાત્રો ગળી જાય છે. બીજું કશું કરવું શક્ય ન હોવાથી, પ્રણયલાગણીઓના આવેશની ચરમસીમા કવયિત્રી શબ્દોની મોજડી પહેરીને લાંઘે છે. ખરું જોઈએ તો કવયિત્રીનું ધ્યાન પ્રેયસી કે દેવપુરુષ તરફ નહીં, માત્ર પોતાની તરફ છે. જે પ્રેમ એને બેસુધ બનાવી દે છે, એના કારણે સર્જાતી સંવેદનાની આંધીને કાળજીપૂર્વક પૂરી સભાનતા સાથે એ સ્ટેપ-બાય-સ્ટેપ રજૂ કરે છે. ફ્રૉન્સ્વા દ લા રોશેફકોલ્ડ (François de La Rochefoucauld) નામના વિચારકે કહ્યું હતું, ‘ઈર્ષ્યામાં જાત માટેનો પ્રેમ, પ્રેમ કરતાં વધુ હોય છે.’

નાયિકાને લાગે છે કે લગભગ મરી જ ચૂકી છે. પોતાની પ્રેયસીનું પોતાની ઉપસ્થિતિમાં જ પોતાને અવગણીને અન્ય પુરુષ સાથે આમ મુખામુખ હોવું એક પ્રકારનું મોત જ ને? મૃતપ્રાય અવસ્થાની લાચારીમાં હવે શું કરવું? જવાબ આખરી કડીમાં છે. પાંચમા અંતરાની એક જ પંક્તિ સંશોધકોને હાથ લાગી છે. આ અધૂરી પંક્તિમાં કંઈક એવું સમજાય છે કે હાથથી સરી જતી પ્રેયસીને પામવા માટે સાહસ કરવું જ જોઈએ કેમકે સર્વસ્વ ગુમાવી દીધા બાદ વધુ ગુમાવવા માટે કંઈ બચે છે ખરું? સાહસના ગજવામાં સંભાવનાનો સિક્કો પડ્યો હોય છે. સાહસ જ ન કરો તો એ સિક્કો ક્યાંથી હાથ લાગે? સહન કરી શકાય ત્યાં સુધી સહો, પણ સહન ન કરી શકાય અને સર્વસ્વ દાવ પર લાગ્યું હોય તો સાહસ કહો કે દુસ્સાહસ, કરવું જ જોઈએ. રૂમી કહે છે, ‘પાંખો ખોલી શકો અને આત્માને ઈર્ષ્યાથી પર કરી શકો તો તમે અને આસપાસની દરેક વ્યક્તિ કબૂતર પેઠે ઊડી શકશે.’ ઈર્ષ્યાથી ભરેલો સંબંધ પંક્ચર પડેલી ગાડી જેવો છે, તમે એમાં બેસી તો શકો છો પણ લાંબુ જઈ શકતા નથી…. વાત તો સાચી પણ ઈર્ષ્યાથી પર અને પાર થઈ શકવાનું ઐશ્વર્ય કેટલાને હાંસિલ?! કહો તો…

ગ્લૉબલ કવિતા : ૨૧૩ : મુસાફરી – મેરી ઑલિવર

The Journey

One day you finally knew
what you had to do, and began,
though the voices around you
kept shouting
their bad advice–
though the whole house
began to tremble
and you felt the old tug
at your ankles.
“Mend my life!”
each voice cried.
But you didn’t stop.
You knew what you had to do,
though the wind pried
with its stiff fingers
at the very foundations,
though their melancholy
was terrible.

It was already late
enough, and a wild night,
and the road full of fallen
branches and stones.
But little by little,
as you left their voices behind,
the stars began to burn
through the sheets of clouds,
and there was a new voice
which you slowly
recognized as your own,
that kept you company
as you strode deeper and deeper
into the world,
determined to do
the only thing you could do–
determined to save
the only life you could save.

– Mary Oliver

મુસાફરી

એક દિવસ આખરે તમે જાણી ગયા કે
તમારે શું કરવાનું છે અને શરૂ કર્યું,
ભલે તમારી આસપાસના અવાજો
એમની બકવાસ સલાહો આપતા
ચિલ્લાતા રહ્યા હતા-
ભલે ઘર આખેઆખું
ધ્રુજવા માંડ્યું હતું
અને તમને જૂનું ખેંચાણ વર્તાવા લાગ્યું હતું
તમારી ઘૂંટીઓ પર.
“મારું જીવન દુરસ્ત કરો!”
-દરેક અવાજ પોકારતો હતો.
પણ તમે અટક્યા નહીં.
તમે જાણતા હતા કે તમારે શું કરવાનું છે,
ભલે પવન એની કઠોર આંગળીઓ વડે
ખણખોદતો હતો
છેક પાયાઓને,
ભલે એમની ગ્લાનિ
ભયંકર હતી.

પહેલાં જ વધુ પડતું મોડું
થઈ ચૂક્યું હતું, અને રાત તોફાની હતી,
અને રસ્તો પણ ભર્યો પડ્યો હતો તૂટેલ
ડાળીઓ અને પથરાંઓથી.
પણ ધીમે-ધીમે,
જેમ જેમ તમે એમના અવાજોને પાછળ છોડતા ગયા,
વાદળાંઓની રજાઈઓમાંથી
તારાઓએ ચમકવું શરૂં કરી દીધું,
અને એક નવો જ અવાજ સંભળાયો
જે ધીરે રહીને તમે
ઓળખ્યો કે તમારો ખુદનો જ હતો,
જેણે આ દુનિયામાં
તમારી સંગત જાળવી રાખી
જેમ જેમ તમે આઘે ને આઘે ફર્લાંગ ભરતા ગયા,
સંકલ્પબદ્ધ કરવા માટે
એ એકમાત્ર વસ્તુ જે તમે કરી શકો છો-
સંકલ્પબદ્ધ બચાવવા માટે
એ એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો.

– મેરી ઑલિવર
(અનુ.: વિવેક મનહર ટેલર)
એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો…

ઇયળ આપણે બધાએ જોઈ છે. ઠિચૂક-ઠિચૂક ચાલતી ભદ્દી ઇયળ કદાચ બધાંને ન પણ ગમે. પરંતુ એક દિવસ આ બદસૂરત કીટ ફૂલપાન ખાવાના જીવનચક્રને ત્યાગે છે. પોતાની લાળના તાંતણાંઓ પોતાની આસપાસ વીંટાળીને એ કોશેટો બનાવે છે, અને પોતે આ કોશેટામાં કેદ થઈ જાય છે. અઠવાડિયાઓના અંતરાલ બાદ કોશેટો તોડીને પતંગિયું બહાર આવે છે. બદસૂરત ઇયળ મનમોહક પતંગિયામાં પરિવર્તિત થઈ જાય છે. ઈંડાથી ઇયળ અને ઇયળથી પતંગિયા સુધીનું આ રૂપાંતરણ એક મુસાફરી છે. મેરીની આ કવિતા આવી જ એક કાયાપલટની મુસાફરીની વાત કરે છે.

મેરી ઓલિવર. ઓહાયો, અમેરિકામાં જન્મ (૧૦-૦૯-૧૯૩૫). પચાસથી વધુ વર્ષ માસાચુસેટ્સમાં. ૨૦૧૭માં આ લેખ પહેલીવાર લખ્યો ત્યારે જીવનસાથી ફોટોગ્રાફર મોલી મેલોની કૂકના નિધન બાદ ફ્લોરિડામાં રહેતાં હતાં. અગિયાર-બારની વયે કવિતા શરૂ કરી. એ કહેતાં, ‘પેન્સિલની મદદથી હું ચંદ્ર સુધી જઈ આવી’તી. કદાચ અસંખ્ય વાર.’ શાળામાંથી ગુલ્લી મારીને ચોપડીઓ સાથે જંગલમાં રખડવા જવામાં એક્કો. એમિલિ ડિકિન્સનની જેમ એકાકીપણું અને આંતરિક આત્મસંભાષણ એમની પ્રમુખ ચાહના. એકાંતવાસી. મિતભાષી. કવિતા જ બોલે એમ માનનારા. ચાલ-વાની બિમારી. જંગલમાં સ્વૈરવિહાર કરતાં કરતાં કવિતા લખવાના આદતી. એક વિવેચકે કહ્યું હતું કે, ‘મેરીની કવિતાઓ વધુ પડતા શહેરીકરણ માટે ઉત્તમ મારણ છે.’ બાળપણમાં ચર્ચમાં જતાં તો ખરાં, પણ ફાવતું નહીં. રૂમીથી એટલા પ્રભાવિત કે દિવસમાં એકવાર તો વાંચતાં જ. કોલેજ ગયાં પણ ડિગ્રી મેળવી નહીં. કવિ અને શિક્ષક તરીકે જીવ્યાં. ગરીબીમાં મોટા થયાં. ૨૦૧૨માં ફેફસાના કેન્સરમાંથી ઊભાં થયાં પણ કવિતાની જેમ ધુમ્રપાનની આદત ન છૂટી. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ લિમ્ફોમાના કારણે નિધન.

કવિતા, કાવ્યશાસ્ત્ર, કવિતા વિષયક પુસ્તકો અને નિબંધ -ખૂબ લખ્યું. છેલ્લે ૮૦ વર્ષની વયે પણ ‘ફેલિસિટી’ નામનો કાવ્યસંગ્રહ આપ્યો. અનેક પુસ્તકો. પુલિત્ઝર સહિતના ઢગલાબંધ પુરસ્કારો. કુદરત, સ્થાનિક રંગ અને રોમેન્ટિસિઝમનાં મૂળિયાં એમના સર્જનમાં દૃઢીભૂત થયેલાં દેખાય છે. સ્પષ્ટ અને માર્મિક અવલોકન અને હૂબહૂ આલેખનના કારણે એમની કવિતાઓ દિલની વધુ નજીક અનુભવાય છે. કવિતામાં કુદરત ઉપરાંત ‘હું’ને કેન્દ્રસ્થાને રાખે છે કેમકે એમનું માનવું હતું કે કવિનો ‘હું’ જ ભાવકનો ‘હું’ બની જાય છે. એમના મતે કવિતા એ ખૂબ જ એકાકી વ્યાસંગ છે.

૧૯૬૩માં પ્રગટ થયેલ ‘મુસાફરી’ સ્વરૂપની દૃષ્ટિએ મુક્તપદ્ય છે. સળંગસૂત્રી છે, સિવાય કે એક અંતરાલ જે છત્રીસ અનિયત પંક્તિલંબાઈવાળી કવિતાને અઢાર-અઢાર પંક્તિના બે સમાન ખંડોમાં વહેંચે છે. કોઈ નિર્ધારિત પ્રાસરચના પણ અમલી નથી કેમકે દુન્યવી અંધાધૂંધીની આંધીમાંથી નીકળતી જિંદગીની આ કવિતા છે. જિંદગીમાં કેઓસ હોય છે, પ્રાસ કે છંદ નહીં. પહેલી અઠાર પંક્તિમાં નાનામોટાં પાંચ વાક્યો છે, જેમાંનું પહેલું વાક્ય નવમી લીટીમાં જઈને વિરમે છે. બીજા ખંડમાં એક જ વાક્ય અઢારેઅઢાર લીટીઓ કવર કરી લે છે. આ સળંગસૂત્રિતાના કારણે ભાવક પણ મુસાફરી કરતો હોય એમ એકીશ્વાસે કવિતામાંથી પસાર થાય છે. રૂપક શારીરિક યાત્રાનું છે, વાત વ્યક્તિગત બદલાવની, એકાકી-આધ્યાત્મિક મુસાફરીની છે. મેરીની કવિતાઓમાં સામાન્યતઃ પ્રકૃતિના વણપ્રીછ્યાં પાનાંઓ ખૂલે છે, પણ અહીં પ્રકૃતિ એક રૂપકથી વિશેષ નથી. કથનરીતિ દ્વિતીય પુરુષ સંબોધનની છે. ફરી-ફરીને પંદરેકવાર કવિતામાં ‘તમે-તમારું’ આવ્યે રાખે છે, જે ભાવકને સતત પકડમાં રાખે છે. પરિણામે, કથકનો આપણી સાથેનો આ એકતરફી વાર્તાલાપ આપણને આપણી સાથે જ થતો અનુભવાય છે. સ્વકેન્દ્રી રચના સર્વસ્પર્શી બને છે.

‘એક દિવસ આખરે તમે જાણી ગયા કે’થી કાવ્યારંભ થાય છે. અહીં ‘એક દિવસ’ અને ‘આખરે’ શબ્દ અગત્યના છે. એક દિવસ આખરે આ જાણ થઈ છે, મતલબ અનેક દિવસો, કદાચ વર્ષોનાં વર્ષ અજ્ઞાનતામાં વીતી ચૂક્યાં છે. આટઆટલો સમય આપણે કદાચ ઊંઘતાં જ રહી ગયાં. હશે, પણ જીવનમાં કેટલું ઊંઘી નાંખ્યું એના કરતાં જાગવાની ખટઘડી આવી કે કેમ અને આવી ત્યારે જાગ્યાં કે નહીં એ વધુ મહત્ત્વનું છે. આપણને બધાને એક દિવસ તો જાણ થાય જ છે કે આ सुब्ह होती है, शाम होती है; उम्र यूँ ही तमाम होती है (અમીરુલ્લાહ તસ્લીમ)ની ઘરેડમાં ઘાણીના બળદ પેઠે એક જ જગ્યાએ ફરતા રહ્યા હોવાના કારણે જિંદગીમાં यूँ भी होने का पता देते हैं, अपनी जंजीर हिला देते हैं (બાકી સિદ્દીકી)થી વિશેષ કંઈ સજીવ બચ્યું જ નથી.

મેરી કહે છે કે એક દિવસ આખરે આપણને ખબર પડી કે આપણે શું કરવાનું છે અને એ કરવું શરૂ પણ કર્યું. ઊઠ્યા તો ખરા જ, જાગ્યાય ખરા. કેમ? તો કે આજે અંદરથી ‘એ’ અવાજ આવ્યો છે. અને જ્યારે ‘એ’ અવાજ જાગે છે ત્યારે બાહ્ય કોલાહલ સંદર્ભો ગુમાવી બેસે છે. ઝાડ બધા પાંદડાં ખેરવીને નવા પર્ણોની તૈયારી કરે એમ જ આપણે પણ જૂનું બધું ખેરવીને નવા માર્ગ, નવા જીવનની તૈયારી કરવાની છે. બધાના જીવનમાં મહાભિનિષ્ક્રમણની આ તક ‘એક દિવસ’ ‘આખરે’ આવે જ છે, સવાલ માત્ર એટલો જ છે કે આ અવાજ આપણા કાન સાંભળશે ખરા કે આજુબાજુની માયાજાળ સદી ગઈ હોવાના કારણે આપણે એને અવગણીને સાંકળ હલાવતા બેસી રહીશું? મેરી પૂછે છે, ‘સાંભળો, તમે માત્ર જરા-તરા શ્વસી રહ્યાં છો એને જિંદગી કહો છો?’ એ કહે છે, ‘મારે ખતમ થવું નથી, આ વિશ્વની માત્ર એક મુલાકાત લઈને.’ અને એ આપણને પણ પૂછે છે, ‘કહો મને, શું છે તમારી યોજના તમારી આ એક જંગલી અને કિંમતી જિંદગી વડે?’

યાત્રા પ્રારંભાશે, ત્યારે દુનિયાભરની “સુગ્રથિત એન્ટ્રોપી” ચિલ્લાવા માંડશે, સલાહોનો ધોધ વરસવો શરૂ થશે. મેરી આ સલાહોને બકવાસ કે ખરાબ કહે છે. કારણ? કારણ કે જાગૃતિથી એ પ્રાપ્તિ તરફના પ્રવાસને અટકાવવા માટે છે. વળી સ્વાર્થી સલાહો આપતા અવાજો માત્ર કાનાફૂસીના સ્તરે નથી, એ તો ગળું ફાડી રહ્યા છે. સારું અને સાચું હંમેશા કાનને મખમલી અવાજે પંપાળશે પણ ખરાબ હશે એ ઘાંટા જ પાડશે. ખોટો અવાજ મોટો જ હોવાનો. તો જ એ સચ્ચાઈને દબાવી શકે ને! તમારું ઘર પણ તૂટી જવાનું ન હોય એમ ધ્રૂજવા માંડશે. આ ઘર એટલે આપણે પોતે જ. આપણું જીવન જ. જૂના સંબંધો-વળગણોનું ખેંચાણ સાંકળ બાંધી હોય એમ ઘૂંટીએ અનુભવાશે. સગપણની-જવાબદારીઓની બેડીઓ પગને પાછા ખેંચશે. દરેક જણ પોતાનું જીવન દુરસ્ત કરવા મદદના પોકાર કરશે. પણ કોલ ઝીલી લીધા પછી શું આતમમાર્ગનો મુસાફર રોક્યો રોકાશે ખરો? જૂનાને તોડ્યા વિના નવું મળતું નથી. દુનિયાને અવલનવલ ઘાટ આપવા તો સુન્દરમે કહ્યું એમ, ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા.’ શ્રીધરાણીએ પણ કહ્યું, ‘સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના’ હોય એને સમારીએ તો નવીનીકરણ જ થાય કેવળ, નવસર્જન માટે તો જૂનાંને હટાવવું જ પડે, નવી જગ્યા સર્જવી પડે. પોતે જેમના માટે જીવે છે એ પોતાના નથીનો અહેસાસ થવો જરૂરી છે. વાલિયા લૂંટારાનો આખો પરિવાર ચિલ્લાયો કે તું ખૂન કર, ચોરી-લૂંટફાટ કંઈ પણ કર. તું જાણે. બધા પાપ તારા માથે. અમારું ભરણપોષણ તારી જવાબદારી પણ તારા પાપમાં અમારી કોઈ હિસ્સેદારી નથી. એ ‘એક દિવસ’ ‘આખરે’ વાલિયાને ચાલી નીકળવાનું આહ્વાન આપતો આ અવાજ સંભળાયો. વર્ષોથી ગેરસમજ ઉપર જામી ગયેલો રાફડો તૂટ્યો અને શબ્દશઃ શરીર પર બાઝ્યો ત્યારે વાલિયો વાલ્મિકી બન્યો. રાજકુમાર સિદ્ધાર્થને અટકાવવા એના પિતાએ ઓછાં અછોવાનાં કર્યાં હતાં! પત્નીએ પણ પુત્રને આગળ ધરેલો. એવુંય નહોતું કે સિદ્ધાર્થ પરિવારને પ્રેમ નહોતા કરતા. પણ સર્વજનોનો અવાજ જે દિવસે સ્વજનોની ચીસને અતિક્રમી ગયો એ ‘એક દિવસ’ ‘આખરે’ એ જાણી ગયો કે શું કરવાનું છે. બસ, નીકળી પડ્યો. જિબ્રાને કહ્યું હતું, ‘મુસાફરી કરો અને કોઈને ન કહો, લોકો સુંદર ચીજોને ખતમ કરી નાંખે છે.’ રૂમી કહે છે, ‘તમે પિંજરામાંથી છટકી ચૂક્યા છો, તમે તમારી પાંખો પ્રસારી લીધી છે, હવે ઊડો.’ સિદ્ધાર્થ પણ પિંજરામાંથી છટકીને ઊડ્યો તો બુદ્ધ બન્યો.

જ્ઞાનમાર્ગનો મુસાફર જાણી જાય છે કે એણે શું કરવાનું છે. એ અટકતો નથી. ભલે આંધી પાયા હચમચાવી નાંખતી હોય, ભલે આજુબાજુવાળાઓની ગ્લાનિ ભયંકર હોય, પણ વટેમાર્ગુ સમજે છે કે ઓલરેડી મોડું તો થઈ જ ચૂક્યું છે. બધાને અવગણો. આગળ વધો. ઇતરના અને ભીતરના અવાજમાં ફરક છે. ભીતરનો અવાજ જીવનગીતાના રથનો સારથિ છે. એ સાથે હશે તો ભલભલી ગ્લાનિ કમળપત્ર પરથી પાણી માફક સરી જશે. મુસાફરી તો ક્યારની આદરવાની હતી. રાત અંધારી છે અને તોફાની પણ. અને જીવનમાં ક્યાંય roses roses all the way હોતું નથી. જીવનપથ હંમેશા પારાવાર વિપદાભર્યો જ હોવાનો. પણ ભલે ધીમે તો ધીમે, પ્રવાસ શરૂ કરવો જરૂરી છે. શરૂઆત કરી દો તો વાદળોની ચાદર હટાવીને તારાઓ પણ ચમકી-ચમકીને પથ પ્રદર્શિત કરશે. પ્લુટાર્ક કહે છે, ‘તોફાનમાં જહાજની મુસાફરી પહેલાં કપ્તાન કહે છે કે હંકારવું અનિવાર્ય છે, જીવવું નહીં.’

યાદ રહે, પહેલું પગલું જ સૌથી અગત્યનું છે. બધું એના પર જ અવલંબિત છે. રૂમીએ કહ્યું હતું, ‘ચાલવું શરૂ કરો. તમારા પગ ભારી થશે, થાકી જશે. પણ પછી તમને ઊંચકી જતી ઊગેલી પાંખોની અનુભૂતિની એ ક્ષણ આવશે.’ યાદ રહે, આ મુસાફરી તમારી મુસાફરી છે અને તમારા સિવાય કોઈ બીજું આ મુસાફરી તમારા વતી કરી નહીં શકે. ધમ્મપદ કહે છે, ‘તમારી બરાબરીના અથવા બહેતર લોકો સાથે મુસાફરી કરો અથવા એકલા જ કરો.’ રાજેન્દ્ર શાહે કહ્યું, ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’ પણ આ મુસાફરી હકીકતમાં ઘરબાર છોડીને જંગલમાં ચાલી નીકળવાની વાત નથી. આ મુસાફરી છે તમારા વળગણો, આસક્તિમાંથી મુક્ત થઈ તમારી પોતાની જાત સુધી પહોંચવાની. આ મુસાફરી જેટલી બહારની છે, એટલી જ અંદરની પણ છે કેમકે જે સ્વને પામી લે છે એ જ સર્વને પામી શકે છે.

જંગલી અંધારું સમાધાનથી પર હોય છે પણ આગળ વધતાં જઈશું તો બાહરી શોરબકોર ક્રમશઃ શમતો જશે અને તમને પોતાનો અવાજ સંભળાવા માંડશે, જેને ચિલ્લાઈ-ચિલ્લાઈને દબાવી રખાયો હતો. સંસારમાં બીજું બધું સાથ છોડી દેશે, પણ તમારો અવાજ, જો એ પોતીકો હશે તો તમારી સંગતિ કાયમ જાળવી રાખશે. જાતને પ્રાપ્ત કરવાની આ ઘડી આત્મસાક્ષાત્કારની ઘડી છે. આ ઘડીએ તમે જાણી જાવ છો એ સનાતન સત્ય કે તમે યદિ કોઈને બચાવી શકો છો તો એ માત્ર તમારી પોતાની જાતને જ. અને આ દુનિયામાં તમે આ એક કામ કરવાથી વિશેષ બીજું કશું જ કરવા કદી સક્ષમ હતાં જ નહીં. કોઈ હોતું નથી. દુનિયાને બચાવવાની જરૂર નથી, જાતનો જ ઉદ્ધાર કરો. દરેક જણ પોતાને ઉગારી લેશે તો દુનિયા આપોઆપ જ ઉગરી જવાની. ગૌતમ, મહાવીર, કબીર- કોઈએ સંપ્રદાયની સ્થાપના કરી નથી. સંપ્રદાય તો ભક્તોએ ઊભા કર્યા. જે ધર્મગુરુ સંપ્રદાયની સ્થાપના જાતે કરે છે એ તો તરકટી તકસાધુ પયગંબરો છે.

ઈસુથી લઈને મહંમદ સુધી અને ગૌતમથી લઈને ગાંધી સુધી – કંઈ કેટલાય મસીહા-પયગંબર-ધર્મગુરુ પૃથ્વીના પટ પર આવ્યા અને ગયા. માણસ બદલાયો નહીં. બદલાશે પણ નહીં. કેમકે સનાતન સત્ય માણસ માત્ર પોતાના રસ્તે ચાલીને જ મેળવી શકે છે, કોઈના ચીંધેલા કે ચાતરેલા રસ્તે નહીં. બુદ્ધ થવું હોય કે મહાવીર- પોતાનો રસ્તો તો જાતે જ શોધવો પડે. પડેલા ચીલે ચાલવાથી કંઈક કર્યાનો આત્મસંતોષ થાય એટલું જ, બાકી જ્ઞાન મેળવવું હોય, અંતિમ સત્ય શોધવું હોય તો तोबे एकला चलो रे (તમે એકલા ચાલો રે- ટાગોર). ‘તું તારા દિલનો દીવો થા ને’ કહો કે પછી, ‘દોસ્ત! સહુનું પોતીકું અજવાળું હોવું જોઈએ’ કહો, દરેકે પોતાની મુસાફરી જાતે જ કરવાની છે. રૂમી પૂછે છે, ‘અને તમે? તમે ક્યારે શરૂ કરશો તમારી અંદરની એ લાંબી મુસાફરી?’ એક ગીત સાથે વાત પૂરી કરીએ:

જાત કહે એ સાચુ, સાધુ
જાત કહે એ સાચુ.

ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો! સાચ આપકી બાની,
ઘટનાં અંધિયારાં પીવાં કે ઘાટ ઘાટનાં પાણી?
ગૌતમ, મહાવીર, મહંમદ, ઈસુ, નાનક, હો કે સાંઈ,
ભીતરના દરિયે ડૂબ્યા જે, સહજ સમાધિ પાઈ.
લાખ ગુરુ પડતાં મેલીને
ખુદની ભીતર જાંચુ.

મસમોટા ગ્રંથોનાં પાનાં જીવનભર ઊથલાવ્યાં,
અક્ષરની ગલીઓમાં ક્યાયે અજવાળાં ના લાધ્યાં;
પ્રશ્ન થયો આ લહિયાઓએ કેટલા ગ્રંથો વાંચ્યાં?
અવર અંગુલિ ઝાલી બોલો, કોણ અલખને પામ્યા?
ખુદનું ખુદ લખે તે સાચુ,
જાતનું પુસ્તક વાંચુ.

ગ્લૉબલ કવિતા: ૨૧૨ : વાખ્યાની – લલ્લા

वाक्यानी

नाथा पाना ना पर्जाना
साधित् बाधिम् एह् कुदेह ॥
चि भु चू मि मिलो ना जाना
चू कु भु कु क्यों सन्देह् ॥

देव् वट्टा देवरो वट्टा
पिट्ठ बुन् छोय् एक वाट् ॥
पूज् कस् करिक् होट्टा बट्टा
कर् मनस् त पवनस् संगाट् ॥

भान गलो सुप्रकाशा जोनि
चन्द्र् गलो ता मुतो चित्त् ॥
चित्त् गलो ता किंह् ना कोनि
गय् भवा विसर्जन कित् ॥

यो यो कम्म् करि सो पानस् ॥
मि जानो जि बियीस् कीवूस्॥
अन्ते अन्त हारीयि प्राणस्
यौळी गच्छ् ता तौळी छ्योस्॥

– लाल दीद

વાખ્યાની

નાથ ! હું કોણ છું? હું ના જાણું,
ચાહ્યો સદા મેં આ જ કુદેહ,
તું જ હું, હું જ તું, મેળ ન પ્રમાણું,
તું કોણ? હું કોણ? શો સંદેહ?

દેવ છે પથ્થર,મંદિર પથ્થર,
શિરથી પગ લગ એક જ વસ્તુ,
એક પવન મન બંનેને કર,
પૂજ્યા કરે છે, પંડિત! શું તું?

સૂર્ય ગયો, પથરાઈ જ્યોત્સ્ના,
ચંદ્ર ગયો, બસ, ચિત્ત બચ્યું ત્યાં;
ચિત્ત ગયું તો ક્યાંય કશું ના,
આભ, ધરા, અવકાશ ગયાં ક્યાં?

મારાં કર્મો મારા જ માથે,
પણ ફળ એનાં બીજાં જ ખાશે;
શ્રેષ્ઠ હશે, જ્યાં જઉં, સંગાથે,
દઉં સઘળું એને જો વિણ આશે.

– લલ્લા
(અનુ. વિવેક મનહર ટેલર)


ઉપર અલ્લા, નીચે લલ્લા !

કહે છે સમયથી મોટો બીજો કોઈ વિવેચક નથી થયો, નહીં થશે. સમય કોઈની શેહશરમ રાખતો નથી. એની ચાળણી ભલભલાંને ચાળી નાંખે છે. ઇતિહાસ સાક્ષી છે કે ભલભલા સર્જકો અને એમના બહુખ્યાત સર્જનોને પણ જો ગુણવત્તા ન હોય તો, સમય નામનો અજગર બેરહમીથી ગળી ગયો છે. અને પોતાના સમયમાં જરાપણ જાણીતા ન હોય એવા સર્જકોને સમયે ગુમનામીની ગર્તામાંથી પણ બહાર ખેંચી આણ્યા છે. જીવતી હતી ત્યારે એમિલી ડિકિન્સનને કોણ જાણતું હતું? એની કવિતાઓ ક્યાં તો સાભાર પરત કરાતી અથવા પુષ્કળ કાંટછાંટ પછી પ્રગટ કરાતી. એના નિધન બાદ એની બહેને એની કવિતાઓ પ્રગટ કરી અને આજે એનું નામ શ્રેષ્ઠતમ અંગ્રેજી કવિઓમાં માનપૂર્વક અગ્રસ્થાને શોભે છે. વિલિયમ બ્લેક,થરો, કિટ્સ, કાફ્કા જેવા સર્જકો મૃત્યુ પછી જ દુનિયાની સામે પ્રગટ થયા અને અમર થઈ ગયા. જે મરીઝને મુશાયરામાં હુરિયો બોલાવીને બેસાડી દેવાતા, એ જ પછી ગુજરાતના ગાલિબ તરીકે પોંખાયા. સૉશ્યલ મિડીયાના અતિક્રમણના કારણે આજે મણમણના ભાવે સર્જકો આપણા માથે થોપાઈ રહ્યા છે અને ઇયત્તા ગુણવત્તાનો ભોગ લેશે એવો ડર સર્વત્ર પ્રવર્તી રહ્યો છે, પણ સમયના માથે છોડી દો બધું. જે ખરું સોનુ હશે એને જ સમય સાચવનાર છે. બાકીનું આપોઆપ ભૂંસાઈ જશે. નરસિંહ કે મીરાંને ટકી રહેવા માટે કોઈ સૉશ્યલ મિડીયાની જરૂર પડતી નથી. સમય જેને ભૂંસી-ભૂલાવી શક્યો નથી એવું જ એક નામ છે કાશ્મીરની લલ્લા.

લલ્લા કહો, લલ્લેશ્વરી કહો કે લાલ દીદ… એ ચૌદમી સદીની શરૂઆતમાં (જન્મ આશરે ૧૩૦૧ અથવા ૧૩૧૭-૨૦?; મૃત્યુ: ૧૩૭૩?) પ્રાચીન કાશ્મીરના જંગલ અને ગામોમાં ફરતી શૈવ પંથની પ્રચારક, અર્ધનગ્ન વણજારણ, સૂફી સાધ્વી અને કવયિત્રી યોગિની હતી. એ એટલી આત્મીય લાગે છે કે એને વહાલથી તુંકારે જ બોલાવવી પડે. જન્મ બ્રાહ્મણ પરિવારમાં. ૧૨ વર્ષની વયે લગ્ન. લગ્ન પછીનું નામ પદ્માવતી. કહેવાય છે કે સાસુએ ત્રાસ આપી આપીને એને ઘર ત્યાગવા મજબૂર કરી હતી. કાશ્મીરીઓ કહે છે, ‘होन्ड मारान किना काथ, लाली नलवुच बालि न झाह’ (મેંઢ માર્યો હોય કે ઘેટું, બધું સરખું જ; લલ્લાના ભાણામાં હંમેશા પથરો જ આવતો.) પથરા પર ભાત પાથરી દેવાતો જેથી વધુ માત્રામાં ભાત આપેલો દેખાય. લલ્લા કહેતી, ‘એ લોકોએ મને અપમાનોના કોરડા માર્યા, ગાળોથી વધાવી, એમનું ભસવું મારે મન કંઈ નથી. એ લોકો આતમફૂલ અર્પવા પણ આવે તો મને પરવા નથી. નિઃસ્પૃહ, હું આગળ વધું છું.’ લલ્લા બેવફા છે એની સાબિતી મેળવવા એની પાછળ ગયેલા પતિને લલ્લા જંગલના એકાંતમાં ભક્તિમાં લીન નજરે ચડી. ૨૬ની વયે ગૃહત્યાગ કરીને એણે પરિવ્રાજિકા-વણજારણની જિંદગી અપનાવી. કહે છે, એ અર્ધનગ્ન કે સંપૂર્ણ નગ્નાવસ્થામાં રઝળપાટ કરતી, નૃત્ય કરતી અને ગીતો રચતી-ગાતી. લલ્લા કહે છે, ‘મારા સ્વામીએ મને એક જ નિયમ આપ્યો છે, બાહ્ય ભૂલી જા, ભીતર જા. મેં, લલ્લાએ, આ શિક્ષણ દિલમાં ઉતારી દીધું, એ દિવસથી હું નગ્ન નાચતી ફરું છું.’ રખડપટ્ટી દરમિયાન મળેલ ગુરુઓની મદદથી લલ્લાને જીવનપંથ જડ્યો. લલ્લાની આસપાસ સેંકડો કથાઓ વણાયેલી છે પણ એમાંની ભાગ્યે કોઈ સાચી લાગે છે.

કશ્મીરની વાદીઓમાં ગવાતી આપણા મુક્તક જેવી ચાર લીટીની રચનાઓને વાખ તરીકે ઓળખવામાં આવે છે. वाख़ (ઉચ્ચારણ) શબ્દમાં સંસ્કૃત वाक् (વાણી) અને वाक्य (વાક્ય) –બંનેના અર્થ સંમિલિત છે. ૨૫૦થી વધુ વાખ લલ્લાના નામે બોલાય છે. તમામનું કર્તૃત્વ નક્કી કરી શકાયું નથી. પણ જે છે એ સર્વોત્તમ છે. લલ્લાની વાખ્યાનીનું મહત્ત્વ એ રીતે પણ ખૂબ છે કે એ કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન નમૂનો છે. લલ્લાની રચનાઓ પેઢી દર પેઢી કંઠોપકંઠ વહી આવી હોવાથી, અને કાળક્રમે કાશ્મીરી ભાષામાં પણ ઘણો બદલાવ આવ્યો હોવાથી વર્તમાન વાખ એના મૂળ વાખ કરતાં અલગ જ હશે એમાં શંકા નથી, પણ એ વાખોનો છંદોલય, એમાં રસીબસી અનનુભૂત કવિતા અને લલ્લા માટેનો લોકાદર લેશમાત્ર બદલાયા નથી. લલ્લાની વાખ નાના કદ-કાઠી, પ્રવાહી લય, ચુસ્ત પ્રાસનિયોજન, સતત રણક્યે રાખતી વર્ણસગાઈ અને આંતર્પ્રાસોના કારણે વાંચતાવેંત હૃદયમાં સ્થાન કરી લે છે. મૂળ કાશ્મીરીમાંથી ગુજરાતી તરજૂમો કરવા માટે George Grierson અને Lionel Barnettના ‘લલ્લા વાખ્યાની’ પુસ્તકમાં સમાવિષ્ટ અંગ્રેજી ભાષાંતર અને કાશ્મીરી-અંગ્રેજી શબ્દકોશ; રંજીત હોસકોટેના ‘આઇ, લલ્લા’પુસ્તકમાંના અંગ્રેજી અનુવાદ તથા મૂળ કાશ્મીરી રચનાના નાદ-વર્ણનો સહારો લીધો છે.

લલ્લાની કવિતાઓ એકતરફ સંશયપ્રચુર છે તો બીજી તરફ ખાતરીથી ભરપૂર છે. એકતરફ એ અસ્તિત્વ અને ઈશ્વર વિશે શંકા રજૂ કરે છે તો બીજી તરફ ઈશ્વરસાધના અને સુવાંગ સમર્પણ. સ્વ જ સર્વ છે -अहम ब्रह्मास्मि- ના અનાહત નાદમાં એને સંપૂર્ણ શ્રદ્ધા છે. ધ્યાનથી પરખીએ તો લલ્લાની કવિતાઓ સંશયથી શ્રદ્ધા તરફની અનવરત યાત્રા છે. મીરાંનું સમર્પણ, કબીરનું તત્ત્વચિંતન, અખાના ચાબખા અને ભર્તૃહરિનો શૃંગાર – આ બધું જ રસાઈને વાખની ટૂંકી બહેરની ચાર જ પંક્તિમાં એ રીતે સમાઈ જાય છે, જે રીતે ગંગાસતી વીજળીના ક્ષણાર્ધભરના ચમકારામાં મોતીડાં પરોવી લે છે. લલ્લાના વીજચમકારનો પ્રકાશ સનાતન છે, અચાનક અંધાર થાતો નથી. એમનેમ કંઈ ‘ઉપર અલ્લા, નીચે લલ્લા’ કહેવાયું નથી. જેમ આપણે ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે. કાશ્મીરમાં એવા હિંદુ કે મુસલમાન જડવા મુશ્કેલ છે, જેમની જીભે લલ્લાની વાખ રમતી ન હોય.

થોડી વાખનો સ્વાદ ચાખીએ:

(૦૧)
યજુર્વેદમાં વ્યાસના આગ્રહથી શિવે શુકદેવને બ્રહ્મ રહસ્યના ચાર સૂત્ર આપ્યાં હતાં:

प्रज्ञानं ब्रह्म (પ્રકટ જ્ઞાન બ્રહ્મ છે)
अहम् ब्रह्माऽस्मि (હું જ બ્રહ્મ છું)
तत्त्वमसि (એ તત્ત્વ તું જ છે)
अयमात्मा ब्रह्म (આ આત્મા બ્રહ્મ છે)

લલ્લાની પ્રથમ વાખનો પ્રધાન સૂર આ બ્રહ્મરહસ્યની ફરતે જ ગૂંથાયેલ છે. સ્વની શોધ સનાતન રહી છે. જન્મથી મૃત્યુપર્યંત જે મકાનમાં આપણે રહીએ છીએ એ મકાનની ખરી ઓળખ કેટલા કરી શકે છે? ब्रह्म सत्यं, जगत मिथ्या નો સ્વીકાર અસ્તિત્વના તળ તાગવા આપણને મજબૂર કરે છે. જો કે ઉપનિષદ એમ પણ કહે છે કે, जगदपि ब्रह्म सत्यं न मिथ्या॥ (જગત પણ બ્રહ્મ છે, આ સત્ય છે, મિથ્યા નહીં) લલ્લા પણ ‘હું કોણ છું’નો શાશ્વત પ્રશ્ન ઊઠાવતાં કહે છે કે આખી જિંદગી હું આ જાતને જ ઓળખી ન શકી. દેહની આસક્તિ પાછળ જ જીવન પૂરું થઈ ગયું. કાયા તો માત્ર પિંજરું છે, પંખી તો એમાં કેદ આત્મા છે. ઓળખ આત્માની કરવાની હોય. પણ આપણી આખી જિંદગી હું કોણ, તું કોણ કરવામાં વ્યતીત થઈ જાય છે. આપણો ‘હું’ અને બ્રહ્મનો ‘તું’ – બંને અભિન્ન છે; દ્વૈત નહીં, અદ્વૈત છે (जीवब्रह्मैक्य) એ તથ્ય જ વિસરાઈ જાય છે. શ્રીકૃષ્ણ કહે છે, ‘सर्वस्य चाहं हृदि सन्निविष्टो’ (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું.) મનુષ્ય, પ્રકૃતિ અને પરમેશ્વર-બધા એક જ છે. પરમબ્રહ્મની સાથેનું આપણું સાયુજ્ય જાણી ન શકવું, શંકા સેવવી એ જ સૌથી મોટી ભૂલ છે. જીવમાત્ર શિવનો જ અંશ છે એ સત્ય ભીતર ઝળહળે નહીં ત્યાં લગી આપણે મોક્ષ માટે લાખ-હજાર વાનાં કેમ ન કરીએ, વ્યર્થ છે. લલ્લા કહે છે, ‘પ્રેમઘેલી હું ફરીફરીને પાછી આવું છું તો ગુરુજી મારા ઘર(શરીર)માં જ જડે છે.’ सर्वँ खल्विदं ब्रह्म| (આ બધું બ્રહ્મ જ છે.) (છાન્દોગ્ય ઉપનિષદ)

(૦૨)
બીજા વાખમાં લલ્લા આજ વાત અલગ રીતે કરે છે. એ કહે છે, મંદિરમાં પ્રસ્થાપિત દેવની મૂર્તિ પથ્થર છે, સ્વયં મંદિર પણ પથ્થર છે. આટલું જ નહીં, માથાથી પગ સુધી બધા માત્ર પથ્થર જ છે. એક જ પદાર્થ છે. આપણે શેની પૂજા કરીએ છીએ? શું પૂજીએ છીએ? પથ્થર? આપણે શેની પૂજા કરવાની છે? પથ્થરની કે ઈશ્વરની? ખરો ઈશ્વર તો આપણી અંદર જ છે કેમકે આપણે ઈશ્વરના જ અંશ છીએ. નવાઈ લાગે પણ કાશ્મીરના જંગલોમાં સાતસો વર્ષ પહેલાં નગ્ન રખડતી એક યોગિની અને ચારસો વર્ષ પહેલાં ‘પથ્થર એટલા પૂજે દેવ’ કહેનાર ગુજરાતના એક સોની અખા વચ્ચે કેટલી હદે વિચારસામ્ય જોવા મળે છે:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

લલ્લા પણ આ જ કહે છે. બ્રહ્મજ્ઞાન બહારથી નથી આવવાનું. આપણું મન અને આપણા શ્વાસ – ચિત્ત અને પ્રાણ –એકાકાર ન થાય તો ઈશ્વર ક્યાંથી મળવાનો? યોગિની લલ્લાનો સાફ ઈશારો યોગિક પ્રાણાગ્નિહોત્ર, પવિત્ર શ્વાસોની આહૂતિ –પ્રાણાયમ તરફ છે. એ કહે છે, ‘પલાંઠી વાળીને શ્વાસ રોકવાથી સત્ય નહીં મળે. દીવાસ્વપ્ન મોક્ષના દરવાજા સુધી નહીં લઈ જાય. પાણીમાં ગમે એટલું મીઠું નાખો, એ સમુદ્ર નહીં બને.’ એ કહે છે, ‘એ જાણે છે કે એ જ ઈશ્વર છે, એ કોની પૂજા કરે?’ લલ્લા ભૂખ-તરસથી શરીરનું દમન કરવાની ના કહે છે. કહે છે, ‘એના બદલે શરીર ગબડે ત્યારે એને હાથ આપો. સોગંદો અને પ્રાર્થનાઓ જાય ભાડમાં, બસ, અન્યોને મદદ કરો. આથી વધુ સાચી કોઈ ભક્તિ જ નથી.’ આમ, લલ્લા સર્વેશ્વરને સ્વમાં અને સર્વમાં શોધવા કહે છે.

(૦૩)
સૂર્ય અદૃશ્ય થાય ત્યારે ચાંદો પ્રકાશે છે અને ચંદ્ર અસ્ત થાય ત્યારે સૂર્યનો ઉદય થાય છે. પણ આ તો સમયચક્ર થયું. લલ્લા એની વાત નથી કરતી. લલ્લા void in to voidની વાત કરે છે. ચાંદ-સૂરજનો યૌગિક સંદર્ભ એને અભિપ્રેત છે. આપણા શરીરમાં સાત મૂળ ચક્રો છે, જે ઊર્જાપ્રક્રિયા માટેના મૂળભૂત સ્રોત છે. આ સિવાય યોગમાં ચંદ્ર અને સૂર્ય ક્રમાનુસાર સૌથી ઉપરના અને નીચેના ચક્રો ગણાય છે. ધ્યાનની ચરમસીમાએ સૂર્ય-ચંદ્ર, અર્થાત્ સૃષ્ટિ એના સંદર્ભો ગુમાવી અદૃશ્ય થાય છે. ચિત્ત જ રહી જાય છે. અને ચિત્ત પણ ઓગળી જાય ત્યારે ચૈતન્યત્વ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ચિત્ત યાને consciousness ને અતિક્રમી જાય છે, ત્યારે ક્યાંય કશું બચતું નથી. આભ, ધરા, અવકાશ બધું જ અદૃશ્ય થઈ જાય છે. ‘અદૃશ્ય થવા’નો ખરો અર્થ અહીં ‘ચેતનામાં ઉપસ્થિતિ ઓગળી જવી’ થાય છે. મતલબ યોગી એની ચેતનાને મર્ત્યલોકમાંથી ઊંચે લઈ જઈ અમર્ત્યલોક-બ્રહ્મલોક સુધી વિસ્તારે છે. વયષ્ટિ અને સમષ્ટિ વચ્ચેનો તફાવત સર્વસમાવિષ્ટ ચેતનામાં ડૂબીને સમરસ થઈ જાય છે. લલ્લા ઘણીવાર અવકાશ અવકાશમાં ભળી જવાની વાત કરે છે. એક વાખમાં એ કહે છે, જ્યારે શાસ્ત્રો ઓગળી જાય છે, ત્યારે જપ રહે છે, જ્યારે જપ ઓગળી જાય છે ત્યારે ચિત્ત રહે છે, જ્યારે ચિત્ત ઓગળી જાય છે ત્યારે શું બચે છે?

(૦૪)

ચોથા વાખમાં ભગવદગીતાનો कर्मण्येवाधिकारस्ते, मा फ़लेषु कदाचन्નો શંખધ્વનિ સંભળાય છે. કહે છે, જે હું કરું છું એની જવાબદારી મારા માથે છે. મારાં કર્મનો મારે જ અંજામ આપવાનો છે. એનાં ફળ બીજાને મળે એનો સંતાપ કેમ કરવો? ખૂન-લૂંટ-ચોરી વાલિયો લૂંટારો કરે પણ પેટ પરિવારનું જ ભરાય ને! આંબો રોપે એક પેઢી અને ફળ ખાય આવનારી પેઢીઓ. આપણાં કર્મ બીજી દુનિયામાં કે બીજા જન્મમાં આપણી સાથે આવતાં નથી, એ અહીં જ વારસદારોના હાથમાં મજાક બનીને રહી જાય છે. સાચો ધ્યાની અને જ્ઞાની તો માત્ર કર્મ જ કરે છે અને ફળની આશા ન રાખી, બધાં જ ફળ ‘એ’ને સુપ્રત કરી દે છે. આમ કરીએ તો દુનિયામાં જ્યાં જઈએ, બધે અછોવાનાં જ છે. ફળની આશા વિનાના કર્મમાં अखिलम् मधुरम् જ હોવાનું. ભક્તિયોગ તરફ ધ્યાન આપીને મનુષ્ય ફળની આશા વિના કર્મયોગમાં પ્રવૃત્ત થાય તો એના કર્મના તમામ ફળ મોક્ષસ્વરૂપે એ પોતે જ પામનાર છે. પણ છોડવું એ મેળવવાની એકમાત્ર પૂર્વશરત છે.

લલ્લા કહે છે, ‘મૂર્ખ, પુસ્તકમાંથી પ્રાર્થના કરીને રસ્તો નહીં જડે, તમારા હાડપિંજર પરની સુગંધ કોઈ ઈશારો નહીં આપે. સ્વ પર ધ્યાન આપો. આજ ઉત્તમ સલાહ છે.’ એ કહે છે કે, ‘શિવ હિંદુ કે મુસલમાનમાં ફરક કરતો નથી. સૂર્ય બધા પર સમાન રીતે જ પ્રકાશે છે. સાધુ હો કે ગૃહસ્થ, લલ્લા ફરક જોતી નથી.’ આ જ વાત એ આરીતે પણ કહે છે: ‘સૂર્ય શું બધા સ્થળને પ્રકાશિત નથી કરતો? શું એ માત્ર સારી ભૂમિને જ રોશન કરે છે? વરુણ શું દરેક ઘરમાં નથી પ્રવેશતો?’ અન્યત્ર એ કહે છે, ‘જો તમે તમારી ઇચ્છાઓને સમયની નદીમાં ઓગાળી દીધી હોય તો તમે જોઈ શકશો કે ઈશ્વર સર્વત્ર છે અને સંપૂર્ણ છે. જે તમે જાણો છો, એ જ તમે થશો.’

ટૂંકમાં, સાતસો વર્ષ પહેલાં કાશ્મીરના હિંદુ-મુસ્લિમ મિશ્ર સમાજ વચ્ચે કપડાં વગર નાચતી-ફરતી લલ્લા નામની સ્ત્રી એ વાતની પ્રતીતિ છે કે આત્મા પરથી આડંબરના વસ્ત્રો ફગાવી દઈ સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ, પ્રકાશપ્રાપ્તિ તરફ પ્રયાણ કર્યું હોય તો પુરુષ જેવો પુરુષ પણ જન્મજાત મેલી મથરાવટી ફગાવીને ચામડીના નિર્વસ્ત્ર દેહને વાસનાસિક્ત નજરોથી જોવાના બદલે મંદિરસ્વરૂપે જોઈ ભીતરના ઈશ્વરને વંદન કરશે.

ગ્લૉબલ કવિતા: ૨૧૧ : ગીત – ટી. એસ. એલિયટ

Song

(01 A)
If Time and Space, as sages say,
Are things which cannot be,
The sun which does not feel decay
No greater is then we.
So why, Love, should we ever pray
to live a century?
The butterfly that lives a day
Has lived eternity.

(01 B)
If Space and Time, as sages say,
Are things which cannot be,
The fly that lives a single day
Has lived as long as we.
But let us live while yet we may,
While love and life are free,
For time is time, and runs away,
Though sages disagree.

(02)
The flowers I gave thee when the dew
Was trembling on the vine,
Were withered ere the wild bee flew
To suck the eglentine.
So let us haste to pluck anew
Nor mourn to see them pine,
And though our days of love be few
Yet let them be divine.

– T. S. Eliot

ગીત

(૦૧ અ)
સમય અને અવકાશ, ગયા જેમ સંત સૌ વદી,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે ના,
તો આ સૂરજ કે જેનો ક્ષય થાય ના કદી
એને આપણાથી ચડિયાતો સહેજ ના ગણતા.
તો શા માટે, પ્રેમ આપણો એક-બે સદી
રહે જીવંત એ માટે આપણે કરવી પ્રાર્થના?
પતંગિયું જે આમ જીવે છે માત્ર એક દિ’
આમ જુઓ તો જીવી ગયું છે એ શાશ્વતતા.

(૦૧ બ)
સમય અને અવકાશ, ગયા જેમ સંત સૌ વદી,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે ના,
માખી જેનું જીવન તો છે માત્ર એક દિ’
આપણા જેટલું જીવી લે છે કરો જો ગણના.
ત્યાં સુધી તો જીવી લઈએને સો ફીસદી
પ્રેમ ને જીવન જ્યાં સુધી છે પ્રાપ્ત મફતમાં,
સમય સમય છે, વહેતો રહેશે જેમ કો’ નદી
સંત ભલે ને નોંધાવે ના સંમતિ એમાં.

(૦૨)
આપ્યાં’તાં મેં ફૂલો તુજને જ્યારે ઝાકળ
હળવે હળવે કાંપી રહ્યું’તું વેલી પર,
એ પહેલાં તો ગયાં વિલાઈ, આવે આગળ
કરવાને એ ફૂલોનું રસપાન મધુકર.
નિતનવાં ફૂલ ચૂંટવાને ના કરો ઉતાવળ,
અને સૂકાતાં જોઈ શીદ થાવું શોકાતુર?
ભલે અપૂરતાં હોય આપણી પ્રીતનાં અંજળ,
બનાવી દઈએ જે છે એને જ દિવ્ય-સુંદર.

– ટી. એસ. એલિયટ
(અનુવાદ: વિવેક મનહર ટેલર)

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે…

‘સમય જ નથી મળતો, યાર!’ અને ‘તમને આવું બધું કરવા માટેનો સમય ક્યાંથી મળી રહે છે?’ – આ બે બિંદુઓની વચ્ચે આપણામાંથી મોટાભાગનાની જિંદગી વીતી જાય છે, પણ સમય નામનો કોયડો કોઈને સમજાતો નથી. અસ્તિત્વના આરંભબિંદુથી એને ઉકેલવાની મથામણ ચાલી આવી છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓમાંના લીટા હોય કે આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ – સમયના પગલાં ક્યાં જોવા નથી મળતાં! સમયથી પર અને પાર જવાની ભાંજગડ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે. એલિયટની પ્રસ્તુત રચના સમયના તકલાદીપણાને નજર સામે રાખી ‘જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે’નો ગુરુમંત્ર શીખવાડે છે.

થોમસ સ્ટર્ન્સ એલિયટ. વીસમી સદીના દિગ્ગજ કવિઓમાં મોખરાનું નામ. ૨૬-૦૯-૧૮૮૮ના રોજ મિસોરી, અમેરિકા ખાતે જન્મ. પચ્ચીસ વર્ષની વયથી ઇંગ્લેન્ડનિવાસ. ૩૯ની ઉંમરે અમેરિકન નાગરિકત્વ ફગાવીને બ્રિટિશ નાગરિકત્વનો સ્વીકાર. એ જ અરસામાં એકત્વવાદ ત્યજીને એન્ગ્લો-કેથલિક સંપ્રદાયનો અંગીકાર. જન્મજાત (બંને બાજુના) હર્નિયાના કારણે બાળપણથી શારીરિક રમતોથી દૂર રહેવાની આડઅસરરૂપે સાહિત્ય સાથે સ્નેહસૂત્રે જોડાયા. ઉમર ખૈયામની રૂબાઈઓની અસર નીચે આઠ-દસ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. સાહિત્યમાં માસ્ટર્સ. ફિલસૂફીમાં પી.એચ.ડી. ૧૯૪૮માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. એ જ વર્ષે ઑર્ડર ઑફ મેરિટ. વિવિયન હેય-વુડ સાથે દુઃસ્વપ્ન સમા પ્રથમ લગ્ન (૧૯૧૫-૩૩). વેલેરી ફ્લેચર સાથે બીજા (૧૯૫૭-૬૫). ૦૪-૦૧-૧૯૬૫ના રોજ લંડન ખાતે એમ્ફિસિમાના કારણે મૃત્યુ. કબર પરની મૃત્યુનોંધ: ‘મારા આરંભમાં મારો અંત છે, અંતમાં આરંભ.’

બહુઆયામી વ્યક્તિત્વ- કવિ, નાટ્યકાર, વિવેચક, નિબંધકાર, સંપાદક. ઉત્તમ પદ્યનાટ્યકાર. કવિતા આધુનિક સભ્યતાની સંકુલતાનો અરીસો હોવો જોઈએ એમ એ દૃઢપણે માનતા અને એ જ રીતે કવિતા લખતા. એમના મતે કવિની લોકો તરફની ફરજ માત્ર આડકતરી છે; સીધી ફરજ ભાષા પરત્વે- પહેલી એની જાળવણીની અને બીજી એના પ્રસાર-સુધારની. બોલાતી ભાષાને કાવ્યસામગ્રી તરીકે વાપરવાના હિમાયતી. પણ એમની કવિતાનું ઊડીને આંખે વળગે એવું પાસું છે કઠિનતા. સુઘડ પ્રાસનિયોજન, વિરોધાભાસી કલ્પનોની ઘટ્ટતા, છંદપલટાનું કૌશલ્ય, અને સંયમિત શૈલીને લઈને એ ગિફ્ટેડ અને ઓરિજનલ ગણાયા પણ અઘરાય એટલા જ બન્યા. એમની કથની, ‘અધિકૃત કવિતા સમજાય એ પહેલાં પ્રત્યાયન કરતી હોવી જોઈએ,’થી વિપરીત એમની કવિતા ભાવકના પક્ષે જબરદસ્ત સજ્જતા માંગે છે. એલિયટને હાથમાં લેતાં પહેલાં એની વિચારધારા, કલ્પનક્ષેત્ર, ભાષાકીય લાક્ષણિકતા અને કથનની વિચક્ષણતાનો પૂર્વાભ્યાસ જરૂરી છે. આધુનિકતાના આગ્રહી એલિયટે કવિતામાં ક્રાંતિ સર્જી હતી. વીસમી સદીના સીમાચિહ્ન ગણાતા ‘વેસ્ટ લેન્ડ’ કાવ્યના સર્જક. જીવતેજીવ એમની પ્રસિદ્ધિ દંતકથા સમાન બની અને ૧૯૩૦થી ત્રણ-ત્રણ દાયકા સુધી એમણે અંગ્રેજી કવિતા અને સાહિત્યિક વિવેચનના ક્ષેત્રો પર એકહથ્થુ શાસન કર્યું. જોકે એલિયટ તો કહેતા કે, ‘દાન્તે અને શેક્સપિઅરે દુનિયા એમની વચ્ચે વહેંચી લીધી છે. કોઈ ત્રીજું છે જ નહીં.’

પ્રસ્તુત રચનામાં પ્રથમ અંતરાના બે સંસ્કરણ છે: (૧) ‘અ લિરિક’ (ઊર્મિગીત): ૧૯૦૫માં કિંગ્સ કોલેજ, કેમ્બ્રિજ માટે. (૦૧-બ). (૨) ‘સૉન્ગ’ (ગીત): ૧૯૦૭માં કોલેજના સામયિક માટે (૦૧-અ). કવિએ બીજો બંધ યથાવત્ રાખ્યો હતો. સમજાય છે કે બે વર્ષમાં એલિયટનો કાન વધુ પુખ્ત બન્યો હતો અને લય વધુ સમૃદ્ધ. આઠ પંક્તિના બે અંતરા અને અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અહીં છે. સોળ વર્ષની ઉંમરે શાળામાં કવિતા લખવાની કવાયત ખાતર લખાયેલી આ કવિતામાં શિક્ષકને કોઈ વડીલનો ‘હાથ’ દેખાયો હતો, પરંતુ એલિયટના માતા, જે ખુદ કવયિત્રી હતાં, એમના મતે એમના કોઈ પણ પદ્ય કરતાં આ રચના વધુ સારી હતી. શેક્સપિઅરના સમસામયિક બેન જોન્સનના ‘સોંગ ટુ સિલિયા’ (Drink to me only with thine eyes)નો પ્રભાવ આ કવિતા પર દેખાય છે. એલિયટે જ કહ્યું હતું, ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

કાવ્યપ્રકાર ‘ગીત’નો છે પણ વિષય પ્રેમ, સમય અને જીવનનો છે એટલે ‘ગીત’ શીર્ષક થોડું અજુગતું લાગે. પણ ગીત મનુષ્યના પ્રેમભાવનું વહન કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ હોવાથી કદાચ કવિએ એ પસંદ કર્યું હોઈ શકે. હશે. કવિતાની શરૂઆત સમય અને અવકાશથી થાય છે. એલિયટ ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્યના ઊંડા અભ્યાસુ હતા. જુઓ:

श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रंथ कोटिभः
ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः

શંકરાચાર્ય કરોડો ગ્રંથોનો સાર અડધા શ્લોકમાં કહે છે: બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. જીવ બ્રહ્મ જ છે, બીજું કંઈ નહીં. એલિયટની કવિતામાં આ જ વાતનો સૂર પડઘાતો સંભળાય છે ને? સમય-અવકાશ વિશેના સાધુઓના મતથી કવિતા પ્રારંભાય છે. એલિયટની કવિતાઓમાં શરૂથી સમય અંગેની ફિલસૂફી જોવા મળે છે. લૌકિક સમય, સમયહીનતા અને શાશ્વતી– આ કાળબિંદુઓ સાથેની રતિ એ એલિયટની ગતિ છે. પ્રસ્તુત કવિતા પણ સમય અને શાશ્વતીના કોયડામાં કવિનો રસ છતો કરે છે. સમયમાંથી પસાર થઈને જ સમયને જીતી શકાય એમ એલિયટ માનતા. એ કહેતા કે, ગત સમય અને અનાગત સમય ચૈતન્યાવસ્થા માટે બહુ ઓછો અવકાશ રાખે છે. સભાન હોવું એટલે સમયમાં ન હોવું. ભગવદગીતામાં કહ્યું છે:

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा:।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम्॥ (૦૨:૧૨)

(એવું ક્યારેય નહોતું જ્યારે હું કે તું અથવા આ બધા રાજાઓ ન રહ્યા હોય અને એવુંય નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ). આ જ રીતે આપણું અસ્તિત્વ પણ સમયની બંને તરફ વિસ્તરેલું છે, સમયાતીત છે, શાશ્વત છે. એલિયટ કહેતા, ‘વર્તમાન સમય અને ગયેલો સમય બંને કદાચ ભવિષ્યકાળમાં હાજર હોય.’ જો કે અહીં કવિ સાધુસંતોના પ્રવર્તમાન વિચારધારાથી ઉફરી ગતિ કરે છે અને ‘ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ, સરકી જાયે પલ’ (મણિલાલ દેસાઈ)ની વાસ્તવિકતાનું યશોગાન કરે છે. ઘડિયાળના કાંટા અટકી-બટકી જાય તોય સમય અટકતો-બટકતો નથી કેમકે સમયનો સ્વ-ભાવ રહેવાનો નહીં, વહેવાનો છે. ઘડિયાળ કાંડે બાંધીને આપણે માનવા માંડીએ છીએ કે આપણે સમયને બાંધી લીધો છે. હકીકત એ છે કે સમયનું સોનું સમય પર ન વાપરીએ તો કથીર બની જાય છે.

મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ!
હવે આ હાથ રહે ના હેમ! (પ્રિયકાન્ત મણિયાર)

ઉમાશંકર પણ કહી ગયા,

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !

ઊંઘમાં જ ચાલીને આપણે જીવન વિતાવીએ છીએ. આપણો અડધો સમય જાતને ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. શંકરાચાર્યે કહ્યું તેમ, कालः क्रीडति गच्छत्यायु| (કાળ ક્રીડા કરે છે, આયુષ્ય ઓછું થાય છે). એલિયટ આ સમજે છે એટલે કહે છે કે સમય અને અવકાશ કેવળ ભ્રમ હોવાની સંતોની વાત માની લઈએ તો માખી, અથવા પતંગિયું, જેનું આયુષ્ય એક જ દિવસનું છે એ અને આપણે, જે વરસોવરસ જીવીએ છીએ એ ઉભયનું આયુષ્ય એકસમાન જ કહેવાય. સમય નામનું પરિબળ કાઢી લેવાય તો જીવનના બંને અંતિમ એક ગણાય. એ જ રીતે, સૂર્ય જે કદી ક્ષય પામતો નથી એ પણ આપણા જેટલું જ જીવ્યો ગણાય, આપણાથી મહાન ન ગણાય. સમયનું અસ્તિત્વ જ ન હોય તો આપણો પ્રેમ સદીઓ સુધી જીવે એવી પ્રાર્થનાય શા માટે? ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ નથી. ત્યાં નાનું-મોટું, ભારે-હલકું બધું એકસમાન છે. ત્યાં પક્ષીના પીછાં અને અવકાશયાત્રી –બેઉનું વજન સરખું છે. એ જ રીતે અવકાશમાં પણ નાના-મોટા તમામ પદાર્થની ગતિ સમાન છે. સમય વિનાના સ્થળે ભૂત, વર્તમાન કે ભવિષ્યની તમામ ઘટનાઓ એક જ બિંદુ પર ઘટતી ગણાય. સમય જિંદગીને માપવા માટેની માપપટ્ટી છે. સમયનો એકડો કાઢી નાંખીએ તો પછી સરખાવવાનું શું બચે? સંતો ભલે સહમત નહીં થાય, પણ કાળ તો બંધેય બાંધી ના શકાય એવી સતત વહેતી નદી છે. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે! કબીરે પણ કહ્યું છે, ‘काल करे सो आज कर, आज करे सो अब। पल में प्रलय होएगी, बहुरि करेगो कब।।’ ગંગાસતી કહી ગયાં: ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ! નહિતર અચાનક અંધાર થાશે.’ એલિયટ પણ સમયની વીજળીના લિસોટાનો પ્રકાશ ટકે એટલીવારમાં જીવન જીવી લેવાનું ઇજન આપે છે. આપણને પ્રેમ અને જીવન કોઈ કિંમત ચૂકવ્યા વિના પ્રાપ્ત થયાં છે. તો શા માટે જીવન ભરપૂર જીવી ન લઈએ અને જીવીએ એટલો સમય પ્રેમ ન કરીએ!? ફરી ઉમાશંકર જોશી યાદ આવે: ‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું ભલા પી લે.’

બીજા બંધમાં કવિ કહે છે કે, આપણને જિંદગી મળી ત્યારે એ ઝાકળબુંદથી સદ્યસ્નાત, નવપલ્લવિત ફૂલ સમી હતી. પણ જીવનનો સાચો રસ આપણે ચૂસી-માણી-પ્રમાણી શકીએ એ પહેલાં તો ફૂલ કરમાવાં માંડ્યાં. આ વાસ્તવિક્તા છે, અને સમયની હાજરીનું પ્રમાણ પણ. પરંતુ આ માથે હાથ દઈ બેસવાની-રડવાની ઘડી નથી. સમયની શીશીમાંથી જે રેતી સરકી ગઈ, એનો અફસોસ કરવાના બદલે ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં!’ (નર્મદ) કહીને આવનારી ક્ષણોને ભરપૂર જીવી લેવાની કોશિશ કેમ ન કરીએ? શેક્સપિઅરે પણ કહ્યું હતું, ‘I wasted time and now doth time waste me.’ (મેં સમયને વેડફ્યો, હવે સમય મને વેડફી રહ્યો છે.)

અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા, ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે (મકરંદ દવે)

જીવન ટૂંકું છે તો પૂરેપૂરું જીવી કેમ ન લઈએ? ગયું એનો અફસોસ ન કરીએ અને આવ્યું નથી એની પાછળ હડી ન કાઢીએ. નિતનવાં ફૂલોને ચૂંટવા ઉતાવળા થવુંય ખોટું અને જે ફૂલો કરમાઈ ગયાં કે રહ્યાં છે એને જોઈને શોકાતુર થવું પણ અયોગ્ય. નિતનવી તકો પાછળ દોડવાની જરૂર શી? અને ન મળે તો મરવા પણ કેમ પડવાનું? જે હાજરમાં છે એને જ પૂરી કેમ ન ભોગવીએ? ભૂત અને ભવિષ્યના આટાપાટામાં અટવાયા વિના વર્તમાનને જ સાચું જીવન કેમ ન બનાવીએ? જે થઈ ગયું છે એને નથી થયું કરવાની દવા દુનિયાના કોઈ હાકેમ પાસે નથી. જે થયું નથી એને હાજર કરવાનો કીમિયો પણ કોઈ જાદુગરને હસ્તગત નથી. ઈસુથી થોડા દાયકા પૂર્વે જ કવિ હોરિસ (Horace)એ કહ્યું હતું: ‘dum loquimur, fugerit invida aetas: carpe diem, quam minimum credula postero’ (આપણે જ્યારે આ બોલી રહ્યાં છીએ, ઈર્ષ્યાળુ સમય નાસી છૂટ્યો હશે. આજને જીવી લો, આવતીકાલ પર બને એટલો ઓછો ભરોસો કરો.) એલિયટનું આ ગીત Carpe Diem ના સંદેશનું જ બૃહદ્ગાન છે. એ કહે છે કે પૃથ્વી પરનાં આપણાં અંજળ ભલે અપૂરતાં કેમ ન હોય, જે છે એને જ ચાહી-ચાહીને દિવ્ય અને સુંદર કેમ ન બનાવીએ?

આપણામાંથી મોટાભાગનાનું મોટાભાગનું જીવન ગઈકાલના કમરામાં વીતી જાય છે અને બાકીનાઓનું આવતીકાલના હવામહેલમાં. આજની જમીન પર તો આપણો પગ જ નથી પડતો. કેટલાક લોકો ‘અમારા જમાનામાં તો આમ હતું’ના સાત બાય પાંચ ઈંચના ઓરડા(મગજ)માં જ આજીવન કેદ રહે છે. ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો કે નાદાનીઓને બહુમતી લોકો વિસારે પાડી શકતા નથી. ભૂતકાળની ભૂલ ગમે એવી હોય, એ વીતી ચૂકી છે. એના પડછાયા આજ પર પડતાં નહીં રોકાય તો અજવાળું ઓછું જ મળશે. ખરું ડહાપણ ગઈકાલની સમસ્યાઓને નજરઅંદાજ કરીને આજને ઉજવવામાં છે.

પ્રેમ જીવનનો ખરો અર્ક છે. પ્રેમનો મલમ જ ગઈકાલના જખ્મોને રૂઝવી શકે છે. ગઈગુજરી ભૂલીને જે ક્ષણો હાથમાં છે એને પ્રેમપૂર્વક પૂરેપૂરી જીવી લેવાય એ ખરી જિંદગી. આનો અમલ કરવાનું ચૂકી જાય છે, એ લોકો જીવવાનું જ ચૂકી જાય છે. પ્રેમને વ્યક્ત કરતાં શીખવાનું છે. પ્રેમ છે? તો કહી દો. પ્રેમ છે? તો કરી લો. અભિવ્યક્તિમાં જેમ મોડું કરીશું, તેમ પ્રેમ કરમાતો અને કાળ સાથે ઝંખવાતો-નંદવાતો જશે. પ્રેમને સદીઓ ટકાવવાની ફિકર કરવાના બદલે પ્રેમની પળોને સો ફીસદી જીવવામાં રત રહીશું તો દરેક ક્ષણ શાશ્વતીની ક્ષણ બની જશે. કવિ આપણને જિંદગીને મુક્તમને જીવવા અને ‘દિવ્ય’ પ્રેમના ચંદ દિવસોને સનાતનમાં પરિવર્તિત કરવા આમંત્રે છે. ‘ચાલ્યું ગયું એ પાછું ટીપુંય આપો તો બદલામાં ચાહે રગ-રગ લો’નો નોસ્ટાલ્જિક મોહ ત્યજીને આજમાં જીવતાં શીખી શકાય તો જીવનનું વન સાચે જ નંદનવન છે.

ગ્લૉબલ કવિતા: ૨૧૦ : હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા)

I – Chairil Anwar

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Translation: Burton Raffel)

હું

જ્યારે મારો સમય આવશે
હું કોઈનું રુદન સાંભળવા માંગતો નથી
તમારું પણ નહીં

દૂર બધા રડમસોથી !

હું આ જ છું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ ભલે મારી ત્વચાને છેદી નાંખે
પણ હું આગળ વધતો જ રહીશ

મારા જખ્મોને લઈને હું ધસતો રહીશ અને મારાં દર્દ હુમલા કરતાં રહેશે,
કરતાં રહેશે,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા કરનાર નથી

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)


હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું….

અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળ રેલ્વેના પાટાની જેમ સદૈવ અડખેપડખે ચાલતાં હોવા છતાં ભિન્ન છે. વળી જિંદગીની ટ્રેનને સારી રીતે પસાર થવા માટે બંને અનિવાર્ય પણ છે. ડાર્વિનના વિખ્યાત સિદ્ધાંતોમાંનો એક, અસ્તિત્વ માટેનો સંઘર્ષ તો પ્રાણીમાત્રને હાંસિલ છે, અને દરેક જણ વધતા-ઓછા અંશે એ કરે જ છે. પણ આ સંઘર્ષમાં જો આત્મબળ ઉમેરાય તો નવીન બુલંદીઓ હાથવગી થઈ શકે. અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળના પાટા પર દોડતી જિંદગીની ટ્રેન જ કદાચ અમરત્વના સ્ટેશન સુધી લઈ જઈ શકે. પ્રસ્તુત રચનામાં ઇન્ડોનેશિયન કવિ ચૈરિલની સાથે ચાલો, આ મુસાફરી ખેડીએ.

ચૈરિલ અનવર. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. (જ.: ૨૬-૦૭-૧૯૨૨, ઉત્તર સુમાત્રા, મૃ: ૨૮-૦૪-૧૯૪૯, જકાર્તા) હોઠ વચ્ચેની સિગારેટ ખાખ થાય એથીય વહેલું, છવ્વીસ વર્ષની અલ્પાયુમાં અને છ જ વર્ષના કવિજીવનમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ, ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો સર્વકાલીન અગ્રકવિ બની ગયો. માત્ર ૫૫ ગઝલ લખીને અજરામર થઈ જનાર દુષ્યંતકુમારનું સ્મરણ થાય. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો, લઘરવઘર, નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ઢગલાબંધ પ્રેમિકાઓનો પ્રેમી. બાળપણમાં પણ જિદ્દી અને અઘરો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એ કળાકાર થવા જન્મ્યો છે. એ અંદાજ પણ આવી ગયો હતો કે દીવો જલ્દી ઓલવાવાનો છે. ૧૮ વર્ષે શાળા છોડી દીધી. એ જ અરસામાં થયેલા મા-બાપના છૂટાછેડાથી લાગેલા ઘા કદી રૂઝાયા નહીં. ૧૯૪૬માં હાપ્સા વીરારેજા સાથે લગ્ન. એક દીકરીનો બાપ બન્યા. બે વર્ષમાં છૂટાછેડા. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ટાયફસ, સિફિલીસ, ટી.બી. કે સિરોસીસ ઑફ લિવર? અલ્લાહ જાણે! મૃત્યુપર્યંત અનવર પર ઊઠાંતરીનો આરોપ પણ લગાવાયો હતો. આરોપ સાચો હોય તોય એનો હાથ લાગતાં કવિતામાં જાદુઈ ફેરફાર અને પરિણામ આવતાં. જો કે એક જ કવિતામાં સીધી ઊઠાંતરી સિદ્ધ થઈ શકી એ અલગ વાત. એલિયટ યાદ આવે: ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

એની કવિતામાં વ્યક્તિવાદ, અસ્તિત્વવાદ અને મૃત્યુ રોજબરોજની ભાષામાં ઊતરી આવે છે. એના ભાષાકર્મ અને પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિકાના લીરેલીરાં ઊડાવી દીધાં. પારંપારિક ઇન્ડોનેશિયન સાહિત્યને નવા-નવા આઝાદ (૧૭-૦૮-૧૯૪૫) થયેલા દેશની નૂતન પરિભાષામાં ઢાળનાર ‘જનરેશન ૪૫’ના અગ્રણી યુવા કવિઓમાંનો એ એક હતો. લાગણીની તીવ્રતા, ઉદ્દામવાદી વિચારસરણી તથા બહુધા આત્મકથનાત્મક શૈલીથી રસાયેલી એની કવિતાઓમાં નિરાશા અને મૃત્યુના ગાઢા રંગ ઉપસી આવે છે. ઇન્ડોનેશિયન સાહિત્યના પ્રખર અભ્યાસુ ટિવેએ એને ‘પરફેક્ટ પોએટ’ કહ્યો છે. જીવતો’તો ત્યારે એની કવિતાઓ મોટાભાગે સાભાર પરત થતી પણ આજે એનો નિર્વાણદિન ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

અનુવાદ કરતી વખતે મૂળ રચનાનું ભાષાસૌંદર્ય અવશ્ય ખતમ થવાનું. પ્રસ્તુત કવિતાનું શીર્ષક અને મધ્યવર્તી વિચાર બંને Aku (હું) છે. ‘Aku’ એક જ શબ્દ હું, મને, મારુંની બધી જ અર્થચ્છાયામાં અલગાલગરીતે વાપરી શકાતો હોવાથી કાવ્યસર્જનની પળનો કવિનો મનોભાવ પકડવો અશક્ય છે. મૂલ કવિતામાં પહેલી લીટીમાં Waktuku શબ્દ છે, જેમાં Waktu એટલે સમય. Akuમાંનો ku એની પાછળ પ્રત્યય તરીકે લાગે એટલે અર્થ થાય મારો સમય. બીજી પંક્તિના પ્રારંભે ‘Ku બોલચાલની ભાષાનો કૈંક અંશે અશિષ્ટ શબ્દ છે, અર્થ તો ‘હું’ જ થાય છે પણ એનું સ્લેંગ તરીકે ભાષાંતર શું કરવું? કવિતામાં એ જ પ્રમાણે Ku ફરીથી પ્રત્યય તરીકે kulit સાથે (મારી ત્વચા), અને ઉપસર્ગ તરીકે bawa સાથે (હું આગળ વધું છું) વપરાયું છે. એક જ શબ્દની અલગ અલગ ભાષામાં અર્થચ્છાયા પણ અલગ અલગ હોવાની. પણ તમામ મર્યાદાઓના સ્વીકાર સાથે મૂળ ભાષાથી અણજાણ ભાવકોને અવર ભાષાના સાહિત્ય સાથે સાક્ષાત્કાર કરાવી આપવાનો એકમાત્ર કીમિયો અનુવાદ જ છે એટલે મૂળ ભાષામાંનું કંઈક ગુમાવવાની તૈયારી સાથે અને નવી ભાષામાંથી કંઈક ઉમેરણ સાથેના અનુસર્જનને આવકારવો જ રહ્યો.

‘અકુ’ એટલે ‘હું’. જાકાર્તા કલ્ચરલ સેન્ટરમાં જુલાઈ, ૧૯૪૩માં ચૈરિલે પહેલવહેલીવાર આ કવિતા વાંચી હતી, ત્યારે ‘સેમાન્ગત’ (આત્મા) એનું શીર્ષક હતું. ઇન્ડોનેશિયન વિવેચક નેતિના મતે નવું શીર્ષક ‘અકુ’ (હું) અનવરનો વ્યક્તિગત સ્વ-ભાવ સૂચવે છે જ્યારે જૂનું શીર્ષક પ્રાણશક્તિ. આખી રચના ‘હું’ કેન્દ્રિત છે અને ટોળામાંથી ખદેડી મૂકાયેલ માણસની છે. આવામાં લય કે સુનિશ્ચિતતા શું શક્ય બને? કદાચ એટલે જ અહીં કાવ્યવિધા અછાંદસ છે, અને સાત અનિયત ભાગમાં વહેંચાયેલી તેર અનિયમિત લંબાઈવાળી પંક્તિઓ. મૂળ કવિતામાં જો કે કવિએ સરસ પ્રાસવ્યવસ્થા અને નાદસૌંદર્ય જાળવ્યાં છે.

સદીઓના ડચ સંસ્થાનવાદની જોહુકમી બાદ ૧૯૪૧થી ૧૯૪૫ દરમિયાન જાપાનીઓએ ઇન્ડોનેશિયામાં અડિંગો જમાવ્યો હતો. નિર્દયી જાપાનીઓએ દેશને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નહોતી. માર્ચ ૧૯૪૩માં, જ્યારે ચૈરિલે આ કવિતા લખી એ સમય ઇન્ડોનેશિયાની આઝાદીની લડતનો સમય હતો. ઘણા આ કવિતા રાજનૈતિક હેતુથી પર હોવાનું માને છે, પણ કવિતાના વિષયવસ્તુ, રચનાસમય, ચૈરિલનો સ્વભાવ –આ બધું જોતાં સમજાય છે કે આ કવિતા દેશ આખાની આઝાદીની ચાહનાનું ગાન છે. કવિતા સ્વતંત્રતાસંગ્રામનું પ્રતીક બની રહી હતી. કદાચ એટલે જ એ કવિનું સર્વશ્રેષ્ઠ સર્જન પણ ગણાય છે.

આખી રચના ‘હું’ ફરતે વીંટળાયેલી છે. કાવ્યનાયક (persona) કવિ પોતે હોવાનું સતત અનુભવાય છે. ચૈરિલની બહુધા આત્મકથનાત્મક શૈલીની કવિતાઓની આ ખૂબી છે. એ કહે છે કે આ જ હું છું, આ હું જ છું; સ્વીકારો અથવા તરછોડો. માથે ચડાવો અથવા ફેંકી દો પણ હું આ જ છું, આ જ છું ને આ જ રહીશ. કાવ્યારંભે જ કવિનો આ મિજાજ સંભળાય છે. ‘જ્યારે મારો સમય આવશે’થી કવિતા પ્રારંભાય છે. આ સમય મૃત્યુનો છે કે વિજયશ્રીનો કે બંનેનો એ આગળ જતાં સમજાય છે. બુદ્ધ કહે છે કે ‘સમસ્યા એ જ છે કે તમે વિચારો છો કે તમારી પાસે સમય છે.’ મહાભારતમાં યક્ષપ્રશ્નોના જવાબ આપતાં યુધિષ્ઠિરે મૃત્યુ નિશ્ચિત હોવાનું જાણવા છતાં માણસ કદી મરવાનો ન હોય એમ જીવે છે એને સંસારનું સૌથી મોટું આશ્ચર્ય લેખાવ્યું હતું. પણ અહીં પોતાનો સમય નજીક હોવાનું કવિ સમજી ચૂક્યા છે. સ્વાતંત્ર્યસંગ્રામના સમયગાળાની રચના હોવાથી અને કવિ પોતે ગેરિલા સૈનિક રહી ચૂક્યા હોવાથી લડાઈ, ગોળીઓ અને આગેકૂચના સંદર્ભો સમજાય છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂવાનો કે કોઈપણ રીતનો ‘પોતાનો’ સમય આવશે ત્યારે કવિ કોઈનું પણ રુદન સાંભળવા માંગતા નથી. એ નથી ઇચ્છતા કે કોઈપણ રડે, કે શોક મનાવે. કથક જે(ઓ)ને સંબોધે છે તે(ઓ)નું રૂદન પણ ઝંખતો નથી. મેરી એલિઝાબેથ ફ્રે કહે છે, ‘મારી કબર પાસે ઊભાં રહીને રડશો નહીં. હું ત્યાં નથી. હું મરી નથી.’ કવિ પણ દુનિયાભરના રડમસોથી પરે રહેવા ધારે છે. આમ, પ્રથમ ત્રણ પંક્તિમાં જ મૃત્યુના સાન્નિધ્યમાં જીવનનું માહાત્મ્ય ઉજાગર થાય છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કહેતો રાવજી પટેલ યાદ આવે. રાવજીને યુવાવયે મરણ ઢૂંકડુ દેખાયું ત્યારે એણે શોકગીતના બદલે લોકગીત-લગ્નગીતની ભાષામાં પોતાની વેલને શણગારવાનું અને શગને સંકોરવાનું કહ્યું હતું. મૃત્યુના વધામણાં લેતાં આવડી જાય તો શ્વાસ પણ અજવાળાં પહેરીને ઊભા રહે! નોર્મન કઝિન્સ કહે છે, ‘મૃત્યુ એ જિંદગીમાં સૌથી મોટી ખોટ નથી. મોટામાં મોટી ખોટ તો આપણે જીવતાં હોઈએ ત્યારે આપણી અંદર કશુંક મરી જાય એ છે.’ ખલિલ જિબ્રાન કહે છે, ‘જીવન અને મૃત્યુ એક જ છે, જે રીતે નદી અને દરિયો.’ ચૈરિલ પણ મૃત્યુને વધાવી લેવાની વાત કરે છે. રડવાથી અને રડનારાઓથી દૂર રહેવા માંગે છે.

કવિ પોતે દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર હોવાનું કબૂલે છે. પણ સૂર કબૂલાતનામાનો ઓછો અને જાહેરાતનો વધારે છે. ગાયોના ઝુંડમાં ગાય હોય અને સિંહોના ટોળામાં સિંહ. મતલબ, ઝુંડના અન્ય સભ્ય પ્રાણીઓ પણ હતા તો જંગલી જ! આપણો સમાજ પણ સુસંસ્કૃત જંગલીઓના જૂથ સિવાય બીજું શું છે? કથકની જંગલિયત જો કે એવી છે કે એને જંગલીઓએ પણ તડીપાર કર્યો છે. મૂળ ભાષામાં ‘જંગલી જાનવર’ માટે binatang jalang શબ્દપ્રયોગ છે, જેમાં jalang (જંગલી) શબ્દમાં કામુકતાની અર્થચ્છાયા છે, જે અનુવાદમાં લુપ્ત થઈ ગઈ. Jalang વિશેષણ સ્ત્રીઓ માટે વપરાય ત્યારે વેશ્યા હોવાનો અર્થ પ્રતિપાદિત થાય છે. અહીં પણ, Jalang શબ્દનો એક તાર ચૈરિલની બેબાક અતિકામુક જિંદગી સાથે જોડાયેલ અનુભવાય છે. પાણી અને જળ સમાનાર્થી હોવા છતાં બંનેની અર્થચ્છાયા ભિન્ન છે. સન્માનનીય વ્યક્તિના પગ ધોવા કે અભિષેક માટે જળ શબ્દ વપરાય, પાણી નહીં. એ જ રીતે મળપ્રક્ષાલન માટે પાણી શબ્દ જ છાજે, જળ નહીં.

ઇન્ડોનેશિયન સમાજના જનમાનસમાં એ સમયે એ વાત ઠસી ગઈ હતી કે ટોળાંમાંથી છૂટો પડે એ કચડાઈ જાય, આગળ ન વધી શકે, અને આ એકાકી અવસ્થામાં ભાગ્યે જ બચી શકે. ચૈરિલની ઘણી કવિતાઓ પર એ સમયના શાસકદેશ જાપાને પ્રતિબંધ મૂક્યો હતો પણ એ તો સ્વભાવે જ બંડખોર હતો. એ ટોળાંનો કે બહોળાનો માણસ નહોતો. એ અવળી જ આલબેલ પોકારે છે. ઝુંડમાંથી હાંકી કઢાયો હોવાની બાંગ એ કવિતાના મિનારે ચડીને પોકારે છે. અને એની આ વાતની જ પુષ્ટિ કરતી હોય એમ શીર્ષક અને તેરેતેર પંક્તિઓમાં Aku (હું)ના પડઘા સતત સંભળાય છે.

ચૈરિલનો બળવાખોર મિજાજ શબ્દે-શબ્દે છલકાય છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય, ભલે એકલો પડ્યો હોય, ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગેકૂચ છોડનાર નથી. આગળ કદાચ ગોળીબારનો સામનો કરવો પડે અને ગોળીવર્ષા ત્વચા ભેદીને તાર-તાર પણ કરી દે. વાંધો નહીં. આગેકદમ જારી જ રહેશે. એનો હુમલો મંદ કે બંધ નહીં પડે. બાણશય્યાવશ ભીષ્મે પણ ઇચ્છામૃત્યુનું વર હોવા છતાં મૃત્યુની ઇચ્છા કરી હતી, પરંતુ કાવ્યનાયક ગોળીથી છલની-છલની થઈનેય અટકનાર નથી. માત્ર ઘાવો જ નહીં, દર્દોને પણ ઊંચકીને આગળ ને આગળ વધતા-ધસતા રહેવાની એની નેમ છે. ઘા તનના હોય છે, દર્દ મનના. તન કરતાં મનને ઉપાડવું વધુ દોહ્યલું છે. અહીં તો તન-મન બંને જખ્મી છે. નાયકની જેમ આ જખ્મો અને દર્દો પણ અટકવાના બદલે વધતા જ જશે અને એ હદ સુધી વધશે, જ્યાં સંવેદનતંત્ર લકવાગ્રસ્ત થઈ જાય, દુઃખ-દર્દ અનુભવવાની ક્ષમતાનું નાકું આવી જાય. ગોળીઓની પેઠે તન-મનને વીંધી-વીંધીને તમામ યાતનાઓ બુઠ્ઠી થઈ હથિયાર ફેંકી દે, દુઃખ-દર્દની સરહદ ખતમ થઈ જાય એ મુકામે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની ઇચ્છા ધરાવે છે. ગાલિબના એક-એક કરતાં બબ્બે શેર યાદ આવે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं
(માણસ દુઃખથી અભ્યસ્ત થઈ જાય છે તો દુઃખ મટી જાય છે. મારા પર એટલી બધી મુશ્કેલી પડી કે આસાન થઈ ગઈ.)

इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना
दर्द का हद से गुज़रना है दवा हो जाना
(દરિયામાં ફના થઈ જવું એ જ બુંદની ખુશી છે. દર્દ હદથી વધી જાય તો ઔષધ બની જાય છે.)

જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શેનું માનતા કે, ‘તુચ્છ લોકોની પીડા તુચ્છ હોય છે, મહાન માણસોની મહાન. મહાન વેદનાનો અફસોસ ન કરવો જોઈએ કેમકે તે ઉમદા છે.’ એમણે કહ્યું હતું કે ‘જે આપણને મારી નથી નાંખતી એ પીડા આપણને વધુ મજબૂત બનાવે છે,’ આ વાત વૈજ્ઞાનિક ધોરણે પણ પુરવાર થઈ છે. ચૈરિલ પણ આ જ કહે છે. કહે છે, હું તસુભાર પણ પરવા કરનાર નથી. ગોળીવર્ષા, જખ્મો, દુઃખદર્દ કે દુનિયાની કોઈ પણ આડશ એના વેગને, આત્મબળને અટકાવી શકનાર નથી.

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના. (ઘાયલ)

કવિનું આત્મબળ એના અસ્તિત્વના સંઘર્ષથી વધીને છે. એટલે એ મૃત્યુના ખોળામાં બેસીને ચિરંજીવી થવાની વાત કરી શકે છે. રડ્યા વિના, કોઈને રડવા દીધા વિના, મરણને પરણવાનું આહ્વાન આપતી આ રચના આઝાદી અને અમરજીવન માટેની બુલંદ ચીસ છે. સામી છાતીએ ફના થવા પૂરપાટ આગળ વધી શકે એ જ અમરત્વનાં સ્વપ્ન જોઈ શકે. અંતને ગળે લગાડતી કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.’ અને આ નાદભેરી એટલી વાસ્તવિક છે કે સહસ્ત્રાયુના આકાશકુસુમવત્ ગપગોળાને અવગણીને આપણે કવિના પક્ષે બેસી જઈને એને ‘તથાસ્તુ’ કહી બેસીએ છીએ!

એક રીતે, આ ઇન્ડોનેશિયાનું આઝાદીગાન પણ છે. ડચ હોય કે જાપાની– શાસકો ગમે એટલા અવરોધો કેમ ન ઊભા કરે, ગમે એટલી તકલીફો કેમ ન આપે, આ દેશ ઘાયલ થઈનેય કશાયની તમા રાખ્યા વિના આઝાદીની દિશામાં સતત ધસતો જ રહેશે, અને ત્યાં સુધી ધસતો રહેશે જ્યાં સુધી આતતાયીઓ અને ગુલામી ગાયબ ન થઈ જાય, દેશ સ્વતંત્ર ન થઈ જાય, કેમકે આ આઝાદી બીજા હજાર વર્ષ ટકી રહેનાર છે.

કવિનો અને કવિતાનો ‘હું’ આપણા સહુનો ‘હું’ છે. આ ‘હું’ હકીકતમાં મનુષ્યની સાહસિક ભાવના છે, જે મનુષ્યની પોતાના નિર્ધારિત ભાગ્ય -મૃત્યુમાંથી આઝાદ થઈ અમરત્વપ્રાપ્તિ માટેની તડપ અને કોશિશ નિરુપે છે. ચૈરિલ કહે છે, ‘કળામાં, પ્રાણશક્તિ પ્રારંભની અરાજક અવસ્થા હોય છે, સૌંદર્ય અંતિમ વૈશ્વિક અવસ્થા.’ આ વાત આ કવિતામાં પણ નજરે ચડે છે. કવિતાનો પ્રાણ એની શરૂઆતની અરાજકતા છે- મૃત્યુનું આહ્વાન, શોકની મનાઈ, ન્યાતબહાર ફેંકાવું, ઘાયલ થવું. પણ આખરી વાક્યમાં જે જિજિવિષા અંતરના તળિયાનાય તળિયેથી ઊભરી આવે છે એ વૈશ્વિક અવસ્થા, સ્વમાંથી સર્વ તરફની ગતિ, વયષ્ટિમાંથી સમષ્ટિ તરફનું પ્રયાણ આ કવિતાનું સાચું સૌંદર્ય છે.

ગ્લૉબલ કવિતા : ૨૦૯ : પિતાજીની ઘરવાપસી – દિલીપ ચિત્રે

Father Returning Home

My father travels on the late evening train
Standing among silent commuters in the yellow light
Suburbs slide past his unseeing eyes
His shirt and pants are soggy and his black raincoat
Stained with mud and his bag stuffed with books
Is falling apart. His eyes dimmed by age
fade homeward through the humid monsoon night.
Now I can see him getting off the train
Like a word dropped from a long sentence.
He hurries across the length of the grey platform,
Crosses the railway line, enters the lane,
His chappals are sticky with mud, but he hurries onward.

Home again, I see him drinking weak tea,
Eating a stale chapati, reading a book.
He goes into the toilet to contemplate
Man’s estrangement from a man-made world.
Coming out he trembles at the sink,
The cold water running over his brown hands,
A few droplets cling to the greying hairs on his wrists.
His sullen children have often refused to share
Jokes and secrets with him. He will now go to sleep
Listening to the static on the radio, dreaming
Of his ancestors and grandchildren, thinking
Of nomads entering a subcontinent through a narrow pass.

– Dilip Chitre


પિતાજીની ઘરવાપસી

મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
મુસાફરી કરે છે સિઝન ટિકીટવાળા મૂંગા સહયાત્રીઓની વચ્ચે.
એમની વણ-જોતી આંખો સામેથી પરાંઓ પસાર થયે રાખે છે
એમનો શર્ટ અને પેન્ટ ભીનાં છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો છે અને ચોપડીઓ ઠાંસીને ભરેલો એમનો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે નિસ્તેજ થયેલી એમની આંખો
ચોમાસાની આર્દ્ર રાતમાં ઘર તરફ ધૂંધળું તાકી રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મને પસાર કરવા,
રેલ્વેલાઇન ઓળંગે છે, ગલીમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.

ઘરે પાછા, હું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા જોઉં છું.
એ શૌચાલયમાં જાય છે
માનવ-સર્જિત જગતથી માનવીના અલગાવ વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા લડખડાય છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમનાં કાંડાં પરના ધોળાં વાળ પર વળગી રહ્યાં છે.
એમના અતડાં બાળકોએ એમની સાથે હાસ્યો કે રહસ્યો
વહેંચવાનો ઘણુંખરું નકાર્યું જ છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.

– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)

પિતા – જિંદગીના વાક્યમાંથી ખડી પડેલો શબ્દ?

પહેલાનાં જમાનામાં ઘરો માત્ર ઈંટો કે ભીંતોથી નહોતા બનતાં. ડેલો. વખાર. ઓસરી. ફળિયું. ગમાણ. પરસાળ. રાંધણિયું. કોઠાર. મેડી. કાતરિયું. પછીત. વાડો. –આ સૌ પહેલાંના ઘરોના સભ્યો હતા. ઘર જેટલા વિશાળ હતા, પરિવાર એટલા બહોળા અને દિલ એવા જ મોકળા હતા. જેમ-જેમ ઘર BHKથી ઓળખાવા માંડ્યા, તેમ-તેમ પરિવાર નાના થવા માંડ્યા અને પરિવારજનોના દિલ સાંકડાં. તંગદિલ અને સંગદિલ પરિવારોમાં મા-બાપની જગ્યા માઇનસ થતી ગઈ. પ્રસ્તુત રચનામાં આવા જ એક પરિવારમાં જીવતા બાપનું સ્થાન શબ્દોના બદલે આંસુઓથી ચિતરાયું છે.
દિલીપ પુરુષોત્તમ ચિત્રે. ૧૭-૦૯-૧૯૩૮ના રોજ વડોદરા ખાતે જન્મ. ૧૯૫૧માં સહપરિવાર મુંબઈ સ્થળાંતર. પિતાજી એક જમાનાના આપણા ‘કુમાર’ કક્ષાનું સામયિક ‘અભિરુચિ ચલાવતા, તો નાના કાશીનાથ ગુપ્તે સંત તુકારામના ‘સ્પેશ્યાલિસ્ટ’ હતા. એટલે સાહિત્ય રક્તસંસ્કારમાં હતું. ૧૬ વર્ષની ઉંમરે એમણે નક્કી કરી લીધું હતું કે કવિતા અને ચિત્રકળા જ એમનો વ્યવસાય હશે. ૨૨મા વર્ષે પહેલો કાવ્યસંગ્રહ. એ જ ઉંમરે વિજયા સાથે લગ્ન. એકમાત્ર પુત્ર ભોપાલ ગેસ કરુણાંતિકાનો શિકાર બન્યો. સ્વાતંત્ર્યોત્તર ભારતના નોંધપાત્ર દ્વિભાષી સર્જકોમાંના એક. મુખ્યત્વે મરાઠી અને અંગ્રેજીમાં, પરંતુ હિંદી-ગુજરાતીમાંય નોંધનીય પદાર્પણ. તેઓ કહેતા, ‘દ્વિભાષી લેખકના સાહિત્યિક અભિગમને દ્વિજાતીય વ્યક્તિના કામુક અભિગમ જેવો જ ગણી લેવામાં આવે છે- ભયાનક રીતે મહત્ત્વાકાંક્ષી અને તિર્યક્.’ તુકારામ અને ધ્યાનેશ્વરની કૃતિઓના અંગ્રેજી અનુવાદ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાતીમાં એમણે મિલ્ટનના મહાકાવ્યોનો સહ-અનુવાદ કર્યો. એક ચલચિત્ર ‘ગોદામ’ અને ઢગલાબંધ દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો એમણે બનાવી. મોટાભાગની ફિલ્મોમાં પટકથા, દિગ્દર્શન અને કેટલાકમાં સંગીત પણ એમણે આપ્યું. ચિત્રકળા અને ફિલ્મમેકિંગને તેઓ પોતાની કાવ્યાત્મક સંવેદનશીલતાના સાંધારહિત વિસ્તરણ સ્વરૂપે જોતા. ભારતના અમર સાહિત્યિક વારસાના પ્રખંડ ચાહક-પ્રચારક. કહેતા, ‘સાતસોથી વધુ વર્ષોથી અનવરત અસ્ત્તિત્વ ધરાવતું આ સાહિત્ય સાહિત્યિક જગત માટેનો મારો પાસપોર્ટ છે. મારે દુનિયાને બતાવવાનું છે કે મારો શેક્સપિઅર અને દોસ્તોએવસ્કી કોણ છે.’ પચાસ-સાંઠના દાયકામાં બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ, હિંદી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ દાવાનળની જેમ ફેલાઈ વળી. સ્થાપિત કવિઓ અને કવિતાઓ સામેનો આ પ્રચંડ જુવાળ મરાઠીમાં માર્ધેકરે લાવ્યા અને દિલીપ ચિત્રે, અરુણ કોલાટકર જેવા કવિઓએ પ્રમુખ ભાગ ભજવ્યો. ‘શબ્દ’ નામનું સાઇક્લોસ્ટાઇલ સામયિક ચાલુ કર્યું. જૂનવાણી, ઉચ્ચ અને મધ્યમવર્ગીય ઈજારો બની ગયેલ મરાઠી સાહિત્યજગતને આધુનિકતા અને દલિત ચળવળના રંગે રંગવામાં અને સાહિત્યનો નવોન્મેષ સર્જવામાં ‘શબ્દ’નો ફાળો પ્રમુખ હતો. કેન્સર સામેનો જંગ લડતા-લડતા અંતે ૧૦-૧૨-૨૦૦૯ના રોજ પુણે ખાતે પોતાના નિવાસસ્થાને દેહવિલય.

‘પિતાજીની ઘરવાપસી’ ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની અંગ્રેજી કવિતા છે. સ્વાતંત્ર્યોત્તર કવિતાઓએ છંદોપ્રાસની કેદમાંથી છૂટવા આંદોલન આદર્યું હતું, એનો જ એક ભાગ હોવાથી અહીં કાવ્યવિધા અછાંદસ છે. શૈલી નાટકીય આત્મસંભાષણાત્મક (dramatic monologue) કે આત્મકથનાત્મક છે. ૧૨-૧૨ પંક્તિના બે ખંડ ઘરપ્રયાણ અને ઘરભીતર -પિતાજીની બે પરિસ્થિતિ વચ્ચે ભેદરેખા આંકે છે. વડોદરાથી મુંબઈ આવ્યા બાદની પોતાના પિતાજીની પરિસ્થિતિનું જ દારુણ વર્ણન કવિએ કર્યું હોવાનું કહેવાય છે. પણ આ પિતાજી કોઈનાય હોઈ શકે. તીણી તીખી છરીની જેમ હૃદયસોંસરી નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું આ નગ્ન ચિત્રણ છે. કવિતાને Res ipsa loquitar યાને સ્વયંસ્પષ્ટ કે સ્વયંસિદ્ધા પણ ગણી શકાય. મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખેદેખ્યો હાલ સંભળાવે છે એ જ રીતે કવિ પોતાના પિતાનું ચિત્ર આપણને બતાવે છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં મોડી સાંજે સિઝન ટિકીટવાળા મૂંગા સહયાત્રીઓની ભીડ વચ્ચે ડબ્બામાંના પીળા પ્રકાશમાં ઊભા-ઊભા મુસાફરી કરતા પિતાજીના રેખાંકનથી કાવ્યારંભ થાય છે. કવિતામાં દરેક પ્રતીક ધ્યાનાર્હ છે. નોકરી માટે રોજિંદી અપડાઉન કરતા કમ્યૂટર્સનો એકશબ્દી પર્યાય આપણી ભાષામાં મળતો નથી. પિતાજી આ અપડાઉનિયા ભીડનો જ ભાગ છે, મતલબ તેઓ પણ નોકરિયાત છે. મોડી સાંજની ટ્રેન સૂચવે છે કે નોકરીના કલાક પણ ઓછા નહીં હોય. પીળી બત્તી ટ્રાફિકમાં ધીમા પડવા માટેનું સિગ્નલ છે. પીળો પ્રકાશ ઉદાસીનતા પણ સૂચવે છે. આમ, મોડી સાંજ અને પીળો પ્રકાશ કવિતાના કેન્દ્રવર્તી ભાવને બખૂબી વ્યક્ત કરે છે. તમામ પ્રતીક કવિએ બેવડા સ્તરે પ્રયોજ્યા જણાય છે. દિવસ આથમી ચૂક્યો છે. સાંજ અને અજવાળું –બંને ઓસરવા આવ્યાં છે. પિતાજી પણ જીવનસંધ્યાએ આવી ઊભા છે. વૃદ્ધાવસ્થાએ પહોંચવા છતાં એમના માથેથી આજીવિકા રળવાની જવાબદારીનો બોજ ઉતર્યો નથી. ટ્રેનમાં વયને માન આપીને એમને બેસવાની જગ્યા આપવાની પણ કોઈને દરકાર નથી. સહયાત્રીઓ છે પણ મૂંગા. આ એવી દુનિયા છે, જ્યાં કોઈને કોઈની પડી નથી. આત્મરતિની અતિથી પીડાતી આ દુનિયામાં પરસ્પર તરફની ગતિ નથી.

ટ્રેનની આ રોજિંદી અને યંત્રવત્ મુસાફરી દરમિયાન પિતાની વણજોતી આંખો સામેથી એક પછી એક પરાં પસાર થઈ રહ્યાં છે. કોઠે પડી ગયેલાં એ દૃશ્યો આંખ જોતી નથી. ફરતેના વિશ્વની નોંધ લેવાનો ઇનકાર કરતી આંખો ખુલ્લી છે પણ બંધ બરાબર. પિતાજીના શર્ટ-પેન્ટ ભીનાં છે અને કાળો રેઇનકોટ કાદવથી ખરડાયેલ. મતલબ, વરસાદની ઋતુમાં પણ નોકરીથી મુક્તિ નથી. કાળો રંગ પિતાજીની અવદશાનો રંગ છે, અને જિંદગીના રંગોની અનુપસ્થિતિનો રંગ પણ છે. ઠાંસી-ઠાંસીને ચોપડીઓથી ભરેલો થેલો પડુ-પડુ થઈ રહ્યો છે. વરસોના અનુભવોથી ભર્યોભાદર્યો એમના અસ્તિત્વનો થેલો પણ પ્રવર્તમાન નિરુપિયોગિતાના અહેસાસ સાથે જિંદગીના ખભે ટકી રહેવા જાણે ઝઝૂમી રહ્યો છે.

એક તરફ ચોમાસાની ભેજલ રાતના કારણે હોય એનાથી વધુ ગાઢો દેખાતો અંધકાર છે, તો બીજી બાજુ વૃદ્ધાવસ્થાના કારણે પિતાજીની આંખોનું તેજ પણ ઓસરી રહ્યું છે. અંધારામાં વધુ લાચાર નિસ્તેજ આંખોની ધૂંધળી નજર તોય ઘર ભણી તાકે છે. આંખોનું તેજ કદાચ ઉંમર કે સમય કરતાંય એમની પ્રવર્તમાન હાલતની વાકેફિયતથી વધુ ઝાંખું પડ્યું છે:

મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા?
ધીમે ધીમે આંખ સામે આવતો અંધારપટ!

નિસ્તેજ થતા જતા સંબંધોની દુનિયાને પસાર થતાં પરાંની જેમ દેખી-અણદેખી કરવી મુશ્કેલ છે. લાંબા વાક્યમાંથી સંદર્ભ ગુમાવી બેસેલ શબ્દ કાઢી લેવાય એ રીતે કવિ પિતાજીને ટ્રેનમાંથી ઊતરતા જુએ છે. ટ્રેનની અંદર જેઓએ અસ્તિત્ત્વની કોઈ નોંધ લીધી નહોતી, એ સહયાત્રીઓને તો કોઈ ટ્રેનમાંથી ઉતરે, ન ઉતરે, શો ફરક પડે? મુસાફરો તો અન્યોન્યને પસાર થતું પણ ન દેખાતું કોઈક પરું જ ગણે ને! અને ટ્રેન પણ ઉતરનારની પરવા કર્યા વિના આગળ નીકળી જશે. ઉતરનાર વ્યક્તિ ટ્રેન અને સહયાત્રીઓ સાથેનો સંદર્ભ ગુમાવી બેસે છે. પસાર થતી જિંદગી સાથેનો પૂર્વાપરસંબંધ ગુમાવી બેસનાર પિતાજી લાંબા વાક્યમાંથી કાઢી નંખાયેલ શબ્દ જ ને?

પિતાજી ટ્રેનમાંથી ઉતરીને ભૂખરા લાંબા પ્લેટફૉર્મને પસાર કરવા ઝડપ કરે છે. પ્લેટફૉર્મની લંબાઈ અને ભૂખરો રંગ પણ ઉદાસ રંગહીન પ્રદીર્ઘ જિંદગી તરફ અંગૂલિનિર્દેશ કરે છે. કાદવમાં ચપચપ કરતી ચપ્પલ પહેરીને ચાલવું કપરું હોવા છતાં પિતાજી ધીમા પડતા નથી. પ્લેટફૉર્મ પસાર કરી, રેલવેલાઇન ઓળંગીને કાદવમાં ચાલતાં તેઓ પોતાની ગલીમાં પહોંચે છે. ત્રણ પંક્તિમાં બે વાર ‘ઝડપ’ શબ્દ વાપરીને કવિ પિતાની તત્પરતાને અધોરેખિત કરે છે. પણ આ તત્પરતા શેની છે? ઘરે તો એ જ બેરંગ બેઢંગ ગમગીનીનું સામ્રાજ્ય છે.

કવિતાના પ્રથમ ભાગમાં પિતાજીના ઘરપ્રયાણના આલેખન બાદ બીજા ભાગમાં ઘર ભીતરનું ચિત્રણ છે. આંખ દગો દેવાનું શરૂ કરી દે એ વયે પણ કોઈપણ સિઝન કે રિઝનને જોયા વિના ટ્રેનના રોજિંદા ધક્કા ખાતા ને કુટુંબ માટે પેટિયું રળી મોડેથી પરત આવતા બાપ માટે ઘરનું વાતાવરણ પણ ટ્રેનના ડબ્બાથી કંઈ અલગ નથી. અહીં પણ એ જ એકવિધતા, ઉદાસીનતા, એકલતા, અવગણના, અને અવમૂલ્યન છે. વધારામાં જનરેશન ગેપ પણ. એમના માટે કોઈ તાજી ચા ઉકાળતું નથી. સાંજની ચામાંથી બચેલી ફિક્કી ચા અને વાસી રોટલી જ એમને નસીબ થાય છે. ટ્રેનમાં જેવા રોજિંદા સહયાત્રીઓ, એવા જ ઘરના સહનિવાસીઓ. મૂંગા. અલિપ્ત. અનાદરસેવી. વાત કરવા માટે પોતાના કુટુંબમાં કોઈ ઉપસ્થિત ન હોવાથી પિતાએ પુસ્તકના કુટુબમાં ઘરવાસ કરી લીધો છે. ટ્રેન હોય કે ઘર –એમને કોઈ સામે ફરિયાદ નથી. અંગત વાતોનો વિનિમય લગભગ બંધ કરીને ઘરની અંદર જ ઘરવટો આપનારા સંતાનો સામે પણ વિરોધનો સૂર નથી. એમની દારુણ કરુણ સ્થિતિનો ચિતાર એનો પુત્ર જ આપણી સમક્ષ રજૂ કરે છે.

જમદાગ્નિની કામધેનુ પરત લાવવા એકલા હાથે સહસ્ત્રાર્જુનને સંહારતા, વળી પ્રાયશ્ચિત કરતા, અને સગી માનું માથુ કાપી નાખતા પરશુરામ, મા-બાપને કાવડમાં બેસાડીને તીર્થાટન કરાવતા શ્રવણ, કે બાપે દીધેલા વચન ખાતર રાજગાદી ત્યાગી વનવાસ ભોગવતા રામ જેવા દીકરા ક્યાંથી લાવવા આજે? આજે તો ઘરમાં મા-બાપનું સ્થાન લાંબા વાક્યમાંથી ખડી પડેલા, સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દ જેવું થઈ ગયું છે. ઘરડાંઘર એમને એમ બિલાડીના ટોપ પેઠે ફૂલી-ફાલી નીકળ્યાં છે? બેજ પંક્તિમાં આખી સમસ્યાની સચોટ સારવાર સૂચવતા ગૌરાંગ ઠાકર યાદ આવે:

બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

બાપ બાપ છે. જન્મદાતા છે. મુસાફરી અને મોસમની તકલીફો વચ્ચેય એમની ઘરે પહોંચવાની ઝડપ દુર્દમ્ય પારિવારીક સદભાવનાઓનું પ્રતીક છે. પણ આજના દીકરાઓ કંઈ એમ માને એવા નથી. એટલે મનુષ્યજાત વિશે ચિંતન કરવા માટે બાપે સંડાસના એકાંતનો સહારો લેવો પડે છે. કદાચ આ જ હવે એમની દુનિયા છે. શૌચાલયમાં એ માનવસર્જિત જગતથી માનવીના જ અલગાવ બાબતે વિમાસે છે. સંડાસ બહાર સિન્કની નજીક ક્ષણભર માટે તેઓ સહજ સમતુલન ગુમાવે છે. નોકરી અને મુસાફરીમાં તડકો વેઠીને કથ્થઈ થઈ ગયેલા એમના હાથ પર ઠંડુ પાણી દદડે છે. ‘ઠંડુ’ શબ્દ આપણને પરિવારજનોની લાગણીશૂન્યતાનો ડામ દેતો હોય એમ ચંપાય છે. કેટલાંક ટીપાં ધોળાં વાળ પર વળગી રહે છે. પાણી જીવનનું અને સફેદ વાળ વૃદ્ધત્વનું પ્રતીક પણ ખરાં. જિંદગી લટકી પડી છે, પણ છે તો ખરી! અતડાં બાળકો પોતાનાં હાસ્યો અને રહસ્યો એમની સાથે વહેંચવાનું બહુધા નકારે છે. કોઈપણ પ્રકારની આશાઓને પુનર્જીવિત કરવાની વૃથા કોશિશ કરવાના બદલે પિતાજી એકલા સૂવા જાય છે. સૂતા પહેલાં એકમાત્ર બચી ગયેલ સાથી- રેડિયો શરૂ કરે છે. જીવનના રેડિયો પર હવે સ્ટેશન તો સેટ નથી થતા તોય નકરો સ્ટેટિક ઘોંઘાટ તો ઘોંઘાટ, પણ રેડિયો હજી બંધ થયો નથી. કવિતાની શરૂઆતથી ટ્વાઇલાઇટ ઝોનની ઝાંખપને વધુ ગાઢી બનાવતાં પ્રતીકો એક પછી એક આવ્યે રાખતાં પરાંઓની જેમ આવે છે: મોડી સાંજ, પીળો પ્રકાશ, મૂંગા સહયાત્રીઓ, નિસ્તેજ આંખો, આર્દ્ર રાત, ભીનાં વસ્ત્રો, કાદવ, કાળો રેઇનકોટ, ભૂખરું લાંબું પ્લેટફૉર્મ, ચપ્પલોનું ચપચપ, ફિક્કી ચા, વાસી રોટલી, સંડાસ, લડખડાહટ, કથ્થઈ હાથ, ધોળાં વાળ, રેડિયોનું સ્ટેટિક- કવિતાના રેલ્વેટ્રેક પર આ દરેક માઇલસ્ટૉન બાપની જિંદગીના ટ્વાઇલાઇટ ઝોનને વધુ ઘાટો-ઘેરો બનાવે છે. કવિતાના શબ્દે-શબ્દે, પ્રતીકે-પ્રતીકે બાપની દુર્દશા નીંગળે છે.

જો કે ગમે એટલી સાંસારિક કે પારિવારિક અડચણો કેમ ન આવે, માનવીના મનને હરાવવું આસાન નથી. માણસના હાથમાંથી વર્તમાન સરકી જાય છે ત્યારે એ ભૂત અને ભવિષ્યનો હાથ ઝાલે છે. ગત અને અનાગતના સપનાં જોતાં જોતાં પિતાજી એ રખડુ આર્યો વિશે વિચારે છે, જેઓ પુષ્કળ રઝળપાટના અંતે સાંકડા ખૈબર ઘાટ મારફતે ભારતવર્ષમાં પ્રવેશ્યા હતા અને સ્થિર થયા હતા. સદીઓ લાંબા સમયપટ પર વિસ્તરેલ આ વંશશૃંખલામાં પોતે એક નાના અમસ્તા ટપકાંથી વિશેષ કશું નથી. પણ આ ટપકું જ પૂર્વજો અને વંશજોને જોડતી અનિવાર્ય કડી હોવાનો સંતોષ કદાચ તેઓ મેળવે છે. પોતાના પૂર્વજોએ પણ આજ રીતે આખરી બુંદ સુધી પોતાની જાત રેડી દઈને જ વંશવેલાની વૃદ્ધિ કરી હશે ને? પૂર્વજોની યાદોના એ યશસ્વી ભૂતકાળ અને હજી આવ્યા નથી એ પૌત્રોના આશાવંત ભવિષ્યકાળને જોડતા વર્તમાનકાળના પુલ પર પિતા હજી જીવનના સાંકડા ઘાટમાં હાર માન્યા વિના પોતાની લડાઈ લડી રહ્યા છે. કાવ્યાંતે સદીઓ પહેલા આર્યોના આગમનનો સંદર્ભ પરિવાર માટે ઢસરડા કરવા છતાંય સતત ઉપેક્ષિત પિતાના સીધાસાદા લાગતા શબ્દચિત્રમાં પ્રાણ ફૂંકીને એને ઉત્તમ કાવ્યકરાર બક્ષે છે.

ગ્લૉબલ કવિતા : ૨૦૮ : સાથી – ડોરથી લિવસે

Comrade

Once only did I sleep with you;
A sleep and love again more sweet than I
Have ever known; without an aftertaste.
It was the first time; and a flower could not
Have been more softly opened, folded out.
Your hands were firm upon me: without fear
I lay arrested in a still delight
Till suddenly the fountain in me woke.

My dear, it’s years between; we’ve grown up fast
Each differently, each striving by itself.
I see you now a grey man without dreams,
Without a living, or an overcoat:
But sealed in struggle now, we are more close
Than if our bodies still were sealed in love.

– Dorothy Livesay

સાથી

તારી સાથે સહશયન મેં એકદા માત્ર કીધું;
કેવું મીઠું! અનુભવ હતો ના કદી આજ પૂર્વે
મોઢું ભાંગ્યું લગરિક નહીં, પ્રેમ કેવો હતો એ!
હું અક્ષુણ્ણા; કુસુમકળી તેં જે છટાથી ઉઘાડી,
કોઈ આથી વધુ મૃદુ ઢબે પુષ્પ ખોલી શકે શું?
એ બાંહોની દૃઢપકડમાં સૂતી’તી હું નિરાંતે
ના કો’ ભીતિ, અરવ સુખના કલ્પદેશે સુહાતી,
ના જાગ્યો જ્યાં લગ મુજ મહીં લાગલો એ ફુવારો

વર્ષો વીત્યાં, પ્રિય! બહુ અને આપણે બેઉ મોટાં
જલ્દી થૈ ગ્યાં નિજ નિજ ઢબે, ઝૂઝતાં જાત સાથે
ને હું આજે નિરખી રહી છું વૃદ્ધ આ માનવીને-
ના સ્વપ્નો, કે તન ઉપર ના કોટ, આજીવિકા ના:
છીએ કિંતુ નિકટતમ, હા, આજ સંઘર્ષ વચ્ચે,
પ્રેમાષ્લેષે તન રત રહ્યાં હોત એથી વધારે.

– ડોરથી લિવસે
(અનુ.: વિવેક મનહર ટેલર)

સાચા પ્રેમની એક ક્ષણનું મહિમાગાન…

સહવાસમાં વધુ મહત્ત્વ શેનું? સમયગાળાનું કે ઘનિષ્ઠતાનું? પ્રેમની સાચી માપપટ્ટી કઈ? કેટલો સમય પ્રેમ કર્યો એ કે કેટલો કર્યો એ? શું વધુ અગત્યનું –જીવનમાંનાં વર્ષો કે વર્ષોમાંનું જીવન? સ્નેહની બાબતમાં તો કદાચ ગુણવત્તા જ આંકડાઓને ટપી જાય, ખરું ને? આખી જિંદગી એક જ છત નીચે અને એક જ બિસ્તર પર પસાર કરી દેનાર યુગલ વચ્ચે ટીપુંભર પ્રેમ જ ન હોય એ શક્ય છે તો બીજી તરફ એક મુલાકાત જીવનભરથીય વિશેષ બની રહેતી હોય છે. ડોરથીની આ પ્રસ્તુત કવિતા સંબંધમાં ક્ષણ અને સદી વચ્ચેની વિષમતાનું સત્ય બખૂબી નિર્દેશે છે. જોઈએ.

ડોરથી લિવસે. ૧૨-૧૦-૧૯૦૯ના રોજ કેનેડામાં વિનીપેગ, મનિટોબા ખાતે કેનેડિયન પ્રેસના જનરલ મેનેજરના ઘરે જન્મ. માતા કવિ અને પત્રકાર હતી. કવિતા વારસામાં મળી. એમની જાણ બહાર મમ્મીએ એક કવિતા અખબારમાં છપાવા મોકલી આપી. ૧૪-૧૫ વર્ષની વયે એ સમયે બે ડોલરનો ચેક મળ્યો અને શાળામાં ચકચાર ફેલાઈ ગઈ. ૧૧ વર્ષની વયે ટોરોન્ટો રહેવા ગયા. કેનેડાથી પેરિસ સુધી અલગ-અલગ જગ્યાએ ભણ્યાં અને અલગ-અલગ કામો પણ કર્યાં. ૧૯ વર્ષે પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૨૦ વર્ષની વયે લઘુનવલ લખી. ૧૯૩૧માં પેરિસ હતાં ત્યારે તેઓ પાક્કા સામ્યવાદી બન્યાં અને કેનેડામાં પણ સામ્યવાદી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યાં. ૧૯૩૭માં ડન્કન મેકનૈર સાથે લગ્ન. ૧૯૫૯માં પતિના મૃત્યુ બાદ યુનેસ્કોમાં જોડાયાં. વિવિધ શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં. ૫૪-૫૫ વર્ષની વયે એમ.એડ. થયાં. અનેક માનદ પદવીઓ અને માન-અકરામો મળ્યાં. લિવસેની કહેતી, ‘જીવનના દરેક દસકામાં આપણે અલગ વ્યક્તિ હોઈએ છીએ’ એમના જીવનને ચપોચપ લાગુ પડે છે. ૮૭ વર્ષની વયે ૨૯-૧૨-૧૯૯૬ના રોજ વિક્ટોરિયા ખાતે નિધન.

ડોરથીની પ્રારંભિક કવિતાઓ ઇમેજિઝમથી પ્રેરિત હતી પણ એમની કવિતાઓમાં આજીવન એક ગતિ-એક ઉત્ક્રાંતિ જોવા મળે છે. લિવસે એક સશક્ત, સંવેદનશીલ કવયિત્રી હતાં. તેઓ જેટલી નિપુણતાથી જાહેર કે રાજકીય મુદ્દાઓ સાથે કામ પાર પાડતાં એટલી જ બાહોશીથી વ્યક્તિગત અને અંતરંગ ભાવનાઓને પણ કાગળ પર કંડારી શકતાં. એમનું મુક્ત પદ્ય અસ્તિત્વના રહસ્યોનો તાગ મેળવવા મથે છે. જીવન-મૃત્યુ, વાસ્તવ-સ્વપ્ન, પ્યાર-નફરત, સ્ત્રી-પુરુષ અને આપણાં હોવાના નાનાવિધ આયામોને તેઓ કવિતાના માધ્યમથી નાણી જુએ છે.

‘સાથી’ સ્વરૂપે તો સૉનેટ છે પણ ડોરથીના મુક્ત સ્વભાવની ચાડી ખાતું. અષ્ટક, ષટક, ભાવપલટો અને ચોટના અંતર્બાહ્ય સ્વરૂપને કવયિત્રીએ જાળવ્યું છે. પણ પ્રાસ મેળવવાની તમા રાખી નથી. એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું: ‘સ્ટૅન્ઝા લખવા મારા માટે કઠીન છે. હું કદી પ્રાસાન્વિત સૉનેટ લખી શકી નથી.’ આ પ્રાસરહિત સૉનેટમાં પ્રથમ પંક્તિ ટેટ્રામીટરમાં છે, બાકીનું આખું સૉનેટ આયમ્બિક પેન્ટામીટરમાં. આમ, કવયિત્રીએ ભાવાભિવ્યક્તિને સ્વરૂપથી વધુ પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતી અનુવાદમાં પ્રાસરહિત વ્યવસ્થાનો સ્વીકાર છે પણ સૉનેટ આખું મંદાક્રાંતા છંદમાં છે. જીવનના પ્રારંભિક તબક્કામાં લિવસે ઘનિષ્ઠ ઊર્મિશીલ સંબંધોની સંવેદનાઓને ઓછી જ વ્યક્ત કરતાં. પાછળથી, નાની વયના યુવાન સાથેના પ્રેમસંબંધ અને આફ્રિકાની મુલાકાત બાદ લાધેલી મુખરતાના પ્રતાપે તેઓ આ બાબતો શબ્દોમાં આલેખી શક્યાં. આ કવિતાઓ વાસ્તવમાં પુરુષને લખાયેલ પત્રરૂપે છે. પ્રસ્તુત કવિતામાં પણ રચનારીતિ દ્વિતીય પુરુષ સંબોધન- એકતરફી સંવાદની જ છે. બીજા છેડા પરની વાત સાંભળી શકતા નથી.

કવયિત્રી કહે છે કે એમણે એમના ‘સાથી’ સાથે જીવનમાં પહેલીવાર અને માત્ર એકવાર સહશયન કર્યું હતું. ‘વન નાઇટ સ્ટેન્ડ’ અથવા ‘કેઝ્યુઅલ સેક્સ’ તરીકે જાણીતો એકવારનો સહેવાસ લોકો સામાન્યરીતે એટલા માટે પસંદ કરે છે કે એમાં અનનુભૂત આનંદ મળવા ઉપરાંત કોઈ પણ જવાબદારી કે પ્રતિબદ્ધતા ન હોવાથી એ સંપૂર્ણપણે તણાવમુક્ત પણ હોય છે. દુનિયાના તમામ ખંડમાં તમામ કાળનો ઇતિહાસ ભર્યો પડ્યો છે આવા કિસ્સાઓથી. પણ પ્રસ્તુત રચના આ ભાતીગળ ઇતિ-હાસથી એ રીતે અલગ પડે છે કે અહીં સહશયન જીવનમાં સર્વપ્રથમવાર થયું છે અને એક જ વારનું પણ છે પણ એ જીવનભરના સહવાસોના સરવાળા-ગુણાકારોથી વધીને છે. શીર્ષક સાથી છે પણ પ્રથમ જ પંક્તિમાં બે જણ વચ્ચે થયેલ સહશયન એકમેવ હોવાના એકરાર પરથી એમ લાગે છે કે આ પ્રસંગ બાદ બંને એકમેકથી અલગ જીવ્યાં હોવાં જોઈએ. કેમકે સાથે રહ્યાં હોય તો આવો અનુભવ ફરી-ફરીને કરવાનું ન બન્યું હોય એ શું સંભવ હોય?!

ખૂબ મીઠી વસ્તુ ખાઈ લેવામાં આવે ત્યારે મોઢું ભાંગી જવાનો અનુભવ સર્વસામાન્ય છે. વધુ પડતું ગળચટ્ટું ખાવાથી ઓચાઈ પણ જવાય. ઘણીવાર મોઢામાં કડવાશ પણ અનુભવાય છે. પણ નાયિકાને મધમીઠા સહશયન પછી કશું ઊણું કે ઉતરતું અનુભવાયું નથી. એ પ્રેમ કેવો અદભુત, જેની મીઠાશનું મસમોટું ચકતું ખાવા છતાં ન તો મોઢું ભાંગ્યું, ન કડવાશ અનુભવાઈ. મીઠપ યથાતથ જળવાઈ રહી. સમ્-ભોગ થયો ત્યારે નાયિકા હજુ અક્ષુણ્ણા હતી. એના જીવનમાં આ પ્રથમ પુરુષ હતો. સેક્સનું ફળ આ પૂર્વે એણે ચાખ્યું જ નહોતું. અક્ષતયોનિ સ્ત્રીઓ માટે ઘણીવાર પ્રથમ કામકેલિનો અનુભવ દર્દનાક હોય છે. યોનિપટલ તૂટે ત્યારે અકલ્પનીય પીડા અને રક્તસ્ત્રાવ સામાન્ય છે. પણ કાવ્યનાયક માત્ર પુરુષ નથી, સાચો પ્રેમી પણ છે. અને સાચો પ્રેમી જ અણછૂઈ ગલીઓમાંથી પુષ્પસહજ સુકોમળતાથી પસાર થઈ શકે છે. લિવસે પણ કળી અને પુષ્પનું જ કલ્પન રજૂ કરે છે. આપણે કળીઓ જોઈ છે. ખીલેલાં પુષ્પોય જોયાં છે. પણ કળીના પુષ્પાંતરણની નાજુકતમ ઘટના ભાગ્યે જ જોઈ હશે. કળીમાંથી કુસુમ બનવાની મસૃણ ઘટનાનો ચમત્કાર સર્જનહાર જ કરી શકે. એકાદા કળીને ઊઘાડીને ફૂલ બનાવવાની કોશિશ ન કરી જોઈએ ત્યાં સુધી આ મૃદુલતા સમજવી અસંભવ છે. કવયિત્રીને કદાચ આવી નજાકત અભિપ્રેત છે:

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,
કોઈ એમ મારામાં પડતું રહે છે.

અહીં નાયક પ્રેમભાવથી વધુ અને કામભાવથી ઓછો પ્રેરિત હોવાથી આ શક્ય બન્યું છે. પહેલવહેલીવારનું સેક્સ જરૂર થયું છે પણ એવી નાજુકીથી કે સ્ત્રી સ્વીકારે છે કે જે છટાથી પુરુષે કુસુમકળી ઊઘાડીને એને પુષ્પનો દરજ્જો આપ્યો છે, એ મુલાયમતાથી આ કામ બીજું કોઈ કરી નહીં શકે. મુગ્ધા મટી એ સ્ત્રી બની ગઈ. હવાને જાણકારી પણ ન રહી અને એક નાજુક કળી પૂર્ણવિકસિત પુષ્પ બની ગઈ.

કામક્રીડા સંપન્ન થઈ ચૂકી છે. પણ નાયક પુરુષસહજ સ્વભાવવશ ઊભો થઈને ચાલ્યો ગયો નથી. ફોરપ્લે અને પ્લેની સર્વોત્કૃષ્ટ અને સુકોમળ પૂર્ણાહૂતિ પછીનો આફ્ટરપ્લે પણ એટલો જ અગત્યનો છે. નાયકના મજબૂત હાથોએ નાયિકાને સુગ્રથિત આષ્લેષમાં જકડી રાખી છે અને આ બાહુપાશમાં સુબદ્ધ સ્ત્રી નિરાંતે સૂતી છે. એના આ પ્રશાંત પ્રગાઢ સુખપ્રદેશ-સ્વપ્નપ્રદેશમાં એને કશાની ભીતિ નથી. પ્રેમ હોય ત્યાં ડર હોય જ નહીં. પ્રેમની દૃઢપકડમાં માલિકીભાવ પણ નથી હોતો, એટલે જ ફરતી વીંટળાયેલી બાજુઓમાંની અસીમ શ્રદ્ધાના ફળસ્વરૂપે નાયિકા દુનિયાના તમામ ડર-દુઃખોથી ઉન્મુક્ત નિરાંતવા જીવે નચિંત સૂતી છે. કલ્પસમયનો આ ટુકડો ત્યાં જ થીજી ગયો છે. સમય જેમાં ગતિ કરવાનું વિસરી જાય એવી આ ક્ષણો છે. આ સુખસ્થિતિમાં ગિરફ્તાર નાયિકા ચરમસીમા અનુભવે છે ત્યાં સુધી શાંત સૂતી પડી રહે છે.

પુરુષોમાં કામોત્તેજના અને વીર્યસ્ખલન જેટલું સાહજિક અને નિયમિત છે એટલું સ્ત્રીઓમાં નથી. જો કે એની સામે સ્ત્રીઓ એકાધિક અને દીર્ઘકાલીન ઉત્તેજના અનુભવી શકે છે. સ્ત્રીઓના જી-સ્પોટ અને ફુવારા ફૂટવાની વાયકાઓ સદીઓથી પુરુષોને (અને સ્ત્રીઓને પણ!) પીડતી આવી છે. સ્ત્રીને ચરમસીમા સુધી લઈ જવામાં પુરુષને મર્દાનગીનું સાફલ્ય લાગે છે, અને સ્ત્રીને પોતાને કામોત્તાપ સુધી ન પહોંચાડી શકવામાં પુરુષનું વૈફલ્ય. બંને પક્ષ વૈજ્ઞાનિકરીતે ખોટા છે. સ્ત્રીઓમાં યૌનરસોનો ફુવારો છૂટવો (સ્ક્વર્ટિંગ) કાયમી ઘટના નથી અને એ પુરુષોના કામકૌશલ્યને આધીન નથી. સંભોગક્રિયામાં સ્ત્રી કેટલી હળવી, તણાવમુક્ત અને તલ્લીન હોય એના પર એનો વધુ મદાર છે. કામાવેગની ચોટીએ સ્ત્રીના શરીરમાં ઓક્સિટોસિન અને અન્ય એન્ડોર્ફિન્સની માત્રા વધી જાય છે, જેના કારણે સ્ત્રી ઉત્તેજના અને રસસ્ત્રાવ અનુભવે છે. બાદમાં ડોપામિનના સ્ત્રાવના કારણે સ્ત્રી પણ પુરુષની જેમ શિથિલતા અને હળવાશ અનુભવે છે. અહીં ઉભયની ક્રીડામાં કામાવેગ કરતાં પ્રેમાવેગ વધુ પ્રબળ હોવાથી અને સ્ત્રી હળવી, તણાવમુક્ત અને પુરુષના પાશમાં લીન હોવાથી એનામાં રસસ્ત્રાવનો ફુવારો જાગૃત થાય છે.

કવિતામાં આ પ્રસંગના બંને અર્થ સંભવ છે. આખું અષ્ટક માત્ર રતિક્રીડાનું વર્ણન હોય અને સ્ત્રી યોનિસ્ત્રાવ થતાં સ્ખલિત થઈ રતિ નિષ્પત્તિ અનુભવે ત્યાં સુધીની એક જ ક્રિયાનું વર્ણન હોવાનું પણ વિચારી શકાય. અને પ્લે અને સ્ત્રીને પરાકાષ્ઠા સુધી લઈ જતા આફ્ટરપ્લેને આ અષ્ટક સાંકળતું હોવાનો મતલબ પણ કરી શકાય. બીજું અર્થઘટન કદાચ વધુ ઉચિત છે કેમકે પ્રશાંત સુખની દૃઢપકડમાં નિરાંતે સૂતી સ્ત્રીનું ચિત્રણ એના પક્ષમાં છે. હશે, કવિતા તો ભાવકે-ભાવકે અલગ સ્વરૂપે આવી શકે અને એક જ ભાવકને અલગ-અલગ સમય અને મનોસ્થિતિમાં પણ વિધવિધરૂપે રસપાન કરાવી શકે. આપણા માટે અગત્યનું છે પ્રેમની આ રમતનું સુવાંગ સંતુષ્ટિકરણ સાથે નિષ્પન્ન થવું. કવિતાના અર્થગાન કરતાં ઉભયના સાયુજ્યનું ભાવપાન વધુ મહત્ત્વનું છે.

સૉનેટમાં અષ્ટક પત્યા બાદ નિર્ધારિત ભાવપલટો આવે છે. અષ્ટક ભૂતકાળનો સ્મૃતિલેખ છે. ષટક વર્તમાનકાળનો દસ્તાવેજ છે. અને આ બે બિંદુઓ વચ્ચે લાં…બો સમયખંડ વ્યાપ્ત છે. પ્રિય કે મારા વહાલા કહીને કવયિત્રી નાયકને સંબોધે છે. કથનરીતિ એ જ છે પણ શરૂમાં પુરુષ માટે કોઈ સંબોધન વપરાયું નહોતું. પ્રેમપ્રસંગના સ્મરણ પછી વર્તમાન સાથે જોડાતી નાયિકાને વહાલભર્યું સંબોધન સૂઝે છે ધ્યાનાર્હ છે. વર્ષો જૂની ઘટનાનો સંપૂર્ણ નિચોડ આપણને એક સંબોધનમાંથી મળી રહે એ જ ખરું કવિકર્મ છે ને?

નાયિકા નાયકને કહે છે કે વહાલા! એ ઘટના અને આજની વચ્ચે વર્ષોનાં વહાણાં વાઈ ચૂક્યાં છે. આપણે બંને બહુ જલ્દી મોટાં થઈ ગયાં. જુઓ તો કાળ અને વિરોધાભાસ! એ નાયકની આગોશમાં હતી ત્યારે થીજી ગયેલો સમય બંને જુદાં પડ્યાં કે દોડતો પસાર થઈ ગયો. બે જણ અલગ હોવાની જે આશંકા સૉનેટની પ્રથમ પંક્તિમાંથી જન્મી હતી એની પુષ્ટિ આ પછીની કડીમાંથી સાંપડે છે, જ્યારે એ કહે છે કે આપણે બંને ઝડપથી પણ પોતપોતાની રીતે અને પોતપોતાની જાત સાથે ઝૂઝતાં-ઝઝૂમતાં મોટાં થયાં છીએ. ઘણીવાર બે જણ એક જ છત તળે અલગ રહીને ઘરડાં થાય છે પણ આ અહીં જે પ્રકારનો સ્નેહસંબંધ આલેખાયો છે એ જોતાં આ શક્યતા નહિવત્ જણાય છે. હા, બંને એકમેકના સતત પરિચયમાં કે નિકટમાં રહ્યાં હોય એનો સંભવ ખરો.

વરસો બાદ કથક એના વૃદ્ધ થઈ ગયેલા પ્રિયજનને નિહાળે છે. મરીઝ અવશ્ય યાદ આવે:

ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે,
જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી.

જો કે અહીં વાત મેંદી જેટલી સ્થૂળ કક્ષાએ નથી. આ વૃદ્ધ સાથી પાસે આજે સ્વપ્નો પણ બચ્યાં નથી. આજીવિકા રહી નથી અને શરીર પર ઓવરકોટ પણ નથી. કેનેડા જેવા શીતપ્રદેશમાં ઓવરકોટ તો જીવાદોરી ગણાય. પણ વીતેલાં વર્ષોમાં દારિદ્રયે એ હદે અજગરભરડો લીધો છે કે માણસ પાસે સ્વપ્નોય રહ્યાં નથી. પોતાની આર્થિક-માનસિક સંપત્તિ કે દરિદ્રતા વિશે નાયિકા ફોડ પાડતી નથી, પણ કાવ્યાંતે સાચી સંપત્તિના દર્શન કરાવે છે. આજીવન પોતપોતાની રીતે સંઘર્ષરત અને અલગ રહ્યાં હોવા છતાં બંને હરહંમેશ નિકટતમ રહ્યાં છે. આની સામે, બે જણ જીવનભર સાથે રહી અસંખ્ય વાર સંયુક્ત થાય તોય બની શકે કે એ જીવન વગરનું સહજીવન હોય:

છે હાથ હાથમાં છતાં કોસોની દૂરી છે,
મજબૂરી સાથે રહેવાની વચ્ચે ઢબૂરી છે.

દેહયુગ્મ તો બહુધા આદતન જ હોય. અશરીરી નૈકટ્ય શરીરી નિકટતાથી વધુ બળવત્તર અને દીર્ઘજીવી હોય છે. મનમેળ હંમેશા તનમેળથી વિશેષ જ હોય. વળી અહીં તો એકનો મહિમા છે. એકનું માધુર્ય છે. એકવારના સહ-શ્વાસ પછીનો જીવનભરનો ઉપવાસ એકધારા સહવાસથી વધી ગયો છે. મૃતલોકમાં અમૃતકુંભનો જેકપોટ લાગી ગયો. અને આ અ-મૃત એવું મીઠું છે કે અહેસાસની જીભે કદી કડવાશ પકડી નથી. એકવારની અનુભૂતિ એટલી સાચી હતી કે એ કાળાતીત બની રહી. આજે હવે યુવાની નથી, સંભોગ નથી, સ્વપ્નો નથી, રોજીરોટી નથી, ઓવરકોટ નથી પણ પ્રેમ? એ તો હતો, છે અને રહેશે જ. પ્રેમ નામની ધાતુને ‘નથી’નો કાટ નથી લાગતો. કાળનો કૂચડો માણસો પર ફરી શકે છે, પ્રેમ પર નહીં. આદતવશ સેક્સરત રહેતાં મિકેનિકલ કપલના બદલે સ્વકીય સંઘર્ષમાં રત રહીને, અલગ રહીને પણ આ બે જણ નિકટતમ રહી શક્યાં છે. કારણ કે પ્રેમનું ઊંજણ સગપણ અને સમજણમાં સતત પૂરાતું રહ્યું છે…

ટાઇટેનિક ફિલ્મમાં સલિન ડીઓનના કંઠે ગવાયેલ ‘માય હાર્ટ વિલ ગો ઓન’ ગીતમાં આવી જ વાત છે: પ્યાર ભલે એક જ વાર થાય પણ એ જીવનભર ટકે છે અને આપણે ચાલ્યા જઈએ ત્યાં સુધી નાશ પામતો નથી…. એક સાચો સમય જેને હું આજીવન સાચવી રાખીશ… આપણે હંમેશા આ રીતે જ રહીશું. તું મારા હૃદયમાં સુરક્ષિત છે અને મારું હૃદય ધડકતું રહેશે, ધડકતું રહેશે…

અને અંતે ઉશનસના ‘સોહાગ રાત અને પછી’ સૉનેટની ચાર પંક્તિ મમળાવીએ:

તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને
પ્રવેશ્યા પાતાળો મહીં સકલ અસ્તિત્વ મુજના:
ગર્યું જાણે સ્વાતિસુખદ અમીનું બુંદ છીપમાં,
હજી આનંદે તે વીજપુલકની ના કળ વળે,