ગ્લૉબલ કવિતા: ૨૧૨ : વાખ્યાની – લલ્લા

वाक्यानी

नाथा पाना ना पर्जाना
साधित् बाधिम् एह् कुदेह ॥
चि भु चू मि मिलो ना जाना
चू कु भु कु क्यों सन्देह् ॥

देव् वट्टा देवरो वट्टा
पिट्ठ बुन् छोय् एक वाट् ॥
पूज् कस् करिक् होट्टा बट्टा
कर् मनस् त पवनस् संगाट् ॥

भान गलो सुप्रकाशा जोनि
चन्द्र् गलो ता मुतो चित्त् ॥
चित्त् गलो ता किंह् ना कोनि
गय् भवा विसर्जन कित् ॥

यो यो कम्म् करि सो पानस् ॥
मि जानो जि बियीस् कीवूस्॥
अन्ते अन्त हारीयि प्राणस्
यौळी गच्छ् ता तौळी छ्योस्॥

– लाल दीद

વાખ્યાની

નાથ ! હું કોણ છું? હું ના જાણું,
ચાહ્યો સદા મેં આ જ કુદેહ,
તું જ હું, હું જ તું, મેળ ન પ્રમાણું,
તું કોણ? હું કોણ? શો સંદેહ?

દેવ છે પથ્થર,મંદિર પથ્થર,
શિરથી પગ લગ એક જ વસ્તુ,
એક પવન મન બંનેને કર,
પૂજ્યા કરે છે, પંડિત! શું તું?

સૂર્ય ગયો, પથરાઈ જ્યોત્સ્ના,
ચંદ્ર ગયો, બસ, ચિત્ત બચ્યું ત્યાં;
ચિત્ત ગયું તો ક્યાંય કશું ના,
આભ, ધરા, અવકાશ ગયાં ક્યાં?

મારાં કર્મો મારા જ માથે,
પણ ફળ એનાં બીજાં જ ખાશે;
શ્રેષ્ઠ હશે, જ્યાં જઉં, સંગાથે,
દઉં સઘળું એને જો વિણ આશે.

– લલ્લા
(અનુ. વિવેક મનહર ટેલર)


ઉપર અલ્લા, નીચે લલ્લા !

કહે છે સમયથી મોટો બીજો કોઈ વિવેચક નથી થયો, નહીં થશે. સમય કોઈની શેહશરમ રાખતો નથી. એની ચાળણી ભલભલાંને ચાળી નાંખે છે. ઇતિહાસ સાક્ષી છે કે ભલભલા સર્જકો અને એમના બહુખ્યાત સર્જનોને પણ જો ગુણવત્તા ન હોય તો, સમય નામનો અજગર બેરહમીથી ગળી ગયો છે. અને પોતાના સમયમાં જરાપણ જાણીતા ન હોય એવા સર્જકોને સમયે ગુમનામીની ગર્તામાંથી પણ બહાર ખેંચી આણ્યા છે. જીવતી હતી ત્યારે એમિલી ડિકિન્સનને કોણ જાણતું હતું? એની કવિતાઓ ક્યાં તો સાભાર પરત કરાતી અથવા પુષ્કળ કાંટછાંટ પછી પ્રગટ કરાતી. એના નિધન બાદ એની બહેને એની કવિતાઓ પ્રગટ કરી અને આજે એનું નામ શ્રેષ્ઠતમ અંગ્રેજી કવિઓમાં માનપૂર્વક અગ્રસ્થાને શોભે છે. વિલિયમ બ્લેક,થરો, કિટ્સ, કાફ્કા જેવા સર્જકો મૃત્યુ પછી જ દુનિયાની સામે પ્રગટ થયા અને અમર થઈ ગયા. જે મરીઝને મુશાયરામાં હુરિયો બોલાવીને બેસાડી દેવાતા, એ જ પછી ગુજરાતના ગાલિબ તરીકે પોંખાયા. સૉશ્યલ મિડીયાના અતિક્રમણના કારણે આજે મણમણના ભાવે સર્જકો આપણા માથે થોપાઈ રહ્યા છે અને ઇયત્તા ગુણવત્તાનો ભોગ લેશે એવો ડર સર્વત્ર પ્રવર્તી રહ્યો છે, પણ સમયના માથે છોડી દો બધું. જે ખરું સોનુ હશે એને જ સમય સાચવનાર છે. બાકીનું આપોઆપ ભૂંસાઈ જશે. નરસિંહ કે મીરાંને ટકી રહેવા માટે કોઈ સૉશ્યલ મિડીયાની જરૂર પડતી નથી. સમય જેને ભૂંસી-ભૂલાવી શક્યો નથી એવું જ એક નામ છે કાશ્મીરની લલ્લા.

લલ્લા કહો, લલ્લેશ્વરી કહો કે લાલ દીદ… એ ચૌદમી સદીની શરૂઆતમાં (જન્મ આશરે ૧૩૦૧ અથવા ૧૩૧૭-૨૦?; મૃત્યુ: ૧૩૭૩?) પ્રાચીન કાશ્મીરના જંગલ અને ગામોમાં ફરતી શૈવ પંથની પ્રચારક, અર્ધનગ્ન વણજારણ, સૂફી સાધ્વી અને કવયિત્રી યોગિની હતી. એ એટલી આત્મીય લાગે છે કે એને વહાલથી તુંકારે જ બોલાવવી પડે. જન્મ બ્રાહ્મણ પરિવારમાં. ૧૨ વર્ષની વયે લગ્ન. લગ્ન પછીનું નામ પદ્માવતી. કહેવાય છે કે સાસુએ ત્રાસ આપી આપીને એને ઘર ત્યાગવા મજબૂર કરી હતી. કાશ્મીરીઓ કહે છે, ‘होन्ड मारान किना काथ, लाली नलवुच बालि न झाह’ (મેંઢ માર્યો હોય કે ઘેટું, બધું સરખું જ; લલ્લાના ભાણામાં હંમેશા પથરો જ આવતો.) પથરા પર ભાત પાથરી દેવાતો જેથી વધુ માત્રામાં ભાત આપેલો દેખાય. લલ્લા કહેતી, ‘એ લોકોએ મને અપમાનોના કોરડા માર્યા, ગાળોથી વધાવી, એમનું ભસવું મારે મન કંઈ નથી. એ લોકો આતમફૂલ અર્પવા પણ આવે તો મને પરવા નથી. નિઃસ્પૃહ, હું આગળ વધું છું.’ લલ્લા બેવફા છે એની સાબિતી મેળવવા એની પાછળ ગયેલા પતિને લલ્લા જંગલના એકાંતમાં ભક્તિમાં લીન નજરે ચડી. ૨૬ની વયે ગૃહત્યાગ કરીને એણે પરિવ્રાજિકા-વણજારણની જિંદગી અપનાવી. કહે છે, એ અર્ધનગ્ન કે સંપૂર્ણ નગ્નાવસ્થામાં રઝળપાટ કરતી, નૃત્ય કરતી અને ગીતો રચતી-ગાતી. લલ્લા કહે છે, ‘મારા સ્વામીએ મને એક જ નિયમ આપ્યો છે, બાહ્ય ભૂલી જા, ભીતર જા. મેં, લલ્લાએ, આ શિક્ષણ દિલમાં ઉતારી દીધું, એ દિવસથી હું નગ્ન નાચતી ફરું છું.’ રખડપટ્ટી દરમિયાન મળેલ ગુરુઓની મદદથી લલ્લાને જીવનપંથ જડ્યો. લલ્લાની આસપાસ સેંકડો કથાઓ વણાયેલી છે પણ એમાંની ભાગ્યે કોઈ સાચી લાગે છે.

કશ્મીરની વાદીઓમાં ગવાતી આપણા મુક્તક જેવી ચાર લીટીની રચનાઓને વાખ તરીકે ઓળખવામાં આવે છે. वाख़ (ઉચ્ચારણ) શબ્દમાં સંસ્કૃત वाक् (વાણી) અને वाक्य (વાક્ય) –બંનેના અર્થ સંમિલિત છે. ૨૫૦થી વધુ વાખ લલ્લાના નામે બોલાય છે. તમામનું કર્તૃત્વ નક્કી કરી શકાયું નથી. પણ જે છે એ સર્વોત્તમ છે. લલ્લાની વાખ્યાનીનું મહત્ત્વ એ રીતે પણ ખૂબ છે કે એ કાશ્મીરી ભાષામાં ઉપલબ્ધ સૌથી પ્રાચીન નમૂનો છે. લલ્લાની રચનાઓ પેઢી દર પેઢી કંઠોપકંઠ વહી આવી હોવાથી, અને કાળક્રમે કાશ્મીરી ભાષામાં પણ ઘણો બદલાવ આવ્યો હોવાથી વર્તમાન વાખ એના મૂળ વાખ કરતાં અલગ જ હશે એમાં શંકા નથી, પણ એ વાખોનો છંદોલય, એમાં રસીબસી અનનુભૂત કવિતા અને લલ્લા માટેનો લોકાદર લેશમાત્ર બદલાયા નથી. લલ્લાની વાખ નાના કદ-કાઠી, પ્રવાહી લય, ચુસ્ત પ્રાસનિયોજન, સતત રણક્યે રાખતી વર્ણસગાઈ અને આંતર્પ્રાસોના કારણે વાંચતાવેંત હૃદયમાં સ્થાન કરી લે છે. મૂળ કાશ્મીરીમાંથી ગુજરાતી તરજૂમો કરવા માટે George Grierson અને Lionel Barnettના ‘લલ્લા વાખ્યાની’ પુસ્તકમાં સમાવિષ્ટ અંગ્રેજી ભાષાંતર અને કાશ્મીરી-અંગ્રેજી શબ્દકોશ; રંજીત હોસકોટેના ‘આઇ, લલ્લા’પુસ્તકમાંના અંગ્રેજી અનુવાદ તથા મૂળ કાશ્મીરી રચનાના નાદ-વર્ણનો સહારો લીધો છે.

લલ્લાની કવિતાઓ એકતરફ સંશયપ્રચુર છે તો બીજી તરફ ખાતરીથી ભરપૂર છે. એકતરફ એ અસ્તિત્વ અને ઈશ્વર વિશે શંકા રજૂ કરે છે તો બીજી તરફ ઈશ્વરસાધના અને સુવાંગ સમર્પણ. સ્વ જ સર્વ છે -अहम ब्रह्मास्मि- ના અનાહત નાદમાં એને સંપૂર્ણ શ્રદ્ધા છે. ધ્યાનથી પરખીએ તો લલ્લાની કવિતાઓ સંશયથી શ્રદ્ધા તરફની અનવરત યાત્રા છે. મીરાંનું સમર્પણ, કબીરનું તત્ત્વચિંતન, અખાના ચાબખા અને ભર્તૃહરિનો શૃંગાર – આ બધું જ રસાઈને વાખની ટૂંકી બહેરની ચાર જ પંક્તિમાં એ રીતે સમાઈ જાય છે, જે રીતે ગંગાસતી વીજળીના ક્ષણાર્ધભરના ચમકારામાં મોતીડાં પરોવી લે છે. લલ્લાના વીજચમકારનો પ્રકાશ સનાતન છે, અચાનક અંધાર થાતો નથી. એમનેમ કંઈ ‘ઉપર અલ્લા, નીચે લલ્લા’ કહેવાયું નથી. જેમ આપણે ત્યાં કબીર એમ કાશ્મીરમાં લલ્લાનું સ્થાન છે. કાશ્મીરમાં એવા હિંદુ કે મુસલમાન જડવા મુશ્કેલ છે, જેમની જીભે લલ્લાની વાખ રમતી ન હોય.

થોડી વાખનો સ્વાદ ચાખીએ:

(૦૧)
યજુર્વેદમાં વ્યાસના આગ્રહથી શિવે શુકદેવને બ્રહ્મ રહસ્યના ચાર સૂત્ર આપ્યાં હતાં:

प्रज्ञानं ब्रह्म (પ્રકટ જ્ઞાન બ્રહ્મ છે)
अहम् ब्रह्माऽस्मि (હું જ બ્રહ્મ છું)
तत्त्वमसि (એ તત્ત્વ તું જ છે)
अयमात्मा ब्रह्म (આ આત્મા બ્રહ્મ છે)

લલ્લાની પ્રથમ વાખનો પ્રધાન સૂર આ બ્રહ્મરહસ્યની ફરતે જ ગૂંથાયેલ છે. સ્વની શોધ સનાતન રહી છે. જન્મથી મૃત્યુપર્યંત જે મકાનમાં આપણે રહીએ છીએ એ મકાનની ખરી ઓળખ કેટલા કરી શકે છે? ब्रह्म सत्यं, जगत मिथ्या નો સ્વીકાર અસ્તિત્વના તળ તાગવા આપણને મજબૂર કરે છે. જો કે ઉપનિષદ એમ પણ કહે છે કે, जगदपि ब्रह्म सत्यं न मिथ्या॥ (જગત પણ બ્રહ્મ છે, આ સત્ય છે, મિથ્યા નહીં) લલ્લા પણ ‘હું કોણ છું’નો શાશ્વત પ્રશ્ન ઊઠાવતાં કહે છે કે આખી જિંદગી હું આ જાતને જ ઓળખી ન શકી. દેહની આસક્તિ પાછળ જ જીવન પૂરું થઈ ગયું. કાયા તો માત્ર પિંજરું છે, પંખી તો એમાં કેદ આત્મા છે. ઓળખ આત્માની કરવાની હોય. પણ આપણી આખી જિંદગી હું કોણ, તું કોણ કરવામાં વ્યતીત થઈ જાય છે. આપણો ‘હું’ અને બ્રહ્મનો ‘તું’ – બંને અભિન્ન છે; દ્વૈત નહીં, અદ્વૈત છે (जीवब्रह्मैक्य) એ તથ્ય જ વિસરાઈ જાય છે. શ્રીકૃષ્ણ કહે છે, ‘सर्वस्य चाहं हृदि सन्निविष्टो’ (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું.) મનુષ્ય, પ્રકૃતિ અને પરમેશ્વર-બધા એક જ છે. પરમબ્રહ્મની સાથેનું આપણું સાયુજ્ય જાણી ન શકવું, શંકા સેવવી એ જ સૌથી મોટી ભૂલ છે. જીવમાત્ર શિવનો જ અંશ છે એ સત્ય ભીતર ઝળહળે નહીં ત્યાં લગી આપણે મોક્ષ માટે લાખ-હજાર વાનાં કેમ ન કરીએ, વ્યર્થ છે. લલ્લા કહે છે, ‘પ્રેમઘેલી હું ફરીફરીને પાછી આવું છું તો ગુરુજી મારા ઘર(શરીર)માં જ જડે છે.’ सर्वँ खल्विदं ब्रह्म| (આ બધું બ્રહ્મ જ છે.) (છાન્દોગ્ય ઉપનિષદ)

(૦૨)
બીજા વાખમાં લલ્લા આજ વાત અલગ રીતે કરે છે. એ કહે છે, મંદિરમાં પ્રસ્થાપિત દેવની મૂર્તિ પથ્થર છે, સ્વયં મંદિર પણ પથ્થર છે. આટલું જ નહીં, માથાથી પગ સુધી બધા માત્ર પથ્થર જ છે. એક જ પદાર્થ છે. આપણે શેની પૂજા કરીએ છીએ? શું પૂજીએ છીએ? પથ્થર? આપણે શેની પૂજા કરવાની છે? પથ્થરની કે ઈશ્વરની? ખરો ઈશ્વર તો આપણી અંદર જ છે કેમકે આપણે ઈશ્વરના જ અંશ છીએ. નવાઈ લાગે પણ કાશ્મીરના જંગલોમાં સાતસો વર્ષ પહેલાં નગ્ન રખડતી એક યોગિની અને ચારસો વર્ષ પહેલાં ‘પથ્થર એટલા પૂજે દેવ’ કહેનાર ગુજરાતના એક સોની અખા વચ્ચે કેટલી હદે વિચારસામ્ય જોવા મળે છે:

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

લલ્લા પણ આ જ કહે છે. બ્રહ્મજ્ઞાન બહારથી નથી આવવાનું. આપણું મન અને આપણા શ્વાસ – ચિત્ત અને પ્રાણ –એકાકાર ન થાય તો ઈશ્વર ક્યાંથી મળવાનો? યોગિની લલ્લાનો સાફ ઈશારો યોગિક પ્રાણાગ્નિહોત્ર, પવિત્ર શ્વાસોની આહૂતિ –પ્રાણાયમ તરફ છે. એ કહે છે, ‘પલાંઠી વાળીને શ્વાસ રોકવાથી સત્ય નહીં મળે. દીવાસ્વપ્ન મોક્ષના દરવાજા સુધી નહીં લઈ જાય. પાણીમાં ગમે એટલું મીઠું નાખો, એ સમુદ્ર નહીં બને.’ એ કહે છે, ‘એ જાણે છે કે એ જ ઈશ્વર છે, એ કોની પૂજા કરે?’ લલ્લા ભૂખ-તરસથી શરીરનું દમન કરવાની ના કહે છે. કહે છે, ‘એના બદલે શરીર ગબડે ત્યારે એને હાથ આપો. સોગંદો અને પ્રાર્થનાઓ જાય ભાડમાં, બસ, અન્યોને મદદ કરો. આથી વધુ સાચી કોઈ ભક્તિ જ નથી.’ આમ, લલ્લા સર્વેશ્વરને સ્વમાં અને સર્વમાં શોધવા કહે છે.

(૦૩)
સૂર્ય અદૃશ્ય થાય ત્યારે ચાંદો પ્રકાશે છે અને ચંદ્ર અસ્ત થાય ત્યારે સૂર્યનો ઉદય થાય છે. પણ આ તો સમયચક્ર થયું. લલ્લા એની વાત નથી કરતી. લલ્લા void in to voidની વાત કરે છે. ચાંદ-સૂરજનો યૌગિક સંદર્ભ એને અભિપ્રેત છે. આપણા શરીરમાં સાત મૂળ ચક્રો છે, જે ઊર્જાપ્રક્રિયા માટેના મૂળભૂત સ્રોત છે. આ સિવાય યોગમાં ચંદ્ર અને સૂર્ય ક્રમાનુસાર સૌથી ઉપરના અને નીચેના ચક્રો ગણાય છે. ધ્યાનની ચરમસીમાએ સૂર્ય-ચંદ્ર, અર્થાત્ સૃષ્ટિ એના સંદર્ભો ગુમાવી અદૃશ્ય થાય છે. ચિત્ત જ રહી જાય છે. અને ચિત્ત પણ ઓગળી જાય ત્યારે ચૈતન્યત્વ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ચિત્ત યાને consciousness ને અતિક્રમી જાય છે, ત્યારે ક્યાંય કશું બચતું નથી. આભ, ધરા, અવકાશ બધું જ અદૃશ્ય થઈ જાય છે. ‘અદૃશ્ય થવા’નો ખરો અર્થ અહીં ‘ચેતનામાં ઉપસ્થિતિ ઓગળી જવી’ થાય છે. મતલબ યોગી એની ચેતનાને મર્ત્યલોકમાંથી ઊંચે લઈ જઈ અમર્ત્યલોક-બ્રહ્મલોક સુધી વિસ્તારે છે. વયષ્ટિ અને સમષ્ટિ વચ્ચેનો તફાવત સર્વસમાવિષ્ટ ચેતનામાં ડૂબીને સમરસ થઈ જાય છે. લલ્લા ઘણીવાર અવકાશ અવકાશમાં ભળી જવાની વાત કરે છે. એક વાખમાં એ કહે છે, જ્યારે શાસ્ત્રો ઓગળી જાય છે, ત્યારે જપ રહે છે, જ્યારે જપ ઓગળી જાય છે ત્યારે ચિત્ત રહે છે, જ્યારે ચિત્ત ઓગળી જાય છે ત્યારે શું બચે છે?

(૦૪)

ચોથા વાખમાં ભગવદગીતાનો कर्मण्येवाधिकारस्ते, मा फ़लेषु कदाचन्નો શંખધ્વનિ સંભળાય છે. કહે છે, જે હું કરું છું એની જવાબદારી મારા માથે છે. મારાં કર્મનો મારે જ અંજામ આપવાનો છે. એનાં ફળ બીજાને મળે એનો સંતાપ કેમ કરવો? ખૂન-લૂંટ-ચોરી વાલિયો લૂંટારો કરે પણ પેટ પરિવારનું જ ભરાય ને! આંબો રોપે એક પેઢી અને ફળ ખાય આવનારી પેઢીઓ. આપણાં કર્મ બીજી દુનિયામાં કે બીજા જન્મમાં આપણી સાથે આવતાં નથી, એ અહીં જ વારસદારોના હાથમાં મજાક બનીને રહી જાય છે. સાચો ધ્યાની અને જ્ઞાની તો માત્ર કર્મ જ કરે છે અને ફળની આશા ન રાખી, બધાં જ ફળ ‘એ’ને સુપ્રત કરી દે છે. આમ કરીએ તો દુનિયામાં જ્યાં જઈએ, બધે અછોવાનાં જ છે. ફળની આશા વિનાના કર્મમાં अखिलम् मधुरम् જ હોવાનું. ભક્તિયોગ તરફ ધ્યાન આપીને મનુષ્ય ફળની આશા વિના કર્મયોગમાં પ્રવૃત્ત થાય તો એના કર્મના તમામ ફળ મોક્ષસ્વરૂપે એ પોતે જ પામનાર છે. પણ છોડવું એ મેળવવાની એકમાત્ર પૂર્વશરત છે.

લલ્લા કહે છે, ‘મૂર્ખ, પુસ્તકમાંથી પ્રાર્થના કરીને રસ્તો નહીં જડે, તમારા હાડપિંજર પરની સુગંધ કોઈ ઈશારો નહીં આપે. સ્વ પર ધ્યાન આપો. આજ ઉત્તમ સલાહ છે.’ એ કહે છે કે, ‘શિવ હિંદુ કે મુસલમાનમાં ફરક કરતો નથી. સૂર્ય બધા પર સમાન રીતે જ પ્રકાશે છે. સાધુ હો કે ગૃહસ્થ, લલ્લા ફરક જોતી નથી.’ આ જ વાત એ આરીતે પણ કહે છે: ‘સૂર્ય શું બધા સ્થળને પ્રકાશિત નથી કરતો? શું એ માત્ર સારી ભૂમિને જ રોશન કરે છે? વરુણ શું દરેક ઘરમાં નથી પ્રવેશતો?’ અન્યત્ર એ કહે છે, ‘જો તમે તમારી ઇચ્છાઓને સમયની નદીમાં ઓગાળી દીધી હોય તો તમે જોઈ શકશો કે ઈશ્વર સર્વત્ર છે અને સંપૂર્ણ છે. જે તમે જાણો છો, એ જ તમે થશો.’

ટૂંકમાં, સાતસો વર્ષ પહેલાં કાશ્મીરના હિંદુ-મુસ્લિમ મિશ્ર સમાજ વચ્ચે કપડાં વગર નાચતી-ફરતી લલ્લા નામની સ્ત્રી એ વાતની પ્રતીતિ છે કે આત્મા પરથી આડંબરના વસ્ત્રો ફગાવી દઈ સાચા અર્થમાં જ્ઞાનપ્રાપ્તિ, પ્રકાશપ્રાપ્તિ તરફ પ્રયાણ કર્યું હોય તો પુરુષ જેવો પુરુષ પણ જન્મજાત મેલી મથરાવટી ફગાવીને ચામડીના નિર્વસ્ત્ર દેહને વાસનાસિક્ત નજરોથી જોવાના બદલે મંદિરસ્વરૂપે જોઈ ભીતરના ઈશ્વરને વંદન કરશે.

7 replies on “ગ્લૉબલ કવિતા: ૨૧૨ : વાખ્યાની – લલ્લા”

  1. Vivek bhai….

    Your absorption is one thing…. but spreading that so lucidly so that we too can absorb a bit is another beauty… મઝા… મઝા કરાવી દીધી …

  2. સરસ ભાષ્ય કરેલ છે.લલ્લેશ્વરીના જીવન વિશે નવનીત સમર્પણ માં પણ બહુ સુંદર કથા આવેલી હતી,તે યાદ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *