Category Archives: ગઝલ

કઝા યાદ આવી – ’મરીઝ’


મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરનો આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

ગઝલ – બેદાર લાજપુરી

શબ્દના એવા ગુના પણ હોય છે
મૌન રહેવામાં ડહાપણ હોય છે

વહેંચવાનો થાય જ્યારે વારસો
વારસોના દૂર સગપણ હોય છે

હર સમય કર્ફ્યુના ટાણે શહેરમાં
માર ખાતી એ ભિખારણ હોય છે

હોય છે માઠી દશામાં દૂર સૌ
લાગણીને કેવી સમઝણ હોય છે

હોય છે બેદાર ક્યારે એકલા
‘આપણી અંદર ઘણા જણ હોય છે’

કોણ માનશે? – ‘મરીઝ’

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે!
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?

દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?

વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?

છે ખુશનસીબ વ્યક્ત કરે જે ઉદારતા,
દિલમાં રહી ગઈ તે દયા કોણ માનશે?

જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?

ગઝલ – ચિનુ મોદી

આયનેથી ધૂળ ઝાપટજે હવે
તું ત્વચા ફાડીને અવતરજે હવે

પાપણો બાળી ગયા છે એટલે
સ્વપ્નથી થોડુંક સાચવજે હવે

મેં ફરી માળો બનાવ્યો વૃક્ષ પર
વીજળીની જેમ ત્રાટકજે હવે

હાથ મારો હાથમાં લીધો તો છે
રોગ શો છે એય પારખજે હવે

જાતને સીમિત કરી ઇર્શાદ તેં
શંખમાં દરિયાને સાંભળજે હવે

હું રાજી રાજી થઇ ગયો છું જોઇ જોઇને
સપનાંઓ તારા આવી ગયા ન્હાઇ ધોઇને

એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં
ખાલીપો હું ય પામ્યો છું મારાઓ ખોઇને

એવું તો કોણ છે નિકટ કે ક્રોધ હું કરું
આંખોને લાલઘુમ હું રાખું છું રોઇને

અમને જીવાડવા તો એ રાજીને રેડ છે
તારા વગર શું હોઇ શકું હોઇ હોઇને

ઇર્શાદ એવું કોઇ છે જેને તમે કહો :
તને મળ્યા પછી ન મળાયું જ કોઇને.

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ

paper_poster_PZ18_l

.

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢણ અંબર વીસરી રે લોલ. Continue reading →

લાજ રાખી છે – કૈલાસ પંડિત

સ્વર : પંકજ ઉધાસ

આલ્બમ : રજુઆત
laaj raakhi

.

ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઇ અસર ત્યારે, દુવા એ લાજ રાખી છે

તરસનું માન સચવાયું ફક્ત, તારા વચન ઉપર
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે

ઘણું સારું થયું આવ્યા નહીં, મિત્રો મને મળવા
અજાણે મારી હાલતની, ઘણા એ લાજ રાખી છે

પડી ‘કૈલાસ’ના શબ પર, ઉડીને ધૂળ ધરતીની
કફન ઓઢાળીને મારી, ખુદાએ લાજ રાખી છે

સૃષ્ટિ છે એક કોયડો – રમેશ પારેખ

સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે
જાણ્યું તો જાણ્યું એ કે તે દુર્ભેદ્ય જેલ છે.

છે પગ તળે પથ્થર તરફ લઇ જાતા માર્ગ, ને
લોકો ખુદાના નકશા લઇ નીકળેલ છે.

ઉઘરાવી ઝેર, વ્હેંચે છે ખૈરાતમાં અમી
– એવું અમે તો સંત વિષે સાંભળેલ છે.

ચહેરો વીંછળતી જેના વડે મારી જિંદગી
એ જળને મૂળસોતાં સૂરજ પી ગયેલ છે.

જે કહેતું’તું – કરીશ તારા જીવમાં મુકામ
એ પંખી એનો વાયદો ભૂલી ગયેલ છે.

પહોંચ્યા છે તરસ્યા પ્રાણ સરોવર સુધી, રમેશ
કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે !

( કવિ પરિચય )

ભીતરે – પુષ્પા મહેતા ( પારેખ )

રોજ એક કૂંપળ ફૂટે છે ભીતરે
ફૂલ શી ફોરમ ઉઠે છે ભીતરે

સ્વપ્નમાં સાચી પરી આવે પછી
રોજ સપનાઓ તૂટે છે ભીતરે

ગાર-માટીના લીંપણ શોભાવતા
ટેરવાં ઓકળ ધૂટેં છે ભીતરે

એક ટીપું અશ્રુનું ટપક્યું અને
બંધ દરિયાના છૂટે છે ભીતરે

મુખે ઉપર તો હાસ્યનો પમરાટને
રક્તના ટશિયા ફૂટે છે ભીતરે

જીવતરમાં શું વધ્યું છે શેષમાં
એ પલાખા મન ઘૂંટે છે ભીતરે

નયનને બંધ રાખીને ….. – બરકત વિરાણી ‘બેફામ’

આજે તો નવરાત્રી સુધરી ગઇ… ખરેખર તો આવનારા બધા જ દિવસો થોડે અંશે સુધરી ગયા..

થોડી વિગતે વાત કરું. ( આશા છે કે તમે કંટાળી ના જશો. ) મારું ગુજરાતી સંગીત, ગઝલ પ્રત્યે જે રુચી છે, એમાં એક મોટો ફાળો મનહર ઉધાસને કંઠે સાંભળેલી ગઝલો નો. મને યાદ છે, સુરત યુનિવર્સિટીમાં કંઇ કામ હતુ, ત્યારે ઉત્કર્ષ સાથે વાત કરતા કરતા ખબર પડી કે એ ગુજરાતી ગઝલો સાભળે છે. ત્યાં સુધી તો મેં ફક્ત મારા પપ્પાના રેકોર્ડ કરાવેલા જુના ગુજરાતી ગીતો જ સાંભળેલા. એણે મને સોલીભાઇની ‘તારી આંખનો અફીણી’ સાંભળવા આપી, અને મનહર ઉધાસની ‘અવસર’ સાંભળવાની ખાસ સુચના આપી. અને પછી તો એક પછી એક એમ ઘણી બધી વાર શ્રી મનહર ઉધાસના કંઠે ગુજરાતી ગઝલો સાંભળી છે… એની પુરેપુરી મઝા લીધી છે..

ઘણા વખતથી મને ઇચ્છા હતી કે શ્રી મનહરભાઇની પરવાગી લઉં, મારા ટહુકા પર એમની ગઝલો મુકવા માટે.. અને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, ‘મન હોય તો માળવે જવાય’. એમ આજે ઘણી મહેનત પછી મનહરભાઇ સાથે વાત થઇ ગઇ.. એમની સાથે વાત કરતી વખતે તો જાણે માનવું મુશ્કેલ હતું.. હું ખરેખર એમની સાથે જ વાતો કરી રહી છું?

અને ખુશીની વાત એ છે કે એમણે મને પરવાનગી આપી, એમની ગઝલો ને મારા ટહુકા પર મુકવાની. ( એમને પૂછ્યા વગર એમની 1-2 ગઝલ ટહુકા પર મુકી છે આગળ, જેના માટે હું એમની માફી માંગું છું. )

શ્રી મનહર ઉધાસના કંઠે ગવાયેલી મારી ઘણી બધી ગમતી ગઝલમાંથી આ એક.. અને મેં એવા ઘણા લોકો પણ જોયા છે કે જેમને ગુજરાતી ગઝલ યાદ કરવાનું કહો તો સૌથી પહેલા ( અને કદાચ એક માત્ર ) આ જ ગઝલ યાદ કરે. એક એવા મિત્રને પણ ઓળખું છું, જે મનહર ઉધાસના કાર્યક્રમમાં ફક્ત આ એક ગઝલ સાંભળવા માટે જાય છે.

.

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

( આ મુક્તક કયા કવિનું છે ?? )

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે Continue reading →

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા… – ભાગ્યેશ જહા

સ્વર : સોલી કાપડિયા, નિશા ઉપાધ્યાય.

zarna bani ne

.

ઝરણાં બનીને પહાડ ઓગળતા રહ્યા
આપણે માધ્યમ વિના મળતા રહ્યા

પાંદડુ થથર્યું હશે કોઇ ડાળ પર
એટલે પાછા પવન વળતા રહ્યા

આમ તો મળવાનું પણ ક્યાંથી બને
સારું છે કે સ્વપ્નમાં મળતા રહ્યા

સાવ આ તો શ્વાસ જેવું લાગે છે
એટલે આ જીવમાં ભળતા રહ્યા