ગ્લૉબલ કવિતા : ૨૧૩ : મુસાફરી – મેરી ઑલિવર

The Journey

One day you finally knew
what you had to do, and began,
though the voices around you
kept shouting
their bad advice–
though the whole house
began to tremble
and you felt the old tug
at your ankles.
“Mend my life!”
each voice cried.
But you didn’t stop.
You knew what you had to do,
though the wind pried
with its stiff fingers
at the very foundations,
though their melancholy
was terrible.

It was already late
enough, and a wild night,
and the road full of fallen
branches and stones.
But little by little,
as you left their voices behind,
the stars began to burn
through the sheets of clouds,
and there was a new voice
which you slowly
recognized as your own,
that kept you company
as you strode deeper and deeper
into the world,
determined to do
the only thing you could do–
determined to save
the only life you could save.

– Mary Oliver

મુસાફરી

એક દિવસ આખરે તમે જાણી ગયા કે
તમારે શું કરવાનું છે અને શરૂ કર્યું,
ભલે તમારી આસપાસના અવાજો
એમની બકવાસ સલાહો આપતા
ચિલ્લાતા રહ્યા હતા-
ભલે ઘર આખેઆખું
ધ્રુજવા માંડ્યું હતું
અને તમને જૂનું ખેંચાણ વર્તાવા લાગ્યું હતું
તમારી ઘૂંટીઓ પર.
“મારું જીવન દુરસ્ત કરો!”
-દરેક અવાજ પોકારતો હતો.
પણ તમે અટક્યા નહીં.
તમે જાણતા હતા કે તમારે શું કરવાનું છે,
ભલે પવન એની કઠોર આંગળીઓ વડે
ખણખોદતો હતો
છેક પાયાઓને,
ભલે એમની ગ્લાનિ
ભયંકર હતી.

પહેલાં જ વધુ પડતું મોડું
થઈ ચૂક્યું હતું, અને રાત તોફાની હતી,
અને રસ્તો પણ ભર્યો પડ્યો હતો તૂટેલ
ડાળીઓ અને પથરાંઓથી.
પણ ધીમે-ધીમે,
જેમ જેમ તમે એમના અવાજોને પાછળ છોડતા ગયા,
વાદળાંઓની રજાઈઓમાંથી
તારાઓએ ચમકવું શરૂં કરી દીધું,
અને એક નવો જ અવાજ સંભળાયો
જે ધીરે રહીને તમે
ઓળખ્યો કે તમારો ખુદનો જ હતો,
જેણે આ દુનિયામાં
તમારી સંગત જાળવી રાખી
જેમ જેમ તમે આઘે ને આઘે ફર્લાંગ ભરતા ગયા,
સંકલ્પબદ્ધ કરવા માટે
એ એકમાત્ર વસ્તુ જે તમે કરી શકો છો-
સંકલ્પબદ્ધ બચાવવા માટે
એ એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો.

– મેરી ઑલિવર
(અનુ.: વિવેક મનહર ટેલર)
એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો…

ઇયળ આપણે બધાએ જોઈ છે. ઠિચૂક-ઠિચૂક ચાલતી ભદ્દી ઇયળ કદાચ બધાંને ન પણ ગમે. પરંતુ એક દિવસ આ બદસૂરત કીટ ફૂલપાન ખાવાના જીવનચક્રને ત્યાગે છે. પોતાની લાળના તાંતણાંઓ પોતાની આસપાસ વીંટાળીને એ કોશેટો બનાવે છે, અને પોતે આ કોશેટામાં કેદ થઈ જાય છે. અઠવાડિયાઓના અંતરાલ બાદ કોશેટો તોડીને પતંગિયું બહાર આવે છે. બદસૂરત ઇયળ મનમોહક પતંગિયામાં પરિવર્તિત થઈ જાય છે. ઈંડાથી ઇયળ અને ઇયળથી પતંગિયા સુધીનું આ રૂપાંતરણ એક મુસાફરી છે. મેરીની આ કવિતા આવી જ એક કાયાપલટની મુસાફરીની વાત કરે છે.

મેરી ઓલિવર. ઓહાયો, અમેરિકામાં જન્મ (૧૦-૦૯-૧૯૩૫). પચાસથી વધુ વર્ષ માસાચુસેટ્સમાં. ૨૦૧૭માં આ લેખ પહેલીવાર લખ્યો ત્યારે જીવનસાથી ફોટોગ્રાફર મોલી મેલોની કૂકના નિધન બાદ ફ્લોરિડામાં રહેતાં હતાં. અગિયાર-બારની વયે કવિતા શરૂ કરી. એ કહેતાં, ‘પેન્સિલની મદદથી હું ચંદ્ર સુધી જઈ આવી’તી. કદાચ અસંખ્ય વાર.’ શાળામાંથી ગુલ્લી મારીને ચોપડીઓ સાથે જંગલમાં રખડવા જવામાં એક્કો. એમિલિ ડિકિન્સનની જેમ એકાકીપણું અને આંતરિક આત્મસંભાષણ એમની પ્રમુખ ચાહના. એકાંતવાસી. મિતભાષી. કવિતા જ બોલે એમ માનનારા. ચાલ-વાની બિમારી. જંગલમાં સ્વૈરવિહાર કરતાં કરતાં કવિતા લખવાના આદતી. એક વિવેચકે કહ્યું હતું કે, ‘મેરીની કવિતાઓ વધુ પડતા શહેરીકરણ માટે ઉત્તમ મારણ છે.’ બાળપણમાં ચર્ચમાં જતાં તો ખરાં, પણ ફાવતું નહીં. રૂમીથી એટલા પ્રભાવિત કે દિવસમાં એકવાર તો વાંચતાં જ. કોલેજ ગયાં પણ ડિગ્રી મેળવી નહીં. કવિ અને શિક્ષક તરીકે જીવ્યાં. ગરીબીમાં મોટા થયાં. ૨૦૧૨માં ફેફસાના કેન્સરમાંથી ઊભાં થયાં પણ કવિતાની જેમ ધુમ્રપાનની આદત ન છૂટી. ૧૭ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ લિમ્ફોમાના કારણે નિધન.

કવિતા, કાવ્યશાસ્ત્ર, કવિતા વિષયક પુસ્તકો અને નિબંધ -ખૂબ લખ્યું. છેલ્લે ૮૦ વર્ષની વયે પણ ‘ફેલિસિટી’ નામનો કાવ્યસંગ્રહ આપ્યો. અનેક પુસ્તકો. પુલિત્ઝર સહિતના ઢગલાબંધ પુરસ્કારો. કુદરત, સ્થાનિક રંગ અને રોમેન્ટિસિઝમનાં મૂળિયાં એમના સર્જનમાં દૃઢીભૂત થયેલાં દેખાય છે. સ્પષ્ટ અને માર્મિક અવલોકન અને હૂબહૂ આલેખનના કારણે એમની કવિતાઓ દિલની વધુ નજીક અનુભવાય છે. કવિતામાં કુદરત ઉપરાંત ‘હું’ને કેન્દ્રસ્થાને રાખે છે કેમકે એમનું માનવું હતું કે કવિનો ‘હું’ જ ભાવકનો ‘હું’ બની જાય છે. એમના મતે કવિતા એ ખૂબ જ એકાકી વ્યાસંગ છે.

૧૯૬૩માં પ્રગટ થયેલ ‘મુસાફરી’ સ્વરૂપની દૃષ્ટિએ મુક્તપદ્ય છે. સળંગસૂત્રી છે, સિવાય કે એક અંતરાલ જે છત્રીસ અનિયત પંક્તિલંબાઈવાળી કવિતાને અઢાર-અઢાર પંક્તિના બે સમાન ખંડોમાં વહેંચે છે. કોઈ નિર્ધારિત પ્રાસરચના પણ અમલી નથી કેમકે દુન્યવી અંધાધૂંધીની આંધીમાંથી નીકળતી જિંદગીની આ કવિતા છે. જિંદગીમાં કેઓસ હોય છે, પ્રાસ કે છંદ નહીં. પહેલી અઠાર પંક્તિમાં નાનામોટાં પાંચ વાક્યો છે, જેમાંનું પહેલું વાક્ય નવમી લીટીમાં જઈને વિરમે છે. બીજા ખંડમાં એક જ વાક્ય અઢારેઅઢાર લીટીઓ કવર કરી લે છે. આ સળંગસૂત્રિતાના કારણે ભાવક પણ મુસાફરી કરતો હોય એમ એકીશ્વાસે કવિતામાંથી પસાર થાય છે. રૂપક શારીરિક યાત્રાનું છે, વાત વ્યક્તિગત બદલાવની, એકાકી-આધ્યાત્મિક મુસાફરીની છે. મેરીની કવિતાઓમાં સામાન્યતઃ પ્રકૃતિના વણપ્રીછ્યાં પાનાંઓ ખૂલે છે, પણ અહીં પ્રકૃતિ એક રૂપકથી વિશેષ નથી. કથનરીતિ દ્વિતીય પુરુષ સંબોધનની છે. ફરી-ફરીને પંદરેકવાર કવિતામાં ‘તમે-તમારું’ આવ્યે રાખે છે, જે ભાવકને સતત પકડમાં રાખે છે. પરિણામે, કથકનો આપણી સાથેનો આ એકતરફી વાર્તાલાપ આપણને આપણી સાથે જ થતો અનુભવાય છે. સ્વકેન્દ્રી રચના સર્વસ્પર્શી બને છે.

‘એક દિવસ આખરે તમે જાણી ગયા કે’થી કાવ્યારંભ થાય છે. અહીં ‘એક દિવસ’ અને ‘આખરે’ શબ્દ અગત્યના છે. એક દિવસ આખરે આ જાણ થઈ છે, મતલબ અનેક દિવસો, કદાચ વર્ષોનાં વર્ષ અજ્ઞાનતામાં વીતી ચૂક્યાં છે. આટઆટલો સમય આપણે કદાચ ઊંઘતાં જ રહી ગયાં. હશે, પણ જીવનમાં કેટલું ઊંઘી નાંખ્યું એના કરતાં જાગવાની ખટઘડી આવી કે કેમ અને આવી ત્યારે જાગ્યાં કે નહીં એ વધુ મહત્ત્વનું છે. આપણને બધાને એક દિવસ તો જાણ થાય જ છે કે આ सुब्ह होती है, शाम होती है; उम्र यूँ ही तमाम होती है (અમીરુલ્લાહ તસ્લીમ)ની ઘરેડમાં ઘાણીના બળદ પેઠે એક જ જગ્યાએ ફરતા રહ્યા હોવાના કારણે જિંદગીમાં यूँ भी होने का पता देते हैं, अपनी जंजीर हिला देते हैं (બાકી સિદ્દીકી)થી વિશેષ કંઈ સજીવ બચ્યું જ નથી.

મેરી કહે છે કે એક દિવસ આખરે આપણને ખબર પડી કે આપણે શું કરવાનું છે અને એ કરવું શરૂ પણ કર્યું. ઊઠ્યા તો ખરા જ, જાગ્યાય ખરા. કેમ? તો કે આજે અંદરથી ‘એ’ અવાજ આવ્યો છે. અને જ્યારે ‘એ’ અવાજ જાગે છે ત્યારે બાહ્ય કોલાહલ સંદર્ભો ગુમાવી બેસે છે. ઝાડ બધા પાંદડાં ખેરવીને નવા પર્ણોની તૈયારી કરે એમ જ આપણે પણ જૂનું બધું ખેરવીને નવા માર્ગ, નવા જીવનની તૈયારી કરવાની છે. બધાના જીવનમાં મહાભિનિષ્ક્રમણની આ તક ‘એક દિવસ’ ‘આખરે’ આવે જ છે, સવાલ માત્ર એટલો જ છે કે આ અવાજ આપણા કાન સાંભળશે ખરા કે આજુબાજુની માયાજાળ સદી ગઈ હોવાના કારણે આપણે એને અવગણીને સાંકળ હલાવતા બેસી રહીશું? મેરી પૂછે છે, ‘સાંભળો, તમે માત્ર જરા-તરા શ્વસી રહ્યાં છો એને જિંદગી કહો છો?’ એ કહે છે, ‘મારે ખતમ થવું નથી, આ વિશ્વની માત્ર એક મુલાકાત લઈને.’ અને એ આપણને પણ પૂછે છે, ‘કહો મને, શું છે તમારી યોજના તમારી આ એક જંગલી અને કિંમતી જિંદગી વડે?’

યાત્રા પ્રારંભાશે, ત્યારે દુનિયાભરની “સુગ્રથિત એન્ટ્રોપી” ચિલ્લાવા માંડશે, સલાહોનો ધોધ વરસવો શરૂ થશે. મેરી આ સલાહોને બકવાસ કે ખરાબ કહે છે. કારણ? કારણ કે જાગૃતિથી એ પ્રાપ્તિ તરફના પ્રવાસને અટકાવવા માટે છે. વળી સ્વાર્થી સલાહો આપતા અવાજો માત્ર કાનાફૂસીના સ્તરે નથી, એ તો ગળું ફાડી રહ્યા છે. સારું અને સાચું હંમેશા કાનને મખમલી અવાજે પંપાળશે પણ ખરાબ હશે એ ઘાંટા જ પાડશે. ખોટો અવાજ મોટો જ હોવાનો. તો જ એ સચ્ચાઈને દબાવી શકે ને! તમારું ઘર પણ તૂટી જવાનું ન હોય એમ ધ્રૂજવા માંડશે. આ ઘર એટલે આપણે પોતે જ. આપણું જીવન જ. જૂના સંબંધો-વળગણોનું ખેંચાણ સાંકળ બાંધી હોય એમ ઘૂંટીએ અનુભવાશે. સગપણની-જવાબદારીઓની બેડીઓ પગને પાછા ખેંચશે. દરેક જણ પોતાનું જીવન દુરસ્ત કરવા મદદના પોકાર કરશે. પણ કોલ ઝીલી લીધા પછી શું આતમમાર્ગનો મુસાફર રોક્યો રોકાશે ખરો? જૂનાને તોડ્યા વિના નવું મળતું નથી. દુનિયાને અવલનવલ ઘાટ આપવા તો સુન્દરમે કહ્યું એમ, ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા.’ શ્રીધરાણીએ પણ કહ્યું, ‘સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના’ હોય એને સમારીએ તો નવીનીકરણ જ થાય કેવળ, નવસર્જન માટે તો જૂનાંને હટાવવું જ પડે, નવી જગ્યા સર્જવી પડે. પોતે જેમના માટે જીવે છે એ પોતાના નથીનો અહેસાસ થવો જરૂરી છે. વાલિયા લૂંટારાનો આખો પરિવાર ચિલ્લાયો કે તું ખૂન કર, ચોરી-લૂંટફાટ કંઈ પણ કર. તું જાણે. બધા પાપ તારા માથે. અમારું ભરણપોષણ તારી જવાબદારી પણ તારા પાપમાં અમારી કોઈ હિસ્સેદારી નથી. એ ‘એક દિવસ’ ‘આખરે’ વાલિયાને ચાલી નીકળવાનું આહ્વાન આપતો આ અવાજ સંભળાયો. વર્ષોથી ગેરસમજ ઉપર જામી ગયેલો રાફડો તૂટ્યો અને શબ્દશઃ શરીર પર બાઝ્યો ત્યારે વાલિયો વાલ્મિકી બન્યો. રાજકુમાર સિદ્ધાર્થને અટકાવવા એના પિતાએ ઓછાં અછોવાનાં કર્યાં હતાં! પત્નીએ પણ પુત્રને આગળ ધરેલો. એવુંય નહોતું કે સિદ્ધાર્થ પરિવારને પ્રેમ નહોતા કરતા. પણ સર્વજનોનો અવાજ જે દિવસે સ્વજનોની ચીસને અતિક્રમી ગયો એ ‘એક દિવસ’ ‘આખરે’ એ જાણી ગયો કે શું કરવાનું છે. બસ, નીકળી પડ્યો. જિબ્રાને કહ્યું હતું, ‘મુસાફરી કરો અને કોઈને ન કહો, લોકો સુંદર ચીજોને ખતમ કરી નાંખે છે.’ રૂમી કહે છે, ‘તમે પિંજરામાંથી છટકી ચૂક્યા છો, તમે તમારી પાંખો પ્રસારી લીધી છે, હવે ઊડો.’ સિદ્ધાર્થ પણ પિંજરામાંથી છટકીને ઊડ્યો તો બુદ્ધ બન્યો.

જ્ઞાનમાર્ગનો મુસાફર જાણી જાય છે કે એણે શું કરવાનું છે. એ અટકતો નથી. ભલે આંધી પાયા હચમચાવી નાંખતી હોય, ભલે આજુબાજુવાળાઓની ગ્લાનિ ભયંકર હોય, પણ વટેમાર્ગુ સમજે છે કે ઓલરેડી મોડું તો થઈ જ ચૂક્યું છે. બધાને અવગણો. આગળ વધો. ઇતરના અને ભીતરના અવાજમાં ફરક છે. ભીતરનો અવાજ જીવનગીતાના રથનો સારથિ છે. એ સાથે હશે તો ભલભલી ગ્લાનિ કમળપત્ર પરથી પાણી માફક સરી જશે. મુસાફરી તો ક્યારની આદરવાની હતી. રાત અંધારી છે અને તોફાની પણ. અને જીવનમાં ક્યાંય roses roses all the way હોતું નથી. જીવનપથ હંમેશા પારાવાર વિપદાભર્યો જ હોવાનો. પણ ભલે ધીમે તો ધીમે, પ્રવાસ શરૂ કરવો જરૂરી છે. શરૂઆત કરી દો તો વાદળોની ચાદર હટાવીને તારાઓ પણ ચમકી-ચમકીને પથ પ્રદર્શિત કરશે. પ્લુટાર્ક કહે છે, ‘તોફાનમાં જહાજની મુસાફરી પહેલાં કપ્તાન કહે છે કે હંકારવું અનિવાર્ય છે, જીવવું નહીં.’

યાદ રહે, પહેલું પગલું જ સૌથી અગત્યનું છે. બધું એના પર જ અવલંબિત છે. રૂમીએ કહ્યું હતું, ‘ચાલવું શરૂ કરો. તમારા પગ ભારી થશે, થાકી જશે. પણ પછી તમને ઊંચકી જતી ઊગેલી પાંખોની અનુભૂતિની એ ક્ષણ આવશે.’ યાદ રહે, આ મુસાફરી તમારી મુસાફરી છે અને તમારા સિવાય કોઈ બીજું આ મુસાફરી તમારા વતી કરી નહીં શકે. ધમ્મપદ કહે છે, ‘તમારી બરાબરીના અથવા બહેતર લોકો સાથે મુસાફરી કરો અથવા એકલા જ કરો.’ રાજેન્દ્ર શાહે કહ્યું, ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’ પણ આ મુસાફરી હકીકતમાં ઘરબાર છોડીને જંગલમાં ચાલી નીકળવાની વાત નથી. આ મુસાફરી છે તમારા વળગણો, આસક્તિમાંથી મુક્ત થઈ તમારી પોતાની જાત સુધી પહોંચવાની. આ મુસાફરી જેટલી બહારની છે, એટલી જ અંદરની પણ છે કેમકે જે સ્વને પામી લે છે એ જ સર્વને પામી શકે છે.

જંગલી અંધારું સમાધાનથી પર હોય છે પણ આગળ વધતાં જઈશું તો બાહરી શોરબકોર ક્રમશઃ શમતો જશે અને તમને પોતાનો અવાજ સંભળાવા માંડશે, જેને ચિલ્લાઈ-ચિલ્લાઈને દબાવી રખાયો હતો. સંસારમાં બીજું બધું સાથ છોડી દેશે, પણ તમારો અવાજ, જો એ પોતીકો હશે તો તમારી સંગતિ કાયમ જાળવી રાખશે. જાતને પ્રાપ્ત કરવાની આ ઘડી આત્મસાક્ષાત્કારની ઘડી છે. આ ઘડીએ તમે જાણી જાવ છો એ સનાતન સત્ય કે તમે યદિ કોઈને બચાવી શકો છો તો એ માત્ર તમારી પોતાની જાતને જ. અને આ દુનિયામાં તમે આ એક કામ કરવાથી વિશેષ બીજું કશું જ કરવા કદી સક્ષમ હતાં જ નહીં. કોઈ હોતું નથી. દુનિયાને બચાવવાની જરૂર નથી, જાતનો જ ઉદ્ધાર કરો. દરેક જણ પોતાને ઉગારી લેશે તો દુનિયા આપોઆપ જ ઉગરી જવાની. ગૌતમ, મહાવીર, કબીર- કોઈએ સંપ્રદાયની સ્થાપના કરી નથી. સંપ્રદાય તો ભક્તોએ ઊભા કર્યા. જે ધર્મગુરુ સંપ્રદાયની સ્થાપના જાતે કરે છે એ તો તરકટી તકસાધુ પયગંબરો છે.

ઈસુથી લઈને મહંમદ સુધી અને ગૌતમથી લઈને ગાંધી સુધી – કંઈ કેટલાય મસીહા-પયગંબર-ધર્મગુરુ પૃથ્વીના પટ પર આવ્યા અને ગયા. માણસ બદલાયો નહીં. બદલાશે પણ નહીં. કેમકે સનાતન સત્ય માણસ માત્ર પોતાના રસ્તે ચાલીને જ મેળવી શકે છે, કોઈના ચીંધેલા કે ચાતરેલા રસ્તે નહીં. બુદ્ધ થવું હોય કે મહાવીર- પોતાનો રસ્તો તો જાતે જ શોધવો પડે. પડેલા ચીલે ચાલવાથી કંઈક કર્યાનો આત્મસંતોષ થાય એટલું જ, બાકી જ્ઞાન મેળવવું હોય, અંતિમ સત્ય શોધવું હોય તો तोबे एकला चलो रे (તમે એકલા ચાલો રે- ટાગોર). ‘તું તારા દિલનો દીવો થા ને’ કહો કે પછી, ‘દોસ્ત! સહુનું પોતીકું અજવાળું હોવું જોઈએ’ કહો, દરેકે પોતાની મુસાફરી જાતે જ કરવાની છે. રૂમી પૂછે છે, ‘અને તમે? તમે ક્યારે શરૂ કરશો તમારી અંદરની એ લાંબી મુસાફરી?’ એક ગીત સાથે વાત પૂરી કરીએ:

જાત કહે એ સાચુ, સાધુ
જાત કહે એ સાચુ.

ગુરુ બિન જ્ઞાન નહીં, હે સાધો! સાચ આપકી બાની,
ઘટનાં અંધિયારાં પીવાં કે ઘાટ ઘાટનાં પાણી?
ગૌતમ, મહાવીર, મહંમદ, ઈસુ, નાનક, હો કે સાંઈ,
ભીતરના દરિયે ડૂબ્યા જે, સહજ સમાધિ પાઈ.
લાખ ગુરુ પડતાં મેલીને
ખુદની ભીતર જાંચુ.

મસમોટા ગ્રંથોનાં પાનાં જીવનભર ઊથલાવ્યાં,
અક્ષરની ગલીઓમાં ક્યાયે અજવાળાં ના લાધ્યાં;
પ્રશ્ન થયો આ લહિયાઓએ કેટલા ગ્રંથો વાંચ્યાં?
અવર અંગુલિ ઝાલી બોલો, કોણ અલખને પામ્યા?
ખુદનું ખુદ લખે તે સાચુ,
જાતનું પુસ્તક વાંચુ.

4 replies on “ગ્લૉબલ કવિતા : ૨૧૩ : મુસાફરી – મેરી ઑલિવર”

  1. અતિ સુંદર! વિવેકભાઈ, ‘દુન્વયી’ કે ‘દુન્યવી’? (ચોથો ફકરો બીજી લીટી)

    • ખૂબ ખૂબ આભાર, દોસ્ત…

      ઉતાવળમાં ખોટું ટાઇપ થઈ ગયું હતું. સુધારી લીધું છે. આભાર…

  2. કાવ્યાસ્વાદ એક ઉત્તમ ભાવકને પ્રત્યક્ષ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *