Category Archives: ગીત

હું તો છુઈ મૂઈનો છોડ – મેઘલતા મહેતા

સ્વર : ડો.દર્શના ઝાલા
સ્વરાંકન : નયન પંચોલી
આલબમ : તારા નામમાં

.

અરે હાં હાં મને કોઈ અડશો નહિ હું તો છુઈ મૂઈનો છોડ
મારી સાથે અડપલાં કરશો નહિ હું તો છુઈ મૂઈનો છોડ

મૂઆ વાયરા વેગળો રહેજે રે, મારે અંગેથી અળગો રહેજે રે
અલ્યા સુરજ સખણો રહેજે રે, સતપતિઓ કેવો સતાવે રે

પેલી વાદળી ભીંજવી જાતી રે , મને અમથી ખીજવી જાતી રે
મારે માં એ જતન શા કીધા રે , મને શરમના શમણાં દીધા રે

એક પરદેશી પાંદડું આવ્યું રે, મને છાયોને દઈ છવાયું રે
પહેલી પ્રીત્યુંના સ્પર્શે પાંગરી રે, મારી લજ્જા મને ના સાંભરી રે
– મેઘલતા મહેતા

આ તે માણસ છે કે સપનું – નંદિતા ઠાકોર

ટહુકોના સ્વર અક્ષર કાર્યક્રમમાં નંદિતાબેનએ ખુબ સુંદર એમની રચનાનું પઠન કર્યું.
પ્રોગ્રામને માણવા માટે:લિંક

પઠન: નંદિતા ઠાકોર

.

વાત વાતમાં તૂટે આ તે માણસ છે કે સપનું?
આંખ ખુલે ને ફૂટે આ તે માણસ છે કે સપનું ?

અંધારામાં જીવે મબલક,અજવાળામાં જંપે,
પળ પરપોટે ફૂટે આ તે માણસ છે કે સપનું ?

અંદર અંદર લાગણીઓ ને ઈચ્છાઓને મારે,
પછી સ્મરણને ઘૂંટે આ તે માણસ છે કે સપનું ?

બંધ આંખથી સપનાઓને સૌની સાથે વહેંચે,
ને ખુલ્લી આંખે લૂંટે આ તે માણસ છે કે સપનું ?

સાવ અરીસા જેવું આ તો સામે હો તે ભાળે
પૂંઠ ફરે જગ છૂટે આ તે માણસ છે કે સપનું ?
– નંદિતા ઠાકોર

માણસ થઈને જીવતા જીવતા – નંદિતા ઠાકોર

ટહુકોના સ્વર અક્ષર કાર્યક્રમમાં નંદિતાબેનએ ખુબ સુંદર એમની રચનાનું પઠન કર્યું.
પ્રોગ્રામને માણવા માટે: લિંક

પઠન : નંદિતા ઠાકોર

.

માણસ થઈને જીવતા જીવતા માણસ જેવું મન ઘડવાનું
માણસ જેવા માણસ થઈને માણસ સાથે શું લડવાનું?

ફાટ ફાટ છાતીની અંદર ધરબાયેલા સપનાઓને
પોતાને હાથે સળગાવીને પોતે પાછું શું રડવાનું?

જનમકુંડળીના એ અક્ષર જીવન આખું કેમ ચલાવે?
ભૂલી ગયા કે આપણને તો માણસ હોવું એ નડવાનું?

ઈશ્વર નામે એક જણે માણસને સૌથી ઉંચે મુક્યો
માણસાઈની ટોચેથી શું આમ જ બસ હેઠે પડવાનું?

અજવાળે તરબોળ થવાનો અવસર છે કેવો અણમૂલો
ખુલ્લમ ખુલ્લા માણસ જેવું માણસને આખર જડવાનું
– નંદિતા ઠાકોર

ગોકુળ વ્લેહેરા પધારજો રે – નરસિંહ મહેતા

સ્વરકાર: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: ભાવના દેસાઈ

.

ગોકુળ વ્લેહેરા પધારજો રે.
હે મથુરા રે જાઓ તો મારા સમ
હો મારા લાલ, કે ગોકુળ વ્હેલેરા પધારજો

રથ જોડીને અક્રુર આવિયા
હે મને દુ:ખડિયાનો દેનાર
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

ઓ જાય(૨) રથ રે મારા નાથનો રે લોલ
હે માંહે બેઠા હળધરવીર લાલ
હો મારા લાલ કે ગોકુળ વ્હેલેરા પધારજો

આગળ રાધાજી ઉભાં રહ્યાં ને
મારા હ્રુદિયા પર રથ હાંકો લાલ
મહેતા નરસૈંનો સ્વામી શામળાને
વ્હાલે રમાડ્યા રાસ રે
મ્હારે વ્હાલે રમાડ્યા રાસ રે
– નરસિંહ મહેતા

કલમને કરતાલે – દેવિકા ધ્રુવ

સ્વરકાર અને સ્વર : ભાવના દેસાઈ

.

લો, અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે…!

રોમરોમ શરણાઈ વાગે, કલરવ ડાળે ડાળે,
મઘમઘ રંગ સુગંધ બનીને, મહેકે મનને માળે,
ટમટમ ટમકે અક્ષર જાણે નભને તારે-તારે,
લો, અમે તો ચાલ્યાં પાછાં શબ્દને સથવારે…..!

મબલક અઢળક ઘેરી- ઘેરી, વરસ્યાં નવલખ ધારે,
વાંકા કાંઠા તોડી દોડ્યા, ઉરસાગરને નાદે,
તટના ત્યાગી નામ પછી તો, ઉડાન પાંખે-પાંખે,
લો, અમે તો ચાલ્યાં પાછાં અક્ષરને અજવાળે….!

હળવે-હળવે જીવને શિવનો અર્થ પરમ અહીં જાગે,
જુઠ્ઠા જગનો કાજળ-કાળો અહં ભરમ સહુ ભાગે,
સચરાચરનો પાર પમાડે, શબ્દ-બ્રહ્મની પાળે….
લો, અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે….!
– દેવિકા ધ્રુવ

મોજમાં રેવું, મોજમાં રેવું – ‘દાન અલગારી’

ગુજરાતી લોક સંગીત અને ગુજરાતી સાહિત્યના કવિઓ અને કલાકારોએ માત્ર લોકોને મનોરંજન આપવા માટે કામ નથી કર્યુ, પરંતુ કાયમ સમાજને પોતાના સર્જનથી એક સંદેશ આપ્યો છે. ચારણી સાહિત્યના ઉપાસક અને લોક સાહિત્યના એક ખૂબ જ વિદ્વાન કવિ એટલે કવિશ્રી તખદાન ‘અલગારી’. લોકોના હૃદયને સ્પર્શે એવી અનેક રચનાઓ આપી અને ઘણી રચનાઓ ખૂબ જ લોકપ્રિય બની જેમાની એક રચના એટલે કે, “મોજમા રે’વુ”. જાણેકે જીવન જીવવાનો સરળ ભાષામાં એક મંત્ર આપી દિધો હોય એવું ગીત. આ રચના છેલ્લા અનેક દાયકાઓથી ડાયરાના મંચ ઉપર ગવાય છે અને પરમ પુજ્ય મોરારી બાપુ પણ આ રચનાને ઘણી વખત વ્યાસપીઠ ઉપરથી પોતાની કથામા ગાય છે.

પણ, આવી અમુલ્ય રચનાઓ જો માત્ર જુની પેઢી સુધી જ રહેશે અને નવી પઢીને આવા જીવન જીવવાના મંત્ર જેવી અને લોક સંગીતના હીરા જેવી રચનાઓ નહીં મળે તો આ નવી પઢીને અને આપણા ગુજરાતના સંગીત, સાહિત્ય અને સંસ્કૃતીને ખૂબ મોટુ નુકસાન પહોંચશે. અને એટલા જ માટે હું આદિત્ય ગઢવી આ ગીતને નવી પેઢીના મારા યુવાનો સાંભળી, સમજી અને માણી શકે એટલે એને એક નવા અંદાજમા લઇને આવ્યો છું.

માત્ર ઓડીયો જ નહીં પણ વીડીયોમાં પણ એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે અમે લોકોએ. જીવનમાં માણસને એવી વિકટ પરસ્થિતીઓમાં ઈશ્વર મુકે છે કે જ્યારે તે પોતાના જીવનનો અંત કરવાનો વિચાર કરે છે. જીવનની કોઇ પણ પરિસ્થિતી માણસના મનમાં આ વિચાર ન લાવવી જોઇએ અને એ પરિસ્થિતીમાંથી બહાર નિકળવાની એનામાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઇએ. જેમ ખૂબ દબાણથી કોલસામાંથી હીરો બને, સોનામાંથી દાગીના બનાવવા જેમ એને ખૂબ તપાવવું પડે અને જેમ એક બીજમાંથી એક મોટું વટ્ટવૃક્ષ જન્મે છે એમ જ માણસ પણ સંઘર્ષ અને દુ:ખ સહન કરીને જ મહાન બને છે અને સાચું જીવન જીવ્યો ગણાય છે.
– આદિત્ય ગઢવી

સ્વર: આદિત્ય ગઢવી

.

મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે…
મોજમાં રેવું…

કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે,
આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે,
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે…
મોજમાં રેવું…

કાળ કરે કામ કાળનું એમાં કાંઈ ન હાલે રે,
મરવું જાણે મરજીવા ઇ તો રમતા તાલે રે,
એનો અંત આદિ નવ જાણ્ય તારે તો તરતા રહેવું રે…
મોજમાં રેવું…

લાય લાગે તોય બળે નઈ એવા કાળજા કીધાં રે,
દરિયો ખારો ને વિરડાં મીઠો દાખલા દીધા રે,
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે…
મોજમાં રેવું…

સંસાર ખોટો કે સપનું ખોટું સૂજ પડે નઈ રે,
આવા યુગ વીત્યા ને યુગની પણ જુવો સદીયું થઈ ગઈ રે,
મોટા મરમી પણ એનો મરમ ન જાણે કૌતુક કેવું રે…
મોજમાં રેવું…

ગોતવા જાવ તો મળે નઈ ગોત્યો ગહન ગોવિંદો રે,
હરિ ભગતું ને હાથ વગો છે પ્રેમનો પરખંદો રે,
આવા દેવને દિવો કે ધૂપ શું દેવો દિલ દઈ દેવું…
મોજમાં રેવું…

રામ કૃપા અને રોજ દીવાળી રંગના ટાણાં રે,
કામ કરે એની કોઠીએ કદી ખૂટે ન દાણા રે,
કીએ અલગારી આળસુ થઈ નવ આયખું ખોવું રે…
મોજમાં રેવું…

મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે,
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે…
મોજમાં રેવું…

-તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’

પરમ પ્રેમ પરબ્રહ્મ – ન્હાનાલાલ કવિ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

પરમ પ્રેમ પરબ્રહ્મ

માત પ્રેમ, તાત પ્રેમ, પુત્ર પ્રેમ, પુત્રી પ્રેમ
દંપતિના દેવ પ્રેમ, પ્રેમ છે સંસાર સાર
પરમ પ્રેમ પરબ્રહ્મ

દયા પ્રેમ, દાન પ્રેમ, ભક્તિ પ્રેમ, જ્ઞાન પ્રેમ
યોગ પ્રેમ, મોક્ષ પ્રેમ, પ્રેમ છે સંન્યસ્તાધાર
પરમ પ્રેમ પરબ્રહ્મ

સ્થૂલ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ, વિશ્વ કેરો મન્ત્ર પ્રેમ
સૃષ્ટિનો સુવાસ પ્રેમ, પ્રેમ તેજ કેરો પાર
પરમ પ્રેમ પરબ્રહ્મ

આત્મનો વિકાસ પ્રેમ, જીવન પ્રકાશ પ્રેમ
પ્રેમ-પ્રેમ, સર્વ પ્રેમ, પ્રેમનો આ પારાવાર
પરમ પ્રેમ પરબ્રહ્મ
– ન્હાનાલાલ કવિ

આ રીતે મળવાનું નંઈ! – વિનોદ જોશી

પઠન: વિનોદ જોશી

.

જો, આ રીતે મળવાનું નંઈ !
દરિયો તો હોય, તેથી નદીએ કંઇ દોડીને,
આ રીતે ભળવાનું નંઈ!

પાંદડી ગણીને તને અડક્યો ને મારામાં
ઊડઝૂડ ઊગ્યું એક ઝાડ,
ખિસકોલી જેમ હવે ઠેકીને
એક એક રુંવાડે પાડે તું ધાડ;

છીંડું તો હોય, તેથી ઊભી બજારેથી,
આ રીતે વળવાનું નંઈ!

એમ કાંઈ એવું કહેવાય નહીં
કહેવાનું હોય કોઈ પૂછે જો તો જ,
જેમ કે અનેક વાર તારામાં
ભાંગીને ભુક્કો હું થઇ જાતો રોજ;

જીવતર તો હોય, તેથી ગમ્મે ત્યાં ઓરીને,
આ રીતે દળવાનું નંઈ!
– વિનોદ જોશી

પ્રેમની પીડા તે કોને કહીએ – દયારામ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર : અમર ભટ્ટ

.

પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર પ્રેમની પીડા તે કહીએ
થાતાં ન જાણી પ્રીત,જાતાં પ્રાણ જાયે
હાથનાં કર્યા તે વાગ્યાં હૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા

જેને કહીએ તે તો સર્વે કહે મૂરખ
પસ્તાવો પામીને સહી રહીએ રે …ઓ મધુકર પ્રેમની પીડા

દયા પ્રભુ આવે તો તો સદય સુખ થાય
મુને દુઃખ દીધું એ નંદજી ને છૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા
-દયારામ

સંતો ભાઇ ભુવન જીત્યા – ભોજા ભગત

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર અને સ્વરાંકન : અમર ભટ્ટ

.

સંતો ભાઇ ભુવન જીત્યા ભવ સારા
અનંત લોચન અંતર ઊઘડિયાં; નીરખ્યા નાટ નિરાળા. સંતો..

મનમંદિર દીપક દરશાના, ઊઘડી ગયાં તનતાળાં;
રંગ લાગ્યો ને રવિ પ્રગટિયો, અનેક દિશે અજવાળાં. સંતો..

કરણ વર્ણ જેણે મરણ મિટાયા, ચરણ ગ્રહ્યાં છોગાળા;
છૂટી ગયાં ચેન ઘન, ઘનઘોરા, ભાસ્યા બ્રહ્મ રસાળા. સંતો..

ગગન ગાજે ત્યાં અનહદ વાજે, સદ્ગુરુકી સાન શિખાયા;
ભોજો ભગત કહે પ્રેમ પિયાલો, પીતાં નયને નીર ઝલકાયા. સંતો..
– ભોજા ભગત