આપણ સૌની વ્હાલી માતૃભાષાનો મહિમા ગાતી આ કવિતાનું નવું જ સ્વરાંકન આપણા સૌના લાડીલા ગાયક-સ્વરકાર આલાપ દેસાઈએ શ્રી ઉમાશંકર જોષીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે શ્રદ્ધાંજલી રૂપે રજૂ કર્યું!
આ સ્વરાંકન વિષેની વિગત આલાપ ભાઈના જ શબ્દોમાં – “હું હંમેશા નવી જૂની કવિતાઓ શોધતો જ હોઉં છું, સ્વરાંકન કરવા માટે. એમાં એક દિવસ, બનતા સુધી 2012માં મારા હાથમાં આ સુંદર કવિતા આવી! શ્રી ઉમાશંકર જોષીજીની – સદા સૌમ્ય શી! ગુજરાતી ભાષા, અને એ કેવી ઉજળી ને સૌમ્ય છે એ વાચીને લગભગ મગજમાં જ compose થવા માંડી. હું મૂળ તબલાવાદક એટલે તાલનું મહત્વ સમજાઈ જાય. એમ 5/8 એટલે ઝપતાલમાં compose કરી, compose થતી ગઈ એમ થયું કે ગુજરાતીમાં સરસ ગાતા હોય એવા ગાયકોનો પણ સમાવેશ કરવો. એમ કરતાં, પ્રહર, ગાર્ગી અને હિમાલયનો સાથ મળ્યો. Musical arrangement માં થોડો અત્યારના સંગીતનો રંગ છાંટ્યો – Live માં માત્ર મેં તબલા જ વગાડ્યા. દરેક ગાયકે જુદી જુદી જગ્યાએથી રેકોર્ડ કરીને મોકલ્યું અને મુંબઈમાં mixing થયું. આમ હંમેશા કૈંક જૂદું પણ સરસ કરવાની ઈચ્છા ફળીભૂત થઇ, ને આ બન્યું આ ગીત!” – આલાપ દેસાઈ
તો માણો આ તાજું જ સ્વરાંકન!
આ પહેલા અમર ભટ્ટના સ્વર – સ્વરાંકન સાથે ટહુકો પર ગૂંજતુ થયેલું આ માતૃભાષાના ગૌરવનું કાવ્ય – આજે સ્વરકાર શ્રી રવિન નાયકના સ્વરાંકન અને રેમપની વૃંદના ગાન સાથે ફરી એકવાર માણીએ…
માતૃભાષા દિવસે જ નહી… પણ હંમેશ માટે ગુજરાતી ભાષાનું ગૌરવ જાળવીએ.
*********************
Previously posted on May 2, 2013:
ગઈકાલે મે ૧, ૨૦૧૩ ના દિવસે ગુજરાત રાજ્ય પોતાના ૫૩ વર્ષની ખુશી ઊજવવી, ત્યારે આપણે ટહુકો પર પણ દર વર્ષની ગુજરાત દિવસ મનાવતા કવિ શ્રી ઉમાશંકર જોષીનું આપણી આ ગરવી ગુજરાતી માતૃભાષા વિષે ગીત અમર ભટ્ટના સ્વરે સાંભળીએ…..
સ્વર : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
આખો સાગર નાનો લાગે જયારે ‘મ’ ને કાનો લાગે!
માં 🙂
આ એક જ શબ્દમાં આખું વિશ્વ્ સમાઈ જાય ,એવી જ કૈક લાગણી સાથે આ ગીત લખાયું હશે.ચાલો સાંભળીએ
.
સંગીત કેરી સરગમનો જેમ પહેલો સ્વર છે સા,
જીવન કેરી સરગમ કેરો સાચો સ્વર છે માઁ,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ,
બીજા સઘળા સંબંધો છે વનવગડાના વાં.
ભર્યો ભર્યો પણ સુનો લાગે માઁ વિના સંસાર,
વર્ણવતા શબ્દો પણ થાક મહિમા અપરંપાર,
જોડ મળે નહિ જેની જગમાં એવું રૂપ છે આ,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.
સઘળાં તાપ શમે જ્યાં એ છે માઁનો મીઠો ખોડો,
અમૃત ઝરતી આંખ છે માઁની સુખની છાલક છોડો,
એવી માઁને કદી ન કરજો કડવા વેણનો ઘાં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.
જીવનવનના વિપરીત વાયુ અડગ થઈને સહેતી,
કમળપત્ર શી કોમળ માતા,વગ્ર સમી થઇ રહેતી,
પરમેશ્વર ના પહોંચે સઘળે એથી જન્મી માં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.
અણદીઠેલાં જગમાં શિશુને માઁનો છે વિશ્વાશ,
બાળક માટે જીવતી મરતી બાળક માંનો શ્વાશ,
બધું ભૂલો પણ કદી ન ભૂલશો,માં તે કેવળ માં,
કહેનારાં નું કહેવું સાચું, માઁ તે કેવળ માઁ.
– માયા દિપક
રમેશ પારેખને એમના 80મા જન્મદિને (27/11/2020) યાદ કરું છું. વિશ્વકોશમાં 2/1/2010ના દિવસે ‘કાવ્યસંગીતશ્રેણી’નો આરંભ થયો તે પણ રમેશ પારેખનાં કાવ્યોનાં ગાનથી. એ વખતે આ ધોધમાર કવિની કવિતાનો કૅન્વાસ પાછો નજીકથી નિહાળ્યો.
આજે એમનું ‘વ્હાલ કરે તે વ્હાલું’ ગીત સંભળાવું.
‘વ્હાલ કરે તે વ્હાલું !
આ મેળામાં ભૂલો પડ્યો હું કોની આંગળી ઝાલું?
ફુગ્ગા ને ફરફરિયાં જોઉં જોઉં લેણાદેણી
કોઈક વેચે વાચા કોઈક વ્હોરે ફૂલની વેણી
કોઈક ખૂણે વેચે કોઈ પરમારથનું પ્યાલું!
ક્યાંક ભજન વેચાય ક્યાંક વેચાય કંઠી ને ઝભ્ભો
શું શું અચરજ કરે કાળના જાદુગરનો ડબ્બો
સૌ સૌનો ઉત્સવ છે એમાં હું અટવાતો ચાલું!
કોઈક છાતી ખરીદ કરતી સસ્તા ભાવે સગડી
કોઈક લેતું મોંઘામૂલી છતાં લાડની લગડી
‘શું લઈશ તું?’- પૂછે મને આ મારું ગજવું ઠાલું !’
-રમેશ પારેખ
રમેશ પારેખની નમ્રતા જુઓ. ‘છ અક્ષરનું નામ’ સંગ્રહમાં એમણે નિવેદનમાં લખ્યું છે કે એમાં 1991માં છપાયો ત્યાં સુધીની લખાયેલી તમામ કવિતાઓ એટલા માટે લીધી છે કે જેથી સર્જકની મર્યાદાઓ શું છે એની સર્જક અને વાચક બંનેને જાણ થાય!
11મા ધોરણમાં એક નિબંધ લખવાનો હતો – મારો પ્રિય કવિ – મેં કવિ રમેશ પારેખ ઉપર લખેલો. કવિને એ પત્ર રૂપે પણ મોકલેલો.1982માં એ અમરેલીથી અમદાવાદ આવેલા ત્યારે મને ફૉન કરી લાભશંકર ઠાકરના આયુર્વેદના ક્લિનિક પર મળવા બોલાવેલો. એ પછી અવારનવાર એમને પત્ર દ્વારા ને એમનાં કાવ્યો દ્વારા મળતો. ત્યારપછી તો અમે એમનાં અને અનિલ જોષીનાં ગીતોનો કાર્યક્રમ કર્યો. બંનેએ જે કાવ્યો વાંચ્યાં એ જ અમે ગાયાં. 1998માં કવિ રમેશ પારેખ ને મનોજ ખંડેરિયાનું કાવ્યપઠન મારે ત્યાં યોજેલું.
કવિની ‘આ મનપાંચમના મેળામાં’ ખૂબ જાણીતી કૃતિ છે. ર.પા.ની અનેક રચનાઓમાં મેળો આવે છે-
‘મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે
એમ હું છે તે ઝાડને જડું’
**
‘પગથી માથા લગી સમૂળો મને લીધો તેં ચોરી
તને એકલીને મેં આખ્ખા મેળામાંથી ચોરી
કોઈ કહે કે જીવતર છે,એમાં આવુંય બને!‘
**
‘ઘાંઘા! ઘાંઘા! ક્યાં હાલ્યો?
વસંતમાં તેં ફૂલને બદલે ધરમ હાથમાં કાં ઝાલ્યો?
જીવતરનો શો અરથ, ગીત ગાઈ મેળે જો ના મહાલ્યો?’
પણ અહીં એવા મેળાની, સાક્ષીભાવે જોયેલી, વાત છે જ્યાં ફુગ્ગા જેવા (egoist?), ગમે ત્યારે ફૂટી પણ જાય તેવા માણસો હોય, જ્યાં ફરફરિયાં(petty?) જેવાં લોકો હોય, બહુ બોલીને આંજનારાં પણ હોય ને કોઈક સુગંધ વેરતી ને પરમાર્થ કરતી વ્યક્તિઓ પણ હોય. આ બધામાંથી કવિને લેવી છે લાડની મોંઘામૂલી લગડી ને વહેંચવો છે વ્હાલભર્યો સંદેશ – વ્હાલ કરે તે વ્હાલું!
થોડી સ્વરનિયોજનની ટેક્નિકલ વાત કરું-ખાસ કરીને અંતરામાં મેળામાં ફરતાં કવિ સાક્ષીભાવે જે જુએ છે તે સાક્ષીભાવ અભિવ્યક્ત કરવા ઉપરના ષડ્જ-સા -થી દરેક અંતરા શરૂ કર્યા છે. દરેક અંતરાની પ્રથમ પંક્તિ પહેલી વાર અને બીજી વાર ગવાય તેની વચ્ચે,એ પંક્તિના શબ્દોને રુચે એવાં, subtle variations છે. તેવું જ ‘ઝાલું’, ‘પ્યાલું’, ‘ચાલું’, ‘ઠાલું’ શબ્દોમાં છે.
‘પ્યાલું’માં ગ’રે’સા’,સા’નિ(કોમળ)ધ, મગરે, ગમપ છે; તો ‘ચાલું’ પહેલાં ‘અટવાતો’ શબ્દ હોવાથી આ જ સ્વરો છે પણ થોડા ‘કોમ્પ્લિકેટ’ કરીને ગયા છે –
ગ’-રે’સા’, નિ-ધપ, મ-ગરે, ગમપ.