Category Archives: ગીત

સપનાં નહીં જ હોય – મનોજ ખંડેરિયા

સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

સપનાં નહીં જ હોય અને ક્ષણ નહીં જ હોય.
આ શબ્દની પછી તો કશું પણ નહીં જ હોય.

પ્રતિબિંબ વહેતા વાયુમાં એનું પડી શકે,
જેનેનિહાળ્યું કોઈ દિ’ દર્પણ નહીં જ હોય;

જળને ભીનાશ જેટલો સંબંધ કાયમી,
અમથા અહીં અવાજથી સગપણ નહીં જ હોય;

ખખડાવું બંધ દ્વાર, યુગોથી ને જાણું છું,
આ ઘર અવાવરુ છે, કોઈ પણ નહીં જ હોય.

– મનોજ ખંડેરિયા

ગ્લૉબલ કવિતા : ૨૩૩ : ચોરી – દાસી જીવણ

સતગુરુએ મુંને ચોરી શિખવાડી
ને જ્ઞાન ગણેશિયો ઘડાયો રે.

પવનરૂપી ઘોડો પલાણ્યો, ઊલટી ચાલ ચલાયો રે,
ગંગા-જમનાના ઘાટ ઉલંઘી, જઈને અલખ ઘરે ધાયો રે…

ધમણ ધમુંકે તિયાં વીજું ચમુંકે, અનહદ નોબત વાગે રે,
ઠારોઠાર ન્યાં જ્યોતું જલત હૈ, ચેતન ચોકી માંઈ જાગે રે…

સાંકડી શેરી ન્યાં વાટું વસમી, માલમીએ મુંને મૂક્યો રે,
નામની તો નિસ૨ણી કીધી, જઈને ધણીને મો’લે ઢૂક્યો રે…

શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમે પેસારો કીધો રે,
પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે….

આ રે વેળાએ હું ઘણું જ ખાટ્યો, માલ પૂરણ પાયો રે,
દાસી જીવણ સત ભીમને ચ૨ણે, મારો ફેરો ફાવ્યો રે…

સતગુરુએ મુંને ચોરી શિખવાડી.

– જીવણ સાહેબ


કાશ, આપણે પણ આવી ચોરી કરતાં શીખી શકીએ…

પૂર્વજ વાંદરા રહ્યા એટલે ગુંલાટી મારવાનું આપણા લોહીમાંથી કદી ગયું જ નહીં. સીધા રસ્તે જવાનું કહેવામાં આવ્યું હોય અને આડો રસ્તો અજમાવી ન જુએ એ વળી મનુષ્ય કેવો! જે વસ્તુ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હોય એ કરવાનું મન પહેલું ન થાય તો જ નવાઈ. ખોટું કંઈ નથી. અવળચંડાઈ આપણી સહજ પ્રકૃતિ જ છે. પૂર્વજોમાંથી જ ઉતરી આવી છે. સીધાના બદલે ઊલટા હાથે કાન પકડવાનું જ આપણને સહુને કદાચ વધારે ફાવે છે. માનસશાસ્ત્રના અભ્યાસુઓ મનુષ્યોની આ લાક્ષણિકતા ધ્યાનમાં રાખીને ધાર્યું ન કરાવે તો જ નવાઈ, કવિતાની વાત કરીએ તો મનુષ્યની રગ-રગથી વાકિફ સમર્થ કવિઓ આ ગુણધર્મનો સદુપયોગ કરવાનું કદી ચૂક્યા નથી. આ પરિપ્રેક્ષ્યમાં દાસી જીવણની એક કવિતા જોઈએ.

દાસી જીવણ. ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે ચમાર જ્ઞાતિમાં ઈ.સ. ૧૭૫૦ની આસપાસ દિવાળીના દિવસે જન્મ અને ૧૮૨૫માં દિવાળીના દિવસે જ જીવતા સમાધિ લીધી. કબીરપંથમાંથી ઊતરી આવેલ રવિભાણ પરંપરાના સમર્થ સંતકવિઓમાં તેઓ એક. પોતાને રાધાનો અવતાર ગણી કૃષ્ણની ભક્તિ કરતા હોવાથી તેઓ જીવણદાસના બદલે દાસી જીવણ તરીકે પંકાયા. લોકો કહેતા: ‘જીવણ જગમાં જાગિયા, નરમાંથી થિયા નાર; દાસી નામ દરસાવિયું, એ રાધાના અવતાર.’ ચૌદ ભુવનના નાથના પટરાણી હોવાની રુએ તેઓ ખુદને શણગારોથી સજાવતા પણ. સત્તર ગુરુ બદલ્યા પછી ભીમસાહેબ, જેઓ ભાણના શિષ્ય ખીમ અને એમના શિષ્ય ત્રિકમના શિષ્ય હતા, સાથે ભેટો થયો અને મેળ પડ્યો. સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર ઉભય ભક્તિમાર્ગનો સમન્વય એમની રચનાઓમાંથી વહેતો અનુભવાય છે. એમની કૃતિઓ નારીહૃદયની સુકુમાર વેદના અને પ્રભુવિરહની પીડાની છોળ વડે આપણને ભીંજવે છે.

કાવ્યારંભે ‘ચોરી’ શીખવવાની વાત વાંચીને સ્વાભાવિકપણે જ આશ્ચર્યાઘાત અનુભવાય. પણ આ તો સમર્થ કવિની તરકીબ છે. કવિતા આમેય સામાન્ય જનમાનસનો કપ ઑફ ટી નથી. એટલે કવિતાનો ઉપાડ જો હૂક લગાવી બાંધી ન દે તો બનવાજોગ છે કે વાચક કવિતા કોરાણે મૂકી ચાલતો થાય. પ્રથમ પંક્તિ આકર્ષક હોય, ભાવકને આશ્ચર્યનો આંચકો આપવા સક્ષમ હોય અથવા વશીભૂત કરી શકે તો ભાવક અવશ્ય કુતૂહલવશ અટકી જશે. પછી કવિતા વાંચ્યે જ છૂટકો. પ્રસ્તુત રચના આનું ઉત્તમ દૃષ્ટાંત છે. કવિ કહે છે, ‘સતગુરુએ મુંને ચોરી શિખવાડી.’ ગુરુનું કામ તો જ્ઞાન આપવાનું, ભક્તિ-મોક્ષનો માર્ગ દેખાડવાનું, પણ અહીં તો કવિ કહે છે કે ગુરુએ મને ચોરી શીખવાડી. વળી, ગુરુ પણ સામાન્ય નથી, સદગુરુ છે. સદગુરુ તે વળી ચોરી શીખવાડે?ચોંકાવનારી પંક્તિથી કાવ્યનો ઊઠાવ થાય છે. હવે તો આખી કવિતા વાંચ્યે જ છૂટકો. સદગુરુ કયા પ્રકારની ચોરી કરતા શીખવાડવાના છે એ સમજીએ. બીજી પંક્તિમાં ઘટસ્ફોટ થાય છે. ગુરુજીએ ચોરી કરવા માટે ગણેશિયો ઘડાવ્યો છે. ગણેશિયો એટલે ઘરફોડ ચોરી કરવા માટે વપરાતું સાધન. પણ આ ગણેશિયો જ્ઞાનનો છે. મતલબ, આ કાયારૂપી ઘર, જેમાં આપણો આત્મા કેદ છે એમાં જ્ઞાન વડે ખાતર પાડવાનું છે અને આધ્યાત્મિક ઉન્નતિનું રહસ્ય પામવાનું છે. વાહ ગુરુજી! ઉમદા ચૌર્યકર્મ શીખવવાના આપ તો…

કવિતાના ધોરીમાર્ગે ચાલી નીકળતાં પહેલાં થોડું આડવાટે ફરી લઈએ. હિન્દુ તત્વજ્ઞાન અનુસાર મનુષ્યદેહ કેવળ અસ્થિ-મજ્જાનો બનેલ એક પિંડ નથી. આપણા આત્મિક દેહમાં ૭૨,૦૦૦ નાડીઓ છે, જેમાં પ્રાણશક્તિનો પ્રવાહ વહે છે. આ બોત્તેર હજાર નાડીઓ, છ ચક્ર અને નવ દ્વાર મળીને એક ઘર –કાયા- બને છે. સપ્તધાતુપૂરિત આ નગરીને ‘પુરી’ પણ કહે છે. ૭૨,૦૦૦ નાડીઓમાં ચૌદ વધુ અગત્યની અને એમાંય ત્રણ સવિશેષ –ઈડા, પિંગલા અને સુષુમ્ણા. યોગ કુણ્ડલ્યુપનિષદ મુજબ ડાબી બાજુએ સ્થિત ઈડા યાને ચંદ્રનાડી ભૂતકાળ અને ભાવાવસ્થા સાથે સંકળાયેલ છે, જ્યારે જમણી નાડી પિંગલા યાને સૂર્યનાડી આપણી કાર્યશીલતા અને ભવિષ્ય સાથે સંલગ્ન હોવાનું મનાય છે. આ બેની મધ્યમાં સુષુમ્ણા નાડી છે, જે બધામાં શ્રેષ્ઠ મનાય છે. શ્વાસ ડાબે-જમણે જવાના બદલે એકસમાન ચાલે એ નાડી તે સુષુમ્ણા. તેનો પ્રવાહ કરોડરજ્જુના નીચલા છેડે (વિષુવ અને કુલાધ સહિત)થી આરંભાઈ આજ્ઞાચક્ર(ભ્રૂકુટિમધ્ય) પર્યંતનો છે. તે શરીરના સાતેય મૂળ ચક્ર – મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્રાર- સહિત કુલ્લે પચ્ચીસ ચક્રોને જોડે છે. યોગદર્શનાનુસાર આપણી માનસિક શક્તિનો દશમો ભાગ જ વપરાય છે. બાકીની શક્તિ સુષુપ્તાવસ્થામાં રહે છે. જ્યારે દેહની નાડીઓની શુદ્ધિ થઈ કુંડલિની જાગ્રત થાય છે ત્યારે પ્રાણ સુષુમણામાં પ્રવેશ કરે છે. આમ થાય ત્યારે અલખના ધામભેગા થવાય. (સુરત નુરત ને ઈડા પિંગલા સુષુમણા ગંગ સ્નાન કીજે. – ધીરો)

કવિ કહે છે, પવનરૂપી ઘોડા પર સવાર થઈને ગુરુએ શીખવાડેલ ચોરી કરવા જવાનું છે. પવન એટલે પ્રાણ એ તો સમજાય પણ ઊલટી ચાલે ચલાવવાની સલાહ કેમ ભલા? પ્રાણરૂપી અશ્વ પર સવાર થઈ એને અવળચાલે ચલાવવાનો છે અને ગંગા-જમુનાના ઘાટ ઉલ્લંઘીને અલખના ઘરે પહોંચવાનું છે. ઘોડાની ઊલટી ચાલ વિશે વિચારતાં પહેલાં તો સહજ સમજાય કે અધ્યાત્મની ભાષામાં સામાન્ય મનુષ્યની ગતિ અધોગામી હોય છે, જ્યારે ઈશ્વરપ્રાપ્રિ માટે મનુષ્યે ઉર્ધ્વગામી ગતિ કરવી પડે, એના તરફ આ ઈશારો હશે. પણ જીવણદાસ કબીરપંથી હતા. કબીર કહી ગયા: उलटी गंगा जमुन मिलावउ। बिनु जल संगम मन महि न्हावउ॥‘ હઠયોગમાં ઈડા નાડીને ગંગા અને પિંગળાને યમુના તરીકે ઓળખાવાઈ છે. ગંગાને ઉલટાવીને યમુનામાં ભેળવવને ઊલટી-ગંગા કહેવાય છે. ઊલટી-ગંગાનું તાત્પર્ય એ છે કે સંસારમુખી રાગરૂપી ગંગાને ઉલટાવીને બ્રહ્મમુખી કરવી. આમ તો યમુના ગંગામાં મળે છે, પરંતુ સંતોના કહેવા મુજબ જેઓ ગંગાને ઉલટાવીને યમુનામાં ભેળવે છે તેઓ (મોહ)જલ વગરના ત્રિવેણી-સંગમમાં સ્નાન કરે છે. રૈદાસ પણ આ મતલબનું કહી ગયા: ‘ઊલટી ગંગા જમુના મૈં લાવૌં, બિન હી જલ મજ્જન હૌં પાવૌં.’ સાધનાના મૂળમાં જે નીચે છે, જે અધોમુખ છે, તેને ઊર્ધ્વમુખ કરીને ઉપર લઈ જવાનું પ્રયોજન હોય છે. ઈડા-પિંગળાના માધ્યમથી બહારની તરફ પ્રવાહિત થતી શ્વાસધારાને પ્રાણાયમ વડે ઉલટાવીને બ્રહ્માંડમાં ચડાવવામાં આવે છે, જેના કારણે સમાધિ લાગે છે. સમાધિઅવસ્થામાં શ્વાસ ઈડા- પિંગળાના સ્થાને તેમની મધ્યમાં આવેલી સુષુમણા નાડીમાં પ્રવાહિત થાય છે. ઈડા, પિંગળા અને સુષુમણા એકાકાર થાય છે, જેને ‘અવધૂતી સ્થિતિ’ કહે છે. ઈડા, પિંગળા અને સુષુમણા (અર્થાત્ ગંગા, યમુના અને સરસ્વતી)ના એકીકરણને ત્રિવેણીસંગમ પણ કહે છે. સંતો આ નિર્જળત્રિવેણીમાં જ સ્નાન કરવાનું કહે છે.

બે પંક્તિમાં કેવી અદભુત વાત કવિ કરી ગયા! બે જ પંક્તિમાં પ્રાણશક્તિની મદદથી કુંડલિની શક્તિ જાગૃત કરી આત્માની ઉન્નતિ કરી પ્રભુપ્રાપ્તિ સુધી પહોંચવાનો માર્ગ સૂચવી દીધો. છે ને ગાગરમાં સાગર! એ જમાનામાં પદ્ધતિસરનું શિક્ષણ તો કંઈ હતું નહીં. અને એમાંય પશુઓનાં ચામડાં ઉતારનાર ચમારના ઘરે જન્મ લેનારના ભણતર વિશે તો સમજી જ શકાય છે, જીવન જ એમનો સાચો શિક્ષક હશે. ગુરુઓની સંગતિમાં રહીને જમાનાની નાડપરખમાં પીએચડીનેય આંટી જાય એવું ભક્તિજ્ઞાન પ્રાપ્ત કરનાર આવા સંતકવિઓનો ભારતવર્ષમાં કદી તોટો પડ્યો નથી. અદભુત ગુરુશિષ્ય પરંપરાના પરિપાકરૂપે સદીઓ સુધી થતી રહેલ જ્ઞાનવર્ષામાંથી આપણે આવી બે-ચાર બુંદ સાચવી-સમજી શકીએ તોય ઘણું.

અલખનું ઘર કેવું છે? સુષુમ્ણા જાગૃત થતાં એકસમાન શ્વાસની ધમણ ચાલી રહી છે અને પ્રાણશક્તિનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. આધ્યાત્મિક ઉન્નતિના માર્ગમાં ઠેરઠેર જ્ઞાનની વીજળી અને આતમજ્યોતનો પ્રકાશ રેલાઈ રહ્યો છે. અનહદ નોબત વાગી રહી છે. અનહદ નાદ એ આપણી ભીતરનો અવાજ છે. યોગી દુનિયાના અવાજોને પાછળ મૂકી પોતાની ભીતર ઉતરે છે. જેમ જેમ વધુને વધુ ઉંડે પહોંચાય તેમ તેમ બહારના અવાજો કપાતા જાય છે અને ભીતર નિરંતર ચાલ્યે રાખતો અનહદ નાદ સ્પષ્ટ થતો જાય છે. દયારામે કહ્યું હતું: ‘અજપા જપો અનહદ સુણો, પોપલાં સઘળાં વ્યર્થ.’ શાસ્ત્રોમાં દસ પ્રકારના નાદ વર્ણવાયા છે: ચિણિ, ચિંચિણી, ઘંટનાદ, શંખ, તંત્રા, તાલનાદ, વેણુ, મૃદંગ, ભેરીનાદ. આવા દસ પ્રકારે શબ્દના નાદ સાંભળવા યોગીઓ પરમાત્માને પણ ભૂલી જાય છે, પરંતુ નાદ તો કેવળ એક શ્રવણાવસ્થા જ છે. ખરી આધ્યાત્મિક યાત્રા તો ત્યાંથી પ્રારંભાય છે. આમ નોબત એટલે નગારું પણ સંતો જે નોબતની વાત કરે છે એ પાંચ નોબત અથવા પાંચ શબ્દોની વાત છે. ખ્વાજા હાફિઝ કહી ગયા:

खामोश ओ पंज नौबत बिशनौ जि आसमाने,
क-आं आसमां बैरुं जां हफ़्त ई शश आमद|
(પાંચ નોબત સાંભળ, એ આકાશમાંથી, જે છ દિશાઓ અને સાતમા આકાશથી ઉપર છે)

આવી જ વાત રૂમીએ પણ કરી હતી: ‘ब-हफ़तम चरख़ नौबत पंज याबी, चूं ख़ैमा जि शश जिहत बरकंदा बाशी।’ (આ પાંચેય નોબત સાતમા આસમાને પહોંચીએ ત્યારે સંભળાશે. જ્યારે આપણે છ દિશાઓના તંબૂ ઉપાડી ત્યાં લઈ જઈશું.) કબીર કહી ગયા: ‘पंचे सबद अनाहद बाजे, संगे सारिंगपानी॥ कबीर दास तेरी आरती कीनी, निरंकार निरबानी॥’ (પ્રભુના સાક્ષાત્કારથી પાંચેય શબ્દો તથા અનહદ નાદ ગૂંજી રહ્યા છે. દાસ કબીર આમ તારી આરતી કરે છે, હે નિરાકાર!) ગુરુગ્રંથદર્પણમાં પણ ‘पंचे सबदपंज ही नाद; पंज किसमां दे साज़ां दी आवाज़’ (પંચ શબ્દ, પાંચ જ નાદ, પાંચ પ્રકારના યંત્રોનો અવાજ)ની વાત કરવામાં આવી છે. દાદૂ દયાલ પણ ‘પંચૌ કા રસ નાદ હૈ’ એમ કહી ગયા છે. અનહદ અને નોબતમાં વધુ ઊંડે ઉતરવાના બદલે આપણે એટલું સમજીએ કે સદગુરુ પ્રાણના અશ્વને ઊલટી ચાલે ચલાવડાવી આપણને અલખના ધામ સુધી પહોંચાડે છે, જ્યાં પ્રાણશક્તિના પ્રકાશ રેલાઈ રહ્યો છે અને અનહદ નાદ ગૂંજી રહ્યા છે. ચૈતન્ય સાથેનો આ સાધકનો પ્રથમ સાક્ષાત્કાર છે. चित्शक्ति विलास થાય છે. ચિદાકાશમાં સદૈવ જાગૃત ચૈતન્યનો પ્રકાશ પથરાય છે.

મરમી ગુરુએ શિષ્યને જ્યાં લાવી આણ્યો છે એ ઈશ્વરને ધામ પહોંચવા માટેની શેરી વસમા માર્ગવાળી અને સાંકડી છે. ઈશ્વરપ્રાપ્તિનો પંથ તો વિકટ અને વસમો જ હોવાનો. સાંકડી શેરી એટલે આપણું સંકુચિત મન. સત્વ, રજસ્ અને તમસ્ – આ ત્રિગુણથી નિર્મિત ચિત્ત ચંચળ પદાર્થ છે. સદગુરુ ચિત્તની પાંચ ગલીઓ- ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ-માં હાથ ઝાલીને મુસાફરી કરાવે છે. આ તમામ ચિત્તવૃતિઓ સાંકડી જ છે. ચિત્તવૃત્તિ શૂન્ય બને ત્યારે જ સહજ સમાધિ લાગે છે. શૂન્યાવસ્થામાં તમામ સંકડાશ અને દુર્ગમતાનો લોપ થાય છે. બ્રહ્માંડ સાથે પ્રાણ એકાકાર થાય છે. ચિતિશક્તિ મહામાયાનો સંબંધ સોળ નિત્ય કળાઓ સાથે છે. આ કળાઓનો સંબંધ મંત્ર સાથે, મંત્રનો સુષુમ્ણા સાથે, સુષુમ્ણાનો માતૃકાઓ સાથે છે. આમ, સુષુમ્ણા-ઇડા-પિંગલા સાથે સંબંધિત 14 મુખ્ય અને 72 હજાર અન્ય નાડીઓ થકી સૂર્ય-અગ્નિ-ચંદ્ર ગ્રંથિઓ અને સાત ચક્રો ભેદી નૃસ્વરૂપ પિંડ સાથે અને બ્રહ્માંડ સાથે સંસિદ્ધ થાય છે. કવિ કહે છે કે આટલું ઉપર પહોંચવા માટે નામસ્મરણ જ એકમાત્ર નિસરણી છે. એના સહારે જ સાધનાના સોપાનો ક્રમશઃ સર કરીને પરમેશ્વરના મહેલ સુધી પહોંચી શકાય છે.

શીલ સંતોષનાં ખાતર દીધાં, પ્રેમેં પેસારો કીધો રે, પેસતાંને પા૨સમણિ લાધી, માલ મુગતિ લીધો રે…. પ્રભુધામ સુધી પહોંચી ગયા. હવે અંદર પ્રવેશ કેમ કરવો એની કૂંચી કવિ આપણને હાથ આપે છે. મહાભારતમાં શાંતિપર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરને ઘણી વાતો કરે છે, એમાંની એક શીલ વિષયક છે. બૃહસ્પતિએ રાજ્યભ્રષ્ટ ઈંદ્રને કરેલ આત્મજ્ઞાનના ઉપદેશથી સંતોષ ન થતાં એમણે એને શુક્રાચાર્ય પાસે મોકલ્યો. શુક્રાચાર્યથી પણ સંતુષ્ટ ન થયેલ ઈંદ્રને તેઓએ પ્રહ્લાદ પાસે મોકલ્યો. બ્રાહ્મણવેશે પ્રહ્લાદની લાંબી સેવાચાકરીના અંતે પ્રહ્લાદ એને જ્ઞાન આપે છે કે ત્રિલોકનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાની એકમાત્ર ગુરુચાવી શીલ એટલે કે સત્ય અને ધરમાચરણ છે. વરદાનમાં ઈંદ્રે શીલ જ માંગી લેતાં શીલની સાથોસાથ ધર્મ, સત્ય, વ્રત અને શ્રી –આ તમામ ઈંદ્રને પ્રાપ્ત થયા. આ છે શીલ યાને સદાચાર કે સદ્ચરિત્રનો ખરો મહિમા. બીજી કૂંચી છે સંતોષ. જે મળે એમાં સંતૃપ્તિ અનુભવે એ જ આધ્યાત્મના માર્ગે ઉન્નતિ કામી-પામી શકે. ભગ્વદ્ગીતાના પંદરમા અધ્યાયના પ્રથમ પાંચ શ્લોકમાં જગતને ઉર્ધ્વમૂલ અને અધોશાખાવાળા અશ્વત્થ વૃક્ષનું રૂપક આપતાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે એનાં મૂળ સર્વશ્રેષ્ઠ પરમાત્મામાં છે અને શાખાઓ નીચે સંસારરૂપે છે. અનાસક્તિરૂપી મજબૂત શસ્ત્રથી એનું છેદન કરી આદ્ય પુરુષના શરણે જવામાં જ ખરું શાણપણ છે.

निर्मानमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः।
द्वन्द्वैर्विमुक्ताः सुखदुःखसंज्ञै र्गच्छन्त्यमूढाः पदमव्ययं तत्।।૧૫.૫।।

(જેઓ માન અને મોહરહિત થઈ ગયા છે, જેમણે આસક્તિથી થનાર દોષોને જીતી લીધા છે…. …એવા મોહરહિત જ્ઞાનીજન જ એ પરમપદ (પરમાત્મા)ને પ્રાપ્ત કરી શકે છે.) સંતકવિએ ચોરીની વાત માંડી છે એટલે એ ઈશ્વરના મહેલમાં શીલ અને સંતોષના ખાતર દેવાનું કહે છે. શીલ અને સંતોષના બાકોરાંમાં થઈને જ આ ઘર ફોડી શકાય. જો કે આટલી તૈયારી પણ કંઈ પૂરતી નથી. પ્રેમ નીતરતાં હૈયે પ્રવેશ કરવાનો છે. અને આ પ્રેમ એટલે જેને આપણે બુદ્ધની કરુણા કહીએ છીએ એ. વયષ્ટિ નહીં, સમષ્ટિ માટેની પ્રેમદૃષ્ટિ. પ્રેમલક્ષણા ભક્તિનું પ્રમુખ ઘટકતત્ત્વ. આટલી તૈયારી સાથે ઘરમાં પ્રવેશીશું તો પેસતાંવેંત જ કથીરને કંચન બનાવનાર પારસમણિ હાથ લાગશે. એને ત્યાં બધું તમારા સ્વાગત માટે ખુલ્લું જ પડ્યું છે. ઘરમાં કોઈ તિજોરી-તાળાં નથી. એકવાર ઘરમાં ઘુસ્યા નથી કે તમામ ખજાનો તમારો. ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જશે. મોક્ષ લાધશે.

પૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે ગુરુ સંત ભીમદાસની રાહબરીમાં કરવામાં આવેલ ચોરીમાં આ વખતે સાધક કશું ઓછું-અધૂરું નહીં, પણ પૂરેપૂરું પ્રાપ્ત કરે છે. આ વખતે સાધકનો ફેરો ફોગટ ગયો નથી. અધ્યાત્મનો આખેઆખો ખજાનો હાથ લાગે છે. અગમનિગમના તમામ રહસ્યોનો પર્દાફાશ થઈ ગયો છે. ચૈતન્યની ઉચ્ચતમ અવસ્થાએ, સાક્ષાત્કારની લગોલગ પહોંચી શકાય છે. પણ આ બધું કેવળ ગુરુચરણમાં પૂર્ણતયા સમર્પિત થવા માત્રથી, ગુરુ ઉપરના અહર્નિશ વિશ્વાસમાત્રથી થઈ શક્યું છે. કાશ, આપણે પણ આવી ચોરી કરતાં શીખી શકીએ… બે-બે પંક્તિના કાંઠાઓ વચ્ચે સંતકવિએ કેવળ નદી નહીં, જ્ઞાનના આખાને આખા મહાસાગર સમાવી લીધા છે એ સમજાય તો આપોઆપ નતમસ્તક થઈ જવાય એવી આ રચના છે.

ઢળતી રાતે રે – હરિકૃષ્ણ પાઠક

સ્વર : ઓસમાણ મીર
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી

.

ઢળતી રાતે રે ગળતાં સૂરનાં અંધારાં
એમાં ભળતા પરોઢના ઉઘાડ જી,
આંખને ઓવારે ડૂબે દરિયાનાં તાણ
એવાં પાંપણે ઝૂકે રે ઝમતા પ્હાડ જી.

ઝમતી ઝીણી રે ભીતર સુરતાની વાણ
એમાં ઝંખનાનાં તરતાં તોફાન જી,
કોણ રે હેરે આ આછા વાયરાની પેરે
એના અણસારે ગળતાં ગુમાન જી.

આછા રે આછા રે એવા ઊઠે અંબાર
ઓલી પારની અગન ઊઠે અંગ જી,
અમથી આંખે તો માંડ્યાં મેઘનાં ધનુષ
માંડી મીટમાં ઘેરાતો એક જ રંગ જી.

– હરિકૃષ્ણ પાઠક

ગ્લૉબલ કવિતા : ૨૩૧ : રત્ય – પ્રદ્યુમ્ન તન્ના

કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!
રંગ રંગ છોળ્ય એની ઓસરતાં મોર્ય
અમીં ચિતને ચંદરવે લીધ ભરી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

મધુવનની ભોંય શા મજીઠ લાલ પોત પરે
ખાંતે આળેખી ભલી ભાત્ય,
કેવડાની મ્હેક મ્હેક કુંજ ચારે કોર્ય, બીચ
મોરલા ને કીર કરે વાત્ય.
એ જી ધાગે ધાગે તે હાંર્યે પોરવ્યો હુલાસ
ને ગુંજરતાં ગીત્યુંની કડી!
કોણ કે’છે કે રત્ય રૂડી સરી?!

આભલિયે આભલિયે ટાંક્યું અંકાશ
ને અંકાશે દા’ડી ને રેણ,
દા’ડે દા’ડે તે ભર્યાં અંજવાળાં ઝોક
ને રેણ ભર્યાં ચંદણીનાં ઘેન,
એ જી ઘેન મહીં ઘોળ્યો છે ગમતો ઉજાગરો
ઉજાગરે ગલાલની ઝડી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

માણી પરમાણીને ઝીણું મોટું જેહ કાંઈ
ભરી લઈં ભીતર મોઝાર,
એવું ને એવું રિયે જળવાયું, આછોયે
આવતો ન એને ઓસાર,
એ જી આપણે ઉખેળવાની ખોટી કે પરથમ શું
પ્રગટે સંધુંય ફરી ફરી!
કોણ કે’ છે કે રત્ય રૂડી સરી?!…

– પ્રદ્યુમ્ન તન્ના

ચિતના ચંદરવે સીવેલ ઋતુઓનું રંગધનુ…

કાચના પ્રિઝમમાં સફેદ પ્રકાશ એક તરફથી દાખલ થતાં બીજી તરફ સાત રંગ –જાનીવાલીપીનારા- છૂટાં પડતાં દેખાય એ પ્રયોગ આપણામાંથી મોટાભાગનાંઓએ શાળામાં કર્યો જ હશે. અજવાળાંના રંગની આ કહાની છે. રાતના કાળા રંગની કહાની વળી એનાથી સાવ વિપરિત. બ્લૉટિંગ પેપર જેવું અંધારું સાતેય રંગોને વાદળી પાણી ચૂસી લે એમ ગાયબ કરી દે છે. રંગ એટલે દૃશ્યમાન પ્રકાશની નિયત તરંગલંબાઈ. અલગ-અલગ તરંગલંબાઈ મતલબ અલગ-અલગ રંગ. સફેદ અને કાળા રંગ પાસે કોઈ નિયત તરંગલંબાઈ જ ન હોવાથી એમનું રંગ તરીકે વર્ગીકરણ થતું નથી. પણ છોડો એ વાત. તમને થશે કે કવિતાના ક્લાસમાં વળી રંગ અને ભૌતિકવિજ્ઞાન ક્યાંથી આવી ચડ્યાં? તો એનું કારણ પ્રદ્યુમ્ન તન્નાની આજની કવિતા છે, જેમાં કવિ ચિત્તના ચંદરવા ઉપર સરી જતી ઋતુઓના રંગોને સ્મૃતિની સોય વડે સીવવા બેઠા છે. ચાલો, વિશ્લેષણના પ્રિઝમમાંથી કાવ્યકિરણ પસાર કરતાં સર્જાતું ઋતુઓનું આ રંગધનુ આપણે નિહાળીએ…

‘રત્ય’ એટલે ઋતુ ગણવી કે રાત એ સવાલ કાવ્યારંભે જ જન્મે છે. સૌરાષ્ટ્રી બોલી તથા શબ્દકોશ મુજબ તો રત્ય એટલે ઋતુ, પણ કવિતામાં આવતા સંકેત રાતને અર્થ તરીકે સ્વીકારવા પ્રેરે છે. ઋતુ હોય તો વીતે, રાત સરે. રંગોની ઓસરતી છોળ, ચિતનો ચંદરવો, ઊજાગરો વગેરે રાતના સંદર્ભ યાદ અપાવે છે, પણ દા’ડી ને રેણના અલગ ઉલ્લેખ હોઈ રત્ય એટલે ઋતુ જ માની લેવાનું મન પણ થાય. અન્ય એક કવિતા ‘દોહ્યલી રત્ય’માં કવિ લખે છે:

ઝીણાં મોટાં કોડી કાજ આડે સઈ! દંન તો લઈએ ગાળી
પણ પરણ્યો પડખે ન્હોય ઈને હાય દોહ્યલી રત્ય રૂપાળી!

અહીં તો પરણ્યો પડખે ન હોય તો દિવસ તો પસાર કરી લેવાય પણ રૂપાળી રાત મુશ્કેલ થઈ પડે છે, એ જોતાં રત્યનો અર્થ રાત જ સ્પષ્ટ થાય. જો કે લોકબોલીમાં રત્યના સંદર્ભ ઋતુ તરીકે જ પ્રાપ્ત થાય છે:

૧. શ્રાવણ આયો હે સખી! ઝાડવે નીર ઝરંત;
અણ રત્ય મહિયર મોકલે, મારો કઠણ હૈયારો કંથ.

૨. અસીં ગિરિવર જા મોરલા, કંકણ ચુણ પેટ ભરોં,
રત્ય આવઈ ન બોલજેં, ત હૈયા ફાટ મરોં

કવિને મન શું અભિપ્રેત હોય એ તો કવિ જ જાણે. રાત કહીએ તો સમયપટ ટૂંકો થઈ જાય પણ ઋતુ કહીએ તો સમયખંડ વિસ્તરી જાય એટલે આપણે રાત મનમાં રાખીને વિસ્તૃત અર્થ ઋતુ ગણીને આગળ વધીએ. શીર્ષક પરથી કાવ્યબાની પણ તળપદી હોવાનો ખ્યાલ આવી જાય છે. આ બાનીના પ્રેમમાં ન પડાય તો જ નવાઈ… અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવ્યું હોવા છતાં તળપદી ભાષા જે રસાળતાથી પ્રદ્યુમ્ન તન્નાની કવિતાઓમાં ઊતરી આવી છે એવું વાગેશ્વરીનું વરદાન તો ગુજરાતમાં વસતા ઘણા દિગ્ગજ કવિઓને પણ પ્રાપ્ત નથી થયું. પ્રદ્યુમ્ન તન્નાનું ગુજરાતી કોઈપણ નિવાસી-ગુજરાતી કરતાં વિશેષ ગુજરાતી છે. ‘રત્ય’ કાવ્યમાં ગીતનું પરંપરાગત સ્વરૂપ કવિએ અપનાવ્યું છે. મુખડું દોઢવેલી પંક્તિઓનું અને ચાર પંક્તિઓ તથા બેકી કડીઓમાં ચુસ્ત પ્રાસ મેળવી પૂરકપંક્તિ (ક્રોસલાઇન)ના તંતુ ધ્રુવપંક્તિ સાથે બાંધી આપતા ત્રણ બંધ. ષટકલનો મજબૂત લય ગીતને અનવરુદ્ધ ગતિ બક્ષે છે. અર્થ અને શબ્દની પરવા કર્યા વિના ગીત ખુલ્લા અવાજે બે’કવાર લલકારીએ તો શબ્દાર્થની પળોજણમાં પડતાં પહેલાં જ હૈયું છાકમછોળ તરબોળ થયા વિના ન રહે એની ગેરંટી. જેટલીવાર વાંચો એટલીવાર કવિતા મનોમસ્તિષ્કનો વધુને વધુ કબજો કરતી પ્રતીત થશે.

‘ક’કાર, ‘ર’કાર અને ચિતના ચંદરવાના ‘ચ’કારની વર્ણસગાઈ સાથે ઊઘડતું ગીત પ્રારંભે જ હૂક લગાવી ભાવકને બાંધી લે છે. સામું કોઈક રૂડી ઋતુના સરી ગયા હોવા વિશે કંઈક બોલ્યું હશે, જેના જવાબમાં સવાલથી કાવ્યનો ઊઘાડ થાય છે. કોણ કહે છે કે રૂપાળી ઋતુ સરી ગઈ? સામાની ઉક્તિનો વિરોધ તો છે પણ મીઠો. પ્રદ્યુમ્ન આમેય વહાલા વિરોધના કવિ છે. અનેક દાખલા જડી આવે, પણ ‘હિસાબ’ નામક એક વ્રજગીતમાં ‘જાવ જાવ જાદવજી જૂઠા’ કહીને ગોપી જે પ્રેમાળ ચાલાકીભરી ફરિયાદ વિરોધસહ નોંધાવે છે એ ચૂકવા જેવું નથી. ‘વેશ,’ ‘શેણે,’ ‘વડચડ’ વગેરેમાં પણ કવિની આ રીતિ દૃષ્ટિગોચર થાય છે. સૃષ્ટિની રેતશીશીમાંથી ઋતુઓ સરતી રહે છે, પણ કવિને આ સમયચક્રનો યથાતથ સ્વીકાર નથી, કારણ ઋતુના પાલવમાં રહેલ રંગબિરંગી છોળો ઋતુ સાથે અદૃશ્ય થઈ જાય એ પહેલાં જ કવિએ ચિત્તના ચંદરવામાં એને ભરી-સંઘરી લીધી છે. ‘અમે’ માટે જેમ ‘અમીં,’ એમ ‘પહેલાં’ માટે કવિએ જે ‘મોર્ય’ શબ્દ લોકબોલીમાંથી સેરવી આણ્યો છે, એ મન મોહી લે એવો મધમીઠો છે. છોળ્ય સાથે મોર્યનો આંતર્પ્રાસ પણ ગીતના ઉઠાવને વધુ રણઝણતો કરે છે. ચંદરવો એટલે માંડવા ઉપર બાંધવાનું ભરત ભરેલું લૂગડું. ભાત-ભાતના રંગોના ટુકડાઓને એક કાપડ પર સીવી લેવાથી જે કેલિડોસ્કૉપ સર્જાય એ ચંદરવો. કવિએ પોતાના ભાતીગળ ચિત્તના ચંદરવા ઉપર સૃષ્ટિના રંગોના સ્મરણોના ટુકડાઓ ટાંકી લીધા છે. કઈ રીતે ટાંક્યા છે એની વાત લઈ ગીત આગળ સરકે છે.

આપણે ત્યાં માથેરાન એની લાલ માટીના કારણે અન્ય તમામ ગિરિમથકોથી નોખું પડી જાય છે. પણ કવિ અહીં મધુવનની મજીઠી લાલ માટીની વાત કરે છે. આગળ ચિત્તના ચંદરવાની વાત આવી હતી એના પરથી સમજાય છે કે લાલ માટીવાળું મધુવન એ હૈયાની વાત છે. મજીઠ જેમાંથી નૈસર્ગિક લાલ રંગ મેળવાય એવી એક વનસ્પતિનું મૂળિયું છે. મજીઠિયો લાલ રંગ દાસી જીવણની યાદ અપાવે:

‘ચોળ મજીઠી ચૂંદડી, માંઈ કસુંબી રંગ; અળગા રઈ વાતું કરો, અભડાશે માંઈલા અંગ રે.’

મીરાંબાઈ પણ કેમ વિસરાય?: ‘ફાટે પણ ફીટે નહીં, લાગ્યો મજીઠી રંગ’

દિલની રાતી જમીન પર ઉમંગથી જાતજાતની ભાત કવિએ આળેખી છે. સાંઈકવિ મકરંદ દવે આ માટે આમ લખે છે: “ચિત્તનું એક જ પોત અને તેના પર અનેકરંગી ઋતુ-ઋતુની આળખેલી ભાત. ‘ચિત્ત-ચૈતન્ય વિલાસ તદરૂપ.’ અહીં મધુવનનો મોરલો અને પેલો ‘એ રસનો સ્વાદ જાણનારો જોગી’ શુક જે વાતો કરે છે એને ધરાઈને સાંભળીએ તો જીવનમાં રંગ રહી જાય.” ચારે તરફ કેવડાની મહેંક મહેંક થતી કુંજ છે અને એની વચ્ચે મોર અને પોપટ વાતે ચડ્યા હોય એમ ટહુકાઓની રસલ્હાણ કરે છે. ચિત્તના મૂળે મજીઠી રંગના કપડાંને ચંદરવાકરાર કરવા કવિ એમાં શું શું ગૂંથે છે એ જોવાની મજા છે. ‘એ જી’ના હલકારે ભાવકને એકતાંતણે લયના હિલ્લોળે હિંચકાવતા કવિ એક એક દોરામાં ઉલ્લાસ અને ગૂંજી રહેલ ગીતોની કડીઓ પરોવવાની વાત કરે છે. દોરો અને પરોવવાની વાત પર ગૌરાંગ ઠાકરનો એક શેર અચૂક યાદ આવે:

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.

ચિતના ચંદરવામાં તો વળી આભલાંય ટાંક્યા છે. પણ આ આભલાં કંઈ જેવાંતેવાં નથી. આ આભલાંમાં કવિએ આકાશ ટાંક્યું છે. અને આકાશમાં દિવસ-રાત ટાંક્યાં છે. કપડાં પર આભલાં કે સિતારા ટાંકીએ ત્યાં આમ તો વાત પૂરી થઈ જાય પણ કવિ એનું જ નામ જે દુનિયા અટકી જાય ત્યાંથી આગળ વધે. આભલું એટલે આમ તો નાનકડો અરીસો અથવા ધાતુમાંથી બનાવેલ ગોળ ટીપકી, જે પહેરેલ કપડાં કે ચંદરવામાં રંગરંગીન કપડાંની વચ્ચે અનેકાનેક પ્રતિબિંબો સર્જીને પોશાકને હોય એથીય અદકેરો મનમોહક બનાવે. આભલું ટંકાઈ જાય એટલે દરજીનું કામ પૂરું. આભલાંનો એક અર્થ તે આકાશ પણ ખરો જ તે. પણ કવિ તો આભલું ટાંકી દીધા પછી એમાં આકાશ અને આકાશ ટાંકી દીધા પછી એમાં રાત-દિ પણ ટાંકે છે. દિવસોની અંદર કવિ અજવાળાં ભરે છે અને રાતમાં ચાંદનીનાં મદભર્યાં ઘેન. આંખે ઘેન ભરાય એટલે ઊંઘ આવવા માંડે. પણ કંઈક અદકેરું ન કરે તે વળી કવિ શેના? એ ઘેનની અંદર ઉજાગરો ઘોળે છે અને તેય વળી ગમતીલો. કવિના કલ્પનોની ગાડીમાં જો કે બ્રેક જ નથી. આભલાંમાં આકાશ, એમાં રાત-દિ, એમાં અજવાળાં-ચાંદની, એમાં ઉજાગરા અને છેવટે ઉજાગરામાં ગુલાલની ઝડી કવિ ભરે છે. લ્યો! કરો ગમતાંનો ગુલાલ હવે.. આમ ટાંકણમાં ટાંકણ, એની અંદર ટાંકણ એમ કેટલીયે પરત કવિ ઊભી કરે છે! દેખીતી ભાત તો ઝીણી થતી જાય છે પણ આકાશ અને રાત-દિવસના ઉલ્લેખ એને અસીમકરાર આપે છે. કવિતાનો ચંદરવોય આવો જ નહીં?! એક પડળમાં બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું અને ચોથામાં વળી… અનંત સંભાવનાઓ… એ જ તો છે કવિતા!

જુઓ, ‘ઝબુકિયાં’ ગીતનો ચંદરવો:

રાત જાણે ગેબી ચંદરવાની ભાત
કે ભાત કરે ઝબુકિયાં!
ભાત મહીં ઠેર ઠેર આભલાંનાં ઢેર
કે ઢેર કરે અનગળ ઝબુકિયાં!

રાત-દિવસ અને ઉજાગરા-ઘેનની વાતે ‘વૈશાખી રેણ’ની બે’ક કડી પણ અત્રે સ્મરવા જેવી:

દા’ડો તો જાણે નેણ રાતાં ઉજાગરે
ને રાતલડી જાણે આંખ્ય ઢળી મીઠે ઘેન!

ચિત્તના ચંદરવે પ્રકૃતિ કે સમાજ પાસેથી ઝીણું-મોટું જે કંઈ મળે એને માણીને-સ્વીકારીને ભીતરમાં ભરી લેવાનું છે. કવિ થવાની આ પહેલી શરત છે. વર્ડ્ઝવર્થની કવિતાની વ્યાખ્યાનો સંસ્પર્શ અહીં અનુભવાશે: ‘Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquillity.’ (કવિતા બળવત્તર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે: પરમ શાંતિમાં એકત્ર થયેલ મનોભાવોમાંથી એ જન્મે છે.) કવિ પણ ઓસરતી રાતે સર્જેલી અનુભૂતિઓના નાના-મોટા તમામ આયામ પૂર્ણતયા માણી-પ્રમાણીને ચિત્તમાં સંઘરી લેવા કહે છે. કલાપીએ કહ્યું’તું એમ, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો.’ હૈયાના ચંદરવાનું પોત તો પાટણના પટોળાથીય વધીને છે, નથી એ ફાટનાર કે નથી કદી ફીટનાર. એવું ને એવું એ જળવાઈ રહેનાર છે. એમાં જરા સરખોય ઘટાડો કદી પણ થનાર નથી. આ જ અનુભૂતિનો ઊભરો ક્યારેક કવિતા બનીને કાગળ પર રેલાશે ને!

દિવસ પછી રાત અને રાત પછી દિવસના સમયચક્ર પર સવાર થઈ અનવરત ચાલ્યે રાખતા ઋતુચક્રના રંગો સ્મૃતિપટ પર એક પછી એક અંકાયે રાખે છે. ઇન્દ્રિયો ખુલ્લી રાખીને આપણી આસપાસ રમણા કરતી પ્રકૃતિનું આકંઠ પાન કરવાનું રાખીએ તો આ એક એવો ખજાનો છે, જે કદી ખૂટનાર નથી. મરઘી પહેલી કે ઈંડું પહેલુંની પળોજણમાં રત રહી જે રીતે માણસ બંનેનો ચાર્મ માણવાનું ચૂકી જાય છે, એ જ રીતે પહેલું શું ને બીજું શું એ ઉખેળીને ખોટી થવા સામે કવિને વિરોધ છે. કહે છે, આપણે શા માટે પ્રથમનો કેડો શોધવામાં ખોટી થવું? જેમ દિવસ પછી રાત અને રાત પછી ફરી દિવસ આવવાનું નક્કી જ છે, એમ જ જે ઋતુ ગઈ છે, તે ફરી આવનાર છે જ. બધું ફરી-ફરીને પ્રગટે જ છે. ‘શ્રાવણી સાંજે’માં કવિ જાણે આ જ વાત કહે છે: ‘ભરી ભરી ઠાલવું ને ફરી ભરું માટ.’ શંકરાચાર્યના ‘पुनरपि जननं पुनरपि मरणं’નો રણકો પણ કાવ્યાંતે ઊઠતો સંભળાયા વિના રહેતો નથી. એવોય અર્થ કરી શકાય કે ઋતુરમણામાં જે –જે જોયું-અનુભવ્યું એનાથી અભિભૂત થઈને એને જ વશવર્તીને એની જ આંટી ફરી-ફરી ઉખેળ્યા કરવાની કે પછી પહેલાં જેવી ઋતુ-ઋતુના વળવળાંક વાળી વાત પ્રગટે ત્યારે વાત એમ કરીને મન મનાવતા રહેવાનું? ચૌદમાંથી બાર પંક્તિઓમાં મોણ નાંખીને વાત કર્યા પછી જે રીતે સૉનેટ આખરી બે પંક્તિઓમાં ચોટ આપે છે એ જ રીતે પ્રસ્તુત ગીત પણ ભાવકને ક્રમશઃ અર્થાનુભૂતિમાં વહાવ્યે રાખી આખરે પરાકાષ્ઠાએ લઈ જઈને શમે છે…

મકરન્દ દવે કવિના સમગ્ર સર્જન (oeuvre)ની ઓળખ આ રીતે આપે છે: “મેઘાણીના સમગ્ર સાહિત્ય-સર્જનને જે એક જ ગીતમાં સમાવી શકાય, એ છેઃ ‘રાજ! મને લાગ્યો કસુંબીનો રંગ’. પ્રદ્યુમ્નનાં સારાંયે ગીતોની ધ્રુવકડી સાધવી હોય કે તેને નખચિત્રમાં સમાવવાં હોય તો આ સંગ્રહનું કાવ્ય ‘રત્ય’ બસ થઈ પડે એમ છે.” અને એ જ મકરંદા આ જ અંદાજમાં કવિના અન્ય એક ગીતની નાડ પણ પકડે છે: “ઋતુએ ઋતુમાં જાગી ઊઠતી રંગરંગની છોળ ‘રત્ય’ની જેમ એક જ કાવ્ય –‘છોળ’-માં નીખરી આવે છે. આ એક જ કાવ્યમાં રંગરંગનો બહુરંગી ફુવારો ઊછળે છે.” તો, અંતે ‘છોળ’માં ભીંજાઈને છૂટા પડીએ:

અડકી ગઈ
નેણ અચિંતી રંગની છાકમછોળ!

ઉપર ભૂરાં આભ ને નીચે સોનલવરણાં ખેત,
વચમાં વ્હેતું જાય રૂપેરી વ્હેણ વળાંક લેત;
જાંબળી આંકે રેખ આઘેરા ડુંગરિયાની ઓળ!
આઘેરી ડુંગરિયાની ઓળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

ઊતરે ઓલ્યું રાન-સૂડાનું ઝૂમખું લેતું ઝોક,
અહીંતહીં ખડમોરની વળી કાબરી ભાળું ડોક;
દીસતું નહિ તોય રે એના ગાનથી જાણું કોક,
પીળચટા થોર વાડની પાછળ સૂર ઝરે ચંડોળ!
ઝીણેરા સૂર ઝરે ચંડોળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

હળવી વાયે દખણાદીની ફૂલગુલાબી લે’ર
દૂર પણે ઓ ડોલતો લીલો અમરાઈનો ઘેર;
માંહ્યથી મીઠી મ્હેકની હારે ઊડતી આણી મેર,
જળ-થળે ઝાંય રેલતી આવે ચૂંદડી રાતીચોળ!
હીરાગળ ચૂંદડી રાતીચોળ!
અડકી ગઈ નેણ અચિંતી રંગની છાકમછોળ!

જીવનનો ધોબીઘાટ – ડો. દિનેશ ઓ. શાહ

સ્વરાંકન – કર્ણિક શાહ
સ્વર – જીગર જોશી

કવિ શ્રી ડૉ. દિનેશ શાહને એમના ૮૪માં જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું હમણાં જ લખાયેલું અને સ્વરબદ્દ્ધ થયેલું ગીત.

તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો છે? – વિમલ અગ્રાવત

Lyrics: વિમલ અગ્રાવત
Composition, Music, arrangement: હેમંત જોષી
Vocals: હેમંત જોષી

તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો છે?

દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું!
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું!
કદી દરિયાને શ્વાસમાં પરોવ્યો છે?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો છે?

મોજાં થઈને જરા ઊછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો
આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો: દરિયો શેં ખારો?
કદી નજરુંથી દરિયો વલોવ્યો છે?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો છે?

-વિમલ અગ્રાવત

****** હયાતીના હસ્તાક્ષરમાં પ્રસ્તુત કવિ શ્રી સુરેશ દલાલ દ્વારા આ કવિતાનો રસાસ્વાદ ******

પૂર્વજોની કવિતા વિશે જેમ લખવું ગમે તેમ નવા નવા કવિઓની કવિતા વિશે પણ લખવાનો આનંદ જુદો હોય છે. સામાન્ય રીતે આપણે પ્રકૃતિમાં માનવ પ્રકૃતિનું આરોપણ કરતાં હોય છે. ગાલ ગુલાબ જેવા ને નાક પોપટ જેવું એવું બધું વર્ણન કરતાં હોઈએ છીએ. પણ પ્રકૃતિને પ્રકૃતિ તરીકે જોતા નથી. કોઈ વિશાળ દરિયો જોઈને તરત જ આપણે કોઈ ઉદાર માણસની કલ્પના કરીએ અથવા આપણે કોઈક માણસને કહીએ કે એ તો દરિયાદિલ છે. દરિયાને દરિયા તરીકે જોવો એમાં ભલે કલ્પના ન હોય, પણ દરિયાપણું શું છે એ સમજવાની આપણી પાસે એક વિશિષ્ટ શક્તિ પણ હોવી જોઈએ.

દરિયાને જોઈને આપણી લાગણીના જાતજાતના લપેડા કરીએ એમાં દરિયો પોતાનું દરિયાપણું ગુમાવી દે છે. માત્ર કિનારે બેસીને દરિયાનાં જાતજાતનાં વર્ણનો કરીએ એમાં આપણે દરિયાને ખંડિત સ્વરૂપે જોઈએ છીએ. કોઈ પણ વસ્તુને વસ્તુ તરીકે પૂર્ણપણે પામવી હોય તો એને એના સહજરૂપમાં અખિલાઈપૂર્વક પામવી જોઈએ. એનો અર્થ એવો નથી કે દરિયાના વિવિધ પ્રકારનાં કાવ્યો ન હોઈ શકે.

કોણ જાણે કેમ પણ જ્યારે જ્યારે હું દરિયાને જોઉં છું ત્યારે મને દરિયો એકલો અને એકલવાયો લાગ્યો છે. એટલે જ આવી પંક્તિ સરી પડી:આટઆટલી પથરાઈ છે રેતી તો યે સાવ એકલો દરિયો/ મોજાંઓની માયા અહીંયા વહેતી તો યે સાવ એકલો દરિયો વિમલ અગ્રાવત એક પડકાર ફેંકે છે કે તમે દરિયાને માત્ર દરિયા તરીકે જ જુઓ. દરિયો ભલે ખુલ્લી કિતાબ હોય, પણ એને કિતાબની જેમ વંચાય નહીં. દરિયાની લિપિ અને ભાષા આપણા કરતાં નોખી અનોખી છે. કાંઠે બેસીને દરિયો જોવો એ એક વાત છે અને દરિયામાં ડૂબકી મારવી અને દરિયાનો અનુભવ કરવો, તીવ્રતાથી એની અનુભૂતિ માણવી એ જુદી વાત છે. દરિયો માત્ર તમારા રોમેરોમમાં નહીં પણ તમારા શ્વાસમાં જાણે કે પરોવાઈ ગયો હોય એટલી હદે દરિયાને દરિયારૂપે જોવો જોઈએ.

દરિયો એટલે નરી વિશાળતા. ઊછળતાં અને શમતાં મોજાં. આ દરિયામાં કેટલીયે આનંદચૌદશ છે. કેટલાયે શ્રીફળો વધેરાયા છે. જીવનથી થાકીને કેટલાઓએ આ દરિયામાં પડતું મૂકર્યું છે. પણ એ બધી દરિયા સિવાયની વાતો છે. દરિયામાં જે મોતી પાકે છે એ મોતી આપણી આંખમાં આંસુરૂપે પણ હોય છે. આપણે અંદરથી વલોવાયા હોઈએ તો દરિયાને વલોવવાની તાકાત આવે.

કદી આપણે આપણી નજરથી દરિયાને વલોવીએ છીએ ખરા? દરિયા વિશેનાં અનેક કાવ્યનો સંચય થઈ શકે એવાં કાવ્યો આપણને જગતની કવિતામાંથી મળી શકે અને કોઈકે એનો સંચય કરવો પણ જોઈએ. પણ પોતાની કવિતાના પ્રેમમાં પડેલા માણસો બીજાની કવિતા લગભગ વાંચતા નથી, તો સંચય કરવાની તો વાત જ ક્યાં? આ સાથે રમેશ પારેખનું એક ગીત માણવા જેવું છે:

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું…
પંખીવછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું…
ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર : એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું…

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ

અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત – ઉદયન ઠક્કર

સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર : દીપ્તિ દેસાઈ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક

.

મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.
મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
કશું કાંઠાઓ ભાંગીને આવે છે, હું એને રેતીના ઢૂવાથી ખાળું.
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે:
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,ને પૈણાનાં દાણ ચણું, મીઠાં,
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ રીતસર હારબંધ ઊડતા દીઠા!
કેમ પાંખ્યું ફફડે છે ? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે…
મને અધવચ્ચે અધવચ્ચે
– ઉદયન ઠક્કર

સંભારણાં – માધવ રામાનુજ

કવિ : માધવ રામાનુજ
સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : વિરાજ – બીજલ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક-૪

.

પછી પગલામાં ચીતર્યાં સંભારણાં …
પહેલું અબોલાના ઓરડાનું અજવાળું
વળતાં ચીતર્યાં રે બંધ બારણાં !

ભીંત્યું ચીતરીને એમાં પૂર્યા ઉજાગરાનાં
સોનેરી રૂપેરી રંગ,
પાણિયારું ચીતર્યું ને બેડામાં છલકાવ્યો
ધગધગતો તરસ્યો ઉમંગ!
તોરણમાં લીલછોયા ટહુકાના સૂર અને
હાલરડે આળેખ્યાં પારણાં !

ફળિયામાં આંબાનો ચીતર્યો પડછાયો
ને ચીતર્યું કૂણેરું એક પાન ,
ચીતરતાં ચીતરતાં ચીતર્યાં ઝળઝળિયાં
ત્યાં નજરનું ખરી ગયું ભાન !
કાળજામાં કોરાતી જાય હજી કૂંપળ
ને ઉંબરમાં અમિયલ ઓવારણાં !

– માધવ રામાનુજ

તું સમજે જે દૂર – દલપત પઢિયાર

Composition, Music, arrangement; જન્મેજય વૈદ્ય
Vocals: રિધ્ધિ આચાર્ય

તું સમજે જે દૂર, તે સાવ જ તારી કને,
ફૂલ અને ફોરમને કેવું એક ઉતારે બને !

બની શકે તો સ્થિર ઊભેલા ઝાડ સામું જો,
આખેઆખા લીલાછમ ઉઘાડ સામું જો,
નાભિ જેવું નગર વસાવી, મૃગ ભટકે વનેવને…

કાં નીકળી જા બા’ર સદંતર, કાં ઊતરી જા અંદર,
જળને ઝાંપે ઝૂલે સમંદર, નહીં બેટ નહીં બારું બંદર,
નદી કુંડીમાં ના’વા ઊતરી, દરિયો ઊભે પને…

મળવું એ જ હો મનસૂબો તો નક્શા નાખ ધરામાં,
સૂરજ વાવમાં પાણી ગાળે, ચાંદો રમે ચરામાં,
સરખું ઊતરે સામૈયું તો રજની રેલે દને…

મન ગોઠે ત્યાં મેલ દીવો, બીજી રીતો રહેવા દે,
જળ, પવન અને અજવાળાને એની રીતે વહેવા દે,
ઘડા માંયલી આકુળ વેળા, ગગન થવા થનગને…

-દલપત પઢિયાર

મન મ્હેં ત્હારું જાણ્યું ના – રાજેન્દ્ર શાહ

સ્વરાંકન : અમર ભટ્ટ
સ્વર : ગાર્ગી વોરા
આલબમ : શબ્દનો સ્વરાભિષેક 4

.

મન મ્હેં ત્હારું જાણ્યું ના, જાણ્યું ના :
આંગણે જેને ઇજન દીધું
ઘરમાં એને આણ્યું ના …

વન-પારેવાં કરતાં કેલિ,
માલતી-ફુલે વેલ ઝૂકેલી ,
નેણથી ઝરી નૂરની હેલી,
હોઠ બે ત્હારા ફરક્યા આતુર
તોય મ્હેં ઝીલ્યું ગાણું ના…

ભૂલમાં કેવી ભૂલ કીધેલી,
ઉરની ભણી આંખ મીંચેલી,
મ્હેં જ મને ના ઓળખી વહેલી,
પૂનમ ખીલી પોયણે , સુધા
પાન મ્હેં ત્યારે માણ્યું ના…

– રાજેન્દ્ર શાહ