Category Archives: કાવ્યપ્રકાર

હરિ તને – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર ,સ્વરાંકન : જયંતિ રવિ

.

સ્વર : રાસબિહારી દેસાઇ

.

હરિ તને શું સ્મરીયે આપણ જળમાં જળ સમ રહીયે
વણ બોલે વણ સાંભળીયે પણ મબલખ વાતો કરીયે
હરિ તને શું સ્મરીયે …

કોને કોના દર્શન કરવા કોનું ધરવું ધ્યાન
ચાલને એવું રહીયે જેવું લીલાશ સાથે પાન
હું પાણી, તું દરીયો એમાં શું બુડીયે શું તરીયે!
હરિ તને શું સ્મરીયે …

પાંખોને પીંછાથી ગણવી કેમ કરીને જુદી
હું થી તું અળગો છે એવી વાત ક્યહીંથી સુઝી
કોને જોડું હાથ, ચરણમાં કોના જઈને પડીયે!
હરિ તને શું સ્મરીયે

– ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

જાગ્યા મારાં સપનાં – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : શ્યામલ ભટ્ટ

.

જાગ્યા મારાં સપનાં વીણપાર
સંતો ભાઈ જાગ્યા મારાં સપના વીણપાર
સપને સાંઠીકા મેં તો ભાળીયાં હો જી

લઇ અમે ઉડિયા અંકાશ
સંતો રે સાધો લઇ અમે ઉડિયા અંકાશ
વિના કોઈ આધારે દળમાં વાવીયા હો જી

વાવ્યાં એવા કોડ્યાં અપરંપાર
સંતો ભાઈ વાવ્યાં એવા કોડ્યાં અપરંપાર
નભને ખાલીપે ઝૂલ્યાં ઝાડવાં હોજી

ઝૂલેને બોલાવે આવો આમ
સંતો ભાઈ ઝાડવાં બોલે કે આવો આમ
આવો ને લઇ જાજો મારાં છાંયડા હો જી

એવાં છાંયે પોઢાડી લઇ જાત
સંતો ભાઈ એવા છાંયે પોઢાડી લઇ જાત
સપને ઊંઘ્યાં ને સપને જાગીયા હો જી

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

ગ્લૉબલ કવિતા: ૨૧૧ : ગીત – ટી. એસ. એલિયટ

Song

(01 A)
If Time and Space, as sages say,
Are things which cannot be,
The sun which does not feel decay
No greater is then we.
So why, Love, should we ever pray
to live a century?
The butterfly that lives a day
Has lived eternity.

(01 B)
If Space and Time, as sages say,
Are things which cannot be,
The fly that lives a single day
Has lived as long as we.
But let us live while yet we may,
While love and life are free,
For time is time, and runs away,
Though sages disagree.

(02)
The flowers I gave thee when the dew
Was trembling on the vine,
Were withered ere the wild bee flew
To suck the eglentine.
So let us haste to pluck anew
Nor mourn to see them pine,
And though our days of love be few
Yet let them be divine.

– T. S. Eliot

ગીત

(૦૧ અ)
સમય અને અવકાશ, ગયા જેમ સંત સૌ વદી,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે ના,
તો આ સૂરજ કે જેનો ક્ષય થાય ના કદી
એને આપણાથી ચડિયાતો સહેજ ના ગણતા.
તો શા માટે, પ્રેમ આપણો એક-બે સદી
રહે જીવંત એ માટે આપણે કરવી પ્રાર્થના?
પતંગિયું જે આમ જીવે છે માત્ર એક દિ’
આમ જુઓ તો જીવી ગયું છે એ શાશ્વતતા.

(૦૧ બ)
સમય અને અવકાશ, ગયા જેમ સંત સૌ વદી,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે ના,
માખી જેનું જીવન તો છે માત્ર એક દિ’
આપણા જેટલું જીવી લે છે કરો જો ગણના.
ત્યાં સુધી તો જીવી લઈએને સો ફીસદી
પ્રેમ ને જીવન જ્યાં સુધી છે પ્રાપ્ત મફતમાં,
સમય સમય છે, વહેતો રહેશે જેમ કો’ નદી
સંત ભલે ને નોંધાવે ના સંમતિ એમાં.

(૦૨)
આપ્યાં’તાં મેં ફૂલો તુજને જ્યારે ઝાકળ
હળવે હળવે કાંપી રહ્યું’તું વેલી પર,
એ પહેલાં તો ગયાં વિલાઈ, આવે આગળ
કરવાને એ ફૂલોનું રસપાન મધુકર.
નિતનવાં ફૂલ ચૂંટવાને ના કરો ઉતાવળ,
અને સૂકાતાં જોઈ શીદ થાવું શોકાતુર?
ભલે અપૂરતાં હોય આપણી પ્રીતનાં અંજળ,
બનાવી દઈએ જે છે એને જ દિવ્ય-સુંદર.

– ટી. એસ. એલિયટ
(અનુવાદ: વિવેક મનહર ટેલર)

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે…

‘સમય જ નથી મળતો, યાર!’ અને ‘તમને આવું બધું કરવા માટેનો સમય ક્યાંથી મળી રહે છે?’ – આ બે બિંદુઓની વચ્ચે આપણામાંથી મોટાભાગનાની જિંદગી વીતી જાય છે, પણ સમય નામનો કોયડો કોઈને સમજાતો નથી. અસ્તિત્વના આરંભબિંદુથી એને ઉકેલવાની મથામણ ચાલી આવી છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓમાંના લીટા હોય કે આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદ – સમયના પગલાં ક્યાં જોવા નથી મળતાં! સમયથી પર અને પાર જવાની ભાંજગડ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે. એલિયટની પ્રસ્તુત રચના સમયના તકલાદીપણાને નજર સામે રાખી ‘જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે’નો ગુરુમંત્ર શીખવાડે છે.

થોમસ સ્ટર્ન્સ એલિયટ. વીસમી સદીના દિગ્ગજ કવિઓમાં મોખરાનું નામ. ૨૬-૦૯-૧૮૮૮ના રોજ મિસોરી, અમેરિકા ખાતે જન્મ. પચ્ચીસ વર્ષની વયથી ઇંગ્લેન્ડનિવાસ. ૩૯ની ઉંમરે અમેરિકન નાગરિકત્વ ફગાવીને બ્રિટિશ નાગરિકત્વનો સ્વીકાર. એ જ અરસામાં એકત્વવાદ ત્યજીને એન્ગ્લો-કેથલિક સંપ્રદાયનો અંગીકાર. જન્મજાત (બંને બાજુના) હર્નિયાના કારણે બાળપણથી શારીરિક રમતોથી દૂર રહેવાની આડઅસરરૂપે સાહિત્ય સાથે સ્નેહસૂત્રે જોડાયા. ઉમર ખૈયામની રૂબાઈઓની અસર નીચે આઠ-દસ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. સાહિત્યમાં માસ્ટર્સ. ફિલસૂફીમાં પી.એચ.ડી. ૧૯૪૮માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. એ જ વર્ષે ઑર્ડર ઑફ મેરિટ. વિવિયન હેય-વુડ સાથે દુઃસ્વપ્ન સમા પ્રથમ લગ્ન (૧૯૧૫-૩૩). વેલેરી ફ્લેચર સાથે બીજા (૧૯૫૭-૬૫). ૦૪-૦૧-૧૯૬૫ના રોજ લંડન ખાતે એમ્ફિસિમાના કારણે મૃત્યુ. કબર પરની મૃત્યુનોંધ: ‘મારા આરંભમાં મારો અંત છે, અંતમાં આરંભ.’

બહુઆયામી વ્યક્તિત્વ- કવિ, નાટ્યકાર, વિવેચક, નિબંધકાર, સંપાદક. ઉત્તમ પદ્યનાટ્યકાર. કવિતા આધુનિક સભ્યતાની સંકુલતાનો અરીસો હોવો જોઈએ એમ એ દૃઢપણે માનતા અને એ જ રીતે કવિતા લખતા. એમના મતે કવિની લોકો તરફની ફરજ માત્ર આડકતરી છે; સીધી ફરજ ભાષા પરત્વે- પહેલી એની જાળવણીની અને બીજી એના પ્રસાર-સુધારની. બોલાતી ભાષાને કાવ્યસામગ્રી તરીકે વાપરવાના હિમાયતી. પણ એમની કવિતાનું ઊડીને આંખે વળગે એવું પાસું છે કઠિનતા. સુઘડ પ્રાસનિયોજન, વિરોધાભાસી કલ્પનોની ઘટ્ટતા, છંદપલટાનું કૌશલ્ય, અને સંયમિત શૈલીને લઈને એ ગિફ્ટેડ અને ઓરિજનલ ગણાયા પણ અઘરાય એટલા જ બન્યા. એમની કથની, ‘અધિકૃત કવિતા સમજાય એ પહેલાં પ્રત્યાયન કરતી હોવી જોઈએ,’થી વિપરીત એમની કવિતા ભાવકના પક્ષે જબરદસ્ત સજ્જતા માંગે છે. એલિયટને હાથમાં લેતાં પહેલાં એની વિચારધારા, કલ્પનક્ષેત્ર, ભાષાકીય લાક્ષણિકતા અને કથનની વિચક્ષણતાનો પૂર્વાભ્યાસ જરૂરી છે. આધુનિકતાના આગ્રહી એલિયટે કવિતામાં ક્રાંતિ સર્જી હતી. વીસમી સદીના સીમાચિહ્ન ગણાતા ‘વેસ્ટ લેન્ડ’ કાવ્યના સર્જક. જીવતેજીવ એમની પ્રસિદ્ધિ દંતકથા સમાન બની અને ૧૯૩૦થી ત્રણ-ત્રણ દાયકા સુધી એમણે અંગ્રેજી કવિતા અને સાહિત્યિક વિવેચનના ક્ષેત્રો પર એકહથ્થુ શાસન કર્યું. જોકે એલિયટ તો કહેતા કે, ‘દાન્તે અને શેક્સપિઅરે દુનિયા એમની વચ્ચે વહેંચી લીધી છે. કોઈ ત્રીજું છે જ નહીં.’

પ્રસ્તુત રચનામાં પ્રથમ અંતરાના બે સંસ્કરણ છે: (૧) ‘અ લિરિક’ (ઊર્મિગીત): ૧૯૦૫માં કિંગ્સ કોલેજ, કેમ્બ્રિજ માટે. (૦૧-બ). (૨) ‘સૉન્ગ’ (ગીત): ૧૯૦૭માં કોલેજના સામયિક માટે (૦૧-અ). કવિએ બીજો બંધ યથાવત્ રાખ્યો હતો. સમજાય છે કે બે વર્ષમાં એલિયટનો કાન વધુ પુખ્ત બન્યો હતો અને લય વધુ સમૃદ્ધ. આઠ પંક્તિના બે અંતરા અને અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અહીં છે. સોળ વર્ષની ઉંમરે શાળામાં કવિતા લખવાની કવાયત ખાતર લખાયેલી આ કવિતામાં શિક્ષકને કોઈ વડીલનો ‘હાથ’ દેખાયો હતો, પરંતુ એલિયટના માતા, જે ખુદ કવયિત્રી હતાં, એમના મતે એમના કોઈ પણ પદ્ય કરતાં આ રચના વધુ સારી હતી. શેક્સપિઅરના સમસામયિક બેન જોન્સનના ‘સોંગ ટુ સિલિયા’ (Drink to me only with thine eyes)નો પ્રભાવ આ કવિતા પર દેખાય છે. એલિયટે જ કહ્યું હતું, ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

કાવ્યપ્રકાર ‘ગીત’નો છે પણ વિષય પ્રેમ, સમય અને જીવનનો છે એટલે ‘ગીત’ શીર્ષક થોડું અજુગતું લાગે. પણ ગીત મનુષ્યના પ્રેમભાવનું વહન કરવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ હોવાથી કદાચ કવિએ એ પસંદ કર્યું હોઈ શકે. હશે. કવિતાની શરૂઆત સમય અને અવકાશથી થાય છે. એલિયટ ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્યના ઊંડા અભ્યાસુ હતા. જુઓ:

श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रंथ कोटिभः
ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः

શંકરાચાર્ય કરોડો ગ્રંથોનો સાર અડધા શ્લોકમાં કહે છે: બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા. જીવ બ્રહ્મ જ છે, બીજું કંઈ નહીં. એલિયટની કવિતામાં આ જ વાતનો સૂર પડઘાતો સંભળાય છે ને? સમય-અવકાશ વિશેના સાધુઓના મતથી કવિતા પ્રારંભાય છે. એલિયટની કવિતાઓમાં શરૂથી સમય અંગેની ફિલસૂફી જોવા મળે છે. લૌકિક સમય, સમયહીનતા અને શાશ્વતી– આ કાળબિંદુઓ સાથેની રતિ એ એલિયટની ગતિ છે. પ્રસ્તુત કવિતા પણ સમય અને શાશ્વતીના કોયડામાં કવિનો રસ છતો કરે છે. સમયમાંથી પસાર થઈને જ સમયને જીતી શકાય એમ એલિયટ માનતા. એ કહેતા કે, ગત સમય અને અનાગત સમય ચૈતન્યાવસ્થા માટે બહુ ઓછો અવકાશ રાખે છે. સભાન હોવું એટલે સમયમાં ન હોવું. ભગવદગીતામાં કહ્યું છે:

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा:।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम्॥ (૦૨:૧૨)

(એવું ક્યારેય નહોતું જ્યારે હું કે તું અથવા આ બધા રાજાઓ ન રહ્યા હોય અને એવુંય નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ). આ જ રીતે આપણું અસ્તિત્વ પણ સમયની બંને તરફ વિસ્તરેલું છે, સમયાતીત છે, શાશ્વત છે. એલિયટ કહેતા, ‘વર્તમાન સમય અને ગયેલો સમય બંને કદાચ ભવિષ્યકાળમાં હાજર હોય.’ જો કે અહીં કવિ સાધુસંતોના પ્રવર્તમાન વિચારધારાથી ઉફરી ગતિ કરે છે અને ‘ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ, સરકી જાયે પલ’ (મણિલાલ દેસાઈ)ની વાસ્તવિકતાનું યશોગાન કરે છે. ઘડિયાળના કાંટા અટકી-બટકી જાય તોય સમય અટકતો-બટકતો નથી કેમકે સમયનો સ્વ-ભાવ રહેવાનો નહીં, વહેવાનો છે. ઘડિયાળ કાંડે બાંધીને આપણે માનવા માંડીએ છીએ કે આપણે સમયને બાંધી લીધો છે. હકીકત એ છે કે સમયનું સોનું સમય પર ન વાપરીએ તો કથીર બની જાય છે.

મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ!
હવે આ હાથ રહે ના હેમ! (પ્રિયકાન્ત મણિયાર)

ઉમાશંકર પણ કહી ગયા,

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !

ઊંઘમાં જ ચાલીને આપણે જીવન વિતાવીએ છીએ. આપણો અડધો સમય જાતને ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. શંકરાચાર્યે કહ્યું તેમ, कालः क्रीडति गच्छत्यायु| (કાળ ક્રીડા કરે છે, આયુષ્ય ઓછું થાય છે). એલિયટ આ સમજે છે એટલે કહે છે કે સમય અને અવકાશ કેવળ ભ્રમ હોવાની સંતોની વાત માની લઈએ તો માખી, અથવા પતંગિયું, જેનું આયુષ્ય એક જ દિવસનું છે એ અને આપણે, જે વરસોવરસ જીવીએ છીએ એ ઉભયનું આયુષ્ય એકસમાન જ કહેવાય. સમય નામનું પરિબળ કાઢી લેવાય તો જીવનના બંને અંતિમ એક ગણાય. એ જ રીતે, સૂર્ય જે કદી ક્ષય પામતો નથી એ પણ આપણા જેટલું જ જીવ્યો ગણાય, આપણાથી મહાન ન ગણાય. સમયનું અસ્તિત્વ જ ન હોય તો આપણો પ્રેમ સદીઓ સુધી જીવે એવી પ્રાર્થનાય શા માટે? ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ નથી. ત્યાં નાનું-મોટું, ભારે-હલકું બધું એકસમાન છે. ત્યાં પક્ષીના પીછાં અને અવકાશયાત્રી –બેઉનું વજન સરખું છે. એ જ રીતે અવકાશમાં પણ નાના-મોટા તમામ પદાર્થની ગતિ સમાન છે. સમય વિનાના સ્થળે ભૂત, વર્તમાન કે ભવિષ્યની તમામ ઘટનાઓ એક જ બિંદુ પર ઘટતી ગણાય. સમય જિંદગીને માપવા માટેની માપપટ્ટી છે. સમયનો એકડો કાઢી નાંખીએ તો પછી સરખાવવાનું શું બચે? સંતો ભલે સહમત નહીં થાય, પણ કાળ તો બંધેય બાંધી ના શકાય એવી સતત વહેતી નદી છે. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે! કબીરે પણ કહ્યું છે, ‘काल करे सो आज कर, आज करे सो अब। पल में प्रलय होएगी, बहुरि करेगो कब।।’ ગંગાસતી કહી ગયાં: ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ! નહિતર અચાનક અંધાર થાશે.’ એલિયટ પણ સમયની વીજળીના લિસોટાનો પ્રકાશ ટકે એટલીવારમાં જીવન જીવી લેવાનું ઇજન આપે છે. આપણને પ્રેમ અને જીવન કોઈ કિંમત ચૂકવ્યા વિના પ્રાપ્ત થયાં છે. તો શા માટે જીવન ભરપૂર જીવી ન લઈએ અને જીવીએ એટલો સમય પ્રેમ ન કરીએ!? ફરી ઉમાશંકર જોશી યાદ આવે: ‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું ભલા પી લે.’

બીજા બંધમાં કવિ કહે છે કે, આપણને જિંદગી મળી ત્યારે એ ઝાકળબુંદથી સદ્યસ્નાત, નવપલ્લવિત ફૂલ સમી હતી. પણ જીવનનો સાચો રસ આપણે ચૂસી-માણી-પ્રમાણી શકીએ એ પહેલાં તો ફૂલ કરમાવાં માંડ્યાં. આ વાસ્તવિક્તા છે, અને સમયની હાજરીનું પ્રમાણ પણ. પરંતુ આ માથે હાથ દઈ બેસવાની-રડવાની ઘડી નથી. સમયની શીશીમાંથી જે રેતી સરકી ગઈ, એનો અફસોસ કરવાના બદલે ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં!’ (નર્મદ) કહીને આવનારી ક્ષણોને ભરપૂર જીવી લેવાની કોશિશ કેમ ન કરીએ? શેક્સપિઅરે પણ કહ્યું હતું, ‘I wasted time and now doth time waste me.’ (મેં સમયને વેડફ્યો, હવે સમય મને વેડફી રહ્યો છે.)

અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા, ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે (મકરંદ દવે)

જીવન ટૂંકું છે તો પૂરેપૂરું જીવી કેમ ન લઈએ? ગયું એનો અફસોસ ન કરીએ અને આવ્યું નથી એની પાછળ હડી ન કાઢીએ. નિતનવાં ફૂલોને ચૂંટવા ઉતાવળા થવુંય ખોટું અને જે ફૂલો કરમાઈ ગયાં કે રહ્યાં છે એને જોઈને શોકાતુર થવું પણ અયોગ્ય. નિતનવી તકો પાછળ દોડવાની જરૂર શી? અને ન મળે તો મરવા પણ કેમ પડવાનું? જે હાજરમાં છે એને જ પૂરી કેમ ન ભોગવીએ? ભૂત અને ભવિષ્યના આટાપાટામાં અટવાયા વિના વર્તમાનને જ સાચું જીવન કેમ ન બનાવીએ? જે થઈ ગયું છે એને નથી થયું કરવાની દવા દુનિયાના કોઈ હાકેમ પાસે નથી. જે થયું નથી એને હાજર કરવાનો કીમિયો પણ કોઈ જાદુગરને હસ્તગત નથી. ઈસુથી થોડા દાયકા પૂર્વે જ કવિ હોરિસ (Horace)એ કહ્યું હતું: ‘dum loquimur, fugerit invida aetas: carpe diem, quam minimum credula postero’ (આપણે જ્યારે આ બોલી રહ્યાં છીએ, ઈર્ષ્યાળુ સમય નાસી છૂટ્યો હશે. આજને જીવી લો, આવતીકાલ પર બને એટલો ઓછો ભરોસો કરો.) એલિયટનું આ ગીત Carpe Diem ના સંદેશનું જ બૃહદ્ગાન છે. એ કહે છે કે પૃથ્વી પરનાં આપણાં અંજળ ભલે અપૂરતાં કેમ ન હોય, જે છે એને જ ચાહી-ચાહીને દિવ્ય અને સુંદર કેમ ન બનાવીએ?

આપણામાંથી મોટાભાગનાનું મોટાભાગનું જીવન ગઈકાલના કમરામાં વીતી જાય છે અને બાકીનાઓનું આવતીકાલના હવામહેલમાં. આજની જમીન પર તો આપણો પગ જ નથી પડતો. કેટલાક લોકો ‘અમારા જમાનામાં તો આમ હતું’ના સાત બાય પાંચ ઈંચના ઓરડા(મગજ)માં જ આજીવન કેદ રહે છે. ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો કે નાદાનીઓને બહુમતી લોકો વિસારે પાડી શકતા નથી. ભૂતકાળની ભૂલ ગમે એવી હોય, એ વીતી ચૂકી છે. એના પડછાયા આજ પર પડતાં નહીં રોકાય તો અજવાળું ઓછું જ મળશે. ખરું ડહાપણ ગઈકાલની સમસ્યાઓને નજરઅંદાજ કરીને આજને ઉજવવામાં છે.

પ્રેમ જીવનનો ખરો અર્ક છે. પ્રેમનો મલમ જ ગઈકાલના જખ્મોને રૂઝવી શકે છે. ગઈગુજરી ભૂલીને જે ક્ષણો હાથમાં છે એને પ્રેમપૂર્વક પૂરેપૂરી જીવી લેવાય એ ખરી જિંદગી. આનો અમલ કરવાનું ચૂકી જાય છે, એ લોકો જીવવાનું જ ચૂકી જાય છે. પ્રેમને વ્યક્ત કરતાં શીખવાનું છે. પ્રેમ છે? તો કહી દો. પ્રેમ છે? તો કરી લો. અભિવ્યક્તિમાં જેમ મોડું કરીશું, તેમ પ્રેમ કરમાતો અને કાળ સાથે ઝંખવાતો-નંદવાતો જશે. પ્રેમને સદીઓ ટકાવવાની ફિકર કરવાના બદલે પ્રેમની પળોને સો ફીસદી જીવવામાં રત રહીશું તો દરેક ક્ષણ શાશ્વતીની ક્ષણ બની જશે. કવિ આપણને જિંદગીને મુક્તમને જીવવા અને ‘દિવ્ય’ પ્રેમના ચંદ દિવસોને સનાતનમાં પરિવર્તિત કરવા આમંત્રે છે. ‘ચાલ્યું ગયું એ પાછું ટીપુંય આપો તો બદલામાં ચાહે રગ-રગ લો’નો નોસ્ટાલ્જિક મોહ ત્યજીને આજમાં જીવતાં શીખી શકાય તો જીવનનું વન સાચે જ નંદનવન છે.

એક ફૂલ – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : સોહની ભટ્ટ
સ્વરાંકન :શ્યામલ ભટ્ટ

.

એક ફૂલ ઊઘડતું જોયું જોયું ને કદી દીઠું ન હોય એમ જોતા ગયા
કારણ પુછોતો અમે જાણીએ ન કાંઈ અને છાબ છાબ આંસુએ રોતાં ગયાં

જોયું કે સૂમસામ સૂતેલા વગડામાં એક ઝાડ ઝબકીને જાગ્યા કરે
આવતા ઉનાળાના સમ દઈ મંજરીઓ કોકિલના ટહુકાને માંગ્યા કરે
આપવું કે માંગવુંની અવઢવ છોડીને અમે સર સર સર સાનભાન ખોતા ગયા

ડાહ્યા સમજાવે કે ઝાડવું થવાય નહિ આપણો તો માનવીનો વંશ છે
કોઈ એને કહી દો કે માણસ રહેવાય નહિ એવો આ ઝાડવાનોય દંશ છે
માણસની જાત અને ડાહ્યાની વાત બધું હમણાં હતુંની જેમ હોતા ગયા

– ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર – અનિલ ચાવડા

રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું જગતથી સ્હેજે અંજાયા વગર.

આવ, તારા પ્રેમનું એક થીંગડું તું મારી દે,
જિંદગી રહી જાશે નહિતર મારી સંધાયા વગર,

મૃત્યુ! કેવળ તારી એક જ સેજ એવી છે કે જ્યાં.
ચેનથી ઊંઘી શકાશે આંખ મીંચાયા વગર.

માર્ગની મૈત્રીમાં આ એક વાત જાણી લે ચરણ;
બહુ વખત એનાથી નહિ રહેવાય ફંટાયા વગર!

પંખી તું તો ઝાડની સૌ ડાળથી વાકેફ છે,
કોણ હાથો બનશે એ ટહુકી દે મૂંઝાયા વગર.

મારી ટીકામાં પડ્યા છે જાણતલ, વિદ્વાન સૌ,
હું પડી છું ડાયરીમાં બંધ વંચાયા વગર.

– અનિલ ચાવડા

ગ્લૉબલ કવિતા: ૨૧૦ : હું – ચૈરિલ અનવર (ઇન્ડોનેશિયા)

I – Chairil Anwar

When my time comes
I want to hear no one’s cries
Nor yours either

Away with all who cry!

Here I am, a wild beast
Driven out of the herd

Bullets may pierce my skin
But I’ll keep on

Carrying forward my wounds and my pain attacking,
Attacking,
Until suffering disappears

And I won’t care any more

I wish to live another thousand years.

– Chairil Anwar
(Translation: Burton Raffel)

હું

જ્યારે મારો સમય આવશે
હું કોઈનું રુદન સાંભળવા માંગતો નથી
તમારું પણ નહીં

દૂર બધા રડમસોથી !

હું આ જ છું, એક જંગલી જાનવર
પોતાના ઝુંડમાંથી હાંકી કઢાયેલો

ગોળીઓ ભલે મારી ત્વચાને છેદી નાંખે
પણ હું આગળ વધતો જ રહીશ

મારા જખ્મોને લઈને હું ધસતો રહીશ અને મારાં દર્દ હુમલા કરતાં રહેશે,
કરતાં રહેશે,
જ્યાં સુધી યાતના ગાયબ ન થઈ જાય

અને હું તસુભાર પણ પરવા કરનાર નથી

હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.

– ચૈરિલ અનવર
(અનુ. વિવેક મનહર ટેલર)


હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું….

અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળ રેલ્વેના પાટાની જેમ સદૈવ અડખેપડખે ચાલતાં હોવા છતાં ભિન્ન છે. વળી જિંદગીની ટ્રેનને સારી રીતે પસાર થવા માટે બંને અનિવાર્ય પણ છે. ડાર્વિનના વિખ્યાત સિદ્ધાંતોમાંનો એક, અસ્તિત્વ માટેનો સંઘર્ષ તો પ્રાણીમાત્રને હાંસિલ છે, અને દરેક જણ વધતા-ઓછા અંશે એ કરે જ છે. પણ આ સંઘર્ષમાં જો આત્મબળ ઉમેરાય તો નવીન બુલંદીઓ હાથવગી થઈ શકે. અસ્તિત્વ માટેનો સંઘર્ષ અને આત્મબળના પાટા પર દોડતી જિંદગીની ટ્રેન જ કદાચ અમરત્વના સ્ટેશન સુધી લઈ જઈ શકે. પ્રસ્તુત રચનામાં ઇન્ડોનેશિયન કવિ ચૈરિલની સાથે ચાલો, આ મુસાફરી ખેડીએ.

ચૈરિલ અનવર. ભરવસંતે ખરી ગયેલું ફૂલ. (જ.: ૨૬-૦૭-૧૯૨૨, ઉત્તર સુમાત્રા, મૃ: ૨૮-૦૪-૧૯૪૯, જકાર્તા) હોઠ વચ્ચેની સિગારેટ ખાખ થાય એથીય વહેલું, છવ્વીસ વર્ષની અલ્પાયુમાં અને છ જ વર્ષના કવિજીવનમાં માત્ર ૭૧ જેટલી કવિતાઓ, ગણતરીબંધ લેખો, મુઠ્ઠીભર અનુવાદો કરીને આ માણસ ઇન્ડોનેશિયાનો સર્વકાલીન અગ્રકવિ બની ગયો. માત્ર ૫૫ ગઝલ લખીને અજરામર થઈ જનાર દુષ્યંતકુમારનું સ્મરણ થાય. ફાકામસ્તીમાં જીવતો, સૂકલકડી, ફિક્કો, લઘરવઘર, નફિકરો નવયુવાન દુકાનમાંથી પુસ્તકો પણ ચોરતો. ઢગલાબંધ પ્રેમિકાઓનો પ્રેમી. બાળપણમાં પણ જિદ્દી અને અઘરો. ૧૫ વર્ષની ઊંમરે એને ખબર હતી કે એ કળાકાર થવા જન્મ્યો છે. એ અંદાજ પણ આવી ગયો હતો કે દીવો જલ્દી ઓલવાવાનો છે. ૧૮ વર્ષે શાળા છોડી દીધી. એ જ અરસામાં થયેલા મા-બાપના છૂટાછેડાથી લાગેલા ઘા કદી રૂઝાયા નહીં. ૧૯૪૬માં હાપ્સા વીરારેજા સાથે લગ્ન. એક દીકરીનો બાપ બન્યા. બે વર્ષમાં છૂટાછેડા. હૉસ્પિટલમાં જ મૃત્યુ થયું પણ મૃત્યુનું કારણ અનિર્ણિત. ટાયફસ, સિફિલીસ, ટી.બી. કે સિરોસીસ ઑફ લિવર? અલ્લાહ જાણે! મૃત્યુપર્યંત અનવર પર ઊઠાંતરીનો આરોપ પણ લગાવાયો હતો. આરોપ સાચો હોય તોય એનો હાથ લાગતાં કવિતામાં જાદુઈ ફેરફાર અને પરિણામ આવતાં. જો કે એક જ કવિતામાં સીધી ઊઠાંતરી સિદ્ધ થઈ શકી એ અલગ વાત. એલિયટ યાદ આવે: ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

એની કવિતામાં વ્યક્તિવાદ, અસ્તિત્વવાદ અને મૃત્યુ રોજબરોજની ભાષામાં ઊતરી આવે છે. એના ભાષાકર્મ અને પ્રયોગોએ ઇન્ડોનેશિયાની પરંપરાગત ‘શૃંગારિક’ ભાષા અને બીબાંઢાળ કાવ્યપ્રણાલિકાના લીરેલીરાં ઊડાવી દીધાં. પારંપારિક ઇન્ડોનેશિયન સાહિત્યને નવા-નવા આઝાદ (૧૭-૦૮-૧૯૪૫) થયેલા દેશની નૂતન પરિભાષામાં ઢાળનાર ‘જનરેશન ૪૫’ના અગ્રણી યુવા કવિઓમાંનો એ એક હતો. લાગણીની તીવ્રતા, ઉદ્દામવાદી વિચારસરણી તથા બહુધા આત્મકથનાત્મક શૈલીથી રસાયેલી એની કવિતાઓમાં નિરાશા અને મૃત્યુના ગાઢા રંગ ઉપસી આવે છે. ઇન્ડોનેશિયન સાહિત્યના પ્રખર અભ્યાસુ ટિવેએ એને ‘પરફેક્ટ પોએટ’ કહ્યો છે. જીવતો’તો ત્યારે એની કવિતાઓ મોટાભાગે સાભાર પરત થતી પણ આજે એનો નિર્વાણદિન ઇન્ડોનેશિયામાં ‘સાહિત્ય દિન’ તરીકે ઉજવાય છે.

અનુવાદ કરતી વખતે મૂળ રચનાનું ભાષાસૌંદર્ય અવશ્ય ખતમ થવાનું. પ્રસ્તુત કવિતાનું શીર્ષક અને મધ્યવર્તી વિચાર બંને Aku (હું) છે. ‘Aku’ એક જ શબ્દ હું, મને, મારુંની બધી જ અર્થચ્છાયામાં અલગાલગરીતે વાપરી શકાતો હોવાથી કાવ્યસર્જનની પળનો કવિનો મનોભાવ પકડવો અશક્ય છે. મૂલ કવિતામાં પહેલી લીટીમાં Waktuku શબ્દ છે, જેમાં Waktu એટલે સમય. Akuમાંનો ku એની પાછળ પ્રત્યય તરીકે લાગે એટલે અર્થ થાય મારો સમય. બીજી પંક્તિના પ્રારંભે ‘Ku બોલચાલની ભાષાનો કૈંક અંશે અશિષ્ટ શબ્દ છે, અર્થ તો ‘હું’ જ થાય છે પણ એનું સ્લેંગ તરીકે ભાષાંતર શું કરવું? કવિતામાં એ જ પ્રમાણે Ku ફરીથી પ્રત્યય તરીકે kulit સાથે (મારી ત્વચા), અને ઉપસર્ગ તરીકે bawa સાથે (હું આગળ વધું છું) વપરાયું છે. એક જ શબ્દની અલગ અલગ ભાષામાં અર્થચ્છાયા પણ અલગ અલગ હોવાની. પણ તમામ મર્યાદાઓના સ્વીકાર સાથે મૂળ ભાષાથી અણજાણ ભાવકોને અવર ભાષાના સાહિત્ય સાથે સાક્ષાત્કાર કરાવી આપવાનો એકમાત્ર કીમિયો અનુવાદ જ છે એટલે મૂળ ભાષામાંનું કંઈક ગુમાવવાની તૈયારી સાથે અને નવી ભાષામાંથી કંઈક ઉમેરણ સાથેના અનુસર્જનને આવકારવો જ રહ્યો.

‘અકુ’ એટલે ‘હું’. જાકાર્તા કલ્ચરલ સેન્ટરમાં જુલાઈ, ૧૯૪૩માં ચૈરિલે પહેલવહેલીવાર આ કવિતા વાંચી હતી, ત્યારે ‘સેમાન્ગત’ (આત્મા) એનું શીર્ષક હતું. ઇન્ડોનેશિયન વિવેચક નેતિના મતે નવું શીર્ષક ‘અકુ’ (હું) અનવરનો વ્યક્તિગત સ્વ-ભાવ સૂચવે છે જ્યારે જૂનું શીર્ષક પ્રાણશક્તિ. આખી રચના ‘હું’ કેન્દ્રિત છે અને ટોળામાંથી ખદેડી મૂકાયેલ માણસની છે. આવામાં લય કે સુનિશ્ચિતતા શું શક્ય બને? કદાચ એટલે જ અહીં કાવ્યવિધા અછાંદસ છે, અને સાત અનિયત ભાગમાં વહેંચાયેલી તેર અનિયમિત લંબાઈવાળી પંક્તિઓ. મૂળ કવિતામાં જો કે કવિએ સરસ પ્રાસવ્યવસ્થા અને નાદસૌંદર્ય જાળવ્યાં છે.

સદીઓના ડચ સંસ્થાનવાદની જોહુકમી બાદ ૧૯૪૧થી ૧૯૪૫ દરમિયાન જાપાનીઓએ ઇન્ડોનેશિયામાં અડિંગો જમાવ્યો હતો. નિર્દયી જાપાનીઓએ દેશને બરબાદ કરવામાં કોઈ કસર છોડી નહોતી. માર્ચ ૧૯૪૩માં, જ્યારે ચૈરિલે આ કવિતા લખી એ સમય ઇન્ડોનેશિયાની આઝાદીની લડતનો સમય હતો. ઘણા આ કવિતા રાજનૈતિક હેતુથી પર હોવાનું માને છે, પણ કવિતાના વિષયવસ્તુ, રચનાસમય, ચૈરિલનો સ્વભાવ –આ બધું જોતાં સમજાય છે કે આ કવિતા દેશ આખાની આઝાદીની ચાહનાનું ગાન છે. કવિતા સ્વતંત્રતાસંગ્રામનું પ્રતીક બની રહી હતી. કદાચ એટલે જ એ કવિનું સર્વશ્રેષ્ઠ સર્જન પણ ગણાય છે.

આખી રચના ‘હું’ ફરતે વીંટળાયેલી છે. કાવ્યનાયક (persona) કવિ પોતે હોવાનું સતત અનુભવાય છે. ચૈરિલની બહુધા આત્મકથનાત્મક શૈલીની કવિતાઓની આ ખૂબી છે. એ કહે છે કે આ જ હું છું, આ હું જ છું; સ્વીકારો અથવા તરછોડો. માથે ચડાવો અથવા ફેંકી દો પણ હું આ જ છું, આ જ છું ને આ જ રહીશ. કાવ્યારંભે જ કવિનો આ મિજાજ સંભળાય છે. ‘જ્યારે મારો સમય આવશે’થી કવિતા પ્રારંભાય છે. આ સમય મૃત્યુનો છે કે વિજયશ્રીનો કે બંનેનો એ આગળ જતાં સમજાય છે. બુદ્ધ કહે છે કે ‘સમસ્યા એ જ છે કે તમે વિચારો છો કે તમારી પાસે સમય છે.’ મહાભારતમાં યક્ષપ્રશ્નોના જવાબ આપતાં યુધિષ્ઠિરે મૃત્યુ નિશ્ચિત હોવાનું જાણવા છતાં માણસ કદી મરવાનો ન હોય એમ જીવે છે એને સંસારનું સૌથી મોટું આશ્ચર્ય લેખાવ્યું હતું. પણ અહીં પોતાનો સમય નજીક હોવાનું કવિ સમજી ચૂક્યા છે. સ્વાતંત્ર્યસંગ્રામના સમયગાળાની રચના હોવાથી અને કવિ પોતે ગેરિલા સૈનિક રહી ચૂક્યા હોવાથી લડાઈ, ગોળીઓ અને આગેકૂચના સંદર્ભો સમજાય છે. સૈનિક તરીકે યુદ્ધમાં જવાનો કે મૃત્યુના ખોળામાં સૂવાનો કે કોઈપણ રીતનો ‘પોતાનો’ સમય આવશે ત્યારે કવિ કોઈનું પણ રુદન સાંભળવા માંગતા નથી. એ નથી ઇચ્છતા કે કોઈપણ રડે, કે શોક મનાવે. કથક જે(ઓ)ને સંબોધે છે તે(ઓ)નું રૂદન પણ ઝંખતો નથી. મેરી એલિઝાબેથ ફ્રે કહે છે, ‘મારી કબર પાસે ઊભાં રહીને રડશો નહીં. હું ત્યાં નથી. હું મરી નથી.’ કવિ પણ દુનિયાભરના રડમસોથી પરે રહેવા ધારે છે. આમ, પ્રથમ ત્રણ પંક્તિમાં જ મૃત્યુના સાન્નિધ્યમાં જીવનનું માહાત્મ્ય ઉજાગર થાય છે.

‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ કહેતો રાવજી પટેલ યાદ આવે. રાવજીને યુવાવયે મરણ ઢૂંકડુ દેખાયું ત્યારે એણે શોકગીતના બદલે લોકગીત-લગ્નગીતની ભાષામાં પોતાની વેલને શણગારવાનું અને શગને સંકોરવાનું કહ્યું હતું. મૃત્યુના વધામણાં લેતાં આવડી જાય તો શ્વાસ પણ અજવાળાં પહેરીને ઊભા રહે! નોર્મન કઝિન્સ કહે છે, ‘મૃત્યુ એ જિંદગીમાં સૌથી મોટી ખોટ નથી. મોટામાં મોટી ખોટ તો આપણે જીવતાં હોઈએ ત્યારે આપણી અંદર કશુંક મરી જાય એ છે.’ ખલિલ જિબ્રાન કહે છે, ‘જીવન અને મૃત્યુ એક જ છે, જે રીતે નદી અને દરિયો.’ ચૈરિલ પણ મૃત્યુને વધાવી લેવાની વાત કરે છે. રડવાથી અને રડનારાઓથી દૂર રહેવા માંગે છે.

કવિ પોતે દળમાંથી હાંકી કાઢવામાં આવેલ જંગલી જાનવર હોવાનું કબૂલે છે. પણ સૂર કબૂલાતનામાનો ઓછો અને જાહેરાતનો વધારે છે. ગાયોના ઝુંડમાં ગાય હોય અને સિંહોના ટોળામાં સિંહ. મતલબ, ઝુંડના અન્ય સભ્ય પ્રાણીઓ પણ હતા તો જંગલી જ! આપણો સમાજ પણ સુસંસ્કૃત જંગલીઓના જૂથ સિવાય બીજું શું છે? કથકની જંગલિયત જો કે એવી છે કે એને જંગલીઓએ પણ તડીપાર કર્યો છે. મૂળ ભાષામાં ‘જંગલી જાનવર’ માટે binatang jalang શબ્દપ્રયોગ છે, જેમાં jalang (જંગલી) શબ્દમાં કામુકતાની અર્થચ્છાયા છે, જે અનુવાદમાં લુપ્ત થઈ ગઈ. Jalang વિશેષણ સ્ત્રીઓ માટે વપરાય ત્યારે વેશ્યા હોવાનો અર્થ પ્રતિપાદિત થાય છે. અહીં પણ, Jalang શબ્દનો એક તાર ચૈરિલની બેબાક અતિકામુક જિંદગી સાથે જોડાયેલ અનુભવાય છે. પાણી અને જળ સમાનાર્થી હોવા છતાં બંનેની અર્થચ્છાયા ભિન્ન છે. સન્માનનીય વ્યક્તિના પગ ધોવા કે અભિષેક માટે જળ શબ્દ વપરાય, પાણી નહીં. એ જ રીતે મળપ્રક્ષાલન માટે પાણી શબ્દ જ છાજે, જળ નહીં.

ઇન્ડોનેશિયન સમાજના જનમાનસમાં એ સમયે એ વાત ઠસી ગઈ હતી કે ટોળાંમાંથી છૂટો પડે એ કચડાઈ જાય, આગળ ન વધી શકે, અને આ એકાકી અવસ્થામાં ભાગ્યે જ બચી શકે. ચૈરિલની ઘણી કવિતાઓ પર એ સમયના શાસકદેશ જાપાને પ્રતિબંધ મૂક્યો હતો પણ એ તો સ્વભાવે જ બંડખોર હતો. એ ટોળાંનો કે બહોળાનો માણસ નહોતો. એ અવળી જ આલબેલ પોકારે છે. ઝુંડમાંથી હાંકી કઢાયો હોવાની બાંગ એ કવિતાના મિનારે ચડીને પોકારે છે. અને એની આ વાતની જ પુષ્ટિ કરતી હોય એમ શીર્ષક અને તેરેતેર પંક્તિઓમાં Aku (હું)ના પડઘા સતત સંભળાય છે.

ચૈરિલનો બળવાખોર મિજાજ શબ્દે-શબ્દે છલકાય છે. ભલે ન્યાતબહાર મૂકાયો હોય, ભલે એકલો પડ્યો હોય, ભીતરનો સૈનિક મર્યો નથી ત્યાં સુધી એ આગેકૂચ છોડનાર નથી. આગળ કદાચ ગોળીબારનો સામનો કરવો પડે અને ગોળીવર્ષા ત્વચા ભેદીને તાર-તાર પણ કરી દે. વાંધો નહીં. આગેકદમ જારી જ રહેશે. એનો હુમલો મંદ કે બંધ નહીં પડે. બાણશય્યાવશ ભીષ્મે પણ ઇચ્છામૃત્યુનું વર હોવા છતાં મૃત્યુની ઇચ્છા કરી હતી, પરંતુ કાવ્યનાયક ગોળીથી છલની-છલની થઈનેય અટકનાર નથી. માત્ર ઘાવો જ નહીં, દર્દોને પણ ઊંચકીને આગળ ને આગળ વધતા-ધસતા રહેવાની એની નેમ છે. ઘા તનના હોય છે, દર્દ મનના. તન કરતાં મનને ઉપાડવું વધુ દોહ્યલું છે. અહીં તો તન-મન બંને જખ્મી છે. નાયકની જેમ આ જખ્મો અને દર્દો પણ અટકવાના બદલે વધતા જ જશે અને એ હદ સુધી વધશે, જ્યાં સંવેદનતંત્ર લકવાગ્રસ્ત થઈ જાય, દુઃખ-દર્દ અનુભવવાની ક્ષમતાનું નાકું આવી જાય. ગોળીઓની પેઠે તન-મનને વીંધી-વીંધીને તમામ યાતનાઓ બુઠ્ઠી થઈ હથિયાર ફેંકી દે, દુઃખ-દર્દની સરહદ ખતમ થઈ જાય એ મુકામે પહોંચી ન જવાય ત્યાં સુધી નાયક અવિરત ધપતા રહેવાની ઇચ્છા ધરાવે છે. ગાલિબના એક-એક કરતાં બબ્બે શેર યાદ આવે:

रंज से ख़ूगर हुआ इन्सां तो मिट जाता है रंज
मुश्किलें मुझ पर पड़ीं इतनी कि आसां हो गईं
(માણસ દુઃખથી અભ્યસ્ત થઈ જાય છે તો દુઃખ મટી જાય છે. મારા પર એટલી બધી મુશ્કેલી પડી કે આસાન થઈ ગઈ.)

इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना
दर्द का हद से गुज़रना है दवा हो जाना
(દરિયામાં ફના થઈ જવું એ જ બુંદની ખુશી છે. દર્દ હદથી વધી જાય તો ઔષધ બની જાય છે.)

જર્મન ફિલસૂફ ફ્રેડરિક નિત્શેનું માનતા કે, ‘તુચ્છ લોકોની પીડા તુચ્છ હોય છે, મહાન માણસોની મહાન. મહાન વેદનાનો અફસોસ ન કરવો જોઈએ કેમકે તે ઉમદા છે.’ એમણે કહ્યું હતું કે ‘જે આપણને મારી નથી નાંખતી એ પીડા આપણને વધુ મજબૂત બનાવે છે,’ આ વાત વૈજ્ઞાનિક ધોરણે પણ પુરવાર થઈ છે. ચૈરિલ પણ આ જ કહે છે. કહે છે, હું તસુભાર પણ પરવા કરનાર નથી. ગોળીવર્ષા, જખ્મો, દુઃખદર્દ કે દુનિયાની કોઈ પણ આડશ એના વેગને, આત્મબળને અટકાવી શકનાર નથી.

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના. (ઘાયલ)

કવિનું આત્મબળ એના અસ્તિત્વના સંઘર્ષથી વધીને છે. એટલે એ મૃત્યુના ખોળામાં બેસીને ચિરંજીવી થવાની વાત કરી શકે છે. રડ્યા વિના, કોઈને રડવા દીધા વિના, મરણને પરણવાનું આહ્વાન આપતી આ રચના આઝાદી અને અમરજીવન માટેની બુલંદ ચીસ છે. સામી છાતીએ ફના થવા પૂરપાટ આગળ વધી શકે એ જ અમરત્વનાં સ્વપ્ન જોઈ શકે. અંતને ગળે લગાડતી કવિતાના અંતમાં કવિ તારસ્વરે એલાન કરે છે: ‘હું બીજા હજાર વર્ષ જીવવા માંગું છું.’ અને આ નાદભેરી એટલી વાસ્તવિક છે કે સહસ્ત્રાયુના આકાશકુસુમવત્ ગપગોળાને અવગણીને આપણે કવિના પક્ષે બેસી જઈને એને ‘તથાસ્તુ’ કહી બેસીએ છીએ!

એક રીતે, આ ઇન્ડોનેશિયાનું આઝાદીગાન પણ છે. ડચ હોય કે જાપાની– શાસકો ગમે એટલા અવરોધો કેમ ન ઊભા કરે, ગમે એટલી તકલીફો કેમ ન આપે, આ દેશ ઘાયલ થઈનેય કશાયની તમા રાખ્યા વિના આઝાદીની દિશામાં સતત ધસતો જ રહેશે, અને ત્યાં સુધી ધસતો રહેશે જ્યાં સુધી આતતાયીઓ અને ગુલામી ગાયબ ન થઈ જાય, દેશ સ્વતંત્ર ન થઈ જાય, કેમકે આ આઝાદી બીજા હજાર વર્ષ ટકી રહેનાર છે.

કવિનો અને કવિતાનો ‘હું’ આપણા સહુનો ‘હું’ છે. આ ‘હું’ હકીકતમાં મનુષ્યની સાહસિક ભાવના છે, જે મનુષ્યની પોતાના નિર્ધારિત ભાગ્ય -મૃત્યુમાંથી આઝાદ થઈ અમરત્વપ્રાપ્તિ માટેની તડપ અને કોશિશ નિરુપે છે. ચૈરિલ કહે છે, ‘કળામાં, પ્રાણશક્તિ પ્રારંભની અરાજક અવસ્થા હોય છે, સૌંદર્ય અંતિમ વૈશ્વિક અવસ્થા.’ આ વાત આ કવિતામાં પણ નજરે ચડે છે. કવિતાનો પ્રાણ એની શરૂઆતની અરાજકતા છે- મૃત્યુનું આહ્વાન, શોકની મનાઈ, ન્યાતબહાર ફેંકાવું, ઘાયલ થવું. પણ આખરી વાક્યમાં જે જિજિવિષા અંતરના તળિયાનાય તળિયેથી ઊભરી આવે છે એ વૈશ્વિક અવસ્થા, સ્વમાંથી સર્વ તરફની ગતિ, વયષ્ટિમાંથી સમષ્ટિ તરફનું પ્રયાણ આ કવિતાનું સાચું સૌંદર્ય છે.

ઓ રે બેલી – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : શ્યામલ ભટ્ટ

.

ઓ રે બેલી સમદરિયા કરવા છે પાર રે
પળમાં તું હોડાં ઉતાર
કે જળ પાછા ઉતરી જશે હો જી

ઓ રે બેલી સાધીને રાખને નિશાન
સબધાં કરી લે સુકાન
પાણીમાં ચીલા જડશે નહીં હો જી

ઓ રે બેલી મધદરિયે ભારે ઉછાળ
પવનોના નહીં આવે પાર
હીયાની મોજે ઉંચકી જશે હો જી

ઓ રે બેલી સામેના કિનારે તારા ગામ
જળ વચ્ચે નભને જગાડ
એવું જો તારી સુરતા કહે હો જી
-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

જળને ઝીલો – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર : પાયલ આશર
સ્વરાંકન : કે. સુમંત

.

આ ઝરમર ઝરમર ઝરી રહ્યા તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો

આ એક જ ટીપું આખેઆખા સરવર દેશે
ધરો હથેળી અચરજના અવસરને ઝીલો

આ કણ કણ લીલા છે નાચી ચોકરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

આ કણ લીલા છે નાચી ચોગરદમ
જીવતર જેણે પ્રગટાવ્યાં તે બળને ઝીલો

નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો
ઘટ ઘટ ઊમટી ઘેરાયાં વાદળને ઝીલો

આ ઉંમર પદવી નામ ઘૂંટાયા તે ભૂંસી દઈને
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો

મહેર કરી છે મહારાજે મોટું મન
રાખી ખોલી દો ઘૂંઘટપટ વરસ્યા વરને ઝીલો

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

ગ્લૉબલ કવિતા : ૨૦૯ : પિતાજીની ઘરવાપસી – દિલીપ ચિત્રે

Father Returning Home

My father travels on the late evening train
Standing among silent commuters in the yellow light
Suburbs slide past his unseeing eyes
His shirt and pants are soggy and his black raincoat
Stained with mud and his bag stuffed with books
Is falling apart. His eyes dimmed by age
fade homeward through the humid monsoon night.
Now I can see him getting off the train
Like a word dropped from a long sentence.
He hurries across the length of the grey platform,
Crosses the railway line, enters the lane,
His chappals are sticky with mud, but he hurries onward.

Home again, I see him drinking weak tea,
Eating a stale chapati, reading a book.
He goes into the toilet to contemplate
Man’s estrangement from a man-made world.
Coming out he trembles at the sink,
The cold water running over his brown hands,
A few droplets cling to the greying hairs on his wrists.
His sullen children have often refused to share
Jokes and secrets with him. He will now go to sleep
Listening to the static on the radio, dreaming
Of his ancestors and grandchildren, thinking
Of nomads entering a subcontinent through a narrow pass.

– Dilip Chitre


પિતાજીની ઘરવાપસી

મારા પિતાજી મોડી સાંજની ટ્રેનમાં પીળા પ્રકાશમાં ઊભા-ઊભા
મુસાફરી કરે છે સિઝન ટિકીટવાળા મૂંગા સહયાત્રીઓની વચ્ચે.
એમની વણ-જોતી આંખો સામેથી પરાંઓ પસાર થયે રાખે છે
એમનો શર્ટ અને પેન્ટ ભીનાં છે અને કાળો રેઇનકોટ
કાદવથી ખરડાયેલો છે અને ચોપડીઓ ઠાંસીને ભરેલો એમનો થેલો
પડુ પડુ થઈ રહ્યો છે. ઉંમરના કારણે નિસ્તેજ થયેલી એમની આંખો
ચોમાસાની આર્દ્ર રાતમાં ઘર તરફ ધૂંધળું તાકી રહી છે.
હવે હું એમને ટ્રેનમાંથી ઊતરતા જોઈ શકું છું
એક લાંબા વાક્યમાંથી ખડી પડેલા શબ્દની જેમ.
એ ઝડપ કરે છે ભૂખરા લાંબા પ્લેટફૉર્મને પસાર કરવા,
રેલ્વેલાઇન ઓળંગે છે, ગલીમાં પ્રવેશે છે,
એમની ચપ્પલ કાદવથી ચપચપ થાય છે પણ એ વધુ ઝડપ કરે છે.

ઘરે પાછા, હું એમને ફિક્કી ચા પીતા,
વાસી રોટલી ખાતા, પુસ્તક વાંચતા જોઉં છું.
એ શૌચાલયમાં જાય છે
માનવ-સર્જિત જગતથી માનવીના અલગાવ વિશે ચિંતન કરવા માટે.
બહાર આવતાં સિન્ક પાસે એ જરા લડખડાય છે,
ઠંડુ પાણી એમના કથ્થઈ હાથો પરથી દદડી રહ્યું છે,
કેટલાંક ટીપાં એમનાં કાંડાં પરના ધોળાં વાળ પર વળગી રહ્યાં છે.
એમના અતડાં બાળકોએ એમની સાથે હાસ્યો કે રહસ્યો
વહેંચવાનો ઘણુંખરું નકાર્યું જ છે. એ હવે સૂવા માટે જશે
રેડિયો પર ઘોંઘાટ સાંભળતા સાંભળતા, પોતાના પૂર્વજો
અને પૌત્રોના સપનાં જોતા જોતા, વિચાર કરતા કરતા
એ રખડુ આર્યો વિશે જેઓ સાંકડા ઘાટ મારફત ઉપખંડમાં આવ્યા હતા.

– દિલીપ ચિત્રે (અંગ્રેજી)
(અનુ. વિવેક મનહર ટેલર)

પિતા – જિંદગીના વાક્યમાંથી ખડી પડેલો શબ્દ?

પહેલાનાં જમાનામાં ઘરો માત્ર ઈંટો કે ભીંતોથી નહોતા બનતાં. ડેલો. વખાર. ઓસરી. ફળિયું. ગમાણ. પરસાળ. રાંધણિયું. કોઠાર. મેડી. કાતરિયું. પછીત. વાડો. –આ સૌ પહેલાંના ઘરોના સભ્યો હતા. ઘર જેટલા વિશાળ હતા, પરિવાર એટલા બહોળા અને દિલ એવા જ મોકળા હતા. જેમ-જેમ ઘર BHKથી ઓળખાવા માંડ્યા, તેમ-તેમ પરિવાર નાના થવા માંડ્યા અને પરિવારજનોના દિલ સાંકડાં. તંગદિલ અને સંગદિલ પરિવારોમાં મા-બાપની જગ્યા માઇનસ થતી ગઈ. પ્રસ્તુત રચનામાં આવા જ એક પરિવારમાં જીવતા બાપનું સ્થાન શબ્દોના બદલે આંસુઓથી ચિતરાયું છે.
દિલીપ પુરુષોત્તમ ચિત્રે. ૧૭-૦૯-૧૯૩૮ના રોજ વડોદરા ખાતે જન્મ. ૧૯૫૧માં સહપરિવાર મુંબઈ સ્થળાંતર. પિતાજી એક જમાનાના આપણા ‘કુમાર’ કક્ષાનું સામયિક ‘અભિરુચિ ચલાવતા, તો નાના કાશીનાથ ગુપ્તે સંત તુકારામના ‘સ્પેશ્યાલિસ્ટ’ હતા. એટલે સાહિત્ય રક્તસંસ્કારમાં હતું. ૧૬ વર્ષની ઉંમરે એમણે નક્કી કરી લીધું હતું કે કવિતા અને ચિત્રકળા જ એમનો વ્યવસાય હશે. ૨૨મા વર્ષે પહેલો કાવ્યસંગ્રહ. એ જ ઉંમરે વિજયા સાથે લગ્ન. એકમાત્ર પુત્ર ભોપાલ ગેસ કરુણાંતિકાનો શિકાર બન્યો. સ્વાતંત્ર્યોત્તર ભારતના નોંધપાત્ર દ્વિભાષી સર્જકોમાંના એક. મુખ્યત્વે મરાઠી અને અંગ્રેજીમાં, પરંતુ હિંદી-ગુજરાતીમાંય નોંધનીય પદાર્પણ. તેઓ કહેતા, ‘દ્વિભાષી લેખકના સાહિત્યિક અભિગમને દ્વિજાતીય વ્યક્તિના કામુક અભિગમ જેવો જ ગણી લેવામાં આવે છે- ભયાનક રીતે મહત્ત્વાકાંક્ષી અને તિર્યક્.’ તુકારામ અને ધ્યાનેશ્વરની કૃતિઓના અંગ્રેજી અનુવાદ ખાસ ધ્યાન ખેંચે છે. ગુજરાતીમાં એમણે મિલ્ટનના મહાકાવ્યોનો સહ-અનુવાદ કર્યો. એક ચલચિત્ર ‘ગોદામ’ અને ઢગલાબંધ દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો એમણે બનાવી. મોટાભાગની ફિલ્મોમાં પટકથા, દિગ્દર્શન અને કેટલાકમાં સંગીત પણ એમણે આપ્યું. ચિત્રકળા અને ફિલ્મમેકિંગને તેઓ પોતાની કાવ્યાત્મક સંવેદનશીલતાના સાંધારહિત વિસ્તરણ સ્વરૂપે જોતા. ભારતના અમર સાહિત્યિક વારસાના પ્રખંડ ચાહક-પ્રચારક. કહેતા, ‘સાતસોથી વધુ વર્ષોથી અનવરત અસ્ત્તિત્વ ધરાવતું આ સાહિત્ય સાહિત્યિક જગત માટેનો મારો પાસપોર્ટ છે. મારે દુનિયાને બતાવવાનું છે કે મારો શેક્સપિઅર અને દોસ્તોએવસ્કી કોણ છે.’ પચાસ-સાંઠના દાયકામાં બંગાળી, મરાઠી, તમિલ, મલયાલમ, હિંદી અને ગુજરાતી જેવી ભાષાઓમાં ‘લિટલ મેગેઝિન મૂવમેન્ટ’ દાવાનળની જેમ ફેલાઈ વળી. સ્થાપિત કવિઓ અને કવિતાઓ સામેનો આ પ્રચંડ જુવાળ મરાઠીમાં માર્ધેકરે લાવ્યા અને દિલીપ ચિત્રે, અરુણ કોલાટકર જેવા કવિઓએ પ્રમુખ ભાગ ભજવ્યો. ‘શબ્દ’ નામનું સાઇક્લોસ્ટાઇલ સામયિક ચાલુ કર્યું. જૂનવાણી, ઉચ્ચ અને મધ્યમવર્ગીય ઈજારો બની ગયેલ મરાઠી સાહિત્યજગતને આધુનિકતા અને દલિત ચળવળના રંગે રંગવામાં અને સાહિત્યનો નવોન્મેષ સર્જવામાં ‘શબ્દ’નો ફાળો પ્રમુખ હતો. કેન્સર સામેનો જંગ લડતા-લડતા અંતે ૧૦-૧૨-૨૦૦૯ના રોજ પુણે ખાતે પોતાના નિવાસસ્થાને દેહવિલય.

‘પિતાજીની ઘરવાપસી’ ગુજરાતમાં જન્મેલા મરાઠી કવિની અંગ્રેજી કવિતા છે. સ્વાતંત્ર્યોત્તર કવિતાઓએ છંદોપ્રાસની કેદમાંથી છૂટવા આંદોલન આદર્યું હતું, એનો જ એક ભાગ હોવાથી અહીં કાવ્યવિધા અછાંદસ છે. શૈલી નાટકીય આત્મસંભાષણાત્મક (dramatic monologue) કે આત્મકથનાત્મક છે. ૧૨-૧૨ પંક્તિના બે ખંડ ઘરપ્રયાણ અને ઘરભીતર -પિતાજીની બે પરિસ્થિતિ વચ્ચે ભેદરેખા આંકે છે. વડોદરાથી મુંબઈ આવ્યા બાદની પોતાના પિતાજીની પરિસ્થિતિનું જ દારુણ વર્ણન કવિએ કર્યું હોવાનું કહેવાય છે. પણ આ પિતાજી કોઈનાય હોઈ શકે. તીણી તીખી છરીની જેમ હૃદયસોંસરી નીકળી જતી કારમી વાસ્તવિક્તાનું આ નગ્ન ચિત્રણ છે. કવિતાને Res ipsa loquitar યાને સ્વયંસ્પષ્ટ કે સ્વયંસિદ્ધા પણ ગણી શકાય. મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધનો આંખેદેખ્યો હાલ સંભળાવે છે એ જ રીતે કવિ પોતાના પિતાનું ચિત્ર આપણને બતાવે છે.

મુંબઈની લોકલ ટ્રેનમાં મોડી સાંજે સિઝન ટિકીટવાળા મૂંગા સહયાત્રીઓની ભીડ વચ્ચે ડબ્બામાંના પીળા પ્રકાશમાં ઊભા-ઊભા મુસાફરી કરતા પિતાજીના રેખાંકનથી કાવ્યારંભ થાય છે. કવિતામાં દરેક પ્રતીક ધ્યાનાર્હ છે. નોકરી માટે રોજિંદી અપડાઉન કરતા કમ્યૂટર્સનો એકશબ્દી પર્યાય આપણી ભાષામાં મળતો નથી. પિતાજી આ અપડાઉનિયા ભીડનો જ ભાગ છે, મતલબ તેઓ પણ નોકરિયાત છે. મોડી સાંજની ટ્રેન સૂચવે છે કે નોકરીના કલાક પણ ઓછા નહીં હોય. પીળી બત્તી ટ્રાફિકમાં ધીમા પડવા માટેનું સિગ્નલ છે. પીળો પ્રકાશ ઉદાસીનતા પણ સૂચવે છે. આમ, મોડી સાંજ અને પીળો પ્રકાશ કવિતાના કેન્દ્રવર્તી ભાવને બખૂબી વ્યક્ત કરે છે. તમામ પ્રતીક કવિએ બેવડા સ્તરે પ્રયોજ્યા જણાય છે. દિવસ આથમી ચૂક્યો છે. સાંજ અને અજવાળું –બંને ઓસરવા આવ્યાં છે. પિતાજી પણ જીવનસંધ્યાએ આવી ઊભા છે. વૃદ્ધાવસ્થાએ પહોંચવા છતાં એમના માથેથી આજીવિકા રળવાની જવાબદારીનો બોજ ઉતર્યો નથી. ટ્રેનમાં વયને માન આપીને એમને બેસવાની જગ્યા આપવાની પણ કોઈને દરકાર નથી. સહયાત્રીઓ છે પણ મૂંગા. આ એવી દુનિયા છે, જ્યાં કોઈને કોઈની પડી નથી. આત્મરતિની અતિથી પીડાતી આ દુનિયામાં પરસ્પર તરફની ગતિ નથી.

ટ્રેનની આ રોજિંદી અને યંત્રવત્ મુસાફરી દરમિયાન પિતાની વણજોતી આંખો સામેથી એક પછી એક પરાં પસાર થઈ રહ્યાં છે. કોઠે પડી ગયેલાં એ દૃશ્યો આંખ જોતી નથી. ફરતેના વિશ્વની નોંધ લેવાનો ઇનકાર કરતી આંખો ખુલ્લી છે પણ બંધ બરાબર. પિતાજીના શર્ટ-પેન્ટ ભીનાં છે અને કાળો રેઇનકોટ કાદવથી ખરડાયેલ. મતલબ, વરસાદની ઋતુમાં પણ નોકરીથી મુક્તિ નથી. કાળો રંગ પિતાજીની અવદશાનો રંગ છે, અને જિંદગીના રંગોની અનુપસ્થિતિનો રંગ પણ છે. ઠાંસી-ઠાંસીને ચોપડીઓથી ભરેલો થેલો પડુ-પડુ થઈ રહ્યો છે. વરસોના અનુભવોથી ભર્યોભાદર્યો એમના અસ્તિત્વનો થેલો પણ પ્રવર્તમાન નિરુપિયોગિતાના અહેસાસ સાથે જિંદગીના ખભે ટકી રહેવા જાણે ઝઝૂમી રહ્યો છે.

એક તરફ ચોમાસાની ભેજલ રાતના કારણે હોય એનાથી વધુ ગાઢો દેખાતો અંધકાર છે, તો બીજી બાજુ વૃદ્ધાવસ્થાના કારણે પિતાજીની આંખોનું તેજ પણ ઓસરી રહ્યું છે. અંધારામાં વધુ લાચાર નિસ્તેજ આંખોની ધૂંધળી નજર તોય ઘર ભણી તાકે છે. આંખોનું તેજ કદાચ ઉંમર કે સમય કરતાંય એમની પ્રવર્તમાન હાલતની વાકેફિયતથી વધુ ઝાંખું પડ્યું છે:

મોતિયાની દેણ છે કે દીકરા મોટા થયા?
ધીમે ધીમે આંખ સામે આવતો અંધારપટ!

નિસ્તેજ થતા જતા સંબંધોની દુનિયાને પસાર થતાં પરાંની જેમ દેખી-અણદેખી કરવી મુશ્કેલ છે. લાંબા વાક્યમાંથી સંદર્ભ ગુમાવી બેસેલ શબ્દ કાઢી લેવાય એ રીતે કવિ પિતાજીને ટ્રેનમાંથી ઊતરતા જુએ છે. ટ્રેનની અંદર જેઓએ અસ્તિત્ત્વની કોઈ નોંધ લીધી નહોતી, એ સહયાત્રીઓને તો કોઈ ટ્રેનમાંથી ઉતરે, ન ઉતરે, શો ફરક પડે? મુસાફરો તો અન્યોન્યને પસાર થતું પણ ન દેખાતું કોઈક પરું જ ગણે ને! અને ટ્રેન પણ ઉતરનારની પરવા કર્યા વિના આગળ નીકળી જશે. ઉતરનાર વ્યક્તિ ટ્રેન અને સહયાત્રીઓ સાથેનો સંદર્ભ ગુમાવી બેસે છે. પસાર થતી જિંદગી સાથેનો પૂર્વાપરસંબંધ ગુમાવી બેસનાર પિતાજી લાંબા વાક્યમાંથી કાઢી નંખાયેલ શબ્દ જ ને?

પિતાજી ટ્રેનમાંથી ઉતરીને ભૂખરા લાંબા પ્લેટફૉર્મને પસાર કરવા ઝડપ કરે છે. પ્લેટફૉર્મની લંબાઈ અને ભૂખરો રંગ પણ ઉદાસ રંગહીન પ્રદીર્ઘ જિંદગી તરફ અંગૂલિનિર્દેશ કરે છે. કાદવમાં ચપચપ કરતી ચપ્પલ પહેરીને ચાલવું કપરું હોવા છતાં પિતાજી ધીમા પડતા નથી. પ્લેટફૉર્મ પસાર કરી, રેલવેલાઇન ઓળંગીને કાદવમાં ચાલતાં તેઓ પોતાની ગલીમાં પહોંચે છે. ત્રણ પંક્તિમાં બે વાર ‘ઝડપ’ શબ્દ વાપરીને કવિ પિતાની તત્પરતાને અધોરેખિત કરે છે. પણ આ તત્પરતા શેની છે? ઘરે તો એ જ બેરંગ બેઢંગ ગમગીનીનું સામ્રાજ્ય છે.

કવિતાના પ્રથમ ભાગમાં પિતાજીના ઘરપ્રયાણના આલેખન બાદ બીજા ભાગમાં ઘર ભીતરનું ચિત્રણ છે. આંખ દગો દેવાનું શરૂ કરી દે એ વયે પણ કોઈપણ સિઝન કે રિઝનને જોયા વિના ટ્રેનના રોજિંદા ધક્કા ખાતા ને કુટુંબ માટે પેટિયું રળી મોડેથી પરત આવતા બાપ માટે ઘરનું વાતાવરણ પણ ટ્રેનના ડબ્બાથી કંઈ અલગ નથી. અહીં પણ એ જ એકવિધતા, ઉદાસીનતા, એકલતા, અવગણના, અને અવમૂલ્યન છે. વધારામાં જનરેશન ગેપ પણ. એમના માટે કોઈ તાજી ચા ઉકાળતું નથી. સાંજની ચામાંથી બચેલી ફિક્કી ચા અને વાસી રોટલી જ એમને નસીબ થાય છે. ટ્રેનમાં જેવા રોજિંદા સહયાત્રીઓ, એવા જ ઘરના સહનિવાસીઓ. મૂંગા. અલિપ્ત. અનાદરસેવી. વાત કરવા માટે પોતાના કુટુંબમાં કોઈ ઉપસ્થિત ન હોવાથી પિતાએ પુસ્તકના કુટુબમાં ઘરવાસ કરી લીધો છે. ટ્રેન હોય કે ઘર –એમને કોઈ સામે ફરિયાદ નથી. અંગત વાતોનો વિનિમય લગભગ બંધ કરીને ઘરની અંદર જ ઘરવટો આપનારા સંતાનો સામે પણ વિરોધનો સૂર નથી. એમની દારુણ કરુણ સ્થિતિનો ચિતાર એનો પુત્ર જ આપણી સમક્ષ રજૂ કરે છે.

જમદાગ્નિની કામધેનુ પરત લાવવા એકલા હાથે સહસ્ત્રાર્જુનને સંહારતા, વળી પ્રાયશ્ચિત કરતા, અને સગી માનું માથુ કાપી નાખતા પરશુરામ, મા-બાપને કાવડમાં બેસાડીને તીર્થાટન કરાવતા શ્રવણ, કે બાપે દીધેલા વચન ખાતર રાજગાદી ત્યાગી વનવાસ ભોગવતા રામ જેવા દીકરા ક્યાંથી લાવવા આજે? આજે તો ઘરમાં મા-બાપનું સ્થાન લાંબા વાક્યમાંથી ખડી પડેલા, સંદર્ભ ગુમાવી બેસેલા શબ્દ જેવું થઈ ગયું છે. ઘરડાંઘર એમને એમ બિલાડીના ટોપ પેઠે ફૂલી-ફાલી નીકળ્યાં છે? બેજ પંક્તિમાં આખી સમસ્યાની સચોટ સારવાર સૂચવતા ગૌરાંગ ઠાકર યાદ આવે:

બસ, બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાંઘરો ખાલી કરાવી જોઈએ.

બાપ બાપ છે. જન્મદાતા છે. મુસાફરી અને મોસમની તકલીફો વચ્ચેય એમની ઘરે પહોંચવાની ઝડપ દુર્દમ્ય પારિવારીક સદભાવનાઓનું પ્રતીક છે. પણ આજના દીકરાઓ કંઈ એમ માને એવા નથી. એટલે મનુષ્યજાત વિશે ચિંતન કરવા માટે બાપે સંડાસના એકાંતનો સહારો લેવો પડે છે. કદાચ આ જ હવે એમની દુનિયા છે. શૌચાલયમાં એ માનવસર્જિત જગતથી માનવીના જ અલગાવ બાબતે વિમાસે છે. સંડાસ બહાર સિન્કની નજીક ક્ષણભર માટે તેઓ સહજ સમતુલન ગુમાવે છે. નોકરી અને મુસાફરીમાં તડકો વેઠીને કથ્થઈ થઈ ગયેલા એમના હાથ પર ઠંડુ પાણી દદડે છે. ‘ઠંડુ’ શબ્દ આપણને પરિવારજનોની લાગણીશૂન્યતાનો ડામ દેતો હોય એમ ચંપાય છે. કેટલાંક ટીપાં ધોળાં વાળ પર વળગી રહે છે. પાણી જીવનનું અને સફેદ વાળ વૃદ્ધત્વનું પ્રતીક પણ ખરાં. જિંદગી લટકી પડી છે, પણ છે તો ખરી! અતડાં બાળકો પોતાનાં હાસ્યો અને રહસ્યો એમની સાથે વહેંચવાનું બહુધા નકારે છે. કોઈપણ પ્રકારની આશાઓને પુનર્જીવિત કરવાની વૃથા કોશિશ કરવાના બદલે પિતાજી એકલા સૂવા જાય છે. સૂતા પહેલાં એકમાત્ર બચી ગયેલ સાથી- રેડિયો શરૂ કરે છે. જીવનના રેડિયો પર હવે સ્ટેશન તો સેટ નથી થતા તોય નકરો સ્ટેટિક ઘોંઘાટ તો ઘોંઘાટ, પણ રેડિયો હજી બંધ થયો નથી. કવિતાની શરૂઆતથી ટ્વાઇલાઇટ ઝોનની ઝાંખપને વધુ ગાઢી બનાવતાં પ્રતીકો એક પછી એક આવ્યે રાખતાં પરાંઓની જેમ આવે છે: મોડી સાંજ, પીળો પ્રકાશ, મૂંગા સહયાત્રીઓ, નિસ્તેજ આંખો, આર્દ્ર રાત, ભીનાં વસ્ત્રો, કાદવ, કાળો રેઇનકોટ, ભૂખરું લાંબું પ્લેટફૉર્મ, ચપ્પલોનું ચપચપ, ફિક્કી ચા, વાસી રોટલી, સંડાસ, લડખડાહટ, કથ્થઈ હાથ, ધોળાં વાળ, રેડિયોનું સ્ટેટિક- કવિતાના રેલ્વેટ્રેક પર આ દરેક માઇલસ્ટૉન બાપની જિંદગીના ટ્વાઇલાઇટ ઝોનને વધુ ઘાટો-ઘેરો બનાવે છે. કવિતાના શબ્દે-શબ્દે, પ્રતીકે-પ્રતીકે બાપની દુર્દશા નીંગળે છે.

જો કે ગમે એટલી સાંસારિક કે પારિવારિક અડચણો કેમ ન આવે, માનવીના મનને હરાવવું આસાન નથી. માણસના હાથમાંથી વર્તમાન સરકી જાય છે ત્યારે એ ભૂત અને ભવિષ્યનો હાથ ઝાલે છે. ગત અને અનાગતના સપનાં જોતાં જોતાં પિતાજી એ રખડુ આર્યો વિશે વિચારે છે, જેઓ પુષ્કળ રઝળપાટના અંતે સાંકડા ખૈબર ઘાટ મારફતે ભારતવર્ષમાં પ્રવેશ્યા હતા અને સ્થિર થયા હતા. સદીઓ લાંબા સમયપટ પર વિસ્તરેલ આ વંશશૃંખલામાં પોતે એક નાના અમસ્તા ટપકાંથી વિશેષ કશું નથી. પણ આ ટપકું જ પૂર્વજો અને વંશજોને જોડતી અનિવાર્ય કડી હોવાનો સંતોષ કદાચ તેઓ મેળવે છે. પોતાના પૂર્વજોએ પણ આજ રીતે આખરી બુંદ સુધી પોતાની જાત રેડી દઈને જ વંશવેલાની વૃદ્ધિ કરી હશે ને? પૂર્વજોની યાદોના એ યશસ્વી ભૂતકાળ અને હજી આવ્યા નથી એ પૌત્રોના આશાવંત ભવિષ્યકાળને જોડતા વર્તમાનકાળના પુલ પર પિતા હજી જીવનના સાંકડા ઘાટમાં હાર માન્યા વિના પોતાની લડાઈ લડી રહ્યા છે. કાવ્યાંતે સદીઓ પહેલા આર્યોના આગમનનો સંદર્ભ પરિવાર માટે ઢસરડા કરવા છતાંય સતત ઉપેક્ષિત પિતાના સીધાસાદા લાગતા શબ્દચિત્રમાં પ્રાણ ફૂંકીને એને ઉત્તમ કાવ્યકરાર બક્ષે છે.

ખુલ્લી મૂકી વખાર – ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વરઃ પારુલ મનીષ તથા સોહની ભટ્ટ
સ્વરાંકન : પારુલ મનીષ

.

ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયા
જોતી રહી બજાર અમે ચાલતા થયા

રસ્તા ગલી વળાંક બદલતા રહ્યા સતત
હરપળ દરેક હાલ અમે ચાલતા થયા

ઉલ્લેખ માત્ર થાય ને તો યે નશો રહ્યો
એ પી લીધી શરાબ અને ચાલતા થયા

અંદર થયું કે ચાલ હવે ચાલશું પછી
પૂછ્યો નહીં સવાલ અમે ચાલતા થયા

આ હાથની લકીર હજુ રોકતી હતી
પગનો હતો મિજાજ અમે ચાલતા થયા

ચર્ચા કશેય પહોંચવાની કયાં કરી હતી
મંઝિલની છોડ વાત અમે ચાલતા થયા

-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત