Category Archives: કાવ્યપ્રકાર

હું તને કયાંથી મળું ? – -જવાહર બક્ષી

આ ગઝલનો પહેલો શેર એક ચોપડીમાં વાંચ્યો, અને તરત જ ગમી ગયો, આખી ગઝલ વાંચવાની ઇચ્છા થઇ, અને લયસ્તરો જેવા ગુજરાતી કવિતા – ગઝલોના દરિયામાંથી તરત જ આ મોતી જેવી ગઝલ મળી પણ ગઇ….

સ્વર: આલાપ દેસાઈ

આલ્બમ: ગઝલ રૂહાની

.

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

( આભાર : લયસ્તરો )

उसको नहीं देखा हमनें कभी……..

स्वर : मन्ना डे, महेन्द्र कपूर
संगीत : रोशन
शब्द : मजरूह सुल्तानपुरी

उसको नहीं देखा हमनें कभी
पर इसकी ज़रुरत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी

इंसान तो क्या देवता भी
आंचलमें पले तेरे
है स्वर्ग इसी दुनियामें
कदमों के तले तेरे

ममता ही लुटाये जिसके नयन
एसी कोइ मूरत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी

क्यों धूप जलाये दुखोकी
क्यों गमकी घटा बरसे
ये हाथ दुआओं वाले
रहेते सदा सरपे

तु है तो अंधेरे पथमें हमें
सूरजकी ज़रूरत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी

कहेतें है तेरी शानमें जो
कोइ उंचे बोल नहीं
भगवान के पासथी माता
तेरे प्यार का मोल नहीं

हम तो यही जाने तुझसे बडी
संसार की दौलत क्या होगी
ए माँ तेरी सूरत से अलग
भगवानकी सूरत क्या होगी

એક ટહુકો પામવા – પૂર્ણિમા દેસાઇ

એક ટહુકો પામવા અહેસાનમાં,
લાગણી આપી રહી છું દાનમાં.

આભથી ધરતી લગી એ વિસ્તરી,
વાત કહેવાની હતી જે કાનમાં.

ફૂલદાનીનો હશે મોભો કબૂલ,
ફૂલની શોભાય છે વેરાનમાં.

કેટલા પયગંબરો આવી ગયા,
કાં ફરક પડતો નથી ઇન્સાનમાં ?

જ્યાં કિનારાની અભિલાષા કરી,
નાવ સપડાઇ ગઇ તોફાનમાં.

શબ્દ સાથે હાથ મેળવવો હતો,
આ ગઝલ તેના અનુસંધાનમાં.

સ્પર્શ કરશો તો માત્ર ખાલીપો – ભગવતીકુમાર શર્મા

શ્વાસથી છે સગાઇ જીવું છું,
આમ તો ખોટ ખાઇ જીવું છું.

મેદનીથી કપાઇ જીવું છું,
મારી ભીતર લપાઇ જીવું છું.

હું ગુનેગાર તો નથી તો પણ,
પંડથી પણ છુપાઇ જીવું છું.

શ્વાસની તો નથી ગતાગમ પણ,
વાંસળીમાં પુરાઇ જીવું છું.

સ્પર્શ કરશો તો માત્ર ખાલીપો,
હું તો સ્મરણે સમાઇ જીવું છું.

આ ગઝલ મારી છે હયાતી પણ,
તારે હાથે લખાઇ જીવું છું.

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર – બરકત વિરાણી ‘બેફામ’


સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.

ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી,
ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી.

નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે,
તૂફાનો કોઇ દી પણ થઇ શક્યાં નહિ મુક્ત સાગરથી.

બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને,
કરે છે કામ જે શયતાન, નહિ થાશે તે ઇશ્વરથી.

શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો –
ઘટાઓ તો ભરેલી હોય છે વર્ષાની ઝરમરથી.

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ !
સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.

ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં,
ઘણાં જળબિન્દુ મોતી થઇને નીકળે છે સમંદરથી.

ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,
નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.

વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.

અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની,
પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.

તમે મારાં દેવનાં દીધેલ છો

ટહુકોના એક મિત્રના શબ્દોમાં આ ગીતનો આસ્વાદ :

સ્ત્રીની સમર્પણ અને મમતાની લાગણી અભિવ્યક્ત કરતું આ સુંદર લોકગીત છે. કોડભરી કન્યા ગૌરીવ્રતમાં મહાદેવજી પાસે પોતાને મનગમતો વર માંગે છે અને મહાદેવજી પ્રસન્ન થાય છે ત્યારે એ અણમોલ રતન કન્યાને મળે છે. કન્યા એને ‘દેવના દીધેલ’ માની સમર્પિત થઇ જાય છે ત્યારે કન્યાને કોઇ મહેલ કે ઘરેણાં કે નાણાં નથી જોઇતા. કન્યા માટે તો એનો સાંવરિયો બથમાં એને લઇ લે તે જ ઘર, સાંવરિયાનું નામ એ જ એનું નાણું અને પોતાના હૈયાના દરબારમાં સાંવરિયાનું નામરટણ એ જ એનું ઘરેણું.

દેવના દીધેલ સમો પતિ મળ્યા પછી એને કોડ જાગે છે કે એના પતિ જેવો જ એક નાનકડો જીવ એની કૂખે અવતરે ! અને કન્યામાંથી માતા બનવા ઝંખતી સ્ત્રી પાર્વતીમાને રીઝવે છે ત્યારે ફરીથી એને દેવનો દીધેલ એવો પુત્ર મળે છે. આવા દેવના દીધેલ એવા બે બે રતન જેની પાસે હોય તે સ્ત્રી કોઇ એક ગ્રીષ્મની રાતે લીમડા નીચે ઢાળેલા ખાટલામાં એક દ્રશ્ય જુએ છે – એનો પુત્ર એના પતિની વિશાળ છાતી પર આડો પડ્યો છે અને પુત્રના વાંકડિયા વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં પતિ પુત્રને લવકુશની પરાક્રમી વાતો કહેતો હોય છે. ત્યારે સ્ત્રીને લાગે છે કે એની પાસે સર્વસ્વ છે.

– અને આવા ટાણે સર્જાય છે આ સુંદર લોકગીત. ગીતના શબ્દો સાંભળીશું ત્યારે સમજાશે કે મહાદેવજી પ્રથમ પ્રસન્ન થાય છે ત્યારે સ્ત્રી કહે છે ‘આવ્યા તમે અણમોલ’ – આ અભિવ્યક્તિ એના મનગમતા પતિ માટે હોઇ શકે. પછીથી સ્ત્રી કહે છે કે ‘પારવતી પ્રસન્ન થયા ત્યારે આપ્યો હૈયાનો હાર’ – આ અભિવ્યક્તિ એના લાડલા દીકરા માટે હોઇ શકે. એવો દીકરો કે જેને માતા હંમેશા હૈયે ચાંપીને રાખતી હોય એ હૈયાનો હાર ના કહેવાય તો બીજું શું ? એ સ્ત્રી માટે પતિ અને પુત્ર બંને દેવનાં દીધેલ છે, નગદ નાણું છે, ફૂલ વસાણું છે. આ ગીત ગાઇને સ્ત્રી પોતાના બંને દેવના દીધેલને વ્હાલથી સૂવાડે છે.

હંસા દવેએ ગાયેલા ગીતમાં શરૂઆતના બે અંતરા છે. લોકગીત હોઇ એમાં variations હોવાનો સંભવ છે. બાકીના શબ્દોમાં બાળકના લગ્ન, એની ફોઇ (ફૈ) નો પણ નિર્દેશ છે.
સ્વર : હંસા દવે

tame mara dev na

.

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં પલક વ્યાસના અવાજમાં ગવાયેલ ગીત :

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર. – તમે…..

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર. – તમે…..

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ. – તમે…..

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જલમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ. – તમે…..
( આભાર : અમીઝરણું )

ગઝલ – ઉર્વીશ વસાવડા


જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણનો વસાહત થઇ ગઇ

નજરના જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે…. – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર – મુકેશ ; : સંગીત – કલ્યાણજી આનંદજી ; ફિલ્મ : અખંડ સૌભાગ્યવતી (1964)


.

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો
જરા ઉભા રહો, જરા ઉભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ….

મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….

થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….

નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે

———————————

ફરમાઇશ કરનાર મિત્રો : રમિત, સાક્ષી , જુલિયેટ, બકુલ, અમી, હર્ષવદન મહેતા

એક ભવ ઓછો પડે … – મુસાફિર પાલનપુરી

યાદ કોઇની વીસરવા એક ભવ ઓછો પડે,
એ અગનજ્વાળાને ઠરવા એક ભવ ઓછો પડે

તું કે જેના હોઠ પર ફરિયાદ વિણ કંઇ પણ નથી,
ને મને નિ:શ્વાસ ભરવા એક ભવ ઓછો પડે.

રૂપ છે નમણી પ્રતિભા હાય ! કિન્તુ દબદબો !
ફૂલ પણ એકાદ ધરવા એક ભવ ઓછો પડે.

દૂર હરદમ દૂર ઓ મન ! ધર્મના ભેદો થકી,
એ વમળમાથી ઉગરવા એક ભવ ઓછો પડે.

આચમન એનું મળે તો પણ ‘મુસાફિર’ ધન્યતા,
આ ગઝલ-સિન્ધુને તરવા એક ભવ ઓછો પડે.