Category Archives: પન્ના નાયક

હોમસિકનેસ – પન્ના નાયક

આ કવિતા સાથે કવિ શ્રી ભગવતીકુમાર શર્માનો આ શેર ચોક્કસ યાદ આવે…
મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;
હતા આપણે મૂળ તડકાના માણસ.

….અને સાથે બીજું શું અને કેટલું યાદ આવે એની તો વાત જ નથી કરવી..!

*****

મેં ટ્રોપિકલ છોડને જડમૂળથી ઉખેડી
અહીં પરાઈ શીતલ ભૂમિમાં
રોપી તો દીધો
અને
એ છોડે જીવવાનો નિર્ધાર પણ કરી લીધો.
છતાં
અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે
ત્યારે
મારું મન કેસૂડે મોહે છે.
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે
ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું.
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી.
અષાઢનો શબ્દ જ અહીં નથી ને!
અહીં બધું જ છે
છતાં કંઈ જ નથી.

હું હોમસિક થઈ ગઈ છું.
થાય છે
બધું ઊઠાવીને ઘેર જાઉં
પણ
હવે મારું ઘર ક્યાં?
મારું
ઘર ક્યાં?

— પન્ના નાયક

સાહ્યબો મારો ગુલાબનો છોડ – પન્ના નાયક

આ પહેલા ફક્ત શબ્દો સાથે મૂકેલું આ ગીત – આજે સ્વરાંકન સાથે ફરી એકવાર…!

_____________

સ્વરાંકન: સુભાષ દેસાઈ
સંગીત નિયોજન: વિક્ર્મ પાટીલ
સ્વર: રાવી મોરે
આલ્બમ: ક્યાંક સપનામાં

તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

દિવસના કામમાં ખોવાઇ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

પાસે આવી ને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

———————-
સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ (સંગીતબધ્ધ)

સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત (સંગીતબધ્ધ)

અત્તર-અક્ષર (હાઈકુ) -પન્ના નાયક

Daffodils Field....  Photo: bestamericanpoetry.com
Daffodils Field.... Photo: bestamericanpoetry.com

પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે

*

પરોઢે કરે
ઝાકળસ્નાતાં પુષ્પો –
સૂર્યસ્વાગત

*

ટહુકો રેલ્યો
કોયલે, ગુંજી ઊઠ્યું
આખ્ખું કાનન

*

પન્ના નાયક

આવા કેટલાંયે સત્તર અક્ષરમાં પોતાની અનુભૂતીનું અત્તર નાંખીને કવયિત્રી લાવ્યા છે એમનો નવો હાઈકુસંગ્રહ ‘અત્તર-અક્ષર’, જે જાન્યુઆરીની 25મી પ્રકાશિત થયો હતો.  આ સંગ્રહને એમણે આ પ્રકારનાં કુલ 206 હાઈકુથી શણગાર્યો છે.  એમાનાં થોડા હાઈકુ તમે એમની વેબસાઈટ પર પણ માણી શકો છો.  કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…

હાઈકુ – પન્ના નાયક

૧.

અંગઅંગ આ
પલળ્યાં,ધોધમાર
સ્મૃતિ-વરસાદે

૨.

આસોપાલવ
ના અહીં, દ્વારે ટાંગ્યાં
સ્મિત-તોરણ

૩.

ઈચ્છામૃત્યુ જો
મળે, મળે કવિતા
બાહુપાશમાં

૪.

ઉપવનમાં
પવન ગાતો ગીતો-
વૃક્ષો ડોલતાં

૫.

કૂણાં તૃણની
ઓઢણી અંગે ઓઢી
ધરા શોભતી

ફુલ ખીલ્યું ને -પન્ના નાયક

આજે કવિયત્રી પન્ના નાયકનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મજાનું ગીત..!

આ ગીત જેમાંથી લેવાયું છે – એ આલ્બમ વિષે વધુ માહિતી કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (http://pannanaik.com) મેળવી શકો છો.

સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર: ઝરણા વ્યાસ અને સોનિક સુથાર
આલ્બમ: વિદેશિની
(આ આલ્બમનાં બધા ગીતોની ઝલક અહીં સાંભળો!)

આલ્બમ:શબ્દનો સ્વરાભિષેક

.

ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.

વાસંતી સંદેશો લઈ મન ઉડે આમ ને તેમ,
દિશ દિશમાં સુગંધી, સૂરજ છલકાવે છે પ્રેમ;
કંઠ ઝનકતી કોયલને હું કેમ કરી સંભાળું ?
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

આપણ ક્યાંય જવું નથીજી, ઉડે સૂર-ગુલાલ,
એકમેકનાં રંગેસંગે આપણ ન્યાલમ ન્યાલ;
આંખોમાં રેશમિયા મનનાં સપનાને પંપાળું,
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

પન્ના નાયક

સ્નેપશોટ – પન્ના નાયક

199060168_ecb20ecfb9.jpg

આજે ખુશ છું
કેમ, એ તો નથી સમજાતું.

આ ખુશીનો
સ્નેપશોટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?

* * *

કવયિત્રીનું આ પ્રથમ કાવ્ય છે… જેનાં વિશે એમનાં જ શબ્દોમાં:

“ક્ષણનાં આનંદને શાશ્વતીમાં મઢી લેવાની એમાં વાત છે. એની પહેલી જ પંક્તિ ખૂબ સૂચક છે. આજે ખુશ છું. એનો અર્થ એવો કે ગઈ કાલે નહોતી. આ ખુશી કદાચ મને પહેલી વાર શબ્દ ફૂટ્યો હોય એની પણ હોય. પણ કાવ્યમાં સ્નેપશોટ લઈને સૂવાના ઓરડામાં ટાંગવાની જે વાત આવે છે એમાં કદાચ મારા જીવનની કોઈ વ્યથા પણ ડોકાઈ હોય તો હોય. આમ અકસ્માતે જ છ પંક્તિનું કાવ્ય મારી કાવ્યસૃષ્ટિના વિષયને અને અભિવ્યક્તિને પ્રગટ કરતું જાણે કે બાયફોકલ (bifocal) કાવ્ય થઈ ગયું.”

***
(આભાર – ઊર્મિસાગર.કોમ)

કહેતી ગઇ – પન્ના નાયક

આમ તો ત્રણ વર્ષથી પણ વધારે સમયથી ટહુકો પર શબ્દ સાથે મુકેલું આ ગીત.. આજે ફરી એકવાર સાંભળીએ, કવિયત્રીના પોતાના અવાજમાં, અને પછી દિલીપ ધોળકિયાના સ્વરાંકનમાં…

અને સાથે માણીએ – 30 માર્ચ 2009નાં રોજ દિવ્ય ભાસ્કરનાં હયાતીનાં હસ્તાક્ષર વિભાગમાં શ્રી સુરેશ દલાલ દ્વારા આ ગીતનો આસ્વાદ…

bird

કાવ્ય પઠન : પન્ના નાયક

.

(Thanks Urmi for converting the audio cassette to mp3 format 🙂 )

સ્વરકાર: દિલીપ ઢોલકીયા
સ્વર: કલ્યાણી કૌઠાળકર
આલ્બમ : વિદેશીની

.

તારા બગીચામાં રહેતી ગઇ ને ટહુકાનું પંખી એક દેતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું

ઝાડવાની લીલેરી માયા મને
ફૂલની, સુગંધની છાયા મને

અને વહેતા આ વાયરામાં વહેતી ગઇ, કંઇક જન્મોની વાતને ઉકેલતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું

આ દિવસ ને રાતની કળીઓ ખૂલી
અહીં પળ પળના ગુંજનની ગાથા ઝૂલી

હું તો ભમતી ગઇ ને કશું ભૂલતી ગઇ ને યાદ કરતી ગઇ
અને કહેતી ગઇ કે હવે જાઉં છું
– પન્ના નાયક

અંતિમ અવસરના જુહાર

પન્ના નાયક વિદેશમાં રહે છે અને સ્વદેશમાં આવનજાવન કરે છે. એના ગીત સંગ્રહનું નામ પણ ‘આવનજાવન’ છે. પ્રારંભમાં કેવળ અછાંદસ કાવ્યો લખતાં. પછી એમની કલમ ગીત અને હાયકુ તરફ પણ વળી છે. આ કાવ્ય એટલે અંતિમ સમયે વ્યકિત પ્રત્યે અને જગત પ્રત્યે આભારની અભિવ્યકિત- કોઈ પણ પ્રકારના ભાર વિના નરી હળવાશ અને અનાયાસે પ્રગટેલી અભિવ્યકિત. આ સૌંદર્યમય વિશ્વમાં જે કંઈ જોયું છે- જાણ્યું છે- માણ્યું છે એનો નર્યોઆનંદ. સજજનો જયારે જાય છે ત્યારે ઘા કે ઘસરકા મૂકી જતા નથી. જતાં જતાં પણ કોઈને આવજો કહીને જવું એમાં માણસની અને માણસાઈની ખાનદાની છે. જીવનમાં જયારે આપણે જીવતા હોઇએ છીએ ત્યારે કોક આપણને પ્રેમ કરે છે. આ પ્રેમ એ કોઈકે રચી આપેલો બગીચો છે. હું તો ત્યાં સુધી કહું કે આ સૃષ્ટિમાં આવ્યા પછી આપણે સૃષ્ટિમાં જીવીએ છીએ એ બીજું કશું જ નથી પણ ઈશ્વરે આપણા માટે રચેલો બગીચો છે. તો જીવ જયારે અહીંથી વિદાય લે ત્યારે એ બગીચામાં રહેવાનો જે આનંદ મળ્યો એ આનંદની લાગણીને કઈ રીતે વ્યકત કરે? ઈશ્વર પાસેથી માત્ર લેવાનું ન હોય. કશુંક સૂક્ષ્મ ઈશ્વરને આપવાનું પણ હોય. જેણે આપણને બગીચો આપ્યો એને આપણે કમમાં કમ આપણા ટહુકાનું પંખી તો આપીએ. ટહુકો નિરાકાર છે ને પંખીને આકાર છે. આમ તો જીવ અને શિવની, રૂપ અને અરૂપની આ લીલા છે. હરીન્દ્ર દવેની પંકિત યાદ આવે છે: કોઈ મહેલેથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો. આ ગીતની મજા એ છે કે એમાં મરણની ભયાનકતા નથી, મરણનું માંગલ્ય છે, એનું વૃંદાવન છે. ઝાડવાની લીલી માયા છે. ફૂલોની સુગંધી છાયા છે. વહેતા વાયરાની જેમ પસાર થતા કાળમાં આપણે પણ પસાર થઈએ છીએ અને આપણને ખબર નથી કે આ આપણો કયો અને કેટલામો જન્મ છે. પણ આપણે એ જન્મોની વાતને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક ક્ષણ એવી આવે છે કે જયારે આપણા આંગણે આખરનો અવસર આવી ઊભો રહે છે. કવિ રાજેન્દ્ર શાહની પંકિતઓ માણવા જેવી છે:

આખરને અવસરિયે,
વણું જુહાર, જયાં વાર વાર,
ત્યારે જ મેં અરે જાણ્યું
મારે આવડો છે પરિવાર.
રણની રેતાળ કેડીએ
જાતા ઝાકળને જળ ન્હા.

અહીં પણ અંતિમ ક્ષણની વેદના નથી, પણ આનંદનો અવસર છે. આમ આમ કરતાં કેટલા દિવસો વહી ગયા. કેટલી કળીઓ દિવસ રાતની ખૂલી અને આ કળીઓની આસપાસ કાળના ભમરાનું ગુંજન અને એની ગાથાઓ ઝૂલતી રહી. કાવ્યનાયિકા કહે છે કે હું તો જન્મોજન્મ લખચોર્યાશી ફેરામાં ભમતી રહી. ગત જન્મને ભૂલતી રહી અને છતાં કયાંક કયાંક પૂર્વજન્મના અને પુનર્જન્મના અણસાર આવતા રહ્યા. એ અણસારે અણસારે હું જન્મોની વાતોને ઉકેલતી ગઈ અને કહેતી ગઈ કે હવે જાઉ છું. ખલિલ જિબ્રાને વિદાય વેળાનું એક ચિત્ર કર્યું છે. એમાં ‘આવજો’ કહીએ ત્યારે આપણો હાથ સહજપણે ઊચકાઈ જાય છે. કવિ ચિત્રકાર ખલિલ જિબ્રાને આવજો કહીને હથેળીમાં આંખને મૂકી છે. કારણ કે આવજો માત્ર હાથથી નહીં પણ આંખથી કહેવાનું હોય છે. આ સાથે સ્પેનિશ કવિ યિમિનેસના કાવ્ય અંતિમ યાત્રાનો અનુવાદ મૂકું છું તે તુલનાત્મક રીતે વાંચવા જેવો છે.

લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
ને તોય હશે અહીં પંખી : રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો!
લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ, શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ: ઘંટનો હશે રણકતો નાદ:
નાદ એ નહીં જાય રે ઝાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
મને રહાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!
અને એકલો જાઉ : વટાવી ઘરના ઉબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
-તો ય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો!
લ્યો, હું તો અહીંથી ચાલ્યો!

(આસ્વાદ: સુરેશ દલાલ)

કવિતા – પન્ના નાયક

હું શૂન્ય થઇ બેઠી’તી
ત્યાં
મારા વૃક્ષ પર
મુખમાં તણખલાવાળું એક પંખી બેઠું
મને તો એમ કે
એ પલકમાં ઊડી જાશે.

ના, એને તો
મારી ડાળ પર માળો બાંધવો’તો
મારા શ્વાસમાં એને ધબકવું’તું
ભવભવની ઓળખ
આંખને આપવી’તી.

એણે માળો બાંધ્યો.
ખાસ્સી મોટી પાંખો પ્રસારી
મને સમાવી લીધી.
કેટલીય રાતોની
અમારી પાંપણોની મૂંગી મૂંગી
વાતથી
મારા ઘા રૂઝાવા માંડ્યા.
ત્યાં
એને શું ય સૂઝ્યું
કે
મારા અર્ધરુઝ્યા વ્રણ ખોલી નાખી
ભર ચાંદનીએ મને બળતી મૂકી
એ ઊડી ગયું.

હવે ક્યાંય એનું એકાદ પીંછું પણ
મારી પાસે નથી
અને છતાંય
કોણ જાણે કેમ
વૃક્ષની ડાળેડાળ
એના ભારથી લચી ગઈ છે…

– પન્ના નાયક

દીવાનખાનામાં – પન્ના નાયક

માર્ચની પાંચમીએ પન્નાઆંટીની વેબસાઈટ ‘વિદેશિની’ની પ્રથમ વર્ષગાંઠ હતી… એમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.   આ પ્રસંગે માણો એમનું એક નવુંનક્કોર ગીત, બગીચો…  એમની વેબસાઈટ પન્નાનાયક.કૉમ પર.

(દીવાનખાનામાં….Photo : Artnlight)

દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી-
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.
સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું
બારીના પડદા બદલી કાઢ્યા
જૂના ગાલીચાની જગ્યાએ
Wall to wall કારપેટ નખાવી દીધી.
સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું
સઘળું બરાબર થાય છે ત્યારે જ
છટકે છે મારું મન-
આ બધામાં મને ક્યાં ગોઠવું ?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
-પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.

– પન્ના નાયક

(આભાર – લયસ્તરો.કોમ)

આસ્વાદ (By વિવેક ટેલર):

પન્ના નાયકના અછાંદસ ગુજરાતી સાહિત્યમાં એક આગવી જ ભાત નિપજાવે છે. સરળ અને સહજ ભાષામાં લખાયેલી આ કવિતાઓમાં ક્યાંય ભારીખમ્મ કવિત્વનો બોજ વર્તાતો નથી. અભૂતપૂર્વ શબ્દાલેખનનો બોજ એ કદી વાચકોના મન પર થોપતા નથી. આપણી રોજિંદી જિંદગીના જ એકાદ-બે સાવ સામાન્ય ભાસતા ટુકડાઓને એ અનાયાસ એ રીતે કાવ્યમાં ગોઠવી દે છે કે દરેકને એ પોતાની જ વાત કરતા હોય એમ લાગે છે. પન્ના નાયકના કાવ્ય કદી પન્ના નાયકના લાગતા નથી, આ કાવ્યો દરેક ભાવકને સો ટકા પોતાના અને માત્ર પોતાના જ લાગે છે.

અહીં દીવાનખાનાને વ્યવસ્થિત કરવા જેવડી નાની અમથી ઘટનામાંથી કવિ આપણા આધુનિક જીવન પર કારમો કટાક્ષ કરવામાં સફળ થાય છે. કવિતાની ખરી શરૂઆત થાય છે વસ્તુનું મન પૂછી પૂછીને કરવામાં આવતી ગોઠવણીથી. વસ્તુને ગોઠવવી અને વસ્તુને એમનું મન પૂછી પૂછીને ગોઠવવી એ બેમાં જે બારીક ફરક છે એ આ કવિતાની પંચ-લાઈન છે. કવિ જ્યારે ‘વૉલ ટુ વૉલ’ શબ્દ પ્રયોગ અંગ્રેજી લિપિમાં કરે છે ત્યારે કદાચ વાચકને આ લિપિપલટા વડે એ અહેસાસ કરાવવામાં સફળ થાય છે કે આ છેડાથી પેલા છેડા સુધી બધું જ હવે બદલાઈ ગયું છે. સમગ્ર વાતાવરણ હવે નવું અને વધુ સુંદર બની ગયું છે પણ ત્યારે જ એમનું મન છટકે છે. આખું દીવાનખાનું પ્રસન્ન થાય છે એ જ ઘડીએ કવિ વિષાદયોગનો તીવ્ર આંચકો અનુભવે છે અને ‘છટકે છે’ જેવો હટકે શબ્દપ્રયોગ કરી કવિ એમની વેદનાનો કાકુ યોગ્ય રીતે સિદ્ધ કરે છે. આ નવી ગોઠવણમાં પોતાને ક્યાં ગોઠવવું કે પોતાનું કેન્દ્ર કે પોતાનું ખરું સ્થાન કયું એ નક્કી કરવામાં કવિ નિષ્ફળ નીવડે છે અને બારી પાસે રસ્તો નિહાળતા ઊભા જ રહે છે. બારી એ પ્રતીક છે નવા વિકલ્પની, નવી આશાની અને રસ્તો પ્રતીક લાગે છે નવી શોધનો. કદાચ હજી સાવ જ નિરાશ થવા જેવું ન પણ હોય…

સુખસમૃદ્ધિસભર અત્યાધુનિક જીવનવ્યવસ્થાની વચ્ચે પણ આજનો મનુષ્ય પોતાની જાતને સુસંગતતાથી સુમેળપૂર્વક ગોઠવી શક્તો નથી એ જ આજના સમાજની સૌથી મોટી વિડંબના નથી?

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે – પન્ના નાયક

આજે કવિયત્રી પન્ના નાયકનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મજાનું ગીત, અમરભાઇના સ્વરાંકન અને ઐશ્વર્યા મજુમદારના મઘમીઠા સ્વરમાં..!

આ ગીત જેમાંથી લેવાયું છે – એ આલ્બમ વિષે વધુ માહિતી કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (http://pannanaik.com) મેળવી શકો છો.

Happy Birthday Aunty..!! 🙂

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સંગીત : અમર ભટ્ટ

.

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

-પન્ના નાયક