Category Archives: ગઝલ

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર – સૌમ્ય જોશી

વિવેક આ ગઝલ માટે કહે છે:
ઈશ્વર ઉપર લખાયેલી ઢગલાબંધ કવિતાઓમાં આ ગઝલ એનું અલગ જ પોત લઈને મોખરે પહોંચતી હોય એવું નથી લાગતું? ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ છે ખરી? છ એ છ શે’ર એવા નિપજ્યા છે કે ભગવાન જો ક્યાંય હોય અને આ ગઝલ વાંચી બેસે તો અચૂક હાર્ટ-એટેક આવી જાય…

મન વગર મેં એ રીતે દર્શન કર્યું,
દોસ્ત, એણે જે રીતે સર્જન કર્યું

* * * * *

ગઝલ પઠન – સૌમ્ય જોશી

.

સ્વર – સંગીત : આલાપ દેસાઇ

.

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.

હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.

જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.

કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?

એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.

– સૌમ્ય જોશી

સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા? – ઊર્મિ

hpim0081-sml

(માહતાઈ મેરુની કે ખીણની ?… Lake George, NY… 22 ઑગષ્ટ 2005  Photo: Urmi)

*

આભ ધરાનાં
ક્ષિતિજે સરવાળા-
એ કોણે કર્યા?

*

શબ્દને બોલ, નખરાળા કોણે કર્યા?
અર્થને આમ અણિયાળા કોણે કર્યા?

મેરુની માહતાઈ તો છે ખીણથી,
મોભનાં આમ સરવાળા કોણે કર્યા?

જોખમાશે આ સત્તા બધી ચંદ્રની,
ભર અમાસે આ અજવાળા કોણે કર્યા?

તેં રચી સૃષ્ટિ કેવી આ સોહામણી!
તો પછી આંખે પરવાળા કોણે કર્યા?

પંચતત્ત્વોથી નશ્વર તેં કાયા ઘડી,
પણ મંહી નેહનાં માળા કોણે કર્યા?

આપણો તો હતો મૂળ એક જ ધરમ,
પંથનાં તો આ ઘટમાળા કોણે કર્યા?

જેને મોઘમ ગણી સાચવ્યા મેં હતા,
એજ સ્મરણોને પગપાળા કોણે કર્યા?

હું અને તું કદી પણ જુદા ક્યાં હતા?!
સાહ્યબા, બોલ…વચગાળા કોણે કર્યા?

-’ઊર્મિ’

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા

માણસ નામની ધૂળ – નયન દેસાઈ

સ્વર – સંગીત : હરીશભાઇ સોની

.

આ પડછાયા, આ ભીંતો ને આ સૂરજ સૌ શંખ ફૂંકે છે
આ શ્વાસોના સમરાંગણમાં માણસ નામની ધૂળ ઊડે છે

આ દ્રશ્યો જે ચળકે છે તે વીંધે, કાપે, ઊંડે ઉતરે
કિકિયારી કરતા શબ્દોનું આંખોમાં આકાશ ખૂલે છે

બંને હાથની રેખા વચ્ચે પડછાયાને ઉભો રાખો
જોવાદો કે લાગણીઓના દર્પણ તડતડ કેમ ટૂટે છે

– નયન દેસાઈ

સામાં મળ્યાં તો – આદિલ મન્સૂરી

આજે કવિ શ્રી આદિલ મન્સૂરીને એમના જન્મદિવસે હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ગઝલ એમના પોતાના અવાજમાં, અને સાથે મનહર ઉધાસના સ્વર-સ્વરાંકન..!!

હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય.
– આદિલ મન્સૂરી

સ્વર-સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : અપેક્ષા

.

સામાં મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ,
રસ્તા મહીં જ આજ તો મંઝીલ મળી ગઈ.

સાચે જ મીણ જેવી હતી મારી િજંદગી,
દુઃખનો જરાક તાપ પડ્યો ઓગળી ગઈ.

મારાથી તોય આંસું વધુ ખુશનસીબ છે,
જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.

કહેતી ફરે છે બાગમાં એક-એક ફૂલને,
તુજ આગમનની વાત હવા સાંભળી ગઈ.

‘આદિલ’ ઘરેથી નિકળ્યો મિત્રોને શોધવા,
ઓ દુશ્મની તું રાહમાં ક્યાંથી મળી ગઈ.

– આદિલ મન્સૂરી

ન થયા – રમેશ પારેખ

આજે કવિ શ્રી રમેશ પારેખની પૂણ્યતિથિ… એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ ગઝલ, એમના પોતાના સ્વરમાં… અને હા, કવિ શ્રી ને થોડા વધુ નજીકથી ઓળખવાનો આ મોકો ચુકશો નહીં – http://www.rameshparekh.in/

રમેશ પારેખ કંઇક ભાળી ગયેલો કવિ હતો. પ્રેમના માર્ગે ચાલનારો આ કવિ સતત કંઇક ખોજવામાં રત હતો. ખુદ ભીંજાઇને બીજાને ભીંજવવા મથતો એ કવિ હતો.
– મોરારિ બાપુ

રમેશ પારેખની કવિતાનો હું સનાતન ઘાયલ છું. એ હૃદય મન સરોવરનો કવિ છે અને આપણા માન-સરોવરનો અધિકારી છે. એની કલમમાંથી આખોને આખો ગીતોનો દરિયો ઊછળી આવે છે. સર્જકતાથી ફાટફાટ થતાં આ કવિનું નામ વૈપુલ્યથી અને વૈવિધ્યથી ગીત, ગઝલ અને અછાંદસ દ્વારા ઊર્મિકવિતા સાથે ગુંથાયેલું અને ગંઠાયેલું છે. સોનલ તેની કાલ્પનિક વાસ્તવિકતા છે અને વાસ્તવિક કલ્પના છે. રમેશ એ વાવાઝોડું પી ગયેલો કવિ છે.
– સુરેશ દલાલ

એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ…

રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા.
– વિવેક ટેલર


આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

એક તત્વ દિવ્ય છે… – જિગર જોષી ‘પ્રેમ’

હુંફાળો સ્પર્શ કાનને કરી અને પછી સુણો ; હું જે કહું છું વાત એમાં ભારોભાર તથ્ય છે.
સવાલ એ નથી એ માનવી કે કોઇ મત્સ્ય છે ; બધાંની ભિતરે કશેક એક તત્વ દિવ્ય છે,

શું સર્વતા ને શૂન્યતા, શું અલ્પતા ને ભવ્યતા, શું સ્થિરતા, પ્રવાહિતા શું સામ દામ દંડ ભેદ !?
ન કૈંજ સ્પર્શ થાય છે, અનોખો અર્થ થાય છે, એ સંત છે ને સંતને ન અંત છે ન મધ્ય છે.

‘ભલે હો સૂર્ય જેમ શ્વાસ તોય આખરે જુઓને આથમી જવાનું હોય છે અતિક્રમી બધું,’
સ્વભાવગત આ વાત છે સ્વિકારવું – નકારવું, કરૂણતાઓથી ભર્યું જિવનનું આ જ સત્ય છે.

ઘડીક સુખ મળે અને ઘડીક પીડ અવતરે ; ઘડીક કૂંપળો બને, ઘડીકમાં એ પણ ખરે !
બધું જ એક ચક્ર જેમ કાયમી ફર્યા કરે ; ક્ષણીક હોય છે બધું – અહીં કશું ક્યાં નિત્ય છે ?

કરૂણતા જુઓ કૃતિ વિશે જ મૌન છે સતત ; વિવેચકોની દ્રષ્ટિઓય લીન છે સ્વરૂપમાં
છે એજ ધ્યેય આખરી ‘કવિત્વ’ એમાં જોઇએ ; સવાલ એ નથી પછી ‘એ ગદ્ય છે કે પદ્ય છે’ !

પાછું અમે માંગ્યું – ગોપાલ શાસ્ત્રી

નદીમાં પગ ઝબોળી બાળપણ પાછું અમે માંગ્યું
અમે રે રેતદાર રમનાર જણ પાછું અમે માંગ્યું

અનાગત શબ્દનો એકાદ કંપનની જ લીલા છે
ગઝલના રૂપમાં તારું સ્મરણ પાછું અમે માંગ્યું

દિશાઓ ધૂંધળી ચોપાસ ધુમ્મસનો હતો દરિયો
અદીઠાં ઝાંઝવા માંગ્યા, હરણ પાછું અમે માંગ્યું

પવનની જેમ ઊડી આવતી આ સાંજની પીડા
વિહગની જેમ ટહુકાનું વલણ પાછું અમે માંગ્યું

અહિ અસ્તિત્વનો પર્યાય કેવળ એક પરપોટો
કદી ઝાકળ સ્વરૂપે અવતરણ પાછું અમે માંગ્યું

– ગોપાલ શાસ્ત્રી

———-

ડૉ. ગોપાલ શાસ્ત્રીનું એક ગીત પહેલા મુક્યું હતું… અમને ખબર નઇ.!!. આ પહેલા પણ ગીત સાંભળ્યું હોય તો ફરી એકવાર સાંભળવાનો મોકો લઇ લો. મસ્ત મઝાનું ગીત છે.. 🙂

કેટલા હતા – અશરફ ડબાવાલા

ભીંતો ને બારી જેવા છરા કેટલા હતા!
ઘરમાં વિવિધ રૂપે દગા કેટલા હતા!

હું સાચવીયે ના શક્યો ર્દશ્યો કે ર્દષ્ટિને,
ચશ્મા ઘણા હતા ને ઘરાં કેટલા હતા!

જો ફોડવા હતા તો કદી ક્યાં કમી હતી!
મનમાં જ ઘડયા તા એ ઘડા કેટલા હતા!

એ ‘આવજો’ કહીને પછી બસ કરી ગઈ,
નહિતર તો આંગળીના બરા કેટલા હતા!

અંદર તો હું જ મારો, બીજું કોઈ ક્યાં હતું?
ને બહાર જોઈ લીધું સગાં કેટલા હતા!

સ્વર્ગસ્થ સૌ કવિને તું ઉત્તમ ભલે ને ગણ,
પણ એ કહેને એમાં ર.પા. કેટલા હતા?

અશરફ ખતવણી માંડ છે સપનાંની પાપણે,
ઉધાર કેટલાં ને જમા કેટલા હતા!

‘વ્હાલ વાવી જોઈએ’ : ગૌરાંગભાઈ ઠાકરનો બીજો કાવ્યસંગ્રહ

રવિવારે નવમી મે નાં રોજ આપણા પ્રિય કવિ શ્રીગારાંગભાઈ ઠાકરનાં બીજા કાવ્યસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું. અને લયસ્તરો પર ખાસ ઇ-મોચન પણ કરવામાં આવ્યું છે 🙂 પહેલા કાવ્યસંગ્રહનું નામ તો લગભગ બધાને ખબર જ છે – ‘મારા હિસ્સાનો સૂરજ ‘. એમના આ બીજા કાવ્યસંગ્રહનું નામ એમણે રાખ્યું છે – ‘વ્હાલ વાવી જોઈએ ‘ ! મિત્રો, એમનું આ નામ તમને થોડું જાણીતું લાગ્યું ને? કારણ કે કદાચ તમને આ શિર્ષકવાળી એમની એક ગઝલ એમના ગઝલ-પઠન સાથે યાદ આવી ગઈ હશે, જે આપણે અહીં ગયા વર્ષે માણી ચૂક્યા છીએ… 🙂 : વ્હાલ વાવી જોઈએ

તો એમના આ નવા કાવ્યસંગ્રહમાંની બીજી બે ગઝલોની થોડી ઝલક આપણે એમનાં જ અવાજમાં માણીએ… જે આપણે આમ તો આગળ અહીં અને લયસ્તરો પર અપ્રગટ ગઝલો તરીકે માણી જ ચૂક્યા છીએ.

book-cover-gaurang-thakar-2ndbook

(કાવ્યસંગ્રહનું મુખ્યપૃષ્ઠ…)

સ્વર : ગૌરાંગ ઠાકર

*

મારું સઘળું એ ધ્યાન એ લઇ બેઠા
જાણે ઇશ્વરનું સ્થાન લઇ બેઠા
ને માત્ર સરમાનુ એમણે દીધું
ને અમે ત્યાં મકાન લઇ બેઠા

*

ટોચની આ કલ્પના ક્યાં તળ વગર
શક્યતા ક્યાં વૃક્ષની કુંપળ વગર
છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર

*

શબ્ક ક્યારેક તીર લાગે છે,
કોઇ વેળા લકીર લાગે છે

કોઇ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે

જેને વૈભવ મળે છે અંદરથી,
બહારથી એ ફકીર લાગે છે

*

મને સ્હેજ મારાથી અળગો કરી દઉં
તને પામવાનો હું રસ્તો કરી દઉં

નદી ક્યાંક મંઝિલથી ભટકી પડે ના
હું પર્વતની નીચે જ દરિયો કરી દઉં

*

બીજા થોડા શેર એમના અવાજમાં સાંભળો ‘ગાગરમાં સાગર’ પર

પ્રિય ગૌરાંગભાઈને એમનાં આ બીજા કાવ્યસંગ્રહ માટે આપણા સૌના તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

કોરી, કુંવારી સોગાદ – હેમંત પુણેકર

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત – સુરેશ દલાલની કલમે લખાયેલ ‘હયાતીના હસ્તાક્ષર’માંથી સાભાર….

પ્રિય વ્યક્તિ માટેની આવી અપેક્ષા એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. હું તમને રણમાં ઝાંઝવા બતાવવા નથી માગતો કે મોટી મોટી ભ્રમણામાં કે શમણામાં રાખવા નથી માગતો. હું તારાઓ તોડવાની વાત એટલા માટે નથી કરતો કે એને કારણે તમારામાં અપેક્ષા જન્મે અને કાલે સવારે તમે મારી પાસે સૂરજ પણ માગો. કોઈ કવિના એક કાવ્યમાં આવે છે કે કોઈ મારી પાસે સૂરજ કે ચંદ્ર માગે તો વાંધો નથી, પણ આખું આકાશ માગે તો હું શું કરું? કોઈ આપણને આપણા જીવન વિશે પૂછે તો આપણે એને લખી લખીને શું આપીએ?

ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો

કાળી રાતોને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એવું ખ્વાબ આપો

સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુભીનો હિસાબ આપો

આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો

મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપો આપો, હવે જવાબ આપો!

એટલે તારા મેં નથી તોડ્યા
કાલે કહેશો કે આફતાબ આપો

એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો

-હેમંત પુણેકર

‘કવિતા’ના તંત્રી હોવાને કારણે સૌથી મોટો ફાયદો એ કે નવા નવા કવિઓની કૃતિઓનાં પરિચયમાં આવવા મળે. એવા કેટલાયે કવિઓ છે કે જેમને હું કદીએ મળ્યો નથી અને છતાંયે હું કદીયે એમનાથી છૂટો પડ્યો નથી.

યુવાન કવિ હેમંત પુણેકર વિશે માત્ર એટલી જ ખબર છે કે પૂનામાં રહે છે અને એમને મળવાનો યોગ હજી સુધી થયો નથી. કવિતાને મળીએ એ જ મોટું સદભાગ્ય છે.

કવિતામાં હમણાં હમણાં ગઝલયુગ ચાલે છે. ગાંધીયુગની કવિતામાં સોનેટયુગ ચાલતો. સાહિત્યમાં પણ આ વર્તન, પરિવર્તન- આવું બધું થયા કરતું હોય છે. આઘાત અને પ્રત્યાઘાતની પણ મોસમ આવતી હોય છે.

ગઝલકારો તો ચિક્કાર છે, પણ ઉત્તમ ગઝલો વિરલ હોય છે. ગઝલનું સ્વરૂપ લપસણા ઢાળ જેવું હોય છે. એમાં કલમને સ્થિર રાખવી એ અશક્ય નહીં પણ મુશ્કેલ કાર્ય હોય છે.

હેમંતની આ ગઝલ સંવાદ જેવી લાગતી હોય પણ ખરેખર એ સ્વગત જેવી લાગે છે. માણસ એકલો એકલો પોતાની પ્રિય વ્યક્તિ સાથે વાત કરતો હોય, વાદવિવાદ કરતો હોય, સંવાદ કરતો હોય-એના જેવું લાગે છે.

માણસની ઝંખના બહુ નથી હોતી. શાયર કહે છે કે મેં ક્યાં બાગ કે ફૂલછાબ માગી છે. મેં તો માગ્યું છે એક ફૂલ અને એ ફૂલોમાં પણ મારી પસંદગી કઈ છે એ તમને કહી છે. મને ફૂલછાબ નહીં પણ ગુલાબ જોઈએ છીએ. સુંદરમના બે ગીતના ઉપાડ યાદ આવે છે.

એક ગીતનો ઉપાડ છે: મને ફાગણનું એક ફૂલ આપો કે લાલા મોરા કેસૂડો કામગણગારો જી લોલ. તો બીજા ગીતનો અંતરો છે: એક પાંદડી આપો આખું ફૂલ નહીં માગું. એક પાંદડી આપોને મારા રાજ, આખી રે વસંત મારી એ રહી. કાળી રાતમાં જેમ ચંદ્ર હોય એમ બંધ આંખમાં કોઈ સ્વપ્ન હોય. સ્વપ્નની સંખ્યામાં તો ગણતરી થઈ શકે એમ નથી પણ ક્યારેક કોરો નહીં પણ આંસુભીનો હિસાબ તો આપો.

આપણે એકમેકને આંખથી પ્રશ્ન પૂછીએ છીએ તો હોઠથી જવાબ તો આપો. કવિને રદીફ કાફિયા સહજ મળે છે. પ્રાસ અનાયાસ આવતા જાય છે. એને માટે પ્રયાસ કરવો પડતો નથી, પણ શબ્દનો સહજ પ્રવાસ થતો હોય એવું લાગ્યા કરે છે.

કાવ્યનાયક કહે છે કે હું કશું છુપાવતો નથી. મારા મનમાં જે કંઈ હોય છે તે અને મને જે કંઈ લાગે છે તે હું વિના સંકોચે પૂછી લઉ છું. તો મારામાં જે સહજતા છે એ સહજતાથી, એ સરળતાથી કોઈ પણ ભેદ રાખ્યા વિના કે ભેદી થયા વિના મને આપોઆપ જવાબ તો આપો.

પ્રિય વ્યક્તિ માટેની આવી અપેક્ષા એ કંઈ બહુ મોટી વાત ન કહેવાય. હું તમને રણમાં ઝાંઝવા બતાવવા નથી માગતો કે મોટી મોટી ભ્રમણામાં કે શમણામાં રાખવા નથી માગતો. હું તારાઓ તોડવાની વાત એટલા માટે નથી કરતો કે એને કારણે તમારામાં અપેક્ષા જન્મે અને કાલે સવારે તમે મારી પાસે સૂરજ પણ માગો.

કોઈ કવિના એક કાવ્યમાં આવે છે કે કોઈ મારી પાસે સૂરજ કે ચંદ્ર માગે તો વાંધો નથી, પણ આખું આકાશ માગે તો હું શું કરું? કોઈ આપણને આપણા જીવન વિશે પૂછે તો આપણે એને લખી લખીને શું આપીએ? એટલે બહેતર છે કે જીવન આપણું હોય અને એને આપણે કોરી કિતાબ સોંપી દઈએ.

પ્રિય વ્યક્તિને આવી કોરી અને કુંવારી સોગાદથી વિશેષ માણસ આપી પણ શું શકે? આ શાયરની એક બીજી ગઝલ જોઈએ:

ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણાં વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળું છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઊઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉ છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

– હેમંત પુણેકર