Category Archives: જયદેવ ભોજક

વાટ જુએ છે મીરાં – મીરાંબાઈ

સ્વર રચના: જયદેવ ભોજક
સંગીત : વિક્રમ પાટીલ
કંઠ : માધ્વી મેહતા

.

વાટ જુએ છે મીરાં રાંકડી રે,
ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથની.

મુનિવર સ્વામી, મારે મંદિર પધારો રે,
સેવા કરીશ દિન-રાતડી રે…ઊભી.

ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે,
ફૂલના તોરા ને ફૂલ-પાંખડી રે…ઊભી.

પય પકવાન વા’લા, મીઠાઈ ને મેવા રે,
ઘેબર જલેબી તલ-સાંકળી રે..ઊભી.

લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે,
એલચી દોડા ને તજ પાંખડી રે..ઊભી

સાવ સોનાનાં વા’લા, સોગઠાં ઢળાવું રે,
રમવા આવો તો જાય રાતડી રે…ઊભી.

બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
જોતાં ઠરે છે મારી આંખડી રે..ઊભી.
– મીરાંબાઈ

બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ

શબ્દ રચના: મીરા બાઈ
સ્વર રચના: જયદેવ ભોજક
સંગીત : વિક્રમ પાટીલ
કંઠ : માધ્વી મેહતા

.

બંસીવાલા આજે મોરા દેસ
તોરી સાંવરી સુરત હદ વેસ

આવન આવન કહે ગયે
કર ગયે કોલ અનેક
ગિણતાં ગિણતાં ઘીસ ગયી જિભા
હારી આંગળિયારી રેખ

એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી
ઢૂંઢયો સારો દેસ
તોરે કારણ જોગણ હોઉન્ગી
કરુંગી ભગવો વેસ

મોર મુગુટ શિર છત્ર બિરાજે
ઘૂંઘરિયાળાં કેસ
મીરા કે પ્રભુ ગિરિધર નાગર
આવો ને એણી વેસ
– મીરાંબાઈ

તમારી યાદની -અમૃતલાલ દવે

શબ્દ રચના: અમૃતલાલ દવે
સ્વર રચના : જયદેવ ભોજક
કંઠ: માધ્વી મહેતા

.

તમારી યાદ ની હું ક્યાં જઉં ફરિયાદ કરવાને
નથી ઉપયોગી આ એકે અદાલત ન્યાય કરવાને

બની ને પ્રેમ માં પાગલ, કરી પરવા ન દૌલત ની
કરું અવ ખર્ચ પણ શેનો, મુકદ્દમો પાર કરવા ને

ભલે એ કોઈ ના દે દાદ કિન્તુ ચાંદની ઝરતી
હશે ને જોડ સારસ ની હશે નીકળી વિહારવાને

ટહુકો માનિની મદહર હશે કો કોકિલા કરતી
થશે ત્યારે અનુકૂળ એ અદાલત ન્યાય કરવા ને
-અમૃતલાલ દવે

શ્યામ મને અંગે લગાવે – “પરિમલ”

શબ્દ રચના: “પરિમલ”
સ્વર રચના : જયદેવ ભોજક
સ્વરઃ માધ્વી મહેતા
આ 40 વર્ષ જૂનું રેકોર્ડિંગ છે.

.

શ્યામ મને અંગે લગાવે તો આવું
કે રાધારાણી રટે ચડ્યાં રે લોલ
અંગ અંગ શ્યામલ બનાવે તો આવું
કે રાધારાણી રટે ચડયાં રે લોલ

રાધા તું શ્યામ બને શ્યામ ને ન ભાવે
ભોળી રાધા ને કોણ સમજાવે
કોઈ ને ના બંસી સુણાવે તો આવું

કાન્હા ની બંસી તો દુનિયા ની બંસી
નર ને નારીઓના હૈયા ને ડંસી
અવની થી આંખ બચાવે તો આવું

બંસી થી કાન્હા એ દુનિયા ને રંગી
એ ના સરજી આ પૃથ્વી ઉમંગી
અંગ અંગ બંસી બનાવે તો આવું
-“પરિમલ”

શ્ર્રી જયદેવભાઇ ભોજકને યાદ કરતાં

પ્રખર સંગીતકાર અને સંગીત ગુરુ શ્ર્રી જયદેવભાઇ ભોજકનું અવસાન 3 ડિસેમ્બર 2020ના રોજ થયું.એમની શ્રધાંજલિ રૂપે અમે એમના સ્વરાંકનો અહીં પ્રસ્તુત કરીએ છીએ.માધ્વી મહેતાના આ સ્વરાંકનો અમને આપવા બાદલ આભારી છીએ.

ભોજક એટલે જૈન સંગીતકાર. ગુજરાતમાં ભોજક, નાયક, વ્યાસ અને મીન ચાર જાતિના લોકો નાટ્ય અને સંગીત ક્ષેત્રે પરંપરાગત રીતે સંકળાયેલા હોય છે. ગજાનનકાકાએ કહ્યું હતું કે, સંગીત આપણા પરિવારમાંથી જવું જોઈએ. તમારી પેઢીમાં સંગીતના કલાકારો એટલા છે જેટલા નાન્હાલાલના પરિવારમાં કવિઓ પણ નહિ હોય.
-જયદેવ ભોજક, સંગીતકાર

સંગીત સાથે સંકળાયેલ પરિવાર
ત્રીજી પેઢી | દલસુખભોજક
ચોથીપેઢી | નારણદાસ,કુષ્ણલાલ, વાસુદેવ, ગજાનન ભોજક.
પાંચમીપેઢી | જયદેવ,લાભશંકર, નામદેવ, જગદેવ, ડો.પ્રભાતદેવ અને રમાદેવી ભોજક.
છઠ્ઠીપેઢી | ગિરીરાજ,હેમેન્દ્ર, દેવરાજ, હંસરાજ, હેમંત, મેહુલ, ગોપી, પ્રતિમા, ભાવના
સાતમીપેઢી |બ્રીન્દા, હાર્મની,ખુશબુ, આશિષ, પરમ, મથુર, મીરા, યશ

શહેરનો ભોજક પરિવાર અને સંગીત એકબીજાનું પર્યાય છે. સંગીત ક્ષેત્રે ગુજરાતમાં નામાંકિત, તેમજ સુગમ સંગીત ક્ષેત્રે પ્રખ્યાત પરિવારના ગળથૂંથીમાં સંગીત વણાયેલું છે. આજે તેમની સાતમી પેઢી સંગીતના વારસાને તેમજ પરિવારની પ્રથા સાચવવામાં સફળ નીવડી છે. ભોજક પરિવાર અને રાજ ઘરાનના સંગીત સાથે અનેરો નાતો છે. મૂળ ભાવનગરનું પરિવાર. જેમની ત્રીજી પેઢીમાં થયેલ દલસુખ ભોજક અને તેમના ચાર પુત્રો ભાવનગર રાજ પરિવારના ગાયકો હતા. સંગીતનું તેમનામાં પ્રચૂર જ્ઞાન. ત્યાર બાદ વાસુદેવ ભોજકના મોટાપુત્ર જયદેવ ભોજકે વડોદરામાં આકાશવાણી કેન્દ્રમાં મ્યૂઝિક ડાયરેક્ટરની નોકરી મેળવીને વડોદરામાં સ્થાયી થયા હતાં. પણ, મોટા પુત્રની જવાબદારી તેમણે નિભાવીને અને બાકીના તમામ ભાઈ-બહેનોને સંગીત શીખવાડ્યું. પૂર્વજો જ્યાં શાસ્ત્રીય સંગીતમાં માસ્ટર હતા, ત્યાં જયદેવભાઈએ સુગમ સંગીતમાં રસ દાખવીને તમામને શીખવાડ્યું. મહારાજા સ્વ.રણજીતસિંહ મહારાજ, પ્રજ્ઞા છાયા, કૃષ્ણકુમાર ગોસ્વામી, રાજેન્દ્ર શાહ, ભાવના નાયક, માયા વ્યાસ, આસિત દેસાઈ, વ્રજલતા વહુજી, અંજલી મેઢ, લતા પ્રભુણે જેવા અનેક કલાકારો તેમની પાસેથી તાલીમ લીધી હતી.

પ્રખર સંગીતકાર અને મ્હારા સૌ પ્રથમ સંગીત ગુરુ શ્ર્રી જયદેવભાઇ ભોજક ને આ સાથે હું ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પું છું. એમનો દેહ વિલય ત્રીજી ડિસેમ્બર 2020 ના રોજ થયો. એમની પાસે સંગીત શિખવું એ મ્હારું અહોભાગ્ય હતું. અને એ યાદો તાજી કરતી હતી ત્યારે AIR ઉપર ગાયેલાં એમના compositions ના ઘણાં જૂનાં recordings હાથ મા આવ્યાં. આ ઓરિજિનલ recordings લગભગ ચાળીસ થી પણ વધારે વર્ષ જૂનાં છે અને બે ત્રણ વાર ટ્રાન્સફર થવા થી ઓરિજિનલ સ્પીડ માં થોડો ફેરફાર થઇ ગયો છે પણ પૂજ્ય જયદેવભાઇ ને શ્રદ્ધાંજલિ રૂપે આ ગીતો જે એમના compositions છે એ અહીં રજુ કર્યાં છે. છેલ્લા બે tracks “બંસીવાલા આજો મોરા દેસ” અને “વાટ જુવે છે મીરા રાંકડી” એ વધારે recent રેકોર્ડિંગ્સ સ્ટુડિયો માં કરેલા છે. હું નવ વર્ષ ની હતી ત્યારથી મ્હારાંમાં સંગીત ના સંસ્કાર નું સિંચન કરવા બદલ હું પૂજ્ય જયદેવભાઇ ની આજીવન ઋણી રહીશ. હરિ ૐ .
— માધ્વી મેહતા

શ્ર્રી જયદેવભાઇ ભોજક વિષે માહિતી મેળવવા અહીં ક્લિક કરો.

શ્ર્રી જયદેવભાઇ ભોજકના અવાજમાં 40 જૂનું રેકોર્ડિંગ માધ્વીબેન એ મોકલ્યું છે.સાંભળો (ઓડિયો જૂનો છે એટલે ગુણવત્તા એટલી સારી નથી)

.

.

1.સજાવે વેણી સુંદર શ્યામ – સુરેશા મજમુંદા
2.શ્યામ મને અંગે લગાવે – “પરિમલ”
3.તમારી યાદની -અમૃતલાલ દવે
4.બંસીવાલા આજે મોરા દેસ – મીરાંબાઈ
5.વાટ જુએ છે મીરાં – મીરાંબાઈ
6.મન મન સુમિરન તવ કરું – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’
7.અંતરની વીણા ના તારો તુંહી – રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’

સજાવે વેણી સુંદર શ્યામ – સુરેશા મજમુંદા

શબ્દ રચના : સુરેશા મજમુંદા
સ્વર રચના : જયદેવ ભોજક
કંઠ: માધ્વી મહેતા
આ 40 વર્ષ જૂનું રેકોર્ડિંગ છે.

.

મલય તણાં એ મસ્ત પવન થી છૂટી કેશ કમાન
સજાવે વેણી સુંદર શ્યામ

પલાશ નાં રાતા રંગો પર
પાથરી વસ્ત્ર ધરી અંગો પર
વસન્ત કેરાં અનંગ રંગે
અંકાયા બે નામ

મલમલ સરખા લઈ મોગરા
ગુલાબ નાં ગુંજે છે ભમરા
મનગમતી વેણી લઈ હાથે
ગૂંથે છે ઘનશ્યામ

પ્રિયમુખ જોઈ જ્યાં મલક્યા
રાધા કેશ કરે થી સરક્યા
હસતા કે રાધા હાર્યા છો
હૃદય જીત્યા છો શ્યામ
– સુરેશા મજમુંદા

ન હો તમે જો કને સખી તો – હિમાંશુ ભટ્ટ્

આ ગઝલ જેના વિચારમાં લખાઇ છે – એ કવિની સખીનો આજે જન્મદિવસ છે..!! તો એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ આ ગઝલના performance નું live recording..!

Happy Birthday…!!!  🙂

**********

Posted on August 22, 2012:

February 27th, 2010 માં પહેલા મૂકેલી હિમાંશુભાઇની આ ગઝલ, આજના ખાસ દિવસે ફરી એકવાર – એકદમ મઝાના સ્વરાંકન સાથે..! અને હા, આ ગઝલ જેમના માટે ખાસ છે – એ બંને માટે આજનો દિવસ (August 22) ખૂબ જ Special છે.. તો બંનેને આજના દિવસની શુભેચ્છાઓ સાથે આ ગઝલ માણીએ..!! કર્ણિકભાઇ અને જયદેવભાઇએ એવું મઝાનું સ્વરાંકન કર્યું છે કે બસ સાંભળ્યા જ કરીએ..

સ્વર – ડોલર મહેતા
સંગીત – જયદેવ ભોજક, કર્ણિક શાહ
આલબ્મ – મેઘધનુષ

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે
ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે

લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે
કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે

તમારી સુરખી, તમારું ચિતવન, સ્મરણ સ્મરણ પર અસર તમારી
કદી ધરા પર, કદી ગગન માં, બધે તમારો ખુમાર આવે

સખી, એ ખૂણો ક્યાં વિશ્વ નો છે, ન હો ફિકર જ્યાં મને કશાની?
તમારે પાલવ, જ્યાં સાંજ ઉગે, તમારા સ્મિતે સવાર આવે…

આ મોહ શાનો? આ ચાહ શું છે? આ પ્રેમ શુ છે? આ રાહ શું છે?
તમારી મારી તલાશ શું છે? કદી કદી એ વિચાર આવે…

– હિમાંશુ ભટ્ટ્

માધો, મન માને તબ આજ્યો – ઉશનસ્

અમર ભટ્ટના અવાજ-સ્વરાંકનોના પ્રેમીઓ માટે ખુશખબર.. (આમ તો થોડા મોડા છે ખબર, પણ મને ખાત્રી છે કે એ મોળા નથી 🙂 )

અમર ભટ્ટના ૩૬ ગુજરાતી ગીતોનો સંગ્રહ (in 4 CDs) ‘શબ્દનો સ્વરાભિષેક‘ નામથી પ્રગટ થયો છે. પહેલી ૨ CDs માંના ગીતો એમના પોતાના સ્વરમાં છે, અને બીજી ૨ CDs માં ગુજરાતના ચુનંદા ગાયકોએ એમના સ્વરાંકનો રજૂ કર્યા છે.

કોઇ પણ ગુજરાતી સુગમ- કવિતાના પ્રેમી માટે આ સંગ્રહ એ અમરભાઇએ સૌને આપેલી એક અમુલ્ય ભેટ છે.. ગુજરાતના ૨૧ અલગ-અલગ કવિઓના શબ્દને મળેલા આ ‘સ્વરાભિષેક’ની ખૂબી એ છે કે દરેક ગીત-ગઝલ કે કાવ્ય રજૂ કરતા પહેલા અમરભાઇ કવિ વિષે અને એ કવિની કવિતા વિષે થોડી વાતો પણ કરે છે.. જાણે સોનામાં સુગંધ ભેળવતા હોય એમ..!

અને હા.. May 9, 2009 ના દિવસે એમનો કાર્યક્રમ ‘શબ્દનો સ્વરાભિષેક’ – ન્યુ જર્સી ખાતે યોજાઇ રહ્યો છે – એની વધુ વિગતો અહીં જુઓ.

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : અમર ભટ્ટ

.

સ્વર : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક

.

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. – માધો…

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો…

મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો…

– ઉશનસ્

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી – ડો. દિનેશ શાહ

આજે કવિ ડો. દિનેશ શાહને એમના ૭૧મા જન્મદિંવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
સાથે સાંભળીએ એમનું આ સુંદર ગીત.. ચૈત્ર મહિનામાં પણ જાણે શ્રાવણ હોય એમ તરબરત થઇ જવાય.. અને એ પણ બે અલગ-અલગ સ્વરાંકન સાથે..

સ્વર : રીંકિ શેઠ
સંગીત : જયદેવ ભોજક

.

સ્વર – સંગીત – રાસબિહારી દેસાઇ
તબલા : શ્યામસુંદર બ્રહ્મભટ્ટ

.

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણના આ પાણી
વહેતી નદીયું શોધે તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

કાંઠા જોયાં, કંકર જોયાં, ગાગર ને પનિહારી
જંગલ જોયાં, ખેતર જોયાં, દોડી જોજન ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

નાવિક જોયાં, યાત્રિક જોયાં, અમીર ને ભિખારી
સાધુ જોયાં, સંતો જોયાં, મંદિરની ભીડ ભારી
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

ચાલી આગળ, મળતી સાગર, ગાજે ખારા પાણી
વાદળ થઇને ઉપર જાતાં, નદીયુંના આ પાણી
મીઠાં જળ બિંદુ થઇ પડતાં, જોઇ તુજ એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

એક નહીં પણ અનેક રૂપમાં જીવન સરિતા વહી જાતી
અનંત છે એનો પ્રવાહ, ભલે દીશાઓ બદલાતી
એંધાણી એની સૌ શોધે, તોય યુગ યુગથી અણજાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

—————–
અને હા.. ડો. દિનેશ શાહની બીજી રચનાઓ અને એમના નવા આલ્બમ વિષે આપ અહીં વધુ જાણી શકો :
http://thetrivenisangam.wordpress.com/