તન નાચે પણ મન ના નાચે,
પગ નાચે પણ પ્રાણ ન નાચે,
ભીતરના ઝંકાર વિનાના
મઝુમમાં નહીં રાચું રે ઘાયલ!
લઈ લે પાયલ પાછું.
– વેણીભાઈ પુરોહિત
સુરેશ દલાલના શબ્દોમાં આ કવિતાનો આસ્વાદ:
યાદ છે ત્યાં સુધી વેણીભાઈ પુરોહિતે આ ગીત ‘વાસવદત્તા’ નામની નૃત્યનાટિકામાં લખ્યું હતું. વેણીભાઈના મોટા ભાગનાં ગીતોને સંગીત અજિત મર્ચન્ટ આપતા. વાસવદત્તાની ભૂમિકા કેળવણીકાર આચાર્ય રમણલાલ વકીલની પુત્રી મીના ભજવતી. વેણીભાઈના શબ્દોમાં શબ્દસંગીત અને ભાવસંગીતની અનાયાસે જુગલબંધી જામતી. સંગીત શબ્દોમાંથી આપમેળે ઝરતું. બાહ્ય સંગીત એ ગીતનો ઠઠારો ન બનતું. વેણીભાઈની કવિતામાં શબ્દો અને સંગીતનો સંબંધ હાથ અને હસ્તારેખા જેવો રહ્યો, જળ અને માછલી જેવો નહીં. એમાં પણ સહેજ જુદાપણું લાગે. આમાં તો જાણે કે શબ્દો અને સંગીતનું દ્વૈત નહીં પણ અદ્વૈત રચાતું.
અહીં કાવ્યનાયિકા ઝાંઝર પાછું આપી દેવાની વાત કરે છે. પાયલ અને ઘાયલ પ્રાસ પણ ગમી જાય એવા છે. પ્રારંભના છુમક છુમક શબ્દો પણ સ્વયમ્ નૃત્યશીલ છે. નહીં નાચવાનું જે કારણ છે તે પણ શુષ્ક તર્કબદ્ધ નથી અને એ તો આ કાવ્યની મજા છે. સ્થૂળ નર્તન અભિપ્રેત નથી. એવી રીતે નાચવું એના કરતાં ન નાચવું સારું. મીરાંએ આ વાતને જુદી રીતે કહી: ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.’ જયારે ઘૂંઘરું કંકર જેમ કાયા પટકતું હોય અને આપમેળે જૉ અંદરથી માયા છલકતી ન હોય તો એ નાચવાનો અર્થ શું? ખ્યાલ છે ત્યાં સુધી અલિઝાબેથ જેનિંગ્સે કહ્યું છે કે યુ કેન નોટ સેપરેટ ધ ડાન્સર ફ્રોમ ધ ડાન્સ.
પ્રકòતિ કેટલી બધી નર્તનમય છે. ઝરણાં છમાછમ વિના પણ નાચતાં જ હોય છે. પૃથ્વી પર આવું છે તો આકાશમાં તારાઓનું પણ નર્તન દેખાય છે, સંભળાય છે. જીવનમાત્રની નાડીના ધબકારા પાયલ પહેર્યા વિના પણ નાચી શકે છે. પાયલ એ બહારની વસ્તુ છે. લોહીમાં લય હોય તો પછી નર્તન સ્વાભાવિક છે.
વનનો મોર પણ કળા કરીને નાચતો હોય છે એ ઝાંઝર પહેર્યા વિના વાદળ અને વીજળીનું નર્તન પણ જાણવા-માણવા જેવું છે. કારણ વિના ગાલિબની કવિતા વિષેની વિભાવના યાદ આવે છે કે એક કવિતા લખવી એ વીજળીના પગે મહેંદી મૂકવા જેવી વાત છે. પ્રેમીઓની આંખ જયારે શબ્દો વિના રણકતી હોય છે ત્યારે એના અણસારોએ કયાં કોઈ ઝાંઝર પહેર્યા હોય છે? માત્ર શરીર નાચતું હોય અને મનમાં થનગનાટ ન હોય; શરીર નાચે પણ પ્રાણ નાચવાની ના પાડે તો આવા જુઠ્ઠાં નર્તનનો અર્થ જ નથી. ભીતરના ઝંકાર વિનાના રુમઝુમમાં નાચવાનું કે રાચવાનું નાયિકાને મંજૂર નથી.
આ સાથે પ્રહ્લાદ પારેખનું એક ગીત મૂકું છું. જયાં વાત જુદી રીતે કહેવાઈ છે કે જો હૃદયમાં જ અભિમાન હોય તો શિર નમાવવાનો અર્થ શું? આ ગીત પણ સામે મૂકીને વાંચવા જેવું છે. ભાવદૃષ્ટિને અને ભાવસૃષ્ટિને એકમેકની અડખેપડખે મૂકવા જેવી છે.
શું રે કરું હું શીશ નમાવી?
ગર્વથી ઉંચું ઉર રે:
શું કરું સાગર લાવી,
દ્રવે જો નૈન નહીં નિષ્ઠુર રે?
શું રે કરું બીન બજાવી?
અંતરતાર બસૂર રે;
અંગમરોડ હું કેમ કરું,
જો નાચી ઉઠે નવ ઉર રે?
વૈભવ આપી શું રે કરું હું,
હૈયું જો હોયે રંક રે?
રૂપ ફૂલોનાં કેમ સમર્પું?-
અંતરે મલિન રંગ રે.
શું રે કરું હું દીપ પ્રજાળી,
હૈયે નહીં જો નૂર રે?
વાણીપ્રવાહ હું કેમ વહાવું,
જો નહીં પ્રેમનાં પૂર રે?
આજે ૨૧ ડિસેમ્બર – વ્હાલા કવિ શ્રી મુકુલ ચોક્સીનો જન્મદિવસ…. મુકુલભાઇને આજના ખાસ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સાથે સાંભળીએ એમની આ ખાસ ગઝલ, એમના પોતાના જ સ્વરમાં 🙂 કવિની આ ખૂબ જ જાણીતી ગઝલ, એમના આગવા અંદાઝમાં સાંભળવાની મઝા જ કંઇ અલગ છે..!
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.
સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.
કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.
લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.
પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.
આજે કવિ શ્રી શૂન્ય પાલનપૂરીનો જન્મદિવસ… એમને આપણા સૌ તરફથી શ્રધ્ધાંજલી સાથે, સાંભળીએ એમની આ મઝાની ગઝલ. આ ગઝલના શબ્દો તો ટહુકો પણ ઘણા વખતથી છે, આજે મનહર ઉધાસના સ્વર -સંગીત સાથે ફરી એકવાર…
નીચે વિવેકની ટીપ્પણી છે એમ – ગઝલ પર લખાયેલી ગઝલો યાદ કરીએ તો આ ગઝલ એમાં ટોચની રચનાઓમાં આવે જ.
હમણા થોડા વખત પહેલા California Academy of Sciences’ ના Morrison Planetarium માં ‘JOURNEY TO THE STARS‘ નામનો Show જોયો.. અને બીજે દિવસે ‘Disneynature Movie : Earth‘. ખરેખર તો આ બંને show માં એવું કંઇ નવું નો’તુ કે જેના અસ્તિત્વ વિષે પહેલા ખબર નો’તી..!! પણ કોણ જાણે કેમ, મારી જીંદગીની વ્યાખ્યાનો વ્યાસ થોડો મોટો થઇ ગયો હોય એવું લાગ્યું….
અને એ જ સમયે મળી હિમાંશુભાઇની આ ગઝલ… વાંચતા જ ગમી જાય એવી..! અને કંઇક હદે જાણે ‘મારી જ વાત’ જેવા લાગતો શેર…
હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી
પોતે જગથી નોખા હોવાનો ભાવ/ભ્રમ કોને નથી થતો? અને વાત તો સાચી જ ને, ક્યાં તમને બે વ્યક્તિઓ સરખી જોવા મળે? બધામાં કંઇને કંઇ તો એવું નોખુ હોવાનું જ ને, કે જે આપણને જગથી જુદા બનાવે..! અને તો યે, broader perspective થી જોઇએ તો – બધાની જીંદગી લગભગ એકસરખી ઘરેડમાંથી પસાર થતી હોય એવું નથી લાગતું?
અને મક્તાનો શેર પણ મને તો ખૂબ જ ગમી ગયો..!
તો સાંભળીએ હિંમાશુભાઇની આ તાજ્જી ગઝલ – એમના જ અવાજમાં..
( જીંદગી… )
બસ કદી એમજ મળે છે, જીંદગી
હું જડું છું જ્યાં, જડે છે જીંદગી
દોડતો બસ દોડતો રાખી સતત
કે હસે છે, જો હસે છે, જીંદગી
એક દરિયો, એક પળમાં વીફરે
તો બની લાશો તરે છે જીંદગી
હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી
શું ઘડામણ આપનું કાચું હતું?
કે મને ઘડતી રહે છે જીંદગી
ચાલવાનું ક્યાં સુધી? આ શ્વાસ ચાલે ત્યાં સુધી.
શ્વાસ ચાલે ક્યાં સુધી? તું હાથ ઝાલે ત્યાં સુધી.
ઝાલવાનું ક્યાં સુધી? હું ઢળું ના ત્યાં સુધી.
તું ઢળે ના ક્યાં સુધી? તું મળે ના જ્યાં સુધી.
જાગવાનું ક્યાં સુધી? આ રાત જાગે ત્યાં સુધી.
રાત જાગે ક્યાં સુધી? તું ચાંદ માંગે ત્યાં સુધી.
માંગવાનું ક્યાં સુધી? થાય ઈચ્છા જ્યાં સુધી.
થાય ઈચ્છા ક્યાં સુધી? હોય આશા જ્યાં સુધી.
ઝૂરવાનું ક્યાં સુધી? ઝંખના છે જ્યાં સુધી.
ઝંખના છે ક્યાં સુધી? ચાહના છે જ્યાં સુધી.
ચાહવાનું ક્યાં સુધી? મન મરે ના જ્યાં સુધી.
મન મરે ના ક્યાં સુધી? તું ડરે ના જ્યાં સુધી.
આજે વિવેકની એક કવિતા – એના જ બ્લોગ પરથી – એણે જ મુકેલા ફોટા સાથે… In short – Copy & Paste 🙂
(કોરતું ને કોરાતું એકાંત…. …..જુલાઈ, ૨૦૦૮)
*
તારા જવાથી
હું ઉદાસ તો હતો જ.
દુઃખીય ખરો.
અચાનક જ
ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.
માથા પર સ્થિર થઈ ગયેલા
પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં
આંખ
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય
એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….
આવામાં
વિરહવ્યાકુળ કવિ
કવિતા ન કરે તે કેમ ચાલે ?
હુંય બઠો એક કાગળ લઈને.
કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!