આજનું આ ગીત ટહુકોના એક વાચકમિત્ર તરફથી. મારા તરફથી હું એટલું કહીશ કે શાસ્ત્રીત્ર રાગ પર આધારિત આ ગીત સાંભળવાની ખરેખર મજા આવે છે..
——————————
કવિ ઇન્દુલાલ ગાંધી અડધી રાતે મોરનો ટહુકો સાંભળે છે અને કૌતુકવશ બહાર નીકળે છે. તમે ક્યારેય મોરને અડધી રાતે બોલતા સાંભળ્યો છે ? કવિ આ આખી ઘટનાને એક વર્ણનાત્મક કવિતામાં ઢાળી દે છે. કવિતાનો આ એક સીધીસાદી ઘટનાના વર્ણન સિવાય બીજો કોઇ ગૂઢાર્થ નથી. ક્ષેમુભાઇએ ચંદ્રકૌંસમાં રાગ બનાવ્યો અને રાસભાઇએ ગીત ગાયું, આપણે સાભળીયે… આમ કવિનું કૌતુક અને કલ્પના આપણા સુધી પહોંચી એનો આનંદ લઇએ.
મોર કેમ બોલ્યો હશે? આકાશમાં વાદળો ન હતાં, ચંદ્ર પણ ન હતો – મોરે શું જોયું ? હા, એ રાત ઝાકળભીની હતી. ઝાકળ પડતું હતું એને વાદળનો વીંઝણો માની બેસેલો મોર આનંદથી ટહુકી ઉઠ્યો; હકીકતમાં તો એ નટવો નઠોર છેતરાયો હતો. અને મોરને પોતા છેતરાયો છે એ ત્યારે ખબર પડે છે જ્યારે ઉષઃકાળ થતાં કાજળ કરમાયું એટલે કે અંધારુ ગયું… અને પોતાનાં રંગીન ફૂમતાં એટલે કે પીછાં ફંગોળી મોર પોતાનો કલશોર સંકેલી લે છે.
…. પણ એક વાત નક્કી છે કે અડધી રાતે કોઇ મોર કે કોયલનો કલશોર સાંભળવો, કે પછી આકાશમાં ઊડતા સારસ પક્ષી કે કુંજ પક્ષીના ટહુકાઓ (અડધી રાતે) સાંભળવા એ ખૂબ જ રોમાંચક ઘટના છે. અને એ અહીં અમેરિકામાં નહીં પણ ભારતના કોઇ ગામડામાં જ મળે !!
હમણા ચૈત્ર નવરાત્રી ચાલે છે.. ( મને તો ઉમાબેને કહ્યું ત્યારે જ ખબર પડી ). અને નવરાત્રીની સાથે યાદ આવે ગરબા, આરતી, દાંડિયા… અને આ સ્તુતિ પણ. આરતીની સાથે લગભગ બધે જ આ સ્તુતિ સાંભળી છે. આમ તો ટહુકો પર પહેલેથી આ સ્તુતિ છે જ, પણ આજે થોડો ઉમેરો કરું છું. ( અરે ચિંતા ના કરો.. હું જાતે ગાઇને નથી સંભળાવવાની 🙂 ) આ એક જ સ્તુતિ ત્રણ અલગ અલગ રાગમાં સાંભળો.
દસમા અને બારમાની તમારી પરીક્ષાઓ યાદ છે ? મારી સૌથી વધુ હાલત ખરાબ થતી સમાજવિદ્યા અને અર્થશાસ્ર્ત્ર જેવા વિષય વખતે. આજે ભલે યાદ કરતા થોડું હસવું આવી જાય, પણ ત્યારે તો એ પરીક્ષાઓ એટલે જાણે જંગ.. આખું વર્ષ બસ એક જ વાત… આ વખતે તો બોર્ડની પરીક્ષા. માનસિક તાણ શું હોય એ કદાચ એ વખતે પહેલીવાર સમજાયેલું.
આજે મને થાય છે કે મુકુલભાઇએ લખેલું અને મેહુલભાઇએ સ્વરબધ્ધ કરેલું આ ગીત એ વખતે સાંભળ્યુ હોત, તો જરૂરથી પરીક્ષાઓ વધારે સારી ગઇ હોત.