Category Archives: કાવ્યપ્રકાર

કારેલાની કિટ્ટા અને બટાકાની બુચ્ચા  – ઉદયન ઠક્કર

ખમીસમાં ચટાપટા પપ્પા, હું તો વાઘ
જીવ હોય વહાલો તો અહીંયાંથી ભાગ !

ત્રણ મારા ખાસ દોસ્તઃ રામ, નટુ, રિંગો
તમારે થવું છે મારા ભાઈબંધ ? ડિંગો !

મમ્મી પૂછે, જોઈએ કે તાજો તાજો નાસ્તો ?
હરખાઈને હું બોલું, હાજી, હાજી, હાસ્તો !

ચારેબાજુ ચપોચપ ચોપડાનો થપ્પો
કાં તો હશે છાપાંવાળો, કાં તો મારો પપ્પો !

કોઈ શાક ભલાં-ભોળાં, કોઈ શાક લુચ્ચાં…
કારેલાની કિટ્ટા અને બટાકાની બુચ્ચા !

– ઉદયન ઠક્કર

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત – શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)

Mr. Grumpledump’s Song

Everything’s wrong,
Days are too long,
Sunshine’s too hot,
Wind is too strong.
Clouds are too fluffy,
Grass is too green,
Ground is too dusty,
Sheets are too clean.
Stars are too twinkly,
Moon is too high,
Water’s too drippy,
Sand is too dry.
Rocks are too heavy,
Feathers too light,
Kids are too noisy,
Shoes are too tight.
Folks are too happy,
Singin’ their songs.
Why can’t they see it?
Everything’s wrong!

– Shel Silverstein

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત

સઘળું જ છે ખોટું અહીંયા તો,
દિવસો બેહદ લાંબા લાંબા,
પવન વળી હદપાર જોરુકો
સૂરજની ગરમી છે તોબા.
વાદળ છે વધુ પડતાં પોચાં,
અનહદ લીલું લીલું ઘાસ,
જમીન છે કે ધૂળના લોચા,
ચાદર વધુ પડતી છે સાફ.
બેસુમાર ચમકીલા તારા,
ચાંદો હદ બહાર છે ઊંચે,
વધુ સરકીલી જળની ધારા,
રેતનું સુક્કાપણુંય ખૂંચે.
પથરા વધુ પડતા છે ભારી,
પીંછા અસીમ અપાર છે હલકાં,
બાળક સૌ અતિશય ઘોંઘાટી,
વધુ પડતાં છે તંગ પગરખાં.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,

– શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)

નૈરાશ્યદેવોનું રાષ્ટ્રગીત

‘મરઘી પહેલી કે ઈંડુ’ જેવો જ બીજો લોકપ્રિય સવાલ છે – ‘ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો?’ તમે ગ્લાસને અડધો ભરેલો કહો છો કે અડધો ખાલી એના પરથી તમે આશાવાદી છો કે નિરાશાવાદી એ નક્કી થાય છે. કેટલાક ઉત્સાહી લોકોએ આ સવાલ-જવાબનું શ્રેય સોક્રેટિસને આપ્યું છે, પણ ઐતિહાસિક રીતે એ ખોટૂં છે. આ સવાલ સો વરસથી વધારે જૂનો નથી, પણ માણસના જીવનદર્શન વિશે વાત કરવા માટે એ અગત્યની કૂંચી બની ગયો છે. ગ્લૉબલ કવિતાના આંગણે ચાલો, આજે ગ્લાસને કેવળ અડધો ખાલી જ જોઈ શકતા શ્રીયુત ફરિયાદશંકરને મળીએ.

શેલ્ડન એલન સિલ્વરસ્ટીન. ગાયક-ગીતકાર, કાર્ટૂનિસ્ટ, પટકથાલેખક; નાટ્ય કલાકાર, લેખક તેમજ પ્રોડ્યુસર અને ખાસ તો બાળસાહિત્ય સર્જક. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૩૦ના રોજ અમેરિકાના શિકાગો શહેરમાં યહૂદી પિતા અને હંગેરિયન-યહૂદી માતાને ત્યાં જન્મ. આર્થિક પરિસ્થિતિ નબળી. નાની વયે અમેરિકન સેનામાં જોડાયા. સાત વર્ષની વયથી કાર્ટૂન દોરવાનું શરૂ કર્યું. પચ્ચીસ વર્ષની વયે સૈન્યવિષયક કાર્ટૂનોનું પુસ્તક પ્રગટ થયું. અમેરિકાના નોંધપાત્ર અખબારો અને સામયિકોમાં એમના મૌલિક શૈલીના કાર્ટૂન છપાતા. જાણીતા પુખ્ત સામયિક પ્લેબોયમાં લાંબો સમય સુધી અગ્રણી કાર્ટૂનિસ્ટ રહ્યા. એમણે ઘણી ફિલ્મો અને આલ્બમ માટે ગીતો પણ લખ્યાં અને સંગીત પણ આપ્યું. તેઓ આ પ્રોજેક્ટ્સમાં ગિટાર, પિઆનો, સેક્સોફોન અને ટોમ્બોન પણ વગાડતા. કદી લગ્ન ન કર્યા, પણ કહેવાય છે કે સેંકડો, કદાચ હજારો સ્ત્રીઓ સાથે એમણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ૧૯૬૩ની સાલથી અંકલ શેલ્બીના નામે બાળસાહિત્યનું સર્જન આદર્યું. એમની કવિતાઓમાં ઘેરો વ્યંગ, અસંબદ્ધતા અને કાલ્પનિક પાત્રાલેખન વિશેષ જોવા મળે છે. રમતિયાળ શૈલીમાં સરળ ભાષા, અને ચુસ્ત છંદ-પ્રાસને અનુસરતી એમની રચનાઓ બાળકોથી લઈને મોટેરાઓ સુધી તમામને એકસમાનરૂપે આકર્ષે છે. એમના પુસ્તકોના પચાસેક ભાષાઓમાં અનુવાદ થયાં છે અને બે કરોડથીય વધુ પ્રતો વેચાઈ ચૂકી છે. ૧૦ મે, ૧૯૯૯ના રોજ કી-વેસ્ટ, ફ્લોરિડા ખાતેના ઘરમાં હ્રદયરોગના કારણે એમનું નિધન થયું.

‘શ્રીયુત ફરિયાદશંકર’ એક મજાનું ગીત છે. આમ તો એ અ-બ-અ-બ પ્રકારની પ્રાસનિયોજના ધરાવતા પાંચ ચતુષ્કોથી નિર્મિત થયું છે, પણ કવિએ પાંચેય અંતરાને ખાલી જગ્યાથી અલગ કરવાના બદલે અડોઅડ ગોઠવ્યા છે. એકેય વાક્ય બીજી પંક્તિ સુધી લંબાતું નથી. વીસ નાનકડી પંક્તિઓ અને વીસ નાનકડાં વાક્યો. વીસ વાક્યો અને વીસ ફરિયાદો. શરૂ થતાં જ ખતમ થઈ જાય એવા ટબૂકડાં વાક્યો વચ્ચે કવિએ કોઈ જાતની ખાલી જગ્યા ન છોડી હોવાથી આખી કવિતા એકી શ્વાસે વાંચવી પડે છે અને સડસડાટ એક પછી એક આવ્યે જતી ફરિયાદોના પૂરમાં ડૂબી જવા સિવાય ભાવક પાસે કોઈ આરો રહેતો નથી. વળી જે પંક્તિથી કવિતા આરંભાય છે, એ જ પંક્તિ સાથે અંત પામતી હોવાથી નિરાશા અને ફરિયાદનું વર્તુળ પણ પૂર્ણ થતું અનુભવાય છે. સારી કવિતા કાયમ સારા શબ્દોના સહારે જ લખાય એ જરૂરી નથી. શબ્દો તો કવિતાનો પ્રાણ છે જ, પણ સારો કવિ કવિતા અને ભાષાના બાહ્યસ્વરૂપની મદદ વડે સારાને ઉત્તમમાં પલોટી શકે છે.

મૂળ કાવ્યનું શીર્ષક છે, ‘મિ. ગ્રમ્પલડમ્પ્સ સોંગ.’ બાળસાહિત્યમાં મોંધપાત્ર પ્રદાન કરનાર શેલને નવાનવા પાત્ર સર્જવાની ફાવટ હતી. કવિએ ‘Grumple’ શબ્દ ‘Grumpy’ પરથી બનાવ્યો હોવો જોઈએ. ગ્રમ્પી એટલે બદમિજાજ, રોતલ, મિજાજી. એ સિવાય ‘Grumple’ની નજીકનો શબ્દ છે ‘Grumble,’ જેનો અર્થ છે બડબડાટ કરવો, ફરિયાદ કરવી, રોદણાં રડવાં, કે અસંતોષ વ્યક્ત કરવો. ગ્રમ્પલ શબ્દમાં બંને ભાવ વર્તાય છે. ડમ્પ કરવું એટલે શું એ આપણે જાણીએ છીએ. કવિએ એ શબ્દ ભેગા કરી કથકને નામ આપ્યું છે. ૧૯૭૪ની સાલમાં પ્રગટ થયેલ સંગ્રહમાં આ કવિતા હતી, અને એ પછી ૨૦૦૬ની સાલમાં સુપ્રસિદ્ધ કાર્ટૂનકથા ‘ધ સિમ્પ્સન્સ’માં ગ્રમ્પલ નામનું પાત્ર જોવા મળે છે. ‘ગ્રમ્પી ગ્રૂ’ તરીકે પણ ઓળખાતા આ પાત્રના લક્ષણ આપણા કાવ્યનાયકને જ મળતા આવતા હોવાથી એવું અનુમાન કરી શકાય કે આ પાત્રનું નામાંકન કદાચિત્ સર્જકના અવચેતન મનમાં પડેલ આ કાવ્યના સંસ્કારને પણ આભારી હોય.

શ્રીયુત ફરિયાદશંકરના ગીતની શરૂઆત જ અહીં જે કંઈ પણ છે, એ બધું ખોટું હોવાના નકારાત્મક કથન સાથે થાય છે. એને પ્રકૃતિ સામે પણ ફરિયાદ છે, માનસર્જિત ચીજવસ્તુઓ સામે પણ સમસ્યા છે અને ખુદ મનુષ્યોથી પણ તકલીફ છે. હકીકતમાં તો ફરિયાદશંકરને કોની સામે ફરિયાદ નથી એ અન્વેષણનો વિષય બની શકે. આપણી આસપાસ આવા અનેક વાંકદેખાઓ જડી આવશે, જે કોઈ પણ વસ્તુની સારપ વિશે બોલવાના બદલે નકારાત્મક બાજુ વિશે જ વાત કરશે. ગમે એટલી સરસ મજાની વાનગી મહેનત કરીને બનાવીને ખવડાવશો તો ક્યાં તો એને એમાંના મીઠા-મસાલામાં વધઘટ પડશે, અથવા કાચાપાકાનાં રોદણાં રડશે અને વાંક કાઢવાલાયક કંશું જ હાથ નહીં આવશે તો ચાઇનીઝના બદલે મેક્સિકન ડિશ બનાવી હોત તો વધુ મજા પડત એમ કહેશે. એ મરી જશે પણ વખાણ નહીં કરી શકે, કારણ આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે.

સર્વગ્રાહી સર્વવ્યાપી નકારાત્મક્તા કંઈ નવી વાત નથી. તુંડે તુંડે મતિ ભિન્નાઃ. દુર્ભાવ જ કેટલાક મનુષ્યોનો સ્વ-ભાવ હોય છે. આજથી અઢી હજાર વર્ષ પહેલાં સોફોક્લિસે કહ્યું હતુ: ‘જન્મ ન લેવો, એ સર્વ અનુમાનોથી પર, સર્વોત્તમ છે; પણ જ્યારે કોઈ વ્યક્તિ પ્રકાશ જોઈ લે છે, તો એ પછીનું શ્રેષ્ઠ કાર્ય એ જ છે કે એ શીઘ્રાતીશીઘ્ર ત્યાં પરત ફરે, જ્યાંથી આવ્યો હોય.’ જૂના કરારમાં પણ આ પ્રકારની વિચારસરણી જોવા મળે છે: ‘એ નસીબદાર છે જે હજી જન્મ્યો નથી.’ થોમસ હાર્ડી, કાફકા અને સેમ્યુઅલ બેકેટ જેવા ઘણા સર્જકોની પ્રમુખ કૃતિઓનો પ્રમુખ સૂર જીવનની વ્યર્થતા અંગેનો જ રહ્યો છે. લૉર્ડ બાયરનની ‘ડાર્કનેસ’ નામની લાંબી કવિતા તો હાડ થીજાવી દે એવી છે, જેમાં કવિ એવું સપનું જુએ છે, જે ખરેખર સપનું નહોતું. સૂર્ય હોલવાઈ ગયો છે, માર્ગચ્યુત તારાઓ ચમકતા નથી, બરફ બની ગયેલ પૃથ્વી આંધળાની જેમ આથડે છે, સવાર આવ-જા કરે છે, પણ દિવસ આવતો જ નથી… નદી, તળાવ, દરિયો બધાં જ સ્થિર થઈ ગયાં છે, ચંદ્ર મૃત્યુ પામ્યો છે. અંધકારને આમાંના એકેયની મદદની જરૂર નથી, કેમકે એ જ બ્રહ્માંડ બની ચૂક્યું છે.

પ્રસ્તુત રચના પણ શાશ્વત નકારાત્મક્તા અને અખંડ અસંતોષનુ વ્યંગ્યાત્મક ચિત્રણ છે. ચેપી રોગ કરતાંય વધુ ઝડપે વિશ્વભરમાં વ્યાપી રહેલ નિષેધવાદ તેમજ વિરોધવૃત્તિ પર બાળસુલભ હળવી શૈલીમાં માર્મિક કટાક્ષ અત્રે કરાયો છે. જે ગ્લાસને અડધો ખાલી જ જોવા માટે ટેવાયેલ છે એને સંસારમાં બધી જ વસ્તુ ખોટી જ લાગે. પ્રકૃતિના ઘટનાચક્ર અને ઘટકતત્ત્વોમાંય એને ખોડ જ દેખાવાની. દિવસો? તો કહેશે કે વધુ પડતા લાંબા… પસાર કરવા કઠિન થઈ પડે એવા! પવન? તો કે વધુ પડતો જોરુકો, વેઠવો દોહ્યલો થઈ પડે એવો. સૂરજ? તોબા… તોબા… આટલી બધી ગરમી તે કંઈ હોતી હશે? શ્રીમાન ફરિયાદશંકરને વાદળો સામેય વાંધાવચકા છે. વાદળો એને હોવાં જોઈએ એના કરતાં વધારે પડતાં પોચાં લાગે છે. ઘાસ અનહદ લીલું લાગે છે. અને જમીન વધુ પડતી ધૂળવાળી પ્રતીત થાય છે. સાહેબને જમીનનું ધૂળિયું હોવું પસંદ નથી ને ઘરમાં ચાદરોનું વધુ પડતું સાફ હોવું પણ માફક નથી આવતું. એને ધૂળ સામે પણ ફરિયાદ છે અને સ્વચ્છતા સામે પણ તકલીફ.

કવિતા શરૂ થાય છે ત્યારે જે ફરિયાદો બચકાની અને બેતૂકી લાગતી હતી, એનું નાનાવિધ સ્વરૂપે અને તારસ્વરે પુનરાવર્તન થયે રાખતાં ઉદાસીની સૂક્ષ્મધારા અને સ્વ-જાગૃતિનો હળવો પણ ગંભીર સંસ્પર્શ મહેસૂસ થાય છે. શેલની ખરી ખૂબી જ આ છે. આ જ કારણોસર એનું બાળસાહિત્ય વયસ્કોને પણ ગમી જાય છે. આ રચનાનેય આપણે નિઃશંકપણે ઉત્તમ કવિતા તો ન જ કહીએ, કારણ કે રચનામાં સમજાવવું પડે એવું કશું છે જ નહીં. આખી રચના સ્વયંસિદ્ધ અને સહજસાધ્ય છે, પણ અઘરાં કાવ્ય લખવાં કરતાં સહેલું લખવું હકીકતમાં વધારે કપરું છે. અભિવ્યક્તિની સરળતા આસાન ઉપલબ્ધિ નથી. આપણે ત્યાં મરીઝ કંઈ અમથો પોંખાયો છે? એની પંક્તિઓમાં રહેલ તળસ્પર્શી ઊંડાણ ભાષા અને રજૂઆતની સરળતાના કારણે જ ભાવકને દિલની વધારે નજીક લાગે છે.

જનાબને તારા બેસુમાર ચમકીલા લાગે છે તો ચાંદો હદ બહાર ઊંચે લાગે છે. જેને તારાની ચમક સામે પણઃ સમસ્યા હોય એનો તો શો ઈલાજ થઈ શકે? પણ સમાજ આવા છિદ્રાન્વેષીઓથી ભર્યો પડ્યો છે. પાણી હાથમાં લેતાંવેંત સરકી જાય છે, પકડી રાખી શકાતું નથી એનીય એને તકલીફ છે. પાણી અનિવાર્ય તત્ત્વ છે એની ના નહીં, પણ આટલું બધું સરકીલું હોય એ કંઈ ચાલે? અને આ રેતી જુઓ… પાણી વધારે પડતું ટપકાળ છે ને રેતી વધારે પડતી સુક્કી. દુનિયાભરમાં ગલીએ ગલીએ વિચરતા આવા ફરિયાદશંકરો વ્યક્તિ હોય કે વસ્તુ- બધાથી અસંતુષ્ટ જ હોય છે. એમને વાતે વાતે ઓછું પડવાનું ને બધામાં જ ગરબડ દેખાશે. વળી, કોઈ પૂછે કે તમે કોને આદર્શ કે સંપૂર્ણ ગણશો તો એ બાબતે એ સજ્જડબમ મૌન જ સેવશે. કારણ, આવા નૈરાશ્યદેવો પાસે સમતુલન કે સમભાવના ચશ્માં હોતાં જ નથી. ‘બાર વરસે બાવો બોલ્યો, જા બચ્ચા, અકાલ પડેગા’ એ જ એમની ફિતરત.

એમને પથરા વધુ પડતા ભારી લાગશે, ને પીંછા વધુ પડતાં હલકાં. પગરખાં વધુ પડતાં તંગ લાગશે અને બાળકો હદપાર ઘોંઘાટિયા. આવા વક્રદૃષ્ટાઓ કોઈને ખુશ પણ જોઈ શકતા નથી. કોઈ જિંદગીના ખુશનુમા ગીતને મજેથી ગાતું હોય તોય એમને તો ઉપાધિ. કોઈનીય ખુશી કે કોઈનુંય કશુંય સારું જોઈને એમને પેટમાં દુઃખે છે ને જીવ કાચી કળીએ કપાઈ જાય છે. એમની દૃષ્ટિમાં જ ખોટ અને ખોડ હોવાથી એમને સમસ્ત દુનિયા આંધળી લાગે છે, જે જોઈ નથી શકતી કે આ બધું ધોખો છે. અહીં કશું જ સાચું નથી. જે છે એ બધું ખોટું જ છે. વધુ પડતી અને એકધારી નકારાત્મક્તા મનુષ્યની આસપાસની દુનિયામાંથી આનંદ કે સંતોષ શોધી શકવાની અસમર્થતાની દ્યોતક છે. દરેક પંક્તિ એક નવી જ ફરિયાદ સાથે આવતી હોવાથી આ અસંતોષ સર્વગ્રાહી અને સર્વવ્યાપી હોવાની કાલિમા સહૃદયી ભાવકને છેક ભીતર સુધી વ્યથિત કરી દે છે. જે રીતે ધૃતરાષ્ટ્રની અંધ આંખોને પુત્રમોહના કારણે વધુ અંધ થઈ ગઈ હતી, એ જ રીતે નકારાત્મક અભિગમ ધરાવતી દોષદર્શી વ્યક્તિ જીવનસૌંદર્ય અને આનંદ જોવા-અનુભવવા-પ્રાપ્ત કરવા માટેની દૃષ્ટિ ખોઈ બેસે છે. એમની આશાવિહીનતા એમની એકલતાને વધુને વધુ ઘાટી જ બનાવતી રહે છે.

શેલની ખરી કવિપ્રતિભા બાળસુલભ સરળતાથી ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ પ્રગટ કરવામાં નિહિત છે. કવિતા ભલે હળવા વ્યંગ્યાત્મક સૂરમાં કેમ ન કહેવાઈ હોય, પ્રમુખ ધ્વનિ એ જ છે કે બધી જ વાતે દૂધમાં પોરાં શોધવાનો નાસ્તિવાદ લઈને જીવીશું તો નસીબમાં હતાશા, એકલતા અને વિષાદ જ આવશે. સનાતન સત્ય તો કેવળ એક જ છે -સંતોષી નર સદા સુખી! અંતે શેલની જ ‘હાર્ડ ટુ પ્લીઝ’ કવિતા સાથે અહીં અટકીએ. વીસ પંક્તિની આ કવિતાના મથાળે કવિએ કૌંસમાં એકીશ્વાસે વાંચવું એવી સૂચના પણ આપી છે. અને પહેલી અઢાર પંક્તિમાં અઢાર અલગ-અલગ વ્યક્તિ કેવી કેવી રીતે તકલીફદાયક છે એ કહી અંતિમ બે કડીમાં સમાપના કરી છે. આપણે કાવ્યાંશ માણીએ-

શાન કરે પરેશાન,
તુષાર કરે બિમાર,
સુરખી તો છે મૂરખી,
ને બાદલ છે પાગલ,

અને લગભગ હરએક જણ,
મને આપે ટાઢિયો તાવ.

પગલાં (દરિયાને તીર એક રેતીની ઓટલી) – સુંદરમ

એક મઝાની રચના, કવિ શ્રી સુન્દરમ ના પોતાના અવાજમાં …

—————–

Originally published on Oct 24, 2009

આજનું આ ગીત આખેઆખું ધવલભાઇ પાસેથી… એમના શબ્દો, એમણે પાડેલો ફોટો, અને ટાઇપ કરવાની મહેનત પણ એમની..!! 🙂
——-
ચોક્ક્સ તો યાદ નથી, પણ મોટે ભાગે પાંચમા ધોરણમાં આ ગીત ભણવામાં આવતું. ત્યારથી આ ગીત મારું અને મારા દોસ્તોનું પ્રિય ગીત રહ્યું છે. જ્યારે જયારે દરિયાકિનારે જઈએ ત્યારે અચૂક આ ગીત યાદ આવે. એક વખત હતો જયારે (લગભગ) આખ્ખું ગીત યાદ હતું. જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ એક પછી એક પંક્તિઓ ભૂલાતી ગઈ. આજે તો માત્ર પહેલા, બીજા અને ત્રીજા મહેમાનનું નામ જ યાદ છે ! આજે આ ગીત ‘અમીસ્પંદન’ નામના કાવ્યસંચયમાંથી ઉતારું છું ત્યારે એવું લાગે છે કે બીજી લીટીમાં ‘ઊંચી’ શબ્દને બદલે ધણેભાગે ‘એકલી’ શબ્દ હતો. કોઈ પાસે એ અંગે વધારે માહિતી હોય તો જણાવજો.
– ધવલ શાહ

(દરિયાને તીર…  Photo by : Dhaval Shah)

* * * * *

દરિયાને તીર એક રેતીની ઓટલી
ઊચીં અટૂલી અમે બાંધી જી રે.
પગલું તે એક એક પાડે મહેમાન એમ
રામજીની આણ અમે દીધી જી રે. ‘

પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ,
પગલું સોનેરી એક પાડજો જી રે.
પગલામાં નવલખ તારાની ભાત ને
સંધ્યાના રંગ બે’ક માંડજો જી રે.

બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
પગલું પનોતું એક પાડજો જી રે.
પગલામાં વાત લખો પરીઓના દેશની
ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.

ત્રીજા મહેમાન તમે આવો, સમદરદેવ,
પગલું મોતીનું એક પાડજો જી રે.
પગલામાં મહેલ ચણી સાતે પાતાળના,
માણેકના દીવા પ્રગટાવજો જી રે.

ઘીરે મહેમાન જરા ધીરેથી આવજો,
પગલાં તે પાડજો જાળવી જી ને,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
બાળુડે ઓટલી બનાવી જી રે.

-સુંદરમ

(આભાર : લયસ્તરો)

તમને મળે! – ખલીલ ધનતેજવી

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!

એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,
ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,
ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે

આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!

જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!

એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.
જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!

– ખલીલ ધનતેજવી

બોલો, કંઈક તો બોલો… – અનિલ ચાવડા

અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના એ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…

એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠનું ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…

કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…

જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…

– અનિલ ચાવડા

એમ મને થાય – સુન્દરમ્

આજ મને બા, આજ એમ મને થાય,
મીંદડીનું નાનું હું બચ્ચું બની જાઉં,
છાનુંમાનું આવી તારું દૂધ પી જાઉં!

આજ મને બા, આજ એમ મને થાય,
રાતુડું નાનકડું કુરકુરિયું થાઉં,
હાઉ હાઉ કરી કરડવા ધાઉં!

આજ મને બા, આજ એમ મને થાય,
ખિલ ખિલ મોગરાનું ફૂલ બની જાઉં,
તારે અંબોડલે આવી સંતાઉં!

આજ મને બા, આજ એમ મને થાય,
ગોળ ગોળ સાબુડો તારો થઈ જાઉં,
સરી સરી હાથમાંથી ખીજવું પજવું!

આજ મને બા, આજ એમ મને થાય,
તારો ઝગમગતો અરીસો થાઉં,
એરિયાં પાડું ને તારી આંખ ઝંખવાઉં!

સાત રંગના સરનામે – ​રમેશ પારેખ

સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો

તું કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો

કેવા દુખિયારા ગર્વ વડે ખરબચડી ઉંમર પંપાળી?
શું કામ હતું બીજું આમે? ના તું આવી, ના હું આવ્યો

ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની
ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો

એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઈ શબ્દોની
એક મજિયારા મનના નામે, ના તું આવી, ના હું આવ્યો.

નિરાંતે સૂઈ જાજો શ્યામળા – ધ્રુવ ભટ્ટ

બરાબર 13 વર્ષ પહેલાં ફક્ત શબ્દો સાથે ટહુકો પર પ્રસ્તુત થયેલી આ રચના – આજે હેમંત જોષીના સ્વર-સ્વરાંકન સાથે ફરી માણીયે. 

સ્વર – સ્વરાંકન – સંગીત :  હેમંત જોષી 

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા

આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું
આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

ગ્લૉબલ કવિતા: પતિની પ્રેમિકાને નામ – રશ્મિ ભારદ્વાજ (હિંદી)

पति की प्रेमिका के नाम

सोचती हूँ कि तुम्हें एक घर तोड़ने का इल्ज़ाम दूँ
या कि उस पुरुष के कहीं रिक्त रह गए हृदय को भरने का श्रेय
जो घर गृहस्थी के झमेलों में
शायद मेरे प्रेम को ठीक से ग्रहण नहीं कर पाया था,
तुम्हारे और मेरे मध्य
एक दूसरे से बँधने के कई कारण थे
हम उसी पुरुष से जुड़े थे
जो मुझे रिक्त कर
तुममें ख़ुद को ख़ाली कर रहा था

तुम्हारे पास जो आया था
वह मेरे प्रेम का शेष था
हमारे संबंध की बची रह गई
इच्छाओं का प्रेत,
यह कितना कठिन रहा होगा
कि तमाम समय मुझ-सा नहीं होने की चेष्टा में
मैं मौजूद रहती होऊँगी तुम्हारे अंदर
और उसकी सुनाई कहानियों के साये
आ जाते होंगे तुम्हारे बिस्तर तक

तुम मुझसे अधिक आकर्षक
अधिक स्नेहिल
अधिक गुणवती होने की अघोषित चेष्टा में
ख़ुद को खोती गईं
और मुझसे मेरा जब सब छिन गया
मैं ख़ुद को खोजने निकली
हमने जी भर कर एक दूसरे को कोसा
एक दूसरे के मरने की दुआएँ माँगीं,
हमारे मध्य एक पुरुष के प्रेम का ही नहीं
घृणा का भी अटूट रिश्ता था

मेरे पास था
एक प्रेम का अतीत
एक बीत गई उम्र
और एक बीतती जा रही देह के साथ
उसके प्रणय का प्रतीक
एक और जीवन

तुम्हारे पास था
एक प्रेम का वर्तमान
यौवन का उन्माद
देह का समर्पण
अपने रूप का अभिमान
और मेरे लिए एक चुनौती

लेकिन अपना भविष्य तो हम दोनों ने
किसी और को सौंप रखा था

यह होता कि तुमने मेरा अतीत
और मैंने तुम्हारे वर्तमान का
साझा दुःख पढ़ा होता
काश कि हमें दुखों ने भी बाँधा होता

– रश्मि भारद्वाज


પતિની પ્રેમિકાને નામ

વિચારું છું કે તારા પર એક ઘર તોડવાનો આરોપ મૂકું,
કે પછી એ પુરુષના ક્યાંકથી ખાલી રહી ગયેલ હૃદયને
ભરવાનું શ્રેય આપું,
જે ઘરગૃહસ્થીની જંજાળોમાં
મારા પ્રેમને કદાચ યથોચિત સ્વીકારી શક્યો નહોતો,
તારી અને મારી વચ્ચે
એકબીજા સાથે બંધાયેલ રહેવા માટે ઘણાં કારણો હતાં
આપણે બંને એ જ પુરુષ સાથે જોડાયેલ હતાં
જે મને રિક્ત કરીને
સ્વયંને તારામાં ખાલી કરી રહ્યો હતો

તારી પાસે જે આવ્યું હતું
તે તો મારા પ્રેમનો શેષ ભાગ હતો,
અમારા સંબંધની બચીકૂચી
ઇચ્છાઓનું પ્રેત,
હર પળ મારા જેવા નહીં થવાની ચેષ્ટામાં
હું જ તારી અંદર ઉપસ્થિત રહેતી હોઉં અને
એણે કહેલ વાર્તાઓના પડછાયા
છેક તારા બિસ્તર સુધી પહોંચી જતા હોય
એ પરિસ્થિતિ તારા માટે કેટલી મુશ્કેલ રહી હશે, નહીં?

મારાથી અધિક આકર્ષક
અધિક પ્રેમાળ
અધિક ગુણિયલ થવાની અઘોષિત ચેષ્ટામાં
તું સ્વયંને જ ગુમાવતી રહી
અને મારી પાસેથીય મારું બધું જ છીનવાઈ ગયું
ત્યારે છેક હું જાતને શોધવા નીકળી.
આપણે પરસ્પરને પેટ ભરીને ગાળો ભાંડી
એકબીજાના મરવાની દુઆઓ પણ કરી,
આપણી વચ્ચે એક પુરુષના પ્રેમનો જ નહીં,
ઘૃણાનોય અતૂટ સંબંધ હતો.

મારી પાસે હતા
પ્રેમનો ભૂતકાળ,
એક વીતી ગયેલ ઉંમર
અને વીતતી જતી કાયાની સાથે
એના પ્રેમના પ્રતીક સમું
એક જીવન

તારી પાસે હતા
પ્રેમનો વર્તમાન
યૌવનનો ઉન્માદ
દેહનું સમર્પણ
નિજના રૂપનો ઘમંડ
અને મારા માટે એક પડકાર

પણ આપણું ભવિષ્ય તો આપણે બંને જણે
કોઈ બીજાને જ સોંપી દીધું હતું

હોવું તો એમ જોઈતું હતું કે તું મારા અતીત
અને હું તારા વર્તમાનના
સહિયારા દુઃખને વાંચી શક્યાં હોત
કાશ કે આપણે દુઃખોથી પણ બંધાયા હોત

– રશ્મિ ભારદ્વાજ (હિંદી)
(અનુ.: વિવેક મનહર ટેલર)


પતિ, પત્ની ઔર વો – એક શાશ્વત વિષમબંધ!

લગ્નજીવનમાં સૌથી વજનદાર શબ્દ કયો? પ્રેમ? ના, વફાદારી. જીવનસાથી કદરૂપો હોય કે નિર્ધન, કમજોર હોય કે કમઅક્કલ, લાંબો-ટૂંકો, જાડો-પાતળો કે ઉંમરલાયક હોય –આ બધુંય કદાચ ચાલી જાય, પણ વફાદાર ન હોય તો? પ્રેમના અઢી અક્ષરના અભાવે નહીં તૂટ્યાં હોય એટલાં લગ્નજીવન વફાદારીના ચાર અક્ષરના અભાવે તૂટ્યાં હશે. પરસ્ત્રીના કારણે પતિ-પત્ની વચ્ચેનો સમ-બંધ વિષમ-બંધ બની જાય એ સમય ત્રણેય પાત્ર માટે કપરો ને અથરો બની રહે છે. ઐતિહાસિક તથ્યોને કોરાણે રાખીને પેશ્વા બાજીરાવના જીવનમાં આવેલ મસ્તાનીને કાશીબાઈએ શું કહ્યું હશે એની કલ્પના ફિલ્મ બનાવનાર જે રીતે કરે, એ જ રીતે એક પત્ની પોતાની શોક્યને શું કહેવા માંગતી હશે એ વાત કરતી કવિતામાં આજે જોઈએ.

રશ્મિ ભારદ્વાજ. કવિ, અનુવાદક, સંપાદક, રચનાત્મક ગદ્યકાર, પટકથા લેખક. ૧૧ ઓગસ્ટ, ૧૯૮૩ના રોજ બિહારના મુઝફ્ફરપુરમાં જન્મ. અંગ્રેજી સાહિત્યમાં એમફિલ, પીએચડી. પત્રકારત્વમાં ડિપ્લોમા. એકાધિક યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપિકા રહી ચૂક્યાં છે. એકાધિક પુસ્તકો. અનેક પુરસ્કારો અને પારિતોષિકોથી સન્માનિત. હિંદી વેબસામયિક મેરાકી (merakipatrika.com)ના સંપાદક. હાલ, ગાઝિયાબાદમાં પોતાની પુત્રી સાથે રહે છે.

વિધવિધ ભાષાની કવિતાઓનો અનુવાદ તો બરાબર, પણ હિંદી કવિતાએ મને કાયમ મૂંઝવ્યો છે. હિંદી આપણા વ્યવહારમાં એ રીતે અને એ હદે રચી-બસી છે કે હિંદી ન સમજાય એવો ગુજરાતી કદાચ સપનામાં જ મળે. ‘પતિની પ્રેમિકાને નામ’ કવિતામાં ભાષા કેવળ ઊર્મિવહન પૂરતી જ ખપમાં લેવાઈ હોવાથી શબ્દાવલિ એટલી સરળ છે કે કવિતાનો અનુવાદ કરવાના બદલે યથાતથ આસ્વાદવામાં જ મજા આવે. પણ પછી મગજના નાનકડા ખંડમાં પ્રકાશ થયો કે બોલીથી પરિચિત હોવું અલગ વાત છે, અને લિપિની ઉકલત હોવી અલગ. વિદેશ તો ઠીક, પણ આજની તારીખે ગુજરાતમાં જ ગુજરાતીઓની એક આખી પેઢી એવી છે, જેમને ગુજરાતી લખતા-વાંચતા આવડતું નથી. એટલે દેવનાગરી લિપિ લખવા-વાંચવામાં અક્ષમ કે નબળા ગુજરાતીઓના હિતાર્થે પણ આ રચનાનો તરજૂમો કરવો જ રહ્યો. બીજું, એ નિમિત્તે રચના બાબત બે’ક વાત પણ થાય.

‘પતિની પ્રેમિકાને નામ’ – આ વિષય પ્રમાણમાં ખૂબ ઓછો ખેડાયેલ છે. સુષ્ઠુ-સુષ્ઠુ વાતોથી ટેવાયેલ ગુજરાતી કવિતાને તો કદાચ વિષય જોઈને જ મૂર્ચ્છા આવી જાય. પતિના પરસ્ત્રી સાથેના શારીરિક સંબંધથી વાકેફ પત્ની પતિની પ્રેમિકાને સંબોધવાને મિષે પોતાનું હૈયું ખાલી કરે છે. સર્જકે આ ઇતર સ્ત્રી માટે ‘પતિની પ્રેમિકા’ સંબોધન વાપર્યું છે, એ જોયું? આપણો શબ્દકોશ તો આ બાબતમાં ઘણો ધનાઢ્ય છે- શોક, શોક્ય, સોતન, સપત્ની, પરકીયા, ઉપવસ્ત્ર, ઉપરણું, છિનાળ, કુલટા, રખાત, ઉપપત્ની વગેરે. (પત્નીના જીવનમાં પ્રવેશેલ ઇતરપુરુષ માટે આવા વિશેષણ ખરા?) જેના કારણે પોતાની જિંદગી શૂન્ય થઈ છે એને સંબોધતી વખતે પણ પત્ની નિજની ગરિમા અને સૌજન્ય ચૂકતી નથી. એટલે જ પુરુષોએ બનાવેલ સેંકડો વિશેષણોમાંથી એકેયને પસંદ ન કરતાં પ્રેમ શબ્દ જેનું મૂળ છે, એવું વિશેષણ –પ્રેમિકા- જ એ એના માટે વાપરે છે.

નિજનું ઘર ત્યજી અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને સ્ત્રીએ જે પુરુષ સાથે નવું ઘર વસાવ્યું હોય એ અવર સ્ત્રીનું પડખું સેવતો થઈ જાય ત્યારે ભીતર થતા વલોવાતને કઈ રીતે ને કેટલો વ્યક્ત કરવો એની મથામણમાં એ છે. પતિને પ્રાપ્ત કરનાર સ્ત્રી સમક્ષ હૈયાવલોણું ફેરવવાની મંશા હોવાથી શું કહેવું ને કેમ કહેવુંનો વિચાર કરવો પડે એ સ્વાભાવિક છે. એ વિચારથી જ કાવ્યારંભ પણ થયો છે. પત્ની વિચારે છે કે સામી સ્ત્રી પર પોતાના ઘરને તોડવાનો આરોપ મૂકવો જોઈએ કે પોતાના લાખ વાનાં છતાં પતિના ક્યાંકથી ખાલી રહી ગયેલ હૃદયને અભરે ભરી દેવાનું શ્રેય આપવું જોઈએ. કેવી સમતુલિત મનોસ્થિતિ! શીર્ષકમાં પતિ શબ્દ વાપરી લીધા બાદ સમગ્ર કૃતિમાં નાયિકા પતિ માટે ‘એ પુરુષ’ સંજ્ઞા જ પ્રયોજે છે, એના પરથી પતિ-પત્ની વચ્ચે આવી ગયેલ અંતર વર્તાય છે. સાચી જગ્યાએ સાચો શબ્દ વાપરી શકે એ જ સારો કવિ.

પુરુષનું હૃદય ખાલી રહી ગયાનું કારણેય આ સ્ત્રી સમજે છે. સ્ત્રીએ તો કશું બાકી નથી રાખ્યું, પણ પુરુષ જ ઘરગૃહસ્થીની જંજાળોમાં ફસાયેલ રહેવાથી એના પ્રેમને યથોચિત પામી ન શક્યો. નિષ્ફળતાનું કારણ સ્વયંની વ્યસ્તતા હોવા છતાં પુરુષ બીજી સ્ત્રી પાસે જઈ પહોંચ્યો. બીજી સ્ત્રી સાથેનો સંબંધ જે હોય તે, પણ પળોજણો અને જવાબદારીઓથી મુક્ત હોવાથી પુરુષને પોતાની પ્રેમની તરસ ત્યાં છિપાતી હોવાનું અનુભવાય છે.

લગ્ન નામની સંસ્થાની સ્થાપના થઈ હશે, કદાચ એ જ દિવસથી લગ્નેતર સંબંધોની પણ શરૂઆત થઈ હશે, કારણ કે જૈવિક રીતે તો મનુષ્ય એક પ્રાણી જ છે, અને પ્રાણીઓમાં એકપત્નીત્વ કે એકપતિત્વની વિભાવના ભાગ્યે જ જોવા મળે છે. લગ્ન સામાજિક વ્યવસ્થા ખરી, પણ એ નૈસર્ગિક બંધન નથી, અકુદરતી છે. લગ્નના કારણે પરિવાર અને સમાજ સુદૃઢ અને સુગ્રથિત રહે છે એ સાચું, પરંતુ છે તો જીવનભર માટેનું બંધન જ, સ્વ-ભાવ નહીં. કદાચ આ જ કારણોસર નાનામાં નાના અસંતોષની કાંડી લગ્નના વસ્ત્રમાં આગ લગાડવાને સમર્થ બની રહે છે. કાળા માથાના માનવી તો ઠીક, આપણા દેવતાઓ પણ વિવાહેતર સંબંધોથી પર નથી રહી શક્યા. દેવરાજ ઇન્દ્ર અને અહલ્યાનો પ્રસંગ તો જાણીતો છે જ, એ સિવાય પણ સુંદ-ઉપસુંદના વિનાશાર્થે સર્જાયેલી તિલોત્તમાના રૂપથી ઘેલા થઈ ઇન્દ્રએ હજાર આંખો વિકસાવી હતી. સિંહાસનને સાચવવા માટે ઇન્દ્ર રંભા, મેનકા વગેરે અપ્સરાઓને કામમાં પણ લેતા. સપ્તર્ષિઓની પત્ની માટે અગ્નિદેવને આકર્ષણ થયું, ત્યારે સ્વાહા દેવીએ વારાફરતી છ ઋષિપત્નીઓનું રુપ ધારી અગ્નિ સાથે સંયોગ કર્યો હતો, જેના ફળસ્વરૂપે કાર્તિકેય/સ્કંદનો જન્મ થયો હતો. રોહિણી સહિત સત્તાવીસ પત્ની હોવા છતાં ચંદ્ર બૃહસ્પતિની પત્ની તારાના પ્રેમમાં પડતા દેવો અને દાનવો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ હતી. પાછળથી તારાએ ચંદ્રના પુત્ર બુધને જન્મ પણ આપ્યો હતો. યયાતિ અને શર્મિષ્ઠાનો દાખલો તો ખૂબ જાણીતો છે. પિતાના રાજકીય હિતોની જાળવણીને ખાતર દેવયાનીની પરિચારિકા તરીકે જીવન વિતાવતી રાજકુમારી શર્મિષ્ઠા દેવયાનીના પતિ યયાતિ સાથેના લગ્નેતર સંબંધથી ત્રણ સંતાનોની માતા બની હતી. મહાભારતના સમભાવપર્વમાં શર્મિષ્ઠા યયાતિને કહે છે: ‘હે સમ્રાટ, મિત્રનો પતિ અને પોતાનો પતિ એક જ ગણાય, સખીના લગ્ન એ પોતાના લગ્ન જ ગણાય. મારી સખીએ તમને પતિ તરીકે પસંદ કર્યા, એટલે તમે મારા પણ પતિ. હું દેવયાનીની દાસી છું. દેવયાની તમારી છે, અટલે દેવયાનીની બધી ચીજ તમારી ગણાય. માટે મારો ઉપભોગ કરો.’

લગ્નસંસ્થા ગમે એટલી પવિત્ર કેમ ન ગણાતી હોય, સમાજ કદી લગ્નબાહ્ય સંબંધથી મુક્ત રહી શક્યો નથી. રામ જેવા રામે અગમચેતી ખાતર સીતાને અગ્નિપરીક્ષા માટે ફરજ પાડી હતી, અને એટલું ઓછું હોય એમ ધોબી જેવા અલ્પમતિ નાગરિકની ટિપ્પણીથી દોરવાઈને રાજનિકાલ પણ દીધો હતો. મનુસ્મૃતિમાં તો સ્ત્રી ક્યારેય સ્વતંત્ર થવા યોગ્ય નથી અને એમને કુટુંબના પુરુષોએ તાબામાં જ રાખવી જોઈએ એ પ્રમાણેના અનેક શ્લોકો ભર્યા પડ્યા છે. પણ તમામ શાસ્ત્રો-પુરાણોની જેમ એય પુરુષોનું જ સર્જનને! પરાપૂર્વથી સમાજ પર પુરુષોનું જ આધિપત્ય હોવાથી શાસક વર્ગ તથા ઉપરી વર્ગોમાં બહુપત્નીત્વ અને લગ્નેતર સંબંધોની ભરમાર જોવા મળે છે. આમ્રપાલી અને વસંતસેના જેવી ગણિકાઓનો સમાજમાં મોભો હતો. પુરાણકથા હોય કે સમાજ, કઠોરતમ સજા પણ બહુધા સ્ત્રીઓને જ ભોગવવાની આવતી, કારણ વફાદારી હોય કે સમર્પણ-બધામાં પુરુષપ્રધાન સમાજનો પ્રભાવ કાયમી રહેતો. ‘પ્રેમ મેં સ્ત્રી’ કવિતામાં કવયિત્રી લખે છે: ‘એ એટલી મુક્ત છે/ કે એને બાંધવી/ મતલબ ખોઈ દેવી/ એ એટલી બંધાયેલ છે/ કે ચાહશે કે એના હર શ્વાસ પર/ અંકિત હોય તમારું નામ…. …એ સ્ત્રીનું ગર્વોન્નત મસ્તક/નમશે માત્ર તમારા માટે/ જ્યારે એ જાણી જશે/ કે એના પ્રેમમાં/ શીખી ચૂક્યા છો તમે/ સ્ત્રી થવાનું.’

પુનઃ આજની કવિતા તરફ વળીએ. પતિના વ્યાભિચારથી દુભાયેલી પત્ની પ્રેમિકાને કહે છે કે આપણા બેની વચ્ચે એકમેક સાથે જોડાયેલ રહેવા માટે અનેક કારણો હતા. આપણે બંને એ જ પુરુષ સાથે જોડાયેલ હતાં જે એક તરફ મને ખાલી કરી રહ્યો હતો, અને બીજી તરફ તારામાં ખાલી થઈ રહ્યો હતો. લગ્નેતર સંબંધ માટે કેવી સચોટ વક્રોક્તિ! ‘હો રામ! ચુન-ચુન ખાએ’ કાવ્યમાં કવયત્રિ લખે છે, ‘જ્યાં સુધી સ્વામીને આધીન છો/ લક્ષ્મી, અન્નપૂર્ણા,/ રાજમહિષી છો,/ આંગણામાં બંધાઈને અનાજની જાળવણી કરતાં રહો/ તમને આજીવન મળતાં રહેશે/ પેટભર અન્ન, હૃદયભર વસ્ત્ર-શૃંગાર/ પરપુરુષોથી સુરક્ષા/ તમારા માટેના અનાજના હર એક દાણા પર આ જ શીખ કોતરાયેલ છે.’ કોઈક પળે નાયિકા આ ‘શીખ’ ચૂકી ગઈ હશે, શું એટલે જ આ પુરુષ બીજી સ્ત્રી તરફ વળ્યો હશે? ઉડિયા ભાષાના કવયિત્રી બ્રહ્મોત્રી મોહંતીના ‘આત્મવંચના’નો કાવ્યાંશ જોઈએ:

…નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?

ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.
(અનુવાદ: જયા મહેતા)

પ્રેમિકાના નસીબમાં જે આવ્યું છે, એ અક્ષુણ્ણ કે સંપૂર્ણ –બેમાંથી કશું નથી, વરસોના લગ્નજીવન બાદ નાયક પરસ્ત્રી સાથે જોડાયો છે, ત્યારે એની પાસે આપવા માટે એવું કશું જ નથી બચ્યું જે લગ્નજીવનની છાંટ વિનાનું હોય. શેરડીમાંથી રસ કાઢતાં બચતો કૂચો જ તો! પ્રેમિકા માટે પણ આ સંબંધ પળ-પ્રતિપળનો પડકાર છે. ડગલે ને પગલે પ્રેમીની પત્નીથી અલગ અને ઊંચું વ્યક્તિત્વ સિદ્ધ કરતા રહેવાનું આહ્વાન હકીકતમાં તો પળેપળ પ્રેમીની પત્ની સાથે રહેવા બરાબર જ છે. પત્ની કંઈ શોકનો ખાટલો તો ન જ પાથરી આપે, પણ શોક પોતાના બિસ્તરમાં સતત એની ઉપસ્થિતિ અનુભવતી હશે એ પરિસ્થિતિની વિકટતાનો પૂરો અંદાજ એને છે. ત્યક્તા નાયિકાની સહૃદયતા કેવી સ-રસ રીતે ઉપસી આવી છે! ઉદયન ઠક્કરનું ‘અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત’નો એક બંધ આ તબક્કે સ્મરે છે. પ્રેમિકા પોતાના બિસ્તરમાં પત્નીને અનુભવે એ જ રીતે પત્ની પણ પ્રેમિકાને અનુભવતી હશે ને?-

મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,
ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,
પૂર કેટલી રાત્યુંની રાત ખાળું?

બિનશરતી પ્રેમસાગરમાં સુખની નૌકામાં વિહાર કરવાના અરમાન તો કોરાણે રહી ગયાં. ઊલટું, દરેક રીતે પ્રેમીની પત્નીથી ચડિયાતા સાબિત થવાની અઘોષિત ચેષ્ટામાં પ્રેમિકા સ્વયંને ખોઈ બેઠી, અને કાવ્યનાયિકા પણ સંપૂર્ણપણે લૂંટાઈ ગયા બાદ સ્વયંનો સાક્ષાત્કાર કરવા નીકળી છે. બંને સ્ત્રીઓ વચ્ચે આય એક સમાનતા છે. રીત અને કારણ અલગ-અલગ પણ બંને જણ જાતને ગુમાવી બેઠાં છે. કલાપી-રમા અને શોભનાના સંબંધમાં પણ આવું જ થયું હતું ને? લાખ વાનાં છતાં અને ‘એકને ચાહતું તેણે બીજાને નવ ચાહવું! એકને ચાહતું તેને બીજાએ નવ ચાહવું!’ કહેવા છતાં કલાપી શોભનાના પ્રેમથી વિરક્ત રહી નહોતો શક્યો. એણે તો બંનેને ચાહવાની કોશિશ પણ કરી હતી-

તુને ન ચાહું ન બન્યું કદી એ,
તેને ન ચાહું, ન બને કદી એ;
ચાહું છું તો ચાહીશ બેયને હું,
ચાહું નહીં તો નવ કોઈને હું.

રશ્મિ ભારદ્વાજની આ કૃતિ સ્વપ્નપ્રદેશના ગુલાબી ફુગ્ગા પર નહીં, વાસ્તવિક્તાના અંગારાઓ ઉપર લખાયેલ છે. પત્નીની સહૃદયતા એની તકલીફો અને સ્વની ઓળખ ગુમાવી દીધા બાદ જન્મી છે. બંને સ્ત્રીઓએ પરસ્પરને ખૂબ ગાળોય ભાંડી છે, ને એકમેકના મરવાની દુઆઓ પણ કરી છે. ઉભય વચ્ચે ઘૃણાનો અતૂટ સંબંધ હતો. ખલિલ ધનતેજવીનો આ શેર પત્ની જીવી ચૂકી છે:

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

આ બાબતે સાચો પણ અલ્પસ્વીકૃત એક મત આવો પણ છે-

તમે ચાહો છો જેને, ચાહતો હોય એ બીજાને પણ
તમે એનેય જો ચાહી શકો તો પ્રેમ છે સાચો.

બંને સ્ત્રીઓ પાસે શું બચ્યું છે એની નાની પણ રસપ્રદ યાદી સર્જકે આપી છે. પત્ની પાસે પ્રેમનો ભૂતકાળ, વીતી જતી વય અને પતિના પ્રેમની નિશાની સમું એક સંતાન –જેના માટે સર્જકે ‘એક જીવન’ શબ્દપ્રયોગ કર્યો છે એ વાત ફરી ધ્યાન ખેંચે છે. પતિના પરભાર્યાગમનના પ્રતાપે પત્નીનું જીવન ખાલીખમ બની ગયું છે, પણ પોતાના ભૂતકાળના ભવ્ય પ્રેમની નિશાની સમા બાળકમાં એને ‘જીવન’દર્શન થાય છે. પ્રેમિકાની યાદીમાં છે- પ્રેમનો વર્તમાન, યૌવનનો નશો, શરીરનો સિક્કો, રૂપનું અભિમાન અને પત્ની માટે પડકાર. કારણ બંને સ્ત્રીઓએ પોતાના ભવિષ્યની બાગદોર કોઈ બીજાને જ સોંપી દીધી હતી.

પત્ની હૃદય તો ઉલેચે છે, ગરિમા જાળવીને. લાખ અનિચ્છા છતાં પત્ની સ્વીકારે છે કે પોતે અને આ પરકીયા – બંને કોઈક રીતે એકમેક સાથે જોડાયેલ છે. પ્રથમ દૃષ્ટિએ બંને સ્ત્રીને બાંધનાર લઘુત્તમ સામાન્ય અવયવ એ પુરુષ છે જે કથકનો પતિ છે અને ઇતર સ્ત્રીનો પ્રેમી છે. પ્રતિપળ સ્વયંને પુરુષની પત્નીથી ચડિયાતી સિદ્ધ કરવાની પ્રેમિકાની કોશિશ પણ એને પ્રેમીની પત્ની સાથે બાંધેલ રાખે છે. બંને સ્ત્રી એકમેક સાથે ઘૃણાના બંધને પણ સંકળાયેલ છે અને ભવિષ્યની દોર એક જ પુરુષના હાથમાં સોંપી હોવાના તાંતણે પણ સંપૃક્ત છે. બંને સ્ત્રીઓ દુઃખી છે, પણ એકમેક સાથે દુઃખથી નહીં, નફરતથી જોડાયેલ છે. દુઃખોની ભાગીદારીથી જોડાઈ હોત તો જિંદગી કદાચ બંને માટે સહ્ય બની હોત એ સ્વીકાર આખી વાતને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે. કારણ પીડાના સ્તરે સંકળાવું મતલબ લાગણીનું સર્વોચ્ચ શિખર સર કરવું. અંતે ૧૮૦ ડિગ્રીનો વળાંક લઈ સોતનની નજરે પ્રેમીની પત્નીનું દર્શન કરાવતું ‘સોતનના ઓરતાનું ગીત’ માણીએ:

દેવીજી! પાય લાગુ, તમે દિલના દ્વાર ખોલો,
સાજણને ગમતું તમને ગમતું ન કેમ, બોલો?

તમે અગ્નિના સાત ફેરે,
અમે સમજણના પાંચ દેરે વર્યાં ને પામ્યાં સૈંયા
તમે છો તરબતર પ્રતિપળ
અમે વર્ષાની એક અટકળ પર જીવતા બપૈયા!
તમે સાગર અમે તો ટોયું, પછી શાને આ હડદોલો?

તમે પારિજાત પામ્યા
એ મારી જાત કામ્યા તે મારામાં થોડું ખરતા,
એમાં આ શા ઉધામા?
અમે આમે છંઈ નનામા, પછી શીદ તમે ઝઘડતા?
ઝાકળ છીએ બે પળનું, શાને ગણો ફરફોલો?