ગ્લૉબલ કવિતા: ૨૧૧ : ગીત – ટી. એસ. એલિયટ

Song

(01 A)
If Time and Space, as sages say,
Are things which cannot be,
The sun which does not feel decay
No greater is then we.
So why, Love, should we ever pray
to live a century?
The butterfly that lives a day
Has lived eternity.

(01 B)
If Space and Time, as sages say,
Are things which cannot be,
The fly that lives a single day
Has lived as long as we.
But let us live while yet we may,
While love and life are free,
For time is time, and runs away,
Though sages disagree.

(02)
The flowers I gave thee when the dew
Was trembling on the vine,
Were withered ere the wild bee flew
To suck the eglentine.
So let us haste to pluck anew
Nor mourn to see them pine,
And though our days of love be few
Yet let them be divine.

– T. S. Eliot

ગીત

(૦૧ અ)
સમય અને અવકાશ, ગયા જેમ સંત સૌ વદી,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે ના,
તો આ સૂરજ કે જેનો ક્ષય થાય ના કદી
એને આપણાથી ચડિયાતો સહેજ ના ગણતા.
તો શા માટે, પ્રેમ આપણો એક-બે સદી
રહે જીવંત એ માટે આપણે કરવી પ્રાર્થના?
પતંગિયું જે આમ જીવે છે માત્ર એક દિ’
આમ જુઓ તો જીવી ગયું છે એ શાશ્વતતા.

(૦૧ બ)
સમય અને અવકાશ, ગયા જેમ સંત સૌ વદી,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે ના,
માખી જેનું જીવન તો છે માત્ર એક દિ’
આપણા જેટલું જીવી લે છે કરો જો ગણના.
ત્યાં સુધી તો જીવી લઈએને સો ફીસદી
પ્રેમ ને જીવન જ્યાં સુધી છે પ્રાપ્ત મફતમાં,
સમય સમય છે, વહેતો રહેશે જેમ કો’ નદી
સંત ભલે ને નોંધાવે ના સંમતિ એમાં.

(૦૨)
આપ્યાં’તાં મેં ફૂલો તુજને જ્યારે ઝાકળ
હળવે હળવે કાંપી રહ્યું’તું વેલી પર,
એ પહેલાં તો ગયાં વિલાઈ, આવે આગળ
કરવાને એ ફૂલોનું રસપાન મધુકર.
નિતનવાં ફૂલ ચૂંટવાને ના કરો ઉતાવળ,
અને સૂકાતાં જોઈ શીદ થાવું શોકાતુર?
ભલે અપૂરતાં હોય આપણી પ્રીતનાં અંજળ,
બનાવી દઈએ જે છે એને જ દિવ્ય-સુંદર.

– ટી. એસ. એલિયટ
(અનુવાદ: વિવેક મનહર ટેલર)

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે…

‘સમય જ નથી મળતો, યાર!’ અને ‘તમને આવું બધું કરવા માટેનો સમય ક્યાંથી મળી રહે છે?’ – આ બે બિંદુઓની વચ્ચે આપણામાંથી મોટાભાગનાની જિંદગી વીતી જાય છે, પણ સમય નામનો કોયડો કોઈને સમજાતો નથી. અસ્તિત્વના આરંભબિંદુથી એને ઉકેલવાની મથામણ ચાલી આવી છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓમાંના લીટા હોય કે આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ – સમયના પગલાં ક્યાં જોવા નથી મળતાં! સમયથી પર અને પાર જવાની ભાંજગડ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે. એલિયટની પ્રસ્તુત રચના સમયના તકલાદીપણાને નજર સામે રાખી ‘જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે’નો ગુરુમંત્ર શીખવાડે છે.

થોમસ સ્ટર્ન્સ એલિયટ. વીસમી સદીના દિગ્ગજ કવિઓમાં મોખરાનું નામ. ૨૬-૦૯-૧૮૮૮ના રોજ મિસોરી, અમેરિકા ખાતે જન્મ. પચ્ચીસ વર્ષની વયથી ઇંગ્લેન્ડનિવાસ. ૩૯ની ઉંમરે અમેરિકન નાગરિકત્વ ફગાવીને બ્રિટિશ નાગરિકત્વનો સ્વીકાર. એ જ અરસામાં એકત્વવાદ ત્યજીને એન્ગ્લો-કેથલિક સંપ્રદાયનો અંગીકાર. જન્મજાત (બંને બાજુના) હર્નિયાના કારણે બાળપણથી શારીરિક રમતોથી દૂર રહેવાની આડઅસરરૂપે સાહિત્ય સાથે સ્નેહસૂત્રે જોડાયા. ઉમર ખૈયામની રૂબાઈઓની અસર નીચે આઠ-દસ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. સાહિત્યમાં માસ્ટર્સ. ફિલસૂફીમાં પી.એચ.ડી. ૧૯૪૮માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. એ જ વર્ષે ઑર્ડર ઑફ મેરિટ. વિવિયન હેય-વુડ સાથે દુઃસ્વપ્ન સમા પ્રથમ લગ્ન (૧૯૧૫-૩૩). વેલેરી ફ્લેચર સાથે બીજા (૧૯૫૭-૬૫). ૦૪-૦૧-૧૯૬૫ના રોજ લંડન ખાતે એમ્ફિસિમાના કારણે મૃત્યુ. કબર પરની મૃત્યુનોંધ: ‘મારા આરંભમાં મારો અંત છે, અંતમાં આરંભ.’

બહુઆયામી વ્યક્તિત્વ- કવિ, નાટ્યકાર, વિવેચક, નિબંધકાર, સંપાદક. ઉત્તમ પદ્યનાટ્યકાર. કવિતા આધુનિક સભ્યતાની સંકુલતાનો અરીસો હોવો જોઈએ એમ એ દૃઢપણે માનતા અને એ જ રીતે કવિતા લખતા. એમના મતે કવિની લોકો તરફની ફરજ માત્ર આડકતરી છે; સીધી ફરજ ભાષા પરત્વે- પહેલી એની જાળવણીની અને બીજી એના પ્રસાર-સુધારની. બોલાતી ભાષાને કાવ્યસામગ્રી તરીકે વાપરવાના હિમાયતી. પણ એમની કવિતાનું ઊડીને આંખે વળગે એવું પાસું છે કઠિનતા. સુઘડ પ્રાસનિયોજન, વિરોધાભાસી કલ્પનોની ઘટ્ટતા, છંદપલટાનું કૌશલ્ય, અને સંયમિત શૈલીને લઈને એ ગિફ્ટેડ અને ઓરિજનલ ગણાયા પણ અઘરાય એટલા જ બન્યા. એમની કથની, ‘અધિકૃત કવિતા સમજાય એ પહેલાં પ્રત્યાયન કરતી હોવી જોઈએ,’થી વિપરીત એમની કવિતા ભાવકના પક્ષે જબરદસ્ત સજ્જતા માંગે છે. એલિયટને હાથમાં લેતાં પહેલાં એની વિચારધારા, કલ્પનક્ષેત્ર, ભાષાકીય લાક્ષણિકતા અને કથનની વિચક્ષણતાનો પૂર્વાભ્યાસ જરૂરી છે. આધુનિકતાના આગ્રહી એલિયટે કવિતામાં ક્રાંતિ સર્જી હતી. વીસમી સદીના સીમાચિહ્ન ગણાતા ‘વેસ્ટ લેન્ડ’ કાવ્યના સર્જક. જીવતેજીવ એમની પ્રસિદ્ધિ દંતકથા સમાન બની અને ૧૯૩૦થી ત્રણ-ત્રણ દાયકા સુધી એમણે અંગ્રેજી કવિતા અને સાહિત્યિક વિવેચનના ક્ષેત્રો પર એકહથ્થુ શાસન કર્યું. જોકે એલિયટ તો કહેતા કે, ‘દાન્તે અને શેક્સપિઅરે દુનિયા એમની વચ્ચે વહેંચી લીધી છે. કોઈ ત્રીજું છે જ નહીં.’

પ્રસ્તુત રચનામાં પ્રથમ અંતરાના બે સંસ્કરણ છે: (૧) ‘અ લિરિક’ (ઊર્મિગીત): ૧૯૦૫માં કિંગ્સ કોલેજ, કેમ્બ્રિજ માટે. (૦૧-બ). (૨) ‘સૉન્ગ’ (ગીત): ૧૯૦૭માં કોલેજના સામયિક માટે (૦૧-અ). કવિએ બીજો બંધ યથાવત્ રાખ્યો હતો. સમજાય છે કે બે વર્ષમાં એલિયટનો કાન વધુ પુખ્ત બન્યો હતો અને લય વધુ સમૃદ્ધ. આઠ પંક્તિના બે અંતરા અને અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અહીં છે. સોળ વર્ષની ઉંમરે શાળામાં કવિતા લખવાની કવાયત ખાતર લખાયેલી આ કવિતામાં શિક્ષકને કોઈ વડીલનો ‘હાથ’ દેખાયો હતો, પરંતુ એલિયટના માતા, જે ખુદ કવયિત્રી હતાં, એમના મતે એમના કોઈ પણ પદ્ય કરતાં આ રચના વધુ સારી હતી. શેક્સપિઅરના સમસામયિક બેન જોન્સનના ‘સોંગ ટુ સિલિયા’ (Drink to me only with thine eyes)નો પ્રભાવ આ કવિતા પર દેખાય છે. એલિયટે જ કહ્યું હતું, ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

કાવ્યપ્રકાર ‘ગીત’નો છે પણ વિષય પ્રેમ, સમય અને જીવનનો છે એટલે ‘ગીત’ શીર્ષક થોડું અજુગતું લાગે. પણ ગીત મનુષ્યના પ્રેમભાવનું વહન કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ હોવાથી કદાચ કવિએ એ પસંદ કર્યું હોઈ શકે. હશે. કવિતાની શરૂઆત સમય અને અવકાશથી થાય છે. એલિયટ ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્યના ઊંડા અભ્યાસુ હતા. જુઓ:

श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रंथ कोटिभः
ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः

શંકરાચાર્ય કરોડો ગ્રંથોનો સાર અડધા શ્લોકમાં કહે છે: બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. જીવ બ્રહ્મ જ છે, બીજું કંઈ નહીં. એલિયટની કવિતામાં આ જ વાતનો સૂર પડઘાતો સંભળાય છે ને? સમય-અવકાશ વિશેના સાધુઓના મતથી કવિતા પ્રારંભાય છે. એલિયટની કવિતાઓમાં શરૂથી સમય અંગેની ફિલસૂફી જોવા મળે છે. લૌકિક સમય, સમયહીનતા અને શાશ્વતી– આ કાળબિંદુઓ સાથેની રતિ એ એલિયટની ગતિ છે. પ્રસ્તુત કવિતા પણ સમય અને શાશ્વતીના કોયડામાં કવિનો રસ છતો કરે છે. સમયમાંથી પસાર થઈને જ સમયને જીતી શકાય એમ એલિયટ માનતા. એ કહેતા કે, ગત સમય અને અનાગત સમય ચૈતન્યાવસ્થા માટે બહુ ઓછો અવકાશ રાખે છે. સભાન હોવું એટલે સમયમાં ન હોવું. ભગવદગીતામાં કહ્યું છે:

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा:।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम्॥ (૦૨:૧૨)

(એવું ક્યારેય નહોતું જ્યારે હું કે તું અથવા આ બધા રાજાઓ ન રહ્યા હોય અને એવુંય નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ). આ જ રીતે આપણું અસ્તિત્વ પણ સમયની બંને તરફ વિસ્તરેલું છે, સમયાતીત છે, શાશ્વત છે. એલિયટ કહેતા, ‘વર્તમાન સમય અને ગયેલો સમય બંને કદાચ ભવિષ્યકાળમાં હાજર હોય.’ જો કે અહીં કવિ સાધુસંતોના પ્રવર્તમાન વિચારધારાથી ઉફરી ગતિ કરે છે અને ‘ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ, સરકી જાયે પલ’ (મણિલાલ દેસાઈ)ની વાસ્તવિકતાનું યશોગાન કરે છે. ઘડિયાળના કાંટા અટકી-બટકી જાય તોય સમય અટકતો-બટકતો નથી કેમકે સમયનો સ્વ-ભાવ રહેવાનો નહીં, વહેવાનો છે. ઘડિયાળ કાંડે બાંધીને આપણે માનવા માંડીએ છીએ કે આપણે સમયને બાંધી લીધો છે. હકીકત એ છે કે સમયનું સોનું સમય પર ન વાપરીએ તો કથીર બની જાય છે.

મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ!
હવે આ હાથ રહે ના હેમ! (પ્રિયકાન્ત મણિયાર)

ઉમાશંકર પણ કહી ગયા,

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !

ઊંઘમાં જ ચાલીને આપણે જીવન વિતાવીએ છીએ. આપણો અડધો સમય જાતને ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. શંકરાચાર્યે કહ્યું તેમ, कालः क्रीडति गच्छत्यायु| (કાળ ક્રીડા કરે છે, આયુષ્ય ઓછું થાય છે). એલિયટ આ સમજે છે એટલે કહે છે કે સમય અને અવકાશ કેવળ ભ્રમ હોવાની સંતોની વાત માની લઈએ તો માખી, અથવા પતંગિયું, જેનું આયુષ્ય એક જ દિવસનું છે એ અને આપણે, જે વરસોવરસ જીવીએ છીએ એ ઉભયનું આયુષ્ય એકસમાન જ કહેવાય. સમય નામનું પરિબળ કાઢી લેવાય તો જીવનના બંને અંતિમ એક ગણાય. એ જ રીતે, સૂર્ય જે કદી ક્ષય પામતો નથી એ પણ આપણા જેટલું જ જીવ્યો ગણાય, આપણાથી મહાન ન ગણાય. સમયનું અસ્તિત્વ જ ન હોય તો આપણો પ્રેમ સદીઓ સુધી જીવે એવી પ્રાર્થનાય શા માટે? ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ નથી. ત્યાં નાનું-મોટું, ભારે-હલકું બધું એકસમાન છે. ત્યાં પક્ષીના પીછાં અને અવકાશયાત્રી –બેઉનું વજન સરખું છે. એ જ રીતે અવકાશમાં પણ નાના-મોટા તમામ પદાર્થની ગતિ સમાન છે. સમય વિનાના સ્થળે ભૂત, વર્તમાન કે ભવિષ્યની તમામ ઘટનાઓ એક જ બિંદુ પર ઘટતી ગણાય. સમય જિંદગીને માપવા માટેની માપપટ્ટી છે. સમયનો એકડો કાઢી નાંખીએ તો પછી સરખાવવાનું શું બચે? સંતો ભલે સહમત નહીં થાય, પણ કાળ તો બંધેય બાંધી ના શકાય એવી સતત વહેતી નદી છે. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે! કબીરે પણ કહ્યું છે, ‘काल करे सो आज कर, आज करे सो अब। पल में प्रलय होएगी, बहुरि करेगो कब।।’ ગંગાસતી કહી ગયાં: ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ! નહિતર અચાનક અંધાર થાશે.’ એલિયટ પણ સમયની વીજળીના લિસોટાનો પ્રકાશ ટકે એટલીવારમાં જીવન જીવી લેવાનું ઇજન આપે છે. આપણને પ્રેમ અને જીવન કોઈ કિંમત ચૂકવ્યા વિના પ્રાપ્ત થયાં છે. તો શા માટે જીવન ભરપૂર જીવી ન લઈએ અને જીવીએ એટલો સમય પ્રેમ ન કરીએ!? ફરી ઉમાશંકર જોશી યાદ આવે: ‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું ભલા પી લે.’

બીજા બંધમાં કવિ કહે છે કે, આપણને જિંદગી મળી ત્યારે એ ઝાકળબુંદથી સદ્યસ્નાત, નવપલ્લવિત ફૂલ સમી હતી. પણ જીવનનો સાચો રસ આપણે ચૂસી-માણી-પ્રમાણી શકીએ એ પહેલાં તો ફૂલ કરમાવાં માંડ્યાં. આ વાસ્તવિક્તા છે, અને સમયની હાજરીનું પ્રમાણ પણ. પરંતુ આ માથે હાથ દઈ બેસવાની-રડવાની ઘડી નથી. સમયની શીશીમાંથી જે રેતી સરકી ગઈ, એનો અફસોસ કરવાના બદલે ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં!’ (નર્મદ) કહીને આવનારી ક્ષણોને ભરપૂર જીવી લેવાની કોશિશ કેમ ન કરીએ? શેક્સપિઅરે પણ કહ્યું હતું, ‘I wasted time and now doth time waste me.’ (મેં સમયને વેડફ્યો, હવે સમય મને વેડફી રહ્યો છે.)

અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા, ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે (મકરંદ દવે)

જીવન ટૂંકું છે તો પૂરેપૂરું જીવી કેમ ન લઈએ? ગયું એનો અફસોસ ન કરીએ અને આવ્યું નથી એની પાછળ હડી ન કાઢીએ. નિતનવાં ફૂલોને ચૂંટવા ઉતાવળા થવુંય ખોટું અને જે ફૂલો કરમાઈ ગયાં કે રહ્યાં છે એને જોઈને શોકાતુર થવું પણ અયોગ્ય. નિતનવી તકો પાછળ દોડવાની જરૂર શી? અને ન મળે તો મરવા પણ કેમ પડવાનું? જે હાજરમાં છે એને જ પૂરી કેમ ન ભોગવીએ? ભૂત અને ભવિષ્યના આટાપાટામાં અટવાયા વિના વર્તમાનને જ સાચું જીવન કેમ ન બનાવીએ? જે થઈ ગયું છે એને નથી થયું કરવાની દવા દુનિયાના કોઈ હાકેમ પાસે નથી. જે થયું નથી એને હાજર કરવાનો કીમિયો પણ કોઈ જાદુગરને હસ્તગત નથી. ઈસુથી થોડા દાયકા પૂર્વે જ કવિ હોરિસ (Horace)એ કહ્યું હતું: ‘dum loquimur, fugerit invida aetas: carpe diem, quam minimum credula postero’ (આપણે જ્યારે આ બોલી રહ્યાં છીએ, ઈર્ષ્યાળુ સમય નાસી છૂટ્યો હશે. આજને જીવી લો, આવતીકાલ પર બને એટલો ઓછો ભરોસો કરો.) એલિયટનું આ ગીત Carpe Diem ના સંદેશનું જ બૃહદ્ગાન છે. એ કહે છે કે પૃથ્વી પરનાં આપણાં અંજળ ભલે અપૂરતાં કેમ ન હોય, જે છે એને જ ચાહી-ચાહીને દિવ્ય અને સુંદર કેમ ન બનાવીએ?

આપણામાંથી મોટાભાગનાનું મોટાભાગનું જીવન ગઈકાલના કમરામાં વીતી જાય છે અને બાકીનાઓનું આવતીકાલના હવામહેલમાં. આજની જમીન પર તો આપણો પગ જ નથી પડતો. કેટલાક લોકો ‘અમારા જમાનામાં તો આમ હતું’ના સાત બાય પાંચ ઈંચના ઓરડા(મગજ)માં જ આજીવન કેદ રહે છે. ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો કે નાદાનીઓને બહુમતી લોકો વિસારે પાડી શકતા નથી. ભૂતકાળની ભૂલ ગમે એવી હોય, એ વીતી ચૂકી છે. એના પડછાયા આજ પર પડતાં નહીં રોકાય તો અજવાળું ઓછું જ મળશે. ખરું ડહાપણ ગઈકાલની સમસ્યાઓને નજરઅંદાજ કરીને આજને ઉજવવામાં છે.

પ્રેમ જીવનનો ખરો અર્ક છે. પ્રેમનો મલમ જ ગઈકાલના જખ્મોને રૂઝવી શકે છે. ગઈગુજરી ભૂલીને જે ક્ષણો હાથમાં છે એને પ્રેમપૂર્વક પૂરેપૂરી જીવી લેવાય એ ખરી જિંદગી. આનો અમલ કરવાનું ચૂકી જાય છે, એ લોકો જીવવાનું જ ચૂકી જાય છે. પ્રેમને વ્યક્ત કરતાં શીખવાનું છે. પ્રેમ છે? તો કહી દો. પ્રેમ છે? તો કરી લો. અભિવ્યક્તિમાં જેમ મોડું કરીશું, તેમ પ્રેમ કરમાતો અને કાળ સાથે ઝંખવાતો-નંદવાતો જશે. પ્રેમને સદીઓ ટકાવવાની ફિકર કરવાના બદલે પ્રેમની પળોને સો ફીસદી જીવવામાં રત રહીશું તો દરેક ક્ષણ શાશ્વતીની ક્ષણ બની જશે. કવિ આપણને જિંદગીને મુક્તમને જીવવા અને ‘દિવ્ય’ પ્રેમના ચંદ દિવસોને સનાતનમાં પરિવર્તિત કરવા આમંત્રે છે. ‘ચાલ્યું ગયું એ પાછું ટીપુંય આપો તો બદલામાં ચાહે રગ-રગ લો’નો નોસ્ટાલ્જિક મોહ ત્યજીને આજમાં જીવતાં શીખી શકાય તો જીવનનું વન સાચે જ નંદનવન છે.

2 replies on “ગ્લૉબલ કવિતા: ૨૧૧ : ગીત – ટી. એસ. એલિયટ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *