ગ્લૉબલ કવિતા: ૨૧૦ : હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા)

I – Chairil Anwar

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Translation: Burton Raffel)

હું

જ્યારે મારો સમય આવશે
હું કોઈનું રુદન સાંભળવા માંગતો નથી
તમારું પણ નહીં

દૂર બધા રડમસોથી !

હું આ જ છું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ ભલે મારી ત્વચાને છેદી નાંખે
પણ હું આગળ વધતો જ રહીશ

મારા જખ્મોને લઈને હું ધસતો રહીશ અને મારાં દર્દ હુમલા કરતાં રહેશે,
કરતાં રહેશે,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા કરનાર નથી

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)


હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું….

અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળ રેલ્વેના પાટાની જેમ સદૈવ અડખેપડખે ચાલતાં હોવા છતાં ભિન્ન છે. વળી જિંદગીની ટ્રેનને સારી રીતે પસાર થવા માટે બંને અનિવાર્ય પણ છે. ડાર્વિનના વિખ્યાત સિદ્ધાંતોમાંનો એક, અસ્તિત્વ માટેનો સંઘર્ષ તો પ્રાણીમાત્રને હાંસિલ છે, અને દરેક જણ વધતા-ઓછા અંશે એ કરે જ છે. પણ આ સંઘર્ષમાં જો આત્મબળ ઉમેરાય તો નવીન બુલંદીઓ હાથવગી થઈ શકે. અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળના પાટા પર દોડતી જિંદગીની ટ્રેન જ કદાચ અમરત્વના સ્ટેશન સુધી લઈ જઈ શકે. પ્રસ્તુત રચનામાં ઇન્ડોનેશિયન કવિ ચૈરિલની સાથે ચાલો, આ મુસાફરી ખેડીએ.

ચૈરિલ અનવર. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. (જ.: ૨૬-૦૭-૧૯૨૨, ઉત્તર સુમાત્રા, મૃ: ૨૮-૦૪-૧૯૪૯, જકાર્તા) હોઠ વચ્ચેની સિગારેટ ખાખ થાય એથીય વહેલું, છવ્વીસ વર્ષની અલ્પાયુમાં અને છ જ વર્ષના કવિજીવનમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ, ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો સર્વકાલીન અગ્રકવિ બની ગયો. માત્ર ૫૫ ગઝલ લખીને અજરામર થઈ જનાર દુષ્યંતકુમારનું સ્મરણ થાય. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો, લઘરવઘર, નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ઢગલાબંધ પ્રેમિકાઓનો પ્રેમી. બાળપણમાં પણ જિદ્દી અને અઘરો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એ કળાકાર થવા જન્મ્યો છે. એ અંદાજ પણ આવી ગયો હતો કે દીવો જલ્દી ઓલવાવાનો છે. ૧૮ વર્ષે શાળા છોડી દીધી. એ જ અરસામાં થયેલા મા-બાપના છૂટાછેડાથી લાગેલા ઘા કદી રૂઝાયા નહીં. ૧૯૪૬માં હાપ્સા વીરારેજા સાથે લગ્ન. એક દીકરીનો બાપ બન્યા. બે વર્ષમાં છૂટાછેડા. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ટાયફસ, સિફિલીસ, ટી.બી. કે સિરોસીસ ઑફ લિવર? અલ્લાહ જાણે! મૃત્યુપર્યંત અનવર પર ઊઠાંતરીનો આરોપ પણ લગાવાયો હતો. આરોપ સાચો હોય તોય એનો હાથ લાગતાં કવિતામાં જાદુઈ ફેરફાર અને પરિણામ આવતાં. જો કે એક જ કવિતામાં સીધી ઊઠાંતરી સિદ્ધ થઈ શકી એ અલગ વાત. એલિયટ યાદ આવે: ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

એની કવિતામાં વ્યક્તિવાદ, અસ્તિત્વવાદ અને મૃત્યુ રોજબરોજની ભાષામાં ઊતરી આવે છે. એના ભાષાકર્મ અને પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિકાના લીરેલીરાં ઊડાવી દીધાં. પારંપારિક ઇન્ડોનેશિયન સાહિત્યને નવા-નવા આઝાદ (૧૭-૦૮-૧૯૪૫) થયેલા દેશની નૂતન પરિભાષામાં ઢાળનાર ‘જનરેશન ૪૫’ના અગ્રણી યુવા કવિઓમાંનો એ એક હતો. લાગણીની તીવ્રતા, ઉદ્દામવાદી વિચારસરણી તથા બહુધા આત્મકથનાત્મક શૈલીથી રસાયેલી એની કવિતાઓમાં નિરાશા અને મૃત્યુના ગાઢા રંગ ઉપસી આવે છે. ઇન્ડોનેશિયન સાહિત્યના પ્રખર અભ્યાસુ ટિવેએ એને ‘પરફેક્ટ પોએટ’ કહ્યો છે. જીવતો’તો ત્યારે એની કવિતાઓ મોટાભાગે સાભાર પરત થતી પણ આજે એનો નિર્વાણદિન ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

અનુવાદ કરતી વખતે મૂળ રચનાનું ભાષાસૌંદર્ય અવશ્ય ખતમ થવાનું. પ્રસ્તુત કવિતાનું શીર્ષક અને મધ્યવર્તી વિચાર બંને Aku (હું) છે. ‘Aku’ એક જ શબ્દ હું, મને, મારુંની બધી જ અર્થચ્છાયામાં અલગાલગરીતે વાપરી શકાતો હોવાથી કાવ્યસર્જનની પળનો કવિનો મનોભાવ પકડવો અશક્ય છે. મૂલ કવિતામાં પહેલી લીટીમાં Waktuku શબ્દ છે, જેમાં Waktu એટલે સમય. Akuમાંનો ku એની પાછળ પ્રત્યય તરીકે લાગે એટલે અર્થ થાય મારો સમય. બીજી પંક્તિના પ્રારંભે ‘Ku બોલચાલની ભાષાનો કૈંક અંશે અશિષ્ટ શબ્દ છે, અર્થ તો ‘હું’ જ થાય છે પણ એનું સ્લેંગ તરીકે ભાષાંતર શું કરવું? કવિતામાં એ જ પ્રમાણે Ku ફરીથી પ્રત્યય તરીકે kulit સાથે (મારી ત્વચા), અને ઉપસર્ગ તરીકે bawa સાથે (હું આગળ વધું છું) વપરાયું છે. એક જ શબ્દની અલગ અલગ ભાષામાં અર્થચ્છાયા પણ અલગ અલગ હોવાની. પણ તમામ મર્યાદાઓના સ્વીકાર સાથે મૂળ ભાષાથી અણજાણ ભાવકોને અવર ભાષાના સાહિત્ય સાથે સાક્ષાત્કાર કરાવી આપવાનો એકમાત્ર કીમિયો અનુવાદ જ છે એટલે મૂળ ભાષામાંનું કંઈક ગુમાવવાની તૈયારી સાથે અને નવી ભાષામાંથી કંઈક ઉમેરણ સાથેના અનુસર્જનને આવકારવો જ રહ્યો.

‘અકુ’ એટલે ‘હું’. જાકાર્તા કલ્ચરલ સેન્ટરમાં જુલાઈ, ૧૯૪૩માં ચૈરિલે પહેલવહેલીવાર આ કવિતા વાંચી હતી, ત્યારે ‘સેમાન્ગત’ (આત્મા) એનું શીર્ષક હતું. ઇન્ડોનેશિયન વિવેચક નેતિના મતે નવું શીર્ષક ‘અકુ’ (હું) અનવરનો વ્યક્તિગત સ્વ-ભાવ સૂચવે છે જ્યારે જૂનું શીર્ષક પ્રાણશક્તિ. આખી રચના ‘હું’ કેન્દ્રિત છે અને ટોળામાંથી ખદેડી મૂકાયેલ માણસની છે. આવામાં લય કે સુનિશ્ચિતતા શું શક્ય બને? કદાચ એટલે જ અહીં કાવ્યવિધા અછાંદસ છે, અને સાત અનિયત ભાગમાં વહેંચાયેલી તેર અનિયમિત લંબાઈવાળી પંક્તિઓ. મૂળ કવિતામાં જો કે કવિએ સરસ પ્રાસવ્યવસ્થા અને નાદસૌંદર્ય જાળવ્યાં છે.

સદીઓના ડચ સંસ્થાનવાદની જોહુકમી બાદ ૧૯૪૧થી ૧૯૪૫ દરમિયાન જાપાનીઓએ ઇન્ડોનેશિયામાં અડિંગો જમાવ્યો હતો. નિર્દયી જાપાનીઓએ દેશને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નહોતી. માર્ચ ૧૯૪૩માં, જ્યારે ચૈરિલે આ કવિતા લખી એ સમય ઇન્ડોનેશિયાની આઝાદીની લડતનો સમય હતો. ઘણા આ કવિતા રાજનૈતિક હેતુથી પર હોવાનું માને છે, પણ કવિતાના વિષયવસ્તુ, રચનાસમય, ચૈરિલનો સ્વભાવ –આ બધું જોતાં સમજાય છે કે આ કવિતા દેશ આખાની આઝાદીની ચાહનાનું ગાન છે. કવિતા સ્વતંત્રતાસંગ્રામનું પ્રતીક બની રહી હતી. કદાચ એટલે જ એ કવિનું સર્વશ્રેષ્ઠ સર્જન પણ ગણાય છે.

આખી રચના ‘હું’ ફરતે વીંટળાયેલી છે. કાવ્યનાયક (persona) કવિ પોતે હોવાનું સતત અનુભવાય છે. ચૈરિલની બહુધા આત્મકથનાત્મક શૈલીની કવિતાઓની આ ખૂબી છે. એ કહે છે કે આ જ હું છું, આ હું જ છું; સ્વીકારો અથવા તરછોડો. માથે ચડાવો અથવા ફેંકી દો પણ હું આ જ છું, આ જ છું ને આ જ રહીશ. કાવ્યારંભે જ કવિનો આ મિજાજ સંભળાય છે. ‘જ્યારે મારો સમય આવશે’થી કવિતા પ્રારંભાય છે. આ સમય મૃત્યુનો છે કે વિજયશ્રીનો કે બંનેનો એ આગળ જતાં સમજાય છે. બુદ્ધ કહે છે કે ‘સમસ્યા એ જ છે કે તમે વિચારો છો કે તમારી પાસે સમય છે.’ મહાભારતમાં યક્ષપ્રશ્નોના જવાબ આપતાં યુધિષ્ઠિરે મૃત્યુ નિશ્ચિત હોવાનું જાણવા છતાં માણસ કદી મરવાનો ન હોય એમ જીવે છે એને સંસારનું સૌથી મોટું આશ્ચર્ય લેખાવ્યું હતું. પણ અહીં પોતાનો સમય નજીક હોવાનું કવિ સમજી ચૂક્યા છે. સ્વાતંત્ર્યસંગ્રામના સમયગાળાની રચના હોવાથી અને કવિ પોતે ગેરિલા સૈનિક રહી ચૂક્યા હોવાથી લડાઈ, ગોળીઓ અને આગેકૂચના સંદર્ભો સમજાય છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂવાનો કે કોઈપણ રીતનો ‘પોતાનો’ સમય આવશે ત્યારે કવિ કોઈનું પણ રુદન સાંભળવા માંગતા નથી. એ નથી ઇચ્છતા કે કોઈપણ રડે, કે શોક મનાવે. કથક જે(ઓ)ને સંબોધે છે તે(ઓ)નું રૂદન પણ ઝંખતો નથી. મેરી એલિઝાબેથ ફ્રે કહે છે, ‘મારી કબર પાસે ઊભાં રહીને રડશો નહીં. હું ત્યાં નથી. હું મરી નથી.’ કવિ પણ દુનિયાભરના રડમસોથી પરે રહેવા ધારે છે. આમ, પ્રથમ ત્રણ પંક્તિમાં જ મૃત્યુના સાન્નિધ્યમાં જીવનનું માહાત્મ્ય ઉજાગર થાય છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કહેતો રાવજી પટેલ યાદ આવે. રાવજીને યુવાવયે મરણ ઢૂંકડુ દેખાયું ત્યારે એણે શોકગીતના બદલે લોકગીત-લગ્નગીતની ભાષામાં પોતાની વેલને શણગારવાનું અને શગને સંકોરવાનું કહ્યું હતું. મૃત્યુના વધામણાં લેતાં આવડી જાય તો શ્વાસ પણ અજવાળાં પહેરીને ઊભા રહે! નોર્મન કઝિન્સ કહે છે, ‘મૃત્યુ એ જિંદગીમાં સૌથી મોટી ખોટ નથી. મોટામાં મોટી ખોટ તો આપણે જીવતાં હોઈએ ત્યારે આપણી અંદર કશુંક મરી જાય એ છે.’ ખલિલ જિબ્રાન કહે છે, ‘જીવન અને મૃત્યુ એક જ છે, જે રીતે નદી અને દરિયો.’ ચૈરિલ પણ મૃત્યુને વધાવી લેવાની વાત કરે છે. રડવાથી અને રડનારાઓથી દૂર રહેવા માંગે છે.

કવિ પોતે દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર હોવાનું કબૂલે છે. પણ સૂર કબૂલાતનામાનો ઓછો અને જાહેરાતનો વધારે છે. ગાયોના ઝુંડમાં ગાય હોય અને સિંહોના ટોળામાં સિંહ. મતલબ, ઝુંડના અન્ય સભ્ય પ્રાણીઓ પણ હતા તો જંગલી જ! આપણો સમાજ પણ સુસંસ્કૃત જંગલીઓના જૂથ સિવાય બીજું શું છે? કથકની જંગલિયત જો કે એવી છે કે એને જંગલીઓએ પણ તડીપાર કર્યો છે. મૂળ ભાષામાં ‘જંગલી જાનવર’ માટે binatang jalang શબ્દપ્રયોગ છે, જેમાં jalang (જંગલી) શબ્દમાં કામુકતાની અર્થચ્છાયા છે, જે અનુવાદમાં લુપ્ત થઈ ગઈ. Jalang વિશેષણ સ્ત્રીઓ માટે વપરાય ત્યારે વેશ્યા હોવાનો અર્થ પ્રતિપાદિત થાય છે. અહીં પણ, Jalang શબ્દનો એક તાર ચૈરિલની બેબાક અતિકામુક જિંદગી સાથે જોડાયેલ અનુભવાય છે. પાણી અને જળ સમાનાર્થી હોવા છતાં બંનેની અર્થચ્છાયા ભિન્ન છે. સન્માનનીય વ્યક્તિના પગ ધોવા કે અભિષેક માટે જળ શબ્દ વપરાય, પાણી નહીં. એ જ રીતે મળપ્રક્ષાલન માટે પાણી શબ્દ જ છાજે, જળ નહીં.

ઇન્ડોનેશિયન સમાજના જનમાનસમાં એ સમયે એ વાત ઠસી ગઈ હતી કે ટોળાંમાંથી છૂટો પડે એ કચડાઈ જાય, આગળ ન વધી શકે, અને આ એકાકી અવસ્થામાં ભાગ્યે જ બચી શકે. ચૈરિલની ઘણી કવિતાઓ પર એ સમયના શાસકદેશ જાપાને પ્રતિબંધ મૂક્યો હતો પણ એ તો સ્વભાવે જ બંડખોર હતો. એ ટોળાંનો કે બહોળાનો માણસ નહોતો. એ અવળી જ આલબેલ પોકારે છે. ઝુંડમાંથી હાંકી કઢાયો હોવાની બાંગ એ કવિતાના મિનારે ચડીને પોકારે છે. અને એની આ વાતની જ પુષ્ટિ કરતી હોય એમ શીર્ષક અને તેરેતેર પંક્તિઓમાં Aku (હું)ના પડઘા સતત સંભળાય છે.

ચૈરિલનો બળવાખોર મિજાજ શબ્દે-શબ્દે છલકાય છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય, ભલે એકલો પડ્યો હોય, ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગેકૂચ છોડનાર નથી. આગળ કદાચ ગોળીબારનો સામનો કરવો પડે અને ગોળીવર્ષા ત્વચા ભેદીને તાર-તાર પણ કરી દે. વાંધો નહીં. આગેકદમ જારી જ રહેશે. એનો હુમલો મંદ કે બંધ નહીં પડે. બાણશય્યાવશ ભીષ્મે પણ ઇચ્છામૃત્યુનું વર હોવા છતાં મૃત્યુની ઇચ્છા કરી હતી, પરંતુ કાવ્યનાયક ગોળીથી છલની-છલની થઈનેય અટકનાર નથી. માત્ર ઘાવો જ નહીં, દર્દોને પણ ઊંચકીને આગળ ને આગળ વધતા-ધસતા રહેવાની એની નેમ છે. ઘા તનના હોય છે, દર્દ મનના. તન કરતાં મનને ઉપાડવું વધુ દોહ્યલું છે. અહીં તો તન-મન બંને જખ્મી છે. નાયકની જેમ આ જખ્મો અને દર્દો પણ અટકવાના બદલે વધતા જ જશે અને એ હદ સુધી વધશે, જ્યાં સંવેદનતંત્ર લકવાગ્રસ્ત થઈ જાય, દુઃખ-દર્દ અનુભવવાની ક્ષમતાનું નાકું આવી જાય. ગોળીઓની પેઠે તન-મનને વીંધી-વીંધીને તમામ યાતનાઓ બુઠ્ઠી થઈ હથિયાર ફેંકી દે, દુઃખ-દર્દની સરહદ ખતમ થઈ જાય એ મુકામે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની ઇચ્છા ધરાવે છે. ગાલિબના એક-એક કરતાં બબ્બે શેર યાદ આવે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं
(માણસ દુઃખથી અભ્યસ્ત થઈ જાય છે તો દુઃખ મટી જાય છે. મારા પર એટલી બધી મુશ્કેલી પડી કે આસાન થઈ ગઈ.)

इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना
दर्द का हद से गुज़रना है दवा हो जाना
(દરિયામાં ફના થઈ જવું એ જ બુંદની ખુશી છે. દર્દ હદથી વધી જાય તો ઔષધ બની જાય છે.)

જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શેનું માનતા કે, ‘તુચ્છ લોકોની પીડા તુચ્છ હોય છે, મહાન માણસોની મહાન. મહાન વેદનાનો અફસોસ ન કરવો જોઈએ કેમકે તે ઉમદા છે.’ એમણે કહ્યું હતું કે ‘જે આપણને મારી નથી નાંખતી એ પીડા આપણને વધુ મજબૂત બનાવે છે,’ આ વાત વૈજ્ઞાનિક ધોરણે પણ પુરવાર થઈ છે. ચૈરિલ પણ આ જ કહે છે. કહે છે, હું તસુભાર પણ પરવા કરનાર નથી. ગોળીવર્ષા, જખ્મો, દુઃખદર્દ કે દુનિયાની કોઈ પણ આડશ એના વેગને, આત્મબળને અટકાવી શકનાર નથી.

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના. (ઘાયલ)

કવિનું આત્મબળ એના અસ્તિત્વના સંઘર્ષથી વધીને છે. એટલે એ મૃત્યુના ખોળામાં બેસીને ચિરંજીવી થવાની વાત કરી શકે છે. રડ્યા વિના, કોઈને રડવા દીધા વિના, મરણને પરણવાનું આહ્વાન આપતી આ રચના આઝાદી અને અમરજીવન માટેની બુલંદ ચીસ છે. સામી છાતીએ ફના થવા પૂરપાટ આગળ વધી શકે એ જ અમરત્વનાં સ્વપ્ન જોઈ શકે. અંતને ગળે લગાડતી કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.’ અને આ નાદભેરી એટલી વાસ્તવિક છે કે સહસ્ત્રાયુના આકાશકુસુમવત્ ગપગોળાને અવગણીને આપણે કવિના પક્ષે બેસી જઈને એને ‘તથાસ્તુ’ કહી બેસીએ છીએ!

એક રીતે, આ ઇન્ડોનેશિયાનું આઝાદીગાન પણ છે. ડચ હોય કે જાપાની– શાસકો ગમે એટલા અવરોધો કેમ ન ઊભા કરે, ગમે એટલી તકલીફો કેમ ન આપે, આ દેશ ઘાયલ થઈનેય કશાયની તમા રાખ્યા વિના આઝાદીની દિશામાં સતત ધસતો જ રહેશે, અને ત્યાં સુધી ધસતો રહેશે જ્યાં સુધી આતતાયીઓ અને ગુલામી ગાયબ ન થઈ જાય, દેશ સ્વતંત્ર ન થઈ જાય, કેમકે આ આઝાદી બીજા હજાર વર્ષ ટકી રહેનાર છે.

કવિનો અને કવિતાનો ‘હું’ આપણા સહુનો ‘હું’ છે. આ ‘હું’ હકીકતમાં મનુષ્યની સાહસિક ભાવના છે, જે મનુષ્યની પોતાના નિર્ધારિત ભાગ્ય -મૃત્યુમાંથી આઝાદ થઈ અમરત્વપ્રાપ્તિ માટેની તડપ અને કોશિશ નિરુપે છે. ચૈરિલ કહે છે, ‘કળામાં, પ્રાણશક્તિ પ્રારંભની અરાજક અવસ્થા હોય છે, સૌંદર્ય અંતિમ વૈશ્વિક અવસ્થા.’ આ વાત આ કવિતામાં પણ નજરે ચડે છે. કવિતાનો પ્રાણ એની શરૂઆતની અરાજકતા છે- મૃત્યુનું આહ્વાન, શોકની મનાઈ, ન્યાતબહાર ફેંકાવું, ઘાયલ થવું. પણ આખરી વાક્યમાં જે જિજિવિષા અંતરના તળિયાનાય તળિયેથી ઊભરી આવે છે એ વૈશ્વિક અવસ્થા, સ્વમાંથી સર્વ તરફની ગતિ, વયષ્ટિમાંથી સમષ્ટિ તરફનું પ્રયાણ આ કવિતાનું સાચું સૌંદર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *