Category Archives: કવિઓ

બસ એટલું નક્કી કરો – વિવેક કાણે ‘સહજ’

ડૂબવું છે? દિન-પ્રહર, બસ એટલું નક્કી કરો,
મયકદા કે માનસર, બસ એટલું નક્કી કરો.

કાં જતા કરવા પડે છે શ્વાસ, કાં લખવી ગઝલ
ચાલશે શેના વગર, બસ એટલું નક્કી કરો.

ધ્યેયસિધ્ધિ થઈ કે નહીં, એ પ્રશ્ન તદ્દન ગૌણ છે
કેટલી કાપી સફર, બસ એટલું નક્કી કરો.

જન્મ લીધો ત્યારથી મરવું અફર છે ભાગ્યમાં,
કઈ રીતે કોના ઉપર, બસ એટલું નક્કી કરો.

મેં કસુંબો પણ પીધો છે, ને પીધું છે રૂપ પણ,
શેષ છે શાની અસર, બસ એટલું નક્કી કરો.

ભરવસંતે તો ‘સહજ’ ખીલ્યા હશો, ડોલ્યા હશો,
કેવી વીતી પાનખર, બસ એટલું નક્કી કરો.

– વિવેક કાણે ‘સહજ’

અધરાતે મધરાતે – હરીન્દ્ર દવે

આજે વ્હાલા કવિ શ્રી હરીન્દ્ર દવેના શબ્દો મઢ્યું આ કૃષ્ણગીત… ઝરણા વ્યાસના મીઠા અવાજમાં અને ઉદયનભાઇનું એટલું જ મઝાનું સ્વરાંકન..!!

સ્વર – ઝરણા વ્યાસ
સંગીત – ઉદ્દયન મારુ

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.

દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.

કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?

રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે

ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?

– હરીન્દ્ર દવે

(શબ્દો માટે આભાર- અક્ષરનાદ.કોમ)

વસંતે વસંતે – મકરન્દ દવે

મારા આંગણાની ગુલાબી વસંત - March 31, 2012; San Francisco

વસંતે વસંતે વસંતો ગુલાબી,
આ દુનિયા ખરી છે, આ દુનિયા છે ખ્વાબી.

હવાખોર શ્વાસોની કેવી આ હુજ્જત !
આ રંગેરી આંખોની કેવી નવાબી !

ગમે ત્યાંથી આવો, ગમે તે વહાવો,
નજર તો છે નખરાળ, હાજરજવાબી !

ચલો, આજ ચોપાટ માંડો ધરાની,
ચલો, આજ નભને કરીએ શરાબી !

– મકરન્દ દવે

મુખડાની માયા લાગી રે – મીરાંબાઇ

જૂન ૧૫, ૨૦૦૯ માં મુકેલું આ મીરાંબાઇનું ગીત આજે બે અલગ સ્વરાંકનમાં……

સ્વર – દિપાલી સોમૈયા
સંગીત – આશિત દેસાઇ ?

સ્વર – કૌમુદી મુનશી
સંગીત – ?

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા

પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા

મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા

– મીરાંબાઇ

તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર – સુરેશ દલાલ

જલમાં ઝૂરે માછલી ને વનમાં ઝૂરે ફૂલ :
ભરવસંતે છાનું ઝૂરે કોયલ ને બુલબુલ
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

દરિયામાં એક ઝૂરે હોડી અને હલેસાં ઝૂરે :
નાવિકને અહીં આવવાનું કેમ કહો નહીં સ્ફુરે ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

વૃંદાવનમાં ઝૂરે વાંસળી ; ઝૂરે મીરાંનું મન.
જે મુખડાની માયા લાગી ક્યાં છે એ મોહન ?
અમારી એવી તે કઈ ભૂલ :
તમે તો પાસે તોયે દૂર દૂર ને દૂર….

– સુરેશ દલાલ

આપણે માનવી, મનના રે મેલા

પરમેશ્વરે પિંડ ધડ્યા પછી, માનવ એવું નામ આપ્યું, અને સાથે સાથે, રાગ, દ્રેસ, તૃષ્ણા, ક્રોધ, મદ, મોહ, માયા, એવા તત્વો નું ભાથું પણ બંધાવીયું. હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓમાં, એવો ફલાદેશ છે કે માણસે માણસ થવા, પશુ, પંખી અને પ્રાણીઓના દાખલા લેવા પડે છે. ખુબ ઉંડા મુળ છે માનવ ના વંશવેલા ના, પણ મુળથી સડેલા. સર્જનહારે કેવી કેવી કલ્પનાઓ કરી હશે સર્જન વેળાએ, પણ આ કાળા માથાનાં માનવી એ, પરમેશ્વરની સર્વ ધારણાઓનું ઉન્મુલન કરી નાખ્યું છે. પરસપર ની ખોટી પ્રશંસા, આધાર વગર ના આડંબર, અને કદરૂપ વૃત્તિઓનું વરવું પ્રદર્શન, એ માનવ ના જાણે કે ગુણ થઇ ગયા છે. પરંતુ એ પળ અવશ્ય આવશે, જ્યારે એણે, સર્વસત્તાધિશનું શરણું લેવુ પડશે, અને એના રટણમાં લીન થઇ જવા પડશે.

નરેશન : આપણે માનવી by મેહુલ

સ્વર : ચન્દુ મટ્ટાણી
સંગીત : આશિત દેસાઇ
ગુજરાતી આલબ્મ : ભવતારણમ “Bhav Taranam”

બુરા, જો દેખન મેં ચલીયો, હો…
બુરા, જો દેખન મેં ચલીયો, બુરા ન મિલયો કોઇ
જો તન ઢુંઢ્યો આપનો હો…
જો તન ઢુંઢ્યો આપનો, મુઝસે બુરો ન કોઇ

મનના રે મેલા હો…મનના રે મેલા
આપણે માનવી…હો..મનના રે મેલા…

મુક મીઠેરી, ભો માં તો યે
મુળ તો કડવા મેલા હો…
આપણે માનવી હો…

કઇ ધાતુ થી, ધડનારા યે
આપણા ધાટ ધડેલા હો…

ઘસી ઘસી ને…હો…માંજીએ તો યે
રોજ ના કાટ ચઢેલા…
મનના રે મેલા હો…

વણનારા એ, વણતી વેળા
તાર કેવા વણેલા હો…

ઉજળા એવા…હો…રંગ ચઢાવો
તો યે સદા ફટકેલા…
મનના રે મેલા હો…

અંધ કહે, કદરૂપ જીવ ને
વાહ સા રૂપ તમારા હો…

આપણે અરે રે…હો..હો…મુરખ કેવા
આપણા પર થયા ઘેલા…
મનના રે મેલા હો…

पायोजी मैंने राम-रतन धन पायो – मीरांबाई

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ મીરાંબાઈનું પ્રખ્યાત અને અમારું મન-પસંદ ભજન…..


(ભગવાન સ્વામિનારાયણ / ભગવાન રામ)

સ્વર – લતા મંગેશકર

સ્વર – આશિત દેસાઇ ?

पायोजी मैंने राम-रतन धन पायो.

वस्तु अमुलख दी मेरे सतगुरू,
किरपा कर अपनायो … पायोजी मैंने

जनम जनमकी पूंजी पाइ,
जगमें सभी खोवायो … पायोजी मैंने

खरचै न खूटे, चोर न लूटे,
दिन दिन बढत सवायो … पायोजी मैंने

सतकी नाव, खेवटिया सतगुरू,
भव-सागर तर आयो … पायोजी मैंने

मीरां के प्रभु गिरिधर नागर,
हरख हरख जश गायो … पायोजी मैंने

– मीरांबाई

મને આપો આંખ મુરારી – રઘુનાથ બ્રહ્મભટ્ટ

સ્વર / સંગીત – આશિત દેસાઇ

મને આપો આંખ મુરારી
પ્રભુ એક જ આશા મારી

રંગભરેલી રચના તારી
મારે કાળી કાળી
મને આપો આંખ…

જીવન કલ્પના જગત કલ્પના
કાળી આભ અટારી
કાજળ છાયા ડગલે ડગલે
જિંદગી જ્યાં અંધારી
મને આપો આંખ…

પ્રભાત કાળા સંધ્યા કાળી
કાળી સૃષ્ટિ સારી
હર અંધારે રોજ ભટકતો
દુનિયા લાગે ખારી
મને આપો આંખ…

– રઘુનાથ બ્રહ્મભટ્ટ

કવિતાએ કાનમાં કહ્યું – શિવ પંડ્યા

આમ ને આમ
આંઘળી ભીંતો ઉપર હાથ ફેરવતાં
હાથ લાગી ગયું એક અવડ બારણું

આગળા ખોલ્યા ને કિચૂડકટ અવાજમાં
ધસી આવ્યો કુમળો કુમળો પ્રકાશ
દોડી ગયો આળસુ અંધકાર
ઝૂમી ઊઠ્યું લીમડાનું ઝાડ
આનંદવિભોર સર્પ જેમ રસ્તાઓ સળવળ્યા
ને બુધ્ધિનું બધિરત્વ પીગળ્યું
ચારે કોર કિલ્લોલતો અવાજ અવાજ
અંદરનું અંધત્વ ઓગળ્યું.
ચારે કોર સુગંઘભર્યો અજવાસ અજવાસ

હવે
બારણે બંધાયું છે સાત સૂરજનું તોરણ
આંગણે ચીતરાઈ છે ઇન્દ્રધનુની રંગોળી
તેજલ અશ્વ જેવો થનગનતો માંહ્યલો
કાનમાં કહે છે મને
બારણું હવે ભીડતો નહિ
હોં કે.

– શિવ પંડ્યા

ગીત મને કોઈ ગોતી આપો – યશવંત ત્રિવેદી

મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો

કોઈ રાધાનાં લોચન-શા આ દરિયાઓ
ઈ દરિયાઓની પાર ઝૂલતી સાંજનાં કોઈ વાંસવનો ઈ વાંસવનોના કો’ક મોરના મોરપીંછમાં
પૂરવ જનમ થૈ ઊડી ગયેલું ગોકુળ મારું ગોતી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.

મારો ચઇતર તો અંધ, મને શીદ ફૂલોભરી તડકાની ડાળી બતલાવો?
મારા ગોકુળની ઋતુ ઋતુ , આ અંધ શહેરમાં નિયોનના પરદાઓમાં શીદ લટકાવો?

કોઈ કન્હાઈની આંખોમાં તરતાં આકાશો
ઈ આકાશોને કહો કે ઊતરે હળુહળુ કોઈ બોરસલીની ડાળે
ઈ બોરસલીની ડાળ હવે તો વસંતનું ઝુમ્મર થૈ ઝૂલે
ઈ ઝુમ્મર નીચે રીસે ઊભી રાધાને ફૂટ્યું ગીત મને કોઈ લાવી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.

સમયના તૂટી ગયેલા દર્પણમાં લો આજ મને કોઈ પૂરવજનમથી સાંધી આપો.
ઈ દર્પણના કો’ક શહેરના અવશેષોથી કન્હાઈ-રાધા આજ મને કોઈ લાવી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો

– યશવંત ત્રિવેદી