Category Archives: ગીત

આજ વાદળીએ આખી રાત – કૃષ્ણલાલ શ્રીધરાણી

સ્વર : ગાર્ગી વોરા
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

.

કાવ્યસંગીત: મનનો રવિવાર ને એકાન્તનો શણગાર

કૃષ્ણલાલ શ્રીધરાણી (જન્મતારીખ:16/09/1911):

શ્રીધરાણીની 111મી જન્મજયંતિએ ગુજરાત યુનિવર્સીટીએ ‘કૃષ્ણલાલ શ્રીધરાણી ઍકેડેમિક ચૅર’ એટલે કે જ્ઞાનપીઠની ઘોષણા કરી એનો અત્યંત આનંદ છે.

2010-11માં શ્રીધરાણીના જન્મશતાબ્દિ વર્ષમાં વિશ્વકોશમાં એમનાં ગીતો ગાવાનો મોકો મળ્યો. પછી સપ્ટેમ્બર 2011માં એમના વતન ભાવનગરમાં કવિશ્રી વિનોદ જોશીએ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી અને દક્ષિણામૂર્તિ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજેલા એક દિવસીય પરિસંવાદમાં પણ એમનાં ગીતો ગાયાં.

શાળામાં ગુજરાતી વિષયમાં એમનાં બે કાવ્યો હતાં -એક તે ‘ભરતી’ સૉનેટ જે પૃથ્વી છંદમાં છે ને બીજું તે ગીત ‘સ્વમાન’-
‘માન તમારે હાથ ન સોંપ્યું કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ, શર સૌ પાછાં પામશો.’

કવિએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સીટી સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં અભ્યાસ કરેલો. હું પણ કોલંબિયા યુનિવર્સીટી સ્કુલ ઓફ લૉનો વિદ્યાર્થી.એટલે કવિને મળ્યો ન હોવા છતાં (મારા જન્મ પહેલાં એમનું અવસાન થયું હતું) ‘કોલંબિયા કનેક્શન’ને લીધે તો કવિ સાથે ને એમનાં કાવ્યો સાથે ‘ઇન્સ્ટન્ટ કનેક્શન’ થઇ ગયું.
આ ગીત ‘વર્ષા-મંગલ’ કાવ્યગુચ્છમાં છે. મારૂં આ પ્રિય સ્વરાંકન છે. લોકઢાળ કે શાસ્ત્રીય રાગ પર આધારિત નથી છતાં મૅલડી -રાગીયતા – આપમેળે આવી ગઈ છે.
બીજા અંતરામાં ‘એકલતા આરડે’ શબ્દો અસર કરી ગયા. ચિનુ મોદીના ગીતની પ્રથમ પંક્તિ યાદ આવી-
‘પાળિયાની જેમ મારી એકલતા આરડે
પાધરની જેમ તમે ચૂપ’.
– અમર ભટ્ટ

તો માણો શ્રીધરાણીનું ગીત-

આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું
મેહુલાએ માંડી મીટ;
ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું!

નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાં 
એની ફાટ ફાટ કાય;
એની છાતી ના સમાય;
ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં!

ઉરને એકાંત ગોખ એકલતા આરડે !
કોઈ આવો વેચાઉ;
જ્યાં દોરો ત્યાં જાઉં;
મારા અંગ અંગ ભૂખ્યાં;
ઝરો પ્રેમરસ! સૂક્યાં;લઇ જાઓ !
આ એકલતા શેય ના સહાય! 
વર્ષા રડે, રડું હું તોય ના રડાય!  
– કૃષ્ણલાલ શ્રીધરાણી 

પાછલા તે પહોરની – બાલમુકુંદ દવે

પઠન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5

.

પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા,
સૌ રે ઊંઘે ને અમે જાગતાં જી રે!
ઓશીકાં ઉપર બે ઓઢાડી ધાબળા,
ચૂપચાપ ભાઈ-બહેન ભાગતાં જી રે.

બિલ્લીપગે તે અમે ઉઘાડ્યા આગળા,
બાપુ ને બા તે શું જાણતાં જી રે!
હાથમાં તે હાથ લેઈ ભાગ્યાં ઉતાવળાં,
ખુલ્લી હવાની મોજ માણતાં જી રે.

ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો,
ધોળાં તે ધોળાં અજવાળિયાં જી રે;
ખેતરને કોતરને ચાલ્યાં વટાવતાં,
ખૂંદી વળ્યાં તે આંબાવાડિયાં જી રે!

રૂપા તે રંગની રેતી વેરાયેલી,
પાસે વહે છે વહેણ વાંકડુ જી રે;
છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું;
શાનું ગોઠે ઘર સાંકડું જી રે!

ઊડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી,
આજ એને ઊડી જતી ખાળવી જી રે;
છેડો ઝાલીને એનો જાવું આકાશમાં,
જોવું છે કોણ એનો સાળવી જી રે!

ખોળો ભરી વીણી શંખલાં ને છીપલાં,
આખાય વાદળમાં વેરવાં જી રે;
ઊંચે તે આભથી લાવીને તારલા,
ધરતીને ખોળે ખંખેરવા જી રે.

સોનેરી કોરની લાવીને વાદળી,
ચંદરવા ચાર કોર બાંધશું જી રે;
એની તે હેઠ અમે રહેશું બે ભાઈબહેન,
ભાવતી રસોઈ રોજ રાંધશું જી રે!

– બાલમુકુંદ દવે

બંદો અને રાણી – બાલમુકુન્દ દવે

સ્વર : પ્રહર વોરા,જ્હાન્વી શ્રીમાંકર
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર

.

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઇ જી જોઇ જી.

એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઇ જી ખોઇ જી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઇ જી રોઇ જી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઇ જી લોઇ જી.

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઇ જી પ્રોઇ જી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઇ જી દોઇ જી.

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઇ જી જોઇ જી.

ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઇ જી સોઇ જી.

-બાલમુકુન્દ દવે

ગ્લૉબલ કવિતા : ૧૫૨ : તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ

She dwelt among the untrodden ways

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.

She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે

તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે
ગંગાના ઝરણાંઓ પાસે,
મુગ્ધા જેને વખાણનારું કોઈ નથી ને
ભાગ્યે જ કોઈ એને ચાહે.

જાંબુડી ફૂલ શેવાળિયા પથ્થરની પાસે
આંખોથી અડધું જે ઓઝલ!
– તારા જેવી શુભ્ર પ્રકાશિત, નભમાં જ્યારે
હો સાવ જ એ એકલદોકલ.

રહી અણજાણી જીવી, ને ભાગ્યે જ કો’ જાણે
કે લ્યુસી ક્યારે થઈ ગઈ ઢેર;
પણ એ તો સૂતી છે એની કબર મહીં, ને,
રે રે ! પડ્યો જે મુજને ફેર!

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

જ્યાં ના પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ…

વસ્તુ હોય કે વ્યક્તિ- આપણે ઘણીવાર એને હાંસિયામાં ધકેલી દઈને જીવી જતાં હોઈએ છીએ. મહત્ત્વનું ન લાગે એને આપણે જોયું-ન જોયું કરીને આગળ નીકળી જઈએ છીએ. ખેર, એ આપણો સ્વભાવ છે. બિનજરૂરી વ્યક્તિ કે વસ્તુની અવગણના આપણા રંગસૂત્રોમાં વણાઈ ગયેલ છે. પણ કળાકાર નામનું પ્રાણી જરા હટ કે છે. જમાના આખાએ જેનું મૂલ્ય શૂન્ય આંકી દીધું હોય એમાંથી પણ મૂલ્યવાન જન્માવવું એની ફિતરત છે. રંગોના લસરકાઓમાં કે શબ્દોના શિલ્પથી કળાકાર અલ્પગણ્યને અગ્રગણ્ય અને મૂલ્યહીનને અમૂલ્ય બનાવી દે છે. મોનાલિસા નામની સ્ત્રી કોણ હતી એ આજેય કોઈ જાણતું નથી, પણ લિઓનાર્ડોએ પીંછીના ચંદ લસરકાઓથી એને અજરામર બનાવી દીધી. જેનું સૌંદર્ય કોઈ જોઈ શકતું નથી, કળાકાર જોઈ લે છે. જેની કોઈને તમા નથી, કળાકાર એની તમા રાખે છે. માટે જ કહ્યું છે ને કે જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં કદાચ સૂર્ય પણ નહોતો પહોંચી શકતો,એવા કોઈક જંગલમાં અજાણી જિંદગી જીવી ગયેલી લ્યુસીને વર્ડ્સવર્થે એની કવિતામાં અમરત્વ આપ્યું છે.

વિલિયમ વર્ડ્સવર્થ. ઇંગ્લેન્ડના લેક ડિસ્ટ્રિક્ટના કમ્બરલેન્ડ પરગણાના કોકરમાઉથ ખાતે ૦૭-૦૪-૧૭૭૦ના રોજ વકીલ પિતા જૉન તથા એનના ઘરે જન્મ. જે રીતે ઇન્ગ્લેન્ડના વાયવ્ય ખૂણામાં આવેલા આ લેક ડિસ્ટ્રિક્ટની મુલાકાત ‘લેક પોએટ્સ’ની જાણકારી વિના અધૂરી છે એ જ રીતે વર્ડ્સવર્થ, કોલરિજ, તથા સાઉધી જેવા લેક પોએટ્સની કવિતાનું સાચું સૌંદર્ય લેક ડિસ્ટ્રિક્ટની જાણકારી વિના પૂરું માણી નહીં શકાય. એક તરફ આ પ્રદેશે આ અને અન્ય કવિઓની રચનાઓને અનવરત પ્રેરણા પૂરી પાડી તો બીજીતરફ આ કવિઓની રચનાઓમાં પ્રાદેશિક સૌંદર્ય કાબેલ ફોટોગ્રાફરે ખેંચેલા ઉત્તમ ફોટોગ્રાફ્સની જેમ ડગલે ને પગલે ઉજાગર થયું છે. ૮ વર્ષની વયે માતા અને ૧૩ વર્ષની વયે પિતાને ગુમાવ્યા. પણ ત્યાં સુધીમાં પિતાના આગ્રહના કારણે વર્ડ્સવર્થ સાહિત્યસાગરના મરજીવા બની ચૂક્યા હતા. બાળપણમાં અનાથાવસ્થાના કારણે ગરીબીનો શિકાર વર્ડ્સવર્થ કાકાઓની મદદથી ભણ્યા. કેમ્બ્રિજ સુધી ગયા. ૧૭ વર્ષની વયે એમનું પ્રથમ સૉનેટ ધ યુરોપિયન મેગેઝીનમાં છપાયું અને સાહિત્યકારની કારકિર્દીનો પ્રારંભ થયો. ફ્રાન્સ ગયા ત્યાં ફ્રેન્ચ રિવૉલ્યુશનની સાથે એનેટ વેલોનમાં રસ પડ્યો અને એની સાથેના સંબંધથી ૧૭૯૨માં કેરોલિન નામની છોકરી જન્મી. છોકરીને ભરણપોષણ માટે વર્ષોવર્ષ નિયત રકમ ચૂકવી એનું ધ્યાન રાખ્યું પણ કવિએ ઇંગ્લેન્ડ પરત આવીને લગ્ન બાળપણની સખી મેરી હચિસન સાથે કર્યા. લેક ડિસ્ટ્રિક્ટ ખાતે સ્થાયી થયા. પાંચ સંતાન થયાં, જેમાંથી ત્રણનું મૃત્યુ કવિના જીવનકાળ દરમિયાન જ થઈ ગયું. બહેન ડોરોથી આજીવન પડછાયાની પેઠે એમની સાથે જ રહી. કવિએ ‘એણે મને આંખો આપી છે, એણે મને કાનો આપ્યા છે’ કહીને બહેનનું ઋણ સ્વીકાર્યું છે. બહેન અને પત્નીનો વર્ડ્સવર્થના જીવનમાં બહુ મોટો ફાળો રહ્યો. કવિને ફર-વા હતો એટલે જિંદગીભર મુસાફરી કરતા રહ્યા. કોલરિજની સાથે દોસ્તી રોજ સાથે ચાલવા જવાનું નિમિત્ત બની અને આ ‘વૉક’ની જ ફળશ્રુતિ એટલે બંનેનો સહિયારો અમર સંગ્રહ –‘લિરિકલ બેલડ્સ’. શરૂમાં ધ્યાન ન ખેંચી શકેલી એમની કવિતા ઝડપભેર ખ્યાતિના આકાશને ચુંબી ગઈ. ૧૮૪૨ની સાલમાં એમને રાજ્ય તરફથી ૩૦૦ પ્રાઉન્ડનું વર્ષાસન મળ્યું અને જિંદગીના આખરી દસકામાં, ૧૮૪૩માં એમને રાજકવિનું સન્માન પણ મળ્યું. પોતાના ભારીખમ્મ ઇગો સાથે જીવનાર સર્જક તો તો ઘણા જોવા મળશે પણ પોતાના વજનદાર ઇગોને જીરવનાર જમાનો પણ જીવતેજીવત પામે એવા સર્જક તો જૂજ જ. જનાબ આવા ‘રેરેસ્ટ’માં સ્થાન પામે છે. ૨૩-૦૪-૧૮૫૦ના રોજ પ્લુરિસીના કારણે રિડલ માઉન્ટના એમના ઘરમાં જ મૃત્યુ.

વર્ડ્સવર્થને ઇન્ગ્લેન્ડના શ્રેષ્ઠ કવિ તરીકે ઓળખનાર લોકોનો તોટો નહીં જડે. કોલરિજની સાથે ભાગીદારીમાં પ્રગટ કરેલ ‘લિરિકલ બેલડ્સ’થી અંગ્રેજી સાહિત્યમાં સુપ્રસિદ્ધ ‘રૉમેન્ટિક’ ક્રાંતિ અને યુગના શ્રીગણેશ થયા. કવિતા વિશેની એમની બહુખ્યાત વ્યાખ્યા, ‘કવિતા બળવત્તર સંવેદનાઓનો સ્વયંસ્ફૂર્ત ઉભરો છે, જે પરમ શાંતિમાં એકત્ર થયેલ લાગણીમાંથી જન્મે છે’ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. કવિતા વિશેની એમની ‘તીવ્ર’ માન્યતા હતી કે કવિતાનો વિષય સામાન્ય જનજીવનમાંથી, બહુધા ગ્રામ્યજીવનમાંથી જ પસંદ કરેલો હોવો જોઈએ કેમકે હૃદયના આવશ્યક આવેગ એ જ જમીનમાં પુખ્તતા પામી શકે છે. તદુપરાંત કવિતાની ભાષા પણ રોજિંદા જીવનની જ હોવી જોઈએ અને ગદ્ય અને છાંદસ ભાષા વચ્ચે કોઈ જ તફાવત હોવો ન જોઈએ. કવિ ઘણે અંશે આ માન્યતાને જડની જેમ વળગી પણ રહ્યા હતા પણ એમના જ અંગતતમ મિત્ર કોલરિજે આ બાબતમાં જાહેરમાં એમના છોતરાં ફાડ્યાં હતાં. સાહિત્યજગતની ઉત્તમોત્તમ મૈત્રીમાંની એક આ કારણ સિવાય, બંનેના વ્યક્તિત્વના ભેદભાવ, કોલરિજનું અફીણનું વ્યસન અને ગાંડપણ, તથા વર્ડ્સવર્થની સાળી સાથે કોલરિજના લગ્નથી જન્મેલ કજોડું –જેવા કારણોસર પડી ભાંગી. તોય કોલરિજના મૃત્યુ બાદ વર્ડ્સવર્થે એના પુત્રની સાળસંભાળ રાખી હતી. કવિતાની સાદગી અને સૌંદર્યની બાબતમાં વર્ડ્સવર્થને ભાગ્યે જ કોઈ અતિક્રમી શકે. એ રીતે જોતાં એમનું નામ વર્ડ્સવર્થ -શબ્દો જેમને લાયક છે- યથાર્થ છે.

પ્રથમ પંક્તિ કવિતાનું શીર્ષક પણ છે. ૧૭૯૮માં લખાયેલી આ કવિતા પ્રકારની દૃષ્ટિએ લિરિક છે. બર્ન્સ કે શેલીની જેમ લિરિકલ પોએટ્રીના માસ્ટર ન હોવા છતાં એ એમને ઠીકઠાક માફક આવી છે. એમના સૉનેટ જોકે અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠતમ ગણાય છે. લિરિકલ-પોએટ્રી યાને કે ઊર્મિકાવ્ય કે ભાવગીત નામ પ્રમાણે જ ઊર્મિપ્રધાન-ભાવપ્રધાન હોય છે, વિચારપ્રધાન નહીં. આ કવિતાઓ જ્યારે તમારી અંદરથી પસાર થાય છે ત્યારે દિલને પહેલાં સ્પર્શે છે, મગજને પછીથી. અહીં પ્રસ્તુત રચના પણ સીધી દિલને જ સ્પર્શી જાય છે. આ ઊર્મિગીત શોકગીત (Elegy) અને લોકગીત (Ballad)– બંનેની લાક્ષણિકતાઓ ધરાવે છે. શોકગીત કેમ છે એ તો દેખીતું જ છે. સાથોસાથ લોકગીતના લક્ષણો પણ અહીં છે જેમ કે, છંદ તથા પ્રાસ. ત્રણ ચતુષ્કમાં વારાફરતી આયમ્બિક ટેટ્રામીટર અને ટ્રાઇમીટર તથા ABAB પ્રકારની પ્રાસવ્યવસ્થા અહીં પ્રયોજાઈ છે. લોકગીતની અન્ય લાક્ષણિકતા મુજબ કવિતા ટૂંકી છે, સરળ અને સીધી ભાષામાં લખાઈ છે અને એમાં કથા પણ વણી લેવામાં આવી છે. કવિતા રૉમેન્ટિક પોએટ્રીનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારના ઇંગ્લેન્ડમાં રોમાન્સ, રોમેન્ટિક, રોમાન્ટિસિઝમનો અર્થ આજે આપણે જે પ્રેમ સંબંધી અર્થ તારવીએ છીએ એ નહોતો. રોમાન્સ શબ્દ ‘રોમન’ પરથી ઊતરી આવ્યો હતો. એ સમયે રોમાન્સ એટલે વ્યક્તિગત હીરોગીરી આધારિત મધ્યયુગીન રાજવી પરાક્રમોની વાર્તા કે ગીતગાથા. એના પરથી પ્રવર્તમાન ‘ક્લાસિકલ’ પ્રવાહની વિરુદ્ધ વ્યક્તિગત લાગણીઓનો ઊભરો અને પ્રકૃતિના નાનાવિધ સ્વરૂપોની આરાધના કરતો જે કળાપ્રવાહ ઊભરી આવ્યો એ રોમાન્ટિસિઝમ કહેવાયો અને વર્ડ્સવર્થ એના મુખ્ય પ્રણેતા ગણાય છે. વર્ડ્સવર્થની આ કવિતા રોમેન્ટિક યુગનો આયનો છે. વિષય અને કાવ્યપદ્ધતિ –બંને રીતે આ રચના રોમાન્ટિસિઝમના લક્ષણ ધરાવે છે. સીધી-સરળ ભાષા, સહજ અભિવ્યક્તિ, અંગત લાગણી, ગ્રામ્યજીવન અને કુદરતનું મહત્ત્વ, પારંપારિક પૌરાણિક પાત્રોની ગેરહાજરી અને લાઘવ- રોમાન્ટિસિઝમની આ તમામ કસોટી પર આ કાવ્ય ખરું ઉતરે છે. ચુસ્ત પ્રાસ જાળવવા જતાં કદાચ કવિતા બહારના શબ્દો કવિતામાં લાવવાની ફરજ પડે એ બીકે અનુવાદ કરતી વખતે ચુસ્ત પ્રાસનો મોહ જતો કરવો પડ્યો છે.

આ કવિતા ‘લ્યુસી’ નામના કાલ્પનિક પાત્ર માટે લખાયેલી છે. વિશ્વ સાહિત્યમાં કાલ્પનિક કે મનગમતી પણ હાથવગી ન થઈ શકે એવી સ્ત્રીને સંબોધીને કવિતાઓ લખવાનો ચીલો નવો નથી. છેક ચૌદમી સદીમાં ઇટાલીના પેટ્રાર્કે (જેને દુનિયા આજે સૉનેટ કાવ્યસ્વરૂપના પિતા ગણે છે) લૉરા ડિ નોવ્સ નામની સ્ત્રી માટે સૉનેટ્સ લખ્યા. જેના પરિપાકરૂપે આવનારી સદીઓ સુધી આવા કૃત્રિમ પ્રણયકાવ્યો લખવાની પ્રણાલિકા સ્થાપિત થઈ જે ‘પેટ્રાર્કન કન્વેન્શન’ તરીકે ઓળખાયું. દાન્તે જેવા દિગ્ગજ કવિએ પણ બિટ્રિસ પોર્ટિનારી માટે આવા પ્રણયકાવ્યો લખ્યાં. શેક્સપિઅરના સૉનેટ્સમાં કોઈક પુરુષપાત્ર માટેનું સમલૈંગિક આકર્ષણ સદાકાળ ચર્ચાનો વિષય છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, ચન્દ્રવદન મહેતાની ‘ઈલા’, ખલીલ ધનતેજવીની ‘અનિતા’ એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’…! લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આજે પણ કલ્પનાનો વિષય છે. કવિએ પોતે કદી આ પાત્રની હકીકત ઉપર પ્રકાશ ફેંક્યો નથી. પણ ‘લિરિકલ બેલડ્સ’ના કાવ્યો બહુધા વાસ્તવિક જીવનમાંથી આવ્યા હોવાથી લ્યુસીને સાવ જ કપોળકલ્પિત ગણી લેવી પણ સર્વથા યોગ્ય નથી. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ વિશદ ચર્ચા જગાવી છે. એમની એક કવિતા ‘લ્યુસી ગ્રે’નો ઉત્તમ ભાવાનુવાદ ‘મીઠી માથે ભાત’ કવિતામાં શ્રી વિઠ્ઠલરાય આવસત્થીએ કર્યો છે. પ્રસ્તુત કાવ્યમાં શરૂમાં બે બીજા પણ ચતુષ્ક હતાં, જેને કવિએ પાછળથી કાઢી નાંખ્યાં હતાં. મૂળ કાવ્યની શરૂઆત આ હતી:

આશ હતી જે મારી, એ શહેરોથી આઘે,
ઊછરી એકાકી વગડામાં;
હોઠ રતુંબલ એના લાલ ગુલાબ જ જાણે,
વાળ ફૂલોની જાણે માળા.

(My hope was one, from cities far,/Nursed on a lonesome heath;/Her lips were red as roses are,/Her hair a woodbine wreath.)

કવિતાની શરૂઆત નાયિકા વણકચડાયેલ માર્ગો વચ્ચે, ઝરણાંઓ પાસે રહેતી હતી ત્યાંથી થાય છે. કવિતા અંતભાગે પહોંચે છે ત્યાં સુધી નાયિકાનું નામ, અને એ મરી ચૂકી છે એ માહિતી ગુપ્ત રહે છે. પણ ‘રહેતી’તી’ કહીને કવિ આ ઘટના ભૂતકાળની હોવાનો ઈશારો તો કાવ્ય ઊઘડતાવેંત જ કરી દે છે. વણકચડાયેલા રસ્તાઓ માત્ર જંગલના નથી, લ્યુસીના વ્યક્તિત્વના પણ છે, મનોજગતના પણ છે અને અબોટ સેક્સ્યુઆલિટિના પણ છે. લ્યુસીના દિલ સુધી, મન સુધી, શરીર સુધી કદાચ કોઈ પહોંચી શક્યું નહોતું. એ રસ્તાઓ કોઈએ હજી સુધી કચડ્યા નથી. એ ઝરણાંઓ પાસે રહે છે. ઝરણાં શબ્દ સાથે જ આપણાં માનસપટ પર સ્વચ્છ, તાજું, શીતળતાદેય, વહેતું પાણી તરવરી આવે. એક કુંવારિકાની તાજપ, અક્ષુણ્ણતા અને ચંચળતા- આ બધું કવિ એક જ વિશેષણમાં રજૂ કરી દે છે. આ શબ્દની તાકાત છે અને વર્ડ્સવર્થ જેવાને એ હસ્તગત છે. બધું હોવા છતાં આ મુગ્ધા, આ સુંદરી દુનિયાની નજરોથી એ રીતે દૂર છે, કે એને વખાણનાર કે ચાહનાર કોઈ નથી. થોમસ ગ્રેની ૧૨૮ પંક્તિની ‘એલિજી રિટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’ કવિતા યાદ આવે: ‘ઘણાં ફૂલ વણદેખ્યાં રહી જવા અને એમની મીઠાશ રેગિસ્તાનની હવાઓમાં વેડફી દેવાને માટે જ જન્મ્યાં હોય છે.’

લ્યુસી ક્યાં રહે છે એ કહ્યા બાદ એ કેવી છે એ તરફ કવિનો કેમેરા ફરે છે. પથ્થર લાંબો સમય ઝરણાં પાસે પડી રહે એટલે સમય એના પર શેવાળ બનીને ફરી વળે. કવિ લ્યુસીને પથ્થર પાછળથી ઊગી આવતું પણ પથ્થરના કારણે અડધું જ નજરે ચડતું અર્ધનિમીલિત આંખ જેવું જાંબુડી ફૂલ કહે છે. તકલીફો પછીતેથીય ઉપસી આવતું પણ વણપ્રીછ્યું જ રહી ગયેલું લ્યુસીનું વ્યક્તિત્વ અને એની સુંદરતા- બંને અહીં છતા થયાં છે. લ્યુસીનું સૌંદર્ય એકલપંડા તારા જેવું છે. વીનસ યાને શુક્રનો તારો મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર તરીકે ઓળખાય છે. રાત પડે ત્યારે અને સવાર પડવાની હોય એ વખતે, બીજા એકેય તારાઓ દૃષ્ટિગોચર થતા ન હોય એ સમયે શુક્રગ્રહ એકલવાયો પ્રકાશતો જોવા મળે છે. જો કે શુક્રના અતિપ્રકાશિત અને સર્વવિદિત ગ્રહ સાથે કવિ અણજાણ જિંદગી જીવી ગયેલી લ્યુસીને સરખાવે છે જરા અજુગતું પણ લાગે છે. જો કે લ્યુસી શબ્દ લેટિન શબ્દ લક્સ યાને પ્રકાશ પડતી ઊતરી આવ્યો છે, એ જોતાં જંગલમાં એકલી હોવા છતાં દેદિપ્યમાન સૌંદર્યની સામ્રાજ્ઞી લ્યુસીની એકલવાયા તારાના પ્રકાશ સાથેની સરખામણી યથાર્થ પણ જણાય છે. વળી, શુક્ર એટલે કે વિનસ ગ્રીક પુરાકથાઓમાં સૌંદર્ય, પ્રેમ અને કામની દેવી છે, એ વાત પણ આ સરખામણીને ટેકો આપે છે. આકાશમાં એક જ શુભ્ર પ્રકાશિત તારો દૃષ્ટિગોચર થતો હોય એમ અવાવરુ જંગલમાં ઝરણાકાંઠે લીલબાઝ્યા પથ્થર પાછળ ખીલેલા એકાકી રંગીન પુષ્પ જેવી એ શોભાયમાન છે…

આખરી બંધમાં યુવતીનું નામ અને એના અકાળ મૃત્યુના સમાચાર આપણને મળે છે. સરનામાં વિનાની ટપાલ જેવી ઓળખાણરહિત જિંદગી એ જીવી ગઈ અને કદાચ એ હવે નથી રહી એની પણ બહુ લોકોને ખબર નહીં હોય. અન્ય એક લ્યુસી કાવ્યમાં કવિ લખે છે: ‘તે મરી ગઈ, અને મારા માટે આ ઉજ્જડ વગડો, આ શાંતિ અને આ નિઃસ્તબ્ધ દૃશ્ય છોડી ગઈ.’ અન્ય લ્યુસી કાવ્યમાં એના મૃત્યુનો ઉલ્લેખ આ રીતે છે: ‘તેની પાસે હવે નથી કોઈ ગતિ, નહીં બળ; એ નથી સાંભળી શકતી, નથી જોઈ.’ જેને કોઈ જાણતું નહોતું એવી સૌંદર્યવતી લ્યુસી હવે કબરમાં જઈ સૂતી છે એમ કહ્યા પછી કવિ ‘રે રે’ના વિસ્મયોદ્ગાર સાથે આ ઘટનાથી પોતાને પડેલા ફરકનો સ્વગતોચ્ચાર કરીને કાવ્ય પૂર્ણ કરે છે.

જિંદગી જેમને ધ્યાનમાં નથી લેતી કે કદર નથી કરતી એ તમામ લોકો માટે કદાચ કવિનું આ કલ્પાંત છે. એવા તારાઓ જે એકલા જ પ્રકાશે છે, મુસાફરી કરે છે અને બળીને અંતે ખતમ થઈ જાય છે. શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ પાછળ આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય! બીજી રીતે જોઈએ તો આ કવિતા કદાચ લ્યુસીની ઓછી છે અને કવિની વધારે છે. કદાચ લ્યુસીની જિંદગી અને મોત કરતાં પણ કવિની સંવેદનશીલતાનું અહીં વધુ મહત્ત્વ હોય એમ પણ અનુભવાય. એક લગભગ ગુમનામ કુમારિકા જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે? પણ કવિ પોતાને પડેલા ફરકની વાત કરીને અટકે છે, ભાવકને અટકવા મજબૂર કરે છે. આગળ કહ્યું એમ વર્ડ્સવર્થ જીવનભર પોતાના અહમનો ભાર ઊંચકીને ચાલ્યા. અહીં દેખીતી રીતે તો કવિ લ્યુસી જેવા એકલવાયા ગુમનામ જીવ પરત્વેની પોતાની દરકાર-પોતાનો ફરક અધોરેખિત કરે છે, પણ આ વાત શેવાળ-છાયો પથ્થર ફૂલને ગમે એટલું ઢાંકે તોય એ અડધુંપડધું દેખાઈ આવે એના જેવી છે. તુચ્છ મનુષ્ય માટે પણ ઉદાત્ત મમતા દાખવીને કવિ ભાવક સામે માત્ર પોતાની તીવ્ર ઊર્મિશીલતા અને સ્નેહભાવ જ ઉજાગર કરવાની કોશિશની આડમાં પોતાનો અહમ છૂપાવવા ઇચ્છે છે પણ કવિની આત્મશ્લાઘાપૂર્ણ પ્રયુક્તિ ન ઇચ્છવા છતાંય છતી થઈ જાય છે. ટૂંકમાં, આ ગીત ક્દાચ એકલી લ્યુસીની જ નહીં, કવિની પોતાની એકલતા અને ખોટનું કરુણપ્રશસ્તિ કાવ્ય છે.

કવિતા એવી ટૂંકી ટચરક છે, કે શરૂ થવાની સાથે જ અંત પામે છે. લ્યુસીના ટૂંકી જીવનરેખા સાથે એ એકદમ સુસંગત છે. સરળ ભાષામાં કવિએ આખી રચનામાં મોટાભાગે એક-એક શબ્દાંશ (single syllables)વાળા શબ્દો જ વાપર્યા હોવાથી કવિતાનો ભાવ દિલને વધુ નજીકથી સ્પર્શવામાં સફળ રહે છે. શબ્દો અને વર્ણનની કરકસર વાતને વધુ અસરદાર બનાવે છે. લ્યુસીની સાદગી સાદી ભાષાના કારણે તાદૃશ થાય છે. પોતાને પડેલા ફરકનો ઉલ્લેખ માત્ર કરીને કવિ પોતાને પડેલા ફરકને અલ્પોક્તિ વડે જે સિફતથી હાઇલાઇટ કરે છે, એ બહુ ઓછા કવિઓ કરી શકે છે. પરિણામે સવા બસો જેટલાં વર્ષોના વહાણાં વાઈ ચૂક્યાં હોવા છતાં આ કવિતા આજે પણ વિશ્વભરના ભાવકોને પ્રભાવિત કરે છે.

તારી શીતળ છાયલડીમાં – દુલા ભાયા ‘કાગ’

તારી શીતળ છાયલડીમાં સહુને સુવડાવજે,
તું તપજે તારા સંતાપ એકલો….

દધી તરવા સાગરના તેડાં સહુને કરજે,
બુડી જાજે આશા ભર્યો તું એકલો … 

તારી ફોરમમાં ફોરમ સહું કોઈની ભેળવજે, 
તું રહેજે બદબોનો ધણી એકલો …

ફૂલ- ફૂલના ઘાવો સાથીને આપી દેજે ,
તું સહેજે દ્યણોનો ઘાવ એકલો … 

ધન છોડ્યું રેલવજે, સહુને વહેંચી દેજે, 
લઇ જજે ગરીબી ભાગ એકલો ….

ચૌદ રત્નો મંથનના વિષ્ણુને આપી દેજે , 
શિવ થાજે સાગર કિનારે એકલો….

કોઈ નિર્દોષ ફાંસીએ લટકેલ ને જીવાડી,
ચડી જજે શૂડી પર તું એકલો …. 

તારા રકતોનાં તરસ્યાની તૃષ્ણા ઓલવવા,
તું પાજે રુધિર તારું એકલો ….

હોશિયારીની ગાંસડીઓ સહુને બંધાવજે ,
છેતરાજે સમજ્યાં છતાં તું એકલો ….

તારા વસ્ત્રોની પાંખે જાગને ઢાંકી દેજે ,
તું રહેજે ઊઘાડો બસ એકલો …

ખુશ -ખુશના ભાર સહુની આગળ ધરી દેજે ,
લઇ લેજે ઊનો નિસાસો એકલો …. 

તારાં વૈકુંઠના નાકે જગને તેડાં કરજે ,
તું જાજે દો જખમાં બસ એકલો …

તારા કોમળ વાજિંત્રો મિત્રોને આપી દેજે, 
લઇ લેજે તંબુરો તારો એકલો …

તારાં હંસના ટોળામાં સહું કોઈને ભેળવજે,
ને રહેજે તું કાળો કાગ એકલો … 
-દુલા ભાયા ‘કાગ’ 

ગ્લૉબલ કવિતા : ૧૪૯ : ગુલાબ લાલ, લાલ – રોબર્ટ બર્ન્સ

A red, red rose

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

ગુલાબ લાલ, લાલ

રે! મારો પ્રેમ છે ગુલાબ લાલ, લાલ સમ,
તાજું જે ખીલ્યું જૂનમાં,
રે! મારો પ્રેમ જાણે સંગીતની સરગમ,
બજે જે મીઠી સૂરમાં.

છોરી! તું જેટલી છે સુંદર ને ગોરી,
હું એટલો પ્રેમમાં ગરક:
ને તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો સાગર થાય સૂકાભટ:

છો સાગર થાય સૂકાભટ ને, મારી વહાલી,
સૂર્ય સંગ પહાડ પીગળી જાય:
તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો જીવનરેત સરકી જાય.

ને અલવિદા, ઓ મારી એકમાત્ર પ્રિયા !
ને અલવિદા, બસ, થોડી વાર!
ને હું પાછો ફરી આવીશ, મારી પ્રિયા,
ભલે જોજન હો દસ હજાર.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય કવિનું લાલચટ્ટાક પ્રેમગીત

પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિ તથા અભિવ્યક્તિમાં અતિશયોક્તિ એ આદિકાળથી મનુષ્યમાત્રની અનિવાર્યતા રહી છે. આજપર્યંતના પ્રેમીઓએ પ્રેમિકાઓને આપેલા વચન મુજબ જો આકાશમાંથી ચાંદ-તારા તોડી શકાયા હોત તો આજે આકાશ ચાંદ-તારા વગરનું હોત. પણ ઉભય પક્ષે અપાતા વચનો અશક્ય હોવાની સમજૂતિ હોવા છતાં પ્રેમને આ વચનોની આપલે વિના ચાલતું નથી એ પણ હકીકત છે. પ્રેમની ઘણીકે બાબત અસંભવ હોવા છતાં આપણને આકર્ષે છે, કેમકે પ્રેમ આંખોને સ્વપ્નો જોતાં શીખવે છે. પ્રેમ અસંભવના ફેફસાંમાં સંભવિતતાના વિશ્વાસનો પ્રાણવાયુ પૂરો પાડે છે. પ્રેમમાં અકલ્પનીય પણ હાથવગું લાગે છે અને ઝાંઝવાથી પણ યુગયુગોની તૃષા છીપે છે. પ્રસ્તુત રચનામાં બર્ન્સ પ્રેમની આ વિભાવનાઓને ચરિતાર્થ કરી બતાવે છે.

રૉબર્ટ બર્ન્સ. ૨૫-૦૧-૧૭૫૯ના રોજ સ્કૉટલેન્ડના કાઇલ જિલ્લ્લાના ઍરશાયર નજીકના એલોવે ગામમાં ખેડૂત પિતાએ હાથે બનાવેલા માટીના ઝૂંપડામાં જન્મ. ગરીબ પણ ખંતીલા ખેડૂતના સાત સંતાનોમાં સૌથી મોટા રૉબર્ટ ‘જ્યાં જાય ઉકો, ત્યાં પડે સૂકો’ જેવું નસીબ લઈ જન્મ્યા હતા. ઔપચારિક શિક્ષણ અને સમૃદ્ધિના અભાવમાં બાળપણથી જ ખેતમજૂરીમાં જોતરાયા. આકરી મજૂરીના કારણે શરીરનો બાંધો નબળો રહ્યો અને ખૂંધ નીકળી આવી. કવિતાએ નાનપણથી જ હાથ પકડ્યો હતો અને પોતાની કવિતા લોકોને ગમે છે એ સમજાઈ જતાં જ એ સોળે કળાએ ખીલ્યા પણ સફળતા પચાવી ન શક્યા. પ્રવર્તમાન યુગના ચલણ મુજબ દારૂ, ઉડાઉપણું અને ઐયાશીથી બચી શક્યા નહીં. ઊલટું કવિ હોવાના અહેસાસે આ બદીઓ વધુ વકરાવી. ખેતીમાં નિષ્ફળ રહ્યા. એક્સાઇઝ સહિતની અનેક નોકરીઓ કરી. પણ એમની ખર્ચાળ જીવનશૈલી માટે નોકરી અને કવિતા અપૂરતાં હતાં. જિન આર્મર સાથે લગ્ન પૂર્વે અને પશ્ચાત એકાધિક પ્રેમસંબંધે પણ જોડાયા. લફરાંઓ ઉપરાંત રુઢિચુસ્ત ધર્મ અને નૈતિકતા સામેની વિદ્રોહી વૃત્તિના કારણે પણ તેઓ જાણીતા હતા. પરિસ્થિતિ અને સંગત અનુસાર પોતાનું વ્યક્તિત્વ બદલી શકનાર બર્ન્સને લોકોએ કાચિંડા પણ કહ્યા છે. સતત અજંપો, અસંતોષી સ્વભાવ, ઉદાસીના હુમલા, ઘેરા તણાવ અને બેબાક જીવનશૈલીના કારણે હૃદયના વાલ્વની (રુમેટિક) બિમારી અકાળે વકરી અને ૨૧-૦૭-૧૭૯૬ના રોજ ડમ્ફ્રીસ ખાતે એમનું નિધન થયું.

ખૂબ નાની વયે દુનિયા છોડી જવા છતાં અમર થઈ ગયા હોય એવા સાહિત્યકારોની લાંબી યાદીમાં માત્ર સાડત્રીસ વર્ષનું આયુષ્ય ભોગવનાર રૉબર્ટ બર્ન્સ માનભેર મોખરે બિરાજે છે. ઇંગ્લેન્ડના પરિવર્તન યુગમાં થઈ ગયેલ બર્ન્સ આવનાર રોમેન્ટિસિઝમ યુગના પ્રણેતા ગણાય છે. કવિતાના જૂના સ્વરૂપો, નિયમો અને પાંડિત્યપૂર્ણ ભાષાનો અંચળો ફગાવીને સીધી-સ્ટીક લોકબોલીમાં લખાયેલ એમના ગીતો સ્વયંસ્ફૂર્તતા અને નૈસર્ગિકતાના કારણે લોકદિલને સ્પર્શી ગયાં. પ્રચીન લોકગીતોના લયને એમણે પુનર્જીવન બક્ષ્યું. પ્રાદેશિક આબોહવા, સ્થળવિશેષ, રીતિરિવાજો અને લોકબોલીને પકડી લઈને સરળ પણ અદભુત શબ્દો સાથે પરણાવી દેવાની એમની અદ્વિતીય જન્મજાત અવડતના કારણે તેઓ સ્કોટલેન્ડના રાષ્ટ્રીય કવિ ગણાયા. સ્કોટિશ અને અંગ્રેજી –બંને ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં પણ સ્કૉટિશ છાંટની ભરમારવાળી બર્ન્સની કવિતા લાગણી અને અનુભવોના પ્રચંડ કાર્યક્ષેત્ર વડે અને હાસ્ય અને કરુણાને સમાન તુલામાં બેસાડ્યા હોવાથી સમસ્ત મનુષ્યજાતિને એક પરિવાર બનાવવામાં સફળ રહી છે. એમની કાવ્યપ્રતિભા એમના કટાક્ષોમાં ચરમસીમાએ પહોંચે છે. પ્રેમ અને માનવસ્વભાવની લાક્ષણિકતાઓની ઝીણામાં ઝીણી ઝાંય કવિતાઓમાં પકડવામાં એ સફળ રહ્યા છે.

પ્રથમ કાવ્યપંક્તિથી જાણીતી આ સુપ્રસિદ્ધ રચના ઉત્તમોત્તમ ગીતરચના (Lyrical poetry)નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રાચીન લોકગીતોમાં વપરાતું બૅલડ મીટર પ્રયોજીને કવિએ ચાર ચતુષ્ક વડે સોળ પંક્તિનું આ નાનકડું પણ ચુસ્ત ગીત રચ્યું છે. એકી પંક્તિઓમાં આયમ્બિક ટેટ્રામીટર (અષ્ટકલ) તથા બેકી પંક્તિઓમાં આયમ્બિક ટ્રાઇમીટર (ષટકલ) વપરાયા છે, પણ કવિતાની ૧, ૩, ૧૦, ૧૨, તથા ૧૬મી પંક્તિમાં નિયત માત્રાસંખ્યા કરતાં એક માત્રા વધારાની છે. દરેક ચતુષ્કની બીજી તથા ચોથી પંક્તિમાં ચુસ્ત પ્રાસ મેળવાયો છે, જે બૅલડ મીટરનું મુખ્ય પાસું ગણાય. આ સિવાય છેલ્લા બે અંતરામાં એકી પંક્તિઓમાં શબ્દોની પુનરુક્તિના કારણે આભાસી પ્રાસ પણ મળે છે, જેના કારણે કેટલાક એને ‘કોમન મીટર’ ગણી બેસે છે. ગુજરાતી અનુવાદમાં અષ્ટક-ષટક મુજબ યંત્રવત્ માત્રામેળ કરવાના બદલે લોકગીતનો લય જાળવવું અને અબઅબ પ્રકારે પ્રાસ મેળવવું વધુ પર્યાપ્ત જણાયું છે. આજે જેમ આપણી ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોની ભરમાર નજરે ચડે છે એમ એ સમયે કવિના અંગ્રેજીમાં સ્કૉટિશ બોલીની અસર અલગ કરી શકાતી નથી: Love (Luve), Melody (Melodie), Pretty (bonnie), Lady (Lass), Gone (Gang) વગેરે.

ઈ.સ. ૧૭૯૪માં લખાયેલા આ ગીતની અચંબાજનક હકીકત એ છે કે એ બર્ન્સનું મૌલિક સર્જન નથી. બર્ન્સે પોતે કબૂલ્યું છે કે આ ગીત એણે મેળવ્યું છે, લખ્યું નથી. સ્કૉટલેન્ડના ખેતરોમાં ગવાતાં અનેક ગીતો કવિના જાદુઈ સ્પર્શથી નવોન્મેષ પામ્યાં છે. બર્ન્સે આ ગીત કાગળ પર ઊતાર્યું એના સોએક વર્ષ પૂર્વેથી આ ગીત અસ્તિત્વમાં હતું અને કંઠોપકંઠ પેઢી દર પેઢી ઝીલાયા કરતું હતું. ‘ધ વૉન્ટન વાઇફ ઑફ કૅસલ ગેટ’ નામે જાણીતા લાંબાલચ્ચ લોકગીતમાં વચ્ચે આવતી આ પંક્તિઓ જુઓ:

Her Cheeks are like the Roses,
that blossoms fresh in June;
O shes like some new-strung Instru-ment
thats newly put in tune.

આ જ રીતે ‘ધ ટ્રુ લવર્સ ફેરવેલ’ નામથી જાણીતા લોકગીતની કેટલીક પંક્તિઓ પણ જોવા જેવી છે:

O fare you well, my own true love,
O fare you well for a while;
And I will surely return back again,
If I go ten thousand a-mile,

Shall the stars fall from the skies, my dear,
Or the rocks melt with the sun?
I will never be false to the girl of my heart,
Till all these things be done

કેટલું સામ્ય! આને ઊઠાંતરી કહીશું? ખેતરોમાં કે સામાજિક પ્રસંગોએ ગવાતાં લોકગીતો આપણે સહુ સાંભળતાં આવ્યાં છીએ પણ આ ઘાસની ગંજીમાંથી કવિતાની સોય શોધી કાઢીને સામે લઈ આવવી અને એની અપૂર્ણતાઓ અને ખામીઓને દૂર કરીને, ક્યાંકથી કોઈક શબ્દ, ક્યાંકથી કોઈક વિશેષણ, તો ક્યાંકથી વાક્ય અને ક્યાંકથી આખો અંતરો ભેગાં કરીને એક નવું જ ગીત આપવું એમાં પણ કવિની કાબેલિયત જ નજરે ચડે છે. કવિએ પોતે પ્રામાણિકતાપૂર્વક કદી આ અને આવાં કેટલાંક અન્ય ગીતો પર માલિકીદાવો કર્યો પણ નથી. આજે સવા બસો વર્ષ બાદ પણ આ ગીતે એની લોકપ્રિયતા લેશમાત્ર પણ ગુમાવી નથી, એ જ એના સર્જકની ખરી સિદ્ધિ ન ગણાય?

ખેર, આપણે ગીતના લયમાં આગળ હિલ્લોળીએ… નાયક કહે છે કે એનો પ્રેમ જૂન મહિનામાં તાજા જ ખીલેલા લાલ, લાલ ગુલાબ જેવો છે. ગુલાબની જગ્યાએ જાસૂદ કે કરણે-ચંપો હોત તો?

“0 What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet. ૧”

નામમાં શું બળ્યું છે? ગુલાબને બીજું નામ દેવાથી કંઈ સુગંધ બદલાઈ જવાની નથી. પણ બોલવું એક વાત છે અને આચરવું બીજી. નામનો મહિમા આપણે સહુ જાણીએ જ છીએ અને જિંદગી આખી આપણે નામ કમાવા પાછળ જ ખર્ચી પણ નાંખીએ છીએ. પ્યારની વાત આવે ત્યારે ગુલાબનો, ખાસ કરીને લાલ ગુલાબનો અલગ જ રુત્બો છે. વળી, કવિ લાલ શબ્દની પુનરુક્તિ કરીને ગુલાબની લાલિમાને અને પ્રેમની તીવ્રતાને દ્વિગુણે છે. પ્રેમનો લાલ રંગ સાથેનો ધ્વન્યાર્થ તમામ કાળ-સ્થળે પ્રબળતમ છે. સાદો લાલ નહીં, પણ લાલ, લાલ અર્થાત્ લાલચટ્ટાક ગુલાબ જેવો કવિનો પ્રેમ વિશ્વના તમામ પ્રેમથી વધુ બળવત્તર છે અને એય જૂન મહિનામાં તાજા ખીલેલા ગુલાબ જેવો તરોતાજા. આપણે ત્યાં જૂનમાં ચોમાસુ શરૂ થાય, પણ સ્કૉટલેન્ડમાં ઉનાળો. ઇંગ્લેન્ડ-સ્કૉટલેન્ડમાં ઉનાળાનો મહિમા જ અલગ. “Shall I compare thee to a summer’s day? Thou are more lovely and more temperate૨” (તને હું ઉનાળાના દિવસ સાથે સરખાવું? તું તો વધુ પ્યારી અને ખુશનુમા છે.) લાંબી રાતો-સૂર્યહીન દિવસોને ગુડબાય અને લાંબા હૂંફાળા પ્રકાશિત દિવસોનું વેલકમ એટલે સ્કૉટલેન્ડનો જૂન. મોસમ ખુશનુમા હોય તો માનવીનો મિજાજ પણ વધુ ઊઘડે. આવી ઊઘડતી મોસમમાં નવા ખીલેલા લાલમલાલ ગુલાબ જેવો પ્રેમચટ્ટાક પ્રેમી એની પ્રેયસીને કહે છે કે ન માત્ર તાજા ગુલાબ જેવો રાતોચોળ, મારો પ્રેમ તો સૂરમાં વાગતી ગળચટ્ટી કર્ણપ્રિય સંગીતની ધૂન જેવો છે.

પ્રેમમાં પ્રેમનું પ્રદર્શન પણ અનિવાર્ય છે (They do not love that do not show their love. ૩) પ્રેમી પોતાના પ્રેમ પર મુસ્તાક છે એ બીજા બંધમાં સમજી શકાય છે. પ્રેમી ચતુર પણ એટલો જ છે. એ એક કાંકરે બે પક્ષી વીંધે છે. પ્રેયસીના વખાણ તો કરે જ છે, પણ વખાણના ભારોભાર જાતને પણ વખાણી લે છે. કહે છે, તું જેટલી સુંદર દેખાય છે એટલો જ હું તારા પ્રેમમાં ગળાડૂબ છું. મતલબ, પ્રેમિકાને પ્રેમીના પ્રેમને લેશમાત્ર પણ ઓછો આંકવાની તક એ આપતો નથી. જો પ્રેમિકા પોતાને સંસારની સૌથી ખૂબસુરત સ્ત્રી ગણતી હોય તો એણે ફરજિયાત પ્રેમીને સર્વોત્તમ પ્રેમી પણ ગણવો જ રહ્યો. કેવું ચાતુર્ય! આ ચાતુર્ય જ બર્ન્સની કવિતાને પ્રેરિત હોવા છતાં ઉત્તમ કરાર આપે છે. અતિશયોક્તિ એ પ્રેમની પરિભાષા છે. “My bounty is as boundless as the sea, my love as deep; for both are infinite. ૪” (મારું ઔદાર્ય સમુદ્ર જેવું નિઃસીમ અને પ્રેમ એટલો જ ઊંડો છે, કેમકે બંને અનંત છે). વિશ્વના બધા જ સમુદ્રો સૂકાઈ જાય, સૂર્યની ગરમીથી બધા જ પથ્થરો-પર્વતો પીગળી જાય, જીવનની કાચની શીશીમાંથી આયુષ્યની બધી જ રેતી સરકી જાય ત્યાં સુધી અને તે છતાંય હું તને, અને માત્ર તને જ ચાહતો રહીશ. એંડ્રુ માર્વેલની ‘ટુ હિસ કૉય મિસ્ટ્રેસ’ની હજારો વર્ષની સમયરેખા પર લંબાતી અતિશયોક્તિ પણ તરત જ યાદ આવે. પણ પ્રેમ આંખથી નહીં પણ મનથી જુએ છે અને વળી આંધળો પણ છે, (“Love looks not with the eyes, but with the mind૫”; “But love is blind૬”) એટલે અતિશયોક્તિ પણ સત્ય અનુભવાય છે. અને જ્યારે પ્રેમ બોલે છે ત્યારે તમામ દેવતાઓના સ્વરથી સ્વર્ગ પણ એકરાગિતામાં લીન થઈ જાય છે. (“And when love speaks, the voice of all the Gods makes heaven drowsy with the harmony. ૭”) પ્રેમ શાશ્વતીનું મહાકાવ્ય છે. જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લેતો રહેશે અને આંખ જોવાનું છોડશે નહીં ત્યાં સુધી પ્રેમ જીવતો રહે છે અને પ્રેમીઓને જીવન પૂરું પાડતો રહે છે. (“So long as men can breathe or eyes can see, so long lives this and this gives life to thee.૮”) બીજા બંધની ચારમાંથી બે પંક્તિ ત્રીજા બંધમાં કવિ પુનઃ પ્રયોજે છે. આ પુનરોક્તિ પ્રેમના અહેસાસને વધુ ધારદાર બનાવે છે. એના કારણે નાયકની અતિશયોક્તિ સાચી માની લેવાનું આપણને પણ મન થાય છે. ત્રીજા બંધમાં આગલા બંધની બે પંક્તિ સિવાય ‘મારી વહાલી’ સંબોધન પણ દોહરાવાયું છે, જે નાયિકાને પોતાના પરના નાયકના મમત્વની સાથોસાથ પોતાના પરના વહાલની તીવ્રતા અનુભવવામાં મદદરૂપ બને છે.

પુનરોક્તિની આ રીતિ કાવ્યાંતે પણ ચાલુ રહે છે. અંતિમ બંધમાં પણ ‘અલવિદા’ની વાતની સાથોસાથ ‘મારી પ્રિયા’ સંબોધન પુનર્કથન પામે છે. પોતાને જે કહેવું છે એ વાતને અંડરલાઇન કરીને હાઇલાઇટ કરવાની કવિની આ શૈલીના કારણે જ કદાચ આ કવિતા સવા બે સદીઓ બાદ પણ પ્રેમીઓના દિલમાંથી ભૂંસી શકાઈ નથી. ગીતના અંતભાગમાં જીવનરેત ખતમ થવાના ઈશારા પછી તરત જ જુદાઈની વાત આવે છે. નાયકને કોઈક કારણોસર જુદા થવાનું થયું છે. એ જાણે છે કે જુદાઈ દુઃખ આણે છે અને સુખ તાણી જાય છે (When you depart from me sorrow abides, and happiness takes his leave૯) એટલે છૂટા પડતાં પહેલાં પ્રેયસીને પોતાના પ્રેમની ઊંડાઈ અને સત્યતાની પ્રતીતિ કરાવવા મથે છે અને ખાતરી આપે છે કે પોતે એને અને એકમાત્ર એને જ પ્રેમ કર્યો છે. દિલની ગહરાઈઓમાંથી પ્રેમ કર્યો છે. દુનિયામાં કોઈએ કોઈને કર્યો ન હોય એટલો પ્રેમ કર્યો છે અને આ પ્રેમ ન માત્ર સ્થળાતીત છે, એ કાળાતીત પણ છે. આ અલવિદા માત્ર થોડીવાર માટેની જ છે. ભલેને બે જણ વચ્ચે દસ હજાર માઈલ કેમ ન પથરાઈ પડ્યા હોય, આ જુદાઈ કે આ અંતર –જરાય લાંબાં નથી. મુસાફરી પ્રેમીઓના મિલનમાં જ પરિણમશે. (Journeys end in lovers meeting૧૦) નાયક પાછો ફરશે જ. માટે જ, પ્રતીક્ષા કે ભરોસો છોડવાના નથી. જોન ડૉનનું ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ યાદ આવ્યા વિના નહીં રહે જેમાં વિદાયવેળાએ કાવ્યનાયક નાયિકાને રડતી અટકાવવા માટે કટિબદ્ધ જોવા મળે છે. પ્રેમનું મૃદુ ઝરણ હંમેશા તાજું રહે છે… (Love’s gentle spring doth always fresh remain. ૧૧) સાચો પ્રેમ હંમેશા તરોતાજા રહે છે. સમયનો માર આ ગુલાબને કરમાવી શકતો નથી. દુનિયાની દીવાલ બે જણને લાંબો સમય અલગ પણ કરી શકતી નથી. સમયના બેવડાં પરિમાણનો પણ પ્રેમમાં પરિચય થાય છે. એક તરફ નાયકનો પ્રેમ સમય અને દુનિયા અંત પામે તોય ટકી રહે એવો અંતહીન છે તો બીજી તરફ દસ હજાર માઇલની દૂરી પણ ‘થોડી જ વાર’માં કપાઈ જવાનો અડગ આત્મવિશ્વાસ છે. સમયના આ બે અંતિમોનો કવિ એકસાથે સાક્ષાત્કાર કરાવે છે. આ પ્રેમનો ચમત્કાર છે. જે રીતે ગુલાબનું આયુષ્ય ટૂંકું છે, પણ ખુશબૂ દીર્ઘજીવી છે; એ જ રીતે આપણું જીવન નાશવંત છે પણ આપણી પ્રણયસંવેદના અમર છે એ સમજ જ આ કવિતાનો સાર છે.

[લેખમાં ટાંકેલા અંગ્રેજી અવતરણો શેક્સપિઅરના છે: (૧) રોમિઓ એન્ડ જુલિએટ, (૨) સૉનેટ નં. ૧૮, (૩) ધ ટુ જેન્ટલમેન ઑફ વેરોના, (૪) રોમિઓ એન્ડ જુલિએટ, (૫) અ મિડ સમર નાઇટ્સ ડ્રીમ, (૬) ધ મર્ચન્ટ ઑફ વેનિસ, (૭) લવ્સ લેબર્સ લોસ્ટ, (૮) સૉનેટ નં. ૧૮, (૯) મચ અડુ અબાઉટ નથિંગ, (૧૦) ટ્વેલ્ફ્થ નાઇટ, (૧૧) વિનસ એન્ડ એડોનિસ]

ચમકે ચાંદની – ઉમાશંકર જોશી

સ્વર : વૈશાલી ત્રિવેદી
સ્વરાંકન : અમર ભટ્ટ
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સંગીત : અમિત ઠક્કર

.

આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.

કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.

આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.

ઘેરું ઘેરું ગાતો નિધિ ઉછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.

આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.

ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.
– ઉમાશંકર જોશી 

નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો – દયારામ 

સ્વર: અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીતઃ અમિત ઠક્કર 
આલ્બમ: હરિને સંગે  

.

નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો , વસે વ્રજલાડીલો રે!
જે રે જાયે તે ઝાંખી પામે જી રે! 
ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે રે, હરિ ના મળે એકે ઠામે રે !

સત્સંગદેશમાં ભક્તિનગર છે રે, પ્રેમની પોળ પૂછી જાજો રે! 
વિરહતાપપોળીઆને મળી મહેલે પેસજો રે, સેવાસીડી ચડી ભેળા થાજો રે! 

દીનતાપાત્રમાં મનમણિ મૂકીને ભેટ ભગવંતજીને કરજો રે! 
હુંભાવપુંભાવ નોછાવર કરીને રે શ્રીગિરિધરવર તમો વરજો રે !

એ રે મંડાણનું મૂળ હરિઈચ્છા રે, કૃપા વિના સિદ્ધ ન થાયે રે! 
શ્રીવલ્લભશરણ થકી સહુ પડે સહેલું રે, દૈવી જન પ્રતિ દયો ગાયે રે !  
– દયારામ

રંગીલો ફાગુન ખેલીએ હો – નરસિંહ મહેતા

સ્વર: પ્રહર વોરા 
સ્વરાંકન : અમર ભટ્ટ 
સંગીત : અમિત ઠક્કર 
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5 

.

રંગીલો ફાગુન ખેલીએ હો, હાં રે ખેલીએ હો 
ખેલત રાધાજી કો કંથ..

સાડી રંગીલી ને વાઘો રંગીલો, રંગીલી લાલજુકી પાઘ,
રંગરંગીલી ભાત  બની હે, રંગીલી રાધાજીની આડ. 
રંગીલો ફાગુન ખેલીએ હો..

ગોપી રંગીલી ને ગોવાળ રંગીલા, રંગીલો જમુનાનો નીર,
રંગરંગીલો ખેલ મચ્યો હે, રંગીલો રાધાજીકો ચીર.
રંગીલો ફાગુન ખેલીએ હો..

શ્યામ રંગીલો ને સેવક રંગીલા, રંગીલો ફાગુન સાર, 
રંગરંગીલો નરસૈંયાચો સ્વામી, રંગીલી ગાઈ છે ધુવાર. 
રંગીલો ફાગુન ખેલીએ હો..
– નરસિંહ મહેતા 

આઠ નવ દસ અગિયાર -રૂપાંગ ખાનસાહેબ

શબ્દો અને સ્વર-રચનાઃ રૂપાંગ ખાનસાહેબ
સંગીતઃ મેહુલ સુરતી

.

આઠ નવ દસ અગિયાર,
ઘડિયાળમાં વાગે બાર,
બાર ટકોરે જાગે મીની ,
જોયે આખો કરતી ઝીણી,
ભૂખ તો લાગે છે કે એવી ,
વાત તો નથી કઈ કે’વા જેવી.. આઠ નવ દસ

છે મળી ઉપર છે મલાઈ
એક તે મીની ચઢી
જોતા ત્યાં તો ફાટી પડી … આઠ નવ દસ
-રૂપાંગ ખાનસાહેબ