હમણા ચૈત્ર નવરાત્રી ચાલે છે.. ( મને તો ઉમાબેને કહ્યું ત્યારે જ ખબર પડી ). અને નવરાત્રીની સાથે યાદ આવે ગરબા, આરતી, દાંડિયા… અને આ સ્તુતિ પણ. આરતીની સાથે લગભગ બધે જ આ સ્તુતિ સાંભળી છે. આમ તો ટહુકો પર પહેલેથી આ સ્તુતિ છે જ, પણ આજે થોડો ઉમેરો કરું છું. ( અરે ચિંતા ના કરો.. હું જાતે ગાઇને નથી સંભળાવવાની 🙂 ) આ એક જ સ્તુતિ ત્રણ અલગ અલગ રાગમાં સાંભળો.
ભારતીય સમય પ્રમાણે આમ તો દિવસ પૂરો થવા આવ્યો છે, પણ મને હમણા જ ખબર પડી કે આજે શિવરાત્રી છે… તો મને થયું, આ શિવ-ભક્તિ ગીત જે હું થોડા દિવસથી રોજ જ સાંભળું છું, એ ટહુકાના વાચકો / શ્રોતાઓને પણ સંભળાવું. કવિતા ક્રિષ્નમુર્તી અને રૂપકુમાર રાઠોડના સ્વરમાં ભૈરવી રાગ પર આધારિત આ ગીત સાંભળવું ખરેખર એક લ્હાવો છે.
રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.
આ પ્રાર્થના ના રચનાર કોણ, એ તો મને ખબર નથી. પરંતુ મને યાદ છે, કે જ્યારે નાનપણમાં મમ્મીને પૂછ્યું, કે ભગવાનને રોજ સવારે હાથ જોડીને શું કહેવાનું, ત્યારે મમ્મીએ આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિઓ શીખવાડેલી. ત્યારથી આ સરળ પ્રાર્થના મને ઘણી વ્હાલી. હજુ આજે પણ, હું ઘરે દીવો કરું, કે કોઇ પણ ભગવાનના મંદિરમાં કે પછી કદાચ દેરાસરમાં જઇ બે હાથ જોડી ઉભી રહું, મને કાયમ આ જ પંકિતઓ સૌથી પહેલા યાદ આવે.
( ‘મોરપિચ્છ’ બ્લોગ પર પહેલા મુકાયેલી આ પ્રાથના આજે સંગીત સાથે ફરીથી રજું કરું છું. અહીં પ્રાથનાની થોડી પંક્તિઓ જ સંગીતબધ્ધ થયેલી છે. )
ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ
ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ…
નરસિંહ મહેતાનું આ પદ સાંભળીને કે વાંચીને કયા ગુજરાતીને ગાંધીજી યાદ ન આવે ?? એટલે જ અહીં ગીતના બેકગ્રાઉન્ડમાં એમનો ફોટો મુક્યો છે. આપમેળે ગાંધીજી યાદ ન આવતા હોય તો હું યાદ કરાવી દઉં.. 🙂
ડો.દર્શના ઝાલાએ હમણાં એમણે અમેરિકામાં વૈષ્ણવજનની પ્રસ્તુતિ કરી હતી એની ઓડીઓ મોકલી. સુંદર અવાજ અને સંગીત. મજાની વાત એ છે કે સંગીતની ગોઠવણ બે અમેરિકન વિદ્યાર્થીઓ બેન અને કોનલ એ કરી છે. અવાજ ડો.દર્શના ઝાલાનો અને તબલા એમના દીકરા અમોલે વગાડ્યાં છે. ડો.દર્શના ઝાલા અમેરિકામાં રહીને અમેરિકન વિદ્યાર્થીઓને ભારતીય સંગીત શીખવવાનું ઉમદા કાર્ય કરે છે!
ચાલો સાંભળીએ,
.
વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.
વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.
આને જલારામ બાપાની કૃપા જ કહેવાય, કે જલારામ જયંતીને દિવસે હું ટહુકાની 100મી પોસ્ટ પ્રસિધ્ધ કરું છું. આમ તો જલારામ બાપાના ભજન યાદ કરું, તો મને ‘જલારામ મહિમા’ કેસેટમાં જે ભજનો છે, ‘અમી ભરેલી નજરું રાખો વીરપુરવાળા બાપા રે’, ‘જ્યોત રે જગાવી અમે જલા તારા નામની’, ‘ધન્ય સોરઠની ધરણી રે આજ’, ‘જલારામ જલારામ જય જલિયાણ’ વગેરે તરત જ યાદ આવે, કારણ કે જ્યારે ભજન અને બાકીના ગીત વચ્ચેનો તફાવત સમજવા જેટલી સમજણ પણ ન’હોતી, ત્યારથી એ ભજનો સાંભળ્યા છે.
કોઇ પાસે જો એ ભજન mp3 માં હોય તો મને જરૂરથી મોકલશો. સાથે સાથે, શ્રી મોહન પટેલએ લખેલું આ જલારામ ભજન સાંભળીયે.
.
વીરપુર ગામે, જલિયાણ નામે, સંત વસે ત્યાં એક
પ્રાણ જાયે પણ વચન ન જાયે, એવી એની ટેક